ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કાર્ત્તવીર્ય અર્જુનની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાર્ત્તવીર્ય અર્જુનની કથા

માહિષ્મતી નગરીમાં સહ ભુજાવાળો મહાબલી કાર્ત્તવીર્ય અર્જુન નામનો રાજા અખિલ જગતમાં શાસન કરતો હતો. તે હૈહયવંશી પરાક્રમી વીરે રત્નાકરવતી, સાગરાંબરા, દ્વીપવાળી પૃથ્વી પોતાના અંકુશમાં રાખી હતી. તેમણે કોઈક કારણે દત્તાત્રેય મુનિને પોતાનું સઘળું ધન આપી દીધું હતું. તે રાજાએ ક્ષાત્રધર્મને સ્વીકારી, વિનય અને વિધિ પ્રમાણે તે મુનિની આરાધના કરી હતી. મુનિએ પ્રસન્ન થઈને ત્રણ વરદાન માગવા કહ્યું, એ ત્રણ વરદાનની વાત સાંભળીને રાજાએ કહ્યું, ‘યુદ્ધ વેળાએ મારે હજાર હાથ થાય, ઘરમાં મારા બે જ હાથ રહે. યુદ્ધમાં બધા સૈનિકો મારી સહ ભુજા જુએ. હે વિપુલ વ્રતધારી, હું મારા પરાક્રમથી સમગ્ર પૃથ્વીને જીતી લઉં. ધર્માનુસાર તેનું અતંદ્રિત રીતે પાલન કરું. હે વિપ્રવર્ય, આ ત્રણ વરદાન સિવાય એક ચોથું વરદાન જોઈએ છે. જો તમારા આશ્રયે રહીને હું અસત્યના પંથે ચાલું તો સંતો મને અટકાવે.’

રાજાની આ વાત સાંભળીને તે વિપ્રે ‘તથાસ્તુ’ કહ્યું. આમ તે દીપ્તિવાન રાજાનાં બધાં વરદાન સફળ થયાં. ત્યાર પછી તે રાજા સૂર્ય અને અગ્નિસદૃશ રથ પર ચઢીને પરાક્રમના મોહમાં કહેવા લાગ્યો, ‘વીર્ય, ધૈર્ય, યશ, શૌર્ય, પરાક્રમ અને તેજમાં મારા જેવો કોણ છે?’

એનું વાક્ય પૂરું થયું એટલે અંતરીક્ષમાં અશરીરી વાણી થઈ. ‘હે મૂઢ, શું તું નથી જાણતો કે બ્રાહ્મણ ક્ષત્રિયથી ચઢી જાય છે. બ્રાહ્મણ ક્ષત્રિયની સાથે મળીને આ લોકમાં પ્રજાની રક્ષા કરે છે.’

અર્જુને કહ્યું, ‘હું જો સંતોષ પામું તો બધાં પ્રાણીઓની સૃષ્ટિ સર્જી શકું છું અને ક્રોધે ભરાઉં તો બધાનો વિનાશ કરી શકું એટલે મન, વચન અને કર્મથી મારા માનવા પ્રમાણે બ્રાહ્મણ શ્રેષ્ઠ નથી. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તે પૂર્વપક્ષ છે અને ક્ષત્રિય શ્રેષ્ઠ છે તે ઉત્તર પક્ષ છે. તમે બ્રાહ્મણ અને ક્ષત્રિયને સાથે મૂક્યા છે પણ બંનેમાં વિશેષ અંતર છે. બ્રાહ્મણો ક્ષત્રિયોનો આશ્રય લે છે પરંતુ ક્ષત્રિય બ્રાહ્મણનો આશ્રય લેતા નથી. વેદાધ્યયન નિમિત્તે ક્ષત્રિયોની સહાયથી તેઓ ભોજન કરે છે. પ્રજાસમૂહના પાલનનો ધર્મ ક્ષત્રિયો બજાવે છે, ક્ષત્રિયોને કારણે બ્રાહ્મણોની આજીવિકા ચાલે છે, તો પછી ક્ષત્રિયો કરતાં બ્રાહ્મણ કેવી રીતે ચઢિયાતા? બધાં પ્રાણીઓથી ચઢિયાતા, ભિક્ષુક, પોતાને શ્રેષ્ઠ માનનારા બ્રાહ્મણોને હું પરાધીન બનાવીશ. સ્વર્ગલોકની ગાયત્રી કન્યાએ અસત્ય કહ્યું છે, હું અવશ અને મૃગચર્મ ધારણ કરનારા બ્રાહ્મણોને જીતી લઈશ. ત્રણે લોકમાં એવો કોઈ નથી જે મારું રાજ્ય છિનવી શકે. એટલે હું બ્રાહ્મણથી શ્રેષ્ઠ છું. આજે હું બ્રાહ્મણપ્રધાન લોકને ક્ષત્રિયપ્રધાન કરીશ. યુદ્ધમાં મારા બળને સહન કરવાનો કોઈનો ઉત્સાહ નથી.’

અર્જુનની વાત સાંભળીને નિશાચરી ભયભીત થઈ. ત્યારે અંતરીક્ષમાં રહેતા વાયુએ કહ્યું,

‘આ કલુષિત ભાવ ત્યજીને બ્રાહ્મણોને નમસ્કાર કરો. આ વિશે પાપાચરણ કરવાથી તારા રાજ્યમાં ક્ષોભ જન્મશે. હે મહીપાલ, મહા બલવાન બ્રાહ્મણો જ તને શાંત કરશે. તે તને ઉત્સાહરહિત કરીને દેશવટો આપશે.’

આમ સાંભળીને રાજાએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’

‘હું દેવદૂત પવન છું, અને તને હિતકારી વાત કરું છું.’

અર્જુન બોલ્યો, ‘અહો! અત્યારે તમે બ્રાહ્મણો માટે ભક્તિ અને અનુરાગ પ્રગટ કરો છો, પૃથ્વીની જેમ બ્રાહ્મણોને ક્ષમાવાન કહો છો, તો એવો બ્રાહ્મણ બતાવો.’

વાયુએ કહ્યું, ‘હે મૂઢ, મહાત્મા બ્રાહ્મણોના થોડા ગુણ સાંભળ. હે રાજન, તેં જેનું નામ લીધું તેમનાથીય બ્રાહ્મણો ચઢી જાય છે. પૃથ્વી અંગરાજની સાથે સ્પર્ધા કરીને પોતાનું મહીત્વ ત્યજી અદૃશ્ય થઈ હતી, તેને વિપ્ર કશ્યપે રોકી રાખી હતી. રાજન, બ્રાહ્મણો આ લોકમાં અને સુરલોકમાં નિત્ય અક્ષય છે. ભૂતકાળમાં અંગિરાએ પોતાના તેજથી સમગ્ર જળનું પાન કર્યું હતું. તે મહા તપસ્વી દૂધની જેમ પૃથ્વીનું જળ પીને તૃપ્ત થયા ન હતા. ત્યાર પછી તેમણે મોટો પ્રવાહ વહેવડાવી સમગ્ર પૃથ્વીને પરિપૂર્ણ કરી હતી. તેમના ક્રોધને કારણે મેં પણ જગતનો ત્યાગ કર્યો અને તેમનાથી ભય પામીને બહુ સમય અગ્નિહોત્રમાં વીતાવ્યો હતો. ભગવાન પુરંદર (ઇન્દ્ર) અહલ્યાની કામના કરી ગૌતમનો શાપ વ્હોરી બેઠા હતા. ધર્મની રક્ષા માટે જ ઇન્દ્રનો વધ ન કર્યો. હે રાજન, સમુદ્ર મીઠા પાણીથી ભરેલો હતો, બ્રાહ્મણોના શાપથી તે ખારો થયો. સુવર્ણવર્ણ નિર્ધૂમયુક્ત ઊર્ધ્વશિખ કવિને અંગિરા ઋષિએ શાપ આપ્યો હતો. સગરના પુત્રોએ મહોદધિની ઉપાસના કરી હતી તે બધા દ્વિજના શાપથી ભસ્મ થઈ ગયા. હે નરનાથ, તું બ્રાહ્મણતુલ્ય નથી, તું તારા કલ્યાણની ચિંતા કર; ભગવાન ગર્ભસ્થ બ્રાહ્મણોને પણ સદા નમસ્કાર કરે છે. દંડક રાજાઓનું વિશાળ રાજ્ય બ્રાહ્મણને કારણે નાશ પામ્યું; તાલજંઘ નામના મહાન ક્ષત્રિય વંશનો નાશ ઔર્વ ઋષિએ એકલે હાથે કર્યો. તને પણ દત્તાત્રેયની કૃપાથી પરમ દુર્લભ રાજ્ય, બળ, ધર્મ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થયાં છે. હે અર્જુન, તું બ્રાહ્મણ રૂપી અગ્નિની પૂજા શા માટે કર્યા કરે છે? તેઓ જ બધાના હવ્યકવ્યનું વહન કરે છે, શું તંુ એમને નથી જાણતો? શ્રેષ્ઠ બ્રાહ્મણ પ્રત્યેક પ્રાણીનો પાલનકર્તા છે. બ્રાહ્મણને જીવલોકનો કર્તા જાણીને પણ તું શા માટે મોહ પામે છે? અવ્યક્ત અને અવ્યય પ્રભુ બ્રહ્માએ આ સ્થાવર જંગમ એવા નિખિલ વિશ્વની રચના કરી, તે પણ બ્રાહ્મણ છે. કેટલાક મૂર્ખ બ્રહ્માને ઈંડામાંથી ઉત્પન્ન થયેલા માને છે, ફૂટેલા ઈંડામાંથી પર્વત, દિક્મંડળ, જલ, પૃથ્વી અને આકાશની ઉત્પત્તિ થઈ છે. પણ આમ નથી, જે અજન્મા હોય તે કેવી રીતે જન્મ લઈ શકે? પણ આકાશ અંડ રૂપે છે, એટલે પિતામહ આકાશમાંથી પ્રગટ્યા છે. તે વેળા કશો આધાર ન હતો તો બ્રહ્માએ કેવી રીતે નિવાસ કર્યો? એનું વર્ણન કરો એમ કહીશ તો હે રાજન, સર્વ તેજોગત પ્રભુ અહંકાર કહેવાય છે. હે રાજન, અંડ નામનું કશું નથી, તે બ્રહ્માનું અસ્તિત્વ છે. તેઓ જ જગતના વિધાતા — ઉત્પાદક છે.’

આટલી કથા સાંભળીને રાજા ચૂપ થઈ ગયા. વાયુએ ફરી કહેવા માંડયું.

‘ભૂતકાળમાં અંગ નામના રાજાએ બ્રાહ્મણોને દક્ષિણા રૂપે આ પૃથ્વી આપી દેવાની ઇચ્છા કરી, એટલે પૃથ્વી ચિંતાતુર થઈ. પૃથ્વીએ વિચાર્યું, હું બધાં પ્રાણીઓને ધારણ કરનારી છું, બ્રહ્માની પુત્રી છું, તો પછી રાજા મને શા માટે બ્રાહ્મણોને આપવા માગે છે? જે હશે તે, હું ભૂમિત્વનો ત્યાગ કરીને બ્રહ્મલોકમાં ચાલી જઈશ. એટલે રાજા રાજ્યહીન થઈ જશે. એમ વિચારી તે જતી રહી. તેને જતી જોઈને કશ્યપ મુનિએ પોતાના શરીરનો ત્યાગ કરીને મહીની કાયામાં પ્રવેશ કર્યો. હે નૃપ(રાજા), ત્યારે પૃથ્વી તૃણવાળી, ઔષધિઓવાળી થઈ, અનેક રીતે સમૃદ્ધ થઈ, પૃથ્વી પર ધર્મની સ્થાપના થઈ, બધો ભય નિર્મૂળ થયો. હે રાજન, આમ દેવપરિમાણવાળા ત્રીસ હજાર વર્ષ સુધી વિપુલ વ્રતધારી, અતંદ્રિત કશ્યપ પૃથ્વી રૂપે રહ્યા. પછી પૃથ્વી બ્રહ્મલોકમાંથી પાછી આવી, તેણે કશ્યપને વંદન કર્યાં અને તે વેળા મહાનુભાવ કશ્યપની પુત્રી હોવાને કારણે તે કાશ્યપી નામે વિખ્યાત થઈ. હે રાજન, કશ્યપ આવા બ્રાહ્મણ હતા, કશ્યપથી ચઢી જાય એવો કોઈ ક્ષત્રિય હોય તો બતાવ.’

આટલી કથા સાંભળીને રાજા ચૂપ રહ્યા. પવને આગળ બોલવા માંડ્યું, ‘સોમની દુહિતા(પુત્રી) પરમ રૂપ સુંદરી હતી, ઉતથ્ય સાથે તેનું લગ્ન કરવાનું સોમે વિચાર્યું. તે મહાભાગા યશસ્વિનીએ ઉતથ્ય સાથે લગ્ન સ્વીકાર્યું અને તેમને પામવા ત્યારે તપ કર્યું. પછી સોમના પિતા અત્રિએ ઉતથ્યને બોલાવી તે યશસ્વિનીનું દાન કર્યું, બહુ દક્ષિણા આપનારા ઉતથ્યે પણ વિધિપૂર્વક તેનો ભાર્યારૂપે સ્વીકાર કર્યો. વરુણદેવે પહેલેથી તે યુવતીની ઇચ્છા કરી હતી, એટલે તેમણે વનમાં આવેલા આશ્રમ પાસે જઈને યમુનાના કિનારે તેનું અપહરણ કર્યું. જળના સ્વામી વરુણ તેને પોતાની પરમ અદ્ભુત નગરીમાં લઈ આવ્યા, ત્યાં છ હજાર દીવા હતા. વરુણપુરીથી ચઢિયાતું બીજું કોઈ રમ્ય કે ચઢિયાતું નગર નથી. તે પ્રાસાદો, અપ્સરાઓ અને દિવ્ય ધામોથી શોભતું હતું, હે રાજન, જલેશ્વર (વરુણ) ત્યાં તે સુંદરી સાથે ક્રીડા કરવા લાગ્યા. નારદે ઉતથ્યને તેમની પત્નીના અપહરણના અને તેના પર થયેલા બળાત્કારના સમાચાર આપ્યા. નારદ પાસેથી આ સમાચાર સાંભળીને ઉતથ્યે ત્યારે નારદને કહ્યું, ‘તમે વરુણ પાસે જઈને મારો આકરો સંદેશો આપો, મારી વાત માનીને ભાર્યાને સોંપી દો, તમે શા માટે તેનું અપહરણ કર્યું, તમે લોકોના લોકપાલ છો. લોકોના વિલોપકારી નહીં, સોમે તેની કન્યા મને પત્ની રૂપે આપી છે, તમે એનું અપહરણ કેમ કર્યું?’

ઉતથ્યનો આ સંદેશ નારદે વરુણને કહ્યો, ‘તમે તેની ભાર્યાને મુક્ત કરો.’

ત્યારે વરુણે કહ્યું, ‘તે મારી પ્રિય ભાર્યા છે, તેનો હું ત્યાગ કરી નહીં શકું.’

વરુણે આમ કહ્યું એટલે નારદે ઉતથ્ય મુનિ પાસે જઈને ખિન્ન વદને સમાચાર આપ્યા, ‘હે મહામુનિ, વરુણે મારું ગળું ઝાલીને કાઢી મૂક્યો. તે તમારી પત્ની પાછી નહીં આવે. હવે તમારે જે કરવું હોય તે કરો.’

મહાતપસ્વી ઉતથ્ય નારદની વાત સાંભળીને બહુ ક્રોધે ભરાયા, પ્રજ્વલિત થયા, પોતાના તેજપ્રભાવથી બધું જળ પીવા લાગ્યા. જ્યારે જળ પીવાઈ રહ્યું હતું ત્યારે સુહૃદોએ વરુણનો તિરસ્કાર કર્યો તો પણ વરુણે તેમની પત્ની સોંપી નહીં. ત્યારે દ્વિજશ્રેષ્ઠ ઉતથ્યે ક્રોધે ભરાઈને ભૂમિને કહ્યું, ‘છ હજાર દીવાવાળું સ્થળ મને બતાવ.’

ત્યારે સમુદ્ર સુકાઈ ગયો એટલે કે સરકી ગયો એટલે ત્યાંનું સ્થાન ઊંચુંનીચું થઈ ગયું. ત્યારે ત્યાંથી વહેનારી સરસ્વતીને કહ્યું, ‘હે ભીરુ સરસ્વતી, તું અદૃશ્ય થઈને મરુપ્રદેશમાં જતી રહે. તું જતી રહીશ એટલે આ પ્રદેશ પુણ્યહીન બની જશે.’

તે પ્રદેશ પૂરેપૂરો સુકાઈ ગયો એટલે વરુણ ભદ્રાને લઈને ઉતથ્ય મુનિને શરણે ગયા. તેમણે આંગિરસને તેમની ભાર્યા પાછી સોંપી. હે હૈહય, ઉતથ્ય પોતાની પત્નીને પામીને પ્રસન્ન થયા અને જગત તથા વરુણ જળના દુઃખમાંથી મુક્ત થયા. હે નરાધિપ, મહાતેજસ્વી ઉતથ્યે પોતાની પત્ની મેળવ્યા પછી વરુણને જે કહ્યું તે સાંભળ. ‘હે જલાધિપ(જળનો સ્વામી) તારા આક્રોશ છતાં હું મારી પત્નીને તપસ્યાથી પામ્યો છું.’ એમ કહીને ઋષિ પત્નીને લઈને પોતાના ભવનમાં ચાલ્યા ગયા.

હે રાજન્, ઉતથ્ય આવા શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તને પૂછું છું કે ઉતથ્યથી ચઢિયાતો ક્ષત્રિય કોણ છે તે મને બતાવ.’

રાજા આટલી વાત સાંભળીને ચૂપ રહ્યા. ‘હે મહારાજ, દ્વિજશ્રેષ્ઠ અગસ્ત્યની મહત્તા સાંભળો.

અસુરોએ દેવતાઓને હરાવીને તેમનો ઉત્સાહ મોળો કર્યો. તેમનો યજ્ઞભાગ તથા સ્વધા મંત્ર દ્વારા પિતૃઓને અપાયેલા કવ્યાદિ પણ અસુરો લઈ ગયા. હે હૈહયશ્રેષ્ઠ, એવું કહેવાય છે કે મનુષ્યોનું યજ્ઞકર્મ નષ્ટ થવાથી દેવગણ ઐશ્વર્ય ગુમાવીને પૃથ્વી પર ભમી રહ્યા હતા. ત્યાર પછી એક સમયે તે દેવતાઓએ આદિત્ય સમાન તેજ ધરાવતા વિપુલવ્રતી, દીપ્તિમાન અગસ્ત્યને જોયા. તેમણે મહાત્મા યશસ્વી ઋષિને જોઈને પ્રણામ કર્યા અને યોગ્ય અવસરે કહ્યું, ‘હે મુનિપુંગવ, અમે યુદ્ધમાં દાનવોથી પરાજિત થયા છીએ, ઐશ્વર્ય ગુમાવી બેઠા છીએ, તમે અમને આ તીવ્ર ભયમાંથી ઉગારો.’

અગસ્ત્યને આ સાંભળીને ખૂબ જ કોપ થયો અને તેજસ્વી કાલાગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ગયા. તે સમયે હજારો દાનવો તે પ્રદીપ્ત કિરણોથી દાઝીને અંતરીક્ષમાંથી નીચે પડ્યા. દૈત્યો અગસ્ત્યના તેજથી દાઝીને પૃથ્વી અને સ્વર્ગ — બંને લોક ત્યજીને દક્ષિણમાં જતા રહ્યા. બલિ તે વેળા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા, એટલે તેઓ અને બીજા દૈત્યો ભસ્મ ન થયા. ત્યારે રજ શાંત પડવાથી દેવતાઓ બધા લોકમાં વ્યાપી ગયા. ત્યારે તેમણે ફરી અગસ્ત્યને પ્રાર્થના કરી, ‘પૃથ્વી પર રહેતા અસુરોનો નાશ કરો.’ હે રાજન્, દેવતાઓની વાત સાંભળીને અગસ્ત્યે કહ્યું, હું પૃથ્વી પરના દાનવોનો નાશ કરવા શક્તિમાન નથી. એનાથી મારી તપસ્યા નષ્ટ પામે. એટલે આ કાર્ય અશક્ય છે.’

હે રાજન્, આ પ્રકારે પવિત્ર આત્માવાળા ભગવાન અગસ્ત્યે પોતાના તેજથી, તપથી દાનવોને પ્રજ્વલિત કર્યા હતા. હે નિષ્પાપ, અગસ્ત્ય આવા બ્રાહ્મણ હતા, મેં તેમનું વર્ણન કર્યુ. હવે તું કહે, અગસ્ત્ય કરતાં ચઢિયાતો ક્ષત્રિય કોણ છે?’

રાજા આ સાંભળીને ચૂપ થઈ ગયો. પછી વાયુ બોલ્યા, ‘હવે યશસ્વી વસિષ્ઠનું મુખ્ય કર્મ સાંભળ.’

વસિષ્ઠનું નિવાસસ્થાન જાણીને મનોમન તેમની શરણાગતિ સ્વીકારીને સરોવર કિનારે જઈને યજ્ઞ આરંભ્યો. પર્વત જેવું શરીર ધરાવતા ખલિન નામના અસુરોએ યજમાનકાર્યમાં દેવતાઓને વ્યગ્ર અને યજ્ઞદીક્ષાથી કૃશ જોઈને તેમનો વિનાશ કરવાની તેમને ઇચ્છા થઈ. તેમની નજીકમાં જ બ્રહ્માના વરદાનવાળું સરોવર હતું. દાનવો ઘવાઈને એ સરોવરમાં સ્નાન કરતાં વેંત સાજાસમા થઈ જતા હતા. તેઓ મહાઘોર પર્વતો, પરિઘ અને વૃક્ષો વડે સરોવર જળને સો યોજન ઊંચે ઉછાળતા હતા. ત્યારે દસ હજાર દાનવોએ દેવતાઓને પીડ્યા, તેઓ ભાગીને વાસવ (ઇન્દ્ર) પાસે ગયા. શક્ર(ઇન્દ્ર) પણ દાનવોથી પીડાઈને વસિષ્ઠને શરણે ગયા. પછી ભગવાન વસિષ્ઠે તેમને અભયદાન આપ્યું. દેવતાઓને દુઃખી જાણીને પોતાના તેજથી સહેજ પણ પ્રયત્ન વિના ખલિન નામના દાનવોને ભસ્મ કર્યા. મહાતપસ્વી વસિષ્ઠ કૈલાસની દિશામાં જનારી ગંગા નદીને તે દિવ્ય સરોવરમાં લઈ આવ્યા. ગંગાએ ત્યાં આવતાં વેંત સરોવરનો બંધ તોડી નાખ્યો. સરોવર આમ ભેદાયું અને જે પ્રવાહ નીકળ્યો તે સરયૂ નદીથી જાણીતો થયો. જે સ્થળે ખલિન દાનવો મૃત્યુ પામ્યા તે પ્રદેશ ખલિન નામે જાણીતો થયો. આમ ઇન્દ્ર સમેત બધા દેવોની રક્ષા મહાત્મના વસિષ્ઠે કરી હતી, અને બ્રહ્માનું વરદાન પામનારા દૈત્યોનો પણ નાશ કર્યો. હે અનઘ (નિષ્પાપ), મેં તને વસિષ્ઠ ઋષિનું કર્મ કહી સંભળાવ્યું. હું કહું છું બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે. તું જ કહે વસિષ્ઠથી ચઢિયાતો ક્ષત્રિય કોણ છે?’

અર્જુને આટલી કથા સાંભળીને મૌન ધારણ કર્યું. ત્યારે વાયુ કહેવા લાગ્યા, ‘હે હૈહયશ્રેષ્ઠ, હવે મારી પાસેથી મહાત્મા અત્રિનું કર્મ સાંભળ.’

દેવતાઓ અને દાનવો ઘોર અંધકારમાં એકઠા થઈને યુદ્ધ કરતા હતા. તે યુદ્ધમાં રાહુએ બાણવર્ષા કરીને સૂર્ય અને ચંદ્રને વીંધ્યા. અંધકારથી ઘેરાયેલા દેવતાઓ બળવાન દાનવો દ્વારા હણાવા લાગ્યા. અસુરોથી વીંધાયેલા અને નબળા પડી ગયેલા દેવતાઓએ તપસ્વી અત્રિને કહ્યું, સૂર્ય અને ચંદ્રને દાનવોએ વીંધી નાખ્યા છે. અમે પણ અંધારા સ્થાનમાં શત્રુઓ દ્વારા મૃત્યુ પામી રહ્યા છીએ. અમને શાંતિ નથી. હે પ્રભુ, અમને ભયમાંથી ઉગારો.’

ઋષિ બોલ્યા, ‘હું તમારી રક્ષા કેવી રીતે કરું?’

દેવતાઓએ કહ્યું, ‘તમે અંધકારનાશક સૂર્ય અને ચંદ્ર થઈને અમારા શત્રુઓનો નાશ કરો.’

દેવતાઓનું વચન સાંભળીને અત્રિ તે સમયે પ્રિયદર્શન સોમ(ચંદ્ર) થયા અને સૌમ્ય સૂર્ય મૂર્તિ જેવા દેખાયા અને દેવતાઓ સામે જોયું. તે સમયે અત્રિએ સૂર્ય, ચંદ્રને કાંતિમાન ન જોયા એટલે પોતાના તેજથી તે સ્થળે પ્રકાશ ફેલાવ્યો. જગતને અંધકાર વિનાનું અને પ્રકાશિત કર્યું. પોતાના તેજ વડે દેવતાઓના શત્રુઓને પરાજિત કર્યા. અત્રિ દ્વારા મહાન અસુરોને પ્રજ્વલિત થતા જોઈને, પોતાને પણ રક્ષિત જોયા અને દાનવોને પરાક્રમ કરી મારી નાખ્યા. અત્રિએ સૂર્યને તેજસ્વી કર્યો, દેવતાઓનું રક્ષણ કર્યું, દાનવગણનો નાશ કર્યો. આમ તેજસ્વી અત્રિએ ઉત્તમ કાર્ય કર્યું. હે રાજર્ષિ, અદ્વિતીય, જપમગ્ન, મૃગચર્મધારી, ફળાહાર કરનારા અત્રિ મુનિએ જે કાર્ય કર્યું હતું તેનું અવલોકન કરો. મેં શ્રેષ્ઠ મહાત્મા અત્રિનું કાર્ય સવિસ્તર કહ્યું, હવે કહો, અત્રિથી ચઢિયાતો ક્યો ક્ષત્રિય છે?’

અર્જુન એ સાંભળીને ચૂપ રહ્યો. વાયુએ તેને કહ્યું, ‘હવે ચ્યવન ઋષિનું મોટું કર્મ સાંભળ.

બંને અશ્વિનીકુમારો આગળ તેમને સોમપાન કરાવવાની પ્રતિજ્ઞા કરી ચ્યવન ઋષિએ ઇન્દ્રને કહ્યું, ‘આ બંનેને સોમપાન કરાવો.’

ઇન્દ્રે કહ્યું, ‘અમે તેમનો ત્યાગ કર્યો છે. તેઓ કેવી રીતે સોમપાન કરી શકે? દેવતાઓ તેમની પ્રશંસા નથી કરતા. તમે અમને આવી વાત ન કરો. હે મહાવ્રતધારી, અમે અશ્વિનીકુમારોની સાથે સોમપાન કરવાની ઇચ્છા નથી કરતા. બીજા દેવતાઓને મન થાય તો પીએ. પણ હું તેમની સાથે ઉત્સાહથી સોમપાન નહીં કરું.’

ચ્યવને કહ્યું, ‘હે વલસૂદન (વલનો વધ કરનાર), જો તમે મારી વાત નહીં માનો તો યજ્ઞમાં હું તમારું અભિમાન નષ્ટ કરીશ, તે વખતે તમે સોમપાન કરશો.’ ત્યાર પછી અશ્વિનીકુમારોના હિતાર્થે ચ્યવને સહસા યજ્ઞકર્મનો આરંભ કર્યો. તેમના મંત્રોથી દેવતાઓ અભિભૂત થયા. ઇન્દ્ર તે યજ્ઞના આરંભથી ક્રોધે ભરાયા અને વજ્ર લઈને હાથમાં એક મોટો પર્વત ઊંચકી ચ્યવન સામે દોડી ગયા, તેમનાં નેત્રો અમર્ષથી ભરેલાં હતાં. તપસ્વી ચ્યવને ઇન્દ્રને આવતા જોઈ જળ છાંટી વજ્ર અને પર્વત સમેત તેમને સ્તંભિત કરી દીધા. મહામુનિ ચ્યવને અગ્નિમાં મંત્રાહુતિ નાખીને મહાઘોર મદને ઇન્દ્રશત્રુ બનાવી સર્જ્યો. તેના સહ દાંત સો યોજન લાંબા હતા, તેની પરમ દારુણ દાઢ બસો યોજન લાંબી હતી, એનો એક હોઠ ભૂમિ પર અને બીજો હોઠ આકાશને અડતો હતો. જેવી રીતે બધી માછલીઓ નિમિ નામની મોટી માછલીના મોંમાં સમાઈ જાય છે તેમ ઇન્દ્ર સમેત બધા દેવતાઓ તેના જિહ્વામૂળમાં સ્થિર થયા. મદના મોંમાં પડેલા દેવતાઓએ અંદર અંદર મંત્રણા કરીને ઇન્દ્રને કહ્યું, ‘આ દ્વિજવરને પ્રણામ કરો. અમે પ્રસન્ન થઈને અશ્વિનીકુમારો સાથે સોમપાન કરીશું.’ ત્યાર પછી ઇન્દ્રે પ્રણામ કરી ચ્યવન ઋષિની વાત સ્વીકારી. ચ્યવન ઋષિએ અશ્વિનીકુમારોને સોમપાન કરાવ્યું. પછી મુનિશ્રેષ્ઠ પરાક્રમી ચ્યવન ઋષિએ યજ્ઞકાર્ય સમાપ્ત કર્યું અને મદને જુગાર, મૃગયા, મદ્યપાન અને સ્ત્રીઓમાં વહેંચી દીધો. હે રાજન, મનુષ્યોનો નાશ નિ:શંક આ દોષોથી થાય છે એટલે મનુષ્યે આ દોષો ત્યજવા. હે મહારાજ, ચ્યવનનું કર્મ મેં કહ્યું. હું કહું છું બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તું જ કહે ચ્યવનથી શ્રેષ્ઠ ક્યો ક્ષત્રિય છે?’

આ સાંભળીને અર્જુન ચૂપ થઈ ગયો એટલે પવને ફરી કહ્યું, ‘હે રાજા, બ્રાહ્મણોનાં મુખ્ય કર્મ સાંભળ. જ્યારે ઇન્દ્ર અને બીજા દેવ મદના મોંમાં ચાલ્યા ગયા હતા ત્યારે ચ્યવને તેમની ભૂમિ પડાવી લીધી. બંને લોક છિનવાઈ જતાં દેવગણ દુઃખી થયા અને શોકગ્રસ્ત થઈ મહાત્મા બ્રહ્માને શરણે ગયા. તેમણે કહ્યું, ‘હે લોકપૂજિત પ્રભુ, અમે જ્યારે મદના મોઢામાં હતા ત્યારે ચ્યવન મુનિએ અમારી ભૂમિ હરી લીધી, કપ નામના દાનવે સ્વર્ગલોક હરી લીધો.’

બ્રહ્માએ કહ્યું, ‘હે ઇન્દ્રાદિ દેવો, તમે બ્રાહ્મણોનું શરણ લો. તેમને પ્રસન્ન કરીને પહેલાંની જેમ બંને લોક પામશો.’

ત્યારે દેવતાઓ બ્રાહ્મણોના શરણાર્થી થયા. બ્રાહ્મણોએ પૂછ્યું, ‘અમે કોનો જય કરીએ?’ બ્રાહ્મણોની એવી વાત સાંભળીને દેવતાઓએ કહ્યું, ‘અત્યારે તમે કપ નામના દૈત્યોને જીતો.’

બ્રાહ્મણોએ કહ્યું, ‘અમે દૈત્યોને ભૂમિ પર જીતવા સમર્થ છીએ.’ પછી બ્રાહ્મણોએ કપનાશ માટે કાર્ય આરંભ્યું. કપ લોકોએ ધની નામના દૂતને તેમની પાસે મોકલ્યો. ધનીએ કપોએ કહેલી વાત કરી. ‘સમસ્ત કપ લોક તમારા જેવો છે, તો અત્યારે આ શું થઈ રહ્યું છે? તેઓ પણ વેદના જાણકાર છે, બધા યજ્ઞ કરે છે, બધા સત્યવ્રતી છે, મહર્ષિઓ સમાન છે. તેમનામાં શ્રી વસે છે. તેઓ પણ શ્રી ધારણ કરે છે, તેઓ વૃથા સ્ત્રીગમન કરતા નથી, વૃથા માંસભક્ષણ કરતા નથી. પ્રજ્વલિત અગ્નિમાં હોમ કરે છે. ગુરુજનોનાં વચન પાળે છે. તે બધા નિયત ચિત્તવાળા છે, બાળકોને ખાવાની વસ્તુઓ વહેંચીને આપે છે. તેઓ ધીમે ધીમે આવે છે, રજસ્વલા સ્ત્રીનું સેવન કરતા નથી, જે ભૂખ્યા છે તેમને જમાડ્યા પછી ભોજન કરે છે, દિવસે સૂતા નથી. આ બધા અને આ સિવાય અનેક ગુણવાળા લોકોને તમે શા માટે જીતવા માગો છો? આ કાર્ય બંધ કરો, નિવૃત્ત થવાથી તમારું મંગળ થશે.’

બ્રાહ્મણોએ કહ્યું, ‘અમે દેવદ્રોહી કપગણને જીતીશું, દેવતાઓની સાથે અમે પણ અમિત્રભાવે રહીએ છીએ. એટલે માટે કપ વધ્ય છે. હે ધની, તું જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહે.’

ધનીએ કપગણ પાસે જઈને કહ્યું, ‘બ્રાહ્મણો આપણું પ્રિય કરનારા નથી.’ એ સાંભળી કપગણ અસ્ત્રશસ્ત્ર લઈને બ્રાહ્મણોની સામે ધસ્યો. કપ લોકો ઊંચી ધ્વજા લઈને આક્રમણ કરવા આવતા હતા. તે જોઈને તેમના પ્રાણનાશ માટે બ્રાહ્મણોએ અગ્નિ ફેંક્યો. બ્રાહ્મણોએ કરેલી સનાતન અગ્નિવર્ષા કપગણનો નાશ કરીને આકાશમાં વાદળની જેમ પથરાઈ. બધા દેવતા, યશસ્વી બ્રહ્મા દ્વિજગણોની પ્રશંસા કરવા લાગ્યા. પછી દેવતાઓના તેજ અને વીર્યની વૃદ્ધિ થઈ અને તેમણે ત્રણે લોકમાં પુજાઈને અમરત્વ મેળળ્યું.’

પવનદેવે આ કથા કહી ત્યારે અર્જુને તેમની પૂજા કરી કહ્યું, ‘હે પ્રભુ, હું બધી રીતે બ્રાહ્મણો માટે જ જીવું છું. વ્રતનિષ્ઠ થઈને બ્રાહ્મણોને નિત્ય પ્રણામ કરુંં છું. દત્તાત્રેયની કૃપાથી મેં બળ પ્રાપ્ત કર્યું છે, આ લોકમાં મારી કીર્તિ થઈ છે, મેં મહાન ધર્મ મેળવ્યો છે. હે પવનદેવ, તમે બ્રાહ્મણોનાં જે અદ્ભુત કર્મ વર્ણવ્યાં તે મેં સાવધ થઈને સાંભળ્યાં.’

વાયુએ કહ્યું, ‘તમે બ્રાહ્મણોની રક્ષા કરો, ઇન્દ્રિયનિગ્રહ કરો, ક્ષત્રિયધર્મ પાળો. દીર્ઘ કાળ પછી તમને ભૃગુવંશીઓ દ્વારા મોટો ભય નડશે.’

(અનુશાસન, ૧૩૭-૧૪૨)