બાળ કાવ્ય સંપદા/વૈષ્ણવજન
Jump to navigation
Jump to search
વૈષ્ણવજન
નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.
મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ જેણે માર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.