પોત્તાનો ઓરડો/પ્રકરણ ૬
બીજે દિવસે સવારે લંડનના એ જ કોલાહલે મને જગાડી. સૂર્યનાં કિરણો પડદા વગરની બારીમાંથી ઓરડામાં પ્રવેશી રહ્યાં હતાં. લંડન ગામ જાણે ઑક્ટોબરની એ સવારે આળસ મરડીને ઊભું થઈ રહ્યું હતું. ફેક્ટરીઓનાં મશીનો ધીમે-ધીમે ઝડપ પકડી રહ્યાં હતાં. રાતના લાંબા સમયના વાંચન પછી સવારે બારીમાંથી બહાર જોઈ છવ્વીસમી ઑક્ટોબર ૧૯૨૮ની સવારે લંડન શું કરી રહ્યું હતું તે જોવામાં આંખને રસ પડતો લાગ્યો. મેં બારીની બહાર નજર કરી. શું કરી રહ્યું હતું લંડન? કોઈ એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા વાંચવા નવરું ન હતું. લંડનને શેક્સપિયરનાં નાટકોની જરાય પડી હોય તેમ લાગતું ન હતું. બે ટકાનીય પડી હોય તેમ લાગતું ન હતું. તેને નવલકથાના ભવિષ્યની, કે કવિતાના મૃત્યુની, કે પછી સામાન્ય સ્ત્રી-લેખિકાની ભાષા-શૈલી જેવી કોઈ પણ બાબતની કંઈ જ પડી ન હતી. અરે આ વિષયો પર ઉત્કૃષ્ટ વિચારો શહેર વચ્ચોવચ્ચ રોડ ઉપર ચીતર્યા હોય તો કોઈને તેને વાંચવાની કે તેના તરફ જોવાનીય ફુરસત ન હતી. આવતા-જતા લોકોનાં ઉતાવળાં પગલાંઓએ એ બધાં લખાણો વંચાય તે પહેલાં ભૂંસી નાખ્યાં હોત. લંડનના રસ્તાઓની વિશેષતા એ છે કે ત્યાં તમને એકસરખા બે લોકો ક્યારેય જોવા જ મળતા નથી. એકસરખા ઇરાદાવાળા લોકો પણ નહીં. દરેકેદરેક પોતપોતાને રસ્તે જાય છે. થોડા વખત પછી, દોડાદોડનો સવારનો સમય પૂરો થતાં લંડનના રસ્તાઓ પર શાંતિ પથરાય છે. જાણે રસ્તાઓ ઊંઘવા માંડે છે. ક્યાંય કોઈ ટ્રાફિક નથી. દૂરના એક વૃક્ષ પરનું પીળું પાન ડાળ પરથી ખરી પટ દઈને નીચે પડે છે. આ ખરતું પાન જાણે આપણાથી જાણતાં-અજાણતાં બનતી ઘટનાઓને યાદ અપાવતા સિગ્નલ સમું હતું. એ પાસે વહેતા ઓક્સબ્રિજ ઝરણાની યાદ આપતું હતું જે કોઈની પણ પરવા કર્યા વગર અવિરત વહ્યા કરે છે. ત્યાં મેં જોયું કે મારી બારીની બરાબર નીચે એક યુવક અને યુવતીએ ટેક્સી ઊભી રાખી અને બંને ટેક્સીમાં બેઠાં. તરત ટેક્સી ચાલી ગઈ. આ દૃશ્ય અત્યંત સામાન્ય હતું પણ કોણ જાણે ક્યાંથી મારી કલ્પનાએ તેમાં કંઈક વિશેષ લય શોધી કાઢ્યો. આ દૃશ્ય સામાન્ય હોવા છતાં અસામાન્ય હતું. બે લોકો રસ્તા પર મળે એ દૃશ્ય જ મગજને શાંતિ આપતું હતું. બે દિવસથી સતત મારા વિચાર સેક્સની આસપાસ જ વણાયેલા હતા. આ દૃશ્યે વિચાર માટે એક નવી દિશા ખોલી આપી. સ્ત્રી અને પુરુષના ભેદ કરવામાં મગજને કસરતની જરૂર પડે છે; એવો વિચાર સપ્રયોજન થાય છે. કદાચ એમ વિચારવાથી મગજની એકરૂપતા પર અસર થાય છે. પણ આવા ભેદ ભૂલી જઈને, ભેદ જોવાનો પ્રયત્ન વીસરીને, જ્યારે મેં એક સ્ત્રી-પુરુષને ટેક્સીમાં બેસતાં જોયાં ત્યારે પ્રયાસ વગર મગજમાં એકરાગતા ઊભી થઈ. મગજ પણ કેવું રહસ્યમય છે! હું મનોમન કહી રહી. બારી છોડી હું ઘરમાં આવી ગઈ. મગજની એકરાગતા એટલે શું? હું પૂછી રહી. મગજની શક્તિઓ એટલી અમાપ છે કે એક જ પરિસ્થિતિમાં એ એક ક્ષણ માટે પણ રહી શકતું નથી. જેમ કે ક્ષણમાં તે રસ્તે જતા લોકોમાંથી નીકળીને અન્ય વિચારમાં પરોવાઈ જાય છે. ક્ષણમાં તે લોકોના ટોળામાં જઈ મળી જાય છે. વળી તે પોતાના પુરોગામીઓના માધ્યમથી ભૂતકાળ વિશે પણ વિચારી શકે છે. આગળ જણાવ્યું તેમ આપણે સ્ત્રીઓ આપણી પુરોગામી સ્ત્રીઓ – મા અને દાદી – થકી ભૂતકાળ વિશે વિચારતી હોઈએ છીએ. અને જો તમે સ્ત્રી હોવ તો તમારી સભાનતા કોણ જાણે કેટકેટલા ભાગોમાં વહેંચાયેલી હોય છે! સ્પષ્ટપણે મગજ સતત પોતાનું ફોકસ બદલ્યા કરતું હોય છે. પણ આમાંની કેટલીક માનસિક પરિસ્થિતિઓ ઘણી બેચેનીભરી હોય છે અને તે બધાની વચ્ચે ટકી રહેવા આપણે સભાનતાપૂર્વક જાતને રોકી રાખવી પડે છે. ધીરેધીરે રોકી રાખવાથી આ પ્રક્રિયા અને મનોભાવનું આમ દબાવી રાખવું મુશ્કેલ બની જાય છે. પણ મનની એક એવી સ્થિતિ ચોક્કસ હશે કે જેમાં કશો પ્રયત્ન આવશ્યક ન હોય, કેમકે કશું વિચાર્યા વગર પેલા યુગલને જ્યારે મેં ટેક્સીમાં બેસતું જોયું ત્યારે મેં ચોક્કસ એમ અનુભવ્યું કે વિભાગોમાં વહેંચાયેલું મારું મગજ અચાનક જ સ્વાભવિકપણે એકરૂપ થઈ ગયું હતું. કદાચ એનું કારણ એ કે અરસપરસ સહયોગ તે બંને જાતિઓનો સ્વાભાવિક ગુણ છે. સ્ત્રીપુરુષના મિલનમાં જ મોટામાં મોટું સુખ અને સંપૂર્ણ સંતોષ છે એવી થિઅરીને સ્વીકારવા મન જરૂર પ્રેરાય. કદાચ આ થિઅરી વૈજ્ઞાનિકતા પર આધારિત ન પણ હોય. એ બંનેને ટેક્સીમાં બેસતાં જોઈને મને એક અન્ય વિચાર પણ આવ્યો – શું મનુષ્યશરીરની જેમ મનુષ્યમગજને પણ બે સેક્સમાં વહેંચી શકાય? શું તે બંનેને પણ સંપૂર્ણ સંતોષ અને આનંદના ચરમબિંદુ પર પહોંચવા માટે એકાકાર થવાની જરૂર છે? અને મેં કલ્પના કરી કે જાણે આપણા બધાના આત્મામાં બે ઘટકો છે – એક પુરુષઘટક અને બીજું સ્ત્રીઘટક. તરત કલમ ઉપાડીને મેં તે કલ્પિત આત્માનો સ્કેચ દોર્યો. પુરુષના મગજમાં પુરુષઘટક તેના સ્ત્રીઘટક પર જ્યારે સરસાઈ ભોગવે છે અને સ્ત્રીના મગજમાં સ્ત્રીઘટક તેના પુરુષ-ઘટક પર સરસાઈ ભોગવે છે ત્યારે આપણે સામાન્ય સંતુલિત મન:સ્થિતિમાં હોઈએ છીએ. સ્ત્રી કે પુરુષ બંનેમાં વિરોધી સેક્સના ગુણો તો હોવાના જ. કદાચ કોલરિજે મહાન વિચારકોનાં મગજ એન્ડ્રોજીનસ (ઊભયલિંગી) હોય છે તેમ કહ્યું ત્યારે તેના મનમાં આ જ ભાવ હશે. જ્યારે આ સંયોજન આકાર લે છે ત્યારે જ મગજ સંપૂર્ણપણે ફળદ્રુપ બને છે અને ત્યારે જ તેની એ બધી શક્તિઓ કામે લાગે છે. કદાચ સંપૂર્ણપણે મેસક્યુલાઈન, (પુરુષમય) મગજ સર્જન ન કરી શકે. સંપૂર્ણ ફેમીનાઈન, (સ્ત્રીમય) મસ્તિષ્ક પણ સર્જન માટે અપૂરતું હોય. સર્જન માટે લેખકનું મેન-વુમનલી (સ્ત્રીગુણયુક્ત પુરુષ), વુમન-મેનલી (પુરુષગુણયુક્ત સ્ત્રી) હોવું અત્યંત આવશ્યક છે. પણ ઉપરોક્ત સંજ્ઞાઓ સમજવા માટે બે-ચાર પુસ્તકો જોઈ લેવાં સારાં. સર્જક મસ્તિષ્ક એન્ડ્રોજીનસ (ઉભયલિંગી) હોય છે, એમ જ્યારે કોલરિજે કહ્યું ત્યારે તેમાં સ્ત્રી પ્રત્યેની વિશેષ સહાનુભૂતિ હોવાનો ભાવ ન હતો. સ્ત્રીના પ્રશ્નો કે સ્ત્રીની અનુભૂતિઓને એવું મસ્તિષ્ક સમજવા માટે પ્રયત્ન કરે છે એવો અર્થ પણ તેન અભિપ્રેત ન હતો. કદાચ એન્ડ્રોજીનસ (ઉભયલિંગી) મસ્તિષ્ક સ્ત્રી-પુરુષના ભેદને સમજવામાં સફળ થાય તેના કરતાં કોઈ પણ એક જાતિનું મસ્તિષ્ક આને સમજવા વધુ સમર્થ છે. આ સંજ્ઞાનો કોલરિજને અભિપ્રેત અર્થ કદાચ એવો હતો કે ‘એન્ડ્રોજીનસ’ (ઉભયલિંગી) મસ્તિષ્ક સ્રવતું અને ઝમતું હોય છે. આવું મસ્તિષ્ક કોઈ પણ પ્રકારના અવરોધો ઊભા કર્યા વગર લાગણીનું પ્રસારણ કરી દે છે અને તે સ્વત: સર્જનશીલ હોય છે. તે વીજળીના ગોળાની જેમ પ્રકાશિત અને પરિપૂર્ણ હોય છે. ‘એન્ડ્રોજીનસ’ મસ્તિષ્કનો વિચાર કરતાં શેક્સપીયરનું સ્મરણ થાય. તે ‘મેન-વુમનલી’ હતો એમ કહી શકાય, પણ તેનો અર્થ એવો નથી કે શેક્સપિયરને સ્ત્રીના પ્રશ્નો સાથે નિસબત હતી. જો વિકસિત મસ્તિષ્કનું લક્ષણ એ જ હોય કે તે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદ કરતું ન હોય તો એવી સ્થિતિએ પહોંચવું પહેલાના વખતની સરખામણીમાં હવે વધુ અઘરું છે. મને લાગે છે આપણો સમય સ્ત્રી-પુરુષના ભેદ વિશે જેટલો સભાન છે તેટલો અન્ય કોઈ સમય સભાન ન હતો. પુરુષો દ્વારા લખાઈ રહેલાં સ્ત્રી-વિષયક લખાણો આ વાતનો પુરાવો છે. આ માટે સ્ત્રી-હક્કની ઝુંબેશને પણ જવાબદાર ઠેરવી શકાય. એ ઝુંબેશે પુરુષમાં પોતાનું ચઢિયાતાપણું સાબિત કરવાની વૃત્તિને વેગ આપ્યો. તેને લીધે તેઓ પોતાની જાતિ અને તેનાં લક્ષણો વિશે સવિશેષ રૂપે સભાન બન્યા. જો પુરુષોને પડકારાયા ન હોત તો કદાચ તેઓ પોતાના વિશે, પૌરુષની વ્યાખ્યા વિશે, વિચારવા પ્રેરાયા જ ન હોત. જે આ પહેલાં ક્યારેય પડકારાયા જ ન હોય તે બે-પાંચ સ્ત્રીઓ દ્વારા પણ પડકારાય તો તેમને અસહ્ય લાગવાનું. એક નામાંકિત પુરુષ નવલકથાકારનું પુસ્તક હાથમાં લેતાં હું વિચારી રહી. આ લેખક પણ પડકારપ્રેરિત લેખન જ કરી રહ્યો હતો. મેં પુસ્તક ઉઘાડી વાક્યો પર નજર કરી. ફરીથી પુરુષલેખનમાં પાછા ફરવાનું ગમ્યું. સ્ત્રીના લેખનની સરખામણીમાં પુરુષનું લેખન સ્પષ્ટ અને સચોટ હતું. તેના લેખનમાં કેવો આત્મવિશ્વાસ હતો! મનનો તેમજ દૃષ્ટિનો કેવો ઉઘાડ હતો! આવા નાનપણથી જ ખુલ્લી હવામાં શ્વાસ લેવા ટેવાયેલ, કોઈ પણ પ્રકારના દમનના અનુભવથી મુક્ત, સુશિક્ષિત વ્યક્તિત્વના લેખનમાં એક વિશેષ સૌષ્ઠવનો અનુભવ થતો હતો, પણ બે-એક પ્રકરણ વાંચ્યાં ત્યાં તો પુસ્તકના પાના પર જાણે કોઈ ઓળો ઊતરી આવ્યો, જે કાળા ધબ ખવીસ જેવો – અંગ્રેજીના અક્ષર ‘L’ એલ જેવો હતો. શું હતું એ? શું એ કોઈ સ્ત્રીનો પડછાયો હતો? કે પછી વૃક્ષનો પડછાયો? કશું સમજાતું ન હતું. મને પાના પર સતત દેખાતા એ ‘L’ એલનો કંટાળો આવવા લાગ્યો. અરે! પણ હું જેને ‘L’ એલ વાંચતી હતી તે એલ નહીં પણ ‘I’ આઈ હતો. ખૂબ સન્માનનીય પ્રથમ પુરુષ એકવચન સર્વનામ. સદીઓના શિક્ષણ અને સરસ માજવતથી ઘડાયેલ સરસ મઝાનો ‘I’ હું. તે ‘I’ ને મેં હૃદયપૂર્વક માન આપ્યું. હું બે-ચાર પાનાં ઉથલાવું છું અને એ દરમિયાન પેલા ‘I’ના પડછાયાને બદલાતો જતો જોઉં છું. હવે તેનો કોઈ ઘાટ નથી, આકાર નથી. શું એ કોઈ વૃક્ષના પડછાયામાં ફેરવાઈ ગયો છે? કે પછી? ના, ના; હવે કળાય છે આ તો સ્ત્રીનો પડછાયો છે. પણ...પણ તેને જાણે હાડકાં જ નથી. હાડકાં વગરની સ્ત્રી. દરિયાકિનારેથી ચાલી આવતી. એનું નામ ફીબ છે. એને જોઈને એલન તરત ઊભો થાય છે. અને જોતજોતામાં એલનનો પડછાયો ફીબના પડછાયાને ભૂંસી નાખે છે. કેમ? કેમકે એલનને પોતાનો આગવો વિચાર છે. અને ફીબ તેના વિચારના પૂરમાં વહી જાય છે. એલન હવે લાગણીના આવેગમાં પેલી તરફ વધી રહ્યો છે. હું ઉતાવળે પાનાં ઉથલાવું છું. મને લાગે છે કે હવે કંઈ ન બનવાનું બનશે. અને થોડાં પાનાં પછી સમુદ્રકિનારે સૂર્યના ચોખ્ખા પ્રકાશમાં મને જેની આશંકા હતી તે ઘટના બને છે, સાવ ખુલ્લામાં, સાવ સાર્વજનિક જગ્યાએ ખૂબ આવેશ સાથે બધું બની જાય છે. આના કરતાં વધુ અણછાજતું અન્ય કંઈ ન હોઈ શકે! પણ... પણ ઘણી વાર તો... મારું વાક્ય અધૂરું જ રહી જાય છે. હું જાતને કારણો આપું છું. ‘પણ...પણ શું કરે છે. માંડેલું વાક્ય પૂરું તો થવું જ જોઈએ.’ ‘શું પૂરું કરે વાક્ય!’ ‘ભલે ત્યારે પૂરું કરી દઉં.’ ‘પણ...પણ હું કંટાળી ગઈ છું.’ બસ! શા માટે? કદાચ આ ‘I’ ‘હું’ના પ્રભુત્વથી. મહાકાય બીચના વૃક્ષ જેવો આ ‘I’ વિશાળ પડછાયો પાડે છે. તેના તળે અન્ય કંઈ ઊગી ન શકે. મારા કંટાળાનાં અન્ય કારણો પણ છે. મને એલન યાદ આવી જાય છે. તેના મસ્તિષ્કના સર્જનશીલ ફુવારાને કોઈ અવરોધ નડે છે. મને ક્ષણમાત્રમાં ઑક્સબ્રિજનું જમણ, સિગારેટની રાખ, પેલી સુંદર મઝાની પૂંછડી વગરની બિલાડી અને ટેનિસન તથા ક્રિસ્ટીના રોઝેટીનું સ્મરણ થઈ આવે છે. કદાચ આ અવરોધ અહીં જ હતો. એલન હવે પેલું ગીત “લાગણીના ફૂલમાંથી આંસુ ટપક્યું / મોંઘેરું આંસુ ટપક્યું” ગણગણતો નથી. સમુદ્રકિનારે રેતી પર ચાલી આવતી ફીબ પેલાની પંક્તિના જવાબમાં “હૈયું મારું ગાતું પંખી / પાણીમાં બાંધે માળો.” ગાતી નથી. તેની પાસે પહોંચીને એલન તેને શું કહેશે? એલન દિવસ જેવો પ્રામાણિક છે; સૂર્ય જેવો તર્કબદ્ધ. આવા સંજોગોમાં તે એક જ વસ્તુ કરી શકે. અને એલન તે કરે છે. ફરી. ફરી. ફરી. અને તેનું આ વર્તન કંટાળાજનક બની જાય છે. શેક્સપિયરનાં પાત્રોનું સ્ત્રી સાથે આવું અણછાજતું વર્તન માત્ર મગજના હજારો વિચારોને સમૂળગા ઉખાડી નાખે છે. પણ તે કંટાળાજનક નથી. શેક્સપિયરનાં પાત્રો આવું આનંદ ખાતર કરે છે. એલન એ જ કાર્ય નિશ્ચિત ઇરાદાપૂર્વક કરે છે. તે આ કાર્ય વિરોધ જાહેર કરવા કરે છે. તે સ્ત્રીની સમાનતા વિરુદ્ધ પોતાના અણગમાને જાહેર કરવા, પુરુષને સ્ત્રી કરતાં ચઢિયાતો સાબિત કરવા, આ કાર્ય કરે છે. અને તેથી તે અવરોધ અનુભવે છે. તેથી તે પોતાના કાર્ય પ્રત્યે સભાન બની જાય છે. શેક્સપિયર પણ જો મિસ ક્લવ કે મિસ ડેનિસને ઓળખતો હોત તો તેના પણ આ જ હાલ થાત. ઓગણીસમી સદીને બદલે નારીવાદી આંદોલન જો સોળમી સદીમાં પ્રારંભાયું હોત તો એલિઝાબેધન સાહિત્ય તદ્દન ભિન્ન હોત. આનો અર્થ એ થયો કે મસ્તિષ્કના બે ઘટકોવાળી થિઅરી બરાબર હોય તો પૌરુષ હવે સભાન બની ગયું છે. પુરુષો પોતાના મસ્તિષ્કના પુરુષમય ઘટકની મદદથી લખી રહ્યા છે. સ્ત્રી માટે તેમનું લેખન વાંચવું નિરર્થક છે કેમકે તે આ પુરુષોના લેખનમાં તે જે શોધવાની છે તે તેને મળવાનું નથી. આવા લેખનમાં સંકેતશક્તિનો તદ્દન અભાવ જણાય છે. આમ વિચારતાં હું કબાટમાંથી એક જાણીતા વિવેચકનું પુસ્તક હાથમાં લઉં છું. પુસ્તક છે કવિતા-કલા વિશે. મારા વિચારનું સમર્થન મેળવવાના ઇરાદાથી હું બે-પાંચ વાક્યો વાંચું છું. તેનાં વાક્યો તર્ક અને ગહન વિચારોથી ભરેલાં છે. ભારોભાર જ્ઞાનથી લદાયેલાં છે. પણ આ વાક્ય વાચક સુધી પોતાના અર્થને પહોંચાડવા માટે સક્ષમ નથી. જાણે લેખકનું મગજ કાચના સાઉન્ડ પ્રૂફ કેબિનમાં વહેંચાયેલ ન હોય! એક કેબિનનો અવાજ કાચની દીવાલને પાર બીજી કેબિનમાં જઈ જ ન શકે! અને તેથી જ આ વિવેચકનું દરેકેદરેક વાક્ય મૃતપ્રાય લાગે. આની સરખામણીમાં કોલરિજ જેવા લેખકનું કોઈ પણ વાક્ય તપાસીએ. કોલરિજનું વાક્ય વાચકના મગજમાં અન્ય કેટલાય વિચારો જન્માવી જાય છે. જાણે કોલરિજનું વાક્ય સુષુપ્ત મગજને ધડાકા સાથે ઝંઝોડી જાગ્રત કરી જાય છે. આવા વાક્યમાં સાહિત્યના સાતત્યપૂર્ણ જીવનનું રહસ્ય છુપાયેલું હોય છે. કારણ જે કાંઈ હોય તે પણ ન ફાવે તે વસ્તુને નકારવા જેટલી હિંમત તો કેળવવી જ પડે. કબાટોમાં હારબંધ પુસ્તકો પડ્યાં છે – મહાન પુરુષલેખકો દ્વારા લખાયેલાં. ગાર્લ્સવર્ધી, કીપલિંગ અને અન્ય. વિવેચકો ગમે તેટલું કહે પણ સ્ત્રીને આ બધામાંથી પ્રેરણાના સ્રોત મળવાના નથી. આ બધાં પુસ્તકો પુરુષપ્રધાન મૂલ્યો, પુરુષપ્રધાન નીતિ. તેમજ પુરુષપ્રધાન જગતને ચિત્રિત કરે છે તે તો બરાબર પણ તે ઉપરાંત આ બધાં પુસ્તકો જે લાગણીનું વિશ્વ ઊભું કરે છે તે તેની [સ્ત્રીની] સમજણથી પર છે. કીપલિંગ કે ગાર્લ્સવર્ધી બેમાંથી એકમાં પણ સ્ત્રીઘટકનો સ્પર્શ સુધ્ધાં નથી અને તેથી જ તેમની સમગ્ર આવડત સ્ત્રીવાચકને અપરિપક્વ જણાય છે. તેમનામાં સંકેતશક્તિ નથી. અને કોઈ પણ પુસ્તકમાં જો આ ગુણ ન હોય તો તે મસ્તિષ્કની બહારની સપાટી પર ગમે તેટલા પ્રહાર કરવા છતાં અંદર પ્રવેશ પામી શકતું નથી. નિર્ભેળ પૌરુષના ગ્રીક આદર્શનું સ્મરણ મને થાય છે. ગ્રીક વિચારકોને મન નિર્ભેળ પૌરુષ તત્ત્વ ગ્રીસ માટે અત્યંત અનિવાર્ય હતું. કદાચ રાષ્ટ્રહિતમાં આ તત્ત્વે મદદ પણ કરી હોય, પરંતુ કવિતા અને કલાનું શું? કલાને તેના લીધે ઘણું સહન કરવું પડ્યું હશે. ઇટાલીમાં નવલકથાના વિકાસ માટે એક સમિતિ રચવામાં આવેલી. એ સમિતિની મિટિંગના અંતે આશા વ્યક્ત કરવામાં આવેલી કે ફાસીસ્ટ વિચારધારા જલદીમાં જલદી નવા સર્જકોને જન્મ આપશે. આપણે બધા આ આશાવાદમાં સૂર ભલે પુરાવીએ પરંતુ એટલું સમજવું ઘટે કે ઇન્ક્યુબેટર કવિતા-સર્જનમાં મદદ ન કરી શકે. સર્જનને તો પિતાની સાથોસાથ માતાની પણ જરૂર હોય છે. પણ આવા વિચારો માટે કોઈ જાતિને દોષ આપી શકાય તેમ નથી, બધા બળાત્કારીઓ અને સુધારકો આને માટે જવાબદાર છે. સેક્સ વિષયક સભાનતાને સતેજ બનાવનાર બધેબધા આને માટે જવાબદાર છે. પહેલાંના જમાનામાં કોઈજ સભાનતા વગર સર્જકો પોતાના વ્યક્તિત્વના સ્ત્રી તથા પુરુષ બંને પક્ષોને ન્યાય આપતા. તેઓ સાચા અર્થમાં ઉભયલિંગી હતા. શેક્સપિયર, કીટ્સ, કૉપર, લેમ્બ, કોલરિજ જેવા લેખકો આનું ઉદાહરણ પૂરું પાડે છે. શેલી તો સેક્સને અતિક્રમી ગયો હતો તેમ મનાય છે. મિલ્ટન અને બેન જોન્સનમાં પૌરુષ વધુ પ્રમાણમાં હતું. વર્ડ્ઝવર્થ અને ટૉલ્સ્ટૉયનું પણ તેમ જ હતું. જ્યારે સમકાલીન સમયમાં પ્રુસ્ટને ઉભયલિંગી ગણાવી શકાય ખરો. આ બધા વિચારોને અંતે હું મારા ઓરડામાંના ટેબલ પર પાછી આવું છું. ટેબલ પર ‘સ્ત્રી અને નવલકથા’ લખેલ કોરો કાગળ મારી સામે પડ્યો છે. હું આ શીર્ષક નીચે પ્રથમ વાક્ય માંડું છું :
- ‘કોઈનું પણ પોતાની સેક્સ – જાતિ વિશે સભાન હોવું એક ગુનો છે. નિર્ભેળ સ્ત્રી કે પુરુષ વ્યક્તિત્વ લેખન માટે ખતરનાક છે. સર્જકે ‘મેન-વુમનલી’ કે ‘વુમન-મેનલી’ હોવું ઘટે. સ્ત્રીનું પોતાના સ્ત્રીત્વ પ્રત્યે સભાન હોવું, સભાનપણે પોતાનો અસંતોષ વ્યક્ત કરવો કે ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરવો પણ ઘાતક છે. અહીં ‘ઘાતક’ શબ્દ કોઈ અલંકાર રૂપે નથી. કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા સાથે સર્જાયેલ સાહિત્ય શાપિત હોય છે. એવા સાહિત્યને શાપ હોય છે, મૃત્યુનો. તે વિકાસને રૂંધે છે. ભલે પ્રારંભે આવું સાહિત્ય બે-ચાર દિવસ માટે બુદ્ધિના ઝબકારાથી વાચકને આંજી નાખે કે પછી સશક્ત છટાથી નામના મેળવે પરંતુ રાત પડતાં તે કરમાઈ જશે. તે અન્યના મગજમાં પાંગરી શકે તેમ નથી હોતું. સર્જન કલા કંઈ પણ નવું જન્માવે તે પહેલાં સર્જક મસ્તિષ્કમાં તેના સ્ત્રી-પુરુષ પક્ષોનું એકાકાર થવું અત્યંત આવશ્યક હોય છે. વિપરીત શક્તિઓનું લગ્ન અત્યંત આવશ્યક હોય છે. લેખકે પોતાના સમગ્ર મસ્તિષ્કને સર્જનમાં ખુલ્લું મૂકવું પડે ત્યારે જ એ સંપૂર્ણપણે નિર્બંધ રીતે, સર્જી શકે. શાન્તિ અને સ્વાતંત્ર્ય બંને જરૂરી છે. નીરવ શાન્તિમાં પોતાની પથારીમાં પડે પડે તે [આવું લેખન] સંભોગના અનુભવને ઊજવે છે. તેણે આ અનુભવ વિશે પ્રશ્નો કરવાના નથી. તેનું પૃથક્કરણ કરવાનું નથી. ફક્ત ઉત્સવ માણવાનો છે. તેના એકત્વના આ ઉત્સવમાંથી સર્જન જન્મે છે.”
ફરી મનમાં મેરી બેટનની સ્મૃતિ સપાટી પર તરી આવે છે. ગમે તેટલું અકાવ્યમય લાગતું હોય પણ તેનું તારણ સાચું છે. સ્ત્રીલેખન વિશે તેનું મંતવ્ય સ્પષ્ટ હતું. કોઈ પણ સ્ત્રીએ લેખિકા બનવું હોય તો તેની પાસે વર્ષે પાંચ સો પાઉન્ડની આવક અને દરવાજે તાળા સાથેનો અલાયદો ઓરડો હોવો જ જોઈએ. આ તારણ પર પહોંચવા કયા અને કેવા અનુભવોએ તેને મદદ કરેલી તે વાત પણ મેરીએ તમને કરેલી. હવે મેરીને બાજુએ રાખીને હું મારા પોતાના નામ સાથે તમને સંબંધવા માગું છું. હું મારા પોતાના આ વક્તવ્ય વિશે બે પ્રકારનાં વિવેચન કલ્પી શકું. વિવેચન નંબર એક : તમે એમ કહી શકો કે આ વક્તવ્યમાં લેખક તરીકે સ્ત્રી-પુરુષની સરખામણી થઈ નથી. અન્યોન્યની સરખામણીમાં તેમની યોગ્યતા / અયોગ્યતાની વાત થઈ નથી. મેં આમ જાણીજોઈને – ઇરાદાપૂર્વક કર્યું છે. કેમકે પ્રથમ તો હું એમ માનું છું ખાંડ કે માખણની જેમ મસ્તિષ્કને તોલી ન શકાય. વળી પુરુષની સરખામણીમાં સ્ત્રી પાસે પૈસો કેટલો હતો? ઓરડા કેટલા હતા? એ વિચાર કરીએ તો સ્ત્રીની શક્તિઓનું પુરુષ સાથે તુલનાત્મક અધ્યયન કરવાનું માંડી વાળવું પડે. હું માનું છું કે એક સેક્સને અન્ય સેક્સ વિરુદ્ધ મૂકવી કે એકને બીજા કરતાં ચઢિયાતી કે ઊતરતી માનવી તે ક્રિયા મનુષ્યજગતના તખ્તા પર લોકોને પાર્ટીઓમાં વહેંચીને બંને પાર્ટીને એકબીજાની વિરુદ્ધ મેદાનમાં ઉતારવી એ ખાનગી સમાજ-વ્યવસ્થાનું પરિણામ છે. મનુષ્ય જેમ સમજણો થાય છે તેમ આવા પાર્ટી - પોલિટિક્સમાંથી તે ઉપર ઊઠી જાય છે. જ્યાં સુધી લેખકને જે લખવું છે એ તે સંતોષથી લખી શકે ત્યાં સુધી અન્ય કોઈ વાતનું મહત્ત્વ હોતું નથી. તેની કલમે રચાયેલ સાહિત્ય અમર બનશે કે કેમ તે તો સમય જ કહી શકે. પરંતુ પોતાના વ્યક્તિત્વના ભોગે ચાંદીના સિક્કાથી ભરેલ પાત્ર સાથે ઊભેલ તજ્જ્ઞને ખુશ કરવાનો પ્રયત્ન પોતાની જાત સાથે દગો છે. વિવેચન નંબર બે : તમે કદાચ એમ કહી શકો કે મેં ભૌતિક વસ્તુઓને ઘણું વધુ મહત્ત્વ આપ્યું છે. મારી વાતને પ્રતીકાત્મકપણે પણ લઈ શકાય. વર્ષે પાંચ સોની આવકને ખર્ચવાની સત્તા તરીકે લઈ શકાય. તાળા સાથેના આગવા ઓરડાને પોતાના વિશે વિચારવાની સત્તા તરીકે લઈ શકાય. આમ છતાં પણ તમે કહી શકો કે સર્જકે આ બધી દુન્યવી બાબતોથી ઉપર ઊઠીને જીવવું જોઈએ. તમે એમ પણ તર્ક કરી શકો કે મહાન કવિઓ લગભગ નિર્ધન જ હતા. તો પછી આ બાબતમાં મારા કરતાં વધુ સત્તા ધરાવતા વિદ્વાન પ્રોફેસરના વિચારો જ મારે ટાંકવા પડે. કવિના ઘડતરમાં કયાં તત્ત્વોનો ફાળો હોય છે તેનો વિચાર કરતાં સર આર્થર ક્યુલર કુચ[1] લખે છે :
- “છેલ્લાં સો વર્ષના મહાન કવિઓનાં નામ જોઈએ – કોલરિજ, વર્ડ્ઝવર્થ, બાયરન, શેલી, કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ, આર્નોલ્ડ, મોરિસ રોઝેટી, સ્વીન્સબર્ન આટલે જ અટકીએ. કીટ્સ, બ્રાઉનિંગ અને રોઝેટી સિવાયના આમાંના બધા જ કવિઓ વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ પામેલા હતા. આ ત્રણ કવિઓમાંનો માત્ર એક જ, કીટ્સ જ, પ્રમાણમાં પૈસાપાત્ર નહોતો. સાંભળવામાં સહેજ આકરું જરૂર લાગે પણ સત્ય તો એ જ છે કે સર્જકપ્રતિભા ગરીબ-તવંગર બંનેમાં સરખે રૂપે હોઈ શકે એ થિઅરીમાં કંઈ દમ નથી. નક્કર પુરાવો જોતાં જોઈ શકાય છે કે બારમાંથી નવ કવિઓ વિશ્વવિદ્યાલયની પેદાશ હતા. ઇંગ્લૅન્ડમાં ઉપલબ્ધ સારામાં સારું શિક્ષણ તે લોકો મેળવી શક્યા હતા. બ્રાઉનિંગ પણ ગરીબ તો ન જ કહી શકાય; નહીં તો તેણે ‘રિંગ ઍન્ડ ધ બુક’ ન લખી હોત. રોઝેટી ચિત્રકાર હતો અને અન્ય કવિઓ જેટલું નહીં તોય સારું એવું કમાઈ લેતો હતો. બાકી રહ્યો માત્ર કીટ્સ જેને જીવલેણ રોગે યુવાનીમાં જ આંચકી લીધેલો... આ બધાં આકરાં સત્યો છે. પણ એ બધાંનો સામનો કરવો પડે. આપણા દેશની એ કમનસીબી કહેવાય કે આપણા દેશમાં આજે કે આજથી બસો વર્ષ પહેલાં કોઈ ગરીબ કવિને આગળ આવવાની તક ન હતી.”[2]
આના કરતાં વધુ સ્પષ્ટ રીતે મારા મુદ્દાનું સમર્થન અન્ય કોઈ કરી શકે તેમ નથી. ગરીબ કવિને જગતમાં કોઈ સ્થાન નથી. વૈચારિક સ્વાતંત્ર્યનો આધાર ભૌતિક વસ્તુઓ પર હોય છે. અને કવિતા વૈચારિક સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે. સ્ત્રીઓ હંમેશ ગરીબ રહી છે. બસો વર્ષથી નહીં પરંતુ અનંત કાળથી. સ્ત્રીઓને એથેન્સમાં વસતા ગુલામ કરતાં પણ ઓછું સ્વાતંત્ર્ય મળ્યું છે. તો પછી આવી પરિસ્થિતિમાં સ્ત્રીને કવિતા લખવાની તક ન હતી તેમ જ ને? તેથી જ, તેથી જ, મેં સ્ત્રીની આવક અને તેના અલાયદા ઓરડા પર આટલો ભાર મૂક્યો છે. જેમનું નામ કોઈ જાણતું નથી તેવી કેટકેટલી સ્ત્રીઓએ ભૂતકાળમાં કરેલ પ્રયત્નને લીધે આજે સ્ત્રી પ્રમાણમાં સારી સ્થિતિમાં છે. તે માટે તેણે અજાણ સ્ત્રીઓના ઋણી હોવું ઘટે. યુદ્ધોએ ફ્લોરેન્સ નાઈટેંગલ જેવી સ્ત્રીને પોતાનું દીવાનખાનું છોડી બાહ્ય જગતમાં ઝંપલાવવા પ્રેરી. અને આમ સ્ત્રીઓ માટે આ યુદ્ધોએ બંધ બારણાં ખોલી આપ્યાં. એમ ન થયું હોત તો આજે તમે બધાં અહીં ન હોત અને વર્ષે પાંચ સો પાઉન્ડની આવક વિશે વિચારવું સુધ્ધાં તમારે માટે શક્ય ન હોત. આમ છતાં તમે પ્રશ્ન કરી શકો કે હું સ્ત્રીના લેખન પર આટલો ભાર કેમ મૂકું છું. જો મને ખબર છે કે સ્ત્રીઓ માટે લખવું કેટલું અઘરું છે, કેટલું પ્રયત્નસાધ્ય છે, તો પછી આ આગ્રહ કેમ? આવા લેખનથી સ્ત્રીના જીવનમાં તકલીફો વધવાની છે. જમવામાં મોડું-વહેલું થવાનું છે; તેના લીધે ઘણા ઝઘડા-કંકાસ થવાના છે, તો પછી લખવાની શી જરૂર? મારો ઇરાદો થોડો સ્વાર્થી ખરો. અન્ય સ્ત્રીઓની જેમ મને પણ પુસ્તકો વાંચવાં ગમે છે. ગમે તે રીતે પૈસા કમાઈને કે મેળવીને તમે પણ મારી જેમ વાંચો, યાત્રા કરો તેમ હું ઇચ્છું છું. આ વક્તવ્ય માટે ટપકાવેલ મુદ્દાઓ મને હું આ વિચાર સુધી કઈ રીતે પહોંચી તે સમજાવે છે. આખી વિચારપ્રક્રિયા હું જોઈ શકું છુ.ં મને એ જોતાં લાગે છે કે હું સાવ સ્વાર્થી તો નથી જ. મારા આ બધા મુદ્દાઓમાં એક વિચાર સતત ડોકાયા કર્યો છે કે સારાં પુસ્તકો લખાય તે ઇચ્છનીય છે. પુસ્તકો લખનાર લેખકો પોતાની મર્યાદાઓ છતાં સારા મનુષ્યો હોય છે. તેથી જ જ્યારે હું તમને બધાંને લખવા માટે કહું છું ત્યારે વાસ્તવમાં તો હું તમને તમારા પોતાના માટે તથા સમગ્ર જગત માટે ઉપયોગી એવું કામ કરવા માટે આહ્વાહન આપી રહી છું. હું અહીં મારું વક્તવ્ય સમાપ્ત કરી દેત. પણ પ્રથા પ્રમાણે દરેક વક્તવ્યનો અંત કંઈક શિખામણની સાથે થવો જોઈએ. જો મારે કોઈ ભવ્ય સંદેશ આપવાનો હોય તો તે ઉદાત્તતા તરફ પ્રેરી જાય તેવો હોવો જોઈએ. મારે તમને યાદ દેવડાવવું જોઈએ કે તમારી ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ છે, તમારા પર કેટલી મોટી જવાબદારી છે, અને તે પૂરી કરવા તમારે વધુ ઊંચાં, વધુ આધ્યાત્મિક બનવાનું છે. સમાજના સમગ્ર ભવિષ્યનો દોર તમારા હાથમાં છે. પણ મને લાગે છે કે આ બધા ઉદ્ગારો પુરુષજાત ઉચ્ચારે તે જ સારું. પુરુષજાત એ બધાને વધુ જુસ્સાપૂર્વક મૂકી શકશે. મને આ બધી શિખામણોમાં કંઈ દમ જણાતો નથી. હું તો તમને સાદી-સીધી રીતે એ જ કહીશ કે પોતે જે છો તે રહેવું, તે દેખાવું, તે જ મહત્ત્વપૂર્ણ છે. અન્યને અસર કરવાની પળોજણમાં આપણે પડવાની જરૂર નથી. પુસ્તકો, સમાચારપત્રો, જીવનચરિત્રો કે નવલકથાઓ વાચંતાં એ વાત નજરે ચઢે છે કે જ્યારે સ્ત્રી સ્ત્રીને સંબોધે છે ત્યારે તેમાં એક વિશેષ અણગમાનો સ્વર પણ ભળે છે. સ્ત્રી જ સ્ત્રી પ્રત્યે કડક બની જાય છે. સ્ત્રીને સ્ત્રી પ્રત્યે એ અણગમો હોય છે. ‘સ્ત્રી’ ‘સ્ત્રી’ ‘સ્ત્રી’ તમને કંટાળો નથી આવતો આ શબ્દથી? હું તો કંટાળી ગઈ છું. ચાલો આપણે એવું નક્કી રાખીએ કે એક સ્ત્રીએ તમને આપેલ સ્ત્રી વિષયક વક્તવ્ય કંઈક ભિન્ન રીતે પૂરું થાય, કંઈક અસંમતિ સાથે. પણ એવું કઈ રીતે કરવું? મને તો સ્ત્રીઓ ગમે છે! મને તેમની રિવાજો તોડવાની હિંમત ગમે છે! મને તેમની સંપૂર્ણતા ગમે છે. મને તેમનું અજ્ઞાતપણું ગમે છે. ક્યાં સુધી ગણાવું? યાદી લાંબી થઈ જશે. અહીં એકત્રિત સ્ત્રીઓને મારે કહેવું જોઈએ કે તમે પોતે શરમજનક રીતે અજ્ઞાની છો. તમે કદી કોઈ શોધ નથી કરી. તમે કદી કોઈ યુદ્ધો ખેલ્યાં નથી. શેક્સપિયરનાં નાટકો તમારી કલમે લખાયાં નથી. તમે સંસ્કૃતિને સમૃદ્ધ કરી નથી. તમારું પ્રદાન શું છે? હા, તમે ગર્વપૂર્વક કહી શકો કે અમે જન્મ આપ્યો છે, બાળકો ઉછેર્યાં છે. ઇંગ્લૅન્ડમાં વસતી પ્રજાએ અમારું સર્જન છે. તમે જે કહો છો તે સત્ય છે. હું તેનો અસ્વીકાર નહીં કરું, પણ સાથોસાથ હું યાદ દેવડાવીશ કે ૧૮૬૬ સુધી ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓ માટેની બે જ કૉલેજો હતી ૧૮૮૦ બાદ પરિણીત સ્ત્રીને સંપત્તિ ધરાવવાનો હક્ક પણ મળ્યો છે. અને હમણાં નવ વર્ષ પહેલાં જ, સ્ત્રીને મત આપવાનો અધિકાર પણ મળ્યો છે. લગભગ દસ વર્ષ પહેલાં તમારે માટે દરેકેદરેક ક્ષેત્રનાં બારણાં ખૂલી ગયાં છે. આ સમયગાળામાં ઇંગ્લૅન્ડમાં ઓછામાં ઓછી બે હજાર સ્ત્રીઓ વર્ષે પાંચ સો પાઉન્ડ કમાવા માટે સજ્જ હોવી જોઈએ. હવે તક, પ્રશિક્ષણ, પ્રોત્સાહન, સમય કે પૈસાના અભાવનું કોઈ પણ કારણ તમે આગળ ધરી શકો તેમ નથી. અને આમ તમારી પાસે હવે પુરતો સમય અને વિકાસની શક્યતાઓ બંને જ ઉપલબ્ધ છે. હજારો કલમો તમને તમારે શું કરવું અને શું ન કરવું એ કહેવા તત્પર છે. મારું પોતાનું માનવું કંઈક જુદું છે અને તેથી હું તેને કંઈક જુદી રીતે તમારી સમક્ષ મૂકી આપું છું. મારા વક્તવ્ય દરમિયાન મેં તમને જણાવેલું કે શેક્સપિયરને બહેન હતી. પણ એ બહેનને શોધવા કવિઓનાં નામોની પોથીઓ ઉથલાવવાની જરૂર નથી. તે તો એ પોઢી લંડન બસના ‘એલિફન્ટ ઍન્ડ કેસલ’ બસ સ્ટેન્ડની સામે. ત્યાં પોઢેલો તેનો કવિ-જીવ આજે પણ જાગૃત છે. તે તમારા બધામાં, મારામાં, અને આ વ્યાખ્યાન સાંભળવા ન આવી શકેલી ઘરે બેસીને કપડાં ધોતી, વાસણ માંજતી ઘણી બધી સ્ત્રીઓમાં, આજે પણ જીવે છે. મહાન કવિ ક્યારેય મરતો નથી. ફક્ત તેને આપણી વચ્ચે હરવા-ફરવા માટે હાડમાંસનું એક શરીર જોઈતું હોય છે. તમે બધાં તેને તેનું એ શરીર, એ તક, પૂરી પાડી શકો તેમ છો. જો આપણાને – અહીં આપણાનો અર્થ હું કે તમે કે કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સ્ત્રીજાત છે – એક સદીનો સમય અને વર્ષે પાંચ સો પાઉન્ડ અને પોતાનો અલાયદો ઓરડો મળે તો, જો આપણી પાસે વૈચારિક સ્વાતંત્ર્ય અને જે વિચારીએ છીએ તે લખવાની સજ્જતા હોય તો, જો આપણે વ્યક્તિઓને દીવાનખાનાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છોડી વાસ્તવના સંદર્ભે જોવા માંડીએ તો, આપણે તેને [શેક્સપિયરની બહેનને] જીવતી કરી શકીશું. જો આપણે કોઈને વળગીને ચાલવાની ટેવ છોડી દઈશું અને સમસ્ત જગત સાથે આપણા વ્યક્તિગત સંબંધ વિકસાવીશું તો શેક્સપિયરની બહેનનો આત્મા શરીર ધારણ કરશે. શેક્સપિયરની જેમ જ તે પણ પોતાના અજાણ્યા પુરોગામીઓમાંથી પ્રેરણા મેળવશે. આપણે એકઠાં થઈ પ્રતિજ્ઞા કરવાની છે કે એ જ્યારે જન્મે ત્યારે એ કવિતા લખી શકે એવું વાતાવરણ આપણે તૈયાર કરવું. તે આવશે. આપણે સૌ તેના માટે તૈયારી કરીશું, સજ્જ થઈશું, તો તે અવશ્ય આવશે. તેના આગમન માટે ગરીબીમાં અજ્ઞાત રહીને મહેનત કરવી પણ સાર્થક છે.
❆