નવલકથાપરિચયકોશ/રેતપંખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૫

‘રેતપંખી’ : વર્ષા અડાલજા

– સુધા ચૌહાણ
રેતપંખી.jpg

ગુજરાતી કથાસાહિત્યમાં નારીલેખનની વાત કરીએ ત્યારે વર્ષા અડાલજા (જન્મ-૧૯૪૦) વિષે અચૂક વાત કરવી પડે એવું એમનું નોંધપાત્ર પ્રદાન છે. નારીજીવનના અનેક પ્રસંગો-પ્રશ્નો લઈ વૈવિધ્યસભર નવલકથાઓ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. નવલકથા ઉપરાંત તેમણે વાર્તા, નાટક, એકાંકી, નિબંધમાં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમને અણસાર નવલકથા માટે સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીનું (૧૯૯૫) પરિતોષિક, સોવિયેત લેન્ડ નહેરુ ઍવોર્ડ (૧૯૭૬), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૫), ગુજરાત સાહિત્ય અકાદમી (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦) અને ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૯૭૨, ૧૯૭૫) જેવાં મહત્ત્વનાં અનેક પરિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૭માં અધિવેશનના પ્રમુખ તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે. ચૌદ પ્રકરણ અને બસો-બે પૃષ્ઠોમાં પ્રસરેલી રેતપંખી (પ્ર. આ. ૧૯૭૪) નારીકેન્દ્રી નવલકથા છે. નાયિકા સુનંદાના જીવનની આસપાસ નવલકથાના કથાવસ્તુની ગૂંથણી છે. સુનંદા વિષમ પરિસ્થિતિમાં ઊછરી હતી. એની પોતાની કોઈ પસંદગી જેવું ખાસ હતું જ નહીં. મુશ્કેલીઓને જીતી જવાની આકાંક્ષા પણ ન હતી, કે ન હતો થોડામાં ઘણું જીવી નાખવાનો લોભ. ન હતા આગ્રહો, ન હતી ઉતાવળ કે ન હતી સભાનતા પણ એ પરગજુ હતી. સદા ‘શુભમ કરોતિ કલ્યાણમ’નું રટણ એને કાકા પાસેથી વારસામાં મળ્યું હતું. એ બીજવર જગમોહનદાસને પરણીને ગામડેથી શહેરમાં આવી ત્યારે એક કુટુંબને સુખી કરવાની સાથે સુખી થવાની ઇચ્છા લઈને આવી હતી. પણ, જે વિચાર્યું હતું એથી ઊલટું જ થયું. પૂર્વકથામાં એક ઘટના ટૂંકમાં વર્ણવાઈ છે. કાકાની દીકરી તારા ટ્રક ડ્રાઇવર સાથે ભાગી ગઈ એથી કાકા તો દુઃખમાં ખૂંપ્યા પણ કાકી સુનંદાને નિમિત્ત બનાવીને દોષ દેતાં રહ્યાં. આમાંથી ઉગારવા માટે જ જાણે કાકા સુનંદા માટે બીજવર પસંદ કરી લે છે. વાચકની દૃષ્ટિએ આ એક કરુણ સ્થિતિ છે. પણ, સુનંદાની દૃષ્ટિએ એટલી કરુણ નથી. બે સંતાનોના પિતા-વિધુર જગમોહન સાથે સુનંદાનાં લગ્ન થાય છે, છતાં એને એ સહજ સ્વીકારે છે. વિદાય ટાણે કાકા સુનંદાને કહે છે ‘સુનંદા બેટા, આ જગતમાં કોઈ કોઈ વિરલ વ્યક્તિના નસીબમાં જ બીજાનો બોજ પોતાના ખભે ઉઠાવીને જીવવાનું નિર્માણ થયું હોય છે. તું તો મારી મીરાં છે, ઝેરના ઘૂંટડા ભરી એને અમૃત બનાવી દે છે.’ આ સંવાદમાં જ જાણે આખી નવલકથાનું વસ્તુ અને ધ્વનિ આવી જાય છે. સુનંદાના જીવનમાં બીજાઓની સમસ્યાઓનું પોતાના ખભે વહન કરવું જ લખાયેલું છે. જગમોહનદાસ જેવા બીજવર સાથે સંસાર શરૂ કરે છે. લેખિકાએ જગમોહનદાસની મૃતપત્નીની તસવીર જોઈને ડરતી સુનંદાનું આલેખન કરી જાગ્રત-અજાગ્રત મનનાં સંચલનોને અહીં અવકાશ આપ્યો છે. જગમોહનદાસનાં બે યુવાન સંતાનો સાથે ગોઠવાતી સુનંદાના જીવનમાં ઝંઝાવાત આવે છે. પુત્રના મિત્ર શ્રીધર તરફ સુનંદા આકર્ષાય છે. એનાથી નવલકથામાં સંઘર્ષનું તત્ત્વ ઉમેરાય છે. શ્રીધર પ્રત્યેનું આકર્ષણ છે એનાથી દૂર થવાનો સુનંદા ઘણો પ્રયત્ન કરે છે. પણ શ્રીધર તરફના પ્રેમ અને તેને મળવાના તલસાટ સામે એ હારી જાય છે. એ રેસ્ટોરન્ટમાં મળવા જાય છે. ત્યાં જ કાકાની દીકરી તારા મળે છે. પહેલાં તો તારા સ્વીકારવા તૈયાર નથી કે પોતે તારા છે. સુનંદા એનો પીછો કરીને સત્ય સુધી પહોંચે છે. અહીં શરૂ થાય છે તારાના જીવનની સંઘર્ષકથા. ટ્રક ડ્રાઇવરના મૃત્યુ પછી તારાને દેહવ્યાપારમાં જોડાવું પડે છે. એમાંથી એક વિદેશી એને પોતાની સાથે રાખે છે પણ કામ પૂરું થયે પોતાના કુટુંબ પાસે પોતાના દેશ જતો રહ્યો છે. તારાના જીવનની આ કરુણતાને કારણે સુનંદા એને હૂંફ આપે છે. બીજી બાજુ જગમોહનદાસને સુનંદાનું આમ વારંવાર બહાર જવું અજૂગતું લાગે છે. એક વાર એની પાછળ જતાં એમને ખબર પડે છે કે સુનંદા તો કોઈ દેહવ્યાપાર કરનાર સ્ત્રીના ઘરે જાય છે. આ આઘાતમાં હૃદય બંધ થઈ જવાથી જગમોહનદાસનું મૃત્યુ થાય છે. દરમિયાન તારા અસ્થિર થાય છે. જગમોહનદાસનાં સંતાનો સુનંદાને શ્રીધર સાથે લગ્ન કરી લેવાની વાત કરે છે પણ શ્રીધર વિદેશ ચાલ્યો જાય છે. બીજી તરફ સુનંદાને ખબર પડે છે કે, તારાને સીમા નામની દીકરી હોય છે. અંતે સુનંદા સીમાને ઉછેરવાનો અને જગમોહનદાસનાં સંતાનો વિનય અને અમલા સાથે રહેવાનો નિર્ણય કરે છે ત્યાં નવલકથા પૂરી થાય છે. કાકાએ સુનંદાને કહેલા શબ્દો સમગ્ર નવલકથામાં પડઘાય છે. એક નારીનું સમર્પણ અને સહનશીલતા આ નવલકથાનું કેન્દ્રબિંદુ છે. આ નવલકથા લખાઈ ત્યારે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની બોલબાલા હતી. નવલકથા અને ટૂંકી વાર્તામાં ઘટનાહ્રાસ, રચનારીતિના પ્રયોગોની બોલબાલા હતી. આમ છતાં આ નવલકથાના કથાવસ્તુ અને રચનારીતિ પર આધુનિકતાનો એવો કોઈ પ્રભાવ જોવા મળતો નથી. પરંપરાગત નવલકથાની જેમ એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એક રીતે આ નવલકથામાં સુનંદાના પાત્ર દ્વારા પરંપરાગત ભારતીય નારી અને એની સમજણ-સહનશીલતા આલેખાઈ છે.

સુધા ચૌહાણ
પીએચ.ડી.
આસિસ્ટન્ટ પ્રોફેસર,
અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભવિદ્યાનગર, ગુજરાત.