દરિયાપારથી.../મૂર્તિમંતગૃહાતુરતા
ભારતની બહારનું એવું કોઈ સ્થાન હશે કે જે મદ્રાસ ના હોય, પણ જ્યાં હજારો તામિલ લોકો જોવા મળે?; અથવા જે હૈદરાબાદ ના હોય, પણ જ્યાં હજારો તેલુગુ લોકો જોવા મળે?; અથવા જે કલકત્તા ના હોય, પણ જ્યાં હજારો બંગાળીઓ જોવા મળે? ને તે પણ એક જ જગ્યાએ? આવું સ્થાન એક જ છે, ને તે છે અમરિકા. છેલ્લાં પાંત્રીસ-ચાલીસ વર્ષથી ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવેલા લોકો અમેરિકામાં મોટા મેળાવડા યોજે છે. એમને નામ અપાતું તો હોય છે કૉન્ફરન્સનું, પણ એ બધા બની રહે છે મેળાવડા જ. મુખ્ય ઉદ્દેશ હોય છે તો સાંસ્કૃતિક, પણ સંસ્કૃતિની વ્યાખ્યા જાણે સ્પષ્ટ હોતી નથી. છતાં, આવાં સંમેલનો દ્વારા તે તે રાજ્ય અને ભાષાના જન-સમૂહને ભેગાં થવાની તક મળે છે, તેમજ ચર્ચા, વિચારણા અને જુદા જુદા પ્રશ્નોની છણાવટ કરવા માટે મંચ અવશ્ય તૈયાર થાય છે. તામિલ, તેલુગુ, કન્નડ જેવી ભાષા-ભાષી સંમેલનોમાં જવાનું તો નથી બન્યું. વધારે તો એટલે, કે પ્રવૃત્તિઓની પસંદગી તો કરતાં રહેવું જ પડે. પણ બંગાળી સંમેલનોમાં જવાની હોંશ ઘણી વાર કરી છે. એક તો એટલે, કે બંગાળી ભાષાને લગભગ માતૃ-ભાષાની જેમ જાણું છું; બીજું, એ જન-સમુદાયમાં ઓળખીતાં પણ મળી જાય, અને ત્રીજું, કે બંગાળીમાં નવાં નાટકો ને ફિલ્મો જોવાની, રવીન્દ્રસંગીત તેમજ અન્ય સંગીત સાંભળવાની, તથા લેખકો ને કવિઓની ચર્ચાઓમાં જોડાવાની પણ તક મળે. હવે તો બૉન્ગો શૉમ્મેલન પિસ્તાલિસેક વર્ષથી યોજાય છે. પહેલે વર્ષે એક જ દિવસનો મેળાવડો હતો, પછી ચાર વર્ષ બે બે દિવસ કરવામાં આવ્યા હતા. ને એ પછી – સળંગ ત્રણ દિવસ માટે આ સંમેલનો યોજાતાં રહ્યાં છે. આ દરમ્યાન એમની પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિઓનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. લોકોનો રસ અને ઉત્સાહ પણ અનેકગણો વધ્યો છે. પહેલે વર્ષે હાજરી દોઢસો જેટલી હતી, પછી વધતાં વધતાં હવે સાત-આઠ હજાર થઈ ગઈ છે. થોડાં શ્વેત અમેરિકનો પણ દેખાય. યુવાન બંગાળી યુવક-યુવતીઓ અમેરિકનો સાથે લગ્ન કરતાં જાય છે ને? બધાં એવાં તો ખુશ દેખાય. હું જોયા કરું અને વિચારું, કેવાં સરખાં લાગે છે બધાં. દેખાવે, બોલવે-ચાલવે, વાણી, વર્તન – બધી રીતે સરખાં. મને બહુ ગમે. બંગાળી ભાષા તો રુચિકર છે જ. અને એટલી બધી સરસ સાડીઓ એક સાથે જોવા મળે. પુરુષોનાં કુરતાં પણ જોવા જેવાં – શું રંગ, શું ભરતકામ. વિશિષ્ટ વસ્ત્રાભુષણ ઉપરાંત આખું વાતાવરણ જ બંગાળી બની ગયું હોય. દૂર દૂરથી અનેક જણ સંમેલનમાં હાજર રહેવા આવ્યાં હોય. બધી હોટેલો ભરાઈ જાય, ને નજીક રહેનારાં બધાંને ત્યાં પણ મહેમાન. બધાંને થાય, આહા, અમેરિકામાં રહ્યે રહ્યે આનાથી વધારે કલકત્તાની નજીક જવાય જ ક્યાંથી? બરાબર કલકત્તાનો પ્રસંગ હોય તેવી જ ઉજવણી. કલકત્તાથી ખાસ ગાયકો, નાટ્ય-વૃંદો, કવિઓ, લેખકો, વિચારકો. કળાકારોને આમંત્રવામાં આવ્યાં હોય. બંગાળ સરકારના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ પણ હોય. એમની નજર એન.આર.આઈ.ના નાણા-રોકાણ પર હોય. દરરોજ એક મિટિંગ એમની સાથે પણ યોજાઈ હોય. હિત-લાભનું આકર્ષણ એમ તો પારસ્પરિક જ હોય! દરેક પ્રાંતીય પ્રજા-સમુદાયના રોજિંદાં રસ અને પસંદગી પ્રમાણે એમનાં સંમેલનોમાંના કાર્યક્રમો ગોઠવાતા દેખાય છે. બંગાળીઓનો કળા અને સાહિત્ય માટેનો પ્રેમ ધંધા અને ધન કરતાં વધારે છે, તે પહેલેથી જ દેખાઈ આવે. જેમકે, સ્થળ પર પહોંચતાં જ સૌ પ્રથમ નજરે પડે એક અત્યંત કળાત્મક પ્રવેશદ્વાર. કલકત્તાથી ખાસ કળાકારોને બોલાવ્યા હોય, ને એ બનાવતાં મહિના ઉપર સમય લાગ્યો હોય. વિશેષ-અતિથિને સત્કારવા, ટસર સિલ્કનાં ‘ધુતી-પાંજાબી’ પહેરેલો પુરુષ-ગણ, અને લાક્શણિક-બંગાળી લાલ કિનારવાળી સફેદ સાડીમાં સજ્જ સ્ત્રી-જૂથ. એ દૃશ્યથી જ થઈ જાય આનંદનો આરંભ. ક્યારેક અમેરિકનોનું બનેલું બૅન્ડ તૈયાર હોય. થાય કે આ અમેરિકન બૅન્ડ શું વગાડશે? ને જે ગાન એમણે વગાડ્યું તે સાંભળતાં, દેશ-પ્રેમનાં સંવેદનોથી મારી આંખો હંમેશાં ભરાઈ આવે છે. દરેક બંગાળી પણ એ ગીત જાણે જ. કવિ દ્વિજેન્દ્રલાલ રાયનું લખેલા એ ગીતમાં પાંચ પાંચ પંક્તિઓની પાંચ કડી છે. શરૂઆતમાં કહે છે, ધન, ધાન્ય, પુષ્પથી સભર છે આ વસુન્ધરા. એમાં છે એક દેશ જે બધા દેશોથી જુદો છે, જે સ્વપ્નોનો બનેલો છે, અને સ્મૃતિ-ઓથી ઘેરાયેલો છે. ચોથી ને પાંચમી પંક્તિ દરેક કડીમાં પુનરાવર્તિત થાય છે : આવો દેશ તમને ક્યાંયે શોધ્યે પણ નહીં મળે. જે સકળ દેશની રાણી છે, તે છે મારી જન્મભૂમિ. સભાના આરંભે, બૅન્ડ વાગતું હતું ત્યારે, હજારો બંગાળીઓએ ઊભાં થઈને મોકળા અવાજે, આ ગીત ગાયું. ઉચ્ચારણ એટલું તો મિષ્ટ લાગે. આ પછી વગાડાયું, તેમજ હાજર રહેલાં દ્વારા ગવાયું, ભારતનું રાષ્ટ્રગીત. એ જ રીતે, બાઁગ્લાદેશનું, રવીન્દ્રનાથનું જ લખેલું સુમધુર રાષ્ટ્રગીત રજૂ થયું. અમેરિકાનું, તેમજ કૅનૅડાનું રાષ્ટ્રગીત પણ આ જ પ્રમાણે સ્થાન પામ્યું હતું. કેવું વિચારપૂર્વકનું, સંવેદનશીલ આયોજન. કલ્ચર, કલ્ચર કહેવાતું હોય છે, ને એનો અર્થ થતો હોય છે કેવળ મનોરંજન. લોકોને જાણીતાં ગીત, નાટક, નૃત્ય, સિનેમા આપો તો ખુશ. એમાં કશું ‘શાસ્ત્રીય’ ના હોય. આવું તામિલ, તેલુગુ વગેરે સંમેલનોમાં બનતું સાંભળ્યું છે. પણ બંગ-સંમેલનમાં આવું ક્યારેય નથી હોતું. ઉત્તમ ફિલ્મ ક્યારેક બતાવાય, પણ તે સિવાય બધાં અનુષ્ઠાન – લોકનૃત્ય, મૌલિક નાટકો, રવીન્દ્રનાથની નૃત્ય-નાટિકા, વગેરે બંગાળને પ્રતિબિંબિત કરતાં હોય. ઉપરાંત, કાજી નજરુલ ઇસ્લામ, દ્વિજેન્દ્રલાલ, અતુલપ્રસાદ વગેરેનાં ગીતોની પ્રસ્તુતિ પણ થાય. વળી, જુદી જુદી શિક્શણ-સંસ્થાઓ જેવીકે, કલકત્તા યુનિવર્સિટી, બી.ઈ.કૉલૅજ, ખડકપુર આઈ.આઈ.ટી. વગેરે પણ હાજર હોત. રાતે બે વાગ્યે, જાણે પરાણે, કાર્યક્રમ બંધ કરવા પડે. કલકત્તાથી આમંત્રિત થયેલાં કળાકારોની સાથે બાઁગ્લાદેશનાં જાણીતાં કળાકારો પણ હોય. ઘણાંએ શાંતિનિકેતનમાં સંગીતનો અભ્યાસ કર્યો હોય. રવીન્દ્રસંગીત તો સંદર રીતે ગાય, ને સંસ્કૃતના શ્લોકો પણ પરિષ્કાર રીતે ગાઈ શકે. બહુ પ્રશસ્ય લાગે બંગાળ આખાને આમ આવરી લેવાના, સમાવી લેવાના પ્રયત્ન. દરેક બંગાળી સંમેલન દરમ્યાન સર્વોપરિ ભાવ સંવેદન-પ્રધાન રહે. દ્વિજેન્દ્રલાલના એ ગીતની છેલ્લી બે પંક્તિઓના કાવ્યાનુવાદથી એને કદાચ સૌથી સારી રીતે વર્ણવી શકાયઃ
“ઓ મા, તારાં ચરણદ્વય હૈયે મારે ધરું,
જન્મ મારો જે દેશે, તે જ દેશે મરું.”