બાળ કાવ્ય સંપદા/પાણીને વધામણાં

પાણીને વધાવ્યાં...

લેખક : માલિની સી. શાસ્ત્રી
(1935)

સૂરજનાં કિરણોની કરીને સવારી,
સાગરનાં પાણી જાય આભની અટારી.

પાણીનાં ટીપાં કંઈ ઝિલાયાં વાદળે,
વાદળનાં દળ દોડ્યાં વાયરાને ઘોડલે.

વિહરે છે વાદળાં ડુંગરની ધારે,
જંગલ વચાળે ને શહેરે ને પાદરે.

ફાટ્યાં આ વાદળાં ને પાણી જે વરસ્યાં,
ઝરણાંથી સરિતામાં રેલા છલકાયા.

સરિતાઓ દોડી ગઈ સાગરને મળવા,
ખારા પાણી સાથ મીઠું પાણી ભળવા,

લાંબી સફર ખેડી પાછાં પધાર્યાં,
દરિયાદેવાએ પાણીને વધાવ્યાં.

સૂરજનાં કિરણોની કરીને સવારી,
સાગરનાં પાણી જાય આભની અટારી.