રચનાવલી/૨૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. નાજુક સવારી (વિજયરાય વૈદ્ય)


દાહોદની નવજીવન આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં આચાર્ય હતો ત્યારે કૉલેજના મનોવિજ્ઞાન વિભાગમાં વ્યાખ્યાન માટે મુંબઈથી ડૉક્ટર મિત્ર શ્રી કિશન કોટિચાને નિમંત્રણ આપેલું. એમનો વ્યાખ્યાનવિષય ‘મૃત્યુ અંગેનું ચિંતન’ (થૅનટોપ્સિસ) હતો. એક ડૉક્ટર તરીકે મૃત્યુ અંગેનો નિકટનો અનુભવ હોવાથી અને વારંવારનો અનુભવ હોવાથી તેઓ મૃત્યુને કઈ રીતે જુએ, એનો એમાં ખ્યાલ હતો. પણ મિત્ર કોટિચાને દાહોદની લાયન્સ ક્લબમાં પણ વ્યાખ્યાન માટે નિમંત્રણ મળેલું, એમણે વ્યાખ્યાન વિષય જણાવ્યો : ‘મૃત્યુની બીજી બાજુ’ કૉલેજનું વ્યાખ્યાન પતાવી રાત્રે લાયન્સ ક્લબમાં અમે વ્યાખ્યાન માટે ગયા ત્યારે મિત્ર કોટિચા પાસે એક સ્લાઇડ પ્રોજેક્ટર હતું. એમણે બધાને આશ્ચર્યમાં નાખી એટલું જ કહ્યું કે ડૉક્ટર તરીકેના મારા વ્યવસાયમાંથી મુક્ત જે ક્ષણો મળી છે તેને મૃત્યુની બીજી બાજુ ગણું છું, અને એ આ સ્લાઇડ્સ દ્વારા રજૂ કરું છું. સ્લાઇડ્સ બધી જ ભાતભાતનાં ફૂલો અને પંખીઓની હતી. ડૉક્ટરની એકધારી ઘરેડ છતાં આ પંખીપ્રેમ અને ફૂલોના પ્રેમે ડૉક્ટરને નીરસ થતા અટકાવ્યા હતા. દરરોજની ઘરેડને થોડીવાર રજા આપનારો શોખ હંમેશા માણસને જીવતો રાખે છે. આપણા એક પ્રસિદ્ધ સાક્ષર વિજયરાજ વૈદ્યને પણ એમની આ વર્ષે આવેલી જન્મશતાબ્દીએ આજે પણ એમને જીવતા રાખનારા શોખની બાબતમાં સંભારી લઈએ. દિલ્હીની સાહિત્ય અકાદમી અને ભાવનગર સાહિત્ય સભા સાથે મળીને ફેબ્રુઆરીની બીજી અને ત્રીજી તારીખે એમની જન્મશતાબ્દીની ઊજવણી પણ કરી છે. આ સાક્ષરે ‘કૌમુદી' અને ‘માનસી’ જેવા જાણીતાં સાહિત્ય અંગેના ગંભીર સામયિકો અનેક આર્થિક વિટંબણાઓ વચ્ચે એકલે હાથે ભેખ ધરીને ચલાવ્યા હતા. સાહિત્યના પત્રકાર તરીકે એમણે પ્રવાહો અને પુસ્તકોની ચર્ચા કરેલી. અને તદ્દન જુદી શૈલીમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ લખેલો. પરંતુ સાહિત્યના પત્રકાર તરીકેનો કાળો શ્રમ કમ્મર બેવડ વાળી ન દે અને હૈયામાં શુષ્કતાના વાવેતર ન થાય તે માટે નઠોર ઘડપણને ટાળવા માટે એમણે પોતાની ઘરેડમાં દર ગુરુવા૨ને રજાનો દિવસ જાહેર કરેલો. પણ વિજયરાય રજા પર જાય પણ રજા પર નહિ એમ રજાને પાળતા. વિજયરાય અભ્યાસમાં રજા રાખતા પણ રસિકતા બાબતમાં કામે ચઢતા. અભ્યાસ એમને ઠૂંઠું ન બનાવી દે એ માટે તેઓ ચિત્તમાં સર્જનોના લીલા રોપ પ્રેમપૂર્વક ઉછેરતા અને એ પરિણામે એમણે ૧૯૩૮માં ‘નાજુક સવારી’ નામે એક નિબંધસંગ્રહ ગુજરાતને આપ્યો, વિજયરાયનું અભ્યાસપૂર્ણ ‘કૌમુદી’ કે ‘માનસી’ કદાચ ભુલાશે પણ એમનો આ રસિક નિબંધસંગ્રહ આજે એમની શતાબ્દીએ પણ યાદ કરવા જેવો રહ્યો છે. આ સંગ્રહનું નામ વિજયરાય ‘મરુભૂમિની લીલી ક્યારીઓ’ કે ‘મારવાડી ક્યારીઓ’ એવું આપવા માગતા હતા પણ છેવટે એમણે કલાપીની જાણીતી ગઝલ આપની યાદી’ની એક પંક્તિમાં આવતા શબ્દગુચ્છ ‘નાજુક સવારી’ પર એમની પસંદગી ઉતારી. એમને મન અભ્યાસ માટે થતી સવારી કઠણ છે પણ અહીં નિબંધોમાં વિષય થોડો ભારેખમ હોય તો પણ એને વણવામાં નાજુકાઈથી પ્રયાસ થયો છે. તેથી નિબંધોની સવારી એમને ‘નાજુક સવારી’ લાગી છે. વળી આ નિબંધો એમણે ‘વિનોદકાન્ત’ના છુપા નામે લખેલા છે. આ નિબંધોમાં વિનોદ અને વ્યંગ પહેલેથી છેલ્લે સુધી ગુંથાયેલા છે. રમણભાઈ નીલકંઠના ‘ભદ્રંભદ્ર’થી શરૂ થયેલો સંસ્કૃત શૈલી દ્વારા પરિસ્થિતિ અને વસ્તુઓની ઠેકડી ઉડાડવાનો કીમિયો વિજયરાયે અહીં આગળ વધાર્યો છે. એમણે ‘અમારા દેવ’ નિબંધમાં લેખકના દેવ તરીક ગણેશ યા સરસ્વતીને નહીં પણ પ્રકાશકને સ્થાપીને પ્રકાશકેશ્વરનો મહિમા ગાયો છે. પ્રકાશકની સૌથી મોટી ખાસિયત બતાવતા તેઓ લખે છે કે, ‘આ સમસ્ત દેવમંડળના સભ્યો એવા છે કે પોતે જાતે પ્રકાશવા આતુર હોય છે પણ અમારો નિષ્કામ કર્મયોગીશ્વર તો અમને નિસ્તેજ અને નિષ્કિંચન ગ્રંથકારોને પ્રકાશમાં આણવાની અખંડ તપશ્ચર્યામાં જ આ અણમોલ મનુષ્યજન્મની અનેરી સાર્થકતા અનુભવે છે.’ એ જ રીતે ‘આપઘાત વિષે’ના વિનોદલેખમાં એમણે બતાવ્યું છે કે જુહુના જેવો આપઘાતલાયક કાંઠો દુનિયામાં એક્કે નથી અને ડૂબતી વેળાએ એમણે કોટે પથ્થર,બાંધવાની મનાઈ કરી છે. કારણ કે આપઘાત એટલે સ્વમાનરક્ષા આખી ય આલમની સામા આપણે એકલે હાથે આપણો ટેક રાખીએ છીએ, એ જ આપઘાત કર્મનો અર્થ છે. પરીક્ષામાં નાપાસ થતાં વેપારમાં જોડાવા એક પત્રકારને એનો પિતા આજ્ઞા આપે છે એના પર વ્યંગ કરતા ‘પડકાર’ નિબંધમાં વિજયરાવ લખે છે : ‘પિતાની આજ્ઞા લોપી. બદલામાં પિતાએ એમના ખાનપાન ને રહેઠાણ લોપ્યાં. પોતાની એક કડકડતી ઠંડીવાળી રાતે એમને એક બાળસખાનું ઘર ક્રોધથી અને ઉત્સાહથી સળગતે હૈયે શોધવું પડ્યું. પણ સાથે સાથેજ પોતાના મહાપુરુષત્વનો ઉદય થતો એમને દેખાયો.’ ‘થોડીક શોઘખોળ’ નિબંધમાં વિજયરાયે દ૨૨ોજ સવારે ફરવા જનારાઓ પર ચાબુક વીઝી છે ‘રૂના કે અળસીના સોદા કરતાં હોય તેવી રીતે તેઓ રોજના અમુક માઈલ હડફ હડફ ચાલ કાઢીને કુદરત જોડે સુખી તબિયતના સોદા કરતા હોય છે.’ એ જ નિબંધમાં તુવેરના છોડ પરથી ખેતરમાં ફૂલ ચૂંટી સુંધે છે, ત્યારે લેખકે તુવેરના ફૂલનો રસિક પરિચય આપ્યો છે : ‘એક ફૂલ મેં ચૂંટયું, સૂંધ્યું એ શેની વાસ? કોઈ સ્વાદની વાસ લાગે છે. સ્વાદની વાસ? હા, એટલે એમ કે એ વાસવાળું કે એવા સ્વાદનું કૈ'ક રોજ ખાવામાં આવે છે.’ આજે દાયકાઓ પછી પણ સ્વાદની વાસને પકડી લેતી ઇન્દ્રિય ધરાવનાર સાક્ષરને આપણે ભૂલી શકીએ તેમ નથી. કાળની કેડીએ એમની ‘નાજુક સવારી’ હજી ચાલુ છે.