દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૪. ગંગામાં ગયું જે જળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૪. ગંગામાં ગયું જે જળ

મનહર છંદ


ગંગામાં ગયું જે જળ ગણાયું તે ગંગાજળ,
ગટરમાં ગયું જળ ગંદું તે ગણાયું છે;
ખારે દરીયે ગયું તે ખરેખરું ખારું થયું,
છાશમાં પડ્યું તે છાશ રૂપે થૈ છણાયું છે;
શેલડીએ સોશું થયું શેલડીના રસ રૂપે,
ચૂનામાં ભળ્યું તે ચૂના રૂપ થૈ ચણાયું છે;
એક જ આકાશની પેદાશ દલપત કહે,
જવો જેવો જોગ થયો તેવું તે જણાયું છે.