પરમ સમીપે/૯૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૯૩

પ્રભુ, મને એક એવો પુત્ર આપો, જે
પોતાની દુર્બળતાને જાણે એટલો બળવાળો હોય
અને ભયભીત થાય ત્યારે પોતાનો સામનો કરી શકે
એટલો પરાક્રમી હોય!
સાચી હારમાં એ ગૌરવ અનુભવે અને સ્થિરચિત્ત બની રહે
વિજયમાં એ વિનમ્ર અને સુશીલ બને.
પ્રભુ, મારા પુત્રને એવો બનાવજો કે
જ્યારે એના સામર્થ્યની જરૂર હોય ત્યારે એ સ્વાર્થ ન સાધે;
મારો પુત્ર તમને જાણે, અને એને એ વાતની પ્રતીતિ
થાય કે, પૂર્ણજ્ઞાન સુધી લઈ જતી સીડીનું પહેલું સોપાન
તે પોતાની જાતનું જ્ઞાન છે.
હે ભગવાન, આરામ અને અનુકૂળતાનાં ફૂલો
પથરાયાં હોય, એવા રસ્તે એને ન મોકલતા,
એને પડકાર, સંઘર્ષ અને
કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતાં શીખવજો.
એ રસ્તા પર આંધી ને તોફાન આવે
ત્યારે એ સ્થિર રહેતાં શીખે, અને
આ વાવાઝોડાંમાં જેઓ ધરાશાયી બન્યાં હોય
એમના પ્રત્યે એની કરુણાનો સ્રોત વહે.
મારા પુત્રનું હૃદય સ્વચ્છ અને નિર્મળ હજો, પ્રભુ!
અને એનો ઉદ્દેશ મહાન હોજો.
બીજાઓ પર પ્રભુત્વ મેળવવાની આકાંક્ષા જાગે
એ પહેલાં એ પોતાના પર કાબૂ મેળવે.
એ દિલ ખોલીને હસતાં શીખે
અને એની આંખો ક્યારેક આંસુથી સજળ પણ બને,
એની દૃષ્ટિ ભવિષ્યની ઝાંખી કરી શકે
ને વીતેલા સમયને પણ જોઈ શકે.
મારી અંતિમ પ્રાર્થના એ છે, ઈશ્વર!
કે એને થોડી વિનોદવૃત્તિ પણ આપજો
જેથી એ હંમેશ ગંભીર બની રહી, પોતાની જાત તરફ
અનુદાર ન બને;
એને વિવેકી બનાવજો
જેથી એ સાચી મહત્તાની સરળતાને,
બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે.
આમ જો બનશે, તો મારી વાણી
કૃતજ્ઞ થઈ ધીમા સ્વરે કહેશે :
“મારું જીવન એળે નથી ગયું.”

અજ્ઞાત
[પિતાની પ્રાર્થના]