નર્મદ-દર્શન/ગુજરાતી ગદ્યનો પ્રારંભ ‘ડાંડિયો’થી?

૨. ગુજરાતી ગદ્યનો પ્રારંભ ‘ડાંડિયો’થી?

નર્મદના પત્રકારત્વનો મહિમા કરતાં, તેના સૌથી મોટા અર્પણ તરીકે હરીન્દ્ર દવે જણાવે છે કે, “આ પત્રકારત્વ શરૂ થયું તે પહેલાં ગુજરાતી ગદ્ય હતું જ નહિ... ગદ્ય લખવાનો પ્રયાસ શરૂ કરવા માટે પણ ‘ડાંડિયો’નો ફાળો ઓછો નથી.” (‘પત્રકારત્વનું મોટું અર્પણ’ : ‘પરબ’ વિશેષાંક, ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩.) આ વિધાન કરતાં હરીન્દ્ર દવે ભૂલી ગયા કે ૧૮૬૪માં શરૂ થયેલું ‘ડાંડિયો’ ગુજરાતી ભાષાનું પહેલું વૃત્તપત્ર નથી. તેઓ એ પણ ભૂલી ગયા કે તે પહેલાંનાં વૃત્તપત્રો પદ્યમાં લખાતાં ન હતાં. નર્મદ-મિત્ર કરસનદાસ મૂળજીનું ‘સત્યપ્રકાશ’ (૧૮૫૫) પણ પહેલું નહિ. ગુજરાતી ગદ્યનો આરંભ કોઈ વૃત્તપત્રથી ગણવાનો આગ્રહ પત્રકાર હરીન્દ્ર દવેને હોય તો ‘બુદ્ધિપ્રકાશ’ (૧૮૫૦) ક્યાં નથી? નર્મદના ‘મંડળી મળવાથી થતા લાભ’ (૧૮૫૧) એ વ્યાખ્યાન-લેખને ગુજરાતી ગદ્યનું પ્રસ્થાન કરવાના યશથી વંચિત રાખવાનો ઉત્સાહ કશુંક નવું કહેવાની ધગશ અવશ્ય દાખવે છે. પરંતુ તેમ કરતાં આખું કોળું શાકમાં જતું રહ્યું છે.

રાજકોટ : ૧૩-૨-૮૪
‘શબ્દસૃષ્ટિ’ : એપ્રિલ ’૮૪