નવલકથાપરિચયકોશ/અમૃતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬

‘અમૃતા’ : રઘુવીર ચૌધરી

– અજય રાવલ
Amruta.png

શ્રી રઘુવીર ચૌધરી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જક છે. તેમણે કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, વિવેચન અને સંપાદનમાં આપેલું યોગદાન નોંધપાત્ર છે. તેમનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ બાપુપુરામાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં થયું હતું. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો ૧૯૬૨માં એમ.એ.અને ૧૯૭૯માં ‘હિન્દી ગુજરાતી ધાતુકોશ’ વિષય પર પીએચ.ડી. થયા. અમદાવાદની બી. ડી. આટ્‌ર્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ. કા. આટ્‌ર્સ કૉલેજમાં અધ્યાપન કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ૧૯૭૭માં હિંદી વિષયના અધ્યાપક. ૧૯૮૫માં ત્યાં જ રીડર તેમજ ૧૯૯૮ માં પ્રોફેસર અને અધ્યક્ષ પદેથી સેવા નિવૃત્ત થયા. તેમને અનેક પારિતોષિક અને ચંદ્રકો પ્રાપ્ત થયાં છે. ૧૯૬૫માં કુમાર ચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૭૭માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૯૫માં દર્શક એવૉર્ડ, ૧૯૯૭માં ગોવર્ધનરામ એવૉર્ડ, ૨૦૧૫માં જ્ઞાનપીઠ એવૉર્ડનો સમાવેશ થાય છે. ‘અમૃતા’ નવલકથાનો હિંદી અનુવાદ કિરણ માથુરે ૧૯૮૦માં કર્યો હતો અને ભારતીય જ્ઞાનપીઠે એ જ વર્ષે પ્રકાશિત કરી હતી. ‘અમૃતા’ની પ્રથમ આવૃત્તિ ૧૯૬૫માં શ્રી હરિહર પુસ્તકાલય, સુરતે પ્રકાશિત કરી હતી. ક્રાઉન સાઇઝ આવૃત્તિમાં પાન ૫૧૦ હતાં. એનું અર્પણ મોટાભાઈ કેશવલાલ કવિમિત્ર ચંદ્રકાંત સ્મૃતિશેષ છોટુભાઈ પટેલને કરી હતી. એની પ્રસ્તાવના સમીક્ષા નામે શ્રી નગીનદાસ પારેખે લખી હતી. આ પછી આ નવલકથાની સમયાંતરે ડિઝાઈન સાઇઝમા ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે જે રંગદ્વાર પ્રકાશન અમદાવાદે પ્રગટ કરી છે. ‘અમૃતા’ નવલકથા અમૃતા ઉદય અને અનિકેત ત્રણેય વચ્ચેના સંબંધો પ્રણય ત્રિકોણ જેવા રૂઢલા અર્થમાં લાગે, પણ એમ છે નહીં. અહીં સ્ત્રી અને બે પુરુષના સંબંધમાં પ્રણય નિમિત્તે સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ થયેલું છે. તેના જીવનના અર્થ સાથે માન્યતાઓ સાથે વૈચારિક સંઘર્ષ અને સમસ્યાઓની આ કથા છે. અમૃતા શાશ્વત સમયમાં, ઉદયન વર્તમાન સમયમાં તો અનિકેત ભૂત અને ભવિષ્યમાં માને છે. તીવ્ર બુદ્ધિશાળી આ ત્રણેય પાત્રો જીવન પ્રત્યેનો ભિન્ન દૃષ્ટિકોણ ધરાવે છે; તો જીવન અંગે ખ્યાલ પણ જુદા જુદા છે. એથી જ એમની વચ્ચે સંઘર્ષ પણ ઊભો થાય છે. નવલકથા ત્રણ સર્ગમાં અને ૧૮ પ્રકરણમાં વિભાજિત છે પ્રત્યેક સર્ગમાં ૬, ૬, ૬ પ્રકરણ છે. પ્રથમ સર્ગ પ્રશ્નાર્થ દ્વીતિય સર્ગ પ્રતિભાવ અને તૃતીય સર્ગ નિરુત્તર નામનો છે. પ્રત્યેક સર્ગના શીર્ષક એની મુખ્ય ઘટનાઓનું સૂચન કરે છે જેમ કે, પ્રશ્નાર્થ અમૃતાની પસંદગીની સમસ્યાને દર્શાવે છે. બે પુરુષો ઉદયન અને અનિકેત, બેમાંથી કોની પસંદગી કરવી. એની શરૂઆત નિત્સેના “Life is good because it is painful” વાક્યથી થાય છે. પ્રથમ સર્ગને અંતે અમૃતાનો પ્રશ્ન આ જ છે, કયું ફૂલ લઉં? ઉદયન કે અનિકેત? દ્વિતીય સર્ગ પ્રતિભાવમાં અમૃતાના પ્રેમને પામવા ઉદયન-અનિકેતના પ્રતિભાવોના અનુભવોનું આલેખન છે. દ્વિતીય સર્ગના આરંભે બૃહદારણ્યક ઉપનિષદમાંથી મૈત્રેયીનું અવતરણ ‘યેન અહમન્‌ અમૃતાસ્યામ કિમ્‌ અહમ્‌ તેનકુર્યમ્‌ |’ અર્થાત્‌ આવી સંપત્તિનું શું કરું, કૃપા કરીને મને કહો? ત્રીજા સર્ગમાં નિરુત્તરમાં પસંદગીના પ્રશ્નનો જવાબ નથી મળતો ઉદયનનો જવાબે ય પૂરો થતો નથી એવી કરુણ ઘટના ઉદયનના મૃત્યુથી નિરુત્તર થઈ જતાં અમૃતા અનિકેત. આ સર્ગના આરંભે ગાંધીજીનું વાક્ય “મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાની સૌથી છેલ્લો ત્યાં લગી એની મુક્તિ નથી.” આરંભે અમૃતાને વરણીની – સ્વતંત્રતાની ઇચ્છા હતી. એ સમર્પિતા થાય તો ઉદયનને પણ થાય છે : સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ ચરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલ છે. અનિકેત પણ થોડા અંશે બદલાય છે. પૈસાદાર પિતાની તેજસ્વી, રૂપવતી પુત્રી અમૃતાને પીએચ.ડી.ની ડિગ્રી મળી છે આ પ્રસંગે એને શરૂઆતથી પ્રોત્સાહિત કરતો ગુજરાતીનો અધ્યાપક ઉદયન અને, વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકમિત્ર અનિકેત અમૃતાને અભિનંદન આપવા એના ‘છાયા’ નિવાસ જાય છે ત્યાંથી કથા આરંભાઈ છે. ઉદયન અને અમૃતા વચ્ચે પ્રેમ સંબંધ છે અમૃતાએ એને – પ્રેમને – પ્રગટ પણ કર્યો છે. અનિકેતને જોતાં જ અમૃતાનું મન તેના તરફ ખેંચાય છે. પસંદગીની સમસ્યા ગુલાબના છોડ પર અમૃતા તરફ નમેલા બે ગુલાબના પ્રતીકથી આખી વાત આલેખાઈ છે. આ બે પુરુષોમાંથી કયો પુરુષ એવું કથાબીજ આગળ જતાં સંઘર્ષ બીજ રૂપે વિકસે છે. નવલકથામાં બનતા બનાવો અને બદલાતી જતી પરિસ્થિતિ માટે નિમિત્ત બને છે. અમૃતા ઉદયને ચાહે છે મુગ્ધભાવે. ઉદયની ઇચ્છા છે કે સમજપૂર્વકનો પ્રેમ સંબંધ હોવો જોઈએ. એવા નિર્ણયની રાહ જોવાનો કઠિન માર્ગ સ્વીકાર્યો છે. તો અમૃતા અનિકેત તરફ વધુ ને વધુ આકર્ષણ અનુભવે છે એ વાત અમૃતા-ઉદયન વચ્ચે સંઘર્ષ જન્માવે છે. પાલનપુર-બાલારામમાં બનેલી ઘટનાઓ- તમાચો મારવો કે બ્રેસિયર્સ ફાડી નાખવા સુધી જઈ પહોંચે છે. પરંતુ પત્રકાર તરીકે ઉદયન જાપાનના હિરોશીમા જઈને ત્યાંના બચી ગયેલા લોકો પર રેડિયેશનની અસર પર કામગીરી કરે છે. બીમારી વહોરીને પાછો ફરે છે, ત્યારે અમૃતા અનિકેત એની સંભાળ રાખે છે, ઉદયન એનો વિરોધ કરવા હાથની નસો કાપે છે. એને અનિકેત અને બીજાઓનું લોહી અપાય ત્યારે એને થાય છે કે આ માનવજીવન કેવું તો પરસ્પરના સહયોગથી નભી રહ્યું છે! અંતકાલે ઉદયન અમૃતાને દૂર કરવા મથે છે પણ એ નથી માનતી. કથાના અંતે ઉદયનનો દૃષ્ટિકોણ બદલાય છે. એ અમૃતા પાસે લખાવેલા વસિયતનામામાંથી પ્રગટ થાય છે. “સાચું વિશ્વ તો મારી અંદર વસે છે. જે બહાર દેખાય છે તે તો વાસ્તવમાં પેલા અંતરર્નિહિતનું મૂર્ત કલ્પન છે.” અંતે ઉદયનના મૃત્યુથી નવલકથાનો અંત પ્રભાવક રીતે આવે છે, “ત્રણ ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામસામે પરંતુ દૃષ્ટિશૂન્ય હોય તેમ અનિકેત અને અમૃતા ઊભાં હતાં. એમની વચ્ચે જેવું કાશ હતો તેની વચ્ચે જ? જિંદગી શબ બનીને પડી હતી.” અનિકેત પણ અમૃતાને ચાહે છે. અમૃતા એને મન ‘સ્નેહ સિક્કિમ સૌંદર્ય પવિત્રતાનો પર્યાય’ છે પણ મિત્રતા માટે પાછો વધી જાય છે. અમૃતા ઉદયથી દૂર થવા મુંબઈ બહાર જવાનો નિર્ણય કરે છે રાજપૂતાનાના રણમાં, રણને આગળ વધતું અટકાવવવાના સંશોધન માટે જાય છે ને કથાના અંત સુધી એ જ કામમાં વ્યસ્ત રહે છે. અમૃતાને વ્યકિતસ્વાતંત્ર્યની ઝંખના આરંભે હતી એ કથા અંતે બદલાય છે. એ કહે છે : ‘એ જાણી ગઈ છે કે પોતાને અભિષ્ટ હતી એ સ્વાતંત્ર્યતાનો અર્થ થાય છે – નિસ્સંગ એકલતા’. આમ, પાત્રોમાં આવતો બદલાવ નવલકથાકારની જીવનદૃષ્ટિને લીધે પણ છે. નવલકથાકારે કરેલાં વર્ણનો જેમ કે રાજસ્થાનના રણનું વર્ણન કે કલ્પનપ્રતીકો પાત્રોના વ્યક્તિત્વને પ્રગટ કરવામાં ઉપકારક થયાં છે. તો ભાષાની અભિવ્યક્તિ પણ નોંધપાત્ર છે. તો, પત્રો, સ્વપ્ન, સ્મૃતિસાહચર્ય આદિ પ્રયુકિતનો નવલકથામાં વિનિયોગ નોંધપાત્ર છે. એક તરફ અસ્તિત્વવાદી વિચારધારામાં માનતો ઉદયન અને બીજી બાજુ ગીતાના જીવનદર્શનને માનતો અનિકેત અને બે વચ્ચે અમૃતા એટલે જીવનનું પ્રતીક એમ ચિંતનાત્મક કહી શકાય, એ દિશામાં જતી લાગે નવલકથાકારની બીજી નવલકથા હોવા છતાં મહત્ત્વાકાંક્ષી નવલકથા તરીકે નોંધપાત્ર બની છે. આ નવલકથાને વ્યાપક સ્વીકૃતિ મળી છે. ઘણા વિવેચકોએ એના પર વિવેચન કર્યું એમાંથી ગુજરાતી નવલકથા નામના પુસ્તકમાં રાધેશ્યામ શર્માએ કરેલી સમીક્ષામાંથી એક નિરીક્ષણ અહીંયાં પ્રસ્તુત છે, “અમૃતા-એકંદરે શુદ્ધ ભારતીય નવલકથાની અપેક્ષાનો નવીન સાહિત્યકાર દ્વારા અપાયેલો સબળ ઉત્તર છે. ગુજરાતી ભાષા સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓની પરંપરામાં આધુનિક યુગની સમસ્યાઓ ઉતારવાનું બીડું ઝડપી જોવા કરતી અમૃતાનું સ્થાનની શંકા છે. રઘુવીરનો મરૂભૂમિ પરનો સુંદરનો આશીર્વાદ પ્રદર્શિત કરવાનો પુરુષાર્થ ઐતિહાસિક છે.” પાના નંબર ૩૦૦, ‘ગુજરાતી નવલકથા’ લેખકો : રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ ત્રીજી આવૃત્તિ સંવર્ધિત ૧૯૯૧

પ્રો. ડૉ. અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫૦૬૯૪૨
Email: ajayraval22@gmail.com