નવલકથાપરિચયકોશ/છિન્નપત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૫

‘છિન્નપત્ર’ : સુરેશ હરિપ્રસાદ જોષી

– જયેશ ભોગાયતા
Chinnpatra Sujo 1642-1.jpg

નવલકથા : છિન્નપત્ર સર્જક : સુરેશ હરિપ્રસાદ જોષી નવલકથાનો પ્રકાર : લિરિકલ નૉવેલ નવલકથાકારનો પરિચય : સુરેશ હરિપ્રસાદ જોષી (૧૯૨૧-૧૯૮૬)નો જન્મ વૈશાખ વદ આઠમ, ૩૦મી મે ૧૯૨૧ને દિવસે બપોરે એક વાગ્યે મોસાળમાં, વાલોડ ગામમાં થયો હતો. એમનું બાળપણ સોનગઢમાં દાદાની (નાનાની) છત્રછાયામાં વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડ અને નવસારીમાં. ૧૯૩૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરીને મુંબઈ ગયા. માતાપિતા માટુંગા(મુંબઈ)માં રહેતાં હતાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૩માં બી.એ. (પ્રથમ વર્ગ), એમ.એ. ૧૯૪૫માં (બીજો વર્ગ). જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા વિષય પર ડૉ. ભોગીલાલ સાંડેસરાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું. એમ.એ. થઈને થોડો વખત ઑરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. શ્રી રામપ્રસાદ બક્ષી અને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સૂચનથી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ૧૯૪૫થી ૧૯૪૭ સુધી ડોલરરાય માંકડ સાથે કામ કર્યું. દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ૧૯૫૧માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમને છૂટા કરવામાં આવ્યા. ત્યાંથી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટ્યુટર તરીકે જોડાયા. ૧૯૫૩માં વ્યાખ્યાતા તરીકે નિમણૂક થઈ. પછી રીડર બન્યા. ૧૯૭૮માં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિમણૂક. ૧૯૮૧માં નિવૃત્ત થયા. યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશને નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ ૬, સપ્ટેમ્બર ૧૯૮૬ની શનિવાર રાતે ૯.૪૦ વાગે કિડનીની બીમારીથી નડિયાદ હૉસ્પિટલમાં અવસાન થયું. સુરેશ જોષીનું સાહિત્યિક પ્રદાન : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સર્જક. ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપ્યો. આધુનિક આબોહવાના સર્જક. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શિરીષ પંચાલ સંકલિત કુલ ૧૭ ગ્રંથોનું પ્રકાશન. જેમાં એમનું ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ સમગ્ર સાહિત્યવિશ્વ છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા સુરેશ જોષીનું સમગ્ર સાહિત્યવિશ્વ ઈ-બૂક સ્વરૂપે પ્રાપ્ય છે. ઈનામો : નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૧) ૧૯૮૩માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનગ્રંથ માટે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા જાહેર થયેલા પુરસ્કારનો અસ્વીકાર. ‘છિન્નપત્ર’ નવલકથા વિશે માહિતી : ૧૯૬૫માં પ્રથમ પ્રકાશન, ‘ક્ષિતિજ’ સામયિક (સળંગ અંક ૬૯)ના વિશેષાંક રૂપે ‘લખવા ધારેલી નવલકથાના મુસદ્દા રૂપે’ના પેટાશીર્ષક સાથે. પુસ્તકરૂપે પણ પ્રથમ આવૃત્તિ ૧૯૬૫, બુટાલા પ્રકાશન, વડોદરા. અર્પણ : જયન્ત તથા સૌ. સુધાબેનને. પુનર્મુદ્રણ, ૧૯૭૩, બુટાલા પ્રકાશન, (બંનેમાં પ્રત ૧૧૦૦), વર્ષ ૨૦૦૦માં બીજી આવૃત્તિ, જેનું સંપાદન શ્રી જયંત પારેખે કર્યું છે. પ્રત ૧૦૦૦, મૂુલ્ય રૂા. ૭૫. સુરેશ જોષી સાહિત્ય વિશ્વ : કથાસાહિત્ય સમગ્ર. સંકલન : શિરીષ પંચાલ, પ્ર. આ. ૨૦૦૫, મૂલ્ય રૂા. ૫૦૦, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, અંગ્રેજી ભાષામાં અનુવાદ : ત્રિદીપ સુહૃદ. Crumpled Letter. પ્ર. આ. ૧૯૯૮, મેકમિલન ઇન્ડિયા લિમિ. દ્વારા પ્રકાશિત. વિશેષ માહિતી : ‘છિન્નપત્ર’ નવલકથાની મારી સમીક્ષા ‘છિન્નપત્ર’ લિરિકલ નવલકથાના સંદર્ભે’ એ શીર્ષકથી ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ જાન્યુ.-માર્ચ, ૨૦૦૨માં પ્રકાશિત થઈ હતી. તે સમીક્ષા મારું વિવેચનપુસ્તક ‘કથાનુસંધાન’ (પ્ર. આ. જાન્યુ. ૨૦૦૪)માં પ્રકાશિત થઈ હતી. એ સમીક્ષા મેં રાલ્ફ ફ્રીડમેનનું પુસ્તક ‘The Lyrical Novel’ (૧૯૬૩)ના આધારે કરી હતી. પરંતુ અહીં અધિકરણલેખનમાં પરિચયકોશની સીમામાં – માળખું સ્વીકારીને – રહીને નવલકથાનો પરિચય આપ્યો છે. પરિચય સાથે સર્જકની લેખનરીતિનો પરિચય છે. નવલકથાનું કથાનક : ‘છિન્નપત્ર’ નવલકથાની બીજી આવૃત્તિમાં સંપાદક જયન્ત પારેખે પૉલ વાલેરીનું એક અવતરણ મૂક્યું છે. એ અવતરણમાં પ્રગટ વિચારનો સાર એ છે કે સાહિત્યકૃતિ અવ્યાખ્યેય છે, વર્ગીકરણથી મુક્ત છે. માત્ર એની રસકીય અસરનું સ્મરણ વારંવાર થયા કરે એટલું પૂરતું છે. કલાકૃતિ ભાવકના ચિત્ત પર પ્રભાવ કે અસર જન્માવે છે, એ પ્રભાવ ભાવકચેતનાનો વિસ્તાર કરે, ભાવકસંવિત્તિનો વિસ્તાર કરે ને જે અનુભૂતિ થાય તે એનો અર્થ. ‘છિન્નપત્ર’ નવલકથા ૫૦ ખંડ અને એક પરિશિષ્ટ એ સ્વરૂપે પ્રગટ થઈ છે. તેમાં પ્રત્યેક ખંડનું બીજું પાનું ઉપરની જગ્યા છોડીને – અવકાશ રચીને – પૂરું થાય છે. આ પ્રકારની છપાઈ યાંત્રિક નથી તે લેખનને નવો અર્થ આપે છે. સુરેશ જોષીની ‘મરણોત્તર’ નવલકથા (પ્ર. આ. ૧૯૭૧) પણ આ જ સ્વરૂપે પ્રગટ થઈ છે. નવલકથામાં સાત મિત્રોની એક મંડળી છે. અજય મહેતા, માલા દેસાઈ, અશોક પટેલ, અરુણ પરીખ, અમલ મજમુદાર, લીલા શાહ અને ઈલા. અમલ મજમુદારે ઈલાને છોડીને બીજે લગ્ન કર્યું તેના આઘાતમાં ઈલા આપઘાત કરે છે. આ મંડળી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરે છે. એના ગ્રૂપનું નામ છે ‘મિસ્ચિફ મન્ગર્સ’ (તોફાનના પેડલર્સ – તોફાની). નવલકથાનું મુખ્ય પાત્ર અજય છે. અજય એક સંવેદનશીલ, ચિંતનશીલ યુવાન સર્જક છે. એની સાથે જોડાયેલાં – અંગત સંબંધે – બે સ્ત્રી પાત્ર છે માલા અને લીલા. અજયની ઝંખનાનું પાત્ર માલા છે, લીલા અજયની સાથે જોડાયેલી છે પણ એ બે વચ્ચે એવી કોઈ ઝંખનાની તીવ્રતા નથી, પણ સહજ સંબંધ છે. અન્ય પુરુષ પાત્રોમાં અશોકની સાથે માલાને નિકટનો સંબંધ છે. નવલકથાના ૫૦ ખંડ અજયની ડાયરી છે, સ્ક્રેપબૂક છે. એ ડાયરીનું વાચન કરીએ તો અજય અને માલા વચ્ચે કોઈ નિશ્ચિત નામ ન આપી શકાય તેવો પ્રેમસંબંધ છે. એ પ્રેમમાં પરસ્પરના સહવાસનું સુખ, પરસ્પર માટેની ઝંખના, ઉદાસીનતા, વ્યથા, દૂરતા, આત્મલોપનથી બચવા માટેના પ્રયત્નો, હૃદય હૃદય વચ્ચેનો અંતરાલ, આંસુ, અને મૌન એમ વિવિધ સ્તરની ભાવસૃષ્ટિનાં અગ્રાહ્ય રૂપો છે. એ રૂપોને સર્જકે ઊર્મિસભર કથનભાષા વડે સર્જ્યાં છે. આ ૫૦ ખંડનું શહેર મુંબઈ છે. મુંબઈનો દરિયા કિનારો, એની ઋતુઓ, રસ્તાઓ, રેલ્વે સ્ટેશન, હૉટલ જેવાં સ્થળો છે. પણ મુખ્ય સ્થળ છે અજયની ઓરડી. જેને અજય આંધળી કહે છે. ખૂણામાંના ખુરશીટેબલ, બાજુમાંનો ખાટલો, નવલકથાના છ ખંડનો પરિવેશ આ ઓરડી છે ને અજય ઓરડીની બહાર નીકળે છે સાતમા ખંડમાં. અજયનું એકાન્ત, માલાનું આવવું, માલાનો સહવાસ, સહવાસ છતાં દૂરતાની અનુભૂતિ, અજયની પ્રસન્નતા, અજયનું મૌન એ બધી ભાવદશાનો આપણે અનુભવ કરીએ છીએ ત્યારે અજયની ચેતનાનો સાક્ષાત્કાર થાય છે. નવલકથાનાં અન્ય સ્થળમાં તાપી નદી, તેનો પટ છે, રેતી છે. પરિશિષ્ટમાં અજયના મિત્રો માલા, લીલા, અશોક અજયના ઘરે તેના વતન જવા માટે રેલ્વેમાં પ્રવાસ કરે છે. તેમાં રેલ્વેસ્ટેશન, પ્લૅટફૉર્મ, વરસાદ, વરસાદથી ભરાયેલાં ખાબોચિયાં, ને અજયનું ઘર જાણે કે એકાન્તની આબોહવામાં તરતો વિષાદ. પરંતુ નવલકથામાં આવતાં સ્થળો અજયની તીવ્ર સંવેદનશીલ અને ચિંતનશીલ ચેતનાનાં લિરિકલ રૂપો છે. તેમની ભૌતિક ઓળખનું તિરોધાન થયું છે. એને કારણે અપરિચિત અને આંતરવાસ્તવ સ્વરૂપ સ્થળોનું હોવાપણું વિસ્મય સર્જે છે. અજયની ચેતનાનો જગત સાથેનો સંબંધ બૌદ્ધિક, તાર્કિક કે વ્યવહારુ નથી. બુદ્ધિએ ઊભાં કરેલાં સાધનોથી જગતને સંકોચી નાખ્યું નથી. એ જ ભૂમિકાએ અજયનો માલા સાથેનો સંબંધ, લીલા સાથેનો સંબંધ વ્યવહારુ નથી, સામાજિક નથી, નિશ્ચિત બંધનમાં જડી દેવાના પ્રયત્નોવાળો નથી. પરંતુ સંબંધનું જ એક અવ્યાખ્યેય સ્વરૂપ જેની અજય સતત અનુભૂતિ કરે છે. નવલકથામાં વરસાદ, વરસાદનાં ટીપાં, ખાબોચિયાં, વૃક્ષો, ફૂલો, સમુદ્ર, અન્ધકાર, ધુમ્મસ, આંસુ, મરણ અને શૂન્યતાનાં કલ્પનો અજયની આંતરચેતનાનાં સ્વરૂપો જેની રસકીય અનુભૂતિ પ્રેમ સાથે સંલગ્ન વિષાદ, પીડા, દૂરતા અને ન પામી શકવાની આત્મસંવિત્તિનું વાસ્તવ રચે છે. નવલકથાના ૫૦ ખંડ એક બીજા જોડે કાર્યકારણ સંબંધથી જોડાયેલા નથી. કોઈ ક્રમિક કથાવેગ નથી પરંતુ સ્ક્રેપબૂકનું એક પાનું વાંચીએ, એ પૂરું થાય ને પછી પલટાવીએ ને બીજું પાનું વાંચીએ એવું રચનાતંત્ર છે જે પારંપરિક નથી. ૫૦ ખંડનું સળંગ વાચન નવલકથાની પાત્રસૃષ્ટિનો રસકીય પરિચય પામીએ છીએ. ૫૦મા ખંડની શરૂઆતમાં ચીસ, હીબકાં, ઠોકર, કચડાવું, આંખો ફોડવી, શિરચ્છેદ, પ્રેત, અન્ધ સૂર્ય અને ‘આવજો’ની વદાયવાણી, પગ વાળીને બેઠેલા ઈશ્વરને એક નાનું શું જન્તુ ‘આવજો’ કહી રહ્યું છે એનો અવાજ સાંભળીને ઈશ્વરની આંખમાં આંસુ ઝમી આવશે?-ના સંકેતો મરણની ઘટના સૂચવે છે. ૫૦મો ખંડ પૂરો થયા પછી શરૂ થતા પરિશિષ્ટમાં અજય નથી, એની ગેરહાજરીનો સંદર્ભ એના મરણને સૂચવે છે. અશોક, માલા, લીલા ટ્રેનમાં છે ને અજયના ગામ તેના ઘેર પહોંચે છે એ સમયનો અંતરાલ માલાની અજય માટેની ઝંખના, પ્રેમની વિકટતા, અજયની સ્મૃતિઓ અને વરસાદ તથા અન્ધકારનાં આવર્તનો વિષાદની આબોહવા સર્જે છે. ને પરિશિષ્ટને અંતે અજયની અનુપસ્થિતિમાં એની ગેરહાજરીને તીવ્રપણે અનુભવતી માલા અશોકની સાથે શારીરિક સંબંધ બાંધે છે, એના શરણે જાય છે પણ સમાંતરે માલાની ચેતના અજયની ઉક્તિને પણ તીવ્રપણે અનુભવે છે : ‘My love, you yield to obsences. I will not return.’ (પૃ. ૧૨૨). પરસ્પર જોડાવાની તીવ્ર સંવેદનાની સમાંતરે જ પરસ્પરને થતી ન જોડાઈ શકવાની તીવ્ર સભાનતા આ બે વચ્ચેની તાણમાંથી જન્મે છે વિષાદ. એ વિષાદ પ્રેમસંબંધની અસ્તિત્વપરક વિસંગતિ છે, જેનું રસકીય નિરૂપણ ‘છિન્નપત્ર’નો અનુભવ છે. આ અનુભવ દરેક ભાવકનો સ્વતંત્ર હોય છે, સ્વાયત્ત હોય છે. નવલકથાની સમીક્ષા : શ્રી સુમન શાહની સમીક્ષામાંથી એક અવતરણ : શ્રી સુમન શાહે ‘છિન્નપત્ર-પ્રેમનું મૅટાફિઝિક્સ’ શીર્ષકથી સુંદર સમીક્ષા કરી છે. ‘પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર તમામ સન્નિકર્ષોમાં જે કંઈ પણ જ્યારે transcendental ગોચર થાય ત્યારે તેને પકડીને શબ્દમાં મૂર્ત કરનારી સર્ગશક્તિ અજયમાં નોંધપાત્ર લક્ષણવિશેષ છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષ્યિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ સ્ફૂર્યું છે. લેખકે એને સુન્દરમાં રૂપાન્તરીને ભાષામાં મૂકી આપ્યું છે.’ (સંદર્ભ : ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો. બીજી આવૃત્તિ : ઑગસ્ટ ૧૯૯૩’ એકત્ર ગ્રંથાલયમાંથી)

પ્રો. ડૉ. જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા.
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક. ‘તથાપિ’ ત્રૈમાસિકના સંપાદક.
મો. ૯૮૨૪૦૫૩૨૭૨ Email: tathapi૨૦૦૫@yahoo.com
વડોદરા