રણજિતરામ ગદ્યસંચય – ૧/‘નંદશંકર જીવન ચરિત્ર’નું અવલોકન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘નંદશંકર જીવનચરિત્ર’નું અવલોકન

કવિ નાનાલાલનાં કેટલાંક કાવ્યો ભા. ૧લાનું અવલોકન લખતાં, રા. બ. રમણભાઈએ ‘જ્ઞાનસુધા’માં લખ્યું હતું કે ગયા જમાનાના લેખકોના પુત્રો દ્વારા પણ આ જમાનાની સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રહી છે. ‘કરણઘેલા’ના સમર્થ કર્તાના વિદ્વાન પુત્રની કૃતિ જોતાં અમને એ શબ્દોનું સ્મરણ થઈ આવ્યું છે. ગુજરાતી સાહિત્ય મંદિરમાં પોતાના પરલોકવાસી પિતાનું જીવનચરિત્ર લખી પ્રવેશ કરવા માટે રા. રા. વિનાયકને અમે આવકાર આપીએ છીએ. સાથે સાથે કહી દઈએ છીએ કે આટલા અર્ધ્યથી ગુર્જરીદેવી સંતૃપ્ત નથી થવાની. રા. રા. વિનાયકના બે મોટા ભાઈઓએ એમની કેળવણીના પ્રમાણમાં ગુજરાતી સાહિત્યની કાંઈ જ સેવા નથી કરી તેમ તેઓ નહીં કરે એવી આશા છે. દલપતરામનું નામ નાનાલાલે, મહીપતરામનું નામ રા. બ. રમણભાઈએ, ભોળાનાથનું નામ રા. રા. નરસિંહરાવે રાખ્યું છે; તેમ નંદશંકરનું નામ રાખવા રા. રા. વિનાયક ચૂકશે નહીં એવી આશા છે. ગુજરાતીઓમાંથી જેઓએ ઊંચામાં ઊંચી કેળવણી લીધી છે તેઓ ગુજરાતી સાહિત્યને કંગાળ રહેવા દેશે તો પછી એમની કેળવણી એ રીતે વૃથા ગઈ છે એમ કહેવામાં સહેજ પણ ખોટું છે? ગુજરાતી સિવિલિયનોની હાલમાં સંખ્યા વધી છે. રા. રા. અબદુલ્લા યુસુફઅલ્લીએ અંગ્રેજી અને ઉર્દૂનો સ્વીકાર કરી પોતાની માતૃભાષાની સહેજ પણ સેવા કરી નથી. પણ રા. રા. વિનાયક અને રા. કાંટાવાળા સાહિત્યપ્રેમી અને સાહિત્યસેવક પિતાના પુત્રો છે. રા. રા. નાનાલાલ ચમનલાલ ઇંગ્લૅંડમાં અભ્યાસ કરતા ત્યારે કવિતાઓ લખતા હતા. આ સર્વે પોતાની સત્તા, વૈભવ, કામકાજમાં ગુજરાતી સાહિત્યનું વિસ્મરણ નહીં કરે એવી એમને અમારી વિનંતિ છે. સુરતીઓએ પોતાના આગેવાન સાહિત્યસેવકોનાં જીવનચરિત્ર લખી સુરતના ઇતિહાસનું એક પ્રકરણ લખવા સારી સામગ્રીનો સંગ્રહ કર્યો છે. નર્મદાશંકર, નવલરામ, દુર્ગારામ, મલબારી, ઇચ્છારામ વગેરેનાં જીવનચરિત્રોમાંથી સુરતનો જેવો ખ્યાલ આવે છે તેવો હજુ અમદાવાદ, નડિયાદ કે બીજા ‘સાક્ષર’ નગરનો આવતો નથી. રા. રા. વિનાયકે ‘કરણઘેલા’ને પોતાના પિતાની કીર્તિનો ધ્વજ ગણ્યો છે અને તેમાંની વિગતો કેવા વાતાવરણમાંથી સૂઝી હશે તે પારખવા અને પોતાના પિતાનું અનુપમ શીલ કેવા અનુકૂળ અને પ્રતિકૂળ વાતાવરણમાં ઘડાયું તે નિરૂપવા, બની શકે તેટલી સામગ્રી તત્કાલિક ચિત્ર માટે એકઠી કરી છે. સુરતીઓના લાલાશાહી જીવનનો ખ્યાલ આબેહૂબ આપવા પ્રયત્ન કર્યો છે. મલિન વાતો લખતાં વૃત્તિ ઊંચી રાખી છે અને તેમાં કાંઈ પણ પ્રકારનો રસ લીધા વિના સંયમથી જે લખી શકાય તે લખ્યું છે. પણ તે જીવન અમુક રીતે સભ્યતાવિહીન હતું એટલે વર્ણનમાં પણ એ વિહીનતાના અંશો આવી ગયા છે. રા. રા. વિનાયકની પાસે પિતાના ચરિત્ર માટે કાંઈપણ લેખિત માહિતી નહોતી. નવલરામના જીવનચરિત્રમાં જેવા ઉતારા ગોવર્ધનરામે આપ્યા છે તેવા અથવા ગોવર્ધનરામની જીવનકથામાં જેવા ઉતારા એમની Scrap books માંથી આપી શકાય એવા ઉતારા આ ગ્રંથમાં નથી. પણ રા. રા. વિનાયકે પોતાના સંસ્કારી પિતા સાથે આપણા જીવનના વિવિધ પ્રશ્નો વિશે વાતચીત કરી તેમના નિર્ણયો અને અભિપ્રાય જાણેલા તે આ ગ્રંથમાં આપ્યા છે. આ નિર્ણયો અને અભિપ્રાયો જીવનના કયા કાળમાં કેવા કેવા અનુભવને પરિણામે નંદશંકરે બાંધેલા અથવા એમાં પુત્રની વિદ્વત્તાને અજાણતાં ક્યાં ક્યાં પાસ લાગી ગયો છે તેનું નિરાકરણ કરવાની મુશ્કેલી છે. માહિતીને અભાવે અને શ્રુત સામગ્રીની અસંકલિત, વખતે અસંબદ્ધ અને પ્રાસંગિક સ્થિતિને લીધે આ ગ્રંથમાં પણ શિથિલતા લાગે છે; પ્રમાણની ન્યૂનતા આવી ગઈ છે. પિતાના જીવનના બનાવો બહુ ઓછા છે, એ જીવનના માનસવિકાસના નિરૂપણ માટે આવશ્યક સાધનો મોજુદ નથી એટલે પુત્ર વાતાવરણમાં, વિવિધ વિષયોના તલસ્પર્શી વર્ણનોમાં વધારે નિમગ્ન થઈ ગયા છે. નંદશંકર આનુષંગિક લખાણોમાં દબાઈ ગયા છે. એટલું છતાં એ નંદશંકરનું ચિત્ર સ્પષ્ટ આપણી આંખ આગળ તરી આવી ઊભું રહે છે. સુખી જીવન માટે ઉદાહરણરૂપ થઈ પડે એવા છે. દુર્ગારામ, નર્મદાશંકર નવલરામ, મહીપતરામ વગેરે ઉછાળામાં ઉછળી રહ્યા હતા ત્યારે નંદશંકર કેમ શાણા થઈ ગયા એ પ્રશ્ન નિરુત્તર રહે છે. પણ એ શાણપણ અને પ્રભુની કૃપાથી એમણે સુખી, કાર્યપરાયણ, વિદ્યાવિલાસી અને કુટુંબવત્સલ જીવન ગાળ્યું છે. કરણઘેલા સિવાય બીજું કાંઈ પણ સાહિત્યપ્રવૃત્તિ કેમ ન કરી? જો દેશપ્રેમ, ભાષાપ્રેમ, ઇતિહાસપ્રેમ એમને એ કથા લખાવી શક્યો તેમણે બીજી કથાઓ લખવા કેમ પ્રેરણા નહીં કરી? આમ અનેક જિજ્ઞાસા અસંતુષ્ટ રહે છે; ઉર્દૂના અવારનવાર પ્રયોગોથી ક્લિષ્ટતા અથવા અર્થબોધની મુશ્કેલી આવેલી છે; છેવટે નંદશંકર વિશેના બીજાના અભિપ્રાયો આપી કળાની ક્ષતિ અને પ્રતિષ્ઠાહાનિ કરેલી છે. આટલું છતાં પણ આ ગ્રંથ સન્માનપાત્ર છે. ઊંચા સંસ્કારથી સંપન્ન છે. વિચારનો ઉત્તેજક છે. બુદ્ધિને સંતોષ અને આશ્ચર્ય પમાડે એવો છે. એમાં જીવનના પ્રશ્નોની ચર્ચા કે નિર્ણયો નથી પણ અનુભવીઓએ તે સંબંધમાં વ્યક્ત કરેલા અભિપ્રાયોથી ચર્ચિત છે અને એ અભિપ્રાયો અવગણના થઈ શકે એવા નથી. ઉપરાંતમાં ‘કરણઘેલા’ જેવી વ્યુત્પન્ન નવલકથાના કર્તાના સંસ્મરણોનો ગ્રંથ છે. ગુજરાતી સાહિત્યના ઉદય અને ઉદયોત્તર કાળમાં કેવી સ્થિતિ હતી, કેવી ભાવનાઓ થનથનાટ કરતી હતી, ભૂતકાળના કેવા વારસા સાથે વર્તમાનમાં સંક્રાંતિ થતી હતી તે સર્વે આ ગ્રંથથી જાણી શકાય છે.

સાહિત્ય પરિષદ સ્થપાઈ ત્યારથી તે રણજિતરામ ગુજરી ગયા ત્યાં સુધીનો એમનો એ સંસ્થા જોડેનો નિકટ સંબંધ જગજાહેર છે. છતાં ઘણાને એ ભાગ્યે જ ખબર હશે કે કેટલેક અંશે તે, તે સંસ્થાના આત્માની ગરજ સારતા હતા. એ સંસ્થા વિષે માહિતી પ્રસારવી, નવા નવા પુરુષોને એમાં રસ લેતા કરવા, જુદા જુદા મત ધરાવતા સાક્ષરોનો વિરોધ ભાંગી તેમને એકઠા રાખવા, પરિષદ શોભી નીકળે એવી સામગ્રીઓ એકઠી કરવી અને જ્યાં તે ભરાવાની હોય ત્યાં જઈ તેની બેઠક સફળ થાય તેની બધી તૈયારી કરવી—આ બધાને પોતાના જીવનની આદ્ય પ્રવૃત્તિ તેણે કરી રાખી હતી. રણજિતરામ માણસ નહોતા–એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Conciousness)ના એ અવતાર હતા. તેને જ માટે તે જીવતા, તેને જ માટે તેણે ત્યાગવૃત્તિ ધારી, તેને જ માટે તે નવા નવા માણસોના સંસર્ગમાં આવવા ઝંખતા, તેને જ માટે ગમે તે વેઠી એ બધાને એ ભાવનાએ પ્રેરવા મથતા. તેના હૃદયમાં એક જ વિચાર હતો : બંગાળની માફક આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય – આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકૂળતા ક્યારે સંધાય – આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્નું નહોતું, જીવંત વ્યક્તિ હતી. એ બધાને પ્રેરતા તો એક લક્ષ તરફ – ગુજરાતનાં ગૌરવ, એકતા, અસ્મિતા, વિવિધતાથી ભરપૂર ગામેગામના લેખકોનાં એ – આ ભાવનાના અવતાર – કેન્દ્રસ્થાન હતા. આ ભાવના પ્રસારવી એ જ એનો જીવનમંત્ર હતો. કનૈયાલાલ મુનશી