ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૫

[મારાને પથ્થર પર છરી ઘસતો જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્ત હૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]

રાગ : રામગ્રી

સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.          -સાધુ૦ ૧

સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.          -સાધુ૦ ૨

આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.          -સાધુ૦ ૩

અંબરીષ[1] કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર[2];
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.          -સાધુ૦ ૪

પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથી ધરણ.         -સાધુ૦ ૫

પ્રહ્‌લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.          -સાધુ૦ ૬

વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા,[3] રાખ્યું જતું ઇદ્રાસન.          -સાધુ૦ ૭

કચ્છપ[4]રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.          -સાધુ૦ ૮

પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,          -સાધુ૦ ૯

સાતમે રાક્ષસકુળ સંઘારવા અવતરિયા શ્રીરામ;
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.          -સાધુ૦ ૧૦

આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.          -સાધુ૦ ૧૧

હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.         -સાધુ૦ ૧૨

પાંચ વરસોનો બાળિયો, જેનું ધ્રુવજી નામ;
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.          -સાધુ૦ ૧૩

શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.          -સાધુ૦ ૧૪

ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.         -સાધુ૦ ૧૫

ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
તમ વિના ત્રૈલોક્યમાં નથી માહરે કોય.          -સાધુ૦ ૧૬

અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.          -સાધુ૦ ૧૭

હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’          -સાધુ૦ ૧૮

એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.          -સાધુ૦ ૧૯

વલણ


અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તન રે.          -સાધુ૦ ૨૦




  1. અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર
  2. અત્રિકુમાર – દુર્વાસા ઋષિ
  3. પોળિયા – દ્વારપાલ
  4. કચ્છપ – કાચબો