મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૧.બ્રહ્માનંદ

૯૧.બ્રહ્માનંદ

બ્રહ્માનંદ (૧૮મી સદી ઉત્તરાર્ધ –૧૯મી પૂર્વાર્ધ)

લાડુદાન, રંગદાસ અને (મુખ્યત્વે) બ્રહ્માનંદ એવાં નામે આ સ્વામિનારાયણી કવિએ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી-હિંદી કાવ્યરચના કરેલી છે. ગુજરાતીમાં સાંપ્રદાયિક છાંટવાળી પ્રેમલક્ષણા ભક્તિની પદરચનાઓથી એ વિશેષ જાણીતા છે. સામ્પ્રદાયિક ઉત્સવો અને ભક્તિ-પરંપરાના વિષયો ઉપરાંત કૃષ્ણપ્રીતિ, બાળલીલા, ગોપીવિરહ, ઉદ્ધવસંદેશ વગેરેને કાવ્યવિષય બનાવતાં એમનાં પદો ભાવોક્તિસભર હોવા ઉપરાંત હિંદી-ચારણી કચ્છી છટાવાળાં તથા તળપદી ભાષાભાતવાળાં છે. ગરબી, થાળ, ભજન જેવા પ્રકારો; તથા ચોપાઈ, ઝૂલણા-કુંડળિયા આદિનું છંદવૈવિધ્ય તેમજ રાગ-ઢાળ-વૈવિધ્ય અને અભિવ્યક્તિ-વૈવિધ્ય એમનાં કવિ-કૌશલને ઉપસાવી આપનારાં છે.