વીક્ષા અને નિરીક્ષા/‘કથા ઓ કાહિની’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
`કથા ઓ કાહિની’

ભાગ્યે જ કોઈ બંગાળી એવો હશે જેણે આ કાવ્યસંગ્રહ ન વાંચ્યો હોય. હું પણ જ્યારે બંગાળી શીખ્યો ત્યારે જે પહેલો કાવ્યસંગ્રહ મેં વાંચ્યો હતો તે એ હતો. ત્યાર પછી મારી પાસે જેઓ બંગાળી શીખ્યા છે, તેમાંના મોટા ભાગનાની સાથે મેં એ સંગ્રહ વાંચ્યો છે. એમાંની કથાઓ એટલી બધી જાણીતી છે કે એને વિશે લાંબા ઉતારા આપ્યા વગર સહેજે વાત કરી શકાય. `કથા ઓ કાહિની’નું રવીન્દ્રનાથના કાવ્યસાહિત્યમાં અને જીવન-વિકાસમાં ચોક્કસ સ્થાન છે. દેશપ્રેમના સંસ્કાર, એમને બાળપણથી જ મળેલા હતા. અને ઉંમર વધવા સાથે એમના ચિત્તમાં ભારતવર્ષની એક ભાવમૂર્તિ એ આકાર ધારણ કર્યો છે. ‘ચૈતાલિમાં અને ‘કલ્પના’માં ભારતની આધ્યાત્મિક સંપત્તિ પ્રત્યે એમનું ચિત્ત જાગ્રત ભાવે વિચારતું જોવા મળે છે. ‘નૈવેદ્ય’માં દેશપ્રેમ અને ભગવત્પ્રેમ એવા ઓતપ્રોત થઈ ગયેલા છે કે તેમને અલગ જ ન પાડી શકાય. આમ, કવિના ચિત્તમાં ભારતની જે ભાવમૂર્તિ હતી તેને જીવનમાં પ્રત્યક્ષ થયેલી જોવાની એમને ઝંખના હતી, એટલે એમણે ઉપનિષદ, બૌદ્ધ સાહિત્ય, વૈષ્ણવ સાહિત્ય, રાજપૂતોનો ઇતિહાસ, મરાઠાઓનો ઇતિહાસ અને શીખોનો ઇતિહાસ જોઈ કાઢીને તેમાંથી ત્યાગ અને બલિદાનનાં ઉજ્જ્વળ દૃષ્ટાંતો શોધી કાઢી તેને આધારે આ કથાઓની રચના કરી. એમનું મન એ વખતે કેવી રીતે કામ કરતું હતું એનો ખ્યાલ એમણે આ જ અરસામાં ‘ઐતિહાસિક ચિત્ર’ નામના એક ત્રૈમાસિકને આવકારતાં જે લખ્યું હતું તેમાંથી આપણને મળી રહે છે. એમણે લખ્યું હતું : `આજકાલ સમગ્ર ભારતવર્ષમાં શિક્ષણ અને આંદોલનની જે જીવનશક્તિ જુદે જુદે રૂપે કાર્ય કરી રહી છે, તેનું જ; એક સ્વાભાવિક પરિણામ ઇતિહાસની આ ભૂખ છે.’ એનો અર્થ એવો લાગે છે કે છેલ્લાં થોડાં વર્ષમાં કૉંગ્રેસે દેશમાં જે નવચેતન પ્રગટાવ્યું હતું, જે દેશભાવના જગાડી હતી, તેને પરિણામે જ આ ભૂખ જાગી હતી. `હવે આપણે મુંબઈ, મદ્રાસ અને પંજાબને જેમ નજીક લાવવા માગીએ છીએ તેમ અતીત ભારતવર્ષને પણ પ્રત્યક્ષ કરવા માગીએ છીએ. પોતાને વિશે જાગ્રત થઈને અત્યારે આપણે દેશમાં અને કાળમાં એક રૂપે અને વિરાટ રૂપે પોતાને અનુભવવાને ઉત્સુક છીએ.’ આમ ભારતને એક રૂપે અને વિરાટ રૂપે અનુભવવા માટે એમણે આ કથાઓ રચી છે, જેમાં ભારતના જીવન-આદર્શનાં ભિન્ન ભિન્ન પાસાં સબળપણે પ્રગટ થયા છે. એ પુસ્તકમાંની ચાર કવિતાઓ ૧૮૯૭માં રચાઈ હતી. ૧ : શ્રેષ્ઠ ભિક્ષા, ૨. પ્રતિનિધિ, ૩, દેવતાર ગ્રાસ, અને ૪. મસ્તકવિક્રય, બીજી વીસ કવિતાઓ ૧૮૯૯ના આશ્વિનની ૧૮મીથી ૧૧મી કાર્તિકની સુધીમાં એટલે પચીસેક દિવસ દરમ્યાન રચાયેલી છે. છેલ્લી બે અગ્રહાયણની શરૂઆતમાં રચાયેલી છે. અને એ બધી મોટે ભાગે રચનાકાળને અનુસરીને જ પુસ્તકમાં ગોઠવવામાં આવેલી છે, જે બેત્રણ કવિતાઓ આગળનાં પુસ્તકોમાંથી લઈને એમાં મૂકેલી છે તે બાદ. આ કાવ્યોની સામગ્રી ક્યાંથી ક્યાંથી લેવામાં આવી છે એ આપણે સહેજ વિગતે જોઈએ. એક કથાનું વસ્તુ એમણે ઉપનિષદમાંથી લીધું છે. આઠ કથાનું વસ્તુ બૌદ્ધ સાહિત્યમાંથી, ચાર કથાઓનું વૈષ્ણવ ભક્તમાલમાંથી, પાંચ કથાઓનું ટોડના રાજસ્થાનમાંથી, છ કથાઓનું શીખોના ઇતિહાસમાંથી અને બે કથાઓનું મરાઠાઓના ઇતિહાસમાંથી લેવામાં આવેલું છે. આપણે આ જ ક્રમમાં આ કથાઓ ઉપર એક ઊડતી નજર નાખીશું એટલે દરેકમાં એમણે કઈ વસ્તુને મહત્ત્વ આપ્યું છે તેનો આપણને તરત ખ્યાલ આવશે. પ્રાચીન ભારતના પ્રતિનિધિરૂપે એમણે છાંદોગ્ય ઉપનિષદના, ચોથા પાઠકના ચોથા અધ્યાયમાંથી સત્યકામ જાબાલની વાત ઉપાડી છે. સત્યકામ ગૌતમ ઋષિના આશ્રમમાં બ્રહ્મવિદ્યા શીખવા જાય છે ત્યાં ઋષિ એને ગોત્ર પૂછે છે એને ગોત્રની ખબર નથી એટલે એ માને પૂછીને જણાવીશ એમ કહીને રજા લે છે. બીજે દિવસે ફરી ગુરુ પાસે જાય છે અને જણાવે છે કે

ભગવન્
નહિ જાનિ કિ ગોત્ર આમાર, પુછિલામ
જનનીરે, કહિલેન તિનિ, સત્યકામ,
બહુપરિચર્યા કરિ પેયેછિનું તોરે,
જન્મેછિસ્ ભર્તુહીના જબાલાર ક્રોડે
ગોત્ર તબ નહિ જાનિ.’

[ભગવન્, મારું ગોત્ર કયું છે તેની મને ખબર નથી, મેં માને પૂછ્યું. તેમણે કહ્યું, સત્યકામ, ઘણા માણસોની પરિચર્યા કરીને હું તને પામી હતી, તું ભરથાર વગરની જબાલાના ખોળામાં જન્મ્યો છે, તારા ગોત્રની મને ખબર નથી.]

— આ સાંભળીને વિદ્યાર્થીઓમાં ગણગણાટ થવા માંડ્યો. સૌ નવાઈથી જોઈ રહ્યા. કોઈએ આ લાજ વગરના અનાર્યના અહંકારનો ધિક્કાર કર્યો પણ ગુરુએ આસન ઉપરથી ઊઠીને તેને બાથમાં લઈને કહ્યું.

અબ્રાહ્મણ નહ તુમિ તાત
તુમિ દ્વિજોત્તમ, તુમિ સત્યકુલજાત.

[હે તાત, તું અબ્રાહ્મણ નથી. તું દ્વિજોત્તમ છે, તું સત્યકુલમાં જન્મેલો છે.]

ચારિત્ર્યનો પાયો સત્ય છે, એ વાત અહીં ઉપનિષદના જ શબ્દોમાં એટલી જ વેધકતાથી કહેવામાં આવી છે. આજે દેશમાં આપણે ક્ષણે ક્ષણે અને પગલે પગલે સત્યનું ખૂન થતું જોઈએ છીએ ત્યારે આ કથા આપણને યાદ આપે છે કે કેવળ સત્યમેવ જયતે મુદ્રામંત્ર બનાવવાથી કામ પતી જતું નથી. એને જીવનમાં ઉતારવાની જરૂર છે. ગાંધીજીએ એ કરી બતાવ્યું હતું, આપણને પણ એમ કરતાં શીખવ્યું હતું. પણ તેમના જતાં જ આપણે પાછા એ માર્ગેથી દૂર દૂર ચાતરી ગયા છીએ. હવે આપણે બૌદ્ધ કથાઓ જોઈએ. પહેલી કથા `શ્રેષ્ઠ ભિક્ષા’ છે. ભગવાન બુદ્ધનો શિષ્ય અનાથપિંડદ શ્રાવસ્તીપુરીમાં ભગવાનને નામે ભિક્ષા માગવા નીકળ્યો છે. નગરજનો હજી ગુલાબી નિદ્રામાં છે ત્યાં જ એ પોકાર કરે છે :

સાધુ કહે, `શુન મેઘ બરિષાર
નિજેરે નાશિયા દૅય વૃષ્ટિધાર
સબ ધર્મ માઝે ત્યાગધર્મ સાર
ભુવને.

[સાધુ કહે છે, `સાંભળો, વર્ષાઋતુનો મેઘ પોતાનો નાશ કરીને વૃદ્ધિની ધારા આપે છે. આ જગતમાં બધા ધર્મોમાં ત્યાગધર્મ શ્રેષ્ઠ છે.]

`જાગો ભિક્ષા દાઓ’ કરતો કરતો સાધુ ચાલ્યો જાય છે. લોકો ખોબે ખોબે રત્નો ને અલંકારો ફેંકે છે, ધનિકો સોનાથી ભરેલો થાળ આપે છે, પણ સાધુ કશું લેતો નથી અને ખાલી ઝોળી લઈને વારે વારે બૂમ પાડે છે:

`ઓગો પૌરજન કર અવધાન,
ભિક્ષુશ્રેષ્ઠ તિનિ બુદ્ધ ભગવાન,
દેહો તાઁરે નિજ સર્વશ્રેષ્ઠ દાન
જતને.

[ઓ નગરના લોકો સાંભળો, બુદ્ધ ભગવાન ભિક્ષુઓમાં શ્રેષ્ઠ છે, તેમને પોતાનું સર્વ શ્રેષ્ઠ દાન પ્રેમથી આપો.]

ફિરે જાય રાજા, ફિરે જાય શેઠ,

[રાજા પાછો જાય છે, શેઠ પાછો જાય છે.]

શાથી?

મિલે ના પ્રભુર યોગ્ય કોનો ભેટ,
વિશાલ નગરી લાજે રહે હેંટ
આનને.

[પ્રભુને યોગ્ય કોઈ ભેટ મળતી નથી, વિશાળ નગરી શરમની મારી નીચું જોઈ રહે છે.]

સાધુ નગર છોડીને વગડામાં પહોંચી જાય છે. ત્યાં રહેતી એક દીન દરિદ્ર નારી

અરણ્ય-આડાલે રહિ કોનો મતે
ઍક માત્ર વાસ નિલ ગાત્ર હતે,
બાહુટિ બાડાયે ફેલિ દિલ પથે
ભૂતલે.

[જેમ તેમ કરીને અરણ્યની આડશમાં રહીને શરીર ઉપરથી એકમાત્ર વસ્ત્ર લીધું અને હાથ લંબાવી રસ્તામાં ભોંય પર નાખી દીધું.]

અને તરત જ

ભિક્ષુ ઊર્ધ્વભુજે કરે જયનાદ,
કહે, `ધન્ય માતઃ કરિ આશીર્વાદ,
મહાભિક્ષુકેર પુરાઈલે સાધ
૫લંક.’

[ ભિક્ષુ હાથ ઊંચા કરી જયનાદ કરે છે, કહે છે, `માતા તને ધન્ય છે, હું તને આશીર્વાદ આપું છું. તેં એક પલકમાં મહાભિક્ષુકની આશા પૂરી કરી.]

સાધુને જે જોઈતું હતું તે આ દીન દરિદ્ર નારીએ આપ્યું. શું જોઈતું હતુ— શ્રેષ્ઠદાન, સર્વસ્વનું દાન. રાજાએ કે ધનિકોએ જે આપ્યું તે તો એવું હતું કે પોતે કંઈ આપ્યું છે એની તેમને ખબરે ન પડે. પણ આ નારીએ તો પોતાનું સર્વસ્વ એકનું એક વસ્ત્ર જ આપી દીધું. એનું નામ દાન. સાધુએ પહેલા જ શ્લોકમાં એ કહેલું છે. મેઘ જેમ પોતાનો નાશ કરીને વૃષ્ટિધારા વરસાવે છે તેવો ત્યાગ તે સર્વધર્મમાં શ્રેષ્ઠ છે. બાઇબલમાં widow’s miteની કથા આવે છે, તેનું અહીં સ્મરણ થાય છે. બીજી કથા છે ‘મસ્તકવિક્રય’. કોશલરાજનું વર્ણન કરતાં પહેલી જ કડીમાં કવિ કહે છે :

ક્ષીણેર તિનિ સદા શરણ-ઠાંઇ
દીનેર તિનિ પિતામાતા.

[દુર્બળના તે સદા આશ્રયસ્થાન હતા, દીનોના તે મા-બાપ હતા.]

કાવ્યમાં કવિ કોઈ પાત્રને વિશે કોઈ વિશેષણ વાપરી દે એટલે તે તરત જ સ્વીકારી લેવામાં આવતાં નથી. કવિએ પાત્રના વ્યવહારથી એની ખાતરી કરાવવી પડે છે. અને અહીં પહેલી કડીમાં જે વિશેષણ વાપર્યાં છે તેની ખાતરી કરાવવા આ કથા લખવામાં આવી છે. કોશલરાજ તો એમની ઈર્ષ્યા કરનાર કાશીરાજથી હારીને રાજપાટ છોડીને સાધુનો વેશ લઈને વનમાં જઈને રહેવા લાગ્યો. એને જે જીવતો પકડી આપે તેને મોટું ઇનામ આપવાનું કાશીરાજે જાહેર કર્યું છે. ત્યાં એક દિવસ તેને એક મેલાંઘેલાં વસ્ત્રોવાળો માણસ મળે છે અને કોશલ જવાનો રસ્તો પૂછે છે. `ત્યાં જઈને શું કરીશ?’ `મારાં સાત વહાણ ડૂબી ગયાં છે. સાંભળ્યું છે કે ત્યાંનો રાજા અનાથનો નાથ અને દીનોનો ઉદ્ધાર કરનાર છે.’ રાજા તેને લઈને કાશીરાજના દરબારમાં જાય છે અને કહે છે :

આમાર માથા પેલે જા દિબે પણ
હો તા મોર સાથીટિરે

[મારું માથું મળે તો જે આપવાની પ્રતિજ્ઞા કરી છે તે મારા સાથીને આપો.]

શરણે આવેલાને બચાવવા, મદદરૂપ થવા પોતાનું માથું વેચવા તૈયાર થનાર આ રાજા આપણને શિબિની યાદ આપે છે. અહીં પહેલી કડીમાંનું વિશેષણ સાર્થક થાય છે. ત્રીજી કથા છે `પૂજારિણી’ની. એમાં સાચી ભક્તિ ખાતર આપેલું બલિદાન આપણને મુગ્ધ કરે છે. ચોથી કથાનું નામ `અભિસાર’ છે, પણ તેનો પ્રકાર જુદો જ છે. એ કાવ્યની કેટલીક ખૂબીઓ પ્રત્યે પણ ધ્યાન દોરવાનો લોભ હું રોકી શકતો નથી. કવિ કોઈ શબ્દ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે ત્યારે તેના ઉપાય તરીકે કોઈ વાર તે પ્રાસનો ઉપયોગ કરે છે. આ કાવ્યનું એક મુખ્ય પાત્ર સંન્યાસી ઉપગુપ્ત છે અને એનું નામ કાવ્યની શરૂઆતમાં જ પ્રાસને સ્થાને મૂકી આપણા ચિત્ત ઉપર છાપી દીધું છે. એ જ રીતે એ કાવ્યનું બીજું મહત્ત્વનું પાત્ર જે વાસવદત્તા, તેનું નામ પણ કવિએ પ્રાસસ્થાને ગોઠવ્યું છે. યૌવનના મદથી છકેલી એ નટીનો પગ કોટની રાંગે સૂતેલા સંન્યાસી ઉપર પડતાં જ તે અટકી જાય છે અને

પ્રદીપ ધરિયા હેરિલ તાઁહાર
નવીન ગૌર કાન્તિ,
સૌમ્ય સહાસ તરુણ બયાન
કરુણાકિરણે વિકચ નયાન
શુભ્ર લલાટે ઇન્દુ સમાન
ભાતિછે સ્નિગ્ધ શાંતિ.

[દીવો ધરીને તેની તરુણ ગૌર કાંતિ જોઈ, તેનું જુવાન મોં સૌમ્ય અને હસતું છે, કરુણાનાં કિરણોથી તેની આંખો વિકસેલી છે, શુભ્ર લલાટ ઉપર ચંદ્રની જેમ સ્નિગ્ધ શાંતિ પ્રકાશે છે.]

આ એક સંન્યાસીનું વર્ણન છે, એમાં તેના સૌમ્ય મુખનું, કરુણાભરી આંખોનું અને મુખ પર વ્યાપેલી સ્નિગ્ધ શાંતિનું વર્ણન છે. સાથે સાથે તેના તારુણ્યનું પણ વર્ણન કરેલું છે. પણ પેલી નટીને માત્ર એનું યૌવન જ દેખાય છે :

કહિલ રમણી લલિત કંઠે
નયને જડિત લજ્જા,
`ક્ષમા કરો મોરે કુમાર કિશોર,
દયા કરો યદિ ગૃહે ચલો મોર,
એ ધરણીતલ કઠિન કઠોર,
એ નહે તોમાર શજ્જા.’

[આંખમાં લજ્જા સાથે રમણીએ મધુર કંઠે કહ્યું, `હે કિશોર કુમાર, મને ક્ષમા કરો, દયા કરતા હો તો મારે ઘેર ચાલો, આ ધરતી કઠિ, અને કઠોર છે, એ તમારી શય્યા થવાને લાયક નથી.’]

આ એક સંન્યાસીને ઉદ્દેશીને બોલાયેલાં વચનો છે. પણ એ સંન્યાસી સાચે જ પહેલાં વર્ણવ્યો તેવો સૌમ્ય, કરુણાળુ અને શાંત સાધુ છે, એટલે આ વચનોથી લગારે ક્ષુબ્ધ થયા કે રોષે ભરાયા વગર, એ નટીની સ્થિતિ પામી જઈ તેની ઉપર કરુણા લાવીને કહે છે :

સંન્યાસી કહે કરુણુ વચને,
`અયિ લાવણ્યપુંજે,
ઍખનો આમાર સમય હયનિ,
જેથાય ચલેછ જાઓ તુમિ ધની,
સમય જે દિન આસિબે આપનિ,
જાઇબ તોમાર કુંજે.’

[સંન્યાસી કરુણાભર્યા શબ્દોમાં કહે છે, `હે રૂપરૂપના અંબારસમી હજી મારો સમય થયો નથી, તું જ્યાં જતી હોય ત્યાં જા, જે દિવસે સમય આવશે તે દિવસે હું જાતે તારી કુંજમાં આવીશ.’]

એ નથી તિરસ્કાર કરતો, નથી ઉપદેશ આપતો, માત્ર એટલું જ કહે છે, `હજી મારો વખત થયો નથી, તું જ્યાં જતી હોય ત્યાં જા. જે દિવસે વખત આવશે, તે દિવસે હું જાતે તારી પાસે આવીશ.’ આ વાતને હજી વરસે થયું નથી ત્યાં તો નટીનો સૌંદર્યમંડિત દેહ રોગથી ગદગદી જાય છે અને નગરના લોકો તેને ખાઈને સામે પાર નાખી આવે છે. હવે સાધુના અભિસારનો સમય આવે છે. એ જઈને માથું ખોળામાં લઈ પાણી ટોય છે, ચંદન લગાડે છે અને તેના માથા આગળ મંત્ર ભણે છે. આ ઉપચારથી સહેજ ભાનમાં આવી નટી પૂછે છે :

`કે એસેછ તુમિ, ઓગો દયામય’
શુધાઇલ નારી, સંન્યાસી કય—
`આજિ રજનીતે હયેછે સમય,
એસેછિ વાસવદત્તા.’

[`ઓ દયામય, તમે કોણ આવ્યા છો?’ એમ નારીએ પૂછ્યું; સંન્યાસી કહે છે, `આજે રાતે સમય થયો છે એટલે હું આવ્યો છું, વાસવદત્તા.’]

જેમ પહેલા પ્રસંગે સંન્યાસીએ જાતે આવવાનું કહ્યું હતું ત્યારે પ્રકૃતિએ અટ્ટહાસ્ય કર્યું હતું તેમ આ મિલન અભિસારને પણ પ્રકૃતિ વધાવી લે છે.

ઝરિછે મુકુલ કુજિછે કોકિલ,
જામિની જોછનામત્તા,

[મોર ખરે છે, કોયલ ટહુકા કરે છે, રાત્રિ જ્યોત્સ્નાથી મત્ત બની છે.]

અને નાયકના નામથી શરૂ થયેલું કાવ્ય નાયિકાના નામથી સમાપ્ત થાય છે. એ પછી `પરિશોધ’ આવે છે. એમાં શ્યામા જેના ઉપર પોતે મોહી પડી છે તે વજ્રસેનને પામવા માટે પોતાના એક પ્રેમીનો ભોગ આપે છે. એ પાપ પછી બંનેના જીવનને ઝેર બનાવી દે છે, એ પાપની આકરી સજા બંનેને ભોગવવી પડે છે. અહીં ધારો કે વજ્રસેન ઉપરનો એનો પ્રેમ સાચો હોય, કેવળ મોહ નહિ હોય, તોયે પોતાના પ્રેમપાત્રને પ્રાપ્ત કરવા તે અશુદ્ધ સાધન વાપરે છે તેને લીધે એના ઉપર અભિશાપ ઊતરે છે. આમાં હું સાધનશુદ્ધિના આગ્રહનો ધ્વનિ જોઉં છું. વજ્રસેનના શબ્દો, સાંભળો :

“આમાર એ પ્રાણે
તોમાર કિ કાજ છિલ! એ જન્મેર લાગિ
તોર પાપમૂલ્યે કેના મહાપાપભાગી,
એ જીવન કરિલિ ધિક્કૃત! કલંકિની,
ધિક્ એ નિશ્વાસ મોર તોર કાછે ઋણી!
ધિક્ એ નિમેષપાત પ્રત્યેક નિમેષે.”

[મારા આ પ્રાણનું તારે શું કામ હતું? હે મહાપાપભાગી, તારા પાપના મૂલ્યથી ખરીદેલું મારું આ જીવન તેં જન્મભર માટે ધિક્કારપાત્ર બનાવી દીધું! હે કલંકિની, તારા દેવાદાર મારા આ શ્વાસને ધિક્કાર હો! પલકે પલકે મારા પલકારાને ધિક્કાર હો!]

`સામાન્ય ક્ષતિ’માં કઠોર રાજ્યધર્મનું નિરૂપણ થયું છે. અહીં પણ કાવ્યનું પ્રધાન પાત્ર રાણી કરુણાનું નામ પહેલી જ કડીમાં પ્રાસસ્થાને ગૂંથેલું છે. અને એ નામ સાભિપ્રાય આપેલું છે. નિષ્ઠુર રીતે ગરીબ પ્રજાનાં ઝૂંપડાં પોતાની ટાઢ ઉડાડવા બાળી મૂકનાર રાણીનું નામ પાડ્યું છે કરુણા. ઝૂંપડાંઓને લગાડેલી આગનું વર્ણન એક વાર વાંચ્યા પછી ભુલાય એવું નથી :

ઘન ઘોર ઘૂમ ઘુરિયા ઘુરિયા,
ફુલિયા ફુલિયા ઉડિલ,
દેખિતે દેખિતે હુહુ હુંકારી,
ઝલકે ઝલકે ઉલ્કા ઉગારી,
શત શત લોલ જિહ્વા પ્રસારી,
વહ્રનિ આકાશ જુડિલ.
પાતાલ ફુઁડિયા ઉઠિલ જૅન રે,
જ્વાલામયી જત નાગિની.
ફણા નાચાઇયા અંબરપાને,
માતિયા ઉઠિલ ગર્જનગાને,
પ્રલયમત્ત રમણીર કાને,
બાજિલ દીપક રાગિણી.

[ઘનઘોર ધુમાડો ગૂછળાં વળતો વળતો, ફૂલતો ફૂલતો ઊડવા લાગ્યો. જોતજોતામાં હુહુ હુંકાર કરતો, ઝલકે ઝલકે ઉલ્કા ઉદ્ગારતો, લબકારા મારતી સેંકડો જીભો ફેલાવતો અગ્નિ આકાશમાં ફેલાઈ ગયો. પાતાળ ફોડીને જાણે કે સેંકડો જ્વાલાઓ રૂપી નાગણો બહાર આવી, આકાશ ભણી ફેણ નચાવતી નચાવતી ગર્જનાના ગીતથી ગાંડી બની ગઈઃ પ્રલયમત્ત રમણીઓના કાનમાં દીપક રાગિણી બજી ઊઠી.]

મને અહીં પ્રિન્સ ક્રૉપોટકિનની આત્મકથામાં આવતું આગનું વર્ણન યાદ આવે છે. બંને વચ્ચે વિલક્ષણ સામ્ય છેઃ `ત્યાંનો દેખાવ ભયાનક હતો. ફૂંફાડા મારતા એક જબરા સર્પ સમો એ હુતાશન દશે દિશામાં પ્રસરતો હતો. વચ્ચેના સઘળા માંડવાઓને વીંટી લેતો એ એકાએક ઊંચા સ્તંભરૂપે અંતરીક્ષમાં ચડ્યો અને બીજી જ પળે, વધુ માંડવાઓને પોતાની પ્રલંબ જિહ્વાઓ વડે ચાટી લેવા લાગ્યો. ત્યાં ધુમાડા અને અગ્નિનો જાણે ઝંઝાવાત ઊપડ્યો હતો.’ (—`એક ક્રાંતિકારીની આત્મકથા’ ભાગ ૧લો, પૃ. ૧૪૭)

પ્રભાતપાખિર આનંદગાન,
ભયેર વિલાપે ટુટિલ–
દલે દલે કાક કરે કોલાહલ,
ઉત્તરવાયુ હઇલ પ્રબલ,
કુટિર હઇતે કુટિરે અનલ,
ઉડિયા ઉડિયા છુટિલ.
છોટો ગામખાનિ લેહિયા લઇલ
પ્રલયલોલુપ રસના.

[પ્રભાત પંખીઓનાં આનંદ ગીતમાં ભયના વિલાપથી વિક્ષેપ પડ્યો. ટોળે ટોળાં કાગડાઓ કોલાહલ કરવા લાગ્યા, ઉત્તરનો પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને આગ એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે ઊડી ઊડીને દોડવા લાગી. પ્રલપલોલુપ જીભ નાના ગામડાને ચાટી ગઈ.]

આ રીતે પોતાની ટાઢ ઉડાડીને ઘેર જતી રાણીનું વર્ણન કરતાં કવિ કહે છે :

ફિરે ગૅલ રાણી કુવલય હાતે,
દીપ્ત અરુણુ-વસના.

[રાણી ઝળહળતું લાલ વસ્ત્ર પહેરીને, હાથમાં કમળ લઈને પાછી ગઈ.] અહીં રાણીનું વસ્ત્ર અને તેના હાથમાંનું કમળ અગ્નિજ્વાલાનાં સૂચક બની જાય છે.

લોકોની ફરિયાદ આવતાં રાજા પૂછે છે—

“મહિષી, એ કિ વ્યવહાર!
ગૃહ જ્વાલાઇલે અભાગા પ્રજાર,
બલો કોન્ રાજધરમે?”

[`મહારાણી આ તે કેવો વ્યવહાર! તમે અભાગી પ્રજાનાં ઘર બાળી મૂક્યાં એમાં કયો રાજધર્મ આવ્યો?’]

રાણી રોષે ભરાય છે.

રુષિયા કહિલ રાજાર મહિષી,
`ગૃહ કહ તારે કી બોધે!
ગૅછે ગુટિકત જીર્ણ કુટિર,
કતટુકુ ક્ષતિ હયેછે પ્રાણીર?
કત ધન જાય રાજમહિષીર,
એક પ્રહરેર પ્રમોદે!’

[રાજાની રાણી રોષે ભરાઈને બોલી, `શું સમજીને તમે એને ઘર જાણો છો! જૂનાં ખખડી ગયેલાં થોડાં ઝૂંપડાં ગયાં એમાં એ જીવોને કેટલુંક નુકસાન થઈ ગયું? મહારાણીના એક પહોરના આનંદ-વિનોદમાં તો કેટલુંય ધન વપરાઈ જાય!’] આ કડીમાં યોજાયેલા `ટ’ `ત’વગેરે વર્ણો તુચ્છતા અલ્પતાનો અર્થ સૂચવવામાં કેવા ઉપકારક થાય છે એ જોવા જેવું છે. ત્યારે રાજા ક્રોધ ગળી જઈને કહે છે :

“જત દિન તુમિ આછ રાજરાણી,
દીનેર કુટિરે દિનેર કી હાનિ,
બુઝિતે નારિબે જાનિ તાહા જાનિ-
બુઝાબ તોમારે નિદયે.”

[જ્યાં સુધી તું રાજાની રાણી છે ત્યાં સુધી, ગરીબ લોકોની ઝૂંપડી જતાં તેમને કેટલું નુકસાન થાય છે એ તું સમજી નહિ શકે, એ હું જાણું છું, બરાબર જાણું છું. તને નિર્દયને હું એ સમજાવીશ.’]

તેનાં વસ્ત્રાભૂષણ ઉતારી લઈ ભિખારણનો વેશ પહેરાવી રસ્તા ઉપર લઈ જઈ રાજા કહે છે :

“માગિબે દુયારે દુયારે–
એક પ્રહરેર લીલાય તોમાર,
જે કટિ કુટિર હલ છારખાર,
જત દિને પાર સે કટિ-આબાર,
ગડિ દિતે હબે તોમારે.
વત્સરકાલ દિલેમ સમય,
તાર પરે ફિરે આસિયા,
સભાય દાઁડાયે કરિયા પ્રણતિ,
સબાર સમુખે જાનાબે યુવતી,
હયે છે જગતે કતટુકુ ક્ષતિ,
જીર્ણ કુટિર નાશિયા.”

[તું બારણે બારણે ભીખ માંગજે અને તારી એક પ્રહરની રમતમાં જે ઝૂંપડીઓ બળીને ખાખ થઈ છે, તે બધી, ગમે તેટલા દિવસ લાગે, તારે ફરી બાંધી આપવી પડશે. હું તને એક વરસનો સમય આપું છું. ત્યાર પછી પાછી આવીને સભામાં ઊભી રહીને પ્રણામ કરીને સૌ સમક્ષ, હે યુવતી, તું જણાવજે કે જૂની ખખડી ગયેલી ઝૂંપડીઓનો નાશ કરવાથી જગતમાં કેટલું નુકસાન થયું છે!]

`મૂલ્યપ્રાપ્તિ’માં માણસને પૈસાથી જ સંતોષ થતો નથી, એને અંતરની શાંતિ પણ જોઈએ છે. અને એ મળે છે ત્યાર પછી એને કશું માગવાનું જ રહેતું નથી. રાજા અને શેઠ વચ્ચે હરીફાઈમાં કમળની કિંમત ચડતી જતી હતી. આ જોઈને માળીને થાય છે કે જેને આપવા ફૂલ લઈ જવા આ લોકો આવી હરીફાઈ કરે છે, તેને જ હું આપું તો મને કેટલુંય વધારે મળશે. અને પોતે જ બુદ્ધ પાસે જાય છે. જુએ છે તો

બસેછેન પદ્માસને પ્રસન્ન પ્રશાંત મને
નિરંજન આનંદમૂરતિ
દૃષ્ટિ હતે શાંતિ ઝરે સ્ફુરિછે અધર પરે
કરુણાર સુધાહાસ્યજ્યોતિ
સુદાસ રહિલ ચાહિ નયને નિમેષ નાહિ
મુખે તાર વાક્ય નાહિ સરે.

[નિરંજન આનંદમૂર્તિ ભગવાન પદ્માસન વાળીને પ્રસન્ન પ્રશાન્ત મને બેઠા છે. તેમની દૃષ્ટિમાંથી શાંતિ ઝરે છે, અધર ઉપર કરુણાની સુધાભરી હાસ્યની જ્યોત ફરકે છે. સુદાસ જોઈ રહ્યો, તેની આંખે પલક પડતી નથી, તેના મોંમાંથી વાણી સરતી નથી.]

તેમને ચરણે કમળ ચડાવીને પગે લાગે છે, ત્યાં તો અમૃત વરસાવતા હોય એમ હસીને બુદ્ધ ભગવાન પૂછે છે, વત્સ, તારી શી પ્રાર્થના છે?

વ્યાકુલ સુદાસ કહે, `પ્રભુ આર કિછુ નહે
ચરણેર ધૂલિ એક કણા.’

[વ્યાકુળ સુદાસ કહે છે, `પ્રભુ, બીજું કશું નહિ, આપની ચરણ રજની એક કણ આપો.’

`નગરલક્ષ્મી’ આજે રવિશંકર મહારાજની યાદ આપે છે. શ્રાવસ્તી નગરીમાં દુકાળ પડેલો છે. ભૂખ્યાંને અન્ન આપવાનો ભાર કોણ લેશો એવા બુદ્ધના પ્રશ્નના જવાબમાં રત્નાકર શેઠ, સામંત જયસેન, ધર્મપાલ સૌ પોતાની અશક્તિ જાહેર કરે છે ત્યારે અનાથપિંડદની દીકરી સુપ્રિયા લજ્જાનમ્ર શિરે આંખમાં આંસુ સાથે ઊઠીને કહે છે કે હું એ ભાર લઈશ.

કાંદે જારા અન્નહારા આમાર સંતાન તારા
નગરીરે અન્ન બિલાબાર
આમિ આજિ લઇલામ ભાર.

[જેઓ અન્ન વગર રહે છે તેઓ મારાં સંતાન છે, નગરને અન્ન વહેંચવાનો ભાર હું આજે લઉં છું.]

બધા તેને એ `તું કેવી રીતે કરીશ?’ એમ પૂછતાં કહે છે:

આમાર ભાંડાર આછે ભરે,
તોમા સબાકરા ઘરે ઘરે
તોમરા ચાહિલે સબે એ પાત્ર અક્ષય હબે,
ભિક્ષા- અન્ને બાઁચાબ વસુધા
મિટાઇબ દુર્ભિક્ષેર ક્ષુધા.

[મારા ભંડાર તમારા બધાનાં ઘરે ઘરમાં ભરેલા છે. તમે બધા જો ઇચ્છો તો આ મારું પાત્ર અક્ષયપાત્ર બની જશે. ભિક્ષાના અન્નથી હું પૃથ્વીને બચાવીશ, દુષ્કાળની ભૂખ ભાંગીશ.]

આજે મહારાજ એ જ કામ કરી રહ્યા છે. જે રાજ્ય નથી કરી શકતું, શેઠિયા નથી શકતા તે લોકોના સહકારથી નિષ્કંચન મહારાજ કરે છે. આજે આપણા દેશને એવા માણસોની જરૂર છે, જે સાચી હૃદયની લાગણીથી દીનદુ:ખીની સંભાળ રાખે. `ભક્તમાળ’માંની ત્રણ કથાઓ કબીર, તુલસીદાસ અને સનાતનના જીવનપ્રસંગો દ્વારા સાધુજનોચિત ત્રણ ગુણો પ્રત્યે ધ્યાન દોરે છે. પહેલીમાં કબીર પોતાની અપાર સહિષ્ણુતાથી પતિત નારીને પ્રશ્ચત્તાપથી પાવન કરે છે અને પોતાના અપમાનને જ વરદાનમાં પલટી નાખે છે. બીજીમાં તુલસીદાસ પતિ પાછળ સતી થવા તૈયાર થયેલી સ્ત્રીને તેના અંતરમાં પતિનું સાંનિધ્ય સાધી આપી ફરી જીવન પ્રત્યે અભિમુખ બનાવે છે. અને ત્રીજીમાં સનાતન પોતાની નિ:સ્પૃહી વૃત્તિના પ્રભાવથી જીવનના હૃદયમાંથી લોભનો કાંટો કાઢી નાખે છે. તેને સોંપેલો પારસમણિ તે પાછો નદીમાં ફેંકી દે છે.

`જે ધને હઇયા ધની મણિરે માનો ના મણિ
તાહારિ ખાનિક,
માગિ આમિ નતશિરે,’ ઍત બલિ નદીનીરે
ફેલિલ માણિક.

[`જે ધનથી ધનવાન થઈને તમે મણિને મણિ માનતા નથી, તેની એક કણી, હું માથું નમાવીને માગું છું’ એમ કહીને તેણે નદીના પાણીમાં પારસમણિ ફેંકી દીધો.)

રાજસ્થાનની કથાઓ મોટે ભાગે સ્વમાન, ટેક અને વીરત્વને વખાણે છે. એમાંથી એક કથા `હોરિખૅલા’ મને આખા વાતાવરણમાં સહેજ મેળ વગરની લાગે છે. એમાં રજપૂતો પઠાણોને ખોટી લાલચ આપીને મારી નાખે છે, એ મને ખૂંચે છે. શીખોની કથાઓમાં ધર્મ માટે ઠંડે કલેજે પ્રાણ ન્યોછાવર કરવાની વિરલ શક્તિનો મહિમા કરવામાં આવ્યો છે. `બંદી વીર’માં મોગલો સાથે લડતાં હારીને કેદ પકડાયેલા બંદા અને તેના સાતસો સાથીઓની કુરબાની આપણને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. રોજ સવારમાં સો સો જણને તલવારને ઘાટ ઉતારવામાં આવે છે પણ કોઈ મચક આપતો નથી. બંદાની તાવણી સૌથી આકરી થાય છે. એને એના પોતાના જ કિશોર પુત્રને પોતાને હાથે મારવાનું કહેવામાં આવે છે. બંદા એક અક્ષરે બોલ્યા વગર પુત્રને છાતી સરસો લે છે, માથા ઉપર હાથ મૂકે છે, ફેંટાને ચુંબન કરે છે અને ત્યાર પછી ભેટમાંથી છરી કાઢી ‘જય ગુરુજીકી’ કહીને પુત્રની છાતીમાં હુલાવી દે છે. અને બાળક `ગુરુજીની જય’ બોલીને ઢળી પડે છે.

સભા હલ નિસ્તબ્ધ
બંદાર દેહ છિંડિલ ઘાતક
સાઁડાશિ કરિયા દગ્ધ.
સ્થિર હયે બીર મરિલ ના કરિ
vઍકટિ કાતર શબ્દ.
દર્શકજન મુદિલ નયન
સભા હલ નિસ્તબ્ધ.

[સભા નિસ્તબ્ધ થઈ ગઈ. બંદાનો દેહ મારાએ તપાવેલી સાણસીથી પીંખી નાખ્યો. એક પણ કાતર શબ્દ ઉચ્ચાર્યા વગર એ વીર સ્થિર રહીને મૃત્યુને વર્યો. જોનારાઓએ આંખ મીંચી દીધી. સભા નિ:સ્તબ્ધ થઈ ગઈ.]

શરૂઆતમાં જે છંદ શીખોમાં આવેલું નવચેતન અને ત્યાગની ભાવનાનાં પૂર સાથે તોફાને ચડેલા સાગરની પેઠે હેલે ચડેલો હતો

એસે છે સે ઍક દિન
લક્ષ પરાણે શંકા ના જાને
ના રાખે કાહારો ઋણ.
જીવન મૃત્યુ પાયેર ભુત્યુ
ચિત્ત ભાવનાહીન
પંચનદીર ઘિરિ દશતીર
એસેછે સે ઍક દિન.
*
પંચનદીર તીરે
ભક્તદેહેર રક્તલહરી
મુક્ત હઇલ કિ રે!
લક્ષ વક્ષ ચિરે
ઝાંકે ઝાંકે પ્રાણ પક્ષી સમાન
છુટે જૅન નિજ નીડે.
વીરગણ જનનીરે
રક્તતિલક લલાટે પરાલો
પંચનદીર તીરે.

[એવો એક દિવસ આવ્યો છે જ્યારે લાખ્ખો પ્રાણોને કશી શંકા નથી, તેઓ કેાઈનું ઋણ રાખતા નથી. જીવનમૃત્યુ તો ચરણના સેવક છે; એમનાં ચિત્ત ચિંતા વગરનાં છે. પંચનદીના દસ કાંઠાને ઘેરી વળીને એવો એક દિવસ આવ્યો છે...
પંચ નદીને તીરે ભક્તદેહના રક્તની છોળો કેવી ઊડી રહી છે! લાખ્ખો છાતીઓને ચીરીને ટોળેટોળાં પ્રાણ, પંખીની પેઠે, જાણે પોતાના માળા ભણી ઊડી રહ્યા છે. વીરોએ પંચનદીને તીરે જનનીને લલાટે રક્તનું તિલક કર્યું]

તે જ અંતે નિ:સ્તબ્ધતાનો અનુભવ કરાવે છે. આવી જ ઠંડી સ્વસ્થ તાકાત પ્રાર્થનાતીત દાનમાં પણ જોવા મળે છે. કેદ પકડાયેલા તરુસિંહને નવાબ છોડી દેવાને તૈયાર થાય છે, ફક્ત એક જ માગણી કરે છે કે માથાના વાળ ઉતારી આપ. તરુસિંહ જવાબ આપે છે :

તરુસિંહ કહે, `કરુણા તોમાર
હૃદયે રહિલ ર્ગાંથા
જા ચેયેછ તાર કિછુ બેશિ દિબ,
વેણીર સંગે માથા.’

તમે માગ્યા માત્ર વાળ છે, હું થોડું વધારે આપીશ: વાળ સાથે માથું પણ આપીશ. ‘શેષ શિક્ષા’માં ગુરુ ગોવિંદસિંહ પોતાને હાથે અન્યાયથી મરણ પામેલા પઠાણના પુત્રને એવી રીતે ઉછેરે છે કે એમના સાથીઓ ચિંતામાં ચડી જાય છે; તેઓ કહે છે :

“એકિ પ્રભુ, એકિ?
આમાદેર શંકા લાગે. વ્યાઘ્રશાવકેરે
જત જત્ન કર, તાર સ્વભાવ કિ ફેરે?
જખન સે બડો હબે તખન નખર
ગુરુદેવ મને રેખો, હબે જે પ્રખર.”

[આ શું, પ્રભુ, આ શું? અમને શંકા થાય છે. વાઘના બચ્ચાને ગમે એટલાં લાડ કરો તેથી કંઈ તેનો સ્વભાવ બદલાય? જ્યારે તે મોટું થશે ત્યારે, ગુરુદેવ યાદ રાખો, તેના નહોર પ્રખર બની જશે.’]

ત્યારે ગુરુ જવાબ આપે છે :

ગુરુ કહે, `તાઇ ચાઇ, વાઘેર બાચ્ચારે
વાઘ ના કરિનુ જદિ કી શિખાનુ તારે?’

[ગુરુ કહે છે; `મારે એ જ જોઈએ છે. વાઘના બચ્ચાને જો વાઘ ન બનાવ્યો તો તેને શીખવ્યું શું?]

અંતે ગુરુ સાથે રમત રમતાં હારી જતાં ગુરુ તેને મહેણું મારે છે કે જે બાપનું ખૂન કરનાર સાથે રમવા બેસે તે કદી જીતે ખરો? અને પઠાણ વીજળી જેવી છરી કાઢીને ગુરુની છાતીમાં હુલાવી દે છે. ગુરુ હસતે મોઢે કહે છે :

`ઍત દિને હલ તોર બોધ
કી કરિયા અન્યાયેર લય પ્રતિશોધ.
શેષ શિક્ષા દિયેગેનુ—’

[આટલે દિવસે તને સમજાયું કે અન્યાયનો બદલો કેવી રીતે લેવો. છેલ્લો પાઠ શીખવતો ગયો.’]

અન્યાયનો પ્રતિકાર થવો જ જોઈએ. જે અન્યાયનો પ્રતિકાર ન કરે તે જીવવાને યોગ્ય નથી. રવીન્દ્રનાથે અન્યત્ર કહેલું છે તે સાંભરે છે કે

અન્યાય જે કરે આર અન્યાય જે સહે
તવ રોષ તૃણ સમ તારે જૅન દહે.

[અન્યાય જે કરે છે અને અન્યાયને જે સહી લે છે તે બંનેને સરખી. રીતે તારો રોષ બાળી મૂકો.]

મરાઠા ઇતિહાસમાંથી લીધેલી બંને કવિતા ખૂબ મહત્ત્વની વાત કહી જાય છે. પહેલી ‘પ્રતિનિધિ’માં સાતારાના કિલ્લા ઉપર બેઠાં બેઠાં ગુરુ રામદાસને ભીખ માગતા જોઈ શિવાજીને થાય છે કે મારા જેવો રાજાધિરાજ પણ જેને ચરણે નમે છે તેનો પણ લોભ છૂટતો નથી. શું આપું તો લોભ શમે. એમ વિચારી આખું રાજ સોંપી દેતી ચિઠ્ઠી તેમના ભિક્ષાપાત્રમાં નંખાવે છે. તે વાંચીને બીજે દિવસે ગુરુ તેને ભિક્ષા માગવા સાથે લઈ જાય છે. સાંજે શહેરને એક છેડે નદી કિનારે બેસીને બંને ભિક્ષાન્ન જમે છે. જમતાં જમતાં હસીને શિવાજી કહે છે, `તમે તો રાજાનો ગર્વ ઉતારી તેને રસ્તાનો ભિખારી બનાવ્યો; પણ હું તૈયાર છું. હજી તમારી શી ઇચ્છા છે, કહો.’ એટલે રામદાસ કહે છે :

ગુરુ કહે. `તમે શોન્ કરિલિ કઠિન પણ
અનુરૂપ નિતે હબે ભાર-
એઇ આમિ દિનુ કયે મોર નામ મોર હયે
રાજ્ય તુમિ લહો પુનર્બાર.
તોમારે કરિલ વિધિ ભિક્ષુકેર પ્રતિનિધિ
રાજ્યેશ્વર દીન ઉદાસીન,
પાલિબે જે રાજધર્મ જેનો તાહા મોર કર્મ
રાજ્ય લયે રબે રાજ્યહીન.
વત્સ, તબે એઇ લહ મોર આશીર્વાદ સહ
આમાર ગેરુયા ગાત્રવાસ-
વૈરાગીર ઉત્તરીય પતાકા કરિયા નિયો’
કહિલેન ગુરુ રામદાસ.

[ગુરુ કહે, `તો સાંભળ, તેં કઠણ પ્રતિજ્ઞા કરી છે; એને શોભે એવો જ ભાર તારે લેવો પડશે. આ મેં તને કહી દીધું, મારે નામે, મારા વતી, તું રાજ્ય ફરી લે. તને વિધાતાએ ભિક્ષુકનો પ્રતિનિધિ બનાવ્યો છે. તું રાજ્યેશ્વર છે, બેટા, પણ તારે દીન અને ઉદાસીન રહેવાનું છે. તું જે રાજધર્મ પાળશે તે મારું કામ છે એમ માનજે. રાજ્ય લેવા છતાં રાજ્ય વગરનો રહેજે. તો મારા આશીર્વાદ સાથે મારું આ ભગવું વસ્ત્ર લે. વૈરાગીના ઉતરીયનો ઝંડો બતાવી લે.’ એમ ગુરુ રામદાસે કહ્યું.)

આજે સત્તા માટે જે સાઠમારી ચાલે છે, છળકપટ ખેલાય છે. નીતિનિયમોને નેવે મુકાય છે, પ્રજાને આપેલાં વચનોનો છડેચોક ભંગ કરવામાં આવે છે, પાટલીબદલુઓને ફોડવા માટે જે ઉપાયો યોજાય છે, એ બધામાં `રાજ્ય લયે રબે રાજ્યહીન’નો ભાવ ક્યાંય શી રીતે ડોકાય! ‘વિચારક’માં રઘુનાથરાવ પેશવા હૈદરઅલી ઉપર ચડાઈ કરવા નીકળ્યો ત્યારે ન્યાયાધીશ રામશાસ્ત્રીએ તેને રોક્યો. `ભાઈના દીકરાના ખૂનનો તારા ઉપર આરોપ છે. તું કેદી છે. તારાથી નહિ જવાય.’ પણ, `રાજા કોઈ મના માનતો નથી, હું તમારું ન્યાયશાસ્ત્રનું ભાષ્ય સાંભળવા માગતો નથી’ એમ કહી રઘુનાથરાવ હસે છે. ત્યારે રામશાસ્ત્રી કહે છે,

કહિલા શાસ્ત્રી, `રઘુનાથરાવ
જાઓ કરો ગિયે યુદ્ધ
આમિઓ દંડ છાડિનુ એબાર
ફિરિયા ચલિનુ ગ્રામે આપનાર
વિચારશાલાર ખૅલાઘરે આર
ના રહિબ અવરુદ્ધ.

[શાસ્ત્રીએ કહ્યું : ‘રઘુનાથરાવ, જાઓ, જઈને યુદ્ધ કરો. હવે મેં પણ ન્યાયદંડ છોડી દીધો. હું પાછો પોતાને ગામ જાઉં છું. ન્યાયાલયના રમતઘરમાં હવે પુરાયેલો નહિ રહું.]

અને ગૌરવભર્યું ન્યાયાધીશપદ છોડીને ને સંપત્તિને ઠોકરે મારીને દીન દરિદ્ર બ્રાહ્મણરૂપે પાછા ગામડામાં જઈને ઝૂંપડીમાં રહે છે. આ નિર્ભીક ન્યાયનિષ્ઠા અને સ્વમાનિતાની આજે આ૫ણને કેટલી બધી જરૂર છે? એવી જ ન્યાયનિષ્ઠાનું એક દૃષ્ટાંત રજપૂત કથા ‘રાજવિચાર’માં પણ મળે છે: બ્રાહ્મણ આવીને રાજાને ફરિયાદ કરે છે કે `મારી સ્ત્રી જ્યાં સૂતી હતી ત્યાં એક ચોર એને ભ્રષ્ટ કરવા પેઠો હતો. તેને પકડીને મેં બાંધ્યો છે, કહો શી સજા કરું?’ રતનરાવ રાજા કહે છે `મૃત્યુ.’ બ્રાહ્મણે તો રાજાના હુકમનું પાલન કર્યું. દૂતે દોડતા આવીને રાજાને કહ્યું કે એ ચોર તો યુવરાજ હતા. બ્રાહ્મણે તેને રાતે પકડ્યા હતા અને આજે સવારે કાપી નાખ્યા. બ્રાહ્મણને પકડી લાવ્યા છીએ. શી સજા કરીએ?" રતનરાવ રાજાએ કહ્યું, `છોડી દો.’ રવીન્દ્રનાથને મતે ભારતનો જીવનાદર્શ કેવો હતો એની ઝાંખી આપણને આ નાની નાની કથાઓ સચોટ રીતે કરાવે છે. આ લેખમાં ‘કથા’ઓ કાહિની’માંના ‘કથા વિભાગની કૃતિઓનો જ પરામર્શ કરેલો છે.