પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬
૨૬મું અધિવેશનઃ મદ્રાસ
સાહિત્યની ગંગોત્રી
(૧)

ભારતીય સંસ્કૃતિ જ્યાં વધુમાં વધુ પ્રમાણમાં સચવાઈ રહી છે એવી મંદિરોની આ તીર્થભૂમિમાં, ભારતના સુદૂરના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાતના સાહિત્યકારોનું સમ્મેલન ભરાય એ કેવો મંગલ યોગ છે! છેક પ્રાચીનકાળથી આપણી ચેતનામાં વિકસતી રહેલી આપણા વૈવિધ્યસભર ઉપખંડની સાંસ્કૃતિક એકતાની ભાવના અહીં અનુભવાય છે. જે ભૌગોલિક સીમાઓમાં આ એકતાનું સર્જન થયું છે તેનો વિષ્ણુપુરાણમાં આ પ્રમાણે ઉલ્લેખ છેઃ

उत्तरं यत् समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।

બહુ જૂના કાળથી આજ સુધી આખા ભારતમાં

गंगे च यमुने चैव गोदावरि सरस्वति ।
नर्मदे सिन्धु कावेरि जलेडस्मिन् सन्निधिं कुरु ।।

એમ સ્નાન કરતી વખતે ભારતની મહાન નદીઓની સ્તુતિ કરતાં ભાવિકો ભારતની એકતા અનુભવે છે. એ એકતાનો આજે અહીં આવતાં જે સાક્ષાત્કાર આપણે કરીએ છીએ તે આપણા જીવનનું એક મીઠું સંભારણું બની રહેશે. આ તીર્થભૂમિમાં પગ મૂકતાં આપણે અનુભવીએ છીએ કે ભારતને એના મહાન આચાર્યોની ભેટ આપનાર એક મોટા સારસ્વતક્ષેત્રમાં આપણે છીએ। એ પરંપરા ડૉ. રાધાકૃષ્ણન્ જેવા મનીષી દ્વારા આજપર્યંત જળવાઈ રહી છે. એ જ પ્રમાણે અહીં આવતાં આપણા મુક્તિસંગ્રામના એક લોકપ્રિય કવિને આપણી સાહિત્યપરિષદના એક ભૂતપૂર્વ પ્રમુખ અરદેશર ફરામજી ખબરદારની ભાવભીની સ્મૃતિ આપણા ચિત્તને ભરી દે છે, ને

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

એ એમનું દર્શન, એની સાર્થતા સાથે આપણી કલ્પનાને સભર બનાવે છે. અહીંની સ્વાગતસમિતિએ બહુ ઉચિત રીતે આપણા એ દિવંગત કવિની સ્મૃતિ આ પ્રસંગ સાથે ગૂંથી લઈ આપણા સૌની કૃતજ્ઞતાને મૂર્ત કરી છે. આ પ્રદેશની તમિળ ભાષા ભારતની પ્રાચીનતમ અને સમૃદ્ધ ભાષાઓ પૈકીની એક છે. સંસ્કૃત ભાષાએ પણ એમાંથી ઘણું ઉછીનું લીધું છે. સુબ્રમણ્યમ્ ભારતી જેવાં કવિરત્નોની સરસ્વતીથી એ ભાષા દીપ્તિમતી બની છે. વળી એ પણ એક નોંધપાત્ર ઘટના છે કે આ પ્રદેશના શ્રી રાજાજી જેવા સમર્થ રાજનીતિજ્ઞો અક્ષરની આરાધના પણ કરતા રહે છે. અહીંના મુખ્યમંત્રી શ્રી કરુણાનિધિ પણ આવા જ એક સારસ્વત છે; અને આપણા સંમેલનનું ઉદ્‌ઘાટન એમના જેવા અક્ષરના ઉપાસકનેતાને શુભ હસ્તે થાય એ ઘણા આનંદની વાત છે. તમિળભાષી આ પ્રદેશમાં આજે રાજ્યપાલના પદે એક ગુજરાતી છે એ ઘટના આમ તો આપણા દેશની રાજકીય વ્યવસ્થામાં અસાધારણ નહિ લેખાય, પણ અહીં આ પદે પાંચ વર્ષ રહેવાની ગણતરીથી આવેલા આપણા શ્રી કે. કે. શાહ તમિળભાષી બનવાના સંકલ્પ સાથે આવ્યા, ને જોતજોતામાં એ ભાષામાં એમણે કૌશલ્ય પણ મેળવી લીધું છે, એ નોંધપાત્ર બીના છે. આ સંમેલન અહીં ભરાય તે માટે પ્રોત્સાહન ને સતત પ્રેરણા આપી, એની પ્રત્યેક વિગતમાં સક્રિય રસ લઈ એમણે પરિષદ માટે પૂરી આત્મીયતા દાખવી છે. આપણું આ સંમેલન યુદ્ધને લઈને મુલતવી રહ્યા પછી જે કંઈ બની ગયું છે તેણે, કજળતી જતી માનવચેતના સમક્ષ, શ્રદ્ધાનાં નવાં દ્વાર આપણી અને અન્ય પ્રજાઓ માટે ખોલી આપ્યાં છે. આપણી પ્રજાની એ ગૌરવગાથા માટે આપણા રાષ્ટ્રની અડગ સંકલ્પશક્તિ અને દક્ષ આયોજન તથા આપણા જવાનોનાં વજ્ર સામર્થ્ય, ભવ્ય ત્યાગ અને બલિદાનના આપણે આભારી છીએ. પ્રેમ અને બંધુતાથી ભરેલા નવા જગતના સર્જન માટે પ્રતિજ્ઞાબદ્ધ એવા આપણા રાષ્ટ્રને વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાની જે કડવી ફરજ બજાવવી પડી તે ન્યાય, ધર્મ અને માનવતાની રક્ષાની ધર્મભાવના વિના આપણે બજાવી શક્યા ન હોત. આવા કપરા પથમાં આપણને પૂરા આત્મવિશ્વાસ સાથે અને સુદૃઢ પગલે દોરવા માટે આપણે ભગવાન મહાકાળના ઋણી છીએ. તાંડવ દ્વારા શિવનું સર્જન કરતા એ નટરાજને વિનમ્ર હૃદયે આપણી ભાવભરી વંદના હો!

(૨)

દર બે વર્ષે જ્યારે આપણે એક વખત ગુજરાતમાં અને બીજી વખત ગુજરાત બહાર આપણું સંમેલન યોજીએ છીએ ત્યારે આપણા કાર્યપ્રદેશ અને આપણી સિદ્ધિઓ ને મર્યાદા તથા ઊણપોનું ચિત્ર મંત્રીઓ રજૂ કરતા હોય છે, એટલે એ અંગેની વિગતોમાં અહીં નહિ ઊતરતાં આપણે સહુ સાથે મળી, આપણે બે વર્ષ પછી ફરીથી મળીએ તે દરમ્યાન આપણે કરવા જેવું શું શું છે તેનો એક અછડતો ઉલ્લેખ કરી લઈએ. પહેલા સાહિત્ય-સંમેલનના પ્રમુખ ગોવર્ધનરામે પરિષદનો હેતુ સમજાવતાં જણાવેલું કે, ‘ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું.’ આ હેતુ સિદ્ધ કરવા પરિષદ આજ સુધી મથતી રહી છે. સાહિત્યનો વિસ્તાર વધારવા ગુજરાત અને ગુજરાત બહાર પરિષદનાં મૂળ ફેલાવી અનેક તેજસ્વી વિદ્વાનોને પરિષદના મંચ પર એકઠા કરવા એ પ્રયત્નશીલ રહે છે. અગાઉ માત્ર સંમેલન મળતું તેનો વિસ્તાર કરી એક વર્ષ સંમેલન, તો બીજે વર્ષે જ્ઞાનસત્ર એવી પ્રણાલી એણે અપનાવી છે. એને પરિણામે આપણા સાહિત્યક્ષેત્રે ઘણા નવા નવા વિદ્વાનોની શક્તિનો આપણને લાભ મળવા માંડ્યો છે. વળી જ્ઞાનસત્ર ગ્રામવિસ્તારમાં ભરાય ને નેમ પોતાની સમક્ષ રાખી પરિષદ ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાહિત્યનો વિસ્તાર વધારવો’ અને ‘સાહિત્યને લોકપ્રિય કરવું’ એ ધ્યેયને પાર પાડવાની દિશામાં સક્રિય પગલાં ભરતી રહી છે. હવે જ્ઞાનસત્રના આયોજન પાછળ રહેલી દૃષ્ટિનો વિસ્તાર કરી ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ સ્થાનિક જ્ઞાનસત્રો દર વર્ષે એવી રીતે યોજવાં જોઈએ કે દર ત્રણેક વર્ષે ગુજરાતના બધા જિલ્લાઓમાં સ્થાનિક જ્ઞાનસત્રો વારાફરતી યોજાતાં રહે. શિક્ષણના વધી રહેલા વિસ્તારથી નાનાં નાનાં જ્ઞાનસત્રો માટેની સારી એવી ભૂમિકા સર્જાવાની શક્યતાઓ હોવાથી યુવાન સારસ્વત પેઢીની શક્તિનો આપણા લોકોને લાભ મળશે અને પરિષદનાં મૂળ આખા ગુજરાતમાં ફેલાશે. આમ એક-બે દાયકામાં, સાહિત્ય, જે આજે મૂઠીભર લોકોની પાસે જ જળવાયું છે, તે બહુજનસમાજ સુધી પહોંચવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. આ જ પ્રમાણે આપણા સાહિત્યની કાયાપલટ થઈ રહી છે તેની પૂરી સભાનતા ને સમજ આપણા પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી કક્ષા સુધીના અધ્યાપકોમાં આવે ને તે તાજી ને તાજી રહે એ દૃષ્ટિએ આપણી છયે યુનિવર્સિટીઓ ને સરકારના શિક્ષણ-સચિવાલયના સહકારથી પરિષદ દર વર્ષે પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટીના અધ્યાપકો માટે ગુજરાતી ભાષાસાહિત્યશિક્ષણની ગ્રીષ્મ સંસ્થાઓ ચલાવે, એ વખતે પાઠ્યપુસ્તકોનું મૂલ્યાંકન પણ થાય, ને અનુભવોની આપલે થાય તો પરિષદ પોતાની નેમ પાર પાડવામાં બહુ મહત્ત્વનું પગલું ભરી શકે. સાહિત્યને વધુ લોકપ્રિય બનાવવા માટે પરિષદ સમક્ષ જે વિશાળ કાર્યક્ષેત્ર છે તેનો આપણને ખ્યાલ આવે તે પૂરતાં જ આ ઉદાહરણો છે.

(૩)

ગોવર્ધનરામે વ્યક્ત કરેલી બે નેમો પૈકી ‘સાહિત્યનો વિસ્તાર’ માપવા માટે ગ્રંથપ્રકાશનો તરફ નજર કરવાની હોય તો એમાં ઘણું સારું તેમજ નરસું પણ સર્જાઈ રહ્યું છે. પરિષદે પોતે પણ પ્રકાશનપ્રવૃત્તિ હાથ ધરેલી છે; પણ ‘સાહિત્યનો વિસ્તાર વધારવો’ અને ‘સાહિત્યને લોકપ્રિય કરવું’ એ બે નેમ ભેગી લેતાં ‘વિસ્તાર’થી જે અભિપ્રેત છે તેમાં સાહિત્યની ગુણવત્તા વધવા સાથે એના ભાવકોનું ક્ષેત્ર પણ વિસ્તરતું જ રહે એ અપેક્ષિત છે. એ ત્યારે જ બને જ્યારે એનામાં લોકપ્રિય બનવાની ક્ષમતા હોય. આજે ‘સાહિત્ય’ અને ‘લોકપ્રિયતા’ એ લગભગ વિરોધાભાસી શબ્દો બની ગયા છે. એથી તો કોશિયાઓ પણ માણી શકે એવું સાહિત્ય સર્જવાની વિદ્વાનોને વિનંતી કરવા ગાંધીજી પ્રેરાયા હતા. આ વિનંતી પાછળ ગાંધીજી ‘સાહિત્ય’ શબ્દથી શાનું સૂચન કરતા હતા? એ પોતે સાહિત્યના સારા એવા મર્મી હતા. એમનાં લખાણમાં અનેક વખતે સાહિત્યની છટાઓ સહજ વ્યક્ત થતી, એટલે જ્યારે લેખકોને એમના જેવા મનીષી વિનંતી કરે ત્યારે લેખકો પોતાના સાહિત્યનાં ધોરણો કે મૂલ્યોને ભોગે કવિકર્મ કરે એવી એમની દૃષ્ટિ હોઈ શકે જ નહિ. સાહિત્ય એટલે સમયના દર્પણમાં પડતા શાશ્વતીના પ્રતિબિંબે લાધતી, રસાનુભૂતિએ પ્રેરેલી, સમયને અતિક્રમતી વાણી. માનવજાત પોતાના કવિઓ દ્વારા આવી વાણીનું સર્જન યુગાન્તરોથી કરતી આવે છે. એ પરંપરા છેક ગઈ કાલ સુધી ચાલુ હતી. સમયને અતિક્રમતી નરસિંહ, મીરાં, પ્રેમાનંદ આદિની રસાનુભૂતિપ્રેરિત વાણી આજ પણ એના નવનવોન્મેષ સાથે આપણા રસાત્માને પ્રસ્પંદિત કરે છે. હું સમજું છું ત્યાં સુધી ગાંધીજી જ્યારે લેખકોને પોતાના દિલની વાત અને દર્દ જણાવતા હતા ત્યારે તેમની કલ્પનામાં આથી લેશમાત્ર ઓછું ન હતું. છેક દયારામ સુધી આપણે ત્યાં આ પરંપરા એના અનેક નામી-અનામી કવિઓએ સારી રીતે જાળવી રાખી હતી, અને મોટે ભાગે અક્ષરજ્ઞાનથી વંચિત આપણો બહુજનસમાજ સંસ્કૃતિનાં અજવાળાંમાં વિહરતો હતો. એમાં જેમ પુરુષો તેમ સ્ત્રીઓનો પણ મહત્ત્વનો ફાળો હતો, અને તેમની પાસેથી ઉપનિષદોની વાણીનું સ્મરણ કરાવે એવું ઘણું આપણને મળતું રહેતું. ઉદાહરણ તરીકે ગંગાસતીની આ એક પંક્તિ જુઓઃ

‘વીજળીને ઝબકારે મોતી પરોવવું હો પાનબાઈ.’

આવી આર્ષવાણી આજે આપણે જેમને ‘એલિટ’ નામે ઓળખીએ છીએ તે ભદ્ર લોકની જ અનામત નહિ પણ બહુજનની પણ અણમોલ સંપત હતી.

(૪)

બહુજનસમાજથી પોતાને નોખો લેખનાર આજના જેવો ‘વાચક’ એ સમાજે સર્જ્યો ન હતો; પણ આજનો વાચક જે કાવ્યાનંદ ઝંખે છે તેવી ઝંખના એ સમાજમાં સૌ કોઈને રહેતી. એ સમાજનો પ્રત્યેક જણ સાંભળવા આતુર અને પોતે જે કંઈ સાંભળતો તેનો પોતાનાથી બની શકે તેવો બદલો વાળવા તત્પર એવો મુગ્ધ ‘શ્રોતા’ હતો. જે જગતમાં તે રહેતો તે તેને અજાણ્યું ન હતું. તેમાં તેને અખૂટ રસ હતો. તેના મનોરથો, તેની આશા, આકાંક્ષા, તેની ચિંતા ને ભીતિઓ, તેના રાગદ્વેષ, તેના ઉત્સવો, તેના મેળા, તેનાં મનોરંજન, નાચગાન, વાર્તાપુરાણ, વાણીવિલાસ, કલ્પનાવિહાર, ઊર્મિઓ ને ઉન્મેષ, ને એવું એવું ઘણું બધું તેના શ્વાસોચ્છ્‌વાસરૂપ હતું. એ જગતમાં તે પરાયો ન હતો, બલકે એનાથી અવારનવાર અકળાવાનાં, નિરાશ થવાનાં, કે એના પર ક્રોધે ભરાવાનાં કારણો પણ તેને મળતાં, પણ ત્યારેય તે તેને પરાયું નહોતું લાગતું. એ સમાજમાં એ ‘શ્રોતા’ના જેવો જ એના નિત્યના જીવનમાં અનેક તાણાવાણાથી ગૂંથાયેલો, આજે જેને આપણે કવિ, સર્જક, કલાકાર આદિ નામે ઓળખીએ છીએ તેવો ‘કવિ’ પણ હતો. સમાજનાં બીજાં અનેક ચેતનવંત અંગો કરતાં તે જુદો ન હત. સમાજમાં સર્જક તરીકેની પોતાની વિશિષ્ટ મુદ્રા અંકિત કરવાની નહિવત્ સભાનતા તેનામાં હતી. સમાનધર્મા મળે તેથી વધુ મોટો આનંદ તેને બીજો કોઈ ન હતો; અને એવા સમાનધર્માની તેને કદી ખોટ ન હતી. એ ‘કવિ’ પોતાની કૃતિઓ સાથે પોતાનું નામ જોડવાની પણ પરવા કરતો નહિ, પછી ‘કોપીરાઇટ’નો તો તેને વિચાર સરખો પણ ક્યાંથી હોય? આ બધા નામી-અનામી કવિઓએ આપણા સાંસ્કૃતિક જીવનને અખૂટ ચેતનાથી ભરી દીધું હતું. નિસર્ગનો ખોળો ખૂંદતાં એ ગભરુ સ્ત્રીપુરુષો ને બાળકો માટે કવિતા જીવનનાં આનંદ, ઉલ્લાસ, શોક, પરિતાપ, આશા, આકાંક્ષા આદિની અભિવ્યક્તિનું એક સંઘમાધ્યમ હતું. હૃદય અને બુદ્ધિનો એ સુભગ સંગમ હતો. વ્યક્તિના મનોભાવોના આદાનપ્રદાનની અભિવ્યક્તિ ઉપરાંત સંઘજીવનના અસ્તિત્વની મુદ્રા એમાં અંકિત થતી, ને એ જ એના અસ્તિત્વનું આગવું લક્ષણ બનતું. એમાં કંઈક કહેવા કરતાં વધુ તો સાથે મળીને માણવાની, અનુભવવાની ઊર્મિઓની રમણા હતી. અજવાળી રાત જોતાં ઘરમાંથી ફળિયામાં નીકળી આવેલી કોઈ રમણીનું ‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ’ સાંભળતાં જોતજોતામાં ઘર ઘરમાંથી ‘રાધિકા રંગીલી અભિરામ’નું ગુંજન કરતી અનેક ગોરીઓ નીકળી આવે, ગરબાની રમઝટ જામે ને એકના ઉરમાં જાગેલી ઊર્મિ સંઘઊર્મિ બની જાય. આ હતું આપણા ગઈ કાલના લોકનું જગત. લેખનકળા પર આધારિત નહિ એવી પેઢી દર પેઢી કંઠ મારફત વારસામાં ઊતરી આવતી એ કવિતા વ્યક્તિની નહિ રહેતાં સમષ્ટિની બની જતી. એમાં પાઠાંતરો પણ થતાં રહેતાં ને એવાં પાઠાંતરોથી કેટલીક વાર એ રચનાઓ કલાકૃતિ લેખે સુધરતી પણ ખરી. જીવનની નાની-મોટી પ્રત્યેક પ્રવૃત્તિમાં કવિતાનો આનંદ અનુભવતી આ સૃષ્ટિ જોતજોતાંમાં ક્યાંક અલોપ થઈ ગઈ છે. ગાંધીજીએ જ્યારે લેખકોને સંબોધી લોકો વતી જે માગણી કરી ત્યારે આપણા જીવનમાં આવેલા આ મોટા ફેરફારનો તેમને ખ્યાલ હતો જ. ઔદ્યોગિક ક્રાંતિએ હજારો વર્ષથી ચાલતા આવેલા આપણા જીવનક્રમમાં જે ફેરફાર કર્યા ને જેની સૌથી પહેલી અસર પશ્ચિમે અનુભવી તેના સ્વાભાવિક પરિણામરૂપ આ પરિસ્થિતિ બની. આપણે માટે એમાં વધારાનું તત્ત્વ એ ઉમેરાયું કે પાશ્ચાત્ય ઢબની કેળવણી સાથે, ઔદ્યોગિક ક્રાંતિની અસર નીચે સર્જાવા માંડેલું પાશ્ચાત્ય સાહિત્ય પણ આપણે ત્યાં આવ્યું, આપણે તેનાથી પ્રભાવિત બન્યા, ને એના જેવું સર્જવાના કોડ સાથે એના અનુકરણમાં મંડી પડ્યા. આને લઈને પશ્ચિમના દેશો સાહિત્ય ક્ષેત્રે જે મુશ્કેલીઓ અનુભવતા થયા તેના અનુભવ ઉપરાંત આપણે આત્મખોજની મથામણ (crisis of identity) જેવી બીજી મુશ્કેલીઓ પણ અનુભવવાની આવી. આપણને હતું કે સ્વરાજ આવ્યા પછી તો આપણે અનુકરણની લઘુતાગ્રંથિમાંથી મુક્ત થઈ જાગતિક ચેતનામાં સમાનધર્મા બની પ્રવેશીશું, અને આપણી ધરતી પર આપણા પગ સુદૃઢ કરી જાગતિક સંપર્કના લાભથી આપણા સાંસ્કૃતિક વનને સમૃદ્ધ કરી શકીશું. દુર્ભાગ્યે એ પરિસ્થિતિ સર્જાવા પામી નથી.

(૫)

એમાં મોટું અવરોધક બળ અંગ્રેજ અમલમાં જે શિક્ષણપ્રથા અપનાવાઈ તે છે. એ શિક્ષણપ્રથાએ આપણા ચપટીભર ભણેલા અને આપણા બહુજનસમાજ વચ્ચે ન પુરાય એવું અંતર સર્જ્યું. આ અંગે પોતાની અંતરવ્યથા વ્યક્ત કરતાં કવિ યેટ્સે કહ્યું હતું કે, “ભારતમાં વિલાયતી ઢબની કેળવણી દાખલ કરવાનું પગલું ભારત પરના બ્રિટનના મોટામાં મોટા અત્યાચારરૂપ છે. એણે એક ગૌરવવંતી પ્રજાને રંગલા જેવી બનાવી તેનું આત્મગૌરવ હરી લીધું છે.” પરાધીનતાના કાળની આ શિક્ષણપ્રથા હવે સ્વાધીનતાના કાળમાં વળી વધુ દૃઢમૂળ બને એ વિધિની વક્રતા છે. અગઉ એની ઉપર ઇંગ્લૅન્ડની શિક્ષણપ્રથાની જ મુદ્રા હતી, હવે એની ઉપર અમેરિકન મુદ્રા પણ અંકિત થઈ છે. જગતના અલ્પવિકસિત દેશોની શિક્ષણપ્રથા પશ્ચિમની ઢબે ગોઠવાતાં તેમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓમાં કેવો આંતરવિરોધ પેદા થાય છે એનું, યેટ્સના વિધાનનો જાણે અર્થ-વિસ્તાર હોય એવું વેધક ચિત્ર માન્ચેસ્ટર યુનિવર્સિટીના લૉર્ડ બાઉડને દોર્યું છે. એ ઘાના ગયેલા ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને મધ્યયુગના ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડના ઇતિહાસનો અભ્યાસ કરતા તેમણે જોયા, પણ તેમના અભ્યાસક્રમમાં આફ્રિકાને સ્થાન ન હતું! એ કેળવણીથી ત્યાંના ભણેલાઓને પોતાની ધરતીમાંથી સમૂળ ઊખડી ગયેલા તેમણે જોયાઃ પોતાના લોકોનાં સુખદુઃખમાં તેમને રસ ન હતો, પણ પોપ ને એડિસનની ગદ્યશૈલીની ચર્ચામાં કે મૂળ ગ્રીકમાંથી યુરિપિડિસની કવિતાનો પાઠ કરવામાં તેમને જીવનની ચરમ સિદ્ધિ લાગતી હતી! ‘આ અભ્યાસક્રમ પસંદ કરવા માટે જવાબદારી કોની?’ – એવા પ્રશ્નના જવાબમાં એમણે જે કહ્યું તે તો તેમના પોતાના શબ્દોમાં જ આપણે જોવું જોઈએ. આ રહ્યા એ શબ્દોઃ ‘આ પ્રશ્નની ચર્ચા કરતાં તો કમકમાં આવે છે. ખૂબી તો એ છે કે આફ્રિકનો પોતે જ આવા કાર્યક્રમ માટે આગ્રહ રાખતા હતા. તેમને જગતમાં જે કંઈ શ્રેષ્ઠ હોય તે જ જોઈતું હતું અને તેમને એમ લાગ્યું કે એમને ઑક્સફર્ડ યુનિવર્સિટી જોઈએ છે. તેમને ખ્યાલ જ નહોતો કે યુનિવર્સિટીને સામાજિક કાર્યસાધકતા પણ હોય છે; ને સમાજનું જ એક ઘટકતત્ત્વ છે. પરિણામે મધ્યકાલીન ચર્ચનાં નિકૃષ્ટ લક્ષણોની આધુનિક આવૃત્તિ તેઓ ઉપજાવી રહ્યા છે, જેમાં વકીલો, ડૉક્ટરો, એન્જિનિયરો અને વિદ્વાનો એક એવા આંતરજૂથના સભ્ય બની જાય છે, જેની વફાદારી રાષ્ટ્રીય ન રહેતાં આંતરરાષ્ટ્રીય થઈ જાય છે. આવી વ્યક્તિને દેશવિદેશમાં ગમે ત્યાં સ્વૈરવિહાર કરવાનું સ્વાતંત્ર્ય જોઈએ છે. તે પોતાના જ ક્ષેત્રના વિદેશી નિષ્ણાતો વચ્ચે જેટલી સાહજિકતા અનુભવે છે તેટલી પોતાના દેશવાસીઓ જોડે અનુભવી શકતી નથી. તે એમ માને છે કે તેની ફરજ વિદ્વજ્‌જગત પ્રત્યે છે – સામાન્ય માણસના જગત પ્રત્યે નહિ. આ દેશો પરત્વે આપણે આથી વધુ ભયંકર અપરાધ કરી શક્યા ન હોત. પાશ્ચાત્ય જગતના સૌથી નિઃસ્વાર્થ અને પ્રબુદ્ધ માણસોના ઉત્તમોત્તમ પ્રયત્નોનું આ પરિણામ આવ્યું છે.’* આમ જગતના અન્ય સભ્ય દેશોમાં ઔદ્યોગિક ક્રાન્તિ સાથે જે મોટાં પરિવર્તનો આવ્યાં ને જે હજુ ચાલુ જ છે તેમના પૂરતી જ આપણી સમસ્યા હોત તો આપણે તેમાં સહભાગી બની નવી તાકાત મેળવી શક્યા હોત; પણ એમને જે નથી નડી એવી આપણાં મૂળમાંથી આપણને ઉખેડી નાખતી પરિસ્થિતિ આપણા શિક્ષણે આપણે માટે સર્જી છે. આપણો બહુજનસમાજ, તેના પર એણે અજગરની જેમ ભરડો લીધો છે તે પોતે એને હજુ ઓળખી શકતો નથી. તે તો કેવળ ચામડી ઉપરનો ચળકાટ જોઈ પ્રકાશ આવો અંધકાર કેવી રીતે સર્જી શકે એની મૂંઝવણમાં છે. આ સંજોગોમાં, વિદેશી શાસનની બાહ્ય આપત્તિ સામે ફનાગીરી વેઠીને વિદેશી ધૂંસરીમાંથી આપણે મુક્ત થયા તેમ હવે આપણે આ આંતરિક જોખમ સામે, એટલે કે આપણી પોતાની સામે જ, લડવાનું રહે છે. એ આપણે કરી શકીશું?

(૬)

આપણા લેખક સમક્ષના આ મહાન અવરોધ ઉપરાંત પશ્ચિમના લોકો જે અવરોધોનો સામનો કરતા આવ્યા છે તે સૌની અસર નીચે આપણે આપણું સાહિત્ય સર્જીએ છીએ. પરિણામે પશ્ચિમી જગતમાં ઔદ્યોગિક ક્રાન્તિના આગમન સાથે સર્જાવા માંડેલી લેખકોના અલગ ચોકાની પ્રક્રિયા આપણે ત્યાં વધુ પ્રમાણમાં વિકસી છે, ને લેખક તથા બહુજનસમાજ વચ્ચેનો વિચ્છેદ પ્રમાણમાં મોટો રહ્યો છે. આ પ્રક્રિયાની સભાનતા પશ્ચિમમાં બહુ વહેલી આવવી શરૂ થઈ હતી. ઈ. સ.૧૮૦૦માં ‘લિરિકલ બૅલાડ્સ’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં કવિ વર્ડ્‌ઝવર્થે નોંધ્યું હતું કે – ‘અગાઉના જમાનાને અપરિચિત એવાં અસંખ્ય તત્ત્વો આજે સર્જાવા પામ્યાં છે. એ બધાંની સંગઠિત શક્તિ મનની વિવેકશક્તિને કુંઠિત કરી સહજ રીતે કામ કરવાની એની યોગ્યતાનો છેદ ઉડાડી દઈ, અભદ્ર મૂર્છા– (Savage Torpor)માં એને ભંડારી રહી છે. આ તત્ત્વોમાં સૌથી મોખરે ને સૌથી અસરકારક છે રોજબરોજ બનતા મોટા બનાવો અને નગરોમાં મોટા પ્રમાણમાં થતી માનવમેદનીની જમાવટ. આ નગરોમાંના વ્યવસાયોના કંટાળાજનક એકધારાપણાથી અસાધારણ બનાવ માટેની ઝંખના જાગે છે, અને સમાચાર-પ્રસારણની ક્રિયા વધુ વેગવંતી બનેલી હોઈ એ સંતોષાય છે. સાહિત્ય અને રંગભૂમિને આ ફેરફારોએ પકડમાં લીધાં છે.’ વર્ડ્ઝવર્થે ઉલ્લેખેલા આ ફેરફારો તે ઇંગ્લૅન્ડ અને યુરોપના જીવનમાં આવેલા મોટા રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક પલટાઓ. નેપોલિયને યુરોપનાં રાષ્ટ્રોના પાયા હચમચાવી મૂક્યા હતા, યંત્રોએ જીવનમાં વેગથી પ્રવેશ કર્યો હતો ને પ્રચલિત મૂલ્યોને પલટાવવા માંડ્યાં હતાં. જૂનાં મહાનગરો ઉપરાંત ઠેરઠેર નવાં ઔદ્યોગિક નગરો ઊભાં થઈ રહ્યાં હતાં ને ભાંગવા માંડેલા ગૃહઉદ્યોગો ને કામધંધાને કારણે તેમજ નગરજીવનની ભૂરકીથી અંજાઈને ગામડાંમાંથી લોકોનો પ્રવાહ એ નગરો તરફ વધતી ગતિથી વહેતો થયો હતો. યંત્રોને કારણે સામાન્ય અક્ષરજ્ઞાનની જરૂરિયાત વર્તાતાં કેળવણીનો વ્યાપ વધ્યો હતો ને શાળાઓમાં એક નવો માનવસમાજ સર્જાવા માંડ્યો હતો. પ્રકૃતિનો ખોળો ખૂંદતાં ને પોતપોતાની આગવી ને લાક્ષણિક રીતે પાંગરતા મનુષ્યોના જીવનમાં યાંત્રિકતા પ્રવેશી હતી ને એ યાંત્રિક જીવનના કંટાળાજનક એકધારાપણામાંથી રાહત મેળવવાના ઉપાય લોકો શોધતા થયા હતા.

(૭)

આજથી લગભગ પોણા બે સદી ઉપર વર્ડ્ઝવર્થે જીવનની જે સમસ્યાઓ અનુભવી તે ઉત્તરોત્તર વધતી જ ગઈ અને એ બધી અસરોના વારસા સાથે પશ્ચિમે આપણા જીવનમાં પ્રવેશ કર્યો આપણે તેનાથી અંજાઈ ગયા અને આપણે ત્યાં સ્થપાયેલી યુનિવર્સિટીમાં દાખલ થઈ, અંગ્રેજી ભાષા અને સાહિત્યનું અધ્યયન કરી, તેના જેવું સર્જવાની મહત્ત્વાકાંક્ષા સેવતા થયા. એ યુનિવર્સિટીઓએ સંસ્કૃત ફારસી, અરબી જેવી પૂર્વની ભાષાઓને પણ અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું. પરિણામે આપણે ત્યાં બે વિચારધારાઓ શરૂ થઈઃ એકનો ઝોક પશ્ચિમ તરફનો હતો તો બીજીનો ભારતીય સંસ્કૃતિ તરફનો. આ બે પ્રવાહો વચ્ચે ત્રીજી સમન્વયની ભૂમિકા પણ સર્જાઈ. એણે બહારથી આવતાં ઉત્તમ તત્ત્વોને અપનાવી પોતાના ઊજળા ભૂતકાળમાં જે કંઈ શ્રેષ્ઠ હતું તેને ફરીથી ચેતનવંત કરવાનો પુરુષાર્થ આદર્યો. આ ભાવનાઓ, મહેચ્છાઓ અને મથામણોનું કલાત્મક પ્રતિબિંબ ‘સરસ્વતીચંદ્ર’માં ઝિલાયું. આની મોટી અસર સદીઓથી બહુજનની સહિયારી શ્રી અને સિદ્ધિરૂપ રહેતી આવેલી કવિતા ઉપર થઈ. કવિ લોકોમાંનો એક હતો તે હવે લોકોથી કંઈક જુદો, લોકો પર પોતાનો પ્રભાવ પાડનારો અને પોતાની નોખી ન્યાત સર્જનારો બન્યો. પરિણામે જૂના અને નવા વચ્ચેનું અંતર સર્જાવાની શરૂઆત થઈ. જે અખંડ કાવ્યધારા યુગોથી વહેતી હતી તેનું મૂળ જાણે સુકાવા લાગ્યું અને એક નવી આછીપાતળી ધારા શરૂ થઈ. એનાં ક્ષેત્ર અને શક્તિ મર્યાદિત બન્યાં. જૂની સરિતા જે વિશાળ પ્રદેશોને નવપલ્લવિત કરતી રહેતી તે ક્ષમતા એ દાખવી શકી નહિ, પણ જૂના ધારા પાસેથી મળ્યું ન હતું એ ગદ્ય આ નવી ધારા લઈ આવી અને એણે આપણા સાંસ્કૃતિક જીવનમાં મહત્ત્વનો ફાળો આપવા માંડ્યો. વખત જતાં એ ગદ્ય પાંડિત્યના ભારણ હેઠળ આવ્યું, ને પંડિતયુગની દેણગીરૂપ લેખાયું. એમાંથી બહાર આવી મુનશીએ ગદ્યને વધુ લોકભોગ્ય ને ઉન્મેષસભર બનાવવાનો પુરુષાર્થ આદર્યો, ને ગાંધીજીના ગદ્યે એમાં સાદાઈ, સરળતા, વેધકતા ને અર્થ-લાઘવનાં તત્ત્વો વ્યાપક બનાવ્યાં. પરિણામે અગાઉ જે પંડિતોની જ સંપતરૂપ હતું તે ગદ્ય બહુજનસમાજની સંવેદના ને ઊર્મિઓના સૂક્ષ્મમાં સૂક્ષ્મ તારોને સ્પર્શવાની ક્ષમતા ધરાવતું બન્યું. સૌ કોઈને આકર્ષે ને મુગ્ધ કરે એવો આકાર એણે ધારણ કર્યો. આવી જ ક્રાન્તિ આપણા કવિઓએ આપણા પદ્ય માટે ઝંખી, પણ એના રસજ્ઞોનું ક્ષેત્ર ઘણું નાનું બન્યું. જોકે મુક્તિસંગ્રામે પ્રગટાવેલી બહુજનસમાજ સાથે એકાત્મતા અનુભવવાની ઝંખનાએ પ્રેરાયેલા આપણા કવિઓ પોતાની કવિતાઓ દ્વારા એવી એકાત્મતા સર્જવા મથ્યા, પણ એ પ્રયત્ન મહદંશે બુદ્ધિજીવીઓમાં જ સીમિત બન્યો: અને બહુજન સાથે મનના તાણાવાણા ગૂંથી લેવાની ઝંખના, બહુજનને કાવ્યવિષય બનાવવામાં જ મર્યાદિત બની. એ સમાજ હવે કવિતાનો વાચક, શ્રોતા કે ભોક્તા રહ્યો નહિ. આ મર્યાદા બાદ કરતાં આ યુગમાં ત્યાગ અને બલિદાનની ભાવના, મુક્તિની ઝંખના, પ્રેમ અને અહિંસા આદિના ઉન્મેષોએ આપણા લોકમાનસ પર જે પકડ જમાવી હતી તેની મુદ્રા એ વખતની આપણી કેટલીક કવિતાઓમાં અંકિત થઈ ને પંડિતયુગના વિદ્વાનોની આંખ ઠરે એવો આકાર એણે દાખવવા માંડ્યો. ગદ્યમાં આ વધુ સુરેખ રીતે વ્યક્ત થયું, અને બહુજન સમાજ તથા લેખક વચ્ચેનું ન પુરાય એવું અંતર કંઈક સંકોચાયું.

(૮)

આ બધા સમય દરમ્યાન આપણી સાહિત્યપ્રવૃત્તિ પર પશ્ચિમી સાહિત્યની અસર ચાલુ જ રહી – જોકે, મુક્તિસંગ્રામના તુમુલ નાદો વચ્ચે થોડો વખત આપણી દૃષ્ટિ આપણા પોતાના જ સીમાડાઓમાં રમતી રહી. એમાં અપવાદો નહોતા એવું ન હતું, પણ વિશેષતઃ આ વલણ મુખ્ય રહ્યું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી આ પરિસ્થિતિ જોતજોતામાં પલટાઈ ગઈ ને નવી ક્ષિતિજોની શોધ માટેની ઝંખનાઓએ આપણા સર્જકોનો કબજો લીધો. નવું જાણવાની અને તેમાં જે કાંઈ ઉત્તમ હોય તે અપનાવવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ પ્રાણશક્તિની સૂચક છે; પણ જો એ કેવળ અનુકરણને જ મૌલિકતા ગણે તો એના કરતાં વધુ મોટો શાપ કલ્પવો મુશ્કેલ છે. સ્વરાજ આવ્યું ત્યાં સુધી આપણે રાજકીય પરાધીનતામાં જકડાયેલા હતા. એ પરાધીનતાએ આપણી ઉપર સંસ્કૃતિનું દાસ્ય પણ લાદ્યું હતું. પરંતુ એ સામે આપણા મનીષીઓનો બુલંદ અવાજ પ્રગટતો થયો હતો. આપણી સંસ્કૃતિનાં ઉત્તમ અંગોનાં એમનામાં દર્શન કરી આપણે તેમને આપણા આદર્શ સ્થાને સ્થાપ્યા હતા. આપણે અધોગતિના ઊંડા કૂપમાં ગબડી પડેલા હોવા છતાં આપણા આવા નેતાઓની હૂંફથી આપણી ધરતીમાં આપણા પગ ટેકવી રાખવાની મથામણ કરી શકતા હતા; પરંતુ સ્વરાજ આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ. આપણાં બધાં અનિષ્ટોનું મૂળ આપણે જેમને લેખતા હતા તે અંગ્રેજો ગયા; એટલે હવે જગતમાં જે કંઈ શ્રેષ્ઠ છે તે લાવી આપણા દેશમાં નંદનવનનું સર્જન કરીએ એ મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ વિદેશો પર મીટ માંડી ત્યાંથી આપણે પ્રેરણા મેળવવા માંડ્યા! આપણે એ ભૂલી ગયા કે અંગ્રેજોનું આધિપત્ય આપણી નબળાઈઓને લઈને હતું, એ નબળાઈઓ તો હજુ જેવી ને તેવી જ આપણામાં પડી હતી. એમાંથી આપણને બહાર કાઢવા સ્વાધીનતાની લડત દરમ્યાન જે મૂલ્યોનો આપણે મહિમા કરતા હતા તે બધાં જોતજોતામાં જુનવાણી રૂપ લેખાતાં થયાં. ટાગોર અને ગાંધીએ ચીંધેલા સાંસ્કૃતિક નવનિર્માણ માટેના શૈક્ષણિક પ્રયોગોની પણ એ જ હાલત થઈ. આવું જ જીવનનાં લગભગ બધાં જ મહત્ત્વમાં ક્ષેત્રોમાં પણ બન્યું. ખાનપાન, પહેરવેશ, રહેણીકરણી, સાહિત્ય, વર્તમાનપત્રો, મનોરંજનનાં સાધનો, મકાનોની બાંધણી, જાહેરખબરો આદિમાં આપણે જાણે પશ્ચિમના જેવા બનવા ફાળ ભરી; ને અંગ્રેજ અમલમાં જો આપણે બ્રિટનની રાજકીય વસાહતરૂપ હતા તો હવે યુરોપ-અમેરિકાની સાંસ્કૃતિક વસાહત બનવા તરફ હડસેલાઈ રહ્યા છીએ. સાહિત્ય પર એની જે અસર થઈ રહી છે તેમાં મનુષ્યને મનુષ્ય નહિ પણ જંતુ લેખવાની મનોદશા ધ્યાન ખેંચ્યા વિના રહે એમ નથી. न मानुषात् श्रेष्ठतरं किंचित् । એ મહાભારતની શ્રદ્ધામાંથી આસ્થા ડગતી જણાય છે ને માણસ એકલવાયાપણું, પરાયાપણું, રિકતતા, નિર્વેદ આદિનો જ અનુભવ કરવા સર્જાયો હોય એવી માન્યતા તરફનો ઝોક વધતો લાગે છે. પશ્ચિમમાં આ પરિસ્થિતિ સર્જાવા પાછળ જે સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ પરિબળો રહ્યાં છે તેનો આપણને હજુ નામનો જ સ્પર્શ થયો છે. ત્યાં સરમુખત્યારશાહી રાજ્યોમાં લેખક જે ગૂંગળામણ અનુભવે છે તેવું આપણે ત્યાં હજુ સર્જાયું નથી. આપણા રાજકર્તાઓની જાહેરમાં તેમ જ ખાનગીમાં ટીકા કરવા આડે કોઈ અવરોધો આપણને નડતા નથી. વિચારસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય, મતસ્વાતંત્ર્ય આદિ આપણા બંધારણે આપણને બક્ષેલા હકો હજુ છીનવાઈ નથી ગયા. હા, એ બધા ઉપર પ્રચારની-માસ મીડિયા- (Mass Media – સમૂહમાધ્યમ)ની પકડ વધતી જાય છે, અને એ સાધનો પર કબજો જમાવવા માટે સત્તાજૂથો વચ્ચે તીવ્ર હરીફાઈ સર્જાઈ રહી છે. એનાથી આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આપણી માનસપલોટ (conditioning) થઈ રહી છે. પણ એ પ્રક્રિયા ગૂઢ કે રહસ્યમયી નથી. સામાન્ય વ્યક્તિ પણ એ સમજી શકે છે. પણ એ સામે થવાની એને નથી કોઈ પ્રેરણા મળતી કે નથી એને કોઈ જરૂર જણાતી. લેખક પણ એ જ રાહ અપનાવે તો માનવને જંતુ લેખવાની અસહાયતામાંથી પશ્ચિમમાં તૈયાર થતી વાસી વાનગીઓ પીરસવાનું જ એના નસીબમાં રહે છે. જંતુ લેખાવા કે તે મુજબ અસહાયતા અનુભવવા સામે પ્રબળ પુરુષાર્થ કરવાની શક્તિ હજુ માણસે ગુમાવી નથી તેનાં ઉદાહરણો સ્ટૅલિન જેવાનાં હથિયાર જેની આગળ બૂઠાં નીવડ્યાં તેવા પાસ્તરનાક જેવાના જીવનમાંથી સાંપડે છે. માણસજાત માટે એમાં ઘણું મોટું આશ્વાસન અને ઘણી મોટી આશા રહેલી છે. માસ મીડિયા, માનસપલોટ, સરમુખત્યારશાહી આદિના ઑથાર નીચે હડસેલાઈ જતી માનવતા તરફના લેખકના ધર્મ અંગે ટૉયન્બી ભારપૂર્વક કહે છે કે આત્મવિનાશનું જોખમ વહોરીને પણ સર્જક લેખકે પોતાના તેમ જ અન્યના સ્વાતંત્ર્ય માટે ઝઝૂમવાનું રહે છે. એની આ પ્રવૃત્તિ સત્તાધીશોને વિદ્રોહરૂપ લાગે અને તેની સામે તેઓ પોતાનાં શસ્ત્રો ઉગામે તોય, ટૉયન્બી જણાવે છે તેમ, લેખકે જળોની જેમ પોતાના ધ્યેયને ચોંટી રહી લોકોની ચેતનામાં સ્પન્દનો જગાડતા રહેવાનું, અને એમ કરતાં મસળાઈ, ચૂંથાઈ, ફંગોળાઈ જવાય તો તે માટે પણ પૂરી માનસિક સજ્જતા રાખવાનું રહે છે. આમ પશ્ચિમના ચિંતકોમાં મનુષ્યને જંતુમાં પલોટવાની ક્રિયા સામે જે ચિન્તા, વ્યથા, સભાનતા છે તે તરફ આપણું ધ્યાન જાય ને આપણા સર્જકો એ પ્રશ્નના ઊંડાણમાં પ્રવેશે તો સંભવ છે કે મનુષ્ય અંગે જે નિરાશાજનક વલણ આજે આપણી કેટલીક કૃતિઓમાં નજરે પડે છે તે બદલાય, ને એ કૃતિઓના સર્જકોમાં જે ધગશ છે તે, જેમાં ચિરંજીવી બનવાની શક્યતાઓ રહેલી છે તેવા, સર્જનની દિશામાં વળે.

(૯)

આપણી સર્જનપ્રવૃત્તિનું બીજું એક નોંધપાત્ર લક્ષણ જીવનને બદલે પ્રેરણા માટે ગ્રંથોના વધી રહેલા ઉપયોગને લગતું છે. આને લઈને અન્યના અનુભવોમાંથી ઉછીનું લઈ સર્જન કરવાની વૃત્તિમાં રહેલાં ભયસ્થાનો અંગેની સભાનતા ઘટે છે. આપણે ત્યાં, પશ્ચિમના સાહિત્યથી આપણે અંજાયેલા હોઈ, આવું બને એ સમજી શકાય, પણ પશ્ચિમમાં પણ એ જ પરિસ્થિતિ વ્યાપક બની રહી છે. ‘હર્ઝોગ’ નામની પોતાની નવલકથા માટે ૧૯૬૫નો નૅશનલ બુક ઍવૉર્ડ સ્વીકારતાં સૉલ બેલોએ જે વાત કહી તે આના સંદર્ભમાં જોવા જેવી છે. સ્વકીય અનુભવમાં જેનાં મૂળ નથી એવા સિદ્ધાંતો ઉછીના લઈ પોતાના અનુભવ તરીકે તેને ખપાવવાની ‘ફૅશન’ સામે લેખકોને ચેતવતાં તેણે કહ્યું કે, ‘કેટલીક પેઢીઓથી સાહિત્ય પોતામાંથી (ગ્રંથોમાંથી) જ પ્રેરણા મેળવતું રહ્યું છે. પોતામાં જ એ એનું જગત સીમિત કરતું આવ્યું છે, અને પોતાની એ કેડીએ પ્રસ્થાન કરતા રહી સામાન્ય જગત સાથેના છૂટાછેડાનો રંગભર્યો (Romantic) તરંગ એણે અપનાવી લીધો છે.’ આ પરિસ્થિતિમાંથી જન્મતાં પરિણામોના આલેખનમાં સૉલ બેલોએ જણાવ્યું કે આ સાહિત્યને પોતાની આસપાસનો સમાજ પાશવી, ક્રૂર, માનવજીવનમાં જે કંઈ પવિત્ર છે તેનો ઘાતક, ભયાનક ને મરુભૂમિતુલ્ય લાગે છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાન્તિએ કવિઓને આ રીતે વિચારતા કર્યા ને કુદરતમાં બધું સુંદર છે, ફક્ત માનવી જ અધમ છે એવો રોષ વ્યક્ત થયો; તેને પગલે આપણે ત્યાં નરસિંહરાવ જેવા જીવનમાં શિવ તત્ત્વને જોનાર પણ ફૂલોને સંબોધી ગાવા પ્રેરાયા કે –

‘તમમાંનું હું પણ રે, કુસુમ એક કોમળિયું,
રહી મનુજ સંગાથે રે, વદન કરમાઈ ગયું,
નાસી ત્યાં થકી રે આવ્યો તમ પાસ હું તો.’

આવું ગાવા એ પ્રેરાયા તો ખરા, પણ એ કેવળ અપવાદરૂપ જ રહ્યું ને અનેક આઘાતોમાં પણ ‘સુંદર શિવ મંગળ ગુણ ગાઉં ઈશ્વરા’ એ ધ્રુવપદનું જ એ રટણ કરતા રહ્યા. આમ પશ્ચિમના સાહિત્યપ્રવાહને અપનાવવા મથતી એ પેઢીનું દર્શન તો જીવનમાં સંવાદનું જ રહ્યું, ને સ્વરાજ આવ્યું ત્યાં સુધી એ ચાલુ રહ્યું. એમાં ફેર પડ્યો સ્વાતંત્ર્યોત્તર ચાલુ સમયમાં. સમાજમાં અધમ તત્ત્વો નથી એવું નથી, પણ આખા સમાજને મરુભૂમિતુલ્ય લેખવો એ સમાજના ચેતનતત્ત્વનો ઇન્કાર કરવા બરોબર છે. આતતાયીઓની એડી હેઠે કચરાતો, પડતો, અથડાતો, આઘાતો વેઠતો, છેતરાતો, લૂંટાતો માનવ કેવળ આજના જ જગતનું વેદનાજનક અંગ નથી. પિરામિડોના બાંધનારાઓના સમયથી કે તેના કરતાં પણ ઘણાં વહેલાં આનાં બીજ નંખાતાં જ રહ્યાં છે, અને છતાં સમાજ ન્યાય માટેની, સૌન્દર્ય માટેની, મૈત્રી માટેની, જીવનની પવિત્રતા માટેની સંવેદના ખોઈ નથી બેઠો. એથી તો યુગે યુગે એ પોતાનામાંથી મનીષીઓનું સર્જન કરતો રહ્યો છે. એથી લેખક સમાજના આ પ્રાણતત્ત્વને અવગણી સમાજ સાથેના સંબંધમાં પોતાને માટે પરાયાપણા (Alienation)ની લાગણી સેવે એમાં સમાજને લેખકના મનની કોઈ બીમારીની શંકા આવે તો તે અસ્વાભાવિક નથી. આપણા આજના લેખકોમાંથી પરાયાપણાના તરંગની છોળોથી જેમની કૃતિઓ તાજગીનો અનુભવ કરવા ને કરાવવા મથી રહી છે તે સૌને પશ્ચિમના વિચારકો એ અંગે શું વિચારે છે તે અવગણવું ક્યાં સુધી અનુકૂળ રહેશે? આલ્બેર કામુના જણાવ્યા મુજબ, ‘કલાકારનું એક પ્રલોભન પોતાને એકાકી લેખવાનું છે, અને સાચે જ અતિ હીન આનન્દોન્માદથી ઘાંટા પાડીને આ તેને સંભળાવવામાં આવતું હોય છે. પણ એ સાચું નથી. જેઓ પરિશ્રમ કરે છે, મથામણ કરે છે તે સહુની વચ્ચે એ ઊભો હોય છે, એ સહુનો તે સમકક્ષ છે. નથી ઊંચો, નથી નીચો. એનું પ્રમુખ કાર્ય, જુલમોનો પ્રતિકાર કરતાં કે કારાગારોને ખુલ્લાં કરી આપતાં, સૌની વેદના અને હર્ષને વાચા આપવાનું છે.’ આ લેખકનું કવિકર્મ તો વ્યક્તિ અને સમષ્ટિના અસંપ્રજ્ઞાત મન વચ્ચે પ્રેમ અને સમજદારીનો સેતુ સર્જી સમાજનાં સંયોજક ને જીવાતુભૂત તત્ત્વોને સુદૃઢ બનાવવાનું છે. પરાયાપણાની નાસ્તિવાચક મનઃસ્થિતિ તેને એના એ કવિકર્મથી ઘણી દૂરની કોઈક અંધારી ખીણમાં હડસેલી દે છે, ત્યાં જેમાં વાસ્તવિકતાની કોઈ જીવંત ધબક નહિ હોય એવી વાતો તેણે કેવળ પોતાની જાત સાથે કરવાની રહે છે જે એ ખીણમાં જ ઢબુરાઈ જાય છે. માનવજાત માટે, ને જીવનમાં જે કંઈ મૂલ્યવાન છે તેની સુરક્ષા માટે આના કરતાં વધુ આપત્તિજનક ભાગ્યે જ બીજી કોઈ ઘટના હોય. હર્બર્ટ રીડે ઉચિત રીતે જ કહ્યું છે કે – ‘સાહિત્ય પ્રજાની પ્રાણશક્તિની પારાશીશીરૂપ છે. સંસ્કૃતિના ભાગ્યનો આલેખ દોરતી એ ચેતનવંત આંગળી છે. શાણા રાજકર્તાએ એ આલેખ પર ચિંતાભરી દૃષ્ટિ રાખવી જોઈએ, કારણ કે નિકાસમાં આવતી ઓટ કે ચલણી નાણાના થતા અવમૂલ્યન કરતાં એનાં પરિણામ વધુ દૂરગામી હોય છે.’ પશ્ચિમના કેટલાક લેખકોનાં માંદલાં મનની વિકૃતિઓની બીજી જે અસરો આપણે ત્યાં પ્રવેશવા મથે છે તેમાં ભૂતકાળને તુચ્છ લેખવો, પૂર્વસૂરિઓમાં કલાપંગુતા જોવી, વ્યક્તિત્વખંડન કરવું આદિ અવારનવાર દેખાતી હોય છે. આપણા એ લેખકોએ એ પણ નોંધવું જોઈશે કે યુરોપના સમર્થ સાહિત્યસ્વામીઓનાં લખાણોમાં આ લક્ષણો કવચિત જ જોવા મળે છે. ત્યાં જે ગૌણ પ્રવાહ છે તેને અહીં મુખ્ય પ્રવાહ બનાવવાના પ્રયત્નો કદી પણ સફળ થઈ શકશે ખરા? આ યુગના એક મોટા નવલકથાકાર તરીકેનું બિરુદ પામેલ જર્મન લેખક ગ્યુન્ટર ગ્રાસે તેમની જાણીતી નવલકથા ‘ટીન ડ્રમ’ (૧૯૫૯)માં એ નવલકથાના નાયક ઑસ્કારના મુખમાં રમતિયાળ રીતે જે વાત મૂકી છે તેમાં કેવળ મજાક જ હોય તોપણ, તેના તરફ ધ્યાન ગયા વિના રહે એમ નથી. કથાનાયક ઑસ્કાર કહે છે, ‘વાર્તાને અધવચથી શરૂ કરી આગળપાછળ બેધડક કૂદકા મારીને તમે ગૂંચવાડો પેદા કરી શકો; સમય કે અંતરનો કોઈ પણ ઉલ્લેખ નિવારીને તમે આધુનિક બની શકો, અને જ્યારે આખું કાર્ય પૂરું થાય ત્યારે જાહેર કરી શકો, અથવા કોઈ પાસે જાહેર કરાવી શકો કે તમે આખરે, છેક છેલ્લી ઘડીએ સ્થળ-સમયનો મહાપ્રશ્ન ઉકેલી નાખ્યો છે. અથવા તો તમે કથાના આરંભમાં જ જાહેર કરી શકો કે આજકાલ નવલકથા લખવાનું અશકય છે. પરંતુ પછી તમે, જાણે કે, અજાણતાં જ બધી નવલકથાઓના અંત આણનારી એક નવલકથાને જન્મ આપી દીધો છે.’

(૧૦)

આપણી જેમ જાપાન પણ પશ્ચિમના સંપર્કમાં આવ્યું અને એ સંપર્કની એના જીવન પર જે અસર થવા પામી છે તે આપણે કાળજીપૂર્વક તપાસીએ તો આપણને આપણો માર્ગ જડી રહેવો જોઈએ. યુરોપે જ્યારે જાપાનમાં પ્રવેશ કર્યો ત્યારે, માનવસમૂહમાં સ્વસત્ત્વરક્ષાની જે વૃત્તિ હોય છે તેને જાપાને ધારદાર બનાવી. એણે જોયું કે પશ્ચિમ પાસે એક નવી વિદ્યા – યંત્રવિજ્ઞાન – છે, અને તે એક મોટું બળ છે. એણે એ પણ જોયું કે પશ્ચિમે સાહિત્ય ને કલાક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી છે તે પણ મોટી છે. આ બે પૈકી યંત્રવિજ્ઞાનને તેણે મોકળે મને અને ખુલ્લે હાથે આવકાર્યું ને જોતજોતામાં પોતાના ગુરુ યુરોપને મોંમાં આંગળાં નાખવાં પડે એવી આશ્ચર્યજનક પ્રગતિ એમાં એણે સાધી. સાહિત્યની બાબતમાં તેણે સંભાળીને ડગ ભરવાની નીતિ અખત્યાર કરી. પોતાપણું જોખમાય નહિ અને પ્રજાના શ્વાસોચ્છ્‌વાસ રૂપ સાંસ્કૃતિક હવા બગડે નહિ તે માટે તેણે સાવધાની રાખી. આનું પરિણામ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ઓસામુ દાઝાઈ કે યાસુનારી કાવાબાતા જેવા સર્જકોની કૃતિઓમાં જોઈ શકાય છે. એ કૃતિઓ વાંચતાં એમાંનાં પાત્રો અને સ્થળોનાં નામો ઉપરાંત એની પંક્તિએ પંક્તિએ જે મુદ્રા ઊપસે છે તે સંપૂર્ણપણે જાપાની હોવાની પ્રતીતિ કરાવે છે. આમ પોતાના સાંસ્કૃતિક પ્રવાહોને અખંડ ને એકધારા રાખી, બહારના પ્રવાહોને એ મૂળ વહેણોમાં વિકૃતિ આવવા પામે નહિ, એ રીતે જાપાને પ્રવેશવા દીધા છે. યંત્રવિજ્ઞાનની રમતમાં પશ્ચિમને શિકસ્ત આપી જગતની ઔદ્યોગિક મહાસત્તામાં સ્થાન પ્રાપ્ત કરતાં ઔદ્યૌગિક સંસ્કૃતિએ સર્જેલી કેટલીક માનસિક અસરોના અનુભવથી જાપાન વંચિત રહે એવું તો કેમ કરીને બને? ત્યાં પણ એકલતા, રિક્તતા, પરાયાપણું, નિર્વેદ આદિનો અનુભવ થાય છે; પરંતુ તેને વાચા આપતી વખતે જાપાની સર્જકો પોતાનું જાપાનીપણું વીસરતા નથી.

(૧૧)

સ્વરાજપ્રાપ્તિના સમય સુધી આપણે ત્યાં આપણી સંસ્કૃતિનું જતન કરવાની ને એને વધુ સમૃદ્ધ કરવાની ભાવના હતી, પણ સ્વરાજ આવ્યા પછી, સ્વાધીનતાની લડત દરમ્યાન જે ‘રાષ્ટ્રવાદ’ આપણે ઉપાસ્યો હતો તે આપણને સંકુચિત લાગ્યો હોય કે વિશ્વનાગરિક બનવાની એષણા આપણા મનમાં જાગી હોય તેમ, આપણે આપણા ઘરનાં બારી-બારણાં એ રીતે ખુલ્લાં મૂકી દીધાં છે કે બહારથી આવતી આંધીઓમાં આપણે આપણી ધરતી ઉપર સ્થિરતાથી આપણા પગ ટેકવી શકતા નથી. એનો ઉપાય એ નથી કે આપણે આપણાં બારીબારણાં બંધ કરી દેવાં. એ આંધીઓ સામે આપણે અડીખમ ખડકની જેમ ઊભા રહી શકીએ એવા અંતઃસત્ત્વની ઉપાસના એ જ એક ઉપાય છે, ને ફરીફરીને આપણે તે બિન્દુ પર આવવું પડે છે જ્યાં આપણી માનવતાને ઘાટ અપાય છે. એ છે આપણી વિદ્યાઓ. ઔદ્યોગિક ક્રાંતિએ શ્રમવિભાજન (Division of Labour)ના સિદ્ધાંતને વ્યાપક રીતે ઉપયોગમાં લેવા માંડ્યો ત્યારથી વિદ્યાઓમાં પણ એ તત્ત્વ દાખલ થયું ને વિજ્ઞાન તથા માનવવિદ્યા એવા બે પ્રવાહો શરૂ થયા. શરૂઆતમાં તો એ લગભગ એકબીજા સાથે ભળીને વહેતા હતા, પણ વખત જતાં એ અલગ થઈ સમાન્તર લીટીએ વહેતા થયા. આ પરિસ્થિતિ છેલ્લા થોડા દાયકામાં જ જન્મી છે, ને વિજ્ઞાનનો પ્રવાહ વધુ ને વધુ પહોળો બનતો જાય છે. આજ તો માનવવિદ્યામાં થતી પ્રગતિ વિજ્ઞાનની પ્રગતિ આગળ જાણે કે ઝંખવાતી લાગે છે વિજ્ઞાનની શોધથી મનુષ્ય ચંદ્રપ્રવાસી બન્યો ને અન્ય ગ્રહો પર પણ તે પગ મૂકશે એ હકીકતોનું લોકમાનસ પર જેવુંતેવું જાદુ નથી. આની અસર વિજ્ઞાન પાછળની ઘેલછાભરી દોટમાં જોઈ શકાય છે. આમાં રહેલાં ભયસ્થાન પર ઘણા સમય પહેલાં આંગળી મૂકતાં બર્ટ્રાન્ડ્ર રસેલે કહ્યું હતું કે, ‘આપણે બાર્બેરિયનો (જંગલીઓ)ની જમાત સર્જી રહ્યા છીએ.’ આનાં પરિણામ આજે દેખાવા માંડ્યાં છે. યંત્રનિર્ભર વિજ્ઞાન માણસને પણ યંત્ર જેવો બનાવી રહ્યું છે. યુરોપમાં એણે સંપૂર્ણ વર્ચસ્ જમાવ્યું તે પહેલાંની શ્રમવિભાજનને પગલે પગલે આ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. લગભગ છએક દાયકા ઉપર એનો ઉલ્લેખ કરતાં કવિવર રવીન્દ્રનાથે કહ્યું હતું કે– ‘પશ્ચિમમાં વાણિજ્ય અને રાજકારણનો રાષ્ટ્રીય સંચો ચોકસાઈપૂર્વક દબાવી તૈયાર કરેલી માનવગાંસડીઓનું ઉત્પાદન કરે છે... ભગવાને સાચે જ માણસને માનવ થવા સર્જ્યો, પણ બીબાઢાળ આ આધુનિક પેદાશની બનાવટ એવી તો નખશિખ સંપૂર્ણ અને અદ્‌ભુત છે, ગંજાવર યંત્રોત્પાદનની એમાં એવી તો બૂ છે કે ખુદ સર્જનહારને પણ પોતાના દૈવી નૂરમાંથી સર્જેલી ને પ્રાણતત્ત્વથી ભરેલી વસ્તુ તરીકે એને ઓળખવામાં મુશ્કેલી પડે.’ કવિવરે આ અવલોકન કર્યું ત્યારપછી તો યુરોપમાં માનવવિદ્યાને વિજ્ઞાન વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે અને તેમાંથી અનેક નવી સમસ્યાઓ જન્મી છે.

(૧૨)

એ સમસ્યાઓનો જાગતિક સંદર્ભમાં અત્રે ઉલ્લેખ નહિ કરતાં આપણને લાગેવળગે છે તેટલા પૂરતો એનો થોડોક નિર્દેશ કરી લઈએ. વિજ્ઞાનનો સંબંધ મુખ્યત્વે વસ્તુજગત સાથે હોઈ માનવવિદ્યાના પ્રમાણમાં આપણે વિજ્ઞાનમાં કંઈક સારું પરિણામ લાવવાની ક્ષમતા ધરાવતા થયા છીએ. આપણા કેટલાક વિજ્ઞાનીઓએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. યંત્રવિજ્ઞાનમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. એ બધું પશ્ચિમની શાળાના શિષ્ય તરીકે આપણા ગુરુઓની પ્રશંસા માગી લે એવું છે. આપણા સાંસ્કૃતિક સંદર્ભમાં આપણી આ ગતિવિધિનો જો અભ્યાસ થાય તો આપણે હવે એ ત્રિભેટે આવીને ઊભા છીએ જ્યાં એને ચોક્કસ દિશામાં વાળવાની, યુરોપ-અમેરિકાને નથી તેવી તક આપણને છે. ‘ધનધાન્યપુષ્પભરા’ આપણી વસુંધરામાં જીવનામૃતની જે અખૂટ સરવાણીઓ એના અનેક સ્તરોમાં વહે છે તેને સપાટી પર લાવવાનું, વખતોવખત ચંડી કરાલી બનતી આપણી લોકમાતાઓનાં ગાડાં ઘોડાપૂરોને ભગીરથની જેમ ભારતના વિરાટ જનસમુદાયને તારતી જાહ્નવીઓમાં પલટાવવાનું, વેરાન રણોને લીલીછમ હરિયાળી ધરતીમાં ફેરવવાનું – એવું એવું કેટલું બધું આપણા વૈજ્ઞાનિકોને પ્રતિપળ આહ્‌વાન આપી રહ્યું છે! જો એ દિશામાં આપણું વિજ્ઞાન વળે તો માનવ્યની જે ભૂમિકા પર માનવવિદ્યાનો પાયો ચણાય છે તેને એમાંથી અખૂટ તાકાત મળે, વિજ્ઞાન અને માનવવિદ્યા વચ્ચે અભેદ રચાય, અને જે શ્રેયતત્ત્વની માનવજાત અનાદિકાળથી ઝંખના કરતી આવી છે તે તેને લાધે. એટલે પશ્ચિમ પાસેથી મળતા વિજ્ઞાનનો આપણી પોતાની રીતે ને આપણી આગવી જરૂરિયાતો તથા સાંસ્કૃતિક સંદર્ભને જાળવીને સત્કાર કરીએ એ યોગ્ય છે. પરંતુ એ સાથે ભારત પાસે માનવવિદ્યાનો જે મોટો વારસો છે તે તરફ જરા જેટલું પણ દુર્લક્ષ થવા ન પામે એ માટે આપણે સતત સાવધાની રાખવાની રહે છે. આપણા વિદ્યાજગતમાં એનો વધતો જતો અભાવ ચિંતાજનક છે. આ માટે એક ઉદાહરણ પૂરતું થઈ પડશે. આપણી ભાષાઓનાં મૂળ સંસ્કૃતમાં છે. વિજ્ઞાન માટેના વધતા જતા આકર્ષણે સંસ્કૃત માટે એક પ્રકારની ઉપેક્ષાવૃત્તિ જન્માવી છે. આપણી ભાષાઓ માટે સંસ્કૃતનું મૂલ્ય કેટલું બધું છે તે તો આપણી ભાષાઓ જેમ જેમ ખેડાતી થઈ તેમ તેમ આપણા લોકોને વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું. એક દુહામાં એ હકીકત બહુ સારી રીતે મુકાઈ છે. એમાં ભારતની વિવિધ લોકભાષાઓનો ‘ભાષા’ તરીકે ઉલ્લેખ કરી કહેવાયું છે કે– भाषा शाखा है सहीं, संस्कृत सो ही मूल, मूल रहत है धूलमें शाखामें फलफूल. એ તો સુવિદિત છે કે સંસ્કૃતના ભવ્ય વારસાને આપણી લોકભાષામાં ઉતારવાનો આપણો પુરુષાર્થ ઘણો નોંધપાત્ર છે, અને એને પરિણામે આચાર્ય આનંદશંકરે નોંધ્યું છે તેમ સંસ્કૃત ન જાણનાર અનેક મૂંગા બોલતા થયા અને ‘જે ડુંગરા સંસ્કૃત ભણેલા પંડિતો ઓળંગી શકતા ન હતા તે તેઓ સહેલાઈથી ઓળંગી ગયા. એથી સંસ્કૃત બોલચાલની ભાષા મટી ગઈ હોવા છતાં એના મૂળમાંથી પોષણ મેળવતી ભાષારૂપી શાખાઓ ફળફૂલથી પાંગરતી રહી છે, પરંતુ મૂળ જો સુકાઈ જાય તો એ શાખાઓનું અસ્તિત્વ ઘણા મોટા જોખમમાં મુકાઈ જાય એ સમજી શકાય એમ છે. આના સંદર્ભમાં રવીન્દ્રનાથનું એક વિધાન યાદ રાખવા જેવું છે. એ મુજબ ‘વૃક્ષમાં સંચિત થયેલો અગ્નિ ફૂલોનું સર્જન કરે છે, બંધનમુક્ત થતાં રાખમાં તે અવસાન પામે છે.’ આપણે માટે સંસ્કૃતનું મૂલ્ય વૃક્ષમાં રહેલા એ પ્રાણવાન વહ્નિ તરીકેનું છે. સંસ્કૃતના આ ઉલ્લેખમાં પાલી, પ્રાકૃત, અવેસ્તા, ફારસી, અરબી, અંગ્રેજી આદિ ભાષાઓ તરફની આપણી બેદરકારી પણ અભિપ્રેત છે. એ જ સ્થિતિ ગુજરાતી અને આપણી ભગિની-ભાષાઓની પણ છે. એ બધી ભાષાઓએ ભારતીય સંસ્કૃતિની જાહ્નવી સર્જી છે. એના સ્પર્શ વિનાની આ ભાષાઓ જગતની જે રીતે કાયાપલટ થઈ રહી છે તેમાં આપણને આપણા મૂળમાંથી ઉખાડી ક્યારે ફેંકી દેશે એ કહેવું મુશ્કેલ છે – પણ એ દિવસ દુર્ભાગ્યે દૂર નહિ હોય, એટલે આપણા સાહિત્યના પ્રવાહને અખંડ વહેતો રાખવા આપણા વિદ્યાકીય ક્ષેત્રે વિજ્ઞાન અને માનવવિદ્યા વચ્ચે સમન્વય સાધવાની અનિવાર્યતા આપણને સમજાય અને આપણે તેનો સ્વીકાર કરીએ એ ઘણું જરૂરનું બન્યું છે.

(૧૩)

આ સંબંધમાં પશ્ચિમ તરફ નજર કરતાં જણાશે કે ત્યાં વિજ્ઞાન અને માનવવિદ્યા વચ્ચેનો અંગાંગી સંબંધ જાણે કે તૂટી રહ્યો છે, પરિણામે પોતાની અખિલાઈ ગુમાવી મનુષ્ય છિન્નમાનવ બનવાની દિશામાં ફંગોળાઈ રહ્યો છે. આમાંથી ઊગરવાનો જો કોઈ માર્ગ ઝાંખો ઝાંખો પણ દેખાતો હોય તો જ્ઞાનના ખંડ-દર્શનની જગ્યાએ એની અખિલાઈના પ્રકાશમાં આપણે વિહરી શકીએ એવી પરિસ્થિતિ સર્જવાનો છે. પશ્ચિમ એ દિશામાં ક્યારે વળશે એની રાહ જોયા વિના આપણે આપણી પોતાની રીતે જ આ ગંભીર સમસ્યા હલ કરવી જોઈએ. એ માટે આપણી પાસે સારી એવી ભૂમિકા છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં જે ધ્યાન બુદ્ધિના વિકાસ ઉપર અપાતું, તેવું જ હૃદયના વિકાસ માટે કાળજીપૂર્વક અપાતું. આપણી માનવવિદ્યાઓ હૃદયધર્મસભર હતી ને વસ્તુજગત એનાથી દીપ્તિમન્ત બનતું. આપણી એ વિદ્યાપીઠોમાં કોઈ એક વિદ્યામાં પારંગત બનતાં પહેલાં વિદ્યાર્થીએ જીવન સાથે સંબંધ ધરાવતી વિદ્યાઓનો વ્યાપક સંપર્ક સાધવાનો રહેતો. કેળવણીનો ગ્રીક આદર્શ પણ આને મળતો હતો. ત્યારે આજની જેમ માણસને ‘ઇકૉનૉમિક મૅન’, ‘ઑર્ગેનિઝેશન મૅન’ કે એવાં લેબલો લગાડવામાં આવતાં નહોતાં. ટૂંકમાં, માનવવિદ્યાના વિચારજગત ને વિજ્ઞાનના વસ્તુજગત વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાઈ તેમાંથી એ બંને વચ્ચે રહેવા સમાન સત્યનું દર્શન થાય અને માનવજીવન વધુ સમૃદ્ધ, વધુ સુંદર ને આનંદપૂર્ણ બને, એવી દિશામાં આપણા વિદ્યાજગતે ગતિ કરવી જોઈએ.

(૧૪)

એ સ્થિતિ સર્જાય ત્યાં સુધી અનેક મુશ્કેલીઓનો આપણે સામનો કરવાનો રહે છે. એ દિશામાંની આપણી ગતિ હજી મંદ છે. આપણે જોયું તેમ સ્વરાજના આગમન સાથે આપણા લેખકો નવી ક્ષિતિજોની શોધમાં પડ્યા, ને એ શોધો મહદ્‌અંશે પશ્ચિમના સાહિત્યમાંથી પ્રેરણા મેળવવામાં કે અનુકરણની દિશામાં વળતી ગઈ. પરિણામે નવલકથા કે નાટક જેવી કલાકૃતિઓના સર્જનવ્યાપારમાં અનિવાર્ય લેખાતી દૃષ્ટિની વિશાળતા, પરલક્ષિતા ને કલ્પનાનું સાતત્ય દાખવવાનું આપણા લેખકો માટે હજુ બાકી છે. અત્યારે તો એમની ગતિ ઊર્મકવિતા અને નવલિકા જેવી નાની મીનાકારીની દિશામાં હોય એવું જણાય છે. એમાં શબ્દોની રમત, દુર્બોધતા, ઘટનાતત્ત્વનો લોપ, આકારનિર્મિતિમાં જ કલાની સાર્થતા આદિ પ્રલોભનોમાં થોડો વખત અટવાઈ, આપણી સર્જનપ્રવૃત્તિનાં ડહોળાયેલાં નીર નીતરવા માંડ્યાં હોય, ને આપણા નવોદિત કવિઓ રણમાં લુપ્ત થવા માંડેલી આપણી સરસ્વતીનાં લોકસાહિત્ય ને લોકબોલીમાંનાં મૂળ શોધવામાં ને તેનાં અમૃતમીઠાં ઝરણાંને નવી તાજગી સાથે ફરીથી સપાટી પર વહેતાં કરવાના પુરુષાર્થમાં મંડ્યા હોય એવી આજની છેલ્લામાં છેલ્લી કૃતિઓ જોતાં જણાય છે. શબ્દોને ભાંગી તેમને નવો ને પ્રતીતિકર ઘાટ આપવો, નવા શબ્દોનું સર્જન કરવું, અંગ્રેજી કે અન્ય ભાષાઓના શબ્દોનો, પૂર્વાપર સંબંધમાંથી અર્થનિષ્પત્તિ થાય એ રીતે, ઉપયોગ કરી એવા શબ્દોનું ગુજરાતી-કરણ કરવું, આપણા શબ્દભંડોળને સમૃદ્ધ કરવો, ભાષાના ઉપયોગમાંથી આભાસી સંસ્કારિતાને દૂર કરી રોજની બોલચાલની ભાષામાં નવી છટા ને ચેતનાનો સંચાર કરી તેને અભિવ્યક્તિનું સબળ વાહન બતાવવું-આવી આવી આપણી દૃષ્ટિએ પડતી પ્રવૃત્તિઓ આપણા આજના સર્જકોને આકર્ષે છે. એને પરિણામે જે સાહિત્ય સર્જાઈ રહ્યું છે તેમાં ઊર્મિકવિતા ને લઘુકથાના ક્ષેત્રનું આપણું પ્રદાન ભારતીય સાહિત્યના સંદર્ભમાં નોંધપાત્ર લેખાતું થયું છે. એ આપણા સાહિત્યની જમા બાજુ આપણને ગમે તેવી છે. પણ એટલાથી આપણે સંતોષ લઈ શકીએ નહિ. એ તો નવલકથા ને નાટકના ક્ષેત્રે આપણી સિદ્ધિઓ પશ્ચિમને પણ અહોભાવથી જોવા લલચાવે એવી બને ત્યારે જ શક્ય બને. એ દૃષ્ટિએ પશ્ચિમ પાસેથી જો કંઈ લેવા ને શીખવા જેવુ હોય તો તે ત્યાંના મોટા સર્જકોનો પુરુષાર્થ છે. ઉદાહરણ તરીકે અનેક પ્રતિકૂળ સંજોગો છતાં સૉવિયેટ રશિયાએ ઉત્તમ લેખાય એવું કેટલું બધું સર્જ્યું છે! ત્યાં જે નવલકથાઓ લખાઈ છે તેમાંની ત્રણ તો નોબેલ પારિતોષિકની વિજેતા બની વિશ્વકૃતિઓ બની ગઈ છે. આ સદીની યુરોપીય સાહિત્યિક સિદ્ધિઓ પણ એવી જ મહાન છે. એમાં નવલકથાક્ષેત્ર મોખરે રહ્યું છે. નોબેલ પારિતોષિકના વિજેતાઓની નામાવલી આની ગૌરવભરી તવારીખરૂપ છે. નાટકના ક્ષેત્રે પણ યુરોપ પાસે સમૃદ્ધ જમાપાસું છે. એ સંદર્ભમાં આપણે એ વિચારવું રહે કે આપણી સૂક્ષ્મતમ સંવેદનાને સ્પર્શે ને આપણા સમસ્ત ચિત્તતંત્રને ખળભળાવી મૂકે એવું ઘણું ઘણું આપણી ચોમેર બની રહ્યું છે છતાં આપણી સર્જકપ્રતિભાને ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાન કૃતિઓના સર્જનમાં એ કેમ દોરી નથી જતું? આપણા સમાલોચકોને કેમ અસંતોષ વ્યક્ત કરવો પડે છે કે આપણાં નાટકો પૈકી જેમાં તખ્તાલાયકી છે તેમાં કલાની ઊણપ છે ને સાહિત્યકૃતિ લેખે સારાં નાટકોની તખ્તાલાયકી પાંખી હોય છે? આપણે ત્યાં હવે તો ગ્રામવિસ્તારોમાં પણ કૉલેજો અસ્તિત્વમાં આવી છે અને એ બધી ગ્રામસંસ્કૃતિની નાભિ જેવી બનવાના મનોરથો સેવે છે. દર વરસે તેઓ નાટ્યસમારંભો યોજે છે; પણ એ બધામાંથી વિદૂષકવેડા, હલકાં મનોરંજન, કટાક્ષો કે ચબરાકિયાં ઉપરાંત આપણને કેમ કશું વધુ મૂલ્યવાન નથી લાગતું? આ પ્રશ્નોના જવાબ શોધવા દૂર જવું પડે એમ નથી. આપણે જાણીએ છીએ કે સાહિત્યનું ઊગમસ્થાન-સાહિત્યની ગંગોત્રી-શૂન્યાવકાશમાં નથી. એની સરવાણીઓ સર્જક જે ધરતીમાં હોય તેમાંથી ફૂટે છે. આ ધરતી તે એનો સમાજ ને એના સામાજિક તથા પ્રાકૃતિક સંદર્ભો. આપણા સર્જકના સામાજિક સંદર્ભો ને તાણાવાણા કેવા પ્રકારના છે એ પ્રશઅન અન્યને પૂછવા કરતાં પોતાને સર્જક લેખનારે પોતાની જાતને જ પૂછવા જેવો છે. આપણા સર્જકો પોતાના નાનકડા વર્તુળ બહાર જે વિશાળ જનસમુદાય છે તેના જીવન સાથે કેવી રીતે ગૂંથાયેલા (Involved) રહે છે તે તપાસવા જેવું છે. અગાઉ આપણે ઉલ્લેખ કર્યો છે તેમ પોતાના સમાજમાં પોતે પરાયો છે એવી માન્યતા સેવવી એને ગમે છે અને એવી પોતાના અનુભવ બહારના એના વાચનમાંના વિદેશી સમાજમાં એ સમાનધર્માને શોધે છે. એ સમાજમાં તો એ બધી રીતે પરાયો છે, પણ એ સમાજનું સાહિત્ય, એની જીવનપ્રણાલી, રીતભાત આદિ અંગે લખાણો દ્વારા માહિતી તે મેળવે છે ને એને પોતાનું અનુભવજગત લેખી પોતે જેને સર્જન માને છે તેવી પ્રવૃત્તિ આદરે છે. પરિણામે એના સર્જનમાં નથી હોતો અનુભવનો રણકો કે નથી કશા જીવનસંદર્ભો.

(૧૫)

આ રીતે પશ્ચિમના સાહિત્યમાંથી પ્રેરણા મેળવી સર્જન કરતો આપણો કલાકાર પોતાની આસપાસ અનુભૂતિનું વિશાળ ક્ષેત્ર હોવા છતાં ‘પાનીમેં મીન પિયાસી’ એવી હાલતમાં અટવાય છે! પોતાના સર્જન માટે એ જેના પર મીટ માંડે છે તે પશ્ચિમનો સમાજ ઉદ્યોગીકરણના પ્રચંડ ઑથાર નીચે હોવાથી સ્થાનિક વૈશિષ્ટ્યનો ત્યાં સદંતર કહી શકાય તેવો લોપ થયો છે. રવીન્દ્રનાથે જે માનવગાંસડીના ઉત્પાદનનું પશ્ચિમના સમાજમાં દર્શન કરેલું તેવી ગાંસડીઓમાં ત્યાંના માનવસમૂહો ને સ્થળો પણ પરિણમ્યાં છે. આથી જીવનની વૈવિધ્યસમૃદ્ધિ ઘટતી જઈ તેમાં એકધારાપણું, યાંત્રિક એકતાના, વૈશિષ્ટ્યશૂન્યતા ને કંટાળો પ્રગટે છે. આ છે પશ્ચિમના કલાકારોના સર્જનવ્યાપાર આડેના પ્રચંડ અવરોધો ને ઑથાર. એની રૂંધામણ અનુભવતાં પોતાની જાતને જીવનની યાંત્રિકતાની ચૂડમાંથી ઉગારવા તેણે મથવાનું હોય છે ને તે સાથે આ બધા ઑથાર નીચે દબાઈ નિર્જીવ વસ્તુરૂપ બનતા મનુષ્યમાં રહેલા મનુષ્યત્વને શોધી કાઢી તેની પુનઃપ્રતિષ્ઠા તેણે કરવાની છે. આ ભગીરથ કાર્ય પાર પાડતાં પશ્ચિમના સમર્થ સાહિત્યસ્વામીઓ જે અમર સર્જન કરતા આવ્યા છે તે આપણા સૌનાં આદરને પાત્ર છે. આપણે જો બહારથી કશું પણ અપનાવવાપણું હોય તો માનવસમાજ સાથે એકાત્મતા સાધવાની આ સાહિત્યસ્વામીઓની અસાધારણ શક્તિ, ધૃતિ, નિર્ભીકતા, આત્મ-ગૌરવ, દૃઢ મનોબળ, અવિશ્રાન્ત સાધના અને ત્યાગ અગ્રસ્થાને છે. એ આપણું કેવું મોટું સદ્‌ભાગ્ય છે કે આપણાં થોડાંક-મહાનગરો બાદ કરતાં આપણી વિરાટ જનતા હજુ પશ્ચિમી જીવનના યાંત્રિક ઢાંચામાં ઢળાઈ નથી ગઈ! પશ્ચિમના કલાકારોને અદેખાઈ સાથે એવી વૈવિધ્યસભરતા આજ પણ એની પાસે ભારોભાર પડી છે. પરિણામે પશ્ચિમમાં માણસની વ્યક્તિગત મુદ્રા ભૂંસાઈ એકસરખાં મહોરાવાળાં માનવસુખો સર્જાઈ રહ્યાં છે તેવું હજુ આપણે ત્યાં બનવા નથી પામ્યું. આપણી વ્યક્તિઓએ પોતાની વ્યક્તિમત્તા નથી ગુમાવી. આમ છતાં આજના મોટા ભાગના ભારતીય સાહિત્ય પર નજર કરીશું તો માત્ર નામ જુદાં હોવાનો અપવાદ બાદ કરતાં કાશ્મીરી, ગુજરાતી કે મરાઠી પાત્રો સામાન્ય રીતે બીબાંઢાળ બનેલાં નજરે પડે છે. વૈવિધ્યમાં એકતાના અનુભવ કરાવવાના આનંદને સ્થાને ઉછીની લીધેલી યાંત્રિક એકતાનું દર્શન કરાવવા મથતો સર્જક નકલી અને અસલી વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી પોતે કોઈ અપૂર્વ સર્જન કરી રહ્યો છે એવું માનતો નજરે પડે છે ત્યારે એના નકલીપણાની વિરૂપતાનું જ દર્શન થાય છે. આપણે ત્યાં રમણલાલ દેસાઈ કે કનૈયાલાલ મુનશીના કરતાં પન્નાલાલ પટેલની નવલકથાઓમાં આપણા લોકોએ આત્મીયતાનાં સવિશેષ દર્શન કર્યાં છે ને એ વાતોમાં એમના સારું એવું પોતાપણું જણાયું છે તેનું રહસ્ય પન્નાલાલે સર્જક તરીકે ઇડરિયા ગઢને લીજ અને નામુરના ગઢ તરીકે નહીં પણ ઇડરિયા ગઢ તરીકે જ ઓળખાવ્યો એ છે. આપણા દેશની અન્ય ભાષાઓમાં આવા પ્રબળ પુરુષાર્થ થઈ રહ્યા છે એ નોંધપાત્ર છે. જેને નિતાન્ત ભારતીય-ભૂમિની સંસ્કૃતિની – કથા કહી શકાય તેવી ભૂમિકા પરથી તારાશંકર ‘ગણદેવતા’ કે ‘આરોગ્યનિકેતન’ જેવી કૃતિઓ સર્જે છે તે ભારતીય લેખક જ આપી શકે એમ આપણે નિઃસંકોચ કહી શકીએ. અહીં ઊડિયા ભાષાની એક નવલકથા ‘અમૃત સંતાન’નું પણ સ્મરણ થાય. ગોપીનાથ મહાન્તીની આ નવલકથા કોઈ આદિવાસી પ્રજાની રહેણીકરણીની માત્ર નૃવંશશાસ્ત્રીય વાત ન રહેતાં એક સર્જકનાત્મક કૃતિ બની જાય છે. જે ભારતીયતાને આપણે અભિવ્યક્તિ આપવી છે તેનાં આપણને આમાં દર્શન થાય છે. પરંતુ આ ઉદાહરણો હાલ તો અપવાદરૂપ જ લેખાય એવાં છે. જોકે આપણા લેખકોમાં આ ક્ષેત્રમાંની આપણી મર્યાદાઓ અંગેની સભાનતા કેળવાઈ રહી છે. ને એમાં સફળતા મેળવવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એ દૃષ્ટિએ ચિંતનાત્મક ગદ્ય અને નિબંધસાહિત્યનું આપણે ત્યાં જે રીતે ખેડાણ થયું છે તે નોંધપાત્ર છે. એમાં હાલ જે મીનાકારી છટા વ્યક્ત કરવાની સાધના નજરે પડે છે તે વખત જતાં મીનાક્ષીમંદિર કે અજન્તા ઇલોરા જેવા ધિંગા સ્થાપત્ય અને શિલ્પની દિશામાં ન વળી શકે એવું માનવાની જરૂર નથી, પરંતુ એ માટે હજુ આપણે ઘણી મજલ કાપવાની રહે છે. નિબંધ કે ચિંતનાત્મક ગદ્યલખાણોથી આગળ વધી સળંગ ગ્રંથનું આયોજન કે નિર્માણ કરવાની દિશામાં ભાષાંતર પ્રવૃત્તિથી આપણે વધુ આગળ વધતા નથી. આપણા ગ્રંથો મોટે ભાગે આપણાં છૂટક લખાણો કે નિબંધોના સંગ્રહરૂપ હોય છે. આપણા અધ્યાપકો પાઠ્યપુસ્તકોનું સળંગ ગ્રંથ તરીકે સર્જન કરે છે પણ તેમાં મહદંશે ભાષાંતરિયા શુષ્કતા ને પરોપજીવી (Parasitic) વલણ હોય છે. ચીલાચાલુ ને ઘસાઈ ગયેલા શબ્દોને બદલે વક્તવ્યને અસરકારક બનાવતા ને તાજગી બક્ષતા શબ્દો શોધવાની કે સર્જવાની નહિ જેવી તૈયારી એમાં દેખાય છે. મોટાં સર્જન માટે કાચી સામગ્રીરૂપ લેખાતાં આવાં બધાં તત્ત્વો અંગે આપણા સમાલોચકો જો જરૂરી માર્ગદર્શન આપતા રહે તો સર્જનવ્યાપારને એ ઘણું ઉપકારક નીવડે. આમાં આપણી ભવ્ય પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાને છાજે એ રીતે વિશ્વસાહિત્યની હરોળમાં આવતાં પહેલાં આપણે ઘણી મજલ કાપવાની છે. પણ જે ઘડીએ મન એ દિશામાં પોતાની બધી શક્તિ અને નિષ્ઠા સાથે પ્રવૃત્ત થશે તે જ ઘડીએ આજે જેમ માનવસર્જિત યાને આપણી કલ્પનામાં પણ ન આવે એવી ગતિથી સ્થૂળ અંતરો કાપે છે તેમ આ અંતરો જોતજોતામાં હટી જશે. એ આશા સેવવા માટે આપણા નવીનોનો ઉત્સાહ આપણને પ્રેરણા આપે છે. બોલાતી ભાષાને શિષ્ટ સાહિત્યના ચલણી નાણાંની ક્ષમતા અપાવવાના એમના સભાન અને સમજપૂર્વકના પ્રયત્નો, ને પરંપરામાં બંધાઈ રહેવા આડે ઘૃણા દાખવતું ને વિદ્રોહી લેખાતું એમનું માનસ આપણને ગમે એવું છે. પણ જે કંઈ ઉત્તમ છે તે અન્યત્ર છે એવા ખ્યાલથી પ્રેરણા માટે મહદંશે વિદેશો ઉપર મીટ માંડતા રહેવાનું માનસિક વલણ સર્જનશક્તિ આડે મોટા અવરોધ ઊભા કરે છે. એ અંગે વખતોવખત સમભાવપૂર્વક તજ્જ્ઞો તરફથી એમને દિશાસૂચન થતું રહે. ને એમના બળવાખોર માનસને એ રુચે નહિ તોપણ, મોડીવહેલી એની અસર થવા વિના નહિ રહે; કારણ કે એમના એ માનસ પાછળનું ચિરતત્ત્વ તો સત્ય માટેની ખોજ જ હોઈ શકે – ને જે કોઈ સાચો સર્જક બનવાનાં સ્વપ્ન સેવે છે તેને આથી લેશમાત્ર પણ નીચું નિશાન તાકવું પરવડે તેમ નથી.

(૧૬)

આમ સાહિત્ય માટે નિરંતર જે નવી નવી ક્ષિતિજો આપણે ઢૂંઢતા રહેવાનું છે તેનો વ્યાપ અપરિમિત છે, અને જીવન સાથે એને ગાઢ સંબંધ હોઈ ફરીથી આપણે તે એકના એક પ્રશ્ન સામે આવીને ઊભા રહીએ છીએ કે લેખક અને વાચકની સહિયારી દુનિયા કઈ? એમાં લેખક કયા વાચકનો ને ક્યાં સુધી સાથ કરી શકે છે? ગાંધીજીની જે વાત હતી તે જ ફરીથી આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. ગઈ કાલે જે કંઈ હતું તે આજે નથી, ગઈ કાલની ખોવાઈ ગયેલા દુનિયા આજે તે ના તે રૂપમાં પાછી આવે એમ નથી એ હકીકતનો સ્વીકાર કરીને જ આપણે નક્કર ભૂમિ પર ડગ ભરવાનાં રહે છે. અગાઉ કવિ અને શ્રોતા વચ્ચે જે અભેદ હતો તે આજે સમૂહમાધ્યમમાં (માસ-મીડિયા)ના જમાનામાં રહેવા પામ્યો નથી. સમૂહમાધ્યમે વક્તા ને શ્રોતા વચ્ચેનો વ્યવહાર એકમાર્ગી બનાવી દીધો છે. એ બેઉ વચ્ચેની સંવાદની ભૂમિકા લુપ્ત થઈ છે, ને ટેલિવિઝન જે આપણે ત્યાં હાથવેંતમાં છે તે આવતાં તો એ ભૂમિકાના પુનઃસર્જનની આશા પણ સંભવતઃ નષ્ટ થઈ જશે. એ સંજોગોમાં જેમણે સાહિત્યને પોતાનો ધર્મ લેખ્યો છે તે સૌની એ જવાબદારી બને છે કે સમૂહમાધ્યમનો વિરોધ કરવાને બદલે માનવજીવનને ઊર્ધ્વગતિ આપવા એનામાં કેવી રીતે સંવાદિતા પ્રગટાવી શકાય તે શોધી કાઢવું જોઈએ. છેલ્લા થોડા વખતમાં ચલચિત્રની દુનિયામાં સત્યજિત રાય જેવા નિર્માતાએ લોકમાનસ પર જે પ્રભાવ પાડ્યો છે તેમાં આ માધ્યમોના શ્રેયમાર્ગના નૂતન પ્રવાસની શક્યતાઓ રહેલી જણાશે. એ દિશામાં એની ગતિ વાળવા આડે અનેક મોટા અવરોધો છે ને વધતા રહેવાના છે. પણ એમાં સર્જક પ્રતિભાને જે પ્રચંડ આહ્‌વાન રહેલું છે તેમાં આપણે માટે સફળ પુરુષાર્થની અનેક નવી શક્યતાઓ છે. સફળ પુરુષાર્થનો એવો દિવસ આપણે માટે ઘણો દૂર ન હો એવી આપણી પ્રાર્થના સાથે એ પ્રતીતિ આપણા મનમાં દૃઢ બનો કે માણસ જંતુ નથી કે નથી એ કોઈ તુચ્છ વસ્તુ. એનાથી શ્રેષ્ઠતર જગતમાં બીજું કશું જ નથી, અને એથી સર્જક તરીકે જો આપણા સહપ્રવાસીઓ કરતાં આપણે કંઈક વધુ દૂર જોઈ શકતા હોઈએ તો પરાયાપણાની કે એકલવાયાપણાની મનોદશા આપણે માટે આત્મઘાતક છે, એ વાત એકાદ ક્ષણ માટે પણ આપણાથી ન ભુલાઓ! જે માનવમહેરામણને તીરે આપણે ઊભા છીએ તેનું ઐશ્વર્ય અપરિમિત છે. એની સાથે તદાકાર થવાના પ્રતિપળના આહ્‌વાનને ઝીલવાનો આપણો કવિધર્મ પરમ સત્યની એવી અભિવ્યક્તિમાં પરિણમો જેમાં છે આત્માની અમૃતા કલા.