યુગવંદના/નવ કહેજો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નવ કહેજો!

રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ:
જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
દમ દમ કર્મે મચી રહેતાં
ઊછળે ઉરમાં ધબકાર;
ભલી એ એની વિશ્રાંતિ
એ સુખ, જીવનઆધાર:
એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
ધગધગ ધખતા સહરામાં
એ મહાલે શીતળ સેજ;
ઘન ઘન અંધારનિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ:
વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
જ્યમ શતશત પહાડશિખરથી
જળધોધ ઘૂઘવતો જાય,
જ્યમ ખુશખુશાલ કો જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય:
ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
વનવનમાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય:
સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો, ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
૧૯૨૮/૨૯.