ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. સુશીલ
જૈન અને જૈનેતર સમાજમાં સુશીલ નામે જાણીતા થયેલા ભીમજીભાઈનો જન્મ ઇ. સ. ૧૮૮૮ ના જાન્યુઆરીની ૧૮ મી તારીખે કાઠિયાવાડમાં આવેલ લીંબડી ગામમાં થયેલો. તેઓ જ્ઞાતિએ દશાશ્રીમાળી જૈન છે. તેમના પિતાનું નામ હરજીવન પારેખ અને માતાનું નામ કાશીબા છે.
અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ તેમણે લીંબડીની મીડલ સ્કુલમાં જ કરેલો, ને એ કેળવણીને એટલેથી જ અટકાવી, તેમણે જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અમદાવાદની એક પાઠશાળામાં કર્યો. અને જિજ્ઞાસા વધતાં તેમણે કાશીની શ્રી. યશોવિજયજી જૈન પાઠશાળામાં સંસ્કૃત તથા અંગ્રેજીનો અનિયમિત છતાં નિયમિત અભ્યાસને આગળ વધાર્યો. તે વખતે ઇતિહાસ તેમનો પ્રિય વિષય હતો અને હજુ તેમણે તેનું સ્થાન પ્રિય વિષય તરીકે ટકાવી રાખ્યું છે. એક દિવસ સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો તેમના વાંચવામાં આવ્યાં ને તેમની દ્રષ્ટિનો ત્યારથી કોણ બદલાયો, સ્વામી રામતીર્થની પણ તેમના પર અસર પડેલી; પણ એમના જીવનની મોટામાં મોટી અને સ્થાયી ઘટના તો સ્વ. શ્રી વિશ્વધર્મસૂરિના સહવાસની અને શિક્ષણની છે. તેમના જીવનને પલટવામાં એ સહવાસ અને શિક્ષણે મુખ્ય ભાગ ભજવ્યો છે એમ કહી શકાય.
અને પછી તો સામાજિક અને રાજકીય કાર્યકર્તાઓના પરિચયમાં તેઓ આવ્યા. તેમની સામેનું ક્ષેત્ર વિકસવા લાગ્યું. સાહિત્યના ક્ષેત્રને પોતાનું કર્યું ને જુદા જુદા માસિકોમાં, પાક્ષિકોમાં કે અઠવાડિકોમાં તેઓએ સહતંત્રી તરીકે કાર્ય કર્યું. એમની એ સાહિત્ય સેવાની કદર ગુજરાતે નથી કરી પણ સરકારે તો કરી જ છે. કાનુન ભંગ-મીઠાના સત્યાગ્રહમાં ઘોલેરામાં તેઓ પકડાયા, અને છ મહિનાની તેમને સજા થઈ.
તેમણે કચ્છ કેસરી (અઠવાડીક), જૈન પતાકા (માસિક), સૌરાષ્ટ્ર (સાપ્તાહિક), જયસ્વદેશી (પાક્ષિક), યુગધર્મ, આનંદ (માસિક), જૈન અને ફૂલછાબ (સાપ્તાહિક) પત્રોમાં સહાયક તંત્રી તરીકે કામ કર્યું છે. અને અત્યારે તેમનો ચાલુ વ્યવસાય પણ પત્રકારત્વનો જ છે. “જૈન” સાપ્તાહિકના મનનીય અગ્રલેખો અને નોંધો તેમની કલમમાંથી જ ઝરે છે, અને પુનર્જન્મ પામેલા ફુલછાબને સમૃદ્ધ અને સદ્ધર-સાહિત્યની દૃષ્ટિએ- કરવામાં સહાયક તંત્રી તરીકે તેમનો ફાળો ઓછો નથી જ.
એમનું પહેલું પુસ્તક મહાવીરના જીવનની સમીક્ષા કરતું બહાર પડેલું. એ પુસ્તકની અંદર મહાવીરના જીવનની તેમણે સ્વતંત્ર રીતે સમીક્ષા કરેલી અને તેમાં હેમચંદ્રાચાર્યે મહાવીરના સાથી ગોશાળાને મૂરખ ચીતર્યો છે તે વિષે તેમણે નમ્ર ટીકા કરેલી. હેમચંદ્રાચાર્યના શબ્દોની સામે કોઈથી બોલાય કે લખાય જ કેમ, એવા વિચારે લીંબડીના જૈન સમાજે એ સામે જૂંબેશ ચલાવી. અને લીંબડીના સંઘ બહાર મૂકવાને પણ તેઓ તૈયાર થયા. પરંતુ કોણ જાણે એ વસ્તુએ અચાનક પલટો ખાધો, ને એ પ્રકરણ શમી ગયું. એટલે કે ભીમજીભાઈ સંઘ બહાર ન મુકાયા.
પરંતુ ભીમજીભાઈએ જૈન સમાજની ને જૈન સાહિત્યની જેટલી સેવા કરી છે, તેટલી સેવા કરનાર બીજું કોઈ નામ શોધવા જતાં ન એ જડે. પણ એથી જૈનેતર સમાજને વધુ નુકશાન થયું છે. તેમની શક્તિઓનો લાભ જૈનેતર સમાજને જે પ્રમાણમાં મળી શકત, એ લાભ જૈન સમાજે તો બિલ્કુલ ઉઠાવ્યો નથી એમ સખેદ નોંધવું ઘટે. જૈન સમાજના હિત માટે, ઐક્ય માટે ને ઉત્થાન માટે જૈનમાં તેમણે જે જે અગ્રલેખો ને નોંધો લખેલ છે, તેમાંથી કેટલીક નોંધો તો પુસ્તકાકારે સંગ્રહાવી જોઈએ; કારણકે એ નોંધોમાં ચિંતન અને વિચારોનો ધોધ હોય છે. એ નોંધોમાંથી જૈન શબ્દ કાઢી હિન્દુ અથવા બીજો કોઈપણ શબ્દ મૂકો તો સર્વને અનુરૂપ થઈ શકે તેમ છે.
જૈન સાહિત્યના ધુરંધર અભ્યાસી અને ધર્મના વિકટ પ્રશ્નોના નિર્ણયમાં જેમનો મત લેવાય છે, એવા શ્રી. ભીમજીભાઈ ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં એના જન્મકાળે હતા, વર્ષોથી ‘જૈન’ પત્રમાં કામ કરે છે, અને આજે ‘ફુલછાબ’માં પણ છે.
સ્વદેશીના એ ઉપાસક છે. સ્વદેશી વસ્તુઓ વાપરવાનો એમનો આગ્રહ ખૂબ જૂનો છે. એ બ્રહ્મચારી છે, સ્વભાવે રમુજી છે.
બહુ જ સાદી વાતમાં, સાદાં છતાં રમુજી દ્રષ્ટાંતોથી ગમે તેવા અબુધને એ સમજાવી શકે છે. રાજકારણમાં એ રાજકારણના રસથી ઝુકાવતા નથી, અહિંસાને ધર્મ લેખે છે. ને સ્વદેશી પ્રવૃત્તિને અહિંસા ધર્મના મુખ્ય તત્ત્વરૂપ લેખીને એમાં જ ધર્મસાધના જુએ છે. સ્વદેશી પ્રવૃત્તિ એમને મન રાજકારણી રમત કે દાવ નથી. એને તો એ જૈન ધર્મના એક અંગ રૂપ લેખે છે. જૈન સમાજને જ તેમણે તેમનું ક્ષેત્ર કરી દીધેલ છે. આથી જૈન સમાજનું જ સાહિત્ય સર્જવામાં નાના મોટા પુસ્તકોનો પુનરુદ્ધાર કરવામાં કે સંકલન કરવામાં તેમણે તેમનાથી બનતું શક્ય કર્યુ છે; પણ ‘અર્પણ’ જેવું જૈન સાહિત્યનું જ છતાં જૈનેતર સાહિત્યમાં ઉંચું સ્થાન લઈ શકે તેવું ટૂંકી વાર્તાનું પુસ્તક આપી તેમણે તેમની શક્તિનો પરિચય જૈનેતરોને પણ આપેલ છે. પણ સાથે એવી નોંધવા જેવી વાત છે કે જ્યોતિષ જેવા પુસ્તકોને પણ તેમણે ગુજરાતી ભાષામાં ઉતારેલ છે.
તેઓને અંગ્રેજી ભાષા ઉપર કાબૂ તો છે જ, પણ સંસ્કૃત અને બંગાળી પર પણ એટલો જ કાબૂ છે. આથી સંસ્કૃત અને બંગાળી પરથી તેમણે કરેલા સફળ અનુવાદો તેમનો તે ભાષા પરનો કાબૂ દર્શાવે છે.
:તેમની કૃતિઓ :
- મહાવીર છવન વિસ્તાર૧[1]
- મહાવીરભક્ત મણિભદ્ર
- વિવેકવિલાસ
- આદર્શ રામાયણ [અનુવાદ]
- મોટી બહેન [અનુવાદ]
- ભદ્રબાહુ સંહિતા
- ઇસ્લામના ઓલિયા
- નારચંદ્ર જૈનજ્યોતિષ
- મેઘમાળા
- કલ્પસૂત્ર [અનુવાદ]
- સ્વામી વિવેકાનંદ ભા. ૨ [ અનુવાદ ]
- સમ્રાટ અકબર [ અનુવાદ ]
- ધર્મતત્ત્વ [ અનુવાદ ]
- જગતશેઠ
- બિંબિસાર
- અર્પણ
- કીર્તિશાળી કોચર
- ન્યાયાંભેનિધિ વિજ્યાનંદસૂરિ
- ↑ ૧ આ પુસ્તક લખવામાં વધુ હિસ્સો તેમના ભાઈ છોટાલાલ હરજીવનદાસનો છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.