નવલકથાપરિચયકોશ/સીતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૫

‘સીતા’ : સ્વાતિ શાહ

– યોગેન્દ્ર પારેખ
Sita Book Cover.jpg

સ્વાતિ શાહ : ૨૦ એપ્રિલ ૧૯૭૧ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા મુકામે જન્મ. માતા મીનાક્ષીબેન અને પિતા નવનીતલાલ વાસણાવાળા; બંને શિક્ષકો હોવાના કારણે શૈક્ષણિક, સાહિત્યિક, બૌદ્ધિક વાતાવરણનો લાભ સહજ રીતે મળ્યો. મુખ્ય વિષય સંસ્કૃત /અંગ્રેજી સાથે સ્નાતક-અનુસ્નાતક, ઉપરાંત પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યા બાદ; ભાવનગર યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક સંસ્કૃત વિભાગ તથા ગુજરાત સરકારની અખંડ આનંદ તથા કોલવડા આયુર્વેદ કોલેજમાં ઉલ્લેખનીય શૈક્ષણિક સેવાઓ બાદ અમદાવાદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. દૂરવર્તી શિક્ષણપદ્ધતિની અભ્યાસ સામગ્રીનું શૈક્ષણિક લેખન ઉપરાંત, વિવિધ શોધપત્રો દ્વારા ઉલ્લેખનીય સક્રિયતા દાખવનાર ડૉ. સ્વાતિ શાહ કૃત ‘સીતા’ નવલકથા તેમનું પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. ‘મહાભારતનાં નારી પાત્રો’ શોધપ્રકલ્પ અને ‘મારો વાહનયોગઃ સાહસથી સશક્તિકરણની સફર’ નામે હળવી શૈલીનું પુસ્તક તેમના રુચિવૈવિધ્ય અને સજ્જતાનો પરિચય કરાવે છે. ‘સીતા’ પૌરાણિક વિષયવસ્તુ પર આધારિત ચરિત્રકેન્દ્રી નવલકથા છે. સ્વાતિ શાહનું આ પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. વાલ્મીકિ રામાયણના અભ્યાસી હોવાનો લાભ તેમને આ નવલકથાના સર્જનમાં ઉપયોગી થાય છે. તેઓ કહે છે; હજારો વર્ષોથી સીતા આપણને પરિચિત છે જ, તો પછી અત્યારે, ‘સીતા : સ્વીકાર અને ત્યાગની કથા’ લખવા હું શા માટે ઉદ્યત થઈ, આ પ્રશ્ન જો થાય તો મારે કહેવું છે કે જે રામના અયનની કથા મહર્ષિ વાલ્મીકિએ રચી છે, રામના અવતારકૃત્યની કથા છે અને એ કથામાં સીતા સાથે રહેલી છે. મને સીતાને કેન્દ્રબિંદુમાં રાખીને આ આખીયે કથા ફરીથી જોવાની ઇચ્છા થઈ અને સીતા રચાઈ.’ સીતાને કેન્દ્રમાં રાખી પ્રથમ સ્ત્રી એકવચન રીતિ, આત્મકથનાત્મક રીતે આ કથાનું કથન થયું છે. સ્વીકાર અને ત્યાગની કથા સીતમુખેથી કહેવી-સાંભળવી એ પ્રયુક્તિ આ કથાની પ્રથમદર્શી નવીનતા છે. અતિખ્યાત કથાનક અને ચરિત્ર વિશે નવલકથાનું સર્જન એક સાહસ છે. કથાનો પ્રારંભ સીતાના ગોરંભાયેલા મનથી થાય છે. લોકાપવાદના કારણે રામચંદ્ર દ્વારા ત્યજી દેવાયેલી સીતા ઋષિ વાલ્મીકિજીના આશ્રમમાં લવ-કુશ જેવાં પરાક્રમી બાળકોને ઉછેરી રહી છે. કેટલાક દિવસોથી લવ-કુશ, ગુરુજી સાથે જ, ગુરુજીએ રચેલા રામાયણનું ગાન કરવા અયોધ્યાની રાજ્યસભામાં જાય છે. એક દિવસ, ગોધૂલી સમયે આશ્રમમાં પરત ફરેલા ગુરુજી સીતાને કહે છે, “મહારાજ રામચંદ્ર રામકથાના ગાનથી બહુ આનંદિત થયા છે. લવ અને કુશ તેમનાં પોતાનાં સંતાનો છે એ જાણતાં સનેહાર્દ્ર થયા છે... સીતા ...તેઓ તમારો સ્વીકાર કરવા આતુર છે.” આ સાંભળી અયોધ્યા જવા તૈયાર થતી સીતાનો સમૃતિવિહાર અને સ્વ-તંત્ર મનોવિહાર આ કથાનો પ્રાણ છે. પ્રજા સમક્ષ પવિત્રતા સિદ્ધ કરવાની પૂર્વશરત સતી માટે મહાવિસ્ફોટક અને આઘાતજનક છે. સવારે અયોધ્યા જવા પૂર્વે એક રાત્રિનો સમય, સીતાનું મન ફ્લેશબેકમાં, પસાર થયેલા જીવનમાં ફરી વળે છે... “એક જ રાત્રિમાં જાણે પૂરું જીવન પસાર થઈ ગયું અને એ જીવનને આનંદ અને પીડાના વિભાગમાં પણ વહેંચી શકાય એમ ક્યાં છે?” સ્મૃતિવિહાર કરતી સીતાનું મન પવિત્રતા સિદ્ધ કરવાની પૂર્વશરતના આઘાતથી વાજબી અંતર કેળવી આવશ્યક ધૈર્ય અને સ્થિરતાથી કહો કે સ્થિતપ્રજ્ઞતાપૂર્વક એકડે એકથી વાત માંડે છે. સ્વીકાર અને ત્યાગની કથા’ તરીકે લેખિકા ‘સીતા’ને ભાવક સમક્ષ મૂકે છે. રામ કહો કે પુરુષપ્રધાન સમાજમાં સ્વીકાર અને ત્યાગનો નિર્ણય કોણ કરે છે? વરણીનું સ્વાતંત્ર્ય સ્ત્રીને નથી. સતી હોવા છતાં, સત્ત્વશીલ હોવા છતાં નિયતિના ખભે મુકાયેલી બંદૂકની ગોળી સ્ત્રીએ જ ઝીલવાની આવે છે. આવાં વિચાર વલયો કથામાં નિહિત હોવા છતાં આ નારીમુક્તિની, સ્ત્રી-પુરુષ સમાનતાની કે બૌદ્ધિક સ્વાતંત્ર્યની પ્રચારગંધી નવલકથા બનતી નથી એ આશ્વાસન સહજ સર્જકતાથી આસ્વાદ્ય બને છે. ફ્લેશબેકીય સમૃતિવિહારમાં સંડોવાતો ભાવક સીતાની ચૈતસિક ભૂમિકાએથી તેની સ્વાયત્તતાનો મહોદ્‌ગાર પામે છે. સીતાનો અસ્તિત્વબોધ પુરુષપ્રધાનતા સામેના વિદ્રોહ તરીકે નથી. ભવ્ય અયોધ્યાનગરી અને વિશાળ તપોવન સરખી મિથિલા નગરી તથા રાજા દશરથ અને ‘વિદેહ’ રાજા જનક વચ્ચેની તુલના અહીં ભાવક સહજ રીતે પામે છે. જીવનના દરેક પડાવને વિશે ચિંતનશીલ પ્રજ્ઞાથી પુનરાવલોકન કરતી સીતાના માનસપટ પર દરેક ઘટનાનું મૂલ્યાંકન કથારૂપે રજૂ થતું રહે છે. અહલ્યાનો રામ દ્વારા ઉદ્ધાર થયો એ પ્રસંગ રામ પ્રત્યેના સીતાના અનુરાગના પ્રથમદર્શી ચિત્ર તરીકે સાંપડે છે ત્યાંથી જ સીતાને ઓળખવાની ગુરુચાવીની ભાવકને ભાળ મળે છે. સ્વયંવરની શરતનું પાલન કરનારને જ પરણવાનું એવી નિયતિ વિશે સીતાનું આંતરમન તૈયાર નથી. એટલે જ ‘ભવિષ્ય માટેના આનંદનાં સપનાઓ સાથે ભયની ભેળસેળ’ અનુભવતી સીતા; જે પરાક્રમ પુરવાર કરશે તેને જ વરમાળા પહેરાવવાની સ્થિતિ-નિયતિથી સહમત નથી. ‘આખરે હું વીર્યશુલ્કા છું, વ્યક્તિને નહીં; પરાક્રમને વરેલી, શા માટે? કૌશલ્યાને પણ મહારાણીપદ બે સ્ત્રીઓ સાથે વહેંચવું પડ્યું હતું એ વાત પ્રત્યે સભાન સીતા, અયોધ્યાગમનની પૂર્વરાત્રિએ નોખા મિજાજમાં રજૂ થઈ છે.’ રામના ત્રણ ભાઈઓ સાથે સીતાની ત્રણ બહેનોનાં લગ્ન થયાં હતાં એ વિગત પણ અહીં ‘છમાંથી એક પણ સંતાનને એમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ન હતો’ એવા મૌલિક નિરીક્ષણ સાથે આવે છે. રામાયણની ખ્યાત કથા વિશે સીતાનું સ્મૃતિ સાતત્ય અને સંવેદન કથાપ્રવાહને વિના વિઘ્ને, વિના વિલંબે વહેતો રાખે છે. સુવર્ણમૃગનો પ્રસંગ અહીં સીતાની જીદ તરીકે નથી. રામને મન સીતા પ્રાણથી અધિક પ્રિય છે. સીતાના મનોભાવને કળી ગયેલા રામ જ એ બાબત પ્રસ્તાવ મૂકે છે; “મારી ગૃહ સ્વામિનીને કાંચનમૃગની કાંચળી વિશેષ પ્રિય છે, એટલે એ લેવા જવું આવશ્યક છે.” એમ કહેતા રામના સીતા પ્રત્યેના અનુરાગને યથોચિત સ્થાન મળ્યું છે. વનવાસની મધુર સ્મૃતિઓ છે. સંબંધમાં પરસ્પરના સ્નેહની અભિવ્યક્તિ સંયત રીતે અહીં આલેખાઈ છે. રાવણની લંકામાં પોતાને જાત સાથે વાત કરવાની તક મળી છે એવું વિચારતી સીતા શૂર્પણખાના નાસિકાછેદન બાબતે અનેકાંત દૃષ્ટિથી વિચારે છે. લોકાપવાદના કારણે રામે સીતાનો ત્યાગ કર્યો છે એ વાતથી બેખબર સીતા સમક્ષ લક્ષ્મણની લાચારી, નિરુત્તર રહેવા સર્જાયેલા સીતાના પ્રશ્નો, શ્વેતકેતુ, લગ્નસંસ્થા પરંપરા વિશે સીતાનું કથન નવલકથામાં નાટ્યોચિત્ત સંઘર્ષનો વળ આપે છે. હનુમાનજીની લંકામુલાકાત વખતે તેમની સાથે પાછા ફરવું શક્ય હોવા છતાં રામચંદ્રજીના પરાક્રમ થકી જ લંકામાંથી મુક્ત થવાનું પસંદ કરીને સીતા રામનું ગૌરવ જાળવવા જાગૃત છે. સ્વયંવરથી લઈને સગર્ભાવસ્થામાં રાજા દ્વારા ત્યજાયેલી વનવાસી સીતા પરિસ્થિતિજન્ય સ્વીકાર અને ત્યાગમાં અપમાનબોધ અનુભવે છે. પ્રાણપ્રિય પતિને પણ વારંવાર ત્યાગ અને પરીક્ષા લેવાની સ્થિતિથી ઉગારી લેવા છે. ચારિત્ર્યનું પ્રમાણ આપવાની સ્થિતિ, સમગ્ર રાત્રિનું મહામંથન તર્કસંગત અભિવ્યક્તિ પામે છે. અશ્રુસભર આંખે પવિત્રતાની વેદી પર મહામુકિતની યાત્રાએ પ્રયાણ કરતી સીતાનું પરમોજ્જ્વળ ચિત્ર અપૂર્વ છબિ નિર્માણ કરે છે. ‘હવે હું મારી પવિત્રતા સિદ્ધ કરીશ, પરંતુ હું પુનઃ આપના જીવનમાં સ્થાયી થવા ઇચ્છતી નથી.’ આમ કહેતી સીતા ‘ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ’ જેવા પ્રચલિત સમર્પણસૂત્રથી સહજ વિચ્છેદ અનુભવે છે. પ્રાચીન કૃતિને અનુરૂપ ભાષા, મિથિલા, અયોધ્યા, લંકા, પંચવટી, ગુરુ-આશ્રમ આદિનું વર્ણન પ્રતીતિ જન્માવે છે. સુપરિચિત કથાનકને રસપ્રદ બનાવવાનું સહજ રીતે સંભવ થયું છે. નારીકેન્દ્રી અભિગમને વ્યક્ત કરવા માટે આધુનિક વિચારની કાખઘોડીની અહીં જરૂર પડી નથી. સ્ત્રીનું સમર્પણ, સમભાવ, સખ્ય અને સતીત્વ નારીહૃદયની માવજત પામી આત્મસન્માનનો અનુભવ કરાવે છે. આ લખનારે પ્રસ્તાવનામાં આ કથાને ‘સીતાની સ્વાયત્તતાનું અસ્મિતાપર્વ’ કહી ઓળખાવી છે તે સર્વથા યોગ્ય જણાય છે.

યોગેન્દ્ર પારેખ
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
કવિ, નિબંધકાર, ગાંધીકથાકાર, વિવેચક, અનુવાદક,
‘શાશ્વત ગાંધી’ તથા ‘અભિદૃષ્ટિ’ સામયિકના સહસંપાદક
‘મૈત્રીમિલાપ’ ત્રિ-માસિકના પરામર્શક
મો. ૯૯૦૯૯૭૦૨૮૮
Email: yogendra.parekh@baouedu.in