ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અગડદત્ત મુનિની આત્મકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગડદત્ત મુનિની આત્મકથા
‘આનંદ પામેલા લોકો જ્યાં સર્વ પ્રકારનાં સારભૂત ધાન્યો પકવે છે તેવો તથા વિદ્યા વડે જેની વિજ્ઞાન — જ્ઞાનવિષયક બુદ્ધિ કેળવાયેલી છે એવો અવન્તિ નામે જનપદ છે. ત્યાં અમરાવતીના જેવી લીલાયુક્ત ઉજ્જયિની નામે નગરી છે. એ જનપદમાં પ્રજાના પાલનમાં સમર્થ, જેનો કોશ અને કોઠારનો વૈભવ સંપૂર્ણ છે એવો, પુષ્કળ સેના અને વાહનવાળો તથા મંત્રીઓ અને સેવકવર્ગ જેમાં અનુરક્ત છે એવો જિતશત્રુ નામે રાજા છે. બાણ, અસ્ત્ર, શસ્ત્ર, રથયુદ્ધ અને કુસ્તીમાં તથા ઘોડાઓને કેળવવામાં કુશળ એવો તેનો અમોઘરથ નામે સારથિ હતો. અમોઘરથની કુલ અને રૂપમાં યોગ્ય એવી યશોમતી નામે પત્ની છે. તેમનો પુત્ર હું અગડદત્ત નામે છું. મારા દૈવયોગે અને દુઃખની ગુરુતાથી મારા પિતા હું બાળક હતો ત્યારે જ મરણ પામ્યા. પતિના મરણથી દુઃખ પામેલી અને શોક કરતી એવી મારી માતા શુષ્ક કોટરવાળું વૃક્ષ જેમ દાવાનળથી સળગે તેમ મનમાં જ દાઝવા માંડી. એને એ પ્રમાણે દુઃખી થતી, શરીરમાં સુકાતી તથા વારંવાર રોતી જોઈને હું પૂછવા લાગ્યો, ‘માતા! તું કેમ રડે છે?’ પછી મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું, ‘પેલો અમોઘપ્રહારી સારથિ છે. તારા પિતા મરણ પામ્યા એટલે તેમનાં પદ અને વૈભવ એ અમોઘપ્રહારીને મળ્યાં. જો તારા પિતા આજે જીવતા હોત અથવા તું બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ હોત તો આવો વૈભવ તેને મળત નહીં; અથવા શૃંગાટક (ત્રિકોણ માર્ગ), ત્રિક (જ્યાં રસ્તા ભેગા થતા હોય એવી જગા), ચોક, ચાચર અને શેરીઓમાં આવી રીતે ગેલ કરતો તું ફરતો ન હોત. આ પ્રત્યક્ષ દુઃખ જોઈને તારા પિતાનું મૃત્યુ યાદ કરતી એવી હું મનમાં ને મનમાં બળ્યાં કરું છું.’ મેં માતાને પૂછ્યું, ‘માતા! બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ એવો આપણો કોઈ મિત્ર છે?’ એટલે તેણે જવાબ આપ્યો, ‘કૌશાંબીમાં તારા પિતાનો પરમ મિત્ર અને સહાધ્યાયી દૃઢપ્રહારી નામે છે. તેને એકને જ હું તો જાણું છું.’ મેં કહ્યું, ‘માતા! હું દૃઢપ્રહારી રથિક પાસે કૌશાંબી જાઉં છું; બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કરીને ત્યાંથી આવીશ.’ પછી માતાએ ઘણા ઉમંગથી મને જવાની રજા આપી. પછી હું ત્યાંથી નીકળ્યો અને કૌશાંબી ગયો. ત્યાં બાણ, અસ્ત્ર, શસ્ત્ર, તથા રથચર્યાના શિક્ષણમાં એવા આચાર્ય તરીકે દૃઢપ્રહારી પાસે જઈને વિનયપૂર્વક તેને પ્રણામ કર્યા. તેણે મને પૂછ્યું, ‘પુત્ર! ક્યાંથી આવ્યો છે?’ એટલે મેં મારા પિતાના ઘરની સર્વ હકીકત, પિતાનું નામ અને મારું આગમન એ બધું કહ્યું. પછી તેણે પિતા જેમ પુત્રને આશ્વાસન આપે તેમ મને આશ્વાસન આપ્યું, અને કહ્યું, ‘વત્સ! હું મારી બધી વિદ્યા તને બરાબર શીખવીશ.’ મેં પણ કહ્યું, ‘હું ધન્ય છું, કે આપે મારા ઉપર અનુગ્રહ કર્યો.’ તેણે મને થોડીક ધીરજ રાખવાનું કીધું. પછી સારાં તિથિ, કરણ, નક્ષત્ર અને દિવસના મુહૂર્તે શુકન-કૌતુકપૂર્વક મેં બાણ અને શસ્ત્રવિદ્યા શીખવાનો આરંભ કર્યો. શલાકા કાઢી, પાંચ પ્રકારની મુષ્ટિ શીખ્યો,૧ પુનાંગને જીત્યો, મુષ્ટિબંધ શીખ્યો, લક્ષ્યવેધી અને દૃઢપ્રહાર કરવાની શક્તિવાળો બન્યો; છૂટાં ફેંકવાનાં અને યંત્રમાંથી ફેંકવાનાં એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થયો તથા અન્ય પ્રકારનાં તરુપતન,૨ છેદ્ય, ભેદ્ય તથા યંત્રવિધાનોનો અને મને ઉપદેશવામાં આવેલી શસ્ત્રવિધિઓનો પારગામી થયો.