ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વરાહકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વરાહકથા

ભૂતકાળમાં નરકાસુર સમેત સેંકડો દાનવશ્રેષ્ઠ ક્રોધયુક્ત અને લોભયુક્ત થઈને બળના અભિમાનને કારણે ઉન્મત્ત થઈ ગયા હતા. આ સિવાય પણ ઘણા દાનવો દેવોની સમૃદ્ધિ જોઈને અસહિષ્ણુ થઈ ગયા હતા. દેવતાઓ અને દેવર્ષિઓ દાનવોથી ત્રસ્ત થઈને આમતેમ ભટકતા રહ્યા, દેવતાઓએ ઘોર રૂપ ધારીને મહાબળવાન દાનવોથી છવાયેલી પૃથ્વીને દાનવોનાં પાપથી પીડિત અને આર્ત જોઈ. પૃથ્વી તે સમયે ભારથી આક્રાન્ત, દુઃખી, અપકૃષ્ટ થઈને રસાતલમાં ડૂબતી જોઈ. આ જોઈને અદિતિના પુત્રો દેવતાઓ ત્રસ્ત થઈને બ્રહ્મા પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે બ્રહ્મન્, અમે દાનવોની દારુણ યાતના કેવી રીતે વેઠીશું?’

સ્વયંભૂ બ્રહ્મા દેવતાઓનું વચન સાંભળીને કહેવા લાગ્યા, ‘મેં આ આપત્તિ દૂર કરવાનો એક ઉપાય કર્યો છે. તેઓ વરદાનના પ્રભાવે બળ અને મદથી ઉન્મત્ત થયા છે. તે મૂઢ દાનવો વરાહ રૂપી ભગવાન વિષ્ણુને નથી જાણતા. એ હજારો મહાઘોર અધમ દાનવો ભૂમિની નીચે જ્યાં નિવાસ કરે છે ત્યાં વરાહ રૂપી વિષ્ણુ જઈને બધા દાનવોનો સંહાર કરશે.’

દેવતાઓ આ સાંભળીને ખૂબ આનંદ પામ્યા.

ત્યારપછી મહાતેજસ્વી ભગવાન વિષ્ણુ વરાહરૂપ ધારણ કરીને ભૂગર્ભમાં પ્રવેશ્યા ને દિતિપુત્રો તરફ દોડ્યા. કાલમોહિત દૈત્યો એકઠા થઈને અમાનુષી સત્ત્વને જોઈ સ્થિરભાવે સામનો કરવા તૈયાર થયા. ત્યાર પછી બધા ક્રોધે ભરાઈને સામે ગયા અને વરાહને ચારે બાજુથી ખેંચવા લાગ્યા. મહાકાય અને મહાબળવાન, ઉન્મત્ત દાનવો તે સમયે વરાહનું કશું બગાડી ન શક્યા. છેવટે તે બધા દાનવો ભયભીત અને વિસ્મિત થયા. હજારો દાનવો પોતાના જીવન વિશે શંકા કરવા લાગ્યા. ત્યાર પછી યોગસહાય યોગાત્માએ યોગનો આધાર લઈને દૈત્યો અને દાનવોે ક્ષોભ પમાડવા મોટા અવાજે ગર્જના કરી; તે અવાજથી બધા લોકમાં અને દસે દિશાઓમાં પડઘા પડ્યા. એ ભયાનક અવાજથી બધા લોકોના અંત:કરણમાં ક્ષોેભ પ્રગટ્યો. ઇન્દ્ર અને બીજા દેવતાઓ, બધી દિશાઓ ભયભીત થઈ ગયાં. સ્થાવરજંગમ સમસ્ત જગત તે અવાજથી મોહ પામી નિશ્ચેષ્ટ થયું. વરાહ ભગવાને રસાતલમાં જઈને પોતાની ખરીઓથી દાનવોના માંસ, મેદ, અસ્થિ (હાડકાં)ને છેદી ભેદી નાખ્યાં. તે ભૂતાચાર્ય, મહાયોગી પદ્મનાભ વિષ્ણુ આ મહાનાદથી સનાતન નામે વર્ણન પામ્યા છે. ત્યાર પછી સર્વ દેવતાઓએ જગત્પતિને પૂછ્યું. ‘હે દેવ, હે વિભુ, આ અવાજ શાનો છે અમે એ જાણવામાં સમર્થ નથી, આ શબ્દ કેવો છે? આ શબ્દ છે કોનો? આ જગત તેનાથી વિહ્વળ થઈ રહ્યું છે.’

એટલામાં જ વરાહરૂપધારી ભગવાન વિષ્ણુ મહર્ષિઓના સ્તુતિપાઠ, પછી રસાતલમાં ઉપસ્થિત થયા. તે મહાકાય, મહાબળવાન, મહાયોગી, ભૂતાત્મા, ભૂતભાવ ભગવાન વિષ્ણુ દાનવોનો વધ કરીને આવી રહ્યા છે. તે સર્વ ભૂતેશ્વર, યોગી, ઉત્પત્તિસ્થાન, આત્માનાય આત્મા, સર્વ પાપનો ક્ષય કરનાર કૃષ્ણ છે. તમે બધા હવે સ્થિર થઈ જાઓ. તેઓ અપરિચિત પ્રભાવાળા છે. મહાદ્યુતિ, મહાભાગ, મહાયોગી, ભૂતભાવન, મહાત્મા પદ્મનાભ, સાધુકાર્ય સિદ્ધ કરી અહીં આવ્યા છે. એટલે હે દેવતાઓ, તમારે શોક, સંતાપ કરવાની કે ભય પામવાની જરૂરત નથી. તે વિધિ, પ્રભાવ, સંશયકારક કાળ છે. આ જ મહાત્મા ભગવાને બધા લોકને ધારણ કરતી વેળાએ મોટો નાદ કર્યો હતો. બધાં ભૂતોના ઉદ્ભવરૂપ, બધા લોકો જેને નમસ્કાર કરે છે તે પુંડરીકાક્ષ (કમલનયન) અચ્યુત ઈશ્વર અહીં છે.’

(શાંતિપર્વ, ૨૦૨)