ચારણી સાહિત્ય/4.સોરઠી સાહિત્યની ધારાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


4.સોરઠી સાહિત્યની ધારાઓ
પહેલી ધારા : દુહા-જડિત વાર્તાઓ

આજે જરાગ્રસ્ત બનેલા સોરઠની એ ભરજોબન અવસ્થાના યુગને આપણે ઝાંખો ઝાંખો પણ સંભારી ગયા. એ જોબન સાચું, તંદુરસ્તીભર્યું હતું, માટે જ એણે ભાતભાતની મસ્તી મચાવી હતી. પ્રેમની, શૌર્યની ને મહેમાનીની મસ્તી : વેરની, શોકની અને વિયોગની પણ મસ્તી : મસ્તીની અનેક ઘટનાઓ બની હશે, તેમાંથી એંધાણ બહુ થોડીનાં જ રહ્યાં છે. ઘણી ખરી તો અણનોંધાયલી રહી ગઈ. બાકીની કોઈ કોઈ સોરઠી શિલ્પમાં કોતરાઈ જઈને સજીવન રહી, કોઈ કોઈ કિલ્લા કોઠા કે સિંદૂરિયા પાળિયાને પથ્થરે પથ્થરે હોંકારા કરી રહી છે. અને કેટલીક ઘટનાઓએ કવિતામાં ઊતરીને કાળની કરડી નજર ચુકાવી છે. શ્રાવણની નીરધારા જેવી, કે જનેતાની સ્તનધારા જેવી સ્વયંભૂ અને શુદ્ધ કાવ્યધારા વાટે આ પ્રેમઘટનાઓ, શૌર્યઘટનાઓ, આતિથ્યની, વૈરની, ઔદાર્યની કે ધર્મપાલનની ઘટનાઓ આટલાં વરસો થયાં વહેતી રહી છે ને જગતના છેલ્લા દિવસ સુધી વહ્યા કરે તેવો એનો પાતળો તોયે અખંડ પ્રવાહ છે. એવી દુહાઓમાં ગુંથાએલી કથાઓ સોરઠી સાહિત્યમાં સિંહાસને બેસવા લાયક છે. સોરઠી સાહિત્યની બલિહારી તો એ છે કે એણે કપોલ-કલ્પિત વાતોને નથી સંઘરી. કારણ કે આજના યુગની કલ્પનાને પણ અગમ્ય હોય તેવી ઘટનાઓ તો સોરઠના સત્ય-સંસારમાં રોજ રોજ બનતી હતી. અને ઘટના બની ગયા બાદ અમુક વર્ષો વીત્યે કોઈ કવિએ એને કાવ્યમાં ગૂંથી હોય તેમ નથી બન્યું જણાતું. પરંતુ ઘટના બનવાની સાથે સાથે જ કાવ્યો રચાયે ગયાં હશે : સ્તંભો મેલાતા જાય, અને ઇમારત ચણાતી જાય તે ન્યાયે. એ કથાઓના આ પ્રમાણે વિભાગો પાડીએ : સમાજના કૃત્રિમ નિયમોએ વિછોડેલાં પ્રેમીઓની શોકાન્ત કથાઓ, પરસ્પર તરછોડેલાં ભગ્નપ્રેમીઓની કરુણ કથાઓ, મૃત્યુએ વિખૂટાં પાડેલાં વહાલાંઓની કથાઓ, શૌર્ય અને સ્વધર્મપાલનને ખાતર મૃત્યુને સ્વીકારનારાં વીર-વીરાંગનાઓની કથાઓ, સતીના શાપની, અને મુએલાં સ્વજનોની મરશિયાવાળી કથાઓ.

‘લોચનિયે લોહી ઝરે’

માંગડો વાળો ક્ષત્રિય અને પદ્મા વણિકની કન્યા : સમાજે કરેલા એના વિચ્છેદની આખી ઘટના ઉપર વાર્તાની ઇમારત ચણવામાં કેવી કેવી રીતે દુહાઓના સ્તંભો મુકાયા તે જોઈએ. નદીને તીરે નેત્રો મળ્યાં. પ્રેમ જન્મ્યો.

અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત,
પુરવ જનમની પ્રીત, તોં મધ લાગી માંગડા.

[હે માંગડા! અમે વાણિયા, ને તમે રજપૂત : આપણો મેળ ક્યાંથી મળે! પરંતુ આ તો પૂર્વ જન્મની પ્રીતિ હોવી જોઈએ નહીંતર મારું — વણિકપુત્રીનું — મન તારા જેવા પરજ્ઞાતીલા ઉપર કેમ કરીને મોહે?] એ એક સ્તંભ; પછી? રજપૂત યુદ્ધે ચઢ્યો. કેવો એ રણસાજ?

ઘોડો ઘોડાને ઘાટ, અસ્વારે ઉણો નહીં,
(જેનું) ભાલું ભરે આકાશ, મીંટે ભાળ્યો માંગડો.

[સુંદર ઘોડો, અને તેવો જ ઘોડેસ્વાર. આસમાનને માપે તેવું પ્રચંડ ભાલું. આવા પ્રિયતમ માંગડાને પદ્માએ પોતાના ઝરૂખા પરથી જોયો.] એ બીજો સ્તંભ, પછી? બે ઘડીનું મિલન.

જેની જોતાં વાટ, (ઈ) શેરીમાં સામાં મળ્યાં,
ઊઘડ્યાં ઉરનાં કમાડ, કામ ન પડિયા કુંચીનાં.
પછી? રોકાઈ જાઓ! અરે ગાંડી! રોકાવાય?
ભલ ઘોડો વલ લાંબડા, હલ બાંધવાં હથિયાર,
ઝાઝાં ઘોડાંમાં ઝીંકવાં, (મારે) મરવું એક જ વાર.

[આવા ભલા ઘોડા ઉપર ચઢવું, માથાના લાંબા કેશ છૂટા મૂકવા, ઝળકતાં શસ્ત્રો સજવાં, અને પછી પ્રચંડ શત્રુસેનામાં ઝંપલાવવું એ વીરધર્મ ચુકાય? એ કેવી અમોલી જીવન-લહાણ! અને એક વાર મરવું તો છે જ ને!]

ગયો વચન દઈને, ઝરૂખે બેસીને પ્રેયસી વાટ જુએ. ત્યાં તો

વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,
(પણ) ઇ ઘોડે ને અસ્વાર, મીટે ન ભાળું માંગડો.

[માંગડાના મામા ભાણ જેઠવાની સેના હારીને પાછી વળી. પણ એ બધામાં મારો મનમાન્યો ઘોડો ને મનમાન્યો સ્વાર માંગડો નથી દેખાતો.] માંગડો મર્યો? હા! એનો સંદેશો આવ્યો :

પદમાનો પ્રીતાળ, હીરણ્યને પૂરે પડ્યો;
(કોઈ) કરજો મા કલપાંત, મરતે બોલ્યો માંગડો.

[મરતાં મરતાં માંગડે સમાચાર દીધા છે : હે પદ્મા! તારો પ્રીતમ હીરણ્ય નદીમાં હણાઈ ગયો. પણ તું કલ્પાંત કરીશ મા.] પછી તો વાણિયાની જાન નીકળી. ભૂતવડલાને છાંયડે ઢેબરાં ખાવા બેઠી. માંગડાનો કાકો અરસી વાળો એ જાનના રક્ષણને કાજે ભેળો હતો. વડલા ઉપરથી ટપક ટપક અરસીને માથે લોહીના છાંટા પડ્યા. અરે! આ લોહી ક્યાંથી? ઊંચે જુએ ત્યાં ભૂત રુદન કરતો બેઠેલો. લોહીનાં આંસુ? હા, કાકા, હા!

સહુ રોવે સંસાર, (એને) પાંપણિયે પાણી પડે,
(પણ) ભૂત રુવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

[સંસારનાં માનવી રડે, ત્યારે એની પાંપણેથી પાણી પડે. પણ આ તો ભૂતનાં રુદન! ભયંકર રુદન! હૈયાનાં લોહી નીતરી નીતરીને લોચનમાંથી ઝરે. ભૂતનાં હૃદય. વેદના કેવી દારુણ! કેવી વસમી!]

અરે, તું કોણ છો? ભૂત કહે,
હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહીં.
રુદન કાં કરે! ઉત્તર મળ્યો :
ઓ દનડા સંભાર્ય, (હું) પદમા શું પાટણ રમ્યો.

[કાકા, હું પદ્માની સાથે પતિભાવે રમ્યો હતો, તે દિવસ યાદ કરી જો; આજ એ મારી પ્રિયાને પરણવા પરપુરુષ જાય છે, તેથી રડું છું.] અરસી સમજ્યો. ચાર આંટા મને પદ્માની સાથે ફરવા દે : એ ભૂતની માગણી. ભૂતડો બન્યો વરરાજા : પાછી વળીને જાન વડલે આવી : માંગડો ઊતરી ગયો : પદ્મા બીજે ક્યાં જાય?

ચોરી આંટા ચાર, ફેરા હું તમસું ફરી,
ભાઈ બીજો ભરથાર, મારે તોં વણ માંગડા.

[હે માંગડા, હું તારી સાથે જ ચાર ફેરા ફરી છું. બીજા મારે ભાઈ-બાપ. ભલે તું ભૂત રહ્યો.] પદ્મા ઊતરી પડી. પરંતુ પ્રેત તો અદૃશ્ય, અસ્પર્શ્ય હતો. પદ્માને નિરંતર દહવાનું અને ઝૂરવાનું રહ્યું. એ ભયંકર અરણ્યમાં દિવસ અને રાત.

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) ક્યાં ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.

[ઓ વડલા, તારે પાંદડે પાંદડે આગ સળગી રહી છે. એની જ્વાળામાં હું સળગી રહી છું. એ આગ — ભયંકર વિયોગની, પ્રેત સાથેના પ્રેમની આગ હું ક્યાં જઈને ઓલવું?] એવી એની ગતિ થઈ. સદા તલસવું અને ત્રાસવું : સદા ચાહવું અને બળ્યા કરવું : ચોગમ ભૂતના ભડકા, લોહીનાં આંસુ, વેદનાની ચીસો અને વિકરાળ દર્શન. વાર્તાઓ દુહાઓ દ્વારા કેવી રીતે સચવાઈ રહી છે, અને તે દુહા-સંકલનાની રચના કેવી હોય છે તેનું આ એક દૃષ્ટાંત દીધું. આખી કથાના મુખ્ય મુખ્ય પ્રસંગો અક્કેક દુહાનો ટેકો લઈને ઊભા છે. તે સિવાયના આંતરા ચારણો પોતાને શ્રીકંઠેથી ગદ્ય વડે પૂરા કરે છે. દુહાઓ રૂપી મોતીની વચ્ચે વાર્તાનો સળંગ દોરો પરોવાતો પરોવાતો ચાલ્યો આવે છે. સોરઠે સરસ્વતીદેવીને કંઠે આવી અનેક મુક્તાવલીઓ પહેરાવી છે, અને જાણે કદી યે જૂની થવાની નથી એવા ઝલકાટ મારતી એ રત્ન-માલાઓ સરસ્વતીના કંઠમાં પડેલાં અન્ય અનેક અમોલાં આભરણોની વચ્ચેથી પણ અમારી પ્રાંતિક અભિમાનીઓની આંખોને ભાવભીની કરતી કિરણો કાઢે છે. માંગડો ને પદ્મા જ્ઞાતિભેદને કારણે વીછોડાયાં, તેવી રીતે લાખણશી ને માણેકદે, રાણો ને કુંવર, શેણી ને વિજાણંદ : એવી એવી ચાતક-બેલડીઓને એનાં માવતરોએ વિખેરી નાખી.

લાખણશી અને માણેકદે

એ બે વચ્ચે જન્મેલી માયા જોયા છતાં ય કોણ જાણે શા કારણે — કદાચ કુટુંબ વચ્ચેના જૂના વેરને કારણે — માણેકદેના પિતાએ એનું વેવિશાળ બીજે કર્યું. જાન લઈને સાજણ તેડવા આવ્યાં. કાલે પ્રભાતે તો પ્રેયસી સાસરે જવાની! મારડ ગામથી છેક નગિયાણે લાખણશી પહોંચ્યો. અધરાત ભાંગતી હતી. ડેલીમાં તો ડાયરો સૂતો હતો. ખોરડા ઉપર ચડીને લાખે ખપેડો ફાડિયો, ઊતર્યો ઊભે મોભ. પણ કમ્મરમાંથી કટાર સરી, આતુર પ્રેયસી નીચે ઊભી હતી તેના પેટ સોંસરી નીકળી. છતાં યે પોતાના કારમા જખ્મની પીડા છુપાવીને, ધખધખતા લોહીને ન ગણકારી, આજીજી કરે છે કે

લે લે લાખણશી લાણ, આજૂની એક જ ઘડી,
પરોઢિયે પરિયાણ, સીધાં સરગ સધાવશું.

[ઓ લાખણશી, આજની એક ઘડી માણી લે. સવારે તો સાસરે યે નથી જવું, આંહીં યે નથી રહેવું. પરભારા સ્વર્ગે જવું છે.] લાખણશી આ સમશ્યા ન સમજ્યો. અરે ભૂંડા! ન સમજ્યો?

લાખણ જાણ સુજાણ, સનસુમાં સમજ્યો નહીં,
ફેરવીને ફેંટો બાંધ્ય, લાખણ લોયાળો થયો.

[અરે શાણા! સમશ્યામાં ન સમજ્યો? આ તારાં લૂગડાં લોહીવાળાં થયાં. ફેરવીને પહેરી લે.] અને,

કાયર મ થા કંથડા, ઘર વીંટ્યું ઘણે,
કાઢ્ય કટાર કર ધુંખળાં, રમવા આજ રણે.

[હવે બી મા. ઘરની ચોગમ શત્રુઓ ઘેરી વળ્યા છે, કટારી કાઢીને યુદ્ધ કર. છટકી જા. તારા પ્રાણ બચાવી લે. મારા રામ રામ.] લડીને લાખણશી ઉગર્યો. પણ એને જંપ ક્યાંથી વળે? પ્રભાતે તો નગિયાણા ગામને પાદર પ્રિયતમાની

સોનાવરણી ચ્હે બળે, રૂપાવરણાં ધૂંસ.

[સુવર્ણરંગી ચિતા બળે છે, અને રૂપેરી ધુમાડા નીકળે છે.] એમાં,

લાખે દીધી દોટ, ભણેણીને ભેળાં થયાં.

[લાખણશીએ દોડીને ચિતામાં ઝંપલાવ્યું. જિંદગીની અંદર વિખૂટાં હતાં તે મૃત્યુના ખોળામાં ભેગાં થઈ ગયાં.] પરસ્પરનાં માબાપો વચ્ચેની શત્રુતાથી કે સ્વાર્થબુદ્ધિથી વિચ્છિન્ન થયેલી આવી અનેક પ્રેમ-જોડલીએ વિશ્વવિખ્યાત રોમિયો-જુલિએટ કરતાં વિશેષ ખૂબીભરી કરુણામય સ્નેહ-કથાઓ રચેલી છે. વિજાણંદે ત્યજેલી પ્રેમિકા શેણી એની શોધમાં ભટકે છે, અને સંસ્કૃત કવિઓને તેમ જ નળાખ્યાનના સૃષ્ટા પ્રેમાનંદને પ્રિય થઈ પડેલી પ્રથાનુસાર અરણ્યની નિર્જીવ વસ્તુઓને સજીવારોપણ કરીને સંબોધે છે, ઓઝત નદીને મનાવે છે કે :

ચડી ટીંબા ને ટીંબડી, ચડી ગુંદાળી ધાર,
ઓઝત, ઉછાળો કરી, વિજાણંદ પાછો વાળ્ય.

પીપળાને પોકારે છે. હતાશ થઈને હિમાલયમાં દેહ ગાળે છે, અને અચાનક આવી ચઢેલા વિજાણંદને કહે છે કે :

હાડ તો હીમાળે ગળિયાં જે ગુડા લગે,
વિજાણંદ વળે, ધણમૂલા જાને ઘરે.

[હિમાલયના બરફમાં મારાં હાડકાં, પગ સુધી ગળી ગયાં છે. માટે, હે પ્રિયતમ વિજાણંદ! હે મહામોલા! તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.] બહાર ઊભેલો પ્રેમિક મનાવે છે કે :

વળને વેદાણી, પાંગળી હો તોય પાળશું,
કાંધે કાવડ કરી અડસઠ તીરથ તારશું.

[હે શેણી, હજુ પાછી વળ, તું અપંગ બની ગઈ હોઈશ તો યે હું પાળીશ, અને કાંધે કાવડ લઈ તને તમામ તીર્થોની જાત્રા કરાવીશ.] આખરે એ ‘હલકું દેતા હેમાળા’ની અંદર બન્ને જણાં ગાત્રો ગાળી નાખે છે.

દેહના ચૂરા

રાણો અને કુંવર બે ય રબારી જાતનાં જુગલ : ગીરના હરિયાળા ડુંગરાઓ ઉપર ગાય-ભેંસોની સાક્ષીએ, ઝરાઓ અને તારાઓની સાક્ષીએ બેયની વચ્ચે પ્રેમગાંઠ બંધાઈ. જાણતાં હતાં કે માવતરને આ સંબંધ નથી ગમતો. અને સાચે જ ન ગમ્યો. કુંવરને પરગામ પરણાવી, અને રાણો પોતાના રુદિયાને કહે છે કે :

રાણા, રાતે ફૂલડે ખાખર નીખલિયાં,
સાજણ ઘેરે સામટે આણાત ઉઘલિયાં.

[રાણા, જોતો ખરો! ખાખરાનું ઝાડ રાતાં ફૂલમાં લચકી રહ્યું છે, તેવી વસંત ઋતુમાં તારી કુંવર પણ ફાંકડા જાનૈયા વચ્ચે ઘેરાઈને સાસરે ચાલી નીકળી.] સાણા ડુંગરને શિખરે બેઠો બેઠો રાણો ઝૂરે છે. એક કુંવરની હાલ્ય જ હંસ જેવી, બીજી સર્વની હાલ્ય ડકૂકતી : એક કુંવરની જ છાતી ચાકમચૂર, અન્ય તમામની ઢીલી ઢીલી : એક કુંવરનો જ ચોટલો કાળો નાગ, અન્યના વાળ ઓડેથીય ચેરા : એક કુંવરના જ દાંત દાડમ કળી-શા : પાંપણો પણ એની જ તીર જેવી : એવું એવું ધ્યાન ધરતો વિયોગી વસે છે. સામેના નાંદીવેલા ડુંગર ઉપર જ કુંવર પોતાનાં સાસરિયાંની સાથે રહે છે. બે ય જણાં પરસ્પરનાં રહેઠાણ જાણે છે. પણ મળાય? મળાય નહીં; પવિત્રતા માકારો કરે છે. રાણાએ કાગડો જોયો. એ કુંવર કનેથી તો ન આવ્યો હોય?

ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધેં કરેં,
કે’ ને કેડાક પાર, કુંવર કયે આરે ઊતરી.

[હે કાગડા! વન વન વીંધીને તું ક્યાંથી આવ્યો? કુંવર કઈ નદીને કયે કિનારે મુકામ કરીને બેઠી છે, તે કહેને, ભાઈ!] રાણાને મન તો કાગડો પણ નળરાજાના હંસ જેવો લાગ્યો. પ્રેમી આંખો કાગડાની રૂઢિગત કઠોરતા અને કદરૂપતા વીસરી ગઈ. ઓ ભાઈ કાગડા!

ગર લાગી ગુડા ગાળ્યા, પેટે વધ્યો પિયો,
કાગા ભણજો કુંવરને રાણો સાણે રીયો.

[હે કાગડા! કુંવરને આટલું કહેજે કે રાણાને ગીરનું પાણી લાગ્યું છે, અંગ ગળી ગયું છે, ને હું સાણાના ડુંગરમાં રહું છું.] કાગડાએ સંદેશો પહોંચાડ્યો હશે? કુંવર આવી. સાચેસાચ આવી. જીવવા નહીં, મરવા માટે આવી. અરર! કુંવર, આ તારે શરીરે શું?

વૈદું વેરી મળ્યા, કાયા બગાડી કુંવરની,
દેહડી ઉપર ડામ, (તને) ચાભાડી, કોણે ચોડિયા?

[હે ચભાડની પુત્રી, આવા વૈદ્ય કોણ મળ્યા? તારા શરીર પર ડામ કોણે દીધા?] કુંવર ઝૂરતી હતી. શરીર શોષાતું હતું. સાસરિયાં સમજેલાં કે વહુને પાણી લાગ્યું છે. માટે પેટે ડામ દેવરાવ્યા. અબળા પોતાનું હૈયું કોની આગળ ઉઘાડે? જૂઠું કેમ બોલાય? સાચું કારણ પણ શી રીતે અપાય? ડામ સહન કરી લીધા. અંગે લાય લાગી. શરીરમાં હાડપિંજર જ રહ્યું. જીવવું રહ્યું નહોતું. માટે જ રાણાને મળવા ગઈ. રાણો બાથ ભરવા ઊઠ્યો. કુંવર કહે છે કે, રહેવા દે.

રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહીં.

[હે રાણા! આજની રાત રહેવા દે. આપણ બંનેના શરીર ખળભળી ગયાં છે. આજનું આલિંગન પ્રથમ વારનું છે. નહીં સહેવાય. કાલે પ્રીતિની ઉગ્રતા શાંત પડ્યા પછી બથ ભરજે.] રાણો ન રહી શક્યો. સામસામી બથ ભરી. બંને દેહના ચૂરા થઈ ગયા.

ઢોલરાનો ત્યાગ

અને દેવરા આયરની બાલ્યસખી પણ માવતરે બલાત્કારે પરણાવેલા ભરથાર ઢોલરાને પોતાનું અંતર નહોતી આપી શકી. દેવરો જોઈ રહ્યો, ને ઘૂંઘટમાં બોર બોર જેવડાં આંસુડાં પાડતી એ તરુણી સાસરે ચાલી નીકળી. નદીકાંઠે ગાડાં છૂટ્યાં. ઘૂંઘટ ઉઘાડીને યૌવના શા શા ચિંતને ચઢી છે!

તરવેણીને તીર, અમે સાગવન સરજ્યાં નહીં,
(નીકર) આવતડો આહીર, દાતણ કરવા દેવરો.

[અરેરે! આ નદીને કિનારે હું વનનું વૃક્ષ સરજાઈ હોત, તો દેવરો દાતણ કરવા આવત ત્યારે તો એને ભાળી શકત! માનવી થઈને આઘે આઘે ચાલ્યા જવું, તે કરતાં ઝાડ બનીને નિત્ય પ્રિયજનનાં દર્શન તો થાત!] ઢોલરાએ પોતાની સ્ત્રીને રીઝવવા શું શું કર્યું? ચાલ, ચોપાટ રમીએ : ચાલ તારું માથું ઓળી દઉં : મીઠાં જમણ જમાડું : ઢોલિયો ઢાળી દઉં : પણ દેવરાની માશૂક બાર-બાર વરસના જૂના કોલ કેમ કરીને તોડે? દેવરો જાણે કે આડે આવીને ઊભો રહ્યો. ઢોલરો જાણી ગયો કે એનું હૈયું દેવરાને જ સોંપાયું છે. દિલાવર ઢોલરો સ્ત્રીને લઈ દેવરાને ઘેર ગયો. “દેવરા! મારા વિવાહ : પુરોહિતે કરાવેલું પાણિગ્રહણ : એ બધું જૂઠું. કુદરતે તને જ એનું કન્યાદાન ક્યારનું યે દઈ દીધું છે. માટે લે, સ્વીકાર કર. મારે ઘેર એ પવિત્ર જ રહી છે.” દેવરો વિસ્મય પામ્યો. પોતાની સ્ત્રી સમર્પી દેનારો કોઈ દેખ્યો નહોતો; નહોતો સાંભળ્યો ય. એણે ઢોલરાને પોતાની બે બહેનો પરણાવી. માએ ઠપકો દીધો. દેવરો કહે છે કે માડી!

દીકરીઉં દેવાય, પણ વવું દેવાય નૈ,
એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.

[પોતાની દીકરીઓ તો સહુ આપે, પણ પોતાની સ્ત્રી આપનાર ઢોલરા જેવો ત્યાગી બીજો કોઈ નથી જોયો. એકને બદલે મેં મારી બે બહેનો એને દીધી, તો યે મારા ઉપર એનો ઉપકાર રહ્યો છે.] બીજો, પરસ્પર ત્યજાયેલાં જોડાંની ઘટનાઓનો પણ સમૂહ છે. એ બાનરો ને મૂળદે : હેમિયો : વીજરો : કાચબો ને પરીયમ : વીકી ને કમો : એ ત્યજાએલી પ્રિયતમાઓના કાલાવાલામાં સાચા કવિત્વનો, સાચી ઊર્મિઓનો રણકાર વાગે છે. એક વાર વીજરા નામના આશકને તરછોડનારી સ્ત્રી યૌવનમાં પહોંચતાં પલટો ખાય છે, અને પછી તો અપમાનથી ઘવાયેલા નાયકને સમજાવે છે કે :

તમે માગેલ તેલ, (તે દી) કાચાં પણ કુંપે નહીં,
હવે ફાગ ને ફૂલેલ વાળે ઘાલું, વીજરા.

[હે વીજરા, તે દિવસ તેં સ્નેહરૂપી તેલ માગ્યું, ત્યારે કાચું પણ મારા સીસામાં નહોતું. આજ, આવ, આજ તો પાકું તેલ તારા વાળમાં સીંચું.] એવી જ આજીજી વીકી કમા કને કરે છે :

કમા કાઢી મ મેલ્ય, ખૂણેથી ય ખંખેરીને,
પાલી અમારું પેટ, અધવાલી તું આલજે.

[હે કમા, તું મને કાઢી ન મૂક. એક ખૂણામાં પડી રહેવા દે. મારે એક પાલી અનાજ જોશે, તેને બદલે હું અરધી પાલી ઉપર ગુજારો કરીશ. તને ભારરૂપ નહીં બનું. બીજી કશી ચાહના નહીં કરું. માત્ર તારા ઘરમાં રહેવા દે.] આ બધી ભગ્નપ્રેમની કથાઓ છે. કોઈ જોડાં તલસી તલસીને વિખૂટાં રહી જીવ કાઢી નાખે છે, તો કોઈ એકબીજાની ચિતામાં ઝંપલાવે છે. મરતાં સુધી મરજાદ ન ત્યજે, બધી વ્યથા સહે, અને આખરે મરજાદ તોડે તો તે જીવન માણવા નહીં, પણ સાથે બળી મરવા. દેહની વિલાસવાસના ભાગ્યે જ નજરે ચઢે છે. સ્વેચ્છાચારનું નામ પણ નથી. હલકાં મનાયેલાં વર્ણોની એવી નીતિ આપણને વિસ્મય પમાડે છે.

‘હોંકારા દે હાડ’

સંસ્કૃતમાં જયદેવ કવિએ ગીતગોવિંદ ગાઈને પત્નીના શબમાં પ્રાણ પાછા વાળ્યા. આ સાહિત્યમાં પણ એને આંટે તેવી ઘટનાઓ પડી છે. એક પતિએ મિત્ર-મંડળીની વચ્ચે ગર્વ કર્યો કે

હાથ કટારાં જે હણે, હોડે વખ જે ખાય,
એસાં સજણાં માણીએ, (જેનો) હાથ કર્યે જીવ જાય.

[પ્રેમ તો એવી સ્ત્રીની સાથે કરો કે જે આપણું મોત સાંભળવાની સાથે જ કાં તો સ્વહસ્તે કટાર ખાઈને મરે, અગર વિષપાન કરીને મરે.] એ જ ગર્વિષ્ઠ સ્વામીની પત્ની શેણને બીજા મિત્રોએ એવી જીવલેણ કસોટીમાં મૂકી. બાઇએ ‘હાય’ કહીને પ્રાણ છોડ્યો. ઘેલા થયેલા પતિએ સ્મશાનમાં જઈ શેણને સાદ કર્યો, ત્યાં તો -

મટ્ટી શું મટ્ટી મળી, તોય હોંકાર દે હાડ.

હાડકાં ઊછળી ઊછળી હોંકારા દેવા લાગ્યાં, ને એ હાડકાંને ભથ ભીડી સ્વામીએ દેહ ત્યજ્યો. એવી પ્રેમ-કથાઓ અન્ય સાહિત્યમાં કવિની કલ્પનાઓને પણ સુલભ નથી થયેલી, જ્યારે અહીં તો એ બનેલી ઘટનાઓ છે. ને કદાચ ક્યાંક કલ્પનાની છાંટ હોય, તો કલ્પના તરીકે પણ આ સાહિત્યને અપૂર્વ કીર્તિથી નવાજે છે. સોરઠી લોકજીવન તો અત્યારે પણ એવા બનાવોને સંઘરતું કોઈ કવિ-લેખિનીના સ્પર્શની વાટ જુએ છે. એ નિરક્ષર અને ભ્રમણશીલ લોકજીવનમાં ઝટ જીભને ટેરવે ચડી જાય તેવા કાવ્યનું રૂપ આવી ઘટનાઓને અપાવું જોઈએ. તેથી પ્રત્યેક કથાની એક પછી એક ઘટનાને દુહા જેવું નાજુક રૂપ દેવાયું. દુહો એટલે આખી વસ્તુસંકલનાનો અક્કેક અંકોડો. એવી દુહાબદ્ધ સળંગ વાતોનું અધૂરું અધૂરું પણ સંશોધન થયું છે, થતું આવે છે. દુહાના રૂપમાં નાયક-નાયિકાના આખા ને આખા સંવાદો માલૂમ પડે છે. આ સંવાદના દુહા કોણે રચ્યા? ઘટના બન્યા પછી તેને અમર રાખવા કોઈ ચારણે રચ્યા? કે ઘટનાનાં એ પાત્રોને શ્રીમુખેથી જ સરી પડ્યા? આજ વરસોવરસ હુતાશનીની જ્વાળાઓની આસપાસ અને અનેક મેળાઓમાં લોકો — સ્ત્રીઓ ને પુરુષો — દુહાઓ ગાતાં ગાતાં સ્પર્ધા કરે છે. અને જ્યારે જૂના દુહાઓ ખૂટે છે, ત્યારે તત્કાળ નવા દુહા રચતાં જાય છે. આજની વડારણો પણ રાજદરબારમાં છાજિયા લેતી લેતી કરુણ રસનાં કાવ્યો રચતી જાય છે. એવો રસ ને એવી વાણી-વિભૂતિ જો આજ પણ હોય, તો પછી તે કાળનાં અલ્પભાષી, સબળ ભાવનાભર્યાં, સાહસિક, શૂરવીર ને રસતરબોળ પ્રેમીઓ કાવ્ય કાં ન રચે? એને રચવાપણું શું હોય? મુખમાંથી નિઃશ્વાસ પડે તેમ દુહો ન પડે? એક સાદો દુહો લ્યો. શેણ કહે છે કે —

જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,
(હું) શેરીએ પાડું સાદ, વાવડ દ્યો વિજાણંદના.
બીજો દુહો માંગડા વાળાની પ્રેમિકા પદ્માનો લ્યો :
ઊંચે સળગ્યો આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ્ય, વે’લો ધાત્રવડા ધણી.

[મારે તારા વિના ઊંચે આકાશ સળગ્યું, ને નીચે પૃથ્વી સળગી. હે ધાંતરવડના રાજા માંગડા! એ આગ ઓલવવા માટે તું વહેલો આવજે.] સીધે સીધી વાક્ય-રચના, અને નિત્ય-જીવનમાં બોલાતા શબ્દોનો જ ઉપયોગ : દુહા જેવું સાદામાં સાદું વૃત્ત : એકેય શબ્દનો અતિરેક નહિ : અંતરમાં ઊગે તેવું જ ઉચ્ચારી નાખનારા એ સંયમશીલ યુગમાં આવાં કાવ્ય રચવાનું કામ સહજ હતું. મનુષ્યોની રોજિંદી બોલીમાં જ કાવ્યનાં આબાદ લક્ષણો હતાં, એટલે આવા દુહાઓ અવશ્ય નાયક-નાયિકાઓના સ્વરચિત હોવા જોઈએ. અને તેમ હોવાને બદલે કદાચ પાછળથી કોઈ કવિઓએ જ આ આખ્યાનો રચ્યાં હોય તો? તો સોરઠની ભૂમિ અધિક ધન્યવતી બને છે. પોતાનાં નામ જોડી દેવાનો મોહ જે કવિઓને નહિ થયો હોય, તે કવિઓ મનુષ્ય તરીકે કેટલા ભવ્ય હશે! અન્ય પ્રાંતના લોકસાહિત્યમાં આટલો ત્યાગ કદાચ નયે જડે. ઉપર કહી તે બધી વાર્તાઓ તો સાંગોપાંગ દુહાબદ્ધ છે. પરંતુ બીજી અનેક વાર્તાઓ એવી છે કે જે માત્ર બે-ચાર દુહાઓનો જ આધાર લઈને જીવતી રહી છે. ઘટનાઓનો આખો ઇતિહાસ ફક્ત ચારણોની સ્મરણશક્તિની જ દયા ઉપર નભતો હોય છે. માત્ર અમુક ભવ્ય પ્રસંગનું જ આલેખન એક-બે દુહાઓમાં થયું હોય છે. અગર દુહાઓ મોટી સંખ્યામાં હોય તો પણ તે વાર્તાની વસ્તુ-સંકલના સાધવાને માટે નથી હોતા. પણ નાયક અગર નાયિકાની મનોવ્યથા વ્યક્ત કરવાને માટે હોય છે. મેહ જેઠવા અને ઊજળીની વાતના આશરે એક સો દુહાઓ એ પવિત્ર શીલવાળા રાજાને મુખેથી અને એ ખંડિતા (‘રીજેક્ટેડ’) ચારણીના હૈયામાંથી ઝરી પડ્યા છે. ચારણ-કન્યા ઊજળીએ પોતાના જેઠવા રાજાને એક વખત પોતાના અંગની ઉષ્મા આપીને જીવતો કર્યો છે. એભલ અને સાંઈ નેસડીની ઘટનાને મળતી જ આ મેહ અને ઊજળીની ઘટના છે. પરંતુ ઊજળીને તો જેઠવા રાજાના અંગસ્પર્શે પ્રીતિનાં રોમાંચ અનુભવાવ્યાં. જે પુરુષની સાથે એ કુમારિકા એકવાર પોઢી, તે પુરુષ સિવાય બીજા એને તો ભાઈ-બાપ. પણ જેઠવો રાજા ઊજળીની કાંતિમાં, આજીજીમાં અગર સેવામાં ન લોભાયો. એને મન તો ચારણ એટલાં દેવ. ઊજળી જેઠવાની પાછળ ઘેલી થઈ. દુહે દુહે એ કેવાં મર્મવેધક મનામણાં! કેવું કાવ્ય-સૌંદર્ય! બારમાસીના આજીજીભર્યા સંદેશા કેવા મૃદુતામય! ને કવિતામય!

મહિના કારતકમાંય સહુને શિયાળો સાંભરે,
ટાઢડીયું તનમાંય, ઓઢણ દે, આભપરા ધણી.

[આભપરા પહાડના રાજા ઓ મેહ જેઠવા! આ કાર્તિક મહિનો આવ્યો. વિયોગી પ્રેમીઓને આ માસમાં શિયાળાના સંયોગ યાદ આવે. એકલાં એકલાં અંગમાં ઠંડી લાગે. માટે હવે તો કાંઈક ઓઢવાનું દે! તારા પ્રેમની ચાદર ઓઢાડ!]

માગસરમાં માનવ તણા, સરખા એક જ શ્વાસ,
ઇ વાતુંનો વશવાસ, જાણ્યું કરશે જેઠવો.

[ઓ જેઠવા! માગસર મહિને તો પ્રેમી યુગલો એક સાથે જ શ્વાસ લઈને જીવી શકે. વિખૂટાં પડે તો જીવ જાય. એ વાતોમાં તને વિશ્વાસ કેમ ન રહ્યો? મને કાં એકલી મૂકી?]

પોષ મહિનાની પ્રીત, જાણ્યું કરશે જેઠવો,
રાણા, રાખો રીત, બોલ દઈ, બરડાના ધણી.
માધે પરણે માનવી, ધ્રુશકે ત્રંબાળુ ઢોલ,
આવો લગન લઈ, (તો) વધાવું વિનોઈના ધણી.

[માહ મહિનો આવ્યો. આ મહિનામાં તો ઢોલ-નગારાં વાગે, અને સ્ત્રીપુરુષો પરણીને ભેળાં થાય. હે વિનોઈ ગામના રાજા! તું પરણવા આવ ને!]

ફાગણ મહિને ફૂલ લાગે સહુ સોહામણાં,
(એનાં) મોંઘાં થાતાં મૂલ વિજોગે વિનોઇતા ધણી.

[ફાગણ આવ્યો. વસંત મ્હોરી. ફૂલો આવ્યાં. પણ હે વહાલા! વિયોગીને એ ફૂલોનો આનંદ બહુ મોંઘો થઈ પડે છે. વસંત સૂની સૂની વહી જાય છે.] જાણે કે જીવનને સંધ્યાકાળે કોઈ ચક્રવાક અને ચક્રવાકી, સમાજના ભેદાભેદની સરિતાને સામસામે તીરે બેસીને આવાં કલ્પાંત કરી ગયાં. મિલન ન થયું. ચારણીએ નિરાશાની ધા પોકારી રાજાને કોઢનો શાપ દીધો. રોગથી ઘેરાઈને રાજા મરણ પામ્યો. ચંદનની ચિતામાં એનું શબ સળગતું હતું. શાપ દેનારી પ્રેમિકા આખરે એ અગ્નિના ગુલાબી બિછાનામાં સાથે સૂતી. પરંતુ આ હકીકતોના દુહાઓ નથી. ઊજળીના દુહાઓ એ તો એક અખંડ અને લાલિત્યઝરતું વિરહ-કાવ્ય છે. એ જ રીતે નાગબાઈના દુહાઓ : રા’ માંડળિકે નાગબાઈની પુત્ર-વધૂ ઉપર કુદૃષ્ટિ કર્યાનો દુહો નથી. ફક્ત

વાટું ન ઘટે વીર, ગંગાજળ ગરવા ધણી,
હીણી નજર હમીર નોય, માવિત્રાંની, માંડળિક.

[હે ગંગાજળમાં નિત્ય સ્નાન કરનારા રાજા માંડળિક! આવી અપવિત્ર વાતો તને ન શોભે. તું તો અમારો પિતા. પિતા-માતાની કુદૃષ્ટિ અમારા જેવાં સંતાનો ઉપર ન ઘટે.] — એ દુહામાં ‘હીણી નજર’નો ધ્વનિ છે એટલું જ. બાકીના બધા દુહાઓ ભયાનક શાપના ધગધગતા અંગાર જેવા છે. સોરઠી કવિતાના સુકોમળ પુષ્પ સરીખો દુહો જરૂર પડ્યે કેવો કોપકારી વજ્ર-ટંકાર કરી ઊઠે છે તેનો ખ્યાલ નાગબાઈના શાપના દુહાઓમાંથી આવે છે.

જાશે રા’ની રીત, રા’પણું રે’શે નહીં,
ભૂલ્યો બાધી ભીંત મું સંભારશ માંડળિક.

[તું જૂનાગઢનો રાજા છે. પણ તારી રાજવટનો નાશ થશે. એવી ભૂલ તેં કરી છે. તું આખી ભીંત ભૂલ્યો છે. મારો શાપ સાચો પડે તે દિવસ તું મને સંભારીશ.]

રાણીયું રીત પખે જાય બજારે બીસશે,
(તે દી’) ઓઝળ આળસતે મોં સંભારશ, માંડળિક

[હે માંડળિક! તારી કેવી ખુવારી થશે? તારી રાણીઓ ઓઝલ પડદામાં નહિ રહી શકે. અંત:પુરમાંથી એને નીકળવું પડશે. બધો મલાજો છોડીને એને બજારમાં રઝળવું પડશે. તે વખતે તું મને સંભારીશ.]

નહીં વાગે નિસાણ, નકીમ હુંકળસે નહીં,
ઉમટસે અસરાણ, મું સંભારશ માંડળિક.

[તારી નોબત અને તારાં નગારાં બજતાં બંધ થશે. આંહીં તો મુસલમાનો ટોળે વળશે. તે દિવસ તું મને સંભારીશ.]

પોથી અને પુરાણ, ભાગવતે ભિળસો નહીં,
કલમાં અને કુરાણ મુલ્લાં પોકારશે માંડળિક

[હિન્દુ ધર્મના શાસ્ત્રો વંચાતા બંધ પડશે. આંહીં, જૂનાગઢમાં તો કલ્મા પઢશે. કુરાન વંચાશે. મુલ્લાઓ બાંગ પોકારશે.] એવી જ કોપ-શક્તિ કામબાઈના દુહાઓમાં ભરી છે. પુણ્યપ્રકોપ સદા ભવ્ય હોય છે, તેવી ભવ્યતા અને કલ્પનાથી ભરેલો કામબાઈનો દુહો :

ચારણને ચકમક તણી, ઓછી મ ગણ્યે આગ,
હાડી હોયે તાગ (તોય) લાગે લાખણશીવડા.

[મારા પર કુદૃષ્ટિ કરનારા ઓ લાખાજી જામ! ચકમક જેમ ઠંડો હોય છતાં પણ એમાં અનંત અગ્નિ ભરેલો છે, તેમ ચારણોમાં પણ છૂપો અગ્નિ ભર્યો છે. તને ભસ્મ કરી નાખશે.]

ચમકપાણ લોહ ઓખધી, પાતંગ વખ પરાં,
અમરત ખાધે ઉતરે (ઇથ્રી)ચારણ લોહી બુરાં.

[ઓ લાખા રાજા! લોહ ધાતુ ખાવાથી શરીરમાં રોગ ફૂટી નીકળે, તો તેનું ઔષધ ચમકપહાણ છે, સર્પનું વિષ ઉતારવાને ઇલાજ અમૃત છે. પણ ચારણનું લોહી તો એવું બૂરું છે કે એનું પાન કર્યા પછી કંઈ ઇલાજ નહીં રહે.] ઊજળી, નાગબાઈ, કામબાઈ ઇત્યાદિના દુહાઓ, એ કાંઈ સળંગ આખ્યાનોના દુહાઓ નથી, પણ નોખનોખાં ઊર્મિકાવ્યોની અક્કેક કડી સરખા હોય છે. આખી વાર્તાના એકાદ મર્મવેધક બનાવમાંથી એ દુહાઓની પરંપરા છૂટે છે — કાળજામાં બરછી વાગે અને રાતાચોળ રક્ત-બિન્દુઓની ધાર ઊછળે તેવી રીતે ઊજળીના દુહાઓ વિરહ-કાવ્યનો નમૂનો છે. નાગબાઈના ત્રીસ દુહાઓનું કોપ-કાવ્ય છે અને શ્રાદ્ધ-કાવ્ય (‘એલિજિ’)નો આદર્શ પોરસા વાળાના દુહાઓ પૂરો પાડે છે. માંડણ નામનો ચારણ, પોતાની તાજી પરણેલી ચારણીની સાથે આજથી આશરે છસો વરસ પૂર્વે સોરઠના સગાળા ગામને પાદરે આવ્યો. સાથે પાડો હતો. પાડાની પીઠ ઉપર ઘરવખરી લાદી હતી. કોઈ પણ ભલા રાજાનો આશરો શોધતો હતો. ચારણી! હું ગામમાં બાપુ પાસે જઈ આવું. એની હેતપ્રીત દેખીશ તો હમણાં આવીને ગામમાં લબાચા લઈ જશું. નીકર ચાલી નીકળશું. તું આંહીં જ, નદીના વેકરામાં જ ઊભી રહેજે હો! ખસતી નહીં. ચારણી કહે, નહિ ખસું. પણ ક્યાંય જા તો તને મારા સમ છે, હો! અતિ પ્રેમને લીધે પાપશંકી બનેલો પતિ એવા સોગંદ દઈને ગામમાં પોરસા વાળા દરબારની ડેલીએ ગયો. ડાયરાની ઠઠ્ઠ લાગી હતી, રૂપેરી પ્યાલીઓમાં રાતા કસુંબા રેડાતા હતા, સામસામી અંજલિ ધરીને શૂરવીરો સૂરજને રંગ દેતા હતા એમાં ચારણ ઝૂકી ગયો. કસુંબાના કેફમાં આંખોને ખૂણેખૂણેથી રાતી ચોળ શેડ્યો છૂટતાં તો ચારણે વાર્તા ઉપાડી. ડાયરાની ચારેય દિશાઓમાંથી ભણકારા ઊઠવા લાગ્યા. છંદો-ગીતો દુહાઓની રમઝટ : વાયરા જાણે વાર્તા સાંભળવા થંભી ગયા. વીરોનાં હૈયાંના ધબકારા વિના બીજું કશું સંભળાતું નથી. એવી જમાવટ : ચારણ બીજું બધું ભાન ભૂલ્યો. આંહીં એની વાર્તાનું પૂર બંધાયું, અને ત્યાં, પાદરની નદીમાં ઉપરવાસથી આષાઢી મેઘનાં પાણી ગરજ્યાં. એ બાઈ, કાંઠે આવતી રહે! આવતી રહે! પૂર આવે છે! પણ બાઈ કેમ કરીને ડગલું દ્યે? ચારણ ‘મારા સમ’ દઈને ગયો હતો. ઘૂમટો ઊંચો કરીને ચારણી કાંઠે નજર કરે છે. ચારણ નથી દેખાતો. દરિયાપીરનાં દૂત જેવાં મોજાં આવી પહોંચ્યા, અને જળદેવને વહાલી એ માનવ-સુંદરીને ઉપાડી દરિયા તરફ રવાના થયાં. ત્યાં તો ચારણ આવી પહોંચ્યો. ચારણી! ચારણી! મારા સમ! પણ ચારણી તો ગઈ. ફક્ત એની કસુંબલ ચૂંદડી જ એકવાર પાણીના હૈયા ઉપર દેખાણી. ચારણ પાગલ બની ગયો. દિવસ-રાત દુહાઓ લવતો રહ્યો :

હુતુ કામળની કોર, છેડેથી છૂટી પીયું,
રતન ગિયું રોળ, પાદર તમાણે, પોરસા.

[ઓ પોરસા વાળા! મારે ગરીબને એક રત્ન હતું. મેં મૂરખાએ એને મારી કામળીને છેડે બાંધ્યું. ખબરું ન રહી. રત્ન છૂટીને ક્યારે તૂટી પડ્યું! તારે જ પાદરે, ઓ પોરસા! મારું રત્ન રોળાઈ ગયું.] હૂતું તે હારી ગયાં, ખજીનો બેઠાં ખોઈ, કામણગારું કોઈ, પાદર તમાણું, પોરસા. [મારી ગરીબની મૂડી હતી તે બધીય હું તારે પાદરે જ ગુમાવી બેઠો. હે પોરસા! તારું પાદર એવું તે કેવું કામણગારું!]

કાયા કંકુની લોળ, સોના જ્યું અમે સાંચવી,
પડ્યાં રાંકને રોળ, પરવશ કીધાં, પોરસા.

[કંકુની બનાવેલી પૂતળી જેવી એ ચારણીની કાયા હતી. સોનાની માફક અમૂલ્ય ગણીને હું સાચવતો હતો. ત્યાં તો રંકની લક્ષ્મી રોળાઈ ગઈ. હે પોરસા, તેં મને નિરાધાર કરી મૂક્યો.] આવી આવી કરુણ દુહા-ધારા, એ વિયોગીની અશ્રુધારાની સાથોસાથ આખા વરસ સુધી ચાલુ રહી. બીજો આષાઢ આવ્યો. મરી ગયેલી ચારણીને એક બહેન હતી તેને, તેવાં જ વસ્ત્રો પહેરાવીને પાડા સહિત, દરબારે નદી વચ્ચે ઊભી રાખી. ‘પૂર આવ્યું! પૂર આવ્યું!’ એવા પોકાર કરાવ્યા. પાગલ ચારણ નદી કાંઠે દોડ્યો. ચારણી અને પાડો ઊભેલાં જોયાં. ભેટી પડ્યો. ચિત્તભ્રમ ચાલ્યો ગયો. જાણે કે કાંઈ બન્યું જ નથી. એ ઘટનાઓને પુરવાર કરનાર કોઈ દુહો નથી. દુહા કેવળ કલ્પાંતના જ છે. આવાં જ કલ્પાંત-કાવ્યો રાખાયત અને સોન કંસારીનાં છે. તાત્કાલિક તો આ બધા ઉદ્ગારો કદાચ ભાંગીતૂટી ભાષામાં ઊતર્યા હશે. પણ પછી તો એક મુખેથી બીજે મુખે, અને બીજેથી ત્રીજે, એમ હજારો મુખે દુહાઓ રમતા ગયા. હજારો જીભની સરાણે ચડતા ગયા. તેમ તેમ કંઠસ્થપણાને આવશ્યક પદલાલિત્ય અને પ્રાસાનુપ્રાસનાં પાનાં એને ચડતાં ગયાં. કારણ? કારણ કે નાદ-વૈભવ તો કંઠસ્થ સાહિત્યનો પ્રાણ ગણાય. નાદનો સાચો ખ્યાલ તો એ દુહા કરુણ હલકે ગવાતા સાંભળવાથી જ આવે. છતાં એ નાદનું આસ્વાદન વાચનથી પણ લગાર મળશે. માંગડાની પ્રેમિકાનો એક સ્વર લઈએ :

વડલા, તારી વરાળ પાને પાને પરઝળી,
(હું) કીસેં ઝંપાવું ઝાળ, મને ભડકા લાગે ભૂતના.

[હે વડલા! તારે પાને પાને માંગડા ભૂતના ભડાકાઓની વરાળ ધગધગી રહી છે. હું આ આગ શી રીતે બુઝાવું? મને ય દેહને રૂંવે રૂંવે એ પ્રીતમના પ્રેતે જ્વાળા મેલી છે.] એકાકિની પ્રિયતમાનું આ ઘોર રુદન અધરાતે કોઈ સળગી ઊઠેલા ભૂત-નિવાસનું ભાન એના માત્ર નાદથી જ કરાવી શકે છે. અને એના ઉત્તરમાં વડલાના પોલાણમાંથી પ્રેત બોલે છે;

સહુ રોતો સંસાર, (એને) પાંપણિયે પાણી ઝરે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

[હે પદ્મા! તારા જેવાં સંસારી રડે તેને તો પાંપણે પાણીનાં આંસુ પડે. પણ અમે ભૂત રડીએ તે તો દારુણ રુદન : અમારે આંસુ ન હોય, આંખેથી લોહી જ ઝરે.] આ બે પંક્તિમાંથી નીકળતા નાદને હૅમલેટના પિતૃ-પ્રેતના પચાસ પંક્તિના રુદન-ધ્વનિ સાથે સરખાવી ન શકાય? બેમાંથી કયું ચડે? નાદ તો સૃષ્ટિની સકળ વાણીનો આત્મા છે. દેશ દેશના કંઠસ્થ સાહિત્યે નાદને ડોલાવવામાં મણા નથી રાખી. અને આજે જે સ્વરૂપે આપણને આ દુહાઓ સાંપડે છે, તે તો એનાં અત્યંત વિકૃત છિન્નભિન્ન રૂપ હોય છે. કારણ કે નાદવૈભવનો સમય આથમ્યા પછી મનુષ્યે પોતાના કાનની લાગણીને કચરી નાખી. દુહો ગવાતો કે ગુંજાતો બંધ પડ્યો, બડબડવા પૂરતો જ રહ્યો. મંત્રો અને વેદનાં સૂક્તોનું બન્યું તેમ નાદનું સામર્થ્ય હવે બહુ ઓછાને સૂઝે છે. પુસ્તકોમાં કે માસિકોમાં ગીતો છપાય છે. ચક્ષુપ્રિય થઈ પડે તેવી રીતે ગોઠવાય છે; કર્ણપ્રિયતાની કસોટી મટી ગઈ. યુગ વાંચવાનો આવ્યો. કેટકેટલા સૈકાઓની ચીરાડોમાંથી આ દુહા ટપક્યા હશે! વાર્તાનાં સ્થળો, નામો, ખાંભીઓ, પુષ્કળ ગોટાળાની વચ્ચે શોધાય છે, સમય નથી શોધાતો. જૂનામાં જૂના દુહા હલામણ અને સોનના. તેથીય જૂના હશે. તેને આજે દોઢ હજાર વર્ષો થઈ ગયા. અને આ સાહિત્યની ભાષા તો ‘જાંગડી’ નામથી ઓળખાય છે. કચ્છી, મારવાડી અને ગુજરાતીનું મિશ્રણ. ચારણો, કાઠીઓ, આયરો વગેરે આ ભાષા બોલતાં. બીજી ભાષાઓના પુટ પણ દરેક દુહાના દેહ પર ચડતા આવ્યા હશે. હવે એને શિષ્ટ ગુજરાતીનો સ્વાંગ પહેરાવવા પ્રયત્ન થાય છે. આ આખો વિભાગ લોકસાહિત્યની — લોકગીતની — સૃષ્ટિનો છે. સાગરમાં ટાપુઓ ઊભા થાય, કે ધરતીમાંથી જ્વાળામુખી ફાટે, તેવા સ્વયંભૂ સુરમ્ય ને સળગતા આ દુહાઓ છે.

ધારા બીજી

શીરીં-ફરહાદ, યુસુફ-ઝુલેખાં, લૈલા-મઝનૂ અને રોમિયો-જુલિયેટ નામનાં ચાર-આઠ યુગલોની કબરો ઉપર આખી દુનિયાના સાહિત્યકારોએ કવિતાનાં ફૂલો વેર્યાં છે. એ ચાર પ્રેમ-કથાઓ અજોડ મનાયલી છે. પ્રેમીઓના એ આદર્શો થઈ પડ્યા છે. પરંતુ સોરઠનાં એવાં કૈંક શીરીં-ફરહાદોની દેરીઓ ઉપર તો ખુદ ગુજરાતની યે માત્ર તીરછી જ નજર પડી છે. એ રાણો-કુંવર, લાખો-માણેકદે, મેહ-ઊજળી, અને ઓઢો-હોથલ જેવાં પ્રેમિકોની સમાધિઓ ઉપર અર્વાચીન કવિતાએ ધૂપ-દીપક પ્રગટાવ્યા નથી. એ સોરઠી યુગલોનાં વિસરાયલા સ્મશાનની અંદર એ દુહા-જડિત સ્નેહકથાઓની ધારા પૂરી કરીને નવી ધારાઓનું દર્શન કરાવાય છે.

ઐતિહાસિક પુરુષોની તેમજ ઐતિહાસિક પ્રસંગોની
દુહાગીતો કે છંદો વાટે પ્રશસ્તિઓ

આંહીં આખો રસ બદલે છે. સોરઠી કાવ્ય-કલા કેવળ ચારણોના હાથમાં જ ચાલી જાય છે. અને તે ‘કોન્શિયસ આર્ટ’ (જ્ઞાનપૂર્વક રચાયેલી કલા) બને છે. કવિના રાજ-દરબારમાં આવતી-જતી થાય છે. પ્રેમસૃષ્ટિમાંની કવિતા શૌર્ય-સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. લોક-ઉદ્ગાર બને છે. ઘટનાઓ જન્માવી શૂરવીરોએ કે સત્તાવાદીઓએ અને એને આલેખી બીજાઓએ — શૌર્યપૂજક સત્યપૂજક ચારણોએ. બે હજાર વર્ષ પૂર્વેના નાગાજણ જેઠવાના મસ્તકદાનથી માંડીને આજકાલના બહારવટિયાની લોંઠકાઈ (શરીરબળનાં પરાક્રમો) સુધીના બનાવો એ રીતે સંઘરાયા છે. અને કેવું છે એનું રૂપ?

કમળ વણ ભારથ કીયો, દેહ વણ દીધાં દાન;
વાળા એ વિધાન, ચાંપા કેને ચડાવીએ.

આ દુહામાં જેતપુરના કાઠી વીર ચાંપરાજ વાળાનાં બે પરાક્રમો અમર થયાં. એ તો મસ્તક પડ્યા પછી પણ ધડે બાદશાહના સૈન્ય સામે યુદ્ધ કર્યું તે; અને બીજું સ્મશાનમાંથી સૂક્ષ્મ શરીરે આવીને, પોતે જીવતાં આપેલા કોલ પ્રમાણે ચારણને સ્વહસ્તે ઘોડો સમર્પ્યો તે. હવે બીજો દુહો :

પતશાએ પતગરિયાં નહીં, પોહપ પાછાં જાય;
ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરાઉત.

[પુષ્પોની છાબડી લઈને માળી બાદશાહ પાસે ગયો; બાદશાહે પોતાના શત્રુ ચાંપરાજ વાળાનાં નામેરી ચંપા પુષ્પો જોયાં. જોઈને ડર્યો કે રખેને ચંપા પુષ્પોમાંથી ચાંપો (ચાંપરાજ) ઊભો થાય! ડરીને એણે પુષ્પની છાબડી પાછી વાળી.] ત્રીજો દુહો :

ખાંડા તણો ખડે, પોહવ પારીસો કીયો;
કર દીધાં કલબે, આડા એભલ રાઉત.

[હે એભલના પુત્ર ચાંપરાજ! તેં યુદ્ધરૂપી જમણવારમાં, ખડ્ગરૂપી મિષ્ટાન્ન પીરસ્યું, આગ્રહ કરી કરીને પીરસ્યું; તૃપ્ત થયેલા મુસલમાનોએ વિશેષ ન સહાયથી આડા હાથ ધર્યા.] આ બન્ને દુહાઓમાં કોઈ ઐતિહાસિક હકીકત (‘ફૅક્ટ’) નથી. પણ ઊંચી સંસ્કૃત કૃતિને સ્મરાવે તેવી ધ્વન્યાત્મક ચમત્કૃતિ ભરી છે. એવો જ એક બહારવટિયાનો દુહો લઈએ :

આવછ દરવાજે અભંગ, ભડ રમવા ભાલે;
(ત્યાં તો) મરેઠીઉં રંગમોલે, ચાંપાને જોવા ચડે.

[હે વીર ચાંપરાજ! તું જ્યારે અમરેલી શહેરને દરવાજે ભાલાંની રમત રમવા (લૂંટવા) આવે છે, ત્યારે તને જોવા માટે, મોટા મોટા મરેઠા અધિકારીઓની રમણીઓ બંગલાની બારીએ ચડીને બેસે છે.] શૌર્યનું આ વર્ણન અત્યંત લાક્ષણિક છે. એ રીતે ઐતિહાસિક પુરુષોની તેમજ ઐતિહાસિક ઘટનાઓની પ્રશસ્તિમાં (1) વીરત્વનો ઇતિહાસ, (2) વીર-પૂજા અને (3) કાવ્ય-કલા — એ ત્રણ તત્ત્વો ગૂંથાતાં ગયાં. કાળા મરમલ2 નામના એક કાઠીના યુદ્ધનું વર્ણન થયું. તેમાં યુદ્ધને એક સાથે પાંચ રૂપક અપાયાં.

ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,
ભોજન ખગ ભાળ્યે (હવે) ક્યાંથી આવે કાળિયો?

[ભાલાં અને તરવાર રૂપી ભોજનને માટે વલખાં મારતો એ કાળો, હવે એ મિષ્ટાન્ન જોયા પછી ક્યાંથી પાછો આવે?]

કુંતારી હોળી કરી, (ઉપર) ઘર હર રંભા ઘેર;
(એમાં) નાખ્યા વણ નાળિયેર, ક્યાંથી આવે કાળિયો?

[ભાલાં રૂપી અગ્નિ-શિખાઓની હોળી પ્રગટી, અને તે ઉપર રંભાઓ રૂપી રમણીઓ ઘેરો વળીને ઊભી હતી. એવી હુતાશનીમાં શ્રીફળ (મસ્તક) હોમ્યા વિના કાળો ક્યાંથી પાછો ફરે?]

આવે ગાતી અપસરા, સૂરા સામૈયે;
પાછો વણપરણ્યે, ક્યાંથી આવે કાળિયો?

[એ તો યુદ્ધરૂપી લગ્ન થતાં હતાં. દેવલોકો અને અપ્સરાઓ સામૈયું કરીને કાળારૂપી વરરાજાને તેડવા આવતાં હતાં. એવા સુંદર વિવાહમાંથી કાળો વિનાપરણ્યે પાછો ક્યાંથી આવે?]

ભેળ્યું ખેત્ર ભડ્યે, રોરવ રાંક વારે;
નસીઅર નીંઘલતે, ક્યાંથી આવે કાળિયો?

[આ યુદ્ધ નહોતું, પણ દુષ્કાળમાં શૂરવીરો રૂપી ભિખારીઓએ લૂંટવા માંડેલું અનાજનું ખેતર હતું. એવા ખેતરમાં કાળ રૂપી નીંઘલે કોડ ઊભો હતો. એને ભિખારીઓ ક્યાંથી છોડે?]

કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,
વણફૂટ્યું વસળોય, ક્યાંથી લાવે કાળિયો?

[કાળાનું માથું તો ગાંડીને માથે બેડા જેવું હતું. એ ફૂટ્યા વિના પાછું ક્યાંથી આવે?] આ પાંચેય રૂપકો અપૂર્વ પરિપૂર્ણતાએ પહોંચેલા કલાવિધાનની કૃતિઓ છે. આ વિભાગમાં દુહાનું શુદ્ધ સ્વરૂપ (‘ફૉર્મેશન’) પૂર્ણતાએ પહોંચ્યું; રચનારે માત્રામેળ, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક અને અન્ય અલંકારરૂપી પાસાઓ પાડીને જાતજાતના હીરા વેર્યા. એ પાસા પાડનાર કારીગરો અલંકારશાસ્ત્રો કે કાવ્યશાસ્ત્ર નહોતા શીખ્યા. ડીંગળી સાહિત્યનાં એવાં પુસ્તકો તો ત્યાર પછી રચાયાં. આ રીતે એની નૈસર્ગિક ઊર્મિમયતા ઓછી થઈ, પણ નાદવૈભવ વધ્યો. કારણ કે પછી તો એ વાડીઓ કે ઝૂંપડામાં વ્યક્તિગત રસાસ્વાદનું સાધન મટીને એક સો શૂરવીરોના ડાયરાને ડોલાવવાનું સાધન બન્યું. એવી તાત્કાલિક અસર પાડવા ખાતર એનું પદલાલિત્ય જોરથી ખીલ્યું. શબ્દો વાજીંત્રના તારના ઝંકાર સરીખા બન્યા; ઉદાહરણ :

કડકે જમીંનું પીઠ, વ્રેમંડ પડ ધડકે, વજા;
નાળ્યું છલકે નત્રીઠ, ધુબાકે પેરંભના ધણી.

[હે પેરંભપતિ વજેસિંહજી! જ્યારે તારી તોપોના ધડાકા થાય છે, ત્યારે પૃથ્વીની પીઠ કડાકા કરે છે, અને આકાશનું પડ ધડકી ઊઠે છે.] આ શબ્દ-રચનામાંથી અર્થાનુકૂલ શોર ગાજે છે.

પાટણ આયાં પૂર, ખળહળતાં ખાંડાં તણાં;
શેલે માંહી શૂર, ભેંસાસણ શો ભીમાઉત.

[પાટણમાં તરવારોનાં પૂર છલક્યાં. એ પૂરમાં પાડા સરીખો શૂરવીર હમીરજી (ભીમજીનો પુત્ર) સેલી રહ્યો છે — તરે છે.] આ શબ્દોચ્ચારણમાંથી પૂરના ઘુઘવાટાનો રવ ઊઠે છે. છતાં એનું અર્થ-રહસ્ય ઓછું થતું નથી. શબ્દોની બહુલતા, કે કલ્પનાઓનો અતિરેક નથી. ‘બ્યૂટી ઑફ આર્ટ લાઇઝ ઇન ઇટ્સ કન્સીલમેન્ટ ઑફ આર્ટ’ એ લક્ષણ આ પ્રશસ્તિના દુહાઓમાં ઝલકે છે. આગળ ચાલતાં આપણે જ્યારે બીજાં કાવ્યરૂપો-ગીતો, કવિતો, છંદો-નો વિચાર કરશું ત્યારે આ ઐશ્વર્યનો પૂરો ખ્યાલ આવશે. આ સાહિત્ય-ધારા અતિ વિશાળ પ્રદેશ પર રેલાએલી છે. કારણ કે સૌરાષ્ટ્ર દેશ કૈં કૈં શતકો થયાં સમરાંગણ જેવો બની રહ્યો હતો. દિવસ-રાત ઘમસાણો જ ચાલતાં. પરંતુ એ ઘમસાણમાં માત્ર દેહબળ જ નહોતું. રજપૂતોનું એકવચનીપણું, અભયદાન, શિયળ અને કાવ્યરસિકત્વ; એ બધા સંસ્કારોનાં પડેપડમાંથી ગળાઈને જે શૌર્ય નીતરતું, તેના પ્રસંગે પ્રસંગમાં પ્રેમ-શૌર્યની વિરલ સંસ્કૃતિ આ ભૂમિ પર સીંચાતી હતી. લૂંટારુઓ પણ તપસ્વી હતા. નહીં તો આખા દેશને લૂંટવા નીકળેલ બહારવટિયો જોગીદાસ કોઈ પરનારી સામે સરતચૂકથી પણ જોવાઈ જતાં પોતાની આંખમાં મરચાં આંજીને શા માટે સૂએ? અને પોતાના જ શત્રુ વજેસિંહજીની દીકરીનું ગામડું લૂંટ્યા વિના કેમ છોડે? રાજપૂતોની આ ચારિત્ર્ય-નીતિ આખા લોક-સમાજને તરબોળ કરી રહી હતી. ઢેઢ-ભંગિયાથી માંડીને વાણિયા-બ્રાહ્મણ સુધી એ સંસ્કારો તેજ કરતા હતા. એટલા માટે જ એવા ઢેઢ-ભંગિયાને પણ ચારણોએ કશા ભેદભાવ વિના કાવ્યમાં અમર કર્યા છે. જેતપુરના ચાંપરાજ વાળાનો માનીતો યોદ્ધો જોગડો ઢેઢ કોઠા પરથી કૂદીને યુદ્ધમાં સહુ શૂરવીરોની પહેલાં મરાયો. કેટલી કોમળતાથી અને માનભરી રીતે ચારણોની વીણાએ એ ચમારનો પણ યશ ગાયો છે! ચારણો એના દંપતી-જીવનને એક દુહામાં જ ભવ્ય બનાવી દે છે. યુદ્ધની આગલી રાતે એની સ્ત્રી એને શું કહેતી હશે? ચારણોએ ચમારણના મોંમાં ઉદ્ગાર મૂક્યો :

સારસ સાજી રાત, વલખે વાલમ જ્યું;
રહોની આજુ રાત, (અમારી) જોડે વછોડો મા, જોગડા.

[હે સ્વામી જોગડા! સારસી (ચક્રવાકી)ની માફક મારે પણ આખી રાત ઝૂરવાનું રહેશે. આજની રાત તો રહી જાઓ! મારી જોડલી કાં વિછોડો?] પ્રેમ-શૌર્યના એ યુગમાં રજપૂતોને વંશે વંશે અને અન્ય લોકોની કોમે કોમે એવા અપૂર્વ કિસ્સાઓ બન્યા પણ કોઈ ઇતિહાસમાં નોંધાયા નહીં. સાહિત્યના કલેજામાં જ એના કીર્તિલેખો સંઘરાઈ રહ્યા છે, ને લોક-સમાજમાં વાયુની પેરે ફૂંકાયા છે. એ વાયુ ચારણોની બંસીમાં વહ્યો. વહીને રાગિણી જગાવી. જોશીના ભૂલભર્યા જોશને કારણે જન્મતાં જ અરણ્યમાં ફેંકાઈ ગયેલાં રાજ-બાળકો સિંહણને ધાવી ઊઝર્યાં. એવા બનાવો પ્રાચીન રોમની માફક આંહીં પણ બન્યા હોવાનું ગૌરવ લોક-કલ્પનાએ સૌરાષ્ટ્રને આરોપ્યું છે. અને સ્વધર્મની સંકડામણનું એક દૃષ્ટાન્ત : લાખા ફુલાણીએ પોતાના સગા બનેવીને હણ્યો, ને ભાણેજને ઉછેરી મોટો કર્યો. તરુણાવસ્થાએ પહોંચતાં ભાણેજને ખબર પડી. બાપનું વેર પોકારી ઊઠ્યું. રાતમાં આટકોટથી વઢવાણ જઈને પોતાના સાવકા ભાઈને બાપના મારનારનું લોહી લેવા નોતરું દઈ આવ્યો. પણ પોતે તો મામાનો આશ્રિત : રોમે રોમમાં મામાનું નિમક : યુદ્ધમાં મામાથી બે ડગલાં આગળ ઊભો રહીને સગા ભાઈની સામે ઝૂઝ્યો. મામાને બચાવાય ત્યાં સુધી બચાવી મામાની પડખે જ ભાઈની તરવારને ઘાએ પડ્યો. બંનેના છેલ્લા શ્વાસ બોલતા હતા. ભાણેજે જોયું તો સમળી મામાની આંખો ઠોલવા આવી. હાય! હાય! જીવતા મામાની આંખોને સમળી અડકે તો મામાને અપ્સરા નહીં વરે! કટાર કાઢીને સમળીને મારવા માટે કમર ઉપર હાથ લંબાવ્યો ત્યાં તો —

કર ગો’ કટારી, કર ગો’ કાચોળાં ભણી;
વગ કોઈ ના વણસી, રણ ભડતે રાખાશની.

[કટારી ઉપર હાથ ગયો. પણ કટારી હતી જ ક્યાં? હાથમાં શું આવ્યું? આંતરડાનો લોચો. ઓ રાખાશ! લોચો ઝોંટીને તેં સમળી ઉપર ફેંક્યો. સમળી ગઈ. આવી રીતે રણમાં મરતાં સુધી પણ તારા માતૃપક્ષ અને પિતૃપક્ષ — બંને પક્ષને કલંક લગાડે તેવું તેં થવા ન દીધું.] પોતાનાં આંતરડાંનો લોચો પેટની બહાર લબડતો હતો. ઝોંટ મારીને આંતરડાં તોડ્યાં. તોડીને સમળી પર ઘા કર્યો. લોચો ઝીલીને સમળી ઊડી ગઈ. આબાદ આંખો સાથે મામાના પ્રાણ છૂટ્યા, ને સીધા અપ્સર-લોકમાં સીધાવ્યા માનીને ભાણેજ સુખથી મર્યો. આવાં વૃત્તાંતો સાંગોપાંગ દુહામાં નથી ઊતર્યા. પણ મુખસ્થ ઇતિહાસરૂપે રહ્યાં. અને તે સાથે પ્રશસ્તિનાં કાવ્યો જોડાયાં. ઉપરની વાત ફક્ત ત્રણ-ચાર દુહાઓને આધારે જ લટકી રહી છે. ઇસરદાન ચારણને ચરણે લાખોનાં દાન ધરવામાં રાજાઓ માન સમજતા. પણ પ્રભુભક્ત ચારણ આખા વર્ષમાં એક જ વખત હાથ ધરવાનું નીમ રાખતો. નાગડચાળા ગામના એક ગરીબ રજપૂતની કને એણે માત્ર એક કાળી કામળીનો સવાલ નાખ્યો. કરોડોનાં દાન મેલીને કવિનું મન એક મેલી કામળીમાં વસ્યું. કારણ કે એ કામળી પર બેસીને પ્રભુની પૂજા કરવાના કોડ જાગ્યા. દ્વારકાથી કવિ પાછા વળે ત્યારે નવી કામળી બનાવીને તૈયાર રાખવાનું રજપૂતે વચન દીધું. કામળી બનાવીને પટારામાં મૂકી. ચોમાસું આવ્યું. કવિની રોજ રાહ જોવાતી હતી. ત્યાં એક દિવસ રજપૂત નદીના ભયાનક પૂરમાં તણાયો. ઉગરવાની આશા છોડી. મૃત્યુકાળે કાંઠે ઊભેલાં ગામલોકોને સાંગો રજપૂત શી આજીજી કરે છે? ઇસર બારોટે સાંગાના અંતિમ શબ્દોને એક દુહામાં અમર કર્યા :

જળ ડૂબન્તે જાય, સાંગરીએ સાદ જ દિયા;
કે’જો મોરી માય, કવિને દીજો કામળી.

[પાણીમાં ડૂબતાં ડૂબતાં સાંગે સાદ તર્યો કે એ ભાઈઓ! મારી માતાને કહેજો કે કવિ આવે ત્યારે એને પેલી કામળી આપવાનું ન ભૂલે.] અને પછી એ દાતાને સહુ દાતાનો શિરોમણિ કહીને સ્તુતિના દુહા છેડ્યા.

નાગડચાળાં ઠાકરાં, નવ કોઈ રીસ કરે;
દેતલની દેવળ ચડે, સાંગો ગોડ સરે.

[નાગડચાળા ગામના હે ઠાકોરો! રીસ ન ચડાવશો. ગમે તેવું નાનું દાન પણ વચને બંધાયા પછી જે મૃત્યુની ઘડીએ પણ દીધા વિના ન રહે તેની જ કીર્તિનું ઇંડું દાતારોના મંદિરને શિખરે ચડે છે.] આ બધી વાતોમાં ચારણોની પ્રશસ્તિ અને અમુક મહિમામય સુકૃત્યનું કાવ્યમાં ગૂંથણ એ બબ્બે પ્રકારના દુહાઓ ચાલ્યા આવે છે. આ વાર્તા-સાહિત્યમાં કંઠસ્થ સાહિત્યનું એક અતિ નાજુક તત્ત્વ વહ્યું જ આવે છે. તે કયું? વાર્તાઓ કહેતાં કહેતાં જે અમુક ઘટનાને લગતો કશા કાવ્યનો આધાર ન હોય, તેને કાઠિયાવાડી ગદ્ય-વાણીમાં જ અમુક અમર સ્વરૂપો અપાતાં આવ્યાં છે. તે સ્વરૂપ પણ કાવ્યના જેટલું જ નિશ્ચલ ને રણકારમય છે. એને બદલી શકાય નહીં. ઉદાહરણ : ભોજા કામળિયાને ઘેર પીઠાત હાટી નામનો મિત્ર મહેમાન આવ્યો. ભોજો ઘેર નહીં. એની પત્ની વેજીએ મહેમાનનું હેતભર્યું આતિથ્ય કર્યું. ગોખમાંથી મહેમાનનું રૂપ ભાળ્યું. મહેમાન તો ગયો. પતિ ઘેર આવ્યો. બધી વાત કહી. રાત્રિએ બંને પલંગ પર સૂતેલાં. ઊંઘમાં વેજી લવતી હતી કે ‘વાહ પીઠો! વાહ પીઠો!’ ભોજો ઝબક્યો. કાન માંડીને સાંભળી રહ્યો. સંદેહ પેઠો. પલંગ પરથી નીચે ઊતરીને આઘે ઊભો રહ્યો. પડખું ખાલી થતાં જ વેજી જાગી. પૂછ્યું, કાં?

ભોજો : વેજી, ઢોલિયો ત્રણ જણાંનો ભાર નહીં ઝીલે!
વેજી : ત્રીજો કોણ?
ભોજો : પીઠો!

આવા મર્મોચ્ચારોનાં મોતી સોરઠી કથાઓમાં પરોવાતાં જ આવ્યાં છે. સોરઠી સાહિત્યના દેહની એ જાણે એક ધબકતી નાડી છે : વિનાકાવ્યે કાવ્ય સરીખાં એનાં લક્ષણો છે.

ધારા ત્રીજી

ભોજ અને વિક્રમના દરબારમાં જે દશા સંસ્કૃત સાહિત્યની થઈ તે જ દશા સૌરાષ્ટ્રના દરબારોમાં સોરઠી કવિતાની થઈ. ચારણો કવિરાજો બન્યા. કવિઓને પાદપૂર્તિઓ, અમુક વર્ણનો, અમુક વિષય પરની કવિતાઓ વગેરેની સ્પર્ધામાં ઉતારીને શ્રેષ્ઠ કાવ્ય-સૃષ્ટાને ઘોડા બક્ષવામાં, લાખ લાખ સિક્કાનાં દાન કરવામાં અને હાથીની અંબાડીએ બેસાડી લાખપસાવ (લાખ સિક્કાનો સરપાવ) સમર્પવામાં રજવાડાંની કીર્તિ મનાવા લાગી. એટલે કવિતા બુદ્ધિના ખેલમાં ઊતરી. અલબત્ત, એ બુદ્ધિના ખેલ પણ ચમત્કારો સરીખા, અને ઉચ્ચ સાહિત્યને સુયશ ચડાવે તેવા હતા. ઉદાહરણ : રાવળ જામ નામનો રાજા મોટો કવિ-પૂજક થઈ ગયો. એની કચેરી ચારણ કવિઓનું પરીક્ષાલય હતી. એક મેલોઘેલો ચારણ આવી ચડ્યો. ઈર્ષ્યાળુ કવિ-સભા હસી. પુણ્યપ્રકોપ દબાવીને નવા આવનારે પાદપૂર્તિ મૂકી : આધ ગીયણ વલંભ રહી — [અરધી પૃથ્વી આકાશમાં લટકી રહી...] ‘રાવળ જામ! તમારા કવિરાજોને આટલું ચરણ આપીને હું દ્વારિકા જાઉં છું. પાછો વળું ત્યારે બાકીનાં ત્રણ ચરણો તૈયાર કરાવી રાખજો : એમ કહીને ચારણ ગયો. વિકટ પાદપૂર્તિ : ચારણો મુંઝાયા : યુક્તિ સૂઝી : ચારણ-જાતિનો નિયમ કે તીર્થ-ક્ષેત્રમાં સ્નાન કરતી વખતે પોતાની નવી કાવ્ય-કૃતિને પ્રગટપણે ગાઈને પ્રભુ-ચરણે ધરે. લુચ્ચા ચારણોએ પોતાના એક ચતુર નાના છોકરાને હજામનો વેશ સજાવી પેલા યાત્રિક ચારણની પાછળ મોકલ્યો. ગોમતીજીના ઘાટ ઉપર એકાન્ત શોધીને ચારણે સ્નાનની તૈયારી કરી. હજામ વેશધારી છોકરો આવી ચડ્યો. ચારણે મુંડન કરાવ્યું. ગોમતીજીનાં છાતી સમાણાં જળમાં ઊભા રહીને ચારણે પોતાનો દુહો લલકાર્યો :

આધ ગીયણ વલંભ રહી, કવ્ય ચડિયા તોખાર;
તેં ઉતાર્યો લખધીર રા, ભોરીંગ-સરથી ભાર.

[હે લખધીર જામના પુત્ર રાવળ જામ! કવિઓને તેં એટલા બધા ઘોડા બક્ષ્યા, કે એ ઘોડા ચાલ્યા ત્યારે બહુ ધૂળ ઊડી. કેટલી ધૂળ? અરધી પૃથ્વીની ધૂળ ઊડીને આકાશે ચડી; શેષનાગના શિર પરથી, હે રાજા, તેં અરધી પૃથ્વીનો ભાર ઉતાર્યો.] હજામવેશધારી બાળકે પલકમાં જ એ પંક્તિઓ કંઠે કરી નાખી. એ નાઠો. નગર ગયો. પાદપૂર્તિ હાથ આવી ગઈ. યાત્રાળુ ચારણ પાછો આવ્યો. કચેરીમાં એણે પોતાનો દુહો ચોરાઈ ગયેલો માલૂમ પડ્યો, ચારણોનાં છોકરાંમાંથી પેલા હજામવેશધારી બાળકને એણે ઓળખ્યો. સભામાં વિનોદ થઈ રહ્યો. ઊંચા સરપાવ અપાયા. કોંઢ રાજ્યના રાજા દીપસિંહજી વાઘેલાના સમયમાં, જોગાજી નામના એક રજપૂત સામંતને સ્વપ્નું આવ્યું કે પોતે હાથી દેખી પાછો હઠ્યો! રજપૂત કહે કે હું આપઘાત કરું. અન્ન-જળનો ત્યાગ કર્યો. રાજાએ બહુ સમજાવ્યો. આખરે એમ ઠર્યું કે રાજાના ગાંડા હાથીને છૂટો મૂકવો. જોગાજી એની સામે યુદ્ધ કરીને જીતે તો જીવે. જોગાજીને હાથીએ સૂંઢમાં લઈ ઉછાળ્યો. રજપૂત હાથમાં ખુલ્લી કટારી સાથે ચેથી હાથી પર પડ્યો, ને હાથીનું કુંભસ્થળ વીંધી નાખ્યું. હર્ષાવેશમાં આવેલ રાજાના મોંમાંથી કાવ્ય છૂટ્યું :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ..

[જોગાજીની જમ-દાઢ જેવી કટારીએ હાથીના કુંભ-સ્થળને વિદાર્યું.] બસ, એક જ ચરણ! બીજું ચરણ પૂરું ન થયું. રાજા દુહો પૂરો કરવા તલપે પણ નિષ્ફળ! બીજી વાર અવાજ દીધો :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ..

પણ છેલ્લું ચરણ ન સૂઝે! લોક-મેદિનીમાંથી કોઈ પાદપૂર્તિ ન કરે! રાજા તલસી રહ્યા છે. ત્રીજી વાર સાદ દીધો :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ.

મેદનીમાંથી કોઈએ પ્રતિ-શબ્દ કર્યો :

જાણ અષાઢી બીજળી, કાઢે વાદળ કઢ્ઢ.

[જાણે કાળા વાદળને ભેદીને આષાઢી વીજળી નીકળી.] શાબાશ! શાબાશ! શાબાશ! રાજા પોકારી ઊઠ્યા. એ કોણ? એ કોણ? શોધ થઈ. એક ચારણનો છોકરો હાથ લાગ્યો. રાજાએ એને નવાજવામાં ઉણપ ન રાખી. આવી રીતે પાદપૂર્તિઓ રચાતી. લગભગ બધી કલ્પના ને વિદ્વત્તા ચારણો પોતાના આશ્રયદાતાની સ્તુતિની અંદર ગૂંથતા. રાજા કેવળ પોતાની સ્તુતિથી જ મોહીને દાન દેતા એમ નહીં. એક તો ચારણોની ખોળાધરીથી રાજ્યનાં મહાન કાર્યો થતાં, અને એવી ખોળાધરી બદલ જરૂર પડ્યે ચારણો ત્રાગું કરી જીવ કાઢી દેતા. ચારણો દેવીપુત્રો ગણાતાં. એનાં સત્યવક્તૃત્વ, ડહાપણ, ને ત્યાગશક્તિએ એમની કીર્તિ સ્થાપી હતી. તેથી ચારણોની સ્તુતિ-નિંદા ઉપર રાજાની કીર્તિ-અપકીર્તિ અવલંબતી. બીજું, સુકીર્તિ-ભૂખ્યા રાજાઓને પોતાનું સ્તુતિકાવ્ય અન્ય રાજદરબારોમાં રટાય તે અભિલાષા હતી. અને એવું કાવ્ય ચોગમ ક્યારે બોલાય? ઉત્તમ કલ્પના, અલંકાર, ને રસ-લાલિત્ય ભર્યાં હોય ત્યારે; અને ત્રીજું, કાવ્યાસ્વાદનનો કુદરતી શોખ. જીવનમાં શૌર્ય હોય ને પ્રેમ હોય, તો પછી કાવ્યોપભાગની તરસ કેમ ન લાગે? કાવ્યોમાં રાજા સદા સૌંદર્ય શોધતો. એમ ન હોત તો હરકોઈ પુરુષ એની ખુશામદ કરીને સરપાવ લઈ જાત. રાજા કાવ્ય વાટે કેવળ સ્તુતિ જ નહોતો માગતો. સત્કાર્યમાં પ્રોત્સાહન, તેમ જ દુષ્કાર્યમાં ઠપકો માગતો. પોતે કર્તવ્યભ્રષ્ટ થતો હોય ત્યારે ચારણની મર્મોક્તિ એને બરછીની માફક વીંધતી. રણવાસમાં પડ્યો પાથર્યો રાજા રાણજી પોતાની પાસે આવનાર રાજપુરુષને અપમાન કરી હાંકી કાઢતો. બીજી બાજુ સીમાડા પર શત્રુસૈન્યનાં ભાલાં ઝબક્યાં. ત્યારે —

રાણા, રમતું મેલ્ય, કનારે ચડિયાં કટક, ક્ષત્રી ચોપડ-ખેલ, ગોહલ કાં લાગો ગળો?

[હે રાણા, હવે તો રમતો મૂક! શત્રુનું સૈન્ય સામા ગામ ઉપર દેખાયું. હે ક્ષત્રી! ને ક્ષત્રીમાં પણ હે ગોહિલ વંશજ! ચોપાટનો ખેલ તને બહુ મીઠો લાગ્યો?] એ ચારણના સ્વરોએ રાજાને રણવાસમાં આત્મભાન કરાવ્યું. અને યશસ્વી મૃત્યુ અપાવ્યું. એવા પ્રસંગો સેંકડો છે. રાજાની માફી માગવામાં પણ ચારણ અતિ ઉચ્ચ કાવ્યાસ્ત્રો ફેંકતો. પાલીતાણાના ઠાકોર સૂરસિંહજીએ પ્રતિજ્ઞા કરેલી કે માણસૂર ચારણને જાનથી મારવો. એક દિવસ એક ગામમાં બંનેનો ભેટો થઈ ગયો. રોષેભર્યા રાજાએ ચારણને બોલાવ્યો. ચારણના હૃદયમાં રામ પ્રગટ્યા. દાદર પર ચડીને મેડીમાં માત્ર ડોકું જ કાઢતાં ચારેય આંખો એક થઈ. રાજાનાં નેત્રોમાં તો અંગાર ઝરે છે. ચતુર ચારણે દાદર પર ઊભાં ઊભાં દુહો ઉપાડ્યો —

જળ માછને જાળવે, અવગણ કરે અપાર, (પણ) વડાને વકાર, સાયરને નોય સૂરિયા.

[હે સૂરસિંહજી! માછલાં પાણીમાં અત્યંત ગંદકી કરે, છતાં પાણી એને ઉદાર ભાવે પાળે છે. સાગર જેવાં મહાન પુરુષોનાં મનમાં કદી ફેરફાર ન જ થાય.] બીજું પગથિયું ચડીને બીજો દોહો —

નાગમગાંને નાગ, ક્રોધેથી કરડે નહીં;
પડે અજાણે પાગ, સર પર સૂરજમાલિયા!

[હે સૂરજમલ રાજા! નાગોના જે માંગણીઆતો હોય છે, તેનો પગ અજાણ્યે કદાચ નાગના માથા પર પડી જાય. તોય નાગ એને ક્રોધ કરીને કદી ન કરડે.] ત્રીજે પગથિયે પગ દીધો, ને શીતળ દુહો છાંટ્યો —

નાગને કંડિયે નાખીએ, હાથી કબજે હોય;
(પણ) કીડી પાંજર કોય, સાંભળ્યું નો’તું સૂરિયા.

[હે સૂરસિંહ, નાગને તો કરંડિયામાં પુરાય. હાથીને પણ સાંકળ બાંધી કેદ કરાય. પણ કીડીને કદી કેદખાને નખાય? ચારણ તો કીડી જેવું કમજોર પ્રાણી છે.] અને છેલ્લે પગથિયેથી —

ગાયે ખડ વ્રાંહે ગળ્યું, મોતી મારૂ રા;
(તોય) હિન્દુ હાલે ના, (એનું) પેટ કરેવા પાતાઉત.

[હે મારુ રાજા! હે પ્રતાપસિંહજીના પુત્ર! ઘાસ ખાતાં ખાતાં માંહે પડી ગયેલું સાચું મોતી પણ ગાય ગળી ગઈ હોય, તો શું હિન્દુ હશે તે કદી એ મોતીને ખાતર ગાયનું પેટ ચીરશે ખરો?] રાજાનાં નેત્રોમાંથી પ્રેમના ફુવારા છૂટ્યા. પ્રફુલ્લિત મોં ખડ! ખડ! હસી પડ્યું. રાજા ઊભો થયો, સામે દોડ્યો : ચારણને ભેટી પડ્યો. આ માફી-કાવ્યમાં પણ અપૂર્વ કલ્પનાનો ઉપયોગ થયો છે. અપૂર્વ, છતાં અબુધને પણ ગળે ઊતરી જાય તેવી. સાચી ચમત્કૃતિ જ એ છે. સોરઠી કવિતા પંડિતાઈમાં અને સ્તુતિ-ગાનમાં સરી પડી, છતાં એણે લોકજીવનનું તત્ત્વ નહોતું ગુમાવ્યું. ધીરે ધીરે આ સ્તુતિવશ કાવ્ય-શક્તિ પણ ભ્રષ્ટ થઈ. એણે વેશ્યાનો વ્યવસાય આદર્યો. કાંતિ ગુમાવી. અત્યારે લગભગ આખો ચારણસમુદાય પોતાની સર્જન-શક્તિ ગુમાવી બેઠો છે.

ધારા ચોથી

પેલી પ્રેમ-કથાઓના દુહા જેટલી જ નિસર્ગ-રમણીયતા આ ઝરણના નીરમાં ડોલી રહી છે. એ નીતિવિષયક, ભક્તિવિષયક બોધાત્મક (‘ડાઈડેક્ટીક’) કાવ્ય-ધારા. સોરઠિયો, ભભૂતિયો, જટિયો, ભેરિયો, મોડિયો અને આણંદ-કરમાણંદ નામના મામા-ભાણેજની મિત્ર-બેલડી : સંસારમાંથી એક યા બીજે કારણે વિરક્ત થયેલા આવા અનુભવીઓએ સ્વનામયુક્ત સુભાષિતો સેંકડોની સંખ્યામાં લલકાર્યા છે. એક કવિએ પોતાના ચાકર રાજિયાને અમર કરવા એના નામથી દુહા કર્યા. ઉદાહરણો :

મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં;
(પણ) વણમતલબ એક વાર, રાબ ન પીરસે, રાજિયા.
સોનું ઘડે લુવાર, કંદોઈ કાંઈ ખાજાં કરે;
(ઇ) જમશે જમ્મણહાર, ભાગ્ય પ્રમાણે, ભેરિયા.
ભરતા ફૂટ્યો ભાલિયો, રહી સરોવર રોક;
સાસુ થઈ છે શોક્ય, ભવ ઓલ્યાના, ભભૂતિયા.

[હે ભભૂતિયા! મનુષ્યની આ જગતમાં કેવી હાલત છે! પૂર્વ જન્મની શોક્ય આ જન્મે જે સ્ત્રીની સાસુ થઈ હોય અને સરોવરકાંઠે પાણી ભરવા જતાં જેનો ઘડો ફૂટી ગયો હોય, તેના જેવી : ન ઘેર જવાય, કે ન તો સરોવરકાંઠે રહેવાય.]

સફરાં પે’રે સૂત, ઓઢે પણ આપે નહીં;
તે ગણતાં તાબૂત, સાચું સોરઠિયો ભણે.

[સોરઠિયો કહે છે કે જે મનુષ્યો સુંદર વસ્ત્રો પહેરે, પણ અન્ય વસ્ત્રહીનોને એકેય વસ્ત્ર ન આપે, તે મનુષ્યોને તાબૂત જેવાં જ ગણવાં. તાબૂતનો પોશાક કાગળનો : કોઈને ખપમાં ન આવે.]

મેમાનુંને માન, દલ ભરી દીધાં નહીં;
(એ) મંદિર નહીં, મસાણ; સાચું સોરઠિયો ભણે.

[જે ઘરમાં હૃદયપૂર્વક મહેમાનોને આદર ન દેવાતા હોય, તે ઘર મ્હેલ જેવું હોય તો પણ સ્મશાન જ સમજવું.] આણંદ-કરમાણંદની જોડલીમાં એક વિશિષ્ટતા હતી : દુહાની પહેલી પંક્તિ પ્રશ્નરૂપે આણંદ રચે, અને બીજી પંક્તિમાં કરમાણંદ એનો ઉત્તર આપે : આણંદ કહે પરમાણંદા, રેંગાં કીં રીઝંત; પે’લાં આવે પાટુએ, (પીછે) ગડદે પેટ ભરંત. [આણંદ પૂછે છે કે હે પરમાણંદ, હલકાં મનુષ્યો કેવો આનંદ કરે? કરમાણંદ ઉત્તર આપે છે કે પ્રથમ લાતો મારે, પછી ગડદા મારે.]

આણંદ કહે કરમાણંદા, માણસે માણસે ફેર?
એક લખ દેતાં નવ મળે, એક ટકાનાં તેર.

[આણંદ પૂછે છે કે માણસ માણસમાં શો ફેર? કરમાણંદ ઉત્તર આપે છે કે એક પ્રકારનાં માણસ એક લાખ રૂપિયા દેતાં પણ ન મળે, જ્યારે બીજા પ્રકારનાં ટકાનાં તેર લેખે મળે.] આ બંને જણા, અને બીજાઓ પણ જગતના પાપાચાર, શિષ્ટાચાર અને દંભ ઉપર હસનાર ‘સિનીક’ હતા. બબ્બે પંક્તિના દુહામાં ડહાપણનાં હજારો રત્નો વેર્યાં છે. ને એ બધાં લગભગ કહેવતો કે ઉખાણાંને રૂપે લોકસમુદાયમાં ઊંડા પ્રસરી ગયા છે. દુહાઓમાં રચનારનું નામ જોડવાની પ્રથા આ સુભાષિતોમાં જ જોવાય છે. સ્વાનુભવનાં વેણ હોઈને, સાથે નામ દીપે છે. વળી તદ્દન નામ વિનાનાં સુભાષિતો સમુદ્રમાં ભાંગેલા વહાણનાં લાકડાંની પેઠે કંઈ કાળથી તરતાં આવે છે.

ધરતી નિત્ય નવેલડી, કેની ન પૂરી આશ;
કેતા રામ રમી ગયા, કેતાં ગયા નિરાશ.

[આ ધરતી તો સદાય જોબનવંતી વેશ્યા જેવી છે. એણે કોઈની આશા પૂરી નથી. કેટકેટલા આત્માઓ રમત રમીરમીને નિરાશ થઈ ચાલ્યા ગયા છે.]

જાગી હર જપિયા નહીં, રોજ ગળંતી રાત,
તે નર સરજે કૂકડા, પોકારે પરભાત.

[પાછલી રાતે જે પુરુષોએ જાગીને પ્રભુને ન જપ્યા હોય તેઓને કૂકડાનો અવતાર પામીને પ્રભાતે વહેલાં ઊઠી પોકાર કરવો પડે છે.] અને સ્વર્ગધામમાં ચડવાને માટે નીસરણી રચી હોય, તેવા ‘શામળાના દુહા’ની શ્રેણી અનેક જણા રચી ગયા છે. કોઈએ પ્રભુના પૃથક્ પૃથક્ ચમત્કારોની યશગાથા વીસ-વીસ દુહાઓમાં લખી છે :

એકે મન ઉચાટ, રાખો નવ સજણાં રૂદે;
વસમી ટાળી વાટ, સવળી કરશે શામળો.

[હે સજ્જનો! પ્રથમ તો મનમાં ઉચાટ ન રાખો. આપણી વિપરીત ગતિને પ્રભુ અનુકૂળ કરશે.]

બીજે બલાડી તણાં, બળતાં રાખ્યાં બાળ;
ચાડે ગ્રાહી ચાળ, સાચો બેલી શામળો.

[નીંભાડામાંથી બિલાડીનાં બચ્ચાં ઉગાર્યાં, એ સાચો રક્ષણહાર પ્રભુ આપણને પણ ઉગારશે.]

ત્રીજે પાંચાળી તણી, ટાણે રાખી ટેક;
અપંગાં ટેકો એક, સાચો રાખે શામળો.

[દ્રૌપદીની ટેક બરાબર કટ્ટાકટ્ટીને વખતે પ્રભુએ સાચવી. અસહાયનો આધાર એક પ્રભુ છે.]

ગ્રાહેલો ગજરાજ, ચોથે તેં છોડાવિયો;
લટકાળા તેં લાજ, છેવટ રાખી, શામળા.

એ રીતે પ્રભુનાં કીર્તન ગવાયાં છે. અને કવિઓએ કેવળ બાલ-ભાવે પ્રભુને ઢળકા રૂપે તે મેણાં રૂપે, દુહે દુહે ઊંડા આર્તનાદની આજીજીઓ સંભળાવી છે :

રાંકાંથી રૂઠો ફરછ, ધીંગાંને આપ છ ધાન;
પાસે નહીં પરધાન (નકર) સમજાવત, શામળા.

[હે પ્રભુ! તું ગરીબો ઉપર રોષ કરે છે, અને અમીરોને સમૃદ્ધિ આપે છે. તારી પાસે કોઈ પ્રધાન હોત તો તને આ ભૂલ સમજાવત.]

હારે કોઈ હાલે નહીં, ભગવો પે’રી ભેખ;
આંહીંથી એકાએક, સરગે જાવું, શામળા.

[આંહીંથી સાથે કોઈ નહીં ચાલે. સંસારના વૈભવ છોડીને એકલાં યમપુરી તરફ ચાલવું પડશે.]

અસૂરાનો આતમા, ક્યાં જઈ રે’શે રાત;
(ત્યાં) નથી અમારે નાત, સગું એકેય, શામળા.

[હે પ્રભુ! રસ્તે મોડું થઈ જશે, તો આ આત્મા રાત ક્યાં રહેશે? ત્યાં તો અમારું કોઈ સ્વજન પણ નથી.] [‘કૌમુદી’, પૌષ અને ચૈત્ર 1981 (ઈ. સ. 1925), પૌષ 1982 (ઈ. સ. 1926)]