રણજિતરામ ગદ્યસંચય – ૧/રા. બ. નંદશંકર તુલજાશંકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રા. બા. નંદશંકર તુળજાશંકર

‘સમાલોચક’(જુલાઈ–સપ્ટેમ્બર)માં ‘વિદ્યમાન ગુર્જર ગ્રન્થકારો’ના શિરોનામની લેખાવલીની શરૂઆત થઈ છે. પહેલો લેખ ‘કરણઘેલા’ના કર્તા રા. બા. નંદશંકર તુળજાશંકર સંબંધી છે. રા. બા. નંદશંકર સુરતના રહેવાસી વડનગરા નાગર જ્ઞાતિના ગૃહસ્થ છે. તેમનો જન્મ ઈ. સ. ૧૮૩૫ના એપ્રિલ માસમાં સુરત શહેરમાં થયો હતો. તેમના પિતાની દ્રવ્ય સંબંધીની સ્થિતિ સારી નહોતી. તે સમય અનુસાર સુરતમાં જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું જ્ઞાન તેમણે પંદર વરસની બાળવયે મેળવી લીધું હતું. અભ્યાસમાં હોંશિયારી બતાવવાથી શિક્ષક મિ. ગ્રેહામની તેમના ઉપર મહેરબાની થઈ હતી. મુંબઈ જઈ અભ્યાસ વધારવાની શક્તિ ન હોવાથી ૧૫-૧૬ વરસની વયે મોનિટરની જગ્યાએથી ચઢતાં ચઢતાં તેઓ એક હેડમાસ્તરની જગ્યા મેળવવાને ભાગ્યશાળી થયા. મુંબઈ એલ્ફિન્સ્ટન પાઠશાળા નવી સ્થપાઈ ત્યારે દક્ષિણી અને પારસી વિદ્યાર્થીઓના પ્રમાણમાં ગુજરાતી વિદ્યાર્થી ઘણા થોડા હતા; તેથી તેમને સમજાવી મુંબઈ અભ્યાસ કરવા માટે મોકલવાનું કામ કેળવણીખાતાના વડા મિ. હાવર્ડ તરફથી રા. નંદશંકરને સોંપવામાં આવ્યું હતું. તે કાર્યને અંગે તેઓ મુંબઈ આવ્યા, ને એલ્ફિન્સ્ટન પાઠશાળામાં વખતોવખત જઈ ગુજરાતી અભ્યાસનો ક્રમ કેમ ચાલે છે તે ઉપર દેખરેખ રાખવા લાગ્યા. રા. નંદશંકરને તે વખતે કેટલાંક અંગ્રેજી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, અને તે પ્રસંગે તેમણે ત્રિકોણમિતિ વગેરે અંગ્રેજી પુસ્તકો ઉપરથી તથા માર્ગોપદેશિકા સંસ્કૃત ઉપરથી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યાં હતાં. આ જ વખતે તેમને મિ. ગ્રેહામે [1] એક સારી નવલકથા ગુજરાતી ભાષામાં લખવા કહ્યું; તે ઉપરથી તેમણે ‘કરણઘેલો’ એ નામનું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું. તે છપાવી પ્રસિદ્ધ કરવાની શક્તિ તેમની ન હોવાથી તે પ્રસિદ્ધ કરવાનો હક તેમણે સરકારને આપ્યો તેના બદલામાં સરકારે તેમને રૂ. ૧,૦૦૦ નું ઇનામ આપ્યું. મ્યુનિસિપાલિટી, લિટરરી અને સોશિયલ મંડળીઓમાં ઉત્સાહથી તેઓ ભાગ લેતા. વર્તમાનપત્રમાં લખવાનો પણ તેમને શોખ હતો. ‘ગુજરાત મિત્ર’ના તેઓ અંગ્રેજી લેખક હતા. મર્હૂમ રા. સા. મહીપતરામ ઇંગ્લૅંડથી આવ્યા તે વખતે તેમના પક્ષ લેવામાં મુખ્ય ભાગ રા. બા. નંદશંકરે લીધો હતો. તેમની જ્ઞાતિમાં લગ્ન, સીમંત અને મરણ વખતે નકામા ખરચ કરવાના રિવાજો સામે તેઓ હિમ્મતથી લડ્યા ને ફાવ્યા. પોતાના કુટુંબમાં લગ્નની વય પણ તેમણે વધારી છે. સર થીઓડર હોપ સુરતના કલેક્ટર હતા ત્યારે રા. બા. નંદશંકરની નોકરીની કુશળતાથી સંતુષ્ટ થઈ રેવન્યુ ખાતામાં સારી નોકરી આપવાનું સૂચવ્યું. ઈ. સ. ૧૮૬૪માં રૂ. ૩૮૦/- ના પગારે તે ખાતામાં તેઓ જોડાયા. સને ૧૮૬૮માં તેઓ મામલતદાર થયા. અંકલેશ્વર અને ધંધુકે મામલતદારી કર્યા પછી દેવગઢબારીયાના એડમિનિસ્ટ્રેટર નિમાયા. ત્યાં ૧૮૭૧-૭૫ સુધી રહી રાજ્યની સ્થિતિ સુધારી. તેમની કાર્યકુશળતાથી પ્રસન્ન થઈ સરકારે તેમને લુણાવાડા અને સુંથરામપુરના એડમિનિસ્ટ્રેટર નીમ્યા. ઈ. સ. ૧૮૮૦માં કચ્છના દીવાનની જગ્યા તેમને મળી. ઈ.સ. ૧૮૮૬માં દીવાનગીરી છોડવી પડી ત્યારે રાવે તેમના કાર્યથી સંતુષ્ટ થઈ રૂ. ૧૦,૦૦૦ નું ઇનામ આપ્યું. કચ્છમાંથી તેઓ રેવાકાંઠાના પોલિટિકલ એજંટના આસિસ્ટંટની પદવીએ નીમાઈ આવ્યા. ૧૮૭૭માં દિલ્હી દરબાર વખતે રેવાકાંઠાના પો. એજંટને દિલ્હી જવું પડ્યું ત્યારે પોતાનો ચાર્જ રા. નંદશંકરને આપવાનો હુકમ આપ્યો હતો. તેમની કાર્યદક્ષતાથી સંતુષ્ટ થઈ સરકારે એ ચાર્જ એમને સોંપાવ્યો હતો. આ જ વખતે એમને ‘રાવબહાદુર‘નો ખિતાબ તથા ચાંદ એનાયત થયા હતા. સને ૧૮૮૪માં રાજપીપળાના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટરના મદદનીશ તરીકે તેમની નિમણુક થઈ. સને ૧૮૯૦માં ૫૫ વરસની ઉંમરે આંખોમાં કંઈક અચાનક વિકાર થયાથી પેન્શન પર રિટાયર થયા. હાલ તેઓ નિવૃત્તિમાં પોતાનો કાળ નિર્ગમે છે. રાવબહાદુરના જીવન સંબંધી માત્ર એટલું જ કહેવું બસ છે કે તેમની જનમંડળમાં સંપૂર્ણ ખ્યાતિ હોવાથી તેઓ એક ગૃહસ્થ, અધિકારી અને વિદ્વાનને કરવા યોગ્ય કાર્ય કરી લક્ષ્મી અને કીર્તિથી સંતુષ્ટ થઈ કુટુંબની અભિવૃદ્ધિનો ઉદય જોતા સુખથી વાર્ધક્યની વિરતિ લેતા સ્વદેશમાં જ બેઠેલા છે. ગુજરાતી ભાષા બોલનારી પ્રજામાં ‘કરણઘેલા’એ દિગંત ડંકો વગાડી તેમને આધુનિક ઐતિહાસિક નવલકથાકારનું કીર્તિવંત પદ અપાવેલું છે. કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટ મિ. કીનકેડે મુંબઈના સુપ્રસિદ્ધ માસિક ‘ઇસ્ટ એન્ડ વેસ્ટ’માં આ ગ્રન્થ પર એક અવલોકન લખ્યું છે. તેમાં ગ્રન્થની સારી પ્રશંસા કરી છે. ‘સમાલોચક’માં લખ્યું છે કે ‘કરણઘેલા’ની લોકપ્રિયતામાં હજુ સુધી કોઈએ ભાગ પડાવ્યો નથી, તે ખોટું છે. ‘સરસ્વતીચંદ્ર’ ની કીર્તિ આગળ ‘કરણઘેલા’ ની કીર્તિ ઝાંખી છે. કરણઘેલાની કીર્તિ વર્ણનપરત્વે છે. વસ્તુગૂંફન છે પણ બહુ ઊંચા પ્રકારનું નથી. પાત્રાલેખન તો બહુ નિકૃષ્ટ પ્રતિનું છે. ગ્રંથનો હેતુ તે વખતનું બને તેટલું ખરું ચિત્ર આપવાનો છે. આ ઉપરાંત હાલમાં સારી ગણાતી રાજ્યવ્યવસ્થા, સંસારવ્યવસ્થા વગેરે તે વખતે પણ કંઈક અમુક સ્થિતિમાં હતાં એમ પણ બતાવ્યું છે. ભૂત પર કંઈક આરોપ થયો છે. ‘કરણઘેલા’ ના અનુકરણથી લખાયેલાં ‘વનરાજ ચાવડો’ અને ‘સિદ્ધરાજ જયસિંહ’માં આ આરોપ સંપૂર્ણપણે થયો છે. આમ કરવાથી ભૂતમાંથી વર્તમાન ઘટાવવા કંઈક સંદેશા, આદેશો, માર્ગ જડે અને નવુંજૂનું લાગવાથી તેનો યોગ્ય સત્કાર થાય એવો હેતુ પણ ખરો. ‘સમાલોચક’માં રા. બા. નંદશંકરની તસ્વીર આપવામાં આવી છે.


  1. કરણઘેલામાં લખ્યું છે કે મિ. રસલની સૂચનાથી ગ્રંથ લખ્યો.