નીરખ ને/પતંજલિ અને મિર્ચા એલિયેડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તર્કના દેખાવા સાથે માણસમાં દ્વૈત ઊભું થયું, અને એ કારણે સતત એ નવા અને નવા ઉકેલો માટે મથતો રહ્યો. તર્કની હસ્તીની અંતર્ગત એના ઇતિહાસની ગતિશીલતા રહી છે જે એને સતત વિકાસ તરફ ધકેલે છે. જીવનને દરેક તબક્કે એ અસંતુષ્ટ અને મૂંઝાયેલો હોય છે, અને આ મૂંઝવણ અને નવા અને નવા ઉકેલો માટે આગળ જવા પ્રેરે છે. માણસમાં પ્રગતિ માટે કોઈ જન્મજાત ઇચ્છાશક્તિ નથી હોતી. પણ એની હયાતીની વિસંગતિ અને એ માર્ગે આગળ ઘપાવે છે. પ્રકૃતિ સાથેનું એકત્વ, એનું સ્વર્ગ ગુમાવી બેસતાં એ શાશ્વત યાત્રી (ઓડિસ્યૂસ, ઇડિપસ, અબ્રાહમ, ફૉસ્ટ) બની જાય છે; ધકેલાતો જાય છે આગળ અને આગળ. પોતાના જ્ઞાનની ખાલી જગ્યાઓ પ્રત્યુત્તરો દ્વારા પૂરવા, અજ્ઞાતને જ્ઞાત બનાવવા એ સતત પ્રવૃત્તિશીલ રહે છે. પોતાનો હિસાબ પોતાને આપવાનો છે, પોતાના અસ્તિત્વને અર્થ આપવાનો છે. એ આંતરિક તડના નિવારણ માટે મથે છે, પૂર્ણતાની બીજા પ્રકારની સંવાદિતાની ઝંખનાથી પિડાય છે જેથી જે શાપે એને પ્રકૃતિથી વિખૂટો પાડ્યો છે, પોતાના બાંધવોથી અલગ પાડ્યો છે એ દૂર થઈ શકે. માણસના અસ્તિત્વની વિસંવાદિતા એના પ્રાણના ઉગમને ક્યાંય ટપી જાય એવી જરૂરિયાતો પેદા કરે છે. આ જરૂરિયાતો પોતાની અને પ્રકૃતિ સાથે ઐક્ય અને સમતુલા સ્થાપવાની ઉત્કટ પ્રબળતામાં પરિણમે છે. પ્રથમ તો માણસ આ એકત્વ અને સમતુલા વિચારમાં સ્થાપવાનો પ્રયાસ કરે છે; એ માટે વિશ્વનું સર્વાશ્લેષી માનસિક ચિત્ર રચી સંદર્ભ-માળખું (Frame of reference) ઊભું કરે છે જેથી પોતાનું સ્થાન શું છે અને એણે શું કરવું જોઈએ એનો જવાબ મળી શકે, પણ આવી વિચાર-પદ્ધતિઓ અપૂરતી છે. માણસ માત્ર અશરીરી બુદ્ધિ હોત તો એનો ઉદ્દેશ સર્વાંગી વિચાર-પદ્ધતિથી સિદ્ધ થઈ શક્યો હોત. પણ એને મન અને દેહ બન્ને હોવાને લીધે એના અસ્તિત્વનો પ્રત્યાઘાત માત્ર મનમાં નહીં, પણ જીવવાની પ્રક્રિયામાં, લાગણીઓમાં અને કાર્યમાં પડતો હોય છે. એણે પોતાના અસ્તિત્વનાં સઘળાં ક્ષેત્રોમાં એકત્વ અને અદ્વૈતની અનુભૂતિ માટે પ્રયત્ન કરવો રહ્યો જેથી એ નવી સમતુલા પ્રાપ્ત કરી શકે. કોઈ ઉદ્દેશ પ્રત્યેની, વિચાર પ્રત્યેની કે કોઈ મનુષ્યને અતિક્રમી જતી શક્તિ – જેમ કે પરમેશ્વર – પ્રત્યેની નિષ્ઠા એ જીવવાની પ્રક્રિયામાં પૂર્ણતા માટેની જરૂરિયાતની અભિવ્યક્તિ છે.

એરિક ફ્રૉમ



પતંજલિ અને મિર્ચા એલિયેડ

આજનો વિજ્ઞાની સત્ની શોધમાં આપણા રોજિંદા અનુભવ-જગતથી ઘણો દૂર નીકળી ગયો છે. એ જે ઘટનાઓનો અભ્યાસ કરે છે તે પૃથ્વી પર નૈસર્ગિક રીતે બનતી નથી; જો કે બ્રહ્માંડમાં અન્ય સ્થળે એ રોજિંદા બનાવો છે. આવી ઘટનાઓના પ્રયોગોમાં વિજ્ઞાની ગણિતશાસ્ત્રીની મદદ લે છે. માનવીની કલ્પના એકાએક સ્વીકારી ન શકે એવી ગણિતશાસ્ત્રીઓની આગાહીઓ વિજ્ઞાનીના પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ છે. આથી વિજ્ઞાનજગતમાં ગણિતશાસ્ત્રીઓની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ છે. આખરે જ્યારે બ્રહ્માંડની મૂળ આધારશીલા હાથ લાગશે ત્યારે એનાં લક્ષણો શાં હશે એ પ્રશ્નના જે જવાબો ગણિતશાસ્ત્રીએ આપ્યા છે તેમાં વિજ્ઞાનીને રસ છે. ગણિતશાસ્ત્રીનાં સમીકરણો દર્શાવે છે કે મૂળભૂત સત્ કાં તો શૂન્યવત્ બિન્દુ હશે અથવા સર્વવ્યાપી તત્ત્વ હશે. આથી વિજ્ઞાનીઓને બૌદ્ધ દર્શનના શૂન્યમાં કે અદ્વૈત-વેદાન્તના બ્રહ્મમાં રસ જાગ્યો છે. શ્રી રોહિત દવેએ આ વાત ‘શાંકરવેદાન્ત, બૌદ્ધદર્શન અને વિજ્ઞાન’ના એમના લેખ (ફા. ગુ. સ. ત્રૈમાસિક, અંક ૧, ૧૯૮૪)માં ખૂબ વિશદતાથી સમજાવી છે. મિર્ચા એલિયેડ કહે છે કે મોડું કે વહેલું પશ્ચિમી મનને પૌર્વાત્ય પરંપરાઓ સાથે વૈચારિક ભૂમિકા ઉપર ટકરાવવું પડવાનું છે. અને એ કહે છે કે ધારો કે એક દિવસ એવો આવે Non-western peoples become radically westernised even then the encounter and comparison with the authentic traditions of non-western world could not be avoided અને આ અભ્યાસ પશ્ચિમે ખૂબ આદરપૂર્વક કરવો જોઈએ એમ પણ એલિયેડે ભલામણ કરી છે. એલિયેડની આ ભલામણ આપણા પશ્ચિમીકરણ પામેલા વિદગ્ધ બુદ્ધિજીવીઓને પણ લાગુ પાડી શકાય. ઉપરાંત આપણામાં એક બીજું પણ દૂષણ જ્ઞાતપણે કે અજ્ઞાતપણે રહ્યું છે તે ગુલામી મનોદશાનું છે. આપણાંમાંનાં કેટલાં વિદગ્ધ જીવો અવિદગ્ધ જ્ઞાની પુરુષ પાસે બેસી જ્ઞાન મેળવવાનું પસંદ કરશે? જો કે અહીં જીર્ણોદ્વાર (Revivalism) અભિપ્રેત નથી. માત્ર પૂરતી જિજ્ઞાસા અને ખુલ્લા દિલે પરંપરાઓ આત્મસાત્ કરીએ એટલું જ કહેવું છે. મિર્ચા એલિયેડ ભારતમાં વર્ષો સુધી રહ્યા છે અને હિમાલયમાં ખૂબ ભમ્યા છે. ભારતની પરંપરા આત્મસાત્ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. ‘ન હન્યતે’ નવલકથાના ત્રેવીસ વર્ષનો નાયક મિર્ચા બત્રીસ-તેત્રીસ વર્ષની સ્ત્રીને મા કહીને સંબોધી શકાય એથી આશ્ચર્ય પામતો, એ ભૂમિકાથી ઘણાં દૂર નીકળી ભારતીય પરંપરાઓને સરસ રીતે ગ્રહણ કરી શક્યા છે એમ એમનું પુસ્તક ‘પતંજલિ એન્ડ યોગ’ વાંચતાં લાગ્યા વગર રહેતું નથી. એની સામે ‘Speaking Tree’ પુસ્તકમાં રિચાર્ડ લેનોય ગુરુ-શિષ્ય સંબંધના પ્રકરણમાં ભારતીય દર્શન-જગતની આબોહવા પૂરી ઝીલી શક્યા નથી એમ કહેવું પડે. એલિયેડ કહે છે કે બીજાઓ સાથેના કન્ફ્રન્ટેશનથી પશ્ચિમી માનસ પોતાને વિશેની સમજ વધારશે, અને એની ચેતનાને સમૃદ્ધ કરશે. અચેતનની શોધે પશ્ચિમી માણસને પોતાની સન્મુખ થવાની ફરજ પાડી, તો પશ્ચિમ સિવાયની અન્ય સંસ્કૃતિઓનો મુકાબલો એને માનવીય આત્માના ઇતિહાસમાં ખૂબ ઊંડે જવા પ્રેરશે અને આવો ઇતિહાસ એની પોતાની હસ્તીનો અંતર્ગત ભાગ છે એવી પ્રતીતિ કરાવશે. એલિયેડે ‘પતંજલિ ઍન્ડ યોગ’માં યોગની પ્રક્રિયાને સવિસ્તર, પતંજલિના ‘યોગસૂત્ર’ને પાયામાં રાખી, બૌદ્ધદર્શન, તન્ત્ર, હઠયોગ, વેદાન્ત અને ગીતાના સંદર્ભમાં તપાસી છે. એ કહે છે કે યોગ ભારતીય અધ્યાત્મનું એક વિશિષ્ટ પરિમાણ છે. તે એટલે સુધી કે જ્યારે ખ્રિસ્તી ધર્મ ભારતમાં પ્રસર્યો ત્યારે એમણે પણ ધ્યાન અને પ્રાર્થના માટે કેટલીક યોગિક પદ્ધતિઓ અપનાવી હતી. આજે પણ ભારતીય વિજ્ઞાનીઓ ક્યારેક તદ્દન અભાનપણે એકાગ્રતા લાવવા માટે યોગિક ટેક્નિકનો ઉપયોગ કરે છે. એવી એકેય ભારતીય આધ્યાત્મિક ચળવળ નથી જેને કોઈ ને કોઈ યોગના પ્રકારનો આધાર ન હોય. યોગ ભારતીય મનનું વિશિષ્ટ પરિમાણ છે. ઉપનિષદના કાળથી ભારત સમક્ષ મોટો પ્રશ્ન માનવીય અવસ્થાની સંરચના (Structure of human condition) રહ્યો છે. અનન્ય શિસ્તથી ભારતના તત્ત્વચિંતકોએ માણસની વિવિધ કંડિશનિંગનું (માનસપલટો) વિશ્લેષણ કર્યું છે. પણ આ વિશ્લેષણ પાછળ માણસનો કોઈ ચોક્કસ સુસંગત ખ્યાલ ઊભો કરવાનો એમનો ઉદ્દેશ નહોતો. દૃષ્ટાંતરૂપે ૧૯મી સદીના યુરોપમાં એમ મનાતું કે માણસને વંશપરંપરાગત કે સામાજિક કંડિશનિંગથી સમજી શકાય. ભારતીય વિશ્લેષણનો ઉદ્દેશ આ કંડિશનિંગની પાર કોઈ વસ્તુ હસ્તી ધરાવે છે કે નહીં એ જાણવાનો હતો. એટલે જ Depth Psychologyના આગમનના ઘણા કાળ પૂર્વે ભારતીય ઋષિઓ અને તપસ્વીઓ અચેતનના ધૂંધળા વિસ્તારોની શોધખોળ કરવા પ્રેરાયા હતા. એમણે બતાવી આપ્યું હતું કે ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસરો ઉપર પ્રભુત્વ મેળવવું પ્રમાણમાં સહેલું હતું, પણ વૈરાગીઓ અને તપસ્વીઓના જીવનમાં મોટા અવરોધો અચેતનની ક્રિયાઓમાંથી, સંસ્કારો અને વાસનાઓમાંથી ઊભા થતા હતા. કેટલીક આધુનિક મનોવૈજ્ઞાનિક ટેક્નિકોનું એમને પૂર્વજ્ઞાન હતું. પણ એમાં એનું મૂલ્ય નથી. એનું મહત્ત્વ એમણે ટેક્નિકોનો ઉપયોગ માણસને ડિંકંડિશનિંગ કરવામાં કર્યો એમાં રહેલું છે. કંડિશનિંગની પદ્ધતિઓનું માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો એમનો ઉદ્દેશ નહોતો. પણ એના ઉપર પ્રભુત્વ મેળવવાની એમની નેમ હતી. યોગ કઈ રીતો વડે આ બાબતમાં આશ્ચર્યકારક પરિણામો લાવવા ધારે છે એ અત્યંત રસનો વિષય છે. પતંજલિ પહેલાં ઘણા સમર્થ યોગીઓ થઈ ગયા, પણ એમને વિશે આપણે કંઈ જાણતા નથી. એમનાં નામ પણ ખબર નથી. પતંજલિ પણ આમ કંઈ ઓછા દંતકથાના પાત્ર નથી, પણ સૌ પ્રથમ યોગ ઉપર પદ્ધતિસર પ્રબંધ – ‘યોગસૂત્ર’ એમણે લખ્યો એમ મનાય છે. એટલે એલિયેડ કહે છે કે એમણે પુસ્તકના શીર્ષકમાં પતંજલિનું નામ રાખ્યું. કેટલાક ભાષ્યકારો ‘યોગસૂત્ર’ના પતંજલિ અને પાણિની ઉપર ‘મહાભાષ્ય’ લખનાર પતંજલિને એક માને છે. પતંજલિની તાત્ત્વિક ભૂમિકા પુરુષ અને પ્રકૃતિના ભેદ ઉપર રચાયેલી સાંખ્યની છે. પણ સાંખ્યની જેમ એ અનિરીશ્વરવાદી નથી. ઉપરછલ્લી રીતે પણ યોગે ઈશ્વરની હસ્તી સ્વીકારી છે. વેદાન્તની જેમ પતંજલિએ જગતને માયા નથી ગણ્યું છતાં જેમ જેમ અજ્ઞાન દૂર થાય અને આત્મસાક્ષાત્કાર થતો જાય તેમ જગત અસત્ય ભાસતું જાય. ઉપનિષદના કાળથી ભારતને જગત ક્ષણિક, દુઃખમય અને માયારૂપ લાગ્યું છે. છતાં આ સંપ્રત્યય નિરાશાવાદ કે Nihilism તરફ નથી લઈ જતો. જગતને ભલે નકાર્યું હોય, જીવનનું અવમૂલ્યન કર્યું હોય, પણ બીજું કંઈક હસ્તી ધરાવે છે જે સમયની પર, દુઃખની પર, અવિકારી છે. જ્યાં સાંખ્ય સમાપ્ત થાય છે ત્યાંથી પ્રશિષ્ટ યોગની શરૂઆત થાય છે. પતંજલિએ સાંખ્યનો પૂર્ણપણે સ્વીકાર કર્યો ખરો, પણ એમણે એમ ન માન્યું કે માત્ર અધ્યાત્મજ્ઞાન માણસને મુક્તિ તરફ દોરી જશે. મુક્તિ માટે તો ધ્યાન વગેરેની ઉત્કટ સાધના જોઈશે. સાંખ્યની જેમ યોગનો ઉદ્દેશ સ્વાભાવિક (નોર્મલ) ચેતના મિટાવી તદ્દન ગુણાત્મક રીતે જુદી ચેતના પ્રાપ્ત કરવાનો છે, પણ આ નોર્મલ ચેતનાને મિટાવવી સહેલી નથી. તત્ત્વદર્શનની સાથે સાથે અભ્યાસ અને તપની જરૂર છે; દૈહિક ટેક્નિકો અજમાવવાની જરૂર છે. પતંજલિની યોગની વ્યાખ્યા છે : ‘ચિત્તને નાના પ્રકારની વૃત્તિઓ ધારણ કરતું અટકાવવું અને યોગ કહે છે.’ – the abolition of states of consciousness. મનોવ્યાપારનું વિશ્લેષણ કરતાં પતંજલિએ શોધી કાઢ્યું કે ચિત્તવૃત્તિઓ ઊભી કરવા પાછળ પાંચ ક્લેશો – ૧. અવિદ્યા, ૨. અસ્મિતા (અહંકાર), ૩. રાગ, ૪. દ્વેષ, ૫. અભિનિવેશ (દૈહિક જીવનને વળગી રહેવાની વૃત્તિ). આ ચિત્તવૃત્તિના બધા વર્ગો ક્લેશમય છે. એટલે માનવીય અનુભૂતિ પણ તત્ત્વતઃ ક્લેશમય છે. યોગ જ વૃત્તિનો નિરોધ અને દુઃખનું નિવારણ શક્ય બનાવે છે. આથી યોગીઓએ વૃત્તિઓ સાથે કામ પાડવાનું છે. માત્ર અજ્ઞાન દૂર કરવું પૂરતું નથી, કારણ કે વર્તમાન વાવંટોળો કાઢી પણ નાખવામાં આવે તો એની જગ્યાએ તરત જ બીજા આવી ઊભા રહી જશે. અવચેતનના ગંજાવર ભંડારોમાં દટાયેલી પડેલી સુપ્ત વાસનાઓ આ વાવંટોળો પેદા કર્યા કરશે. વાસનાની વિભાવના યોગના મનોવિજ્ઞાનમાં કેન્દ્રનું સ્થાન ધરાવે છે. વાસનાઓનું મૂળ સ્મૃતિમાં છે. Life is a constant discharge of vasanas that manifest themselves through the vrtti. These vasanas condition the specific character of every individual; and this conditioning conforms as much to his heredity as to his Karma... it is only through Yoga they can be known, controlled and burned out. મનોવિશ્લેષણના ઘણા કાળ પહેલાં યોગે અવચેતન (વાસના) કેવું મહત્ત્વનું ભાગ ભજવતું હતું તે બતાવ્યું છે. અવચેતનની વિશિષ્ટ ગતિશીલતામાં જ યોગને ગંભીર અવરોધ લાગ્યો છે, અને દૂર કરવા યોગ્ય લાગ્યો છે, કારણ કે સુપ્ત વાસનાઓને હંમેશ પ્રકાશમાં આવવું હોય છે, ચેતનાની અવસ્થાઓ બનવું હોય છે. અવચેતનને ત્યાગ અને વૈરાગ્યની કોઈ પણ ક્રિયા પરવડતી નથી; એટલે એનો પ્રતિકાર કરે છે. અવચેતન જાણે કે ભયભીત થઈ ઊઠે છે કે અપ્રગટ સુપ્ત વાસનાઓ પ્રગટીકરણ પામતાં પહેલાં જ નાશ પામી જશે. મિર્ચા ઍલિયેડ અંતમાં કહે છે કે આપણે યોગ અને મનોવિશ્લેષણની સાદૃશ્યની વાત કરી રહ્યા છીએ. બન્ને વચ્ચે થોડા અપવાદો બાદ કરતાં તુલના થઈ શકે એમ છે. એ અપવાદો જો કે વધુ યોગની તરફદારી કરનારા છે. ફ્રોઇડના મનોવિશ્લેષણથી યોગ એ રીતે ભિન્ન છે કે યોગ અવચેતનમાં માત્ર કામવાસના (libido) નથી જોતું; અવચેતન અને ચેતનાને જોડતી સર્કિટને એ પ્રકાશમાં લાવે છે; અને તેથી એ અવચેતનને અહંના આશયો, ગતિઓ અને ક્રિયાઓનું ગર્ભસ્થાન અને ગ્રહણ કરનાર (રેસિપિયન્ટ) માનવા પ્રેરાય છે. બીજી રીતે કહીએ તો વધુ ને વધુ તૃપ્તિ, ફલતૃષ્ણાનું અવચેતન ઉપર પ્રભુત્વ છે. વળી બીજી રીતે પણ યોગ મનોવિશ્લેષણથી ભિન્ન છે. યોગ માને છે કે વીતરાગતાથી અવચેતન ઉપર પ્રભુત્વ મેળવી શકાય, અને ચેતનાની અવસ્થાઓ(states)ને એકત્ર કરી એને જીતી પણ શકાય. પૂર્વની મનોવૈજ્ઞાનિક અનુભૂતિ પશ્ચિમની અનુભૂતિ કરતાં વધુ વિસ્તૃત અને સુગ્રથિત છે. સંભવ છે કે આ મુદ્દા ઉપર પણ યોગ સાચો ઠરે કે અવચેતનને – ગમે એટલું વિરોધાભાસી લાગે તોપણ – જાણી શકાય છે, એના ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે અને જીતી શકાય છે. ભારતની સૌથી મોટી શોધ એ ચેતનાને સાક્ષીરૂપે જોવાની છે. મોક્ષ એ ભારતનાં તમામ દર્શનોનું અને રહસ્યવાદી ટેક્નિકોનું લક્ષ્ય છે. પણ સૌથી વધુ તો ભારત માને છે કે યોગ દ્વારા, યોગના અનેક પ્રકારો દ્વારા એ લક્ષ્ય સિદ્ધ થઈ શકે. તદ્દન પરાઈ સંસ્કૃતિના મિજાજને, એના આત્માને સમભાવ, સમજણ અને આદરપૂર્વક રજૂ કરનાર પશ્ચિમી મન દાદ માંગી લે છે.


[મે, ૧૯૮૪