મિતાક્ષર/સાહિત્ય અને પ્રગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને પ્રગતિ


પ્રગતિ-સાહિત્ય સામે જે બે રજૂઆતો થઈ છે એનો વિગતે વિચાર કર્યાં પછી જ એટલે કે પ્રગતિ-સાહિત્યની યોગ્યાયોગ્યતા અને આવશ્યકતા-અનાવશ્યકતાનો વિચાર કર્યા પછી જ પ્રગતિ-સાહિત્યનાં ભયસ્થાનો તથા તેની પૃથક્ કક્ષાઓનો વિચાર કરવો યોગ્ય ગણાશે. આ બંને રજૂઆતો એક રીતે એકબીજા સાથે ઘણી સંકળાયેલી છે અને એ રજૂઆત કરનારા સાહિત્યકારો મોટે ભાગે બંનેની એકસાથે તરફદારી કરતા જણાય છે. આ બે રજૂઆતોને સાંકળવામાં આવે તો આમ થાય— (૧) ‘સાહિત્યનો સાહિત્ય લેખે આવશ્યક ગુણ તે સાહિત્યત્વ, આનંદ આપવાની શક્તિ—વાઙ્ગય રસસર્જન’[1] (૨) ‘વ્યવહારમાં જે વસ્તુ આત્માને ક્લેશકર લાગે — આત્માની નીતિબુદ્ધિને ક્લેશકર—લાગે; અરુચિકર લાગે, અનુચિત લાગે તે કાવ્યમાં અન્યથા લાગે એમ બની શકે નહિ[2] ...સમસ્ત આત્માને અનુકૂલ ન હોય એવો કોઈ અનુભવ સુંદર હોઈ શકે નહિ.’[2] એટલે કે, સાહિત્યનો આનંદ આપવાનો ગુણ તો જ સિદ્ધ થાય જો સાહિત્ય જીવનદૃષ્ટિએ, આત્માની દૃષ્ટિએ, પ્રગતિશીલ હોય. આ સ્વીકારીએ તો એનો અર્થ એ કે— (૧) સાહિત્યમાત્ર પ્રગતિશીલ જ છે. (૨) જીવનદૃષ્ટિએ પ્રગતિશીલ નથી એવા, એટલે કે, ‘અધેાગતિ કરનારા વિચારો સુંદરતા ધારણ કરી શકે જ નહિ. એવું સૌન્દર્ય કૃત્રિમ જ હોય, પોકળ જ હોય.’[3] આ રજૂઆત અને આ નિરૂપણો દોષિત છે. કેમ કે— (૧) સાહિત્યનું આવશ્યક લક્ષણ કલા છે. (૨) કલામાં આનંદ, રસ આપવાની શક્તિ છે. (૩) આનંદ આપનારું કલામય લખાણ સાહિત્ય છે. (૪) આનંદ આપનાર કલામય સાહિત્ય હંમેશાં જીવનદૃષ્ટિએ પ્રગતિશીલ જ હોય, એવું નથી. તે પ્રગતિશીલ અને પ્રત્યાઘાતી— બંને હોઈ શકે છે. (૫) દુનિયાનું તમામ સાહિત્ય પ્રગતિશીલ હોવું જોઈએ, હોય એ એક શુભ કામના છે; સત્ય, શિવ અને સુંદરનો સુમેળ આદર્શ છે. પરંતુ દરેક યુગે અને દરેક સ્થિતિના સાહિત્યમાં એવો સુમેળ છે જ, સાહિત્ય એટલે જ સુંદરતા — જેમાં સત્ય અને શિવ આપોઆપ આવી વસેલાં હોય જ, એવું નથી. (૬) માટે જ ‘પ્રગતિ-સાહિત્ય’ એટલે કે ‘સત્ય, શિવ અને સુંદરના સુમેળ એકતંત્રતાવાળું સાહિત્ય' જન્મે, વિકસે એ આવશ્યક છે. એને માટે સાહિત્યકારોએ જ પ્રયત્નશીલ થવાનું છે. બંને પક્ષો બને તેટલી સ્પષ્ટ રીતે રજૂ કરી હું વિગતમાં શું કહેવા માગુ છું તે બતાવું. દાખલા તરીકે, આજના જમાનામાં એક એવી નવલકથા અથવા કવિતા આપણા વાંચવામાં આવે કે, જેનું રહસ્ય[4] જીવનને ઉપકારક નહિ પરંતુ વિઘાતક હોવાનું આપણી બુદ્ધિ સ્વીકારે. માનો કે, એક પંદર વર્ષની કન્યાને એક સિત્તેર વર્ષના બુઢ્ઢા વેરે અગર એક લંપટ વેરે પરણાવવામાં આવે; અને એ કન્યા પોતે જ સ્વામીસેવાને સ્ત્રીનો જીવનધર્મ માની પતિ દારૂડિયો હોય, લંપટ હોય, વૃદ્ધ હોય તો પણ તેવા બધા જુલમો બરદાસ્ત કરે; અને એ બરદાસ્ત કરવામાં સ્ત્રી કોઈક પરમ ધર્મનું, ઉચ્ચ આદર્શનું પાલન કરી રહી છે એવું નવલકથાકાર સૂચવવા માગે;[5] અથવા બીજો દાખલો લઈએ. એક જાપાની સોલ્જર પોતાની આત્મકથામય નવલકથા લખતાં દેશભક્તિ અને રાજભક્તિની ખાતર, પોતાને ઘણી અણગમતી વાત છે એમ કહેવા છતાં, અને દિલ ડંખે છે એમ લખવા છતાં, શાહીવાદી હેતુ ખાતર જાપાને માંડેલા યુદ્ધમાં ચીનાઓનાં ગળાં કાપવાનો ધર્મ પ્રતિપાદન કરે.[6] અથવા તો એક કવિ ‘દેશકે લિયે', ‘મા ભોમકે લિયે'નાં ગીત લખી પોતાના દેશની સલામતી બીજા દેશોનાં શબ ઉપર ચણવા ઇચ્છે.[7] હવે, માની લઈએ કે, (૧) આ ત્રણે ઉદાહરણમાં મેં કહ્યું તેવું જ રહસ્ય કવિ-લેખક સૂચવવા માગે છે; અથવા વાચકને તો એમ લાગે જ છે; (૨) આ ત્રણે આદર્શો વાચક કે વિવેચકને આજના યુગના આદર્શથી વિરોધી, પ્રત્યાઘાતી લાગે છે; (૩) આ ત્રણે લખાણો કલાની દૃષ્ટિએ — પાત્રસર્જન, પ્રસંગાલેખન, પ્રતીતિકર રજૂઆત, શૈલી, ભાષા તથા ‘ટેકનિક'ની દૃષ્ટિએ ઉચ્ચ કક્ષામાં છે. આ ત્રણ વાત ગૃહીત કરી લીધા પછી હું પૂછું કે આ વાચક જો એમ કહે કે ‘આ ગ્રંથોનું રહસ્ય, તેની અંદરના આદર્શ મારા જીવનાદર્શથી તદ્દન વિરોધી છે, તેમ છતાં એ વાંચતાં ખૂબ આનંદ, રસ, ઉત્તેજન, આકર્ષણ મેં અનુભવ્યાં; ફરી ફરી વાંચવાનું મન પણ થાય છે. પરંતુ તેમાંનાં રહસ્યો તો સાચે જ ખતરનાક છે,' તો તમે શું કહેશો? તમે એમ કહેશો કે એમ બને જ નહિ ? — કાં તો વાચકને એ આદર્શ ગમતા હોવા જોઈએ; નહિ તો એને એમાં આનંદ પડી જ ન શકે'? શ્રી પાઠક, શ્રી વિષ્ણુપ્રસાદ, શ્રી મેઘાણી આ ત્રણે લગભગ એમ જ કહે છે એ આપણે જોઈ ગયા. આવે વખતે મારા મનમાં ગાંધીજી અને લેનિન જેવા મહાપુરુષો તથા તૉલ્સ્તૉય અને કાકાસાહેબ જેવા ઉચ્ચ સાહિત્યકારનું સ્મરણ થાય છે. ગાંધીજી ગીતગોવિંદ વિષે, લેનિન તૉલ્સ્તૉયની ‘અના કેરેનિના' અને બીજાં લખાણો વિષે, અને તૉલ્સ્તૉય તથા કાકાસાહેબ સર્વસાધારણ રીતે અનેકાનેક વાર આથી ઊલટો ભાવ વ્યક્ત કરી ચૂક્યા છે. સવાલ થાય છે : આમ શાથી? શ્રી પાઠકનાં પોતાનાં જ લખાણમાંથી આ વાતનો જવાબ મળે છે : ‘આવી એકતંત્ર વ્યવસ્થા આપણે સિદ્ધ કરેલી હોતી નથી. એ સિદ્ધ કરેલી હોય તેને આપણે પૂર્ણ પુરુષ, જીવન્મુક્ત સિદ્ધ પુરુષ કહીએ.’[8] આથી વધારે સ્પષ્ટ જવાબ શ્રી વિશ્વનાથ. મ. ભટ્ટ આપે છે: ‘ઊર્મિના રાગદ્વેષો ઘણી વાર બુદ્ધિના નિર્ણયોની આડે આવે છે, એટલે માણસ યોગ્યતાનું પૂરેપૂરું જ્ઞાન ધરાવતો હોવા છતાં જીવનમાં સર્વ પ્રસંગોએ ઉચિત આચરણ કરી શકતો નથી.’[9] અલબત્ત, અહીં ‘આચરણ’નો સવાલ આપણે નથી વિચારતા પરંતુ ‘સર્જન’ અને ‘અનુભવ'નો વિચારીએ છીએ. એક સર્જક જે આજના સમાજમાં જન્મ્યો છે, ઊછર્યો છે ને ઘડતર પામ્યો છે, અને જે જીવન્મુક્તની કોટીએ પહોંચ્યો નથી, તે જ્યારે સર્જનકાર્યમાં પરોવાશે ત્યારે તેના સર્જનમાં તેની અપૂર્ણતાઓ ડોકાશે કે કેમ, એ સવાલ પ્રથમ વિચારવાનો છે. અને બીજો સવાલ – એવા અપૂર્ણ માનવીના સર્જનની અપૂર્ણતા વાચક કે વિવેચક ઉપર શી અસર પાડશે ? ત્રીજો સવાલ એ છે કે, વાચક અગર વિવેચક પણ જીવન્મુક્ત સિદ્ધ પુરુષ ન હોય ત્યાં લગી તેનામાં પણ ઊર્મિ અને બુદ્ધિની ખેંચતાણ હશે જ અને એથી એને વિષે પણ એવું બનવા સંભવ છે કે નહિ, કે એને ગમે એટલે કે એના ઊર્મિતંત્રને પ્રેયસ્ જણાય એક, અને એના પોતાના જ બુદ્ધિતંત્રને શ્રેયસ્ લાગે બીજું? શ્રી પાઠક આ ત્રણેનો જવાબ ટૂંકમાં આપી દેતા જણાય છે : કલાનો પ્રદેશ, કાવ્યનો અનુભવ અને બાહ્ય જગતનો ભેદ આ બાહ્ય જગતની અતંત્રતા ભુલાવે છે, એમ એમનું કહેવું છે. સાધારણ રીતે કવિને ‘કોઈ ધન્ય ક્ષણમાં એ પૂર્ણતા દેખાઈ જાય છે, . . . કવિ પોતાનાં પાત્રોની અપૂર્ણતા પણ એવી રીતે નિરૂપે કે આપણને એ અપૂર્ણતા જોતાં પણ પૂર્ણતાનું દૃષ્ટિબિંદુ અનુભવગમ્ય થાય. એ અપૂર્ણતા જ પૂર્ણતાના મધ્યબિંદુનો આક્ષેપ કરે !’[10] આનો અર્થ એ થયો કે, જીવન્મુક્ત સિદ્ધ પુરુષોની એકતંત્રતા, સામાન્ય કવિ-લેખક જ્યારે લખવા બેસે છે ત્યારે તેનામાં આવી ઊતરે છે; એટલી ક્ષણો તો આવે જ છે! અહીં આપણે, કવિ-લેખકના ચિત્તમાં કાવ્યપિંડ કેવી રીતે બંધાય છે તેની આખી પ્રક્રિયાનો વિચાર કરવો જરૂરી છે. અને ત્યાર બાદ એ પિંડ શબ્દદેહે અવતાર પામે છે ત્યારે તે કેટલે અંશે પોતાના મૂળ સ્વરૂપને વફાદાર રહી શકે તેનો વિચાર કરવો પડશે. આ આખો અભ્યાસ ચિત્તશાસ્ત્રનો છે. અને આ શાસ્ત્ર જેટલી હદે ચિત્તનું પૃથક્કરણ કરી શક્યું છે અને તેને સમજી શક્યું છે તેનો આધાર લઈને આપણે એમ કહી શકીએ કે— માનવચિત્ત(mind) પોતે કોઈ abstract વસ્તુ નથી. જેને મગજ(brain) કહેવામાં આવે છે તે શારીરિક અવયવનો સ્થૂળ પિંડ બંધાવાની સાથે સાથે તેનાં ગુણો અને તત્ત્વોનું ઘડતર થવા માંડે છે. માતાપિતાનાં શારીરિક તથા લોહીગત અને માનસિક ઊર્મિલ ગુણો અને તત્ત્વોનો તથા ગર્ભાધાન પછીના માતાના સમસ્ત જીવનનો ઓછોવત્તો અંશ એ ઘડતરમાં ભાગ ભજવે છે. ત્યાર બાદ, બાળક બાહ્ય સૃષ્ટિમાં પ્રવેશે છે કે તરત જ તેનું આ ‘મગજ'(brain) કાર્યશીલ બને છે, ત્યારે તેની ક્રિયાઓ ‘ચિત્તવ્યાપાર'ને નામે ઓળખી શકાય છે. આ ‘ચિત્તવ્યાપાર' આમ મૂળે તો ‘મગજ'ના ઘડતર ઉપર જ આધાર રાખે છે. પરંતુ ત્યાર બાદ તો તરત જ તેના ઉપર માબાપ, પડોશી, મિત્રો અને આજુબાજુની તમામ બાહ્ય પરિસ્થિતિ અને વ્યાપારોની સૂક્ષ્મ છતાં સીધી અસર પડવા માંડે છે. આ અસરો માનવચિત્તને ઘડે છે એટલે સ્વાભાવિક રીતે, આવી રીતે ઘડાયેલા ‘ચિત્ત'માંથી જે કાંઈ જન્મી શકે, ‘ચિત્ત' જે કાંઈનું સર્જન કરી શકે તે તેના ‘ઘડતર'થી પર હોઈ જ ન શકે, તો વધારે તો ક્યાંથી જ હોય ? અહીં એ સમજવું જરૂરી છે કે, આ ચિત્તમાં જે જે વ્યાપારો ચાલે છે તેમાં જે લાગણીઓ-ઊર્મિઓ જન્મતી હશે તે સમસ્ત ચિત્તનું સર્જન હશે, નહિ કે તેના કોઈ અમુક ખંડ, ભાગ. કે તંતુઓનુ. એટલે કે એક ‘ઊર્મિ’ પોતે પણ કોઈ સ્વતંત્ર અને abstract વસ્તુ નથી. તે પણ સ્થૂળ મગજ અને ચેતન ચિત્તના ઘડતરનું જ પરિણામ હોય છે. હવે, આપણે એ વિચારીએ કે આ ‘ઊર્મિ' જ્યારે સર્જનમાં ઊતરવા મથે છે ત્યારે તેને કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અહીં પણ એ જ સિદ્ધાન્ત લાગુ પડે છે કે કોઈ એક ‘ઊર્મિ'નું ચિત્તમાં સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે પણ એક યા બીજી સાથે સંકળાયેલી છે અને એથી એનું સ્વરૂપ અનેક સાથેના ઘર્ષણ કે સંપર્કમાંથી જ ઘડાયું હોય છે. બાહ્યસ્વરૂપે—શબ્દદેહે વ્યક્ત થતી વખતે આ અથડામણ તેનો ભાગ ભજવે જ છે અને એટલે અંશે જ, તથા તે જ સ્વરૂપે, તે વ્યક્ત થાય છે. જે મુખ્ય સંવેદના—અનુભવ કવિને થયો હશે, જે મુખ્ય ઊર્મિ તેણે વ્યક્ત કરવી હશે તે મુખ્ય ‘ઊર્મિ' કે ‘સંવેદના' પણ બીજી ઊર્મિઓ અને સંવેદનાઓથી કેટલેક અંશે તો આચ્છાદિત થયેલી જ હશે. એટલે જ જ્યારે માણસ પ્રેમની સંવેદના કે ઊર્મિને શબ્દદેહે વ્યક્ત કરે છે ત્યારે આપોઆપ તેના ‘મગજ’નું, ‘ચિત્ત’નું અને તે ‘ઊર્મિ’નું, ઉપર કહી તે બધી પ્રક્રિયા પછી જે ઘડતર થયું હશે તેનો પડઘો તેમાં પડશે. આ દૃષ્ટિએ, કવિ, મનુષ્યેતર ન હોઈ, તેના સર્જનમાં પણ આ જ નિયમો કામ કરે છે. ‘કવિ તો જન્મથી જ કવિ છે' એ ખ્યાલને આ સિદ્ધાન્તો ખોટા પાડે છે. ‘અપૂર્ણ માનવી સર્જન સમયે પૂર્ણતાનો આક્ષેપ કરે’ એ ખ્યાલ પણ બિનપાયાદાર છે. બહુ બહુ તો એટલું જ કહી શકાય કે, આ બધી ક્રિયાઓને અંતે જે કોઈ ‘ઊર્મિ'નું સ્વરૂપ માણસના ચિત્તમાં બંધાયું હશે તેને વધુમાં વધુ શક્ય એવા કલાસ્વરૂપે કવિ શબ્દમાં ઉતારી શકે છે. પરંતુ જે વ્યાપાર ચિત્તમાં કદી થયો જ નથી તેનું કોઈ સર્જન તે કરે, અથવા તો, ‘અપૂર્ણ ચિત્ત’ ‘પૂર્ણતાનો આક્ષેપ' કરે, અથવા તો ‘અપૂર્ણ વ્યાપારો પૂર્ણતાને અનુભવ કરે કે કરાવે', એ અશક્ય ગણાવું જોઇએ.[11] કેવળ ગાંડપણના પ્રકારોમાં જ એવું જાણવા મળે છે કે અમુક એક લાગણી અથવા ઊર્મિ ભાનાવસ્થામાં પોતાનો આવિષ્કાર અશક્ય બનતાં શરૂઆતમાં કામચલાઉ આખા ચિત્તની ઘટનાથી જુદી પડી પોતે સ્વયમ્ આખું ચિત્ત હોય તે પ્રમાણે વર્તાવ કરવા માંડે છે. આવા વર્તાવોને આપણે ગાંડપણના પ્રલાપો કહીએ છીએ. જ્યારે સાહિત્યસર્જન એ તો જાગ્રત ઘડાયેલા સંસ્કારી માનવીના ભાવોનો અને ઊર્મિનો આવિષ્કાર હોઈ તેને વિષે આવું એકાદ ઊર્મિનું સ્વતંત્ર ‘એકાંતિકપણું’ આરોપવું, તેને સમગ્ર ચિત્તથી સ્વતંત્ર માનવું બિલકુલ અયોગ્ય અને અન્યાયભર્યું લેખાય. આવા વ્યાપારને ‘દૈવી’ કહેવો એ તો ભારે જોખમભર્યું જ ગણાય. સિદ્ધાંતની આ વાત ઉપરાંત, અનુભવ અને વ્યવહારની વાત વિચારીશું તોય આપણને જણાશે કે દરેક માનવીમાં કાં તો ઊર્મિ કાં તો બુદ્ધિનું જોશ વધારે હોય છે. મોટા ભાગના માનવી મોટે ભાગે આજ લગી ઊર્મિથી ખેંચાતા રહ્યા છે, એ વિધાન ફ્રૉઈડે જાહેર કર્યાં પછી ભાગ્યે જ કોઈ ટેકાની જરૂર છે. દુનિયાના પ્રાચીન-અર્વાચીન સાહિત્યમાંય આપણે બુદ્ધિપ્રધાન અને ઊર્મિપ્રધાન સાહિત્યના પ્રવાહો નિહાળીએ છીએ. આવાં કાવ્યોમાં માનવી પાસે જે બુદ્ધિધન કે ઊર્મિધન હોય છે તે જ તે વાપરે છે. અને પરિણામે બુદ્ધિમાં અપક્વતા અને ઊર્મિમાં કલુષિતતા હોય એવા સાહિત્યનીય પ્રાપ્તિ સમાજને થાય છે. ઘણી વાર ઊર્મિની તેજસ્વિતા અને તરંગિતામાં બુદ્ધિ અટવાઈ ગયેલી જણાય છે. ઘણી વાર બુદ્ધિપૂર્વક જાણતો છતો કવિ અબુદ્ધિપૂર્વકની તરંગિતા સર્જે છે અને તેમાં ઘસડાવું પસંદ પણ કરે છે. બુદ્ધિ ઉપર ઊર્મિનો વિજય જેમ માનવજીવનમાં લગભગ સર્વત્ર જણાય છે તેવું જ સાહિત્યસર્જનમાં, કલાસર્જનમાં પણ બને છે, અને જેમ સર્જકનું તેવું જ વાચકનું પણ. તે પણ બુદ્ધિપૂર્વક જુદું માનતો છતાં ઊર્મિના વહેણમાં ઘણી વાર ઘસડાય છે. એવું ઘસડાવું તેને ગમે પણ છે, એમાંથી તેને આનંદ પણ મળે છે, એમાં તરબોળ થવું પણ એને ભાવે છે. આમ શાથી? એનો જવાબ અહીં પ્રાપ્ત થાય છે. માનવી હજી મોટે ભાગે ઊર્મિથી ઘડાયેલો અને ઘસડાતો રહ્યો છે. કલાનું તત્ત્વ મોટે ભાગે ઊર્મિતંત્ર સાથે વધારે સંકળાયેલું હોઈ તેની અસર માનવીના ઊર્મિ ઉપર અત્યંત ઊંડી અને સચોટ પડે છે. કલાનું લક્ષણ જ સૌંદર્ય, માધુર્ય છે; આનંદ અને રસ તેના ગુણો છે. જેને આપણે સુવિકસિત, બુદ્ધિશીલ અને જાગ્રત પુરુષો તરીકે લેખીએ છીએ તેમના જીવનમાં પણ આ વિરોધી અસર નજરે પડે છે, તો સામાન્ય કવિ, વાચક કે વિવેચક માનવીનું[12] તો પૂછવું જ શું? વાચક ઉપર તો આ અસર એટલી હદે પડવા સંભવ છે જ્યાં સત્ય અને શિવ હોય ત્યાં સૌંદર્યનું દર્શન કરવાને બદલે જ્યાં જ્યાં સૌન્દર્ય જુએ છે ત્યાં ત્યાં તે સત્ય અને શિવ માની બેસે છે! 'Beautifying passions and glorifying weakness'ની શક્તિ કલામાં હોઈ તે માનવીના જીવનમાં ઉત્કર્ષસાધક બનવાને બદલે વિઘાતક પણ નીવડે એવો સંભવ છે. આશ્ચયની વાત તો એ છે કે આ જ વાતનો સ્વીકાર શ્રી પાઠકના નિબંધોમાંથીય નીકળે છે. તે એટલે સુધી કે ‘વ્યવહારમાં જે વસ્તુ આત્માને ક્લેશકર, અરુચિકર, અનુચિત લાગે, તે કાવ્યમાં અન્યથા બની જ ન શકે’[13] એમ કહેનાર શ્રી પાઠક જેને પોતે કાવ્ય તરીકે સ્વીકારે છે તેવું સાહિત્ય (જેને તેઓ ‘સાહિત્ય ખાતર સાહિત્ય’ સર્જનારની કોટિમાં મૂકે છે, તેવાઓનું સાહિત્ય) પણ, અત્યારે જનસમાજને દોરનાર કે ચેતન અર્પનાર કે નવો પ્રકાશ પાડનાર છે?— એવો પ્રશ્ન પૂછે છે. અને જવાબમાં પોતે જ કહે છે: નથી જ. અને નથી માટે આપણા સાહિત્યને સમાજમાં માનનું સ્થાન પણ નથી.’[14] અરે એટલું જ નહિ, પણ પોતાના પ્રથમ વિધાનથી તદ્દન વિરોધી વિધાન પણ તેઓ કરે છેઃ ‘કલ્પનાનો સાચો વિહાર હોવા છતાં જે રહસ્યમાં કલ્પના રાચતી હોય તે રહસ્યની દૃષ્ટિએ ઉચ્ચાવચ હોઈ શકે, અને એ જ કારણથી તે અધમ અને હાનિકર્તા હોઈ શકે.' એટલું જ નહિ પણ, ‘એમ હોય ત્યારે તેનું નિયંત્રણ કરવું પણ પડે.’[15] એટલી હદે તેઓ જાહેર કરી ચૂક્યા છે ! આ ત્રણ વિરોધી વિધાનોમાંથી શ્રી પાઠક પોતે અત્યારે કયું માનતા હશે એ તો નથી કહી શકતો. [16] પરંતુ એ ચર્ચામાં પડવાની આપણે અહીં જરૂર નથી. એ દલીલોના તથ્ય સાથે જ આપણને સંબંધ છે. શ્રી વિષ્ણુપ્રસાદ પણ ‘સામાન્ય સાહિત્ય નામને પાત્ર સર્વ કૃતિઓ સમાજનો ઉત્કર્ષ કરાવનાર જ હશે?’[17] એમ કહેવા છતાં કહે તો છે કે : સાહિત્ય जवल्ले ज પ્રગતિ વિરોધી હોઈ શકે. XXX ‘ચિત્તતંત્રની સ્વતંત્રતા રૂંધે એવું સાહિત્ય भाग्ये ज લખાશે.’[17] અને, આવું સાહિત્ય સાહિત્યલેખે ઊતરતું જ હશે, કેમ કે જીવનલેખે તે અધમ છે, એમ કહેવાને બદલે તેઓ જ ઊલટા કહે છે : ‘આપણા સામાજિક કે રાજકીય ધ્યેયની વિરુદ્ધ જતું લાગે છતાં साहित्य लेखे उंचुं પણ कोक લખી જાય.Cite error: Closing </ref> missing for <ref> tag— આ ચાર તબક્કાની આજુબાજુનું, ત્યાર પછીનું સાહિત્ય વિશેષત; અર્થ અને રાજકારણ ઉપર પ્રભુત્વ જમાવી બેઠેલા સંપન્નવર્ગની આસપાસનું રચાતું રહ્યું છે. એમાંય આજે તો અર્થ, ઉદ્યોગ, સાયન્સ સાથે રાજ્યસત્તાનું કોકડું એટલું બધું ગૂંચવાયું છે અને જીવન ઉપર એનાં પરિણામો એટલાં ચડી બેઠાં છે કે એમાંના એકેની ઉપેક્ષા કરવાની શક્તિ કે શક્યતા જીવનના કોઈ પણ એક અંગ માટે રહી નથી. સાહિત્ય કે કલાની શક્તિ ગમે તેટલી પ્રચંડ હોય તોપણ આ બધાથી વિખૂટા પડી કશું કરવાની શક્તિ એનામાં નથી જ નથી; મારી દૃષ્ટિએ તો એની ઉપરનું આક્રમણ, તે વિખૂટું રહેશે ત્યાં લગી, વધતું જ જવાનું છે.[18] આજે જ સાહિત્યનો ઉપયોગ, જ્યાં આંતરિક ઘર્ષણ વધ્યું છે ત્યાં તો સંપન્નવર્ગના હથિયાર રૂપે થઈ જ રહ્યો છે. અલબત્ત સાહિત્ય, એ એટલી ઉત્તમ, સૂક્ષ્મ, કળા છે કે ઘણો લાંબો વખત સુધી તો તેનો ‘તટસ્થતા'ના ઓઠા હેઠળ ધાર્યો ઉપયોગ કરી શકાય છે. આજે તો કેળવણી, સિનેમા, કળા, રેડિયો, સાયન્સ, ધર્મ સુધ્ધાંનો ઉપયોગ પ્રચારનાં સાધન તરીકે થઈ રહ્યો છે. રાજકીય ફાસીઝમ અને સરમુખત્યારીની તથા આર્થિક ચૂડમાં સાહિત્યનીય એ જ દશા થાય છે. એથી તો આજના નૂતન સાહિત્યકારની ફરજ અનેકવિધ બની છે. તેણે જીવનને રૂંધનારી ચૂડનો સાચો ચિતાર આપવો જોઈએ. તેવી સમાજવ્યવસ્થા પ્રત્યે રોષ જન્માવવો જોઈએ. એમાંથી છૂટવાની પ્રેરણા પણ જનસમાજને તેમણે જ પાવી જોઈએ. ઉપરાંત એમાંથી છૂટવાના માર્ગો પણ, અને તે પૂરી વૈજ્ઞાનિક દૃષ્ટિએ ચકાસીને, બતાવવા જોઇએ. વધુમાં એ નાગચૂડ વિનાનો નૂતન સમાજ કેવો હશે, નૂતન માનવજીવન કેવું હશે, તે વખતે સત્ય શિવ અને સુંદરના સુમેળવાળું સાહિત્ય અને કલાનું સર્જન કઈ હદે વિકસી, જીવનનેય કઈ કક્ષાએ લઈ જવામાં સહાયક અને પ્રેરક, આશ્વાસક અને ઉત્સાહક તથા ઉદ્ધારક બની શક્યું હશે—એય આજના સાહિત્યકારે બતાવવું રહેશે. શુદ્ધ સાહિત્યકારોની ‘સાહિત્ય લેખે' આ ફરજ ગણાવી જોઈએ.

પ્રગતિ-સાહિત્યની આવશ્યકતા અને તેની દિશા સમજી લીધા પછી એનાં ભયસ્થાનોનો વિચાર કરવો આવશ્યક છે. આ ભયસ્થાનો તરીકે નીચેના મુદ્દા રજૂ કરવામાં આવે છે— (૧) ચેાક્કસ ધ્યેય નજર સામે હોવાને કારણે સાહિત્ય પ્રચારક બની જઈ કલાનું તત્ત્વ તેમાંથી ઓછું થવા માંડે છે. (૨) ઉચ્ચ સાહિત્યમાં જીવનનાં કેવળ ચિરંતન, સાર્વત્રિક અને સ્થાયી તત્ત્વોને જ મહત્ત્વ હોવું જોઈએ, તે તે યુગનાં સપાટી ઉપરનાં, તત્કાલીન રાજકીય સામાજિક આંદોલનોને નહિ. સાહિત્ય જો રોજિંદા જીવનનું પ્રતિબિંબ બની જશે, એના જ મુખ્ય પડઘા પાડતું થઈ જશે તો તે ક્ષણજીવી થઈ રહેવાનું; તેની સાર્વત્રિકતા અને ચિરંજીવિતા નષ્ટ થવાની. આ બંને પ્રશ્નો મહત્ત્વના છે. કેમ કે જો આ બંને ભયો સાચા હોય તો ‘સાહિત્ય' ઊડી જઇ કેવળ ‘પ્રગતિ' જ રહી જતાં આખી પ્રવૃત્તિનો કરુણ ફેજ જ થાય. પ્રથમ રજૂ કરવામાં આવેલ ‘ભય’ એ સાચું ભયસ્થાન નથી. ‘હેતુવાદ’ માથા ઉપર ચડી બેસતાં મહા અનિષ્ટ થઈ જશે એ ભય પ્રગતિ સાથે અનિવાર્ય રીતે સંકળાયેલો છે એવું નથી. દેશની દરેક વ્યક્તિની લાગણી અને કલ્પનાએ અમુક સાર્વત્રિક શ્રેયને અર્થે સહેવું પડે[19] એને ભય તરીકે નહિ પણ એક મંગળ તરીકે સાહિત્યકારે જોતાં થવું જરૂરી છે. ‘હેતુ' અથવા ‘પ્રચાર' આવતાં કલા બગડે, બગડવી જ જોઈએ એ એક ભ્રમ છે. કવિનું — સાહિત્યકારનું કર્તવ્ય સદા સર્વદા સામાજિક તો રહ્યું જ છે. એને ધંધો communicationનો છે. ભાવના, ઊર્મિ કે વિચારને તે વાચકો સુધી પહોંચાડે છે. આ ક્રિયા પોતે જ સામાજિક ક્રિયા છે. શબ્દ એ એનું વાહન છે. કળા એની શક્તિ છે. જેમ શબ્દ-પસંદગી વિષે અથવા તો કલા વિષે તે અજાગ્રત, બેદરકાર કે ઘેનમાં રહી જ ન શકે તેવી જ રીતે તે શું વહન કરવા માગે છે એ બાબતમાં પણ ગાફેલ ન જ રહી શકે. આ તો તેની સાહિત્યકાર તરીકેની એક આવશ્યક ફરજ છે. એથી કલાને હાનિ પહોંચવાની ભાતિ ન હોઈ શકે. આમ છતાં, આવી ભીતિ પેદા કરવામાં આવે છે. આનું કારણ શોધવા માટે પણ આપણે સાહિત્યનો ઇતિહાસ ઉથલાવવો પડશે; પશ્ચિમમાં સોળમી સદીમાં Pure Art—Art for Art's sakeની શરૂઆત થઈ. યુરોપમાં તે વખતે આખો સમાજ ભારે પરિવર્તન અનુભવી રહ્યો હતો. ફ્યૂડલ(રજવાડી) સમાજ તૂટી રહ્યો હતો અને નવો પેટી બૂઝર્વા(નાનો વેપારી) વર્ગ આગળ વધી રહ્યો હતો, ત્યારે જેમ વેપારવણજની નફાખોરીમાં, જેમ ધર્મ, સેક્સ અને સદાચારના નિયમોમાં વ્યક્તિસ્વાતંત્ર્ય(free will)નું સૂત્ર દાખલ થયું, તેવી જ રીતે સાહિત્ય અને કળામાં પણ બન્યું.[[20]] આ નાનકડો વેપારી વર્ગ ધીમે ધીમે આજના બૂઝર્વા (મોટા વેપારી) વર્ગ રૂપે રૂપાંતરિત બની સમાજને મોખરે આવ્યો ત્યારથી, ખાસ કરીને સોળમીથી એગણીસમી સદી સુધી તો આ સૂત્રની બોલબાલા રહી. આને વિષે માર્ક્સવાદી કવિ-વિવેચક કૉડવેલ[21] તેના વિવેચનગ્રંથ ‘Illusion and Reality'માં લખે છેઃ “Hitherto modern (i. e. post medieval) poets have suffered from the illusion of free will, the 'bourgeois illusion'. They have sought freedom by the assertion of their individual wills against society, and have necessarily failed to achieve their object, because real freedom can only be gained by co-operation with society." આમ છતાં, શુદ્ધ સાહિત્યના પક્ષકારોનો એક વહેમ હજી ગયો નથી કે, લેખક જાગ્રત બની અમુક વિચારના પ્રચારની ઇચ્છાથી લખવા બેસે તે અનિવાર્ય રીતે કળાને ભોગે જ તે તેમ કરી શકશે. આના જવાબમાં ‘All literature is propaganda’નો પક્ષ રજૂ થાય છે. કોઈ પણ લેખક ગમે તેટલો ‘પ્રેરણાથી’ લખતો હોય તોય તેના મનના વિચારો તેમાં ડોકાયા વિના રહેતા જ નથી. પણ આને તો આપણે અજાગ્રત મનનું પરિણામ ગણી ઘડીભર દૂર રાખીએ. આપણો સવાલ તો એ છે કે, ઇરાદાપૂર્વક—અમુક વિચારના પ્રચારની ઇચ્છાથી—લખેલા સાહિત્યમાં કળાનું ખૂન જ થાય, એ આક્ષેપ શું સાચો છે? આના જવાબમાં બે ટાંચણો જ ટાંકું છું : (૧) શ્રી રા. વિ. પાઠકે કરાંચી સાહિત્ય સંમેલન વખતના પોતાના ભાષણમાં લખ્યું છે— “ગાન્ધર્વ વિવાહનું અનિષ્ટ લોકોને બતાવવું એવો સ્પષ્ટ વિચાર કાલિદાસને શાકુંતલ લખતાં હશે, પણ એ વિચારથી ક્યાંય એની કલા બગડી નથી... કવિની ભાનપૂર્વકની દખલથી ઘણી વાર કાવ્યમાં કૃત્રિમતા આવી જાય છે. પણ એવી કૃત્રિમતા આવી છે કે નહિ, એનો વિવેચકે પ્રત્યક્ષ અનુભવથી નિર્ણય કરવાનો છે. આવી પ્રચારની ભલામણ કે પ્રતિજ્ઞા હતી માટે કાવ્ય ખોટું જ થાય, એવું અનુમાન ન કરી શકાય... સર્જન બહારના પ્રચારના ઉદ્દેશથી તે બગડી પણ જતું નથી.” (૨) ઇંગ્લેન્ડના જુવાન ઉદ્દામ કવિ-વિવેચક સી. ડે. લુઇસ તેના 'The Hope for Poetry' ગ્રંથમાં લખે છે — "Bourgeois critic must remember that there is no reason why poetry should not also be propaganda; the effect of invocation, of poetry and of propaganda is to create a state of mind; and it is not enough to say that poetry must do unconsciously, what propaganda does consciously, for that would be to dismiss all didactic poetry from that of the Bible[22] downwards. All one can say is that propaganda verse is to be condemned when didactic is achieved at the exapense of the poetic. Poetry, in fact, whatever else it may or may not be, must be poetry is sound and obvious conclusion... If it is to be criticized, must be criticized as poetry and not for being propaganda." એટલે કે સાહિત્યની ખાતર સાહિત્ય લખવાથી તે કંઈ કલામય બનતું નથી, અને પ્રચાર ખાતર લખવાથી તે બગડી જતું નથી. બગડે છે કે સુધરે છે તે તો લેખકે પોતે સંવેદનશીલતાનો કેટલો અનુભવ કર્યો છે, એ અનુભવને ઉતારવાની આવડત અને હથોટી તેની પાસે કેટલી છે વગેરે ઉપર આધાર રાખે છે. માણસ દિલ રેડીને અથવા કલામય રીતે પ્રચાર ન જ કરી શકે, એવું શી રીતે કહી શકાય? અલબત્ત, પ્રચારનીય જેમ કળા છે, તેમ સાહિત્યસ્વરૂપોનીય પોતપોતાની મર્યાદા છે. કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ કે આત્મકથા દરેકમાં એકધારો, એકસરખો એક સ્વરૂપે પ્રચાર ન થઈ શકે. છતાં આ દરેક દ્વારા પ્રચાર થયો છે, અને થઈ શકે એ નિર્વિવાદ છે. આનંદ અને ઉપદેશના હેતુવાળા જૂના સફળ સાહિત્યકારોની વાત જવા દઇએ તોય, તૉલ્સ્તૉય, ગૉર્કી, ટૉલર, રોમે રોલાં, આન્દ્રે માલરો, શૉલૉખોવ, ટૉમસ મૅન વગેરે વગેરે અનેક જગવિખ્યાત સાહિત્યકારોની નામાવલિ અહીં બેધડક આપી શકાય. આ બધા પ્રથમ પંક્તિના પ્રચારકો અને ઉત્કૃષ્ટ સાહિત્યકારો છે.

***

હવે બીજા ભયસ્થાનનો વિચાર કરીએ. પહેલાં તો જેને સનાતન તત્ત્વો, સ્થાયી ગુણો, ચિરંતન ભાવનાઓ કહેવામાં આવે છે તે શું છે? તે ક્યાં? અને તે શું સામાજિક જીવનથી પર એવાં લક્ષણો, ગુણો કે તત્ત્વો છે? પ્રેમની લાગણી, વિરહની યાતના, ત્યાગની મહાનતા, આશાની અમરતા, નિર્ભયતાનું ઓજસ—આ આંતરિક ગુણો તથા કુદરતની આકર્ષકતા, (નદી, પહાડ, જંગલ, તારા, ચંદ્ર, ફૂલથી માંડી ઋતુરાજ વસંત અને તમામ પ્રકૃતિ તત્ત્વો) આ બધાંને આપણે ચિર ગુણો અથવા સનાતન તત્ત્વો ગણાવતા આવ્યા છીએ, જે મહાન સાહિત્યનાં પ્રેરક અને પોષક બન્યાં છે. પરંતુ માનવજીવનના આ બધા ભાવો વ્યક્ત કરવામાં તથા પ્રકૃતિસૌંદર્ય પીવાની તક, સ્વસ્થતા અને શક્તિ પ્રાપ્ત કરવામાં માનવીના જીવનની રોજિંદી રહેણીકરણી, તેના જીવનના નાના, ક્ષુલ્લક ગણાતા પ્રસંગો, બનાવો બહુ જ મોટો ભાગ ભજવે છે.[23] જેમ સતારનો એકાદો તાર તંગ અથવા શિથિલ હોતાં આખા સંગીતની એકરાગતા સર્જાવી નથી શકાતી તેવું જ આજના જીવનનું છે. જીવનનાં એક્બીજા અંગો એટલાં બધાં પરસ્પરાવલંબી બન્યાં છે કે તેના કોઈ પણ એક તારની તંગ કે શિથિલ સ્થિતિ આખા જીવનસંગીતને બેસૂરું બનાવી મૂકે છે—સંગીત પ્રગટ થવાની જ ‘ના' પાડે છે! અને એથી તો સતારનું તૂમડું અને તેનો દંડ ગમે તેટલો ઉત્તમ હોય પરંતુ ઝીણા ઝીણા તાર ઉપર તેનો આધાર રહે છે. તેવું જ ચિરભાવો, ચિર આદર્શો, સાર્વત્રિક ભાવનાઓનું ગમે તેટલું રટણ કરીએ પણ રોજિંદી જિંદગાનીના પ્રત્યેક તાર સાથે જ્યાં લગી એનો સુમેળ જામે નહિ ત્યાં લગી એ બધા ચિરગુણોની કશી કિંમત નથી. બધી મહાન સુંદર મહોલાતો અને ઇમારતોનો પાયો, તેની ધરતી જો બોદી હશે તો, ગંજીફાના મહોલાની જેમ એક ફૂંક લાગ્યે ઊડી જનાર છે; અને ફૂંક લાગ્યે ઊડી જવાની ભીતિ જ્યારે અતિશય વ્યાપી રહી હોય ત્યારે ‘ચિર’ અને સાર્વત્રિકતાની વાતને કશો જ અર્થ નથી. દુનિયાના આજ લગીના ઇતિહાસ માટે માર્ક્સે જે સિદ્ધાંત[24] પ્રસ્થાપિત કર્યો છે, તેની સંપૂર્ણ યથાર્થતા, તેનો સાક્ષાત્કાર આપણા અત્યારનો યુગ કરાવી રહેલ છે કે જેને આપણે ક્ષુલ્લક, ક્ષણજીવી સવાલ કહી આજ લગી ઉપેક્ષતા આવ્યા છીએ એ ‘રોટીના સવાલે' તો આજના માનવજીવનને ગૂંગળાવ્યું છે. એ સવાલ પૂરો હલ થયા વિનાની બધી ઇમારતો રેતીના પાયા ઉપર જ ઊભેલી હશે. બીજી રીતે વિચારીએ તો કોઈ પણ સાહિત્યકૃતિ જે મહાન, ચિર, સ્થાયી ભાવો વ્યક્ત કરે છે તેનો આધાર, આખરે તેનાં પાત્રો, તેનું વસ્તુ, તેની વાર્તા, તેના વાતાવરણ ઉપર જ રહે છે. અને આ વસ્તુ, પાત્રો ને વાતાવરણ ક્યાંથી જન્મે છે? શી રીતે દેહ ધારણ કરે છે? સાહિત્યિકના દિમાગ કે પ્રેરણાસ્થાનમાંથી તે ટપકી ભલે પડતાં હોય પણ સાહિત્યિકનું દિમાગ, એનું પ્રેરણાસ્થાન પોતે શું છે? સમાજના વાતાવરણ, સંજોગો(environment)થી પર નથી એ આપણે જોઈ ગયા છીએ. ત્રીજી રીતે વિચારતાં સામાજિક પરિસ્થિતિમાં જ પ્રેમ, વિરહ, ત્યાગ, આશા અને નિર્ભયતાના અનેક પ્રસંગો અને વાતાવરણ પડેલાં જ હોય છે. ઇતિહાસનો કોઈ પણ ઉત્કટ ઘર્ષણનો તબક્કો લઈએ. ભારોભાર વિષાદ અને એને પેલે પાર અદમ્ય આશા, અદ્ભુત કરુણા અને અપરંપાર સુખ હોય છે. આ બધાંને તે તે યુગના સાહિત્યિકો કલાદેહ આપે છે, તે તે યુગનાં બાહ્ય અને આંતરિક ઘર્ષણોનાં વેધક ચિત્રો દ્વારા. આ ઘર્ષણ જેમ વધુ ઉગ્ર તેમ તેને વ્યક્ત કરનાર કવિ પણ વધારે મહાન હોવો જોઈએ. સો-બસો વરસે ઇતિહાસ આવી ઉગ્રતા રજૂ કરતો રહ્યો છે ને સો-બસો વરસે એકાદ મહાન સાહિત્યકાર એ મહાન અવસરને, ભયંકર સંગ્રામને, આલેખતો રહ્યો છે. કોઈક વાર તે સંગ્રામનો સમકાલીન હોય છે, તો કોઈક વાર ઘણો પાછળથી પ્રેરણા પી ઉદ્દીપ્ત બનેલો હોય છે. આ મહાન સાહિત્યિકને પણ તત્કાલીન જીવનની નાનીમોટી અનેક મદદ લેવી રહે છે. એટલું જ નહિ પણ, અનેકાનેક સાહિત્યિકો રોજિંદા બનાવો ઉપર રોજ ક્લમ ચલાવતા, રાજિંદી જિંદગાની ચીતરતા જતા, અસ્પૃશ્ય ગણાયેલાં ભાવો, પ્રસંગો ભાવનાઓને સ્પૃશ્ય બનાવતા જતા, પોતાની પ્રતિભાને અવનવે સ્વરૂપે ઝબકાવતા જતા પેલા મહાકવિ માટે ભોંય તૈયાર કરી આપતા જાય છે. મહાકવિ કદાચ પોતેય ભૂલી જાય પણ તેના હાથમાંની સતાર રોજિંદી જિંદગાનીના તુચ્છ ક્ષુલ્લક ગણાતા તારોની જ બનેલી હોય છે. આમ, એક રીતે તો, ઉગ્ર અથડામણના યુગમાં ચિરતત્ત્વો અને ક્ષણિક ગણાતાં બળો એક્બીજાની હૂંફમાં રહી આંદોલિત બનવાની શક્યતા ધરાવે છે. આજનો યુગ હજારો મહાકવિની સામગ્રી બની શકે એટલો રોમાંચકતા અને અદ્ભુતતાથી ભરેલો છે. આજે જેને આપણે તત્કાલીન, શુદ્ર, ક્ષુલ્લક પ્રસંગો, વિચારો કહીએ છીએ તે સ્થાયી, ચિર સાર્વત્રિક ભાવ અને ભાવનાઓના વિરોધમાં નહિ પણ ઊલટા તેમના-મય બની મુખરિત થવા તલસી રહ્યા છે. આજની કટોકટીએ તો બેની વચ્ચેનું અંતર ઊલટું કાપી નાખ્યું છે. દુનિયા આજે ઘર્ષણની જે ટોચ ઉપર ઊભી છે ત્યાં રોજિંદા અને ચિર, સપાટી પરના અને ઊંડાણના—સૌ નાનામોટા તરગો આવીને હિલ્લોલિત બન્યા છે— જ્યાં રોજિંદી જિંદગાનીનો નાનો શો તાર પણ સતારને ઝણઝણાવવા જેટલો સમર્થ છે ! આજ લગી મોટે ભાગે પ્રેમ, સેક્સ, ધર્મ અને કુદરત માનવહૃદયને હલાવનારાં, કવિનાં પ્રેરણાતત્ત્વો ગણાયાં છે. પ્રેમની કરુણા અને અદ્ભુતતા મહાકવિઓનું મધ્યબિંદુ રહેલ છે. આજે જીવનનું એ સર્વોપરીપણું પ્રેમે ગુમાવ્યું છે, કાવ્યનો એ વિષય જ હવે તો ઘસાઈ ગયો છે, એમ કહી નિરાશ થવાની કવિએ જરૂર નથી. જે પ્રેમની કરુણા અને અદ્ભુતતા ઉપર આજ લગીના સાહિત્યકારોએ ભાથાં બાંધ્યાં છે, અને જેઓ એ માર્ગે જ જવા તલસી રહ્યા છે, એમનેય કહી શકાય કે તમારે ભાગે આજે કરુણા અને અદ્ભુતતા તો છે—તમે જેની ઝંખના કરો છો, એ પ્રેમની જ! નળદમયંતી કે રામસીતાનો વિયોગ કે અજનો વિલાપ જે પરિસ્થિતિએ જન્માવ્યો હતો તેના કરતાંય વધારે કરુણ-કાવ્યમય પરિસ્થિતિ આજે છે, હજારો પ્રેમીનો એ વિલાપ રોજ રોજ જીવનમાં જન્માવનાર પરિસ્થિતિ આજે પેદા થઈ છે. અને એ કેવળ વચનના પાલનમાંથી કે પત્નીના સર્પદંશમાંથી નહિ પરંતુ એથી હજારગણા વધુ ક્રૂર દંશો અને ભયંકર ફરજિયાત ‘આદેશો’માંથી – આજના સમાજે કરેલી માનવજીવનની ભયંકર કરપીણ ગુલામ સ્થિતિમાંથી. કેવળ પ્રેમના દૃષ્ટિકોણથીય ખ્યાલ કરનારને આજના યુદ્ધઘેર્યા સદા રૂંધાયેલા સમાજમાં હજારો વિરહનાં મહાકાવ્યો અને યાતનાનાં નાટકો જડ્યા વિના નહિ રહે— આજ પહેલાંની કોઈ પણ ક્ષણ કરતાં વધુ કરુણ અને કરપીણ. કેવળ પ્રેમના જ દૃષ્ટિકોણથી નહિ પણ વધુ વિશાળ રીતે દુનિયાને નીરખવાની જેમની ઇચ્છા છે, એમને માટે તો સામગ્રીનો કોઈ સવાલ જ નથી. આપણી આખી સૃષ્ટિ, સંસ્કારિતા અને સુખસગવડ જેણે પેદા કરેલ છે એ ‘શ્રમ’નો કરુણ ક્રૂર અંજામ જગતનું સૌથી મહાન ઉદ્દીપક તત્ત્વ નથી શું? શું ઉદ્દીપન વિભાવોય જમાને જમાને સ્વરૂપપલટો કરતા નથી રહ્યા? એક જમાનામાં ધર્મ અને નીતિના ઉપદેશો જ કાવ્યનો વિષય હતો; ત્યાર બાદ કુદરત, સાહસ અને શૃંગારની મિશ્રકથાઓ, ધીમે ધીમે સ્થૂળ શૃંગાર કે સ્થૂળ કુદરતને બદલે તેની જ સૂક્ષ્મ લાગણીઓ મહાન સાહિત્યના મુખ્ય વિષય બન્યા છે. તો આજ લગીના સમાજના સર્જક અને આવતી કાલની સૃષ્ટિના ઘડવૈયા શ્રમજીવી વર્ગની આજની દીન હીન દુર્દશા, તથા ‘આવતીકાલ એમની છે' એ આશાવાદ, શું મહાસાહિત્યના ઉદ્દીપન વિભાવો ન બની શકે? આ એક જ માત્ર ઉદ્દીપન બસ છે, આ એક જ વિષય સાહિત્ય માટે પૂરતો છે, બીજાની કશી કિંમત નથી, એવું અહીં લેશ પણ અભિપ્રેત નથી. પરંતુ આ પણ એક વિશાળ પટ પડેલો છે, જેની ઉપર સાહિત્ય પોતાની વિરાટ લીલા યથેષ્ટ આદરી શકે છે, એટલું જ સૂચવવાના હેતુ છે.

[૧૦૪૦: ‘સાહિત્ય અને પ્રગતિ' ગ્રંથ]


  1. ૧ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કૃત ‘વિવેચના’, પૃ. ૨૪૯.
  2. 2.0 2.1 ૨.-૩. શ્રી રામનારાયણ પાઠક કૃત ‘સાહિત્ય વિમર્શ’', પૃ. ૭.
  3. ૪. શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘કલમ કિતાબ'ના તા. ૮-૩-'૩૯માં ‘પુષ્પમાં સુગંધ’ નામક લેખની પ્રસ્તાવના – નોંધ.
  4. ૫. જીવનનો અમુક એક વસ્તુ તરફનો લાગણીમય - ભાવનાત્મક સંબંધ(‘સાહિત્ય વિમર્શ’
  5. . શરદબાબુની નવલકથાઓનાં નામ કદાચ અહીં લઈ શકાય.
  6. ૭. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ “War and Soldier'નો ઉલ્લેખ થઈ શકે.
  7. ૮. જાપાની કવિ નોગુચી અથવા ઇંગ્લિશ કવિ રડયર્ડ કિપ્લિંગનાં નામ કદાચ લઈ શકાય.
  8. ૯. સાહિત્ય વિમર્શ', પૃ. ૭.
  9. ૧૦. શ્રી વિશ્વનાથ ભટ્ટ કૃત સાહિત્યસમીક્ષા', પૃ. ૩૫.
  10. ૧૧. સાહિત્ય વિમર્શ', પૃ. ૮.
  11. ૧૨. ‘જન્મથી જ કવિ’—Born Poet તરીકે જેને નવાજવામાં આવે છે તે શ્રી હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયના પોતાના શબ્દો અને પોતે કવિ બન્યા, અથવા કોઈ પણ કવિ અને તેની પાછળનાં કારણો તેમણે હમણાં જ પોતાની આત્મકથાનો પહેલો ખંડ લખીને રજૂ કર્યાં છે. (જુઓ ‘સ્ટુડન્ટ્સ કૉલ’–માર્ચનો અંક )
  12. ૧૩. કેમ કે આમાંના કોઈ તેમના પેશાને જ કારણે માનવોત્તર બની જાય છે, એવું નથી. અલબત્ત, છેક ઉપરની છીછરી વૃત્તિઓ એ વખતે સરી પડે છે, પરંતુ આખું ઊર્મિ કે વિચારતંત્ર માનવોત્તર બની નથી જતું.
  13. ૧૪. ‘સાહિત્ય વિમર્શ', પૃ. ૭,
  14. ૧૫. ‘સાહિત્ય વિમર્શ', પૃ. ૫૫.
  15. ૧૬. ‘સાહિત્ય વિમર્શ', પૃ. ૨૦
  16. ૧૭. જે સમયાનુક્રમની દૃષ્ટિએ જોઈએ તો નં. ૧૪ની ફૂદડીવાળું લખાણ છેક બીજું ૧૯૮૯નું છે, જ્યારે નં. ૧૫ની ફૂદડીવાળુ ૧૯૨૯નું છે અને નં. ૧૬ની ફૂદડીવાળું વિ. સં. ૧૯૯૪નું છે.
  17. 17.0 17.1 ૧૮.-૧૯.-૨૦. ‘વિવેચના’, પૃ. ૨૫૧.
  18. ૨૨. મહાન જર્મન સાહિત્યકાર ટૉમસ મૅને પી. ઈ. એન.ની ન્યૂયૉર્ક ખાતેની વાર્ષિક બેઠકમાં જર્મન ફિલસૂફી, કલા અને સાહિત્યમાં આજ લગી મોખરે ઊભવા છતાં તેના મેધાવાનોએ રાજકારણની જે આભડછેટ રાખી હતી તેનું કેવું ભયંકર પરિણામ આજે ભોગવવું પડે છે, તે બતાવતો નિબંધ વાંચ્યો હતો.
  19. ૨૩. ‘વિવેચના’, પૃ. ૨૫૦.
  20. ૨૪. વધુ વિગત માટે જુઓ — [a] David Daiches કૃત ‘Literature and Society' પ્રકરણ બીજું. [b] Leo Huberman કૃત ‘Man's Worldy Goods' પ્રકરણ ચોથું. [c] Maxim Gorky લિખિત ‘Soviet Literature'.
  21. ૨૫. સ્પેનના છેલ્લા વિગ્રહમાં પ્રજાકીય પક્ષે રહી ફ્રાન્કો સામે લડતાં ડેવિડ ગેસ્ટ, રાલ્ફ ફૉક્સ વગેરેની સાથે, ર૯ વર્ષની યુવાનવયે શહીદ થયેલા અત્યંત પ્રતિભાશાળી માર્ક્સવાદી કવિ-વિવેચક.
  22. ૨૬. આપણે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભાત, કુરાન અને નરસિંહ, અખો વગેરેને બાતલ કરવા પડે !
  23. ૨૭. “Where there is hope in the air, he (the poet) will hear it; where there is agony about, he will feel it. He must feel as a man what he reveals as a poet. It is as absurd to tell him that he must only feel strongly about natural scenery as it is to call eveay 'nature poet' an escapist. Nor is it right for us to say that the poet should be concerned only with eternal facts, with summer and winter, birth, marriage and death. These are the mountain-peaks, the final and everlasting limits of his known world, but they are always the background against which stand out and are measured temporal things— the rise and fall of cities, the year's harvest, the moment's pain. Today the foreground is a number of fluid, confused and contradictory patterns. —Cecil Day Lewis.
  24. ૨૮. ‘Materialist Interpretation of History'ના સિદ્ધાંત.