સંચયન-૫૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-59-A4-Final-Title.jpg
સંચયન - ૫૯

અનુક્રમ

  • સમ્પાદકીય
    • કવિતા અને છંદ... ~ મણિલાલ હ. પટેલ
  • કવિતા
    • થોડીક અઘરી બાળવાર્તાઓ ~ હરીશ મીનાશ્રુ
    • ઘર~ રમણીક અગ્રાવત
    • ગીત ~ પારુલ ખખ્ખર
    • ચાલતી પકડી પછી ~ કિશોર જિકાદર
    • કવિતાને ખાતર ~ કમલ વોરા
    • તીડ ~ રાજેન્દ્ર પટેલ
  • કલાજગત
    • સર્જકતાની વ્યાખ્યા ~ પ્રદીપ ખાંડવાળા
    • રૂપ ગોઠ ~ હકુ શાહ
  • વાર્તા
    • ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ ~ રઘુવીર ચૌધરી
    • અમરવેલ ~ પ્રદીપ સંઘવી
  • હાસ્યનિબંધ
    • ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો ~ રતિલાલ બોરીસાગર
  • નિબંધ
    • ન ઓલવાતું અજવાળું ~ દક્ષા પટેલ
  • રેખાચિત્ર
    • મૂળ સોતાં ઊખડેલાંના હમદર્દ કમળાબહેન ~ મોસમ ત્રિવેદી
  • એકત્રવૃત્ત
    • ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા ~ સંપાદકઃ મણિલાલ હ. પટેલ, ઑડિયો રેકોર્ડિંગ સંકલન: શ્રેયા સંઘવી શાહ

પ્રારંભિક

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
વર્ષમાં ત્રણ અંક
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૨૦/૦૮/૨૦૨૩



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.


ચિત્ર – હકુ શાહ

Sanchayan 08-23-01.jpg

        મીઠાનો સત્યાગ્રહ - ચિત્રકાર : હકુ શાહ


હકુ શાહ (૧૯૩૪-૨૦૧૯)
એક ઉત્તમ ચિત્રકાર અને શ્રેષ્ઠ લોકવિદ્યાવિદ્

Sanchayan 08-23-02.jpg

તેમનો જન્મ સુરત જિલ્લાના વાલોડ ગામમાં ૧૯૩૪માં થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડમાં. મૅટ્રિક થયા પછી ઉચ્ચશિક્ષણ માટે તેઓ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં જોડાયા. ૧૯૫૯માં ત્યાં જ ફેલો તરીકે નિમાયા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી નૅશનલ સ્કૂલ ઑફ ડિઝાઇનમાં સંશોધન અધિકારી તરીકે કામ કર્યું. ૧૯૬૮માં અમેરિકામાં આયોજિત પ્રદર્શન ‘અનનોન ઈન્ડિયા’ના વ્યવસ્થાપક તરીકે કામ કર્યું. ૧૯૮૯- ૯૦માં ભારતમાં પ્રથમ શિલ્પગ્રામ (ઉદયપુર)ની સંકલ્પના અને રચનામાં મુખ્ય ભૂમિકા એમની હતી. તે પહેલાં ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના આદિવાસી સંશોધનકેન્દ્રમાં કામ કર્યું. તેઓ ભૂમા લોકશિલ્પ સંસ્થાન અમદાવાદના સ્થાપક અને અધ્યક્ષ હતા.
તેમણે વિશ્વના મહાન કલાચિંતકો અને વિદ્વાનો ખાસ કરીને સ્ટેલા ક્રેમરિશ, ચાર્લ્સ ઇમ્સ, આલ્ફ્રેડ વ્યૂહલ૨, પુપુલ જયક૨ની સાથે કામ કર્યું હતું. તેઓ પદ્મશ્રી, રોકફેલર ફેલોશિપ, નહેરુ ફેલોશિપ, કલારત્ન, ગગન અવિન પુરસ્કાર વગેરેથી સન્માનિત થયા છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા અમેરિકામાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું.
દુનિયાની સુપ્રસિદ્ધ કલાસંસ્થાઓમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો અવારનવાર ગોઠવાતાં રહ્યાં હતા.

સમ્પાદકીય


સમ્પાદકીય
કવિતા અને છંદ...

કાર્ય અને કલા : બંને છેવટે તો, માધ્યમથી સિદ્ધ થાય છે. સાધન/માધ્યમ જેટલું અસરકારક, પરિણામ એટલું પ્રભાવક! કર્તા અને કવિ બંનેની પ્રથમ ખેવના માધ્યમની, પછી એમની પ્રતિભાનું બળ માધ્યમને જ સિદ્ધિમાં રૂપાંતરિત કરીને જંપે છે. ગુજરાતી કવિતાએ માધ્યમનો મહિમા કર્યો છે; માધ્યમ દ્વારા મળેલા કલાત્મક પરિણામનો આદર પણ કર્યો છે. કાવ્ય પદ્યમાં (છંદોલયમાં) હોય ને ગદ્યમાં, (મુક્તછંદમાં અને છંદુમક્તિમાં) પણ હોય છે. અલંકારની જેમ, આપણે છંદને કવિતામાં-વ્યાખ્યા વિભાવનામાં અનિવાર્ય નથી ગણ્યો... પણ એનું અનિવાર્યપણે પ્રગટવું કાવ્યને ઉપકારક નીવડ્યું છે. સંવેદન/ભાવોર્મિ પોતે જ એનાં ભાષા અને લય લઈને પ્રગટે છે. આપણી ઉત્તમ ઊર્મિકવિતા પોતાનો છંદોલય લઈને પ્રગટેલી છે. એ પછી સૉનેટ હોય, ગીત હોય કે ગઝલ! પણ ૧૯૫૦-પપ પછીના ગાળામાં આપણે ત્યાં છંદમુક્ત રચનાઓ આવે છે અને આધુનિકોને-એમનાં સંવેદનોને અભિવ્યક્ત કરવા માટે - અછાંદસ રીત વધુ માફક આવે છે. જોકે ત્યારે ય ગીત-ગઝલમાં તો લય-છંદ અનિવાર્યપણે એના સ્વરૂપની શરત હતાં. કેટલા બધા આધુનિકોએ પણ છંદથી લખવાનું શરું કરેલું. લાભશંકરે તો દલપતશૈલીનો પ્રભાવ ઝીલીને પ્રારંભ કરેલો, ને એમના પ્રથમ સંચય ‘વહી જતી પાછળ રમ્યઘોષા’-માં છંદોબદ્ધ એવા સફળ કાવ્યો વધુ છે. અલબત્ત, એમણે પરંપરિત લયનો પ્રયોગ પણ કર્યો જ છે. પણ છંદોલય હજી તૂટ્યો-છૂટ્યો ન્હોતો... ને પરંપરિત લયમાં રચનાઓ તો આપણા અનેક આધુનિકો-અનુઆધુનિકો દ્વારા થતી જ રહી છે. રાવજી વગેરે એનાં દૃષ્ટાંતો છે.

છંદમાં લખવાથી કે છંદને છોડી દઈને લખવાથી કવિતા સિદ્ધ થઈ જતી નથી. કાવ્યસિદ્ધિના માનદંડો તો બધી વખતે સામે રાખવાના જ હોય છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે છંદોમાં કવિતા કરવાથી કશો વિશેષ લાભ થાય છે? છંદો જાણનારો કવિ અછાંદસમાં લખે તો પણ એના અછાંદસને ફાયદો થાય જ છે... કેમકે છંદો જાણવા/છંદોલયને જાણવો એટલે ભાષાના/શબ્દના અસલ સ્વભાવને જાણવો. શબ્દને નાદ છે. શબ્દો મળીને લય રચે છે. વર્ણોચ્ચારથી મળતો અવાજ પછી નિશ્ચિત વર્ણસમૂહમાં નાદનું રૂપ લે છે. આમ શબ્દનો નાદ અને નિશ્ચિત માત્રાનાે શબ્દોના સમૂહનું આવર્તન લયનું રૂપ લે છે. ભાષાનો નાદ-લય પ્રગટાવવાનો સ્વભાવ કવિનાં ભાવસંવેદનોને પણ સહજ લયાત્મક બનાવે છે. ભાવોર્મિ પણ જળલહરની જેમ મનમાં ઉઠતી લહરી-ભાવલહરી છે. એને લયાત્મક ભાષારચના વધુ માફક આવે છે. ગીતકવિતામાં એનાં ઉત્તમ પરિણામો સાંપડ્યાં છે. એ જ રીતે નિશ્ચિત માત્રાના વર્ણોની નિશ્ચિત ગોઠવણી થઈ હોય એવા શબ્દોથી બનતા અક્ષરમેળ-રૂપમેળ છંદો પણ કવિના ભાવલોકને વધુ આંદોલિત કરે છે; વધુ સારી રીતે ઝિલે છે એ નક્કી!

નદીને જેમ કિનારાઓ બાંધે છે ને વળવળાંકે રૂપ-મરોડ આપે છે એ જ રીતે છંદોલય કવિતાને-એના ભાવલોકને મરોડ આપે છે. કવિતાદેવીનાં છંદોલયથી બંધાયેલાં ચરણો પછી રણઝણ રણઝણ થતાં રહે છે. કવિતાને યાદ રાખવા અને કંઠસ્થ કરવામાં છંદોલય મહત્ત્વનું પરિબળ છે - હાસ્તો! આપણ સૌને જે કાવ્યો ગીતો ગઝલો યાદ છે એમાં એનાં છંદોલયનો ઘણો હિસ્સો છે... અછાંદસ કે ગદ્યકાવ્યો એટલાં (હર કોઈથી) યાદ રાખી શકાતાં નથી - જેટલાં છાંદસ રાખી શકાય છે. છંદોલય ભાવભિવ્યક્તિને ઘૂંટીને ઘનતા આપે છે - એનો રણકો જાણે ધાત્ત્વિક બનીને રણકે છે. યતિનો, યતિભંગનો, અર્થાનુસાર યતિનો ઉપયોગ કરીને કવિ તથ્યને/ભાવને વધુ સ્પર્શ્ય બનાવે છે. નિશ્ચિત ક્રમમાં વર્ણો ગોઠવાય એવી ગણરચના, એવાં નિશ્ચિત ગણ-એકમોનો સમૂહ છંદમાં હોય છે. આથી ભાવાનુરૂપ શબ્દ-પર્યાય પસંદ કરવાની કવિની આંતરસૂઝ રંગ લાવે છે. કવિતામાં છંદોલય ભાવાર્થોને બાંધે છે ને છેવટે પરિણામ માટે મુક્ત કરે છે. ભાવ પ્રમાણે છંદયોજના પણ કવિતાને ઉપકારક બને છે. છંદોલય કવિતામાં જાણે છાક અને છટા બેઉ પ્રગટાવવા આવે છે. ગુજરાતી કવિતામાં આ સૌનાં અનેક ઉદાહરણો મળે છે.

- મણિલાલ હ. પટેલ

Sanchayan 08-23-03.jpg


કવિતા

થોડીક અઘરી બાળવાર્તાઓ
Shure mikrofon 55S.jpg
કાવ્યપઠન સાંભળવા અહીં ક્લીક કરો.
~ હરીશ મીનાશ્રુ

Sanchayan 08-23-04.jpg


૧- અ
એએક પાંદડું હતું
ફરફરતું. ભલું ભોળું.
ઓળીઝોળી કરીને ઈશ્વરે એનું નામ પીપળપાન પાડેલું.

માણસે એને પૂછ્યુંઃ તું એક બાજુથી ચત્તુ છે
ને બીજી બાજુથી ઊંધું, એમ કેમ?

આકાશ જે બાજુને છત્તી કહેતું
એ બાજુને ધરતી ઊંધી કહેતી
ને વાઈસે વર્સા.

ટાઢ, તડકો ને વર્ષા
પાંદડું તો બન્ને બાજુએ ઝીલ્યા કરતું ને
એ...ય ને મઝેથી ફરફરતું.

માણસે એને ફરીવાર પૂછ્યુંઃ
તું એકી વખતે ઊંધુંચત્તું એવું પત્તું કેમ છે?

પાંદડું છણકો કરીને બોલ્યુંઃ
એવાં ઊંધાંચત્તાં અમને નથી આવડતાં.
અમે તો છીએ કેવળ પાંદડું
એકી વખતે બે ચત્તી ને બે ઊંધી બાજુઓવાળું
જેમાં ચત્તી છે તે જ ઊંધી બાજુ છે ને વાઈસે વર્સા.

માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી.
એ હજીય ઊંધાંચત્તાં કર્યા કરે છે.


Sanchayan 08-23-05.jpg

૧- બ
એક પાંદડું હતું, પહેલી વાર્તામાં હતું એનું એ જ.
કોમળ ને લીલું ને ફરફરતું.

માણસે એને પૂછ્યુંઃ માઠા દિવસો
આવી રહ્યા છે, એનું તને કૈં ભાન છે?
પાંદડું કહેઃ બધા જ દિવસ ફરફરવાના હોય છે
એ સારા કે માઠા ક્યાં હોય છે?

માણસ કહેઃ દિવસે દિવસે તું સુકાતું જઈશ
ને પીળું પડી જઈશ
એની તને કૈં ફિકર ચિંતા છે કે નહીં?

પાંદડું કહેઃ અત્યારે હું કોમળ લીલા રંગમાં ફરફરું છું
ત્યારે હું સૂકા પીળા રંગમાં ફરફરીશ

માણસને પાંદડાની વાતમાં કશી જ સમજણ ના પડી
એ હજીય સારું માઠું લગાડ્યા કરે છે.


૧- ક
એએક પાંદડું હતું, પહેલી અને બીજી વાર્તામાં હતું એનું એ જ.
દીંટાવાળું
ઝાડ સાથે નાભિનાળથી જોડાયેલું.

માણસ કહેઃ
અત્યારે તું ફરફરફરફર કરે છે પણ ધીરી બાપુડિયા
એક દિવસ તું ઝાડ પરથી ખરખરખરખર ખરી જશે
ત્યારે અરરરરર તારી શી દશા થશે
એનું તમે ભાન છે ખરું?

પાંદડું કહેઃ એ તો તને એવું લાગે છે
બાકી હું ક્યાં ફરફરું છું?

હું તો સદાકાળ સ્થિર છું ને
આ આખું ઝાડ પૃથ્વી સમેત અવકાશમાં ફરફરતું રહે છે.
મારી નાળ તો મરણ વખતે કપાશે
પણ તારી તો જનમતાંવેંત કપાઈ ગઈ છે
એનું તને ભાન છે ખરું?

માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી,
એ હજીય ફરફરવું-નાં ફૂલેકાં ને ખરખરવું-ના ખરખરા કરતો રહે છે.


.ર.
એક બાળવાર્તા હતી.
એમાં બે બિલાડી ને એક વાંદરો રહેતા હતાં.
એમની બાજુમાં એક ત્રાજવું ને ગરમ ગરમ રોટલાની ગંધ પડેલાં હતાં.
મને એ વાર્તા જરા ઓળખીતી લાગી
એટલે હું એની નજીક ગયો.
વાર્તાની ને મારી વચ્ચે, જો કે, કાચની એક ઊંચી દીવાલ હતી
એટલે મારે વાર્તાની બહાર જ ઊભા રહેવું પડ્યું.
વાર્તાના એક ખૂણામાં માણસોની સભા ભરાઈ હતી
ને જેણે ખરેખર તો વાર્તાની બહાર હોવું જોઈએ
એવો એનો વાર્તાકાર, - નામે ઈસપ
છીંડું પાડીને વાર્તાની અંદર ઘૂસી ગયો હતો ને
સૌને બોધપાઠ આપતો હતો.

એટલામાં બન્યું એવું કે
માણસો કરતાં થોડાક વધારે હાથ ધરાવતી
ને દરેક હાથમાં જાતજાતની બિનજરૂરી વસ્તુઓ પકડી રાખનારી
એક બેડોળ ને હેન્ડીકેપ વ્યક્તિએ દેખા દીધી.
એ જરા મૂંઝવણમાં હોય એવું લાગતું હતું.

મને ક્યારનો ત્યાં વાર્તાની બહાર ઊભેલો જોઈને
એણે વાર્તાની અંદર રહ્યાં રહ્યાં
મને કહ્યુંઃ હું એક સુખ્યાત ચિત્રકાર છું
હું ઈલસ્ટ્રેશનવાળી બાળકોની વાર્તાની બુકો પણ બનાવું છું.
મારું નામ ઈશ્વર છે.
મે હમણાં જ આ વાર્તા માટે
બાજરીનો હૂંફાળો સ્વાદિષ્ટ રોટલો ચિતર્યો હતો તે ક્યાં ગયો?

(‘કુંભલગઢ’માંથી)

ઘર
~ રમણીક અગ્રાવત

Sanchayan 08-23-06.jpg


પહેલા માળે મોટાનું ઘર
બીજા માળે વચલાનું ઘર
ત્રીજા માળે નાનાનું.
બા-બાપા પ્રવાસી
વહેંચાતાં વરસભરનાં.

“ક્યાં ઊપડ્યાં બા લબાચા લઈને?”
“મોટા દીકરાના ઘરે.”
ઘરની દીવાલો પર છબીની
જેમ ક્યાંય લટકાવી શકાતી નથી માલિકી.

ઘર બનતું હતું ત્યારે
હતું મારું.
રહેતાં રહેતાં રહેતાં
થઈ પડ્યું એ અ-મારું.

છોકરાંઓ ઘૂંટતાં રહ્યાં ઘરનો ‘ઘ’.
ઊપટતો રહ્યો દીવાલો પરની છબીઓમાં રંગ
ઈંટ-ઈંટ વચ્ચે ઢીલાં થયાં અંદર અંદર જોડાણ
ઉપર અને હેઠથી ભેજની અણથક આગેકૂચ
ભુલાતાં રહ્યાં ફૂલદાનીમાં મુકવાનાં ફૂલ
વરસોવરસનાં રંગરોગાનોય ઢાંકી ન શક્યાં
ઘરનો મ્લાન ચહેરો.

બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૨૦૨૩

ગીત
~ પારુલ ખખ્ખર

ઢાંકોઢૂંબો કરી હજુ તો બેઠી’તી પરવારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

પહેલાં એણે એકલતાની ભીંતે પાડ્યું કાણું,
વહેતા કીધા મુંઝારાના દરિયાઓ નવ્વાણું,

ફટાક દઈને ખોલી નાખી જૂની જર્જર બારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

રૂંવેરૂંવે મોરપિચ્છ ઊગ્યાં તે ક્યાં સંતાડું?
સૈયર મારી ફરતે ઊડે પતંગિયાનું ધાડું,

હક્કાબક્કા જેવી ખુદને નીરખું ધારીધારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

પતરંગો ક્યે, હાલ્ય ને આપણ બંને ઊડિયે ભેળાં,
મેં કીધું કે, ના રે બાબા, થઈ ભળભાંખળ વેળા.

ગામલોક ના સાંખી શકશે જોડી તારી-મારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.

(‘કરિયાવરમાં કાગળ’ - માંથી)

Sanchayan 08-23-07.jpg

ચાલતી પકડી પછી
~ કિશોર જિકાદરા

એક દી ઘડિયાળ મારા હાથથી છટકી પછી,
સાઠ મિનિટો, સામટી મારા ઉપર બગડી પછી.

ચાંપલી એકાદ ક્ષણ તો બાઝવા ઊભી થઈ,
માંડ બેસાડી છતાં એ કેટલું બબડી પછી.

આમ તો દેખાવમાં એ ટેણકી લાગી હતી,
એ બધી સેકન્ડ પણ ઓછું નથી ઝઘડી પછી.

ને તમાશો દૂર બેઠાં એય પણ જોતી હશે,
લાગતી આવી કલાકો, મધ્યમાં ટપકી પછી.

એ જ સાચું કહી શકે કે વાંક મારો શું હતો,
વાતમાં નાજુક પળોને એટલે ઘસડી પછી.

સાવ નાની વાતમાં એ જાત પર આવી ગયો,
મૂછ મેં મારી સમય સામે જરા મરડી પછી.

કાળથી મોટો નથી હું, એટલું સમજ્યા પછી,
મેં જ સંકેલો કર્યો ને ચાલતી પકડી પછી.

(શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૨૩)

Sanchayan 08-23-08.jpg

કવિતાને ખાતર
~ કમલ વોરા

એક ઊડતું પતંગિયું
પહાડને જોઈને
જરાક થંભી ગયું
સ્થિર થવા મથ્યું અને
ઊડી ગયું
પહાડ
ભારેખમ્મ થયો
વધુ ઊંડો ઊતર્યો

એક વાદળું
નદીમાં વાદળું જોઈને મલકી પડ્યું
નદી
એનાં ઊંડાં તળ ધમરોળતી રહી

પવને આકાશ તરફ જોયું
આકાશે પવનને
પવન પડી ગયો
આકાશ વરસી પડ્યું
નદીમાં ડૂબી ગયેલ પહાડને
એક પતંગિયું
પાંખો વીંઝતું ઊંચકવા મથી રહ્યું
આઘે
વાદળો વીખરાઈ ગયાં
પવન
ઊભો ચિરાઈ ગયો

એક કવિતાને ખાતર
સૃષ્ટિનો
લયભંગ થયો

(‘જુઠ્ઠાણાં’ સંચય : ૨૦૨૩, પૃ. - ૭૭)

Sanchayan 08-23-09.jpg

તીડ
~ રાજેન્દ્ર પટેલ

આજકાલ, જ્યાં ને ત્યાં,
ઊભા ને ઊભા મોલ પર,
તૂટી પડે છે તીડ.

લીલપતરસી આ તીડની ટોળકીઓ,
ઉજ્જડ કરતી જાય છે આ ધરા.

ખાવામાં એવાં તો મશગુલ હોય છે આ તીડ,
જાણે બહેરાં ન હોય!
કોઈ પણ જંતુનાશક દવાથી કે,
ગમે તેવા ધૂમાડાથી પણ ટેવાઈ ગયાં છે,
આ તીડ.

આ તીડ બાળપણમાં જોયેલાં તે નથી જ,
આ તો અપરંપાર ખાઈને પણ ભૂખ્યાં ડાંસ,
મસમોટાં જનાવરો કરતાં ભયંકર.

આ તીડે તો,
જાણે ઢાંકી દીધા છે સૂરજ ચન્દ્રને,
અને ભરદિવસે અંધારું કરી મૂક્યું છે.

ને કશાય અણસાર વિના,
છવાઈ ગયાં છે સર્વત્ર.

(‘કરાર’ સંચયઃ પૃ. - ૪૬ / પ્રકાશન - ૨૦૨૩)

કલાજગત

॥ કલાજગત ॥

Sanchayan 08-23-19.jpg


સર્જકતાની વ્યાખ્યા
~ પ્રદીપ ખાંડવાળા સર્જકતાની ઘણી વ્યાખ્યાઓ છે. દરેક વ્યાખ્યા સર્જકતાનો કોઈ એક દ્રષ્ટિકોણ ઉજાગર કરે છે. અમુક વિચારો સર્જકતાના પરિણામ પર ભાર મૂકે છે, એટલે કે કશીક નવી કે અભૂતપૂર્વ વસ્તુની ઉત્પત્તિ જે ઉપયોગી છે એ ઉત્પત્તિના સંદર્ભમાં. દાખલા તરીકે કોઈ બોલપોઈંટ પેનની શોધ, જે કદી સુકાતી નથી, કે બહુ લાંબા સમય માટે સુકાતી નથી. કોઈ નવો પ્રમેય જેના વતી ગણિતનો કે વિજ્ઞાનનો મોટો કોયડો ઉકેલાઈ જાય, જેમ કે ગુરુત્વાકર્ષણ, તો એ પ્રમેયની શોધ સર્જનાત્મક કહી શકાય. કોઈ બીજા સર્જકતાના ચિંતકોએ વિકેંદ્રગામી વિચાર પદ્ધતિને સર્જકતા માટે આવશ્યક ગણી છે. એટલે કે એવો ચિંતન પ્રવાહ જેમાં વિસ્તૃત, જુદા જુદા દૃષ્ટિકોણોથી શોધખોળ થાય, જુદા જુદા વિચારો કે દૃષ્ટિકોણો વચ્ચે સંબંધ બાંધવાનો પ્રયાસ હોય, કલ્પનાની છલાંગો હોય, ઊંડા મનન પછી પરિપાક થાય, આશ્ચર્યચકિત કરતી આંતરસૂઝો થાય, વિગેરે. આના આધારે આવા ચિંતકો કળા-સર્જન કે વૈજ્ઞાનિક શોધ માટેની મથામણ સામાન્ય ઓફિસે કે ઘરેલું કાર્યથી વધુ સર્જનાત્મક માને છે. બીજા એવા છે કે જે સર્જકતાને આપણી ચેતનાની સ્થિતિ સાથે જોડે છે. દાખલા તરીકે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક એબ્રાહમ માસ્લોએ સર્જકતાને એવી માનસિક સ્થિતિ ગણી છે જ્યારે આપણે નિસંકોચ આપણી લાગણીઓને વ્યક્ત કરી શકીએ, બીજાના આપણાથી બહુ જુદા પડતા મંતવ્યોને આદરથી સાંભળી શકીએ, બીજાઓની પીડા માટે આપણને સંવેદન થતું હોય, આપણા પોતાના વિકાસ માટે તીવ્ર ઇચ્છા થતી હોય, આપણી નૈસર્ગિક સંભાવનાઓને પૂર્ણ પણે ફલિત કરવાની પ્રબળ એષણા હોતી હોય, વિગેરે. મનોવૈજ્ઞાનિકોનું એક બીજું જૂથ છે જે સર્જકતા માટે કેટલીક વ્યક્તિત્વની ખાસિયતો અને ક્ષમતાઓ આવશ્યક ગણે છે. આ મંતવ્ય માટે ખૂબ સંશોધન થયું છે. બહાર આવ્યું છે કે સર્જકોને જટિલ પ્રશ્નો તરફ ખાસ આકર્ષણ હોય છે; એ લોકોને વિચિત્ર સ્વૈર કલ્પના-રચના કરવી વિશેષ ગમતી હોય છે. સ્વતંત્ર માનસ; સવાલ કે કોયડાના એક નહી પણ અનેક ભિન્ન ભિન્ન શક્ય ઉકેલો ખોળી કાઢવાની ક્ષમતા, વિગેરે સર્જકોની ખાસિયતો સંશોધન દ્વારા ઉપલબ્ધ થઈ છે.

મારે મત સર્જકતા એ અભિગમ છે જેમાં ઘણીવાર (“આ કરીએ તો શું થાય? અને પેલું?”) શોધખોળ વર્તાય છે, જે એક ખુલ્લા દિલનો, કુતૂહલશીલ, કલ્પનાશીલ, અખતરાબાજ માનવી અપનાવે છે, અને જેના પરિશ્રમથી એવા ઉકેલો જડી આવે છે કે કાર્યો નિર્માણ થાય છે જે આગવા પણ છે અને ઉપયોગી પણ. પણ સર્જન કેફી છે. સફળ સર્જન અતિ-આનંદ બક્ષે છે, એટલે ફરી ફરી કરવાનો ઉમંગ થાય એ સ્વાભાવિક છે. સફળતા એ ક્ષમતાઓ અને વિચાર પદ્ધતિને પોષે છે જેનાથી સફળતા પ્રાપ્ત થયેલી. આ રીતે જે જે ખાસિયતો અને ક્ષમતાઓ વડે સર્જન કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ હોય એ વધુ ને વધુ દૃઢ થતી જાય છે. સર્જકતાનું વૈવિધ્ય સર્જકતા મનુષ્યના અરમાનો જેટલી વિવિધ અને મનુષ્યની ક્ષમતા જેટલી ઓછી-વત્તી હોય છે. મનુષ્યની બધી પ્રવૃત્તિઓમાં સર્જકતા આવૃત્ત છે. લાખો વર્ષોથી માનવો ભોજન કરતાં રહ્યાં છે; અને તે છતાં દર વર્ષ સેંકડો નવી વાનગીઓ સર્જાય છે. આવું જ નવું નવું સર્જન પોશાક, મનોરંજન, રમતગમત, દરેક કળામાં, દરેક વિજ્ઞાનમાં, તકનીકોમાં, અને વ્યવસાયોમાં જોવા મળે છે. સર્જકતા જુદા જુદા રૂપોમાં જોવા મળે છે. એનાં છ મૂળભૂત રૂપ કે પ્રકાર મેં કલ્પ્યા છે. સર્જનાત્મક શોધ, જે વિજ્ઞાનોમાં વિશેષ રૂપે જોવા મળે છે તે એક રૂપ છે જેમાં ઘણી બધી હકીકતોનો નિચોડ કાઢીને, અર્ક કે સાર તાગીને આગવી શોધ કરાય છે. એને અર્ક-લક્ષી સર્જકતા કહી શકાય (મારાં અંગ્રેજીમાંનાં પુસ્તકોમાં એને essence creativity તરીકે ઓળખાવી છે.) ચિત્રકાર કે કવિની અભિવ્યક્તિ-લક્ષી સર્જકતા એ બીજું જ રૂપ છે જેને અંગ્રેજીમાં મેં expressive creativity તરીકે ઓળખાવી છે. નવલકથાકારની કે સ્થપતિની કે ઈજનેરની કોઈ સાર, કે નિયમોનું, કે રૂપાંકનનું આગવું નિરૂપણ વિસ્તાર-લક્ષી સર્જકતા ત્રીજું રૂપ છે જેને અંગ્રેજીમાં મેં elaborative creativity કહી છે. નવા જ સાહસનું સફળ સર્જન (સાહસ-લક્ષી સર્જકતા) ને મેં entrepreneurial creativity કહી છે એ ચોથું રૂપ છે. આપણી પોતાની જાતને આગવી રીતે ઘડવી, જેથી આપણે અનુપમ બનીએ (સ્વ-લક્ષી સર્જકતા) એ પાંચમું રૂપ છે જેને મેં existential creativity કહી છે. આપણે બીજા વંચિતોનો કોઈ આગવી રીતે ઉત્કર્ષ કરીએ કે એમને શક્તિ પ્રદાન કરીએ એ છઠ્ઠું રૂપ છે જેને શક્તિપાતીય સર્જકતા (emproverment creativity) કહી શકાય. વાસ્તવમાં તો દરેક સર્જનમાં એકથી વિશેષ રૂપનો વપરાશ જોવા મળશે. જ્યારે કોઈ સાહિત્યકાર નવલકથા લખીને એને આગવું શીર્ષક આપે ત્યારે એ માત્ર વિસ્તાર-લક્ષી સર્જકતાનું રૂપ નથી વાપરતો પણ અર્ક-લક્ષી સર્જકતાનો ઉપયોગ પણ કરતો હોય છે. જ્યારે કોઈ, જેમકે ગાંધીજી, પોતાનો આગવો વિકાસ કર્યા પછી જન-સમુદાય માટે આગવા ઘડતરનું આયોજન કરે તો એ સ્વ-લક્ષી અને શક્તિપાતીય સર્જકતાઓનો સફળ સર્જનાત્મક પ્રયોગ ગણાવી શકાય. કોઈ કવિ પોતાની અંગત અને આગવી ફિલસૂફીનો આધાર લઈ કાવ્યો સર્જે તો એને આપણે અર્ક-લક્ષી અને અભિવ્યક્તિ-લક્ષી સર્જકતાઓનો સંગમ ગણી શકીએ. યાદગાર, પ્રભાવશાળી વક્તવ્યમાં કે લેખનમાં આપણે ઘણી બધી સર્જકતાઓનો ઉપયોગ જોતાં હોઈએ છીએ. આ છએ સર્જકતાના રૂપોમાં ભિન્ન ભિન્ન દક્ષતાઓ જરૂરી છે. અભિવ્યક્તિ-લક્ષી સર્જકતા માટે, જેમ કે એક ચિત્ર કે ઊર્મિકાવ્ય, મુખ્ય રૂપે જરૂરી છે અસરકારક આકાર આપવાની અને એ આકારમાં અસરકારક રીતે ભાવ નિરૂપણ કરવાની શક્તિ. અર્ક-લક્ષી સર્જકતા, જેમ કે એક નવો જ નિયમ કે અતિ આકર્ષક શીર્ષક, માટે જરૂરી ઘોંઘાટ વિચાર કે લંબાણમાંથી હાર્દ શોધી કાઢવાની કળા. આમાં મૌલિક વિચાર અને તર્ક મહત્ત્વનો ભાગ ભજવે છે અને આગવો, બીજાઓએ ન વિચારેલો નિચોડ કાઢવાની શક્તિ. એમાં સૌંદર્ય ભેળવી શકાય તો યાદગાર સર્જન શક્ય બને. વિસ્તાર-લક્ષી સર્જનમાં સંબંધિત વિચારોની અનુપમ ગૂંથણી ને રસિક ગોઠવણી કરવાની (અંગ્રેજીમાં associative thinking) શક્તિ આવશ્યક છે. આ પ્રક્રિયામાં એક વિચાર બીજા અનેક સંબંધિત વિચારોને પ્રેરે, અને આ બધા વિચારોની યોગ્ય અને આગવી ગોઠવણી કરવી પડે. દાખલા તરીકે, જો કોઈ નવલકથાનું નિર્માણ કરવાનું હોય તો સંબંધિત પાત્રો, સ્થળો, સંજોગો, વાર્તાલાપો, કથાનકો, વિવરણો વિગેરેની આકર્ષક ગૂંથણી કરવી પડે. રૂપરેખામાંથી આવો વિસ્તાર થાય તો વિસ્તાર-લક્ષી સર્જન સફળતા પામે. સાહસ-લક્ષી સર્જકતામાં એકમનો વિકાસ કરી લાંબે ગાળે ક્યાં લઈ જવું છે એની દૃષ્ટિ જોઈએ; એનો કોઈ જાતનો પ્રબંધ કરવો (management) એની સૂઝ જોઈએ, જોખમ ખેડવાની, પરંતુ પૂરી ગણતરી પછી, હામ જોઈએ, અને સતત પરિવર્તનશીલતા, જેથી એકમ આગવું રહે, એની ધગશ જોઈએ. સ્વ-લક્ષી માટે ગાડરિયા પ્રવાહમાં કેવી રીતે નથી તણાઈ જવું અને કોઈ આગવું, ઉત્તમ જણ બનવું એનો નિર્ધાર આવશ્યક છે. માસ્લોએ આને self-sctuliation અને self-fulfillment કહ્યું છે. પોતાના ગુણો અને શક્તિઓનો સતત અને આગવો વિકાસ આવશ્યક છે જેથી અપ્રતીમતા સાંપડે. શક્તિપાતીય-લક્ષી સર્જન માટે વંચિતો માટે અપાર સહાનનુભૂતિ અને સેવા-વૃત્તિની જરૂર છે અને એની સાથે માનવશક્તિનું સંઘટન કરવાની, એ સંઘટનનું નેતૃત્વ કરવાની શક્તિ, કોઈ આગવા ધ્યેયનો પ્રચાર કરવાની શક્તિ, વિગેરે જરૂરી છે. ઉપર જોયું તેમ સર્જન માટે માત્ર બુદ્ધિથી નથી કામ ચાલતું. એમાં ધગશ, કાર્યદક્ષતા અને ધ્યેયની પણ જરૂર છે. સર્જનની ગુણવત્તા સર્જનની ગુણવત્તા કેમ કરીને માપવી? આ માટે જુદા જુદા મંતવ્યો રજૂ થયા છે. એબ્રહામ માસ્લોનું મંતવ્ય છે કે બાળકનું પ્રાથમિક પ્રક્રિયાવાળી સર્જકતા દ્વારા થયેલું સર્જન દ્વિતીયક કે પુખ્ત સર્જક પ્રક્રિયાવાળી સર્જકતા કરતાં ગોણ હોય છે. બાળકનું સર્જન સહજ હોય છે. એમાં ખાસ કોઈ કળા કાગીગરી નથી હોતી. એને માસ્લો પ્રાથમિક પ્રક્રિયાવાળી સર્જકતાનું સર્જન કહે છે જ્યારે પીઢ કલાકારના સર્જનને તેઓ દ્વિતીયક સર્જન પ્રક્રિયાવાળું સર્જન ગણે છે. ઐન્સ્વર્થ-લેન્ડે ચાર સ્તરની સર્જકતા વર્ણવી છે જેમાં સૌથી ગૌણ છે વિસ્તાર-લક્ષી, અને સૌથી ઊંચી છે પરિવર્તન ઉપજાવતી સર્જકતા. અરવિંગ ટેલરને મત સૌથી ઊંચી સર્જકતા છે નવા ક્રાંતિકારી સિદ્ધાંતોનું નિર્માણ જેને લીધે આખા ક્ષેત્રમાં પરિવર્તન આવે (દાખલા તરીકે ફ્રોઈડની સાઈકોએનાલિસિસ વિચાર પદ્ધતિ કે આઈસ્ટાઈનનો સાપેક્ષતાનો ઈ = એમસીસ્ક્વેર સિદ્ધાંત). મારું માનવું છે કે કોઈ સર્જનને મૂલવવું હોય - એ ચિત્ર, કથા, તકનીકી નવીનીકરણ, કે સિદ્ધાંત - એમાં કેટલું નાવીન્ય છે અને એના સંદર્ભમાં એ કેટલું ઉચિત છે એના પર નિર્ભર છે. નાવીન્ય બહુ હોય અને ઔચિત્ય પણ બહુ હોય, તો એ સર્જન ઊંચું. બેમાંથી એક પણ નીચું હોય તો ગુણવત્તા લબડી પડે. સૌથી નીચું સર્જન છે જ્યાં બંને નીચાં હોય, જેમ કે સામાન્ય ઉત્પાદન. જો કોઈ પણ સર્જનની ગુણવત્તા વધારવી હોય તો એમાં નાવિન્ય-વર્ધક તત્ત્વો ઉમેરવાં જોઈએ અને સાથે સાથે સર્જનનું ઔચિત્ય કે ઉપયોગિતા વધારવી જોઈએ. બીજા શબ્દોમાં કહું તો સર્જનમાં કેંદ્રગામી અને વિકેન્દ્રગામી વિચાર પદ્ધતિઓનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. આ રીતે જોઈએ તો માત્ર મહાન શોધો કે સિદ્ધાંતોમાં જ સર્વોપરી સર્જકતા વસેલી નથી. કોઈ કાવ્ય કે ચિત્ર કે ચળવળ પણ એટલી જ મહાન સર્જકતા દાખવી શકે છે. પણ સાથે સાથે એ સમજવું જોઈએ કે મહાન સર્જકતા દર વખતે ખૂબ પ્રભાવક નથી હોતી. કોઈ કોઈ વખત સામાન્ય સર્જકતા મેદાન મારી જાય છે, જેમ કે કોઈ ઔષધમાં થોડો સુધારો જેથી લાખો લોકો બચી જાય, કે નાનકડું એર્કંડિશનર જેનાથી જ્યાં કામ કરતા હો કે સૂતા હો ત્યાં જ ઠંડક મળે, ન કે આખા ઓરડામાં. એમ જ વખતનો પણ સર્જનના સાફલ્ય પર મોટો પ્રભાવ છે. વરાળથી ચાલતું એંજિન તો હીરોએ મિસરના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ૨૦૦૦ વર્ષ પહેલાં શોધેલું પણ થોમસ ન્યૂકોમન અને જેમ્સ વોટના આવા જ એંજિનનો પ્રભાવ તો ૧૮મી સદીમાં થયો કારણ કે એ કારક બન્યું ઔદ્યોગિક ક્રાંતિનું જે વિલાયતમાં અને પછી બીજે બધે ફેલાઈ. ઊંચા સર્જનથી ધનપ્રાપ્તિ કે લોકપ્રીતિ થાય છે એ આવશ્યક નથી. હા, કદી કદી અતિ જાણીતા થયેલા ચિત્રકારોનાં ચિત્રો ક્વચિત લાખોમાં વેચાય છે. એવી જ રીતે કીર્તિ-પ્રાપ્તિ પણ આવશ્યક નથી, જો કે નોબેલ પારિતોષિક અને બીજા અતિ નામાંકિત પારીતોષિક વિજેતાઓને જરૂર નામના અપાવતાં હોય છે. ઘણા ઉત્તમ સર્જકો ઘણીવાર ધન અને કીર્તિ માટે વલખાં મારતા હોય છે. સર્જનના ઉચિત મૂલ્યાંકન માટે એના વિષયને લગતી ઊંડી જાણકારી જરૂરી છે. એ વિષયના તજ્ જ્ઞો પાસે હોય છે. જો તજ્ જ્ઞોમાં સંમતિ હોય તો સર્જનનું વાજબી હોવાનું વધુ શક્ય બને છે.

(‘સર્જકતાનો ચમકાર : એક ઝલક'માંથી)



Sanchayan 08-23-10.jpg


રૂપ ગોઠ
~ હકુ શાહ

જ્યારે હું મારાં બીજા માધ્યમો, કાગળ - કોલાજ પર આવું છું ત્યારે આ હાથ પોતે જ ઓજાર તરીકે નાનાં લેલાંનું સ્થાન લઈ લે છે. આ એક જીવિત ઓજાર છે. જેમાં અન્ય સંવેદનતત્ત્વો પણ છે. એક ઓજાર તરીકે હાથની સંવેદનશીલતા અને હાથની પોતાની સંવેદનશીલતા બંને ભેગી થઈને કામ કરે છે. એ મારાં કોલાજો - રૂપ ગોઠ માટે ખૂબ હિતકારી છે. મને એવું લાગે છે કે આ આત્મજ્ઞાન કે ભાવ છે. જે મારાં કામમાં પરિણામ લાવે છે. જ્યારે આપણે દુનિયાનાં કોઈ પ્રાણી કે ઈશ્વર - એ કોણ છે તેની મને ખબર નથી - વિશે વાતો કરીએ છીએ ત્યારે એ એના પાયામાં છે. જેનાથી જાણકાર થવું મને ગમે છે. જ્યારે હું ગાંધીજી વિશે ચિંતન કરી રહ્યો હતો ત્યારે પણ મને એવું જ લાગ્યું કે તેઓ મૂળવસ્તુને જાણતા હતા - જે રીતે એક ઉત્તમ કુંભાર માટીને બરાબર જાણે છે તે રીતે. મહાન લોકો વિશે તો હું વાત નહિ કરી શકું. પણ આ માટી કે પાણી કે પવન છે જ્યાં મને તીવ્રતાથી એવો અનુભવ થાય છે કે હું ઘરમાં જ છું. આ બધું મારા સમગ્ર અસ્તિત્વની સાથે હું નિરંતર અનુભવવા ઇચ્છુ છું. મહાન વ્યક્તિઓ જેમ કે ગાંધીજીના શબ્દોથી કે સંદેશથી હું પરિચિત છું. મને ખૂબ જ ગમે છે. ગાંધીજીનો ઉલ્લેખમાત્ર મારે માટે એટલો ગહન અને સઘન છે કે જ્યારે મારા દીકરા પાર્થિવે મને એવું સૂચન કર્યું કે મારે ગાંધીજી વિશે કંઈક કરવું જોઈએ; ત્યારે મને એવું લાગ્યું કે ગાંધીજી વિશે મારા મનમાં એટલી બધી પાવન શ્રદ્ધા છે કે હું એને કઈ રીતે કરી શકું? મને થોડો સંકોચ થતો હતો. મૂંઝવણ થતી હતી. ગાંધીજી વિશે કંઈક કરવું ઘણું મુશ્કેલ છે એવું મને લાગતું હતું. જોકે હું ગાંધીવિચાર સાથે, ગાંધીજીના શિક્ષણ, પ્રાર્થના કે ગાંધીદૃષ્ટિ અને રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે વરસો સુધી જોડાયેલો રહ્યો છું. મેં ક્યારેય મિલના કપડાં નથી પહેર્યાં. ચા પીવાની ટેવ તો ઘણે મોડેથી પડી. વિદ્યાર્થીકાળથી જ હું અનેક પ્રકારનાં રચનાત્મક કામો કરતો હતો. જેમ કે ચિત્રકામ ઉપરાંત આદિવાસીઓને રાત્રીવર્ગોમાં ભણાવવા જવું, પ્રાર્થના કરવી કે બાગકામ કરવું વગેરે કામો હું કરતો જ હતો. તે દિવસોનું વાતાવરણ જ કંઈક અનેરું, અનોખું હતું. એકદમ ઉર્વર, આત્મીય અને રચનાત્મક ઊર્જાથી ભર્યું ભર્યું. અમે લોકો પ્રદર્શનો, નૃત્યનાટિકાઓ, સંગીતની બેઠકો, રાસગરબા વગેરે પણ કરતા હતા. પણ ત્યારે કદી એવો વિચાર તો આવેલો જ નહિ કે ગાંધીદૃષ્ટિ અને ગાંધીજીનાં કામોને ચિત્રોમાં કંડારીને એનું એક પ્રદર્શન પણ તૈયાર કરી શકાય. પાર્થિવે સતત આગ્રહ કર્યા કર્યો. છેવટે મેં તેમ કરવાનો પ્રયત્ન કર્યો. જે હવે કોલાજ સ્વરૂપે મારી ગાંધીશ્રેણી “નૂર ગાંધીનું : મારી નજરે” (૧૯૯૮) ના નામે પ્રચલિત છે. ત્યારે હું દિવસો સુધી એવું વિચાર્યા કરતો હતો કે મારે શું કરવું જોઈએ. ગાંધીજીના અહિંસા, સત્યાગ્રહ અને અન્ય વિચારો પર હું જુદી જ રીતે વિચારવા લાગ્યો. મારું મન સતત એ જ ભાવભૂિમમાં વિહરતાં વિચાર કરવા લાગ્યું કે એને હું મારા ચિત્રોમાં કઈ રીતે મૂકી શકું. નંદબાબુએ ગાંધીજી પર જે રેખાંકન કર્યું છે તે મને ગમે છે. કેટલાક બીજા કલાકારોએ, જેમ કે બેનશાનનું કામ પણ મેં જોયું હતું. જે ગાંધીજી પર કરવામાં આવ્યું હતું. મારાં ગાંધીકોલાજ પર કામ કરતી વખતે મને બરાબર ખ્યાલ હતો કે એમની વૈચારિક ભૂમિકા પણ મારાં ચિત્રોમાં આવવી જોઈએ. તો એ એક ઘણું મોટું કામ થશે. ગાંધીજીનાં કાર્યો અને એમના સિદ્ધાંતો પર મારી જાતને ઓતપ્રોત કરી દેવાનો પ્રયત્ન પણ તેમાં સામેલ હતો. શરૂઆતમાં ગાંધીજી પર કેન્દ્રિત મારાં કાગળ-કોલાજને જોઈને લોકોએ કહ્યું કે આમાં કશું છે નહિ. આ કોલાજોમાં એવું કંઈ નથી જે આપણે જોઈ શકીએ. પણ મેં તો મારું કામ ચાલુ જ રાખ્યું. જેમ બાળક માટી સાથે રમે છે પછી એ માટીને એ વિખરી નાખે તેમ. માણસમાં એવી શક્તિ હોય છે કે એ પોતાથી પર થઈને જોઈ શકે છે. જે જોઈ શકાય એથીય વધુ એ જોઈ શકે છે. જે આપણે જોઈ શકીએ છીએ તે કરતાં પણ વધુ જુએ. દેખાય. પછીથી બીજી બીજી જગ્યાઓ ઉપરાંત દિલ્હીમાં પણ લોકોએ મારી આ રૂપગોઠને જોઈ. ખૂબ વખાણી. ઇબ્રાહીમ અલ્કાજીએ મારાં આ કામ વિશે જરા અલગ પ્રકારે લખ્યું પણ ખરું. ત્યાં દિલ્હીમાં જ કેટલાંક બાળકો એવું પણ બોલ્યાં કે તમારાં આ ચિત્રો જોયાં તે પહેલાં અમે ગાંધીજીની ઉપેક્ષા કરતાં હતાં. પણ તમારાં આ ચિત્રો જોયાં પછી એવું લાગે છે કે આપણે સૌએ ગાંધીજી વિશે જાણવું જોઈએ. દક્ષિણ આફ્રિકામાં આ ચિત્રપ્રદર્શન જે જગ્યાએ ગોઠવાયું હતું, ત્યાં કામ કરતી એક પ્રાશાસનિક મહિલાએ કહ્યું કે - “અહીં અમારે ત્યાં આયોજિત થયેલાં મોટાં મોટાં પ્રદર્શનો મેં જોયાં છે. પણ તમારું આ ચિત્રપ્રદર્શન કંઈક અલગ જ પ્રકારનું છે. મને અહીં શાંતિ મળે છે.” એ બહેન કલાકો સુધી ત્યાં બેસી રહેતાં હતાં. આ ચિત્રો પર કામ કરતાં પહેલાં મેં યંગ ઈન્ડિયા, હરિજનબંધુ, સત્યના પ્રયોગો વગેરે ઘણું બધું વાચ્યું હતું. એમાંથી સતત શોધ્યા કરતો હતો કે હું શું કરી શકું. સૌ પ્રથમ મારું ધ્યાન હાથકાગળ તરફ ગયું. મેં હાથે બનાવેલા કાગળને આધાર બનાવ્યો. હાથકાગળ પર જેટલું કામ કરી શકાય તેટલું કરવાનો પ્રયત્ન કર્યો. અને કોલાજ જેને હું રૂપ-ગોઠ કહેવાનું પસંદ કરું છું. જેવાં કેટલાંક કામો કર્યાં. વધુ સારું તો એ જ થાય જો હું પોતે જ હાથકાગળ બનાવી શકાત. અમદાવાદમાં એક સરસ જગ્યા છે, જેની શરૂઆત ગાંધીજીએ જ કરાવેલી. ત્યાં હાથકાગળ બને છે. નામ છે - કલમખુશ. એના નામ મુજબ અહીંના કાગળો પણ એવા જ હોય છે કે લખનારા ખુશખુશ થઈ જાય. કલાકારો કેવા કાગળો બનાવે તેમાં પણ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. ઘણી વાર એમ થાય છે કે માત્ર કાગળ પર જુદી જુદી રીતે કાગળો ચોંટાડીને પણ રચના કરવી જોઈએ. જુદી જુદી રચના-સામગ્રીનો ઉપયોગ કરીને પણ એક સારું પ્રદર્શન તૈયાર કરી શકાય. આપણી પરંપરામાં આપણી આસપાસની સહજસુલભ રચના સામગ્રીનો જે રીતે કલાના ક્ષેત્રમાં ઉપયોગ થયો છે તે મને ખૂબ ગમે છે. એક તરફ મારી ભીતર પોતાના રૂપને માટેની શોધ અને રૂપની અંદરના સ્ત્રોતની શક્તિ અને બીજી બાજુ નવી સાધનસામગ્રીની તલાશ/આવિષ્કાર હું મારે માટે શોધવાનો પ્રત્યન કર્યા કરું છું. વિષય જેમ કે ગાંધી અથવા કાવ્ય અને મારું રચનાત્મક સામર્થ્ય આ બધું સાથે સાથે ચાલે છે. સૌપ્રથમ તો મેં મારા આત્મામાં ગાધીજીને પુનઃજાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો. ખરેખર તો આ ચિત્રો બનાવતી વખતે મારા મનમાં કોલાજ કે બીજો કોઈ શબ્દ નહોતો. પણ મારી પસંદ કરેલી રચનાસામગ્રી સાથે પોતાના સંબંધોનું ઊંડાણ ખોળવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો - બીજી બીજી વસ્તુઓ ઉપરાંત. રચના સામગ્રીની બાબતમાં હું ખૂબ જ સજાગ હતો. મને થયું કે માટીનો ઉપયોગ કરવો જોઈએ. મેં માટીનો ઉપયોગ કર્યો. લીમડાની ડાળીનો ઉપયોગ પણ કર્યો. થોડાંક સૂકાં પાંદડાં, ધુમાડો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ પણ કર્યો. મારા આ કાગળ-કોલાજ બનાવતી વખતે મારે માટે એ એક નવો જ અનભવ હતો. અને તે એ કે કેવળ કાગળમાત્રની સાથે રમવું, કામ કરવું, એને ઓળખવું - તે અનુભવોનો અત્યાર સુધીના કેટલાય આયામોને પ્રત્યક્ષ કરે છે. કેટલી ઊંડી અનુભૂતિઓથી એ વ્યાપ્ત છે. કેટકેટલી રીતના ચક્ષુબોધથી ભરેલું. જાણે કે એક જુદા જ સૌન્દર્યશાસ્ત્રને જન્મ આપી રહ્યા છે. આ કોલાજ દ્વારા એક જુદા જ પ્રકારની દૃશ્ય-શૈલી અને ચિત્રાત્મક સ્વરૂપ પણ આપોઆપ વિકસિત થતાં ગયાં. એ તરફ જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે બહુજ વિનમ્રતાથી એમ કહીશ કે કદાચ એ સાર્થક અને મૌલિક છે - મારા પોતાના ચિત્રકામનાં લેખાંજોખાંના અનુસંધાનમાં પણ. એક કલા વિવેચકની દૃષ્ટિએ એ કેટલું ખરું સાબિત થાય છે તે હું નહિ કહી શકું. તે મારો વિષય પણ નથી. હા, એ સાચું છે કે ગાંધીજી પર કેન્દ્રિત મારા ચિત્રો બનાવતી વખતે મારા મનમાં અનેક પ્રકારની ગડમથલ ચાલ્યા કરતી હતી. મન પર દબાણ પણ હતું. હું દરેક વખતે વિષયવસ્તુને ચાતરીને બહાર ચાલ્યો જતો હતો. આજે પણ મને લાગે છે કે એ ચિત્રોમાં ક્યાંક રાખેલું કોઈ બિંદુ કદાચ સત્ય કે અહિંસાની વ્યંજનામાં આવી જતું હોય. તે પછી મેં આ જ શ્રેણીના કેટલાંક ચિત્રોમાં જુદાં રેખાંકનો પણ કર્યાં છે. જેમ કે ક્યાંક હાથ બનાવવા કે ક્યાંક પગ બનાવવા કે એવુંજ કંઈક. તે એટલા માટે નહિ કે મારી અંદર આ પહેલા દશકાઓ સુધી બનાવેલાં આકૃતિમૂલક ચિત્રોના સંસ્કારોનો મોહ રહ્યો હોય અથવા મારો આગ્રહ બધું કહી દેવાની સ્પષ્ટતાની ઉપરછલ્લી વાચાળતા તરફ રહ્યો હોય. પણ એટલા માટે કે આ ચિત્રોમાં આ જ રૂપાકૃતિઓ ઉજાગર થવાની હતી. આ ચિત્રોમાં આવતી રેખાઓ માત્ર રેખાંકન સિદ્ધ કરવાના રૂઢ આશયોથી એક રૂપાકૃતિને ઉજાગર કરવા માટે આવતી હોય એવું નથી. એ માત્ર પેન અને પેન્સિલથી જ નહિ પણ કેટલીય રીતે અને કેટલાંય માધ્યમો દ્વારા પણ આવે છે. ડાળીથી કે દોરાથી કે ખુદ કાગળ માત્રમાંથી પણ. મારી આ પ્રયોગધર્મી રમતમાં મેં એ પણ જાણી લીધું કે સ્વયં અમૂર્તનું પોતાનું વિષયવસ્તુ પણ હોય છે. પોતાના યથાર્થો પણ હોય છે. જેનો ગાઢ સંબંધ એની સાથે છે જેને આપણે આકૃતિમૂલક-figurative શબ્દથી ઓળખીએ છીએ. અને તેમાંથી પણ એ પોતાનો તાત્ત્વિક આધાર મેળવી લે છે. ખરેખર તો એક ચિત્રને મૂર્ત-અમૂર્ત સ્થૂળ રીતે િવભાજીત કરીને જોવું તે પણ મને અપૂરતું લાગે છે. એકદમ સાદો સફેદ કાગળ કે અન્ય સાદી સામાન્ય સાધનસામગ્રીને મારા હાથકાગળ કોલાજનો આધાર બનાવવાની પાછળ આ ભાવ પણ ક્યાંક કામ કરી રહ્યો હતો કે આ વસ્તુઓ ગાંધીજીના જીવનકાર્યની સાથે કે એમની ભાવનાઓની સાથે વધુ સુસંગત રહેશે. મારે માટે એ એમના સ્વધર્મના પ્રતીકરૂપે પણ છે. આ કોલાજોમાં એક રંગ તરીકે સફેદ હોવો જોઈએ એવું પણ લાગ્યા કર્યું. મને એમ થયું કે એ ગાંધીસંવેદનાની વધુ નજીક જવા જેવું થશે. એ રીતે મેં સફેદનો આધાર લઈને કંઈક કરવાનો વિચાર કર્યો. કચ્છની સફેદ માટી અને ત્યાંના લોકો દ્વારા એનો જુદી જુદી રીતે થતો ઉપયોગ મને ખૂબ જ આકર્ષે છે. માટીનો સફેદ રંગ મને ધરતી સાથે જોડાયેલો પણ લાગે છે. ઘણીવાર મને લલચાઈ જાય છે. વ્યાકુળ થઈ જાય છે. એમ થાય છે કે સફેદ ઘર હોય, સફેદ સાડી હોય અને અંદરની સજાવટ પણ સફેદ હોય. બધું જ સફેદ હોય. બે સફેદ ફૂલ મને ખૂબ જ ગમે છે. મોગરાંના ફૂલ અને મધુકામિનીનાં ફૂલ. બંને ફૂલોની સફેદી અને એનાં પાંદડા મને ખૂબ જ સુંદર લાગે છે, એનો સ્પર્શ સંમોહિત કરી દે છે. કોઈ સારી વસ્તુનો તમે સ્પર્શ નથી કરી શકતા... મધુકામિની એવી છે કે સ્પર્શમાત્રથી એ ખરાબ થઈ જશે એવું લાગ્યા કરે. તમે માત્ર એને અડો એટલે જ એની પાંખડીઓ નીચે ખરી પડશે. પડી જશે. જ્યારે એની સુગંધ આવે છે અને આપણે એની નજીક જઈને જોઈએ છીએ ત્યારે ખબર પડે છે એ તારાની જેમ ખીલ્યાં હતાં. સફેદ રંગની સાથેસાથે મને બીજી અનેક વસ્તુઓ યાદ આવે છે. ચંદ્ર, દૂધ, દોરા, કાગળ, સફેદ માટી વગેરે. સફેદની અંદર સફેદના કેટલાક રંગો અને એની રંગ આભાઓ જોવામાં મને મજા પડે છે. કાચની સફેદી પણ સારી લાગે છે. પણ ટ્યૂબલાઈટની સફેદી એટલી ગમતી નથી. કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં લોકો પરંપરાગત રીતે સફેદ માટીની ભીંતો બનાવે છે. અને તેમાં કાચ જડે છે. આ રચના મને વિસ્મયથી ભરી દે છે. ત્યાંની સ્ત્રીઓ જ્યારે ભીંત પર કાચ એટલે આભલાં જડે છે ત્યારે જાણે આત્મા ન મૂકી દીધો હોય એવું લાગે છે. મારામાં દેવદર્શનની જે ઉત્કંઠા છે તે અહીં જ ક્યાંક હશે. મારાં ચિત્રોમાં સફેદ રંગ આવે છે તેનું આ પણ એક કારણ હોઈ શકે છે. સફેદ માટીની ભીંત પર કાચ સાફ કરીને સ્ત્રીઓ જે રૂપને ઓપ આપે છે તેમાં મને એક પ્રકારનો વિસ્મય અને રહસ્યદર્શનનો પ્રવેશ થતો હોય એવું લાગે છે. ખાદીમાં જે ઓફવાઈટ જેવી દેશી સફેદ - ખાદી હોય છે તે પણ મને ખૂબ ગમે છે. મારી યુવાનીના દિવસોમાં હું રેટિંયો કાંતતો જ હતો. ૨૫ કે ૩૦ આંકનું સૂતર હું કાંતતો હતો. આંધ્ર પ્રદેશની ખાદી ખૂબ જ ઝીણી આવતી હતી. એ લગભગ ૮૦ આંકના સૂતરમાંથી બનતી હતી. જાડી ખાદી ૫-૧૦ આંકના સૂતરમાંથી બનતી હતી. આ રીતે સૌપ્રથમ સફેદ પર સફેદનો વિચાર મારા મનમાં આવ્યો. એને કાગળ પર અજમાવીને જોયું. ઉત્સાહ વધ્યો. હું એને બનાવવા લાગ્યો. સફેદ હાથકાગળમાં બે વસ્તુ છે. એક સફેદીની જુદી જુદી ઝાંય. બીજું, પોત. આ પોત મને ગાંધીની નજીક જણાયું. આમ તો મેં જુદા જુદા રંગોના કાગળો લીધા હતા. સફેદની જુદી જુદી ઝાંયવાળા પણ - ધંૂંધળા અને પારદર્શી, બંને લીધા. એને બનાવવાની પ્રક્રિયામાં જુદાં જુદાં કૌશલ્યો સામે આવ્યાં. જેમાંથી એકમાં આકારોની શોધમાં મેં કાગળોના ભાગ કરવા, (ફાડવું) કાપવું, ટુકડા કરવાનું શરૂ કર્યું. ભાગ કરવાથી એક સુંદર કિનારી પણ મળે છે. ભાગ કરેલા રૂપમાં એક સ્વરૂપ જોવા મળે છે. કાગળના ભાગ કરવાનો, ફાડવાનો આનંદ જુદો જ છે અને કાપવાનો આનંદ જુદો છે. મેં બંનેનો ઉપયોગ કર્યો છે. આના અનુસંધાનમાં એક બીજું ઊંડું પાસું પણ છે. જેના તરફ જોઈએ તેટલું ધ્યાન નથી અપાતું. તે છે કાગળના ભાગ કરવાથી પ્રત્યક્ષ થયેલાં એનાં બે પાસાં - positive અને negative. કાગળના ભાગ કરવાથી બે spaces - જગ્યા એમાં મળે છે. બે પ્રકારની જગ્યા બને છે. એક છે positive - જે ભાગ કરશું તે ટુકડો. અને જ્યાંથી ભાગ કરવામાં આવ્યો ત્યાં જે જગ્યા બની તે હશે negative. રૂપ - ફોર્મને આધારે એને ફલક પર મૂકું છું. ઘણું બધું કહે છે એ. કાગળની ઉપર કાગળ રાખવાથી સપાટીને રિલીફ જેવો નવો આયામ મળે છે. એ ઉપર ઊઠે છે. આપણે જાઈએ છીએ કલામાં આ એક મોટી ટેકનિક અને શૈલી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે - વિકાસ પામ્યું છે. આ રિલીફ અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. પથ્થર માટી કે અન્ય રચનાસામગ્રીમાં. કાગળ પર કાગળ ચોંટાડવાથી, મૂકવાથી એને રિલીફનો ગુણધર્મ મળી જાય છે. ગાંધીજીને મેં પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ શ્રેણી - “નૂર ગાંધીનું : મારી નજરે” માટે પ્રસંગો તો ઘણા હતા. આઝાદીના, આશ્રમના, રચનાત્મક કાર્યક્રમના. ગાંધીજીનું એક વાક્ય છે - ધ સુપ્રિમ કન્સીડરેશન ઈઝ મેન. ‘-સાબાર ઉપર માનુષ સત..’ ‘નહીં માનવીથી અદકેરું કોઈ...’ આ વાક્યને કેન્દ્રમાં રાખીને પણ મેં એક કોલાજ બનાવ્યું હતું. એ મને મારા આત્માની વધુ નજીક લાગે છે. આ વાક્ય મારે માટે અંધકાર અને પ્રકાશ સાથે જોડાયેલું છે.

(માનુષઃ હકુ શાહ : આલેખન : પીયૂષ દઈયા
અનુવાદ : મોહન દાંડીકર)



Sanchayan 08-23-11.jpg

વાર્તા

॥ વાર્તા ॥


Sanchayan 08-23-12.jpg


ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ
~ રઘુવીર ચૌધરી

કૅબિનના બારણા પર કોઈક હળવો હાથ મુકાયો હોય એમ લાગ્યું. પછી તો સરખી માત્રાના બે ટકોરા પણ સંભળાયા. પત્ર આગલી ક્ષણે જ વંચાઈ ચૂક્યો હતો. સ્મૃતિમાંથી વહી આવેલી ફોરમને પાછી પત્રમાં વીંટી લેવાની હોય એવી લાગણી થઈ. કંઈક સાવચેત થવાનુંય સૂઝ્યું અને પત્ર વાળી પેપરવેટ ઉપાડતાં બારણા બહાર ઊભેલી વ્યક્તિને મેં કહ્યું: ‘એક મિનિટ.’ અને પ્રવેશ અટકી ગયો. મને નવાઈ લાગી. હું કેમ ના પાડી બેઠો? એક મિનિટ રોકાવા કહ્યું એટલે આગંતુકે ઇચ્છેલી ક્ષણે તો મેં ઇન્કાર જ કર્યો ને ! સહુ જાણે કે હું કામમાં હોઉં તોપણ ગમે તે વ્યક્તિને આ કૅબિનમાં આવવાની છૂટ છે. એથી મારું કામ કદી બગડ્યું નથી. અને વખત બગડ્યો હોય એમ કહેવું એટલે તો વખત પર માલિકીહક દાખવવો. આ જરા ઝીણી વાત છે ને ઓફિસના માણસોને એની સાથે નિસબત નથી. એ લોકો સૌ જુએ છે ને સમજે છે કે બીજી વ્યક્તિ સાથે અંદર કામની વાત થઈ રહી હોય તો બહાર રોકાવું. કોઈને અટકાવવામાં આવે એ મને નાપસંદ છે એ બધા પટાવાળા જાણે છે. આપણે કામમાં તો હોઈએ પણ એનો દેખાવ થાય એ રુચતું નથી. તાકીદના કામનો ખ્યાલ તો મહેમાનનેય આવી જાય છે. એમની ઉદારતાનો મને અનુભવ છે. બીજી બાજુ મારો સ્વભાવ પણ મળતાવડો ગણાય છે. કોઈકે હમણાં જ કહ્યું કે માનસશાસ્ત્ર ભણીને હું એમાંથી શીખવા જોગું શીખ્યો છું પણ મને ખબર છે કે બાળપણથી જ માણસભૂખ્યો છું. તેથી તો વિના કારણે ય લોકો મળવાનું પસંદ કરે છે. ઓશિંગણ છું એમનો. માણસને મળતાં જાગેલી લાગણી જ પછી આપણા એકાંતને અજવાળે છે. એક વાર મેં જાહેરમાં કહેલું: વિચારનો પ્રકાશ ક્યારેક આંખને આંજી નાખે છે. ત્યારે લાગણી હોય તો નજરને અમી વળે. જગ રૂપાળું લાગે. વિચારમાં ને વિચારમાં મેં પાછો પત્ર ઉપાડ્યો. ખોલ્યો વિજ્યા સ્વદેશ આવી હતી. બે જૂનાં સરનામાં પાર કરીને એનો પત્ર મારા સુધી આવી શક્યો હતો. ટપાલખાતાએ સારી કાળજી લીધી હતી. આભાર માનવાનું મન થાય. પત્ર લખવામાં થોડીક આળસ છે. નહીં તો આ કામગીરીની આ ક્ષણે જ કદર કરી હોત. વળી પાછો ખ્યાલ આવ્યો કે હમણાં કોઈક અંદર આવતાં આવતાં અટકી ગયું છે. ખ્યાલ તીવ્ર બન્યો અને સ્થિતિજડતા અનુભવાઈ. આ ઠીક ન થયું. કોઈ દિવસ નહીં ને આજે મેં શા માટે આમ કર્યું? એમ કોઈને રોકવાની શી જરૂર હતી? આવીને બેસત. મારા હાથમાં પત્ર હતો તેથી શું થયું? એક વાર તો વાંચી ચૂક્યો હતો. અને પત્ર વિજ્યાનો છેકે વિજયનો એવી આવીને સામે બેસનારને શી ખબર પડત? પડે તો પણ શું? આમાં છુપાવવા જેવું શું હતું? એક વ્યક્તિ સ્વદેશ આવી છે. થોડાક દિવસ રોકાવાની છે. એ દરમિયાન આકાશપાતળ એક કરીનેય મને મળવાની છે. એવું બધું લખ્યું છે. બીજું લખવાનું હોય પણ શું? વિજ્યા એક સુશીલ અને સુંદર યુવતી છે. ત્યારે તો હતી જ. એક વર્ષ મેં એને ટ્યુશન આપેલું અને બદલામાં કશું લીધેલું નહીં. કહેલું : જરૂર પડશે માગી લઈશ. શું માગીશ એ વિશે કશું કહેલું નહીં. વિચારેલું પણ નહીં. પછી તો બધુ ભૂલી ગયેલો. હા, એકવાર એ યાદ આવેલી. એ માટે એક પ્રસંગ ઊભો થયેલો. મારા મિત્રની દીકરી એક સાવ અજાણ્યા છોકરાના પ્રેમમાં પડેલી. મિત્ર ગભરાઈ ગયેલા. એમની વાત સાંભળીને વિજ્યા મને યાદ આવેલી, દાખલા તરીકે, એનો દાખલો આપવાથી મિત્રને મોટું આશ્વાસન મળેલું. બસ, પછી એ ખાસ યાદ આવી ન હતી, સ્વપ્નની વાત જુદી છે. આજે ઓશિંગણ થવાનો ભાવ જાગ્યો છે. એ છોકરીએ - વિજ્યાએ મને એના અંગત જીવનની વાતો કરેલી. મારામાં વિશ્વાસ મૂકેલો. એ કંઈ જેવી તેવી કદર ન કહેવાય. જીવનમાં આથી વધુ શું જોઈએ? એક વ્યક્તિ એના અંગત જીવનનું સત્ય અાપણા એકાંતમાં પ્રગટ કરે અને આપણે એ સત્યને હૃદયના કોઈક ખૂણે ગોપવી શકીએ એથી વધુ જોઈએ શું? જોકે હું મારા તરફથી એમાં નિષ્ફળ ગયો હતો. વિજ્યાની વાતનો દાખલો બનાવી દઈને મેં એ આણ તોડી હતી. ખેર... મારા માટે એ આવશ્યક ન હતું. હું ઘણું બધું છુપાવી શકું એમ છું. ક્યારેક મારી જાત સામે પણ અપ્રગટ રહી શક્યો છું. જીવનમાં એવા એક-બે પ્રસંગો તો છે જ, જેમનો અર્થ સમજવામાં મેં સારું એવું મોડું કર્યું હોય. તે વખતે તો હું એમ જ માનતો રહ્યો કે આ તો રીતભાત કહેવાય, નજીકનો સંપર્ક કહેવાય, વયસહજ મૈત્રી કહેવાય - બસ, એથી કશું આગળ માનવાની મારી તૈયારી ન હતી. કદાચ હિમ્મત ન હતી. આજે લાગે છે કે માણસમાં ખોટા પડવાની પણ હિમ્મત હોય તો જ એ સત્ય સુધી જઈ શકે. અને પ્રેમનું સત્ય તો સર્વ સત્યોમાં સવિશેષ રહસ્યમય. હવામાં રહેલી ફોરમ સમું. અદૃશ્ય. આ ફોરમ કયા ફૂલની એ જાણવા ક્યારેક દૂર સુધી જવું પડે; ક્યારેક ધૃષ્ટ થઈ પૂછવું પડે, તો ક્યારેક રૂપના મૌનમાં ઊંડે ડૂબકી લગાવવી પડે. રવીન્દ્રનાથે ક્યાં કહ્યું નથી? - ‘રૂપ સાગરે ડૂબ દેયેછિ અરૂપરતન આશા કરિ.’ અરૂપ-રતનને પામવા રૂપસાગરમાં ડૂબકી લગાવવાનું હું ચૂક્યો છું, હું તો એટલું માનીને જ અટકેલો કે પ્રેમ અરૂપ છે. અરૂપનો મહિમા કરવાની ક્ષણે જ એનાથી વિમુખ રહી ગયો. પછી તો... પાંચેક મિનિટ થઈ ગઈ. આવનાર પાછું તો જતું રહ્યું નહીં હોય ને? મેં તો એક જ મિનિટ રોકાવા કહેલું. પછી? અત્યારે તો કશો અણસાર પણ નથી. હું બહાર નિકળ્યો. કોઈ દેખાયું નહીં. ટેલિફોન ઓપરેટર બહેન કોઈની સાથે વાત કરતાં લાગ્યા. વચ્ચે પાર્ટિશન હતું. સામાન્ય રીતે હું એ બાજુ જતો નથી. કેમકે આંટા લગાવવાથી અસર પડતી હોય એવું માનતો નથી. વિશ્વાસથી વધુ સારું ચાલે છે. આજે એ બાજુ જાઉં એનો અર્થ એવો તો નહીં થાય ને કે હું તપાસ કે દેખરેખ માટે નીકળ્યો છું? સંકોચ સાથે હું પાર્ટિશન પાર કરીને એ બાજુ ગયો જ. અરે! - ઉદ્ગાર માંડ માંડ દબાવી રાખ્યો. એ વિજ્યા જ હતી. ઘેરું ચમકતું ઓલીવ ગ્રીન પેન્ટ અને સફેદ રેશમી કૂરતું. ઘાટીલાં અંગોને અનુરૂપ કપડાં. વિજ્યા ઊભી હતી, મારી બાજુથી કંઈક ત્રાંસી લાગે એ રીતે : એ પીઠ પર નજર પડતાં જ ઓળખ તાજી થઈ ગઈ. એણે કદાચ મારો પદરવ સાંભળ્યો હશે. સહેજ નજર કરી. વાળી લીધી. મને એનો ચહેરો પહેલાં કરતાં પણ વધુ ચમકતો લાગ્યો. સૌંદર્ય સાથે શીતળતા હતી. એને આ ક્ષણની પ્રસન્નતા પણ કહી શકાય. એક વાર એ મને મળવા આવેલી ત્યારે પહેલી નજરે થયેલું : એનાં અંગો પર વરતાય છે એને રૂપની ખુમારી કહેવાય કે યૌવનની તાજગી? આજે એવું કશુંક હું અનુભવી રહ્યો હતો ત્યાં વળી પ્રશ્ન થયો: શું એણે જાણી જોઈને મારી સાથે નજર મળવા ન દીધી? આત્મીયતા ઘટી કે એણે દેખાવ કર્યો? ના. એ દેખાવ તો ન જ કરે, તો શું એણે મને ઓળખ્યો નહીં હોય કે પછી એને આમ બહાર ઊભી રાખી એથી ખોટું લાગ્યું હશે ? કશું સમજી ન શકવાને લીધે મને રંજ થયો, કદાચ તેથી જ અવાજમાં ઉમળકો ન આવ્યો. આ સાવ ઔપચારિક લાગે એ રીતે હું બોલ્યોઃ ‘કોણ વિજ્યા!’ સામેથી પણ એવો જ શાન્ત બલ્કે ઠંડો અવાજ, પણ સહેજ મધુર: ‘હા કેમ છો? મજામાં?’ ‘હા, તમે? ચાલો, બેસીએ.’ ‘આમની સાથે વાત પૂરી કરી લઉં. અને તમે કામમાં હો તો પછી આવું.’ ‘મને ખબર ન હતી કે તમે છો. ખોટું લાગ્યું કે શું?’ ‘કયા અધિકારે?’ ટેલિફોન ઓપરેટર બહેન મલકાયાં, નિર્દોષ રીતે. નજર મળતાં વિજ્યાએ પણ નમણું સ્મિત કર્યું. ખુશીનું વાતાવરણ રચવા લાગ્યું પણ મને ચાતુરીભર્યો જવાબ સૂઝ્યો નહીં. કદાચ હું એના પ્રશ્નમાં ઊંડો ઊતરી ગયો હતો, હું ખેંચાયો હતો. આ એક આશ્વાસન પણ હતું. ચાલો, કોઈક તો આ રીતે પૂછનાર મળ્યું. એક વાર કર્મચારીઓની હડતાલ ચાલે, ઓફિસમાં હું એકલો. કશું ચેન ન પડે. તે દિવસ થયેલી એવી જ ખાલીપાની લાગણી આજે થઈ. ભલે વિજ્યા નિરાંતે આવે. મન મનાવવા કામ શોધ્યું, પણ એથી અજંપો ઘટ્યો નહીં. ટેબલ પર વિજ્યાનો પત્ર વાળેલો પડ્યો હતો, એ પણ જાણે પીઠ ફેરવી ગયેલો લાગ્યો. જગત સાથેના બધા જ સંપર્કો કપાઈ ગયા છે એવું મારા એક મિત્રે એના મુૃત્યુના થોડા દિવસ અગાઉ નોંધેલું. એની લાગણી તે ક્ષણે કેવી ઉત્કટ અને તીવ્ર હશે? એનો ખ્યાલ આજે આવ્યો. અલબત્ત, એની કક્ષાએ કશું અનુભવવા માટે મારી પાસે કારણ ન હતું, એટલે કે જાહેરમાં એકરાર કરી શકાય એવું કશું કારણ ન હતું, બાકી - ત્યાં બારણે ટકોરા સંભળાયા. વિજ્યા તો વાત પૂરી કરીને એટલી વારમાં ક્યાંથી આવી જાય? બીજું કોઈ હશે એમ માનીને જ મેં આવકાર આપ્યો. પણ આગળ આવેલા હાથે જ એનો પરિચય આપી દીધો. એ પૂરેપૂરી અંદર આવે એ પહેલાં અજાણ્યા અત્તરની શાંત સુવાસ ફેલાઈ ગઈ. લાંબો શ્વાસ લઈ, સવિનય આંખો ઢાળી મેં એને બેસવા કહ્યું. તે જ ક્ષણે એની સામે જોઈ શકાયું નહી. જાણે આવકાર અધૂરો રહી ગયો. પણ શું થાય? આંખોના ખૂણાં ભીના થઈ જશે એવી શંકા ગઈ હતી, બલ્કે બીક લાગી હતી. એવું થાય તો વિજ્યા શું ધારે? જેને આદરણીય પુરુષ માનતી હોય એને આમ લાગણીવેડામાં ફસાતો જોઈને આ પરદેશમાં રહી આવેલી યુવતી શું ધારે? ‘શું લેશો?’ મેં પૂછ્યું ત્યારેય એની સામે જોયા વિના જ. ‘તમારો થોડોક સમય - એક મિનિટ!’ અને કહેતાં કહેતાં એ હસી પડી. મારો ભાર ઊતરી ગયો. એના હાસ્યથી વાતાવરણ ખીલી ઊઠ્યું એ વધારામાં. એ આગળ બોલી: ‘મને એમ કે તમે મને તુરત ઓળખી નહીં શકો.’ ‘ઓહો! ત્યારે મારી કસોટી કરવા જ તમે નજર પાછી ફેરવી લીધી હતી!’ ‘તમે બધું જ સમજી જાઓ છો!’ જાણે પ્રશંસા કરવાને બદલે એણે મને ઠપકો આપ્યો ન હોય! ‘કોણ જાણે -’ પણ વિજ્યાએ મને આગળ બોલવા ન દીધો. ‘તમારા માટે આ પુસ્તક ભેટ લાવી છું. માનસશાસ્ત્રનું છે. વાંચીને આનંદ થશે.’ ‘મને સમજાશે?’ ‘મને સમજાયું છે, પછી - ’ ‘એવું નથી વિજ્યા, તમને સમજાયું હોય એ બધું મને ન પણ સમજાય.’ ‘કેવી વાત કરો છો! તમે તો મને ઘણું સમજાવ્યું છે.’ ‘એમ જોઈએ.’ મેં એ ભેટનો સ્વીકાર કરવાના વિવેક ખાતર એનું પાનું ઉઘાડ્યું. એક-બે વાક્ય વાંચ્યાં ત્યાં તો અક્ષરો પડદો હોય એમ ખસી ગયા અને વિજ્યાનો ભૂતકાળ એનાં રૂપરંગ લઈને પ્રગટ થઈ ઊઠ્યો. એક દિવસ એ એક મૂંઝવણ લઈને આવી હતી પણ એની આકૃતિ પર બેચેનીની કશી ઝાંખપ વરતાતી ન હતી. થોડા સંકોચ પછી તો એણે સડસડાટ આખી વાત કહી દીધી. ટૂંકમાં એનાં માબાપે એના માટે એક મુરતિયો શોધ્યો હતો. એની સામે વિજ્યાને કશું કહેવાપણું ન હતું, પણ એને એવો એક ખ્યાલ હતો કે પોતે એક બીજી વ્યક્તિને ચાહે છે. એનાં માબાપ કંઈ જડ ન હતાં. એને વિકલ્પ શોધવાની છૂટ આપવા તૈયાર હતાં. પણ વિજ્યાને હજી ખાતરી ન હતી કે પોતે જેને ચાહે છે એ વ્યક્તિ સામેથી એને ચાહે છે કે નહીં. એટલે કે એ વ્યક્તિ માત્ર વિજ્યાને જ ચાહે છે કે નહીં. એનો સ્વભાવ પણ આમ મળતાવડો હતો. બીજી છોકરીઓ સાથે પણ એ એટલા જ વિવેકથી બલ્કે રસથી વાત કરતો. અલબત્ત, એમાં એની કશી સ્પૃહા દેખાતી નહીં. આ બધું ગંભીરતાથી સાંભળી લઈને મેં વિજ્યાને સલાહ આપેલી : ‘તું એને જ પૂછી લે ને!’ ‘એને પૂછું અને એ કહે કે ‘ના, એવું તો કંઈ નથી. તમને હું નથી જ ચાહતો, તો?’ મેં થોડી વાર મૂંગા રહીને, વિચાર કરવાનો સમય એમ જ વિતાવ્યા પછી. માત્ર વિજ્યાને એક નજર જોઈ લઈને જ કહેલું : ‘ના, એવું તો કોઈ ન કહે.’ વિજ્યા પાસે જવાબ તૈયાર હતો. આ અંગે એ ઘણું ઘણું વિચાર્યા પછી જ સલાહ લેવા આવી હતી. ‘એ તો વળી વધુ ખરાબ. પ્રેમના અભાવે પણ એ મને હા પાડે તો તે -’ વિજ્યાની વાત કેમે કરીનેય મારે ગળે ઊતરે એમ ન હતી. મેં તો જાણે કે ઊંડી પ્રતીતિથી કહેલું : ‘જેને વિજ્યા ચાહતી હોય એ વિજ્યાને ન ચાહે એવું તો એના હવે પછીના અવતારમાંય બનવાનું નથી, શક્ય તો એ છે વિજ્યા કે તું જેને ન ચાહતી હોય એ પણ -’ ‘એની સાથે મારે શી નિસબત?’ હકીકતમાં તો હવે હું મૂંઝાયો હતો. ઉકેલ ન સૂઝતાં કોઈ મુરબ્બી સલાહ આપે એ ભાવથી કહી બેઠેલો : ‘બસ તો. માબાપે શોધેલા મુરતિયાને પસંદ કરી લે. તું એને ઓળખે તો છે ને!’ ‘વર્ષોથી ઓળખું છું. તેથી તો એ ચાહવા માટે જોઈએ એટલો અજાણ્યો નથી લાગતો.’ ‘આવી ઝીણી વાતો મને નહીં સમજાય. હું તો એવા નિર્ણય પર આવ્યો છું કે લગ્ન પછી પ્રેમ શક્ય છે.’ ‘કોની સાથે?’ - વિજ્યાએ આશંકાથી પૂછેલું કે રમૂજથી એ મને અત્યારે યાદ આવતું નથી પણ એના અવાજનો રણકો કંઈક જુદો જો હતો જ. જ્યારે મારો જવાબ તો પહેલાંથી તૈયાર હતો : ‘જેની સાથે લગ્ન થાય એની સાથે.’ એના પાછા જવાના સમય પછી પણ એ જે રીતે બેસી રહેલી એ પરથી મને લાગેલું કે એને મારા જવાબથી સહેજે સંતોષ થયો નથી. મને હતું કે થોડા દિવસ પછી એ ફરીથી સલાહ લેવા આવશે. પણ એને બદલે જાણવા મળ્યું કે એની મૂંઝવણ દૂર થઈ ગઈ છે. એણે માબાપે પસંદ કરેલા મુરતિયા સાથે લગ્ન માટે સંમતિ આપી દીધી છે. પછી અમારે મળવાનું થયું એમાં કશું નોંધપાત્ર નથી. એક સાદા વળાંક વિનાના ઇતિહાસની વિગતો જ છે. એ બંને થોડા વખત પછી પરદેશ ગયેલાં સુખી થયેલાં. હાસ્તો, સુખી હશે જ. વિજ્યા તો છે જ. આ ક્ષણે તો સામે જ બેઠી છે. મનથી સુખી ન હોય તો આટલી સુંદર દેખાય ખરી? પુસ્તક મમતાથી વાળીને, એ બદલ આભાર માની મેં પૂછ્યું : ‘કેટલા દિવસ રોકાવાનાં છો?’ ‘કાલે જ જાઉં છું.’ ‘બસ?’ વિજ્યા આમ પાછી પરદેશ જતી રહે એ અંગે મારે કશો ભાવ પ્રગટ કરવાનો હોય નહિં. છતાં મને એની ખોટ સાલવાની હોય એવું વર્તન થઈ ગયું. હું મૂંગો રહ્યો હોત તોય અનુભવ્યું તો હતું જ કે વરદાન મળ્યું તે જ ક્ષણે પાછું ખેંચાઈ ગયું છે. એના જમણા હાથના હલનચલનથી મને થયું કે એ કંઈક દ્વિધામાં છે. એની સામે જોયું. એ માત્ર મને જ સંભળાય એવા ધીમા અને એથી વધુર મધુર બનેલા અવાજમાં બોલી : ‘એક પ્રશ્ન થયો છે, પૂછું?’ ‘ઉત્તર મારી પાસે ન પણ હોય એમ માનીને પૂછો.’ ‘હું તમને મળવા આવી ન હોત તો મને મળવાનો પ્રયત્ન કરત?’ ‘જુઓ આ પત્ર તમારો જ છે ને ! કેવો સાચવી રાખ્યો છે? શા માટે? છેવટે વિદાયની ક્ષણેય તમને પહોંચી તો જાત જ.’ ‘સાચે જ?’ આશ્ચર્ય કરતાં તો એ અમીભરી નજરે તાકી જ રહી. હું એની અને એના પત્રની સામે વારાફરતી જોતો રહ્યો, એ આગળ બોલી ત્યાં સુધી. ‘મને બહુ સારું લાગે છે આજે. સાચે જ, બહુ સારું લાગે છે. કોઈકને હું આમ યાદ રહી હોઉં, વર્ષો પછી પણ...’ ક્ષણાર્ધના મૌન પછી કૃતાજ્ઞતાને ચિંતાભર્યા અવાજમાં સાચવી રાખવાના પ્રયત્ન સાથે એણે પૂછ્યું :‘પણ લગ્ન પછી મને કોઈક યાદ આવે એ સારું કહેવાય?’ એ તો જીવનનું આપણા પરનું છૂપું અહેસાન છે વિજ્યા, લાગણીની વિમળતા જ સારપનું પ્રમાણ છે. આ સહજ રીતે જ સૂઝેલો જવાબ હતો, પણ એ મનોમન બોલાઈ ગયો. એને કહેવાની જરૂર ન રહી. વળી, મારે પણ એને કંઈક પૂછવાનું હતું. તેથી હું એટલું જ બોલ્યો : ‘એનો જવાબ તમારી પાસે છે જ. હવે એક બાબતે મારા મનનુંય સમાધાન કરતાં જાઓ.’ - પળવાર માટે હું અટકી ગયો. સંકોચ તો ન હતો પણ સૂક્ષ્મ વિવેકની સભાનતા હતી. એના ભોગેય પૂછ્યા િવના રહી શકાય એમ તો ન જ હતું : ‘વિજ્યા લગ્ન પહેલાં તમે તમારા પ્રેમની વાત કરેલી શું એ માણસ -’ સાદો જવાબ આપી ન બેસાય એ દહેશતે જ કદાચ એના હોઠ વધુ બિડાયા હશે. પણ એ અપૂર્વ મૌનને એની આંખોના ભાવે વધુ સાર્થક કર્યું હતું. સંવાદ સધાઈ ચૂક્યો હતો. હવે એ ભલે એક શબ્દ પણ ન બોલે. પણ વિજ્યા જેનું નામ. ફોરમની હળવાશથી અને તાજા ખીલેલા ફૂલની ખુશી સાથે એ તો બોલી જ : ‘તેથી તો કહું છું કે તમે બધું જ સમજો છો!” ‘કદાચ આજે થોડુંક સમજ્યો હોઉં તો,’ હું વધુ બોલ્યો નહીં. કદાચ આંખના ખૂણા તો ભીના થઈ ગયા હશે પણ શબ્દને સાચવી લીધો.

(‘નંદીઘર’માંથી)

Sanchayan 08-23-22.jpg



Sanchayan 08-23-13.jpg


અમરવેલ
~ પ્રદીપ સંઘવી
માથેરાનની પૂર્વમાં એક નાનો કિલ્લો છે - સોંડાઈગઢ. થોડા મહિના પહેલાં ત્યાં ગયાં હતાં. તેના તળગામમાં એક જૂની સખી જોડે મેળાપ થઈ ગયો - દાયકાઓ પછી! હું જેવો ચકિત, તેવો જ ખુશ થઈ ગયો. એવી ને એવી જ! કોઈ ફેર ન મળે! મેં કહ્યું, ‘અરે વાહ! તું તો એવી ને એવી જ છો - ફક્કડ!’ એણે કહ્યું, ‘તું યે એવો જ તો છો!’ ‘અરે, હું તો બાળકમાંથી બુઢ્ઢો થઈ ગયો!’ ‘એ તો શરીરની વાત થઈ.’ હું વિચારમાં પડી ગયો. વાત તો સાચી; પણ એ તો શરીરેય એવી જ હતી. માનવસખી હોત તો કંઈક જુદું જ હોત; પણ એ હતી અમરવેલ. નામ જ જેનું અમરવેલ!

•••

પહેલો પરિચય નાનપણમાં થયેલો. નિશાળે જતાં રસ્તામાં ત્રણ-ચાર સ્થળે તે દેખાતી. બાવળ, ચાંદની કે બીજા કોઈ ઝાડ પર તે પથરાઈને પડી હોય. ઘણુંખરું તે ઝાડ તો બિચારું સાવ ઢંકાઈ ગયું હોય. દેખાય પણ નહિ. પણ અમને તેની શી પરવા? સાથીદાર કહેઃ ‘જો, અમરવેલ’. હું કહું, ‘હં’ ‘એનાં ચશ્માં થાય ખબર છે?’ ‘ના; કઈ રીતે?’ ‘બતાવીશ, સ્કૂલે જઈને.’ એ કહે. સ્કૂલે પહોંચીએ. થોડાક જ વિદ્યાર્થીઓ આવ્યા હોય. પ્રાર્થનાને હજુ વાર હોય. તે દફ્તરમાંથી અમરવેલનો ટુકડો કાઢે. બે બાજુથી વળ ચડાવીને કહે, ‘જો, ચશ્માં તૈયાર!’ પછી આંખે ચડાવે. ‘અરે વા! મને દે તો!’ એ આપે. હુંય ચશ્માં પહેરું. મજા પડી જાય. આજુબાજુનાંઓ પણ હરખાઈને કહેઃ અરે વા, ચશ્મીશ! તે જમાનામાં બાળકોને ચશ્માં ભાગ્યે જ આવતાં. ભણવા સિવાય આંખ ઉપર કોઈ જુલમ નહોતા. ૫૦-૬૦ના ક્લાસમાં માંડ બે-ત્રણ જણાં ચશ્માં પહેરતાં હોય, શરૂઆતમાં તે ઠેકડીનો ભોગ પણ બનતાં. પછી સૌ ટેવાઈ જાય.

•••

વાત કરતાં હતાં અમરવેલની. મોટાં થતાં ગયાં. સ્કૂલ છોડી, કોલેજ ગયાં. જિંદગીની ઘટમાળમાં ગૂંથાતાં અમરવેલ ક્યાં ખોવાઈ ગઈ, સરત જ ન રહી. આ બાજુ શહેર પણ વધી રહ્યું હતું. વગડાનાં ઝાડવાં જે ગામમાં પણ દેખાતાં, તે અલોપ થવા માંડ્યા. મકાનો વધ્યાં; ફરતે પાળીઓ વધી; ઝાડપાન ઓછાં થતાં ગયાં. અમરવેલ ભુલાઈ ગઈ. પછી પણ ક્યારેક ગામ-પરગામ જોઈ તો હશે; પણ યાદ નથી. આટલા વખતે સોંડાઈ ગામે ખરો મેળાપ થયો.

•••

અમરવેલમાં ધ્યાન ખેંચે ત્રણ વાત. એક તો તેનો રંગ. પાકા લીંબું જેવો પીળો. તડકામાં ઝળહળે. બંગાળીમાં તેનું નામ સ્વર્ણલત્તા! કેવું સુંદર - અને સાર્થક! બીજું તેની દેહયષ્ટિ. પાતળા વેલા. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી - એમ સેંકડો વેલીઓ ફૂટતી હોય. પહોળો પથારો. ગાઢું ઝુંગું બની ગયું હોય. જેના પર તેણે જીવન શરૂ કર્યું હોય, તે ઝાડ ભાગ્યે જ દેખાય. અને ત્રીજું તે એકાંગિતા. નહિ પાન, નહિ ફૂલ, નહિ મૂળિયાં. બસ, પાતળાં થડ - અપરંપાર! આ ત્રીજી વાત તો સાચી તો નથી; પણ દેખાતું તેવું જ; અને મનાતું પણ તેવું જ. તે પછીથી જોઈશું. ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ’૧માં અમરવેલ વિશે વાંચતાં એક અદ્ભૂત શ્લોક મળી ગયો. જોઈશું? મજા આવશે. અમરવેલ વિશે સંસ્કૃત સાહિત્યમાં તે લેખકને પણ એક જ શ્લોક જડ્યો છે. (ગુજરાતીની તો વાત જ શી કરવી?) શ્લોક છે માઘના ‘શિશુપાલવધ’માંથી. માઘ જેવો સરસ કવિ, તેવો જ કુશળ કસબી પણ ખરો. તેનો કસબ આ શ્લોકમાં ઊડીને આંખે વળગશે. અમરવેલનું બીજું નામ આકાશવેલ. આકાશવેલ એટલે ખલતા. સંસ્કૃતમાં ‘ખ’ એટલે આકાશ. એટલે જે પક્ષી માટે ‘ખેચર’ (આકાશમાં ફરનાર), ‘ખગ’ (આકાશમાં જનાર), એવા શબ્દો છે. લતા એટલે વેલ તે તમે જાણો જ છો. ખ-લતા એટલે આકાશે ચડનારી (વ્યાપક) વેલ. હવે જુઓ મજા કે સંસ્કૃતમાં ખલ એટલે દુષ્ટ. તેથી ખલ-તા એટલે દુષ્ટતા! શ્લોકમાં ખલતાના આ બે અર્થની રમત જુઓ. अनिशं कृततापसंपदं फलहीना सुमनोभिरुज्झिताम्। खलतां खलतामिवासतीं प्रतिपद्येत कथं बुधो जनः।। सर्ग 16.24 ૧. દુષ્ટ અંગે : સતત સંતાપ આપનાર, ફલહીન (સત્કાર્ય કરતા નથી તેથી આ લોક કે પરલોકમાં ફળ ન મેળવનાર), સુમનો (જેનું મન સારું છે તેવા - સજ્જનો) દ્વારા ત્યજાયેલી, અસતી (અસત્-અનીતિયુક્ત આચરણવાળી) ખલતાને (દુષ્ટતાને) ડાહ્યો પુરુષ કેમ ગ્રહણ કરે? ૨. આકાશવેલ અંગે : સતત તડકો આપનાર (છાંયડો નથી આપતી તેથી), ફલહીન, સુમન (ફૂલ) વિનાની, અસતી (ખોટા રૂપવાળી) ખલતાને (આકાશવેલને) ડાહ્યો પુરુષ કેમ ગ્રહણ કરે?

•••

માઘ જ શું કામ, બધાં એમ જ માને છે કે અમરવેલને ફૂલ, ફળ, મૂળ કંઈ જ નથી હોતાં. વેલને તદ્દન શરૂઆતમાં મૂળ હોય છે; પણ તે રહી પરોપજીવી, એટલે એક વાર બીજા ઝાડ પર જામી ગઈ, પછી તેના મૂળ ખરી જાય છે - જરૂર નથી. ફૂલ હોય જ છે; પણ બહુ ઓછા સમય માટે, ઝીણાં અને વેલના પીળા પથારામાં ઝટ નજરે ન ચડે તેવાં. અને જ્યાં ફૂલ હોય ત્યાં ફળ તો હોવાનાં જ. થોડા જ દિવસ પહેલાં ગોરાઈમાં૨ અમરવેલ પર કળીઓ જોઈ. અઠવાડિયા પછી ફૂલો પણ. ફૂલ સફેદ. ઝીણકાં (૩ મિ.મી.) અને ઘંટડી આકારનાં. બેશક સુંદર. ફૂલમાત્ર સુંદર હોય છે- બસ નીરખતાં આવડવું જોઈએ.

•••

અમરવેલ એક આક્રમક અને ઘૂસણખોર પરોપજીવી વેલ છે. જેને વળગીને, પોષણ મેળવીને વધે છે તે યજમાન વહેલોમોડો મરી પરવારે છે. કુદરતની રચના છે ભાઈ! આવી આ વેલના પણ આયુર્વેદમાં અનેક ઉપયોગ વર્ણવ્યા છે. પણ તેમાં મારો અધિકાર નહિ, એટલે વધારે ડહાપણ શું ડહોળું? જેવી છે તેવી, મને ગમે છે અમરવેલ. બાળપણની સખી છે ને!

•••

ગુજરાતી નામ- અમરવેલ. સંસ્કૃત - અમરવેલ, આકાશવેલ, ખલતા. અંગ્રેજી - Dodder Plant, Giant Dodder. શાસ્ત્રીય - Cuscuta reflexa. (બુદ્ધિપ્રકાશઃ એપ્રિલ, ૨૦૨૩) ૧. સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ - શ્રી બાપાલાલ વૈદ્યનો ઉત્તમ ગ્રંથ. ૨. ગોરાઈ - બોરિવલીની ગામઠી બહેન. ખાડીપાર. દરિયાકાંઠે આવેલું ગામ.

હાસ્યનિબંધ

॥ હાસ્યનિબંધ ॥


Sanchayan 08-23-14.jpg


ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો!
~ રતિલાલ બોરીસાગર

મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે - ડૉ. મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે - ધીમે કે ઝડપથી નહિ - પણ માપસર ચાલતું રહે એ માટે આ ડૉક્ટર - સ્નેહીનું માર્ગદર્શન મેળવતો રહું છું. એક વાર એમની પાસે જવાનું થયું ત્યારે એ એક દર્દીને સલાહ આપી રહ્યા હતા. એમણે વાતવાતમાં આરોગ્ય માટેનું એક જીવનસૂત્ર પેલા દર્દીને કહ્યું: ‘ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો.’ આ સાંભળીને મને થોડી નવાઈ લાગી. ચાલતા રહેવાના ફાયદા વિશે તો મેં અનેક લોકો પાસેથી સાંભળ્યું છે અને અનેક પુસ્તકોમાં વાંચ્યું છે. અમારા એક શિક્ષક ‘વૉકિંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ’ એવું હમેશાં ખુરશીમાં બેઠાં બેઠાં અમને કહેતા. હસતા રહેવાની વાત પણ રિવાજ મુજબ પહેલાં અમેરિકામાં શરૂ થઈ અને હવે ત્યાંથી આયાત કર્યા પછી અહીં પણ કહેવાવા માંડી છે. પરંતુ, ચા પીતા રહેવાની વાત મારે માટે નવી હતી. ચા પીતો થયો ત્યારથી આજ સુધીમાં મેં હંમેશાં ચાની નિંદા જ સાંભળી છે. એસ.એસ.સી.માં આવ્યો ત્યારે મેં પહેલવહેલી વાર ચા પીધેલી. પહેલા ધોરણની વાચનમાળાના પહેલા પાઠમાં ‘બા, ચા પા.’ એવું સુંદર વાક્ય આવતું હતું. ‘ચા ન પિવાય, ચા પીવાથી હાડકાં ગળી જાય.’ એવું કહી બા એ ચા પીવાની ના કહી ત્યારે મેં વાચનમાળામાંથી ‘બા, ચા પા.’ એ વાક્ય બાને બતાવ્યું અને મોટેથી વાંચી પણ સંભળાવ્યું. પણ મારાં બા પેલાં પાઠ લખનારનાં બા જેવાં નહોતાં એટલે એમણે કહ્યું ‘ખબરદાર! ક્યારેય ચા પીવાનું નામ લીધું છે તો’ અને આ સૂચના મને કાયમ યાદ રહે એ માટે મારા ગાલ પર એક થપ્પડ પણ લગાવી લીધી. ચા પીવાથી હાડકાં ગળી જાય છે એમ બા કહેતાં હતાં; પણ, રોજ ચાર વાર ચા પીનારાં બાનાં હાડકાં ગળી નથી ગયાં, ઊલટાં વધુ મજબૂત થયાં હતાં એવું એમની થપ્પડ પરથી મને લાગ્યું હતું. પણ આ અંગે બાનું ધ્યાન દોરવા જતાં કદાચ એમનાં હાડકાંની મજબૂતાઈનો બીજી વાર અનુભવ કરાવે, એ બીકે હું ચૂપ રહ્યો. છેક એસ.એસ.સી.માં આવ્યો અને વાંચવા માટે ઉજાગરા કરવાના આવ્યા ત્યારે માતૃહૃદય પીગળ્યું અને મને ચા પીવાની છૂટ મળી. પરંતુ થૉમસ હાર્ડી નામના નવલકથાકારે એમની એક નવલકથામાં કહ્યું છે કે ‘જીવન દુઃખથી જ ભરેલું છે, સુખ એ તો માત્ર પ્રાસંગિક ઘટના હોય છે.’ ચાસુખની ઘટના પણ મારે માટે પ્રાસંગિક જ નીવડી. એસ.એસ.સી.માં પાસ થઈ કૉલેજમાં ગયો ત્યારે જ્ઞાતિની બોર્ડિંગમાં રહેવાનું થયું. બોર્ડિંગમાં પણ ચા પીવાની મનાઈ હતી! સ્કૂલમાં ભણતો ત્યારે મારા ગામના વ્યાયામમંદિરમાં નિયમિતપણે જતો હતો. વ્યાયામમંદિરમાં રમવાની બહુ મજા પડતી’તી, પણ ત્યાં ચા પીનારાઓ માટે પ્રવેશ નહોતો. આમ, જીવનમાં મને અત્ર-તત્ર-સર્વત્ર ચાના શત્રુઓ જ મળ્યા છે. એક નિષ્ણાત ડૉક્ટર પાસેથી ચા પીવાની વાત હું જીવનમાં પહેલી વાર સાંભળી રહ્યો હતો. મેં ડૉક્ટરને પૂછ્યું, ‘ચા પીવાથી તબિયત ખરેખર સારી રહે?’ ‘ચોક્કસ, આ તો સાબિત થયેલી વાત છે.’ એમ કહી એમણે ચા કેવી રીતે આરોગ્ય માટે લાભકર્તા છે એ દાક્તરી ભાષામાં મને સમજાવ્યું, જે રાબેતા મુજબ હું સમજી ન શક્યો. પરંતુ, એ સમજવાનું જરૂરી પણ નથી. ‘પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ અેમ કહી નરસિંહ મહેતા જેવા મહાન કવિએ પરમાત્મા વિશેનાં શાસ્ત્રોની જાણકારી મેળવવા કરતાં પરમાત્માનો પ્રેમ ઝંખવાનું કહ્યું છે, પણ મનુષ્યનો સ્વભાવ એવો છે કે પ્રેમતત્ત્વ કરતાં તત્ત્વપ્રેમ પાછળ એ વધારે ભટકે છે. એક યુવાન એક યુવતીના પ્રેમમાં પડ્યો. યુવતીને પણ એ પ્રેમ મંજૂર હતો. પરસ્પર પ્રેમનો સ્વીકાર થયા પછી યુવાન-યુવતી એકાંતમાં મળ્યાં. માંડ અર્ધા કલાક પૂરતું આ પ્રથમ મિલન ગોઠવાયું હતું. યુવતીનું મન થનગન થનગન થતું હતું. પણ પેલા યુવાનના ધ્યાનમાં એ થનગનાટ કંઈ આવ્યો નહીં. એ તો પેલી વિશે પોતાના હૃદયમાં કેવો ગાઢ-પ્રગાઢ પ્રેમ છે એ વિશે એંસી પાનાંનો નિબંધ લખી લાવ્યો હતો. એ નિબંધ એણે વાંચવો શરૂ કર્યો. પેલીએ મનમાં કહ્યું, ‘ડોબા! મારા માટે પ્રેમ કેવો છે એની વાત કરવાને બદલે પ્રેમ જ કર ને!’ પણ પેલો ડોબો તો તત્ત્વનું ટૂપણું ટૂંપતો જ રહ્યો. પંદરેક મિનિટના શ્રવણ પછી પેલીની ધીરજ ખૂટી. કંટાળીને ઊભી થઈ ગઈ અને બોલી ‘હું ઘરે જાઉં છું. નોટ મને આપી દો, ઘરે જઈને વાંચી લઈશ.’ પેલો ડોબો એને જતી જોઈ રહ્યો. એટલે ચા આરોગ્ય માટે કઈ રીતે લાભદાયી છે એ મને ભલે ન સમજાયું પણ ડૉક્ટરની વાત સાંભળી મારા ચાપ્રેમમાં એકદમ ભરતી આવી ગઈ. દવાખાનેથી ઘેર જઈને મેં બે કપ ચા પીધી. જીવનમાં પહેલી વાર જ મુક્ત મનથી મેં ચા પીધી. વર્ષોથી રોજ સવારે પાંચ વાગ્યો ઊઠું છું. ફ્રીજમાંથી દૂધ લઈ ચા બનાવું છે. એકાદશીની જેમ મારી ચા નિર્જલા (પાણી વગરની- એકલા દૂધની) હોય છે. અનિમેષ નયને ચાને પરિપક્વ થતી જોઈ રહું છું. ચાદર્શનમાં કેટલીક વાર એટલો તો બધો તલ્લીન થઈ જાઉં છું કે ચાના ઊભરાતા પ્રેમની મને સૂધબૂધ રહેતી નથી. મારા હૃદયમાં સમાઈ જવા ચા ઊભરાઈને તપેલીની બહાર ઢળી પડે છે. રોજ સવારે મોટો કપ ભરીને ચા પીઉં છું તોપણ ચા મને હંમેશ ઓછી જ પડે છે. કવિ કાન્તનાં ચક્રવાક-ચક્રવાકી જે હૃદયભાવ અનુભવે છે એ જ હૃદયભાવ ચા વિશે હું દરરોજ અનુભવું છું: પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા જતી નથી. - મોટો કપ ભરીને ચા પીઉં છું તોય મને તૃપ્તિ થતી નથી ને વધુ ચા પીવાની ઇચ્છા મનમાંથી જતી નથી. એટલે ચા ઊભરાઈ જાય છે ત્યારે તાજું દૂધ આવવાને વાર હોવાને કારણે ઓછી ચા પીવી પડે છે. પણ ‘હમદોંનો’ ફિલ્મના નાયકની જેમ ‘દિલ અભી ભરા નહિ’ એવો ભાવ અનુભવતો હું બહારથી તાજું દૂધ લઈ આવી ફરી નવી ચા બનાવી સરવાળે પોણા બે કપ ચા પીઉં છું. કવિ દયારામના એક પદમાં આલિંગન દેવા તત્પર કૃષ્ણનું આલિંગન સ્વીકરવાની રાધા ના પાડે છે. આનું કારણ આપતાં રધા કહે છે, ‘તું કાળો છે ને હું ગોરી છું. તને અડતાં હું કાળી થઈ જાઉં’ રાધાના આ તર્કનો લાભ લઈને કૃષ્ણ કહે છે: ‘મુજને અડતાં તું શ્યામ થા, તો હું ક્યમ ન થાઉં ગોરો? ફરી મળતાં રંગ અદલાબદલી મુજ મોરો તુજ તોરો!’ કૃષ્ણ કહે છે, ‘મને અડતાં તું કાળી થઈ જાય તો પછી તને અડતાં હું ગોરો થઈ જાઉં ને! એટલે ફરી આલિંગન દઈશ ત્યારે તને તારો ગોરો રંગ પાછો મળી જશે ને મને મારો કાળો રંગ પાછો મળી જશે!’ રાધા એક આલિંગનની ના કહે છે તો કૃષ્ણ બે આલિંગનનો પ્રબંધ કરે છે! ચા ઊભરાતી નથી ત્યારે હું સવારે એક જ વાર ચા પીઉં છું, પણ ઊભરાય છે ત્યારે તરત ને તરત બીજી વાર ચા પીવાની મળે છે! ચા તૈયાર થયા પછી અત્યંત કોમળતાથી કપમાં ગાળું છું. રકાબીમાં મૂકેલો ચા-ભરેલો પ્યાલો લઈ બાલ્કનીમાં આવું છું. સવારે સાડા-પાંચ પોણા છ વાગ્યે ઝાકમઝોળ હિંડોળા પર બેસી ચાનું પાન કરું છું. વાતાવરણની તાજગીમાં ચાની તાજગી ઉમેરાય છે, અને અદ્ભૂત આહ્લાદનો અનુભવ થાય છે! ચાનું આવું પાન તો વર્ષોથી કરું છું, પણ પહેલાં મનમાં ગુનાનો ભાવ રહેતો. પણ હવે ડૉક્ટર સ્નેહીએ હૈયાધારણ આપ્યા પછી મુક્તમને ચાનો આસ્વાદ લઉં છું. વહેલી સવારે આસપાસના નીરવ વાતાવરણમાં પ્રકૃતિની સાક્ષીએ ચાનું અમૃતપાન કેવું આનંદદાયી હોય છે એ તો કેવળ અનુભવથી જ સમજાય એવું છે. એવી રીતે ચા પીતાં-પીતાં હું જગતને સંદેશ પાઠવું છું : ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો!

(ગુર્જરી ડાયજેસ્ટ : જાન્યુઆરી, ૨૦૨૩)

નિબંધ

॥ નિબંધ ॥


Sanchayan 08-23-15.jpg


ન ઓલવાતું અજવાળું
~ દક્ષા પટેલ
નવું ઘર લીધું. નવા ઘરે જવાનો અદમ્ય ઉત્સાહ એવો કે જૂના ઘરનો કોઈ સામાન નવા ઘરે નહીં લઈ જવાનું નક્કી કરી લીધું. નજરે દેખાતો સામાન તો છોડી દીધો પણ માળિયાં જોઈ લેવાની લાલચ રોકી ના શકી. ઉંદરની જેમ બધું ફેંદી, ફંફોસી જોયું. આ કામનું નથી, આ કામનું નથી કરતાં છેક અંદર ખૂપી ગઈ. માળિયાની ડીમ લાઈટનું અજવાળું ત્યાં માંડ પહોંચતું હતું. એટલે હાથ ફેરવી વસ્તુઓ ઓળખવાનો પ્રયત્ન કર્યો. એક ગોળાકાર હેન્ડલ હાથમાં આવતાં ખેચ્યું કે તરત વસ્તુ ખેંચાઈ આવી. લાઈટ બાજુ ઊંચું કરીને જોતાં જ ઓળખાઈ ગયું. અરે! આ તો ફાનસ, મનમાં ફાનસની વાટ મોટી થઈ ગઈ, પ્રકાશવા લાગી, આસપાસ વર્તુળ રચાવા લાગ્યુ. મને સમજાઈ ગયું, મારું શૈશવ હજી ઓલવાયું નથી. ફાનસ સાથે મારો સંબંધ બાળપણમાં બંધાયો અને જાદુઈ ચિરાગ જેવી તેની છાપ આજ સુધી મનમાં અકબંધ છે. મારો જન્મ, ઉછેર, ભણતર ને નોકરી શહેરમાં થયાં. કૉલેજમાં આવી ત્યાં સુધી દર ઉનાળું રજાઓ મોસાળમાં જ ગાળેલી. વીજળીથી ઝગારા મારતું ઘર, ગલી ને રસ્તાઓવાળું શહેર છોડી આખો ઉનાળો ગામડે પસાર થતો. ગામ પણ અરવલ્લીના પહાડોની છેવાડાની ડુંગરમાળાની તળેટીમાં, વીજળી-પાણીની સુવિધા વગરનું, છતાં ગામ જવાનું મુખ્ય આકર્ષણ ફાનસ જ! મામાનું ઘર મોટું એટલે છ-સાત ફાનસ સળગાવવાં પડતાં. સાંજ પડતાં જ ફાનસની બોલબાલા રહેતી. આખા ઘરની જુદી જુદી ખીંટી પર લટકતાં ફાનસ લાવીને આંગણામાં મુકાતાં. રાતે સળગી, અજવાળું આપી કાળામેશ થયેલા કાચના ગોળા તેની ઓળખ ગુમાવી દેતા. તેને ધોઈને ચોખ્ખા કરવા પડતા. બા ફાનસના ગોળા સંભાળીને કાઢતી. હાથમાં લઈ અંદરની બાજુ ગાભો ફેરવતી. તે સાથે કાળાં વાદળોમાં ક્ષણાર્ધ ઝબૂકતી વીજરેખા જેવી રેખા ગોળામાં ઝબૂકતી અને હું બાનો હાથ પકડી લઈ તેને જોતી. ફરી ગાભો ફરવા લાગતો, નવા નવા આકારો ઉપસવા લાગતા. હું આંગળી ફેરવી આકારો ચીતરતી. ધીમે ધીમે મેશ લુછાતી જતી, કાચ ઊઘડતો જતો ને અચાનક પારદર્શક ગોળો પ્રગટતો. મેશમાંથી સ્વચ્છ પારદર્શક ગોળાના પ્રગટીકરણનો જાદુ જોવાની ઉત્સુકતા મોટા થયા પછીય અકબંધ રહેલી. ગોળાની મેશ પર આકારો બનાવતાં સારું ચિત્રકામ શીખી ગઈ, તે તો ચિત્રશિક્ષક તરફથી મળેલા અભિનંદન પછી ખબર પડેલી. ગોખલામાં પધરાવેલાં દેવલાંની જેમ જ રોજ ફાનસના ગોળાઓને કાળજીથી ધોઈને સાફ કરતી બાને જોતાં ધીરજ, કાળજી, નિયમિતતા ને સફાઈ ક્યારે મારા સ્વભાવમાં સ્થાયી બની ગયાં તેની જાણ ના રહી. ગોળા કોરાકટ્ટ લૂછીને તૈયાર કર્યા પછી ફાનસની નાનકડી ટાંકીમાં ગ્યાસતેલ ભરવામાં આવતું. આછા મોરપિચ્છ રંગનું, આછી ગંધવાળું ગ્યાસતેલ ચોખ્ખો પીળાશ પડતો પ્રકાશ કેવી રીતે આપે છે તે સમજવાનું નાની ઉંમરે કોયડા જેવું અઘરું હતું. કાચની બેઠા ઘાટની ભોટવા જેવી પારદર્શક ડિઝાઈનવાળી ચીમની અને તેનો તાડના થડ આકારનો ગોળો પણ રોજ સાફ કરાતો. પારદર્શક ચીમનીમાં ભરેલા આછા ભૂરા રંગનું ગ્યાસતેલ તેની શોભામાં ચાર ચાંદ લગાવતું. બધાં ફાનસ અને ત્રણ ચીમની ગોળા લગાવી તૈયાર કરાય ત્યાં સુધીમાં ડુંગરાઓ પરથી અંધારું લસરીને આંગણામાં ફેલાવા લાગતું. બા દરેક ફાનસની વાટના મોગરા આંગળીથી મસળી નાંખી, ચૂલામાંથી બોયું સળગાવી દરેક ફાનસ પ્રગટાવતી. મોટી બહેન સળગાવેલું દરેક ફાનસ ઘરની ખીંટીઓને આપી આવતી. જો ખોટી ખીંટી પર ફાનસ લટકાવ્યું તો બુમરાણ મચી જતી, ફાનસની ખીંટી પર લટકાવેલા કપડામાં તથા તેના પહેરનારના મનમાં ગ્યાસતેલની વાસ બેસી જતી. તે કેમેય કરીને જટ જતી નહીં. આથી ફાનસને તેની ખાસ વાસને આધારે ખાસ ખીંટી આપેલી. ફાનસથી ઘર અજવાળા-અંધારા વચ્ચે વહેંચાઈ જતું. કેલિડોસ્કોપની જેમ ફાનસની જગા બદલવાથી ઘરની ડિઝાઈન બદલાઈ જતી. તેના અજવાળે ઘર જાદુઈ અને અજાણ્યું લાગતું. એક ફાનસ ઘરના ઊમરા પાસે મુકાતું. તે જરૂરિયાત પ્રમાણે આંગણાથી વાડા સુધી હરતુંફરતું રહેતું. કોઈના હાથે વળગીને ફાનસ ચાલતું હોય તો તેની સાથે આખું ઘર હાલકડોલક થતું. એવું લાગે જાણે હોડકામાં બેઠા હોઈએ. ઘરના માણસોના પડછાયા નાના-મોટા, મોટા-નાના થતા અને ભીંત પરથી ઊતરીને જમીન પર ફેલાઈ જતા, તો ઘડીક ભીંત પર જડાઈ જતા. ઘરનાં માણસો કરતાં વધુ તેમના મોટા મોટા કાળા પડછાયાઓથી ઘર ભરાઈ જતું. શરૂમાં ઘણો ડર લાગતો. પછી ડર ભગાડવા પડછાયા પરથી કોણ વ્યક્તિ છે તે ઓળખવાની રમત ચાલુ થયેલી. પોતાના જ પડછાયાને નાટકીય રીતે દીવાલ પર પાડતાં, તો ઘણીવાર બે-ચાર જણ સાથે મળી વિવિધ આકારો ભીંત પર રજૂ થતાં અમારી કલ્પનાશક્તિની ધાર કાઢવાનું, તેને પાંખો પહેરાવવાનું કામ ફાનસનું. રાત પડે અમે આંગણામાં રમતાં, ફાનસ વગર. ઈશ્વરે આભમાં લટકાવેલા ચાંદા-ફાનસમાંથી આછો અજવાશ ચારેકોર ફેલાયેલો રહેતો. સાથે ટમટમતાં કોડિયાં જેવા તારાઓનો ધીમો પ્રકાશ. આ પ્રકાશમાં રમતો જામતી. પૂનમ અને તેની આગળ-પાછળના ચાર ચાર દહાડામાં ચાંદ ફાનસનું અજવાળું છેક ઓરડા સુધી રેલાઈ અમારી પંગતમાં બેસતું. અમારે રોજ રાતે રબારીવાસમાં તાજું દોહેલું દૂધ લેવા જવું પડતું. પૂનમ અને તેની આસપાસના દિવસોમાં ચાંદાના અજવાળે જતાં-આવતાં. પણ અમાસ અને તેની આગળ-પાછળના દિવસોમાં આખું ગામ કાળી ચાદરમાં લપેટાઈ જતું. ભેંકાર લાગતું. દૂર ક્યાંક ફાનસ દેખાય તો રાની પશુની તગતગતી આંખ જેવું ડરામણું લાગતું. અંધારે કૂતરાં પાછળ પડતાં, એટલે આ દિવસોમાં ફાનસની રાત્રિચર્યા થતી. ફાનસ પ્રકાશની સાંકડી કેડી બનાવતું જાય તેમ અમે અનુસરતાં જઈએ. આગળ વધતાં જઈએ તેમ પ્રકાશ-કેડી ભૂંસાતી જાય, ભૂલમાં પાછળ જોવાઈ જાય તો છળી મરતાં. ફાનસ વીજળીની જેમ ઝળાંહળાં ના કરે પણ પોતાની આસપાસની નાનકડી જગાને અજવાળે. તેનો ગુણ અર્જુનની આંખ જેવો, જોવાનું હોય તેટલું જ દેખાડે બાકી છોડી દે. તેનું અજવાળું સ્વભાવે નરમ, કહો ત્યાં, ઇચ્છો ત્યાં જ પથરાય. દેખાવે ભગવાનના દીવા જેવું પીળું. વીજળીના ગોળાની જેમ જરૂરી-બીનજરૂરી બધું જ ના દેખાડે. વીજળીનો ગોળો મોભાદાર, રૂઆબદાર, કડક વકીલ જેવો લાગતો પણ ફાનસ હંમેશા દોસ્ત જેવું. જરૂર પ્રમાણે વાટ ઊંચીનીચી કરી પ્રકાશ વધારી-ઘટાડી શકાતો, ઘરમાં ને ઘર બહાર લઈ જવાતું અને ખપ ના હોય ત્યારે ખીંટીએ વગળાડી શકાતું.. ઓચિંતી માંદગી આવે. ડુંગરે જવાનું થાય ત્યારે એક હાથમાં ડંડો ને બીજા હાથમાં ફાનસ લઈ નીકળતાં. ગામના દરેક ઘરના આંગણાની ઝાંપલી પર આખી રાત ફાનસ ધીમું ધીમું ચાલું રહેતું. તેને જોઈ હું ગાતી, ‘મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે.’ અંધારી રાતે ઝાંપલી પાસે ઊભા રહી જોતી તો ગામનાં ઘરો ફાનસમાં અલૌકિક લાગતાં. જાણે બ્રહ્માંડ તેના તારા-નક્ષત્રોને લઈ જમીન પર ઊતર્યું હોય તેવું લાગતું. હું ઘડીક આકાશમાં તારા જોતી તો ઘડીક ધરતી પરના જોતી. અંધારામાં બધું એકાકાર અવર્ણનીય અનુભવાતું. ફાનસથી વાંચ્યું છે તેના કરતાં વધુ નાચ્યું છે. દર ઉનાળે ગામમાં છ-સાત લગ્ન થતાં. દરેક લગ્નની આગલી રાતે વર કે કન્યા ઘોડે ચઢી આખા ગામમાં ફૂલેકું ફરતાં. અંધારિયું ગામ, ઊબડખાબડ રસ્તા, ગાય-ભેંસ-બળદના જ્યાં ત્યાં પડેલા પોદળા ને કૂવાની આસપાસના કીચડથી બચવા ફાનસની ફોજ ફુલેકામાં સાથે જ રહેતી. મોટા સૌ ઘોડાની પાછળ ચાલતા અને તેમની આજુબાજુ માથા પર ફાનસ મૂકી હારબંધ મજૂરો ચાલતા. ઘોડાની આગળ અમે છોકરા-છોકરીઓ બેન્ડ પર નાચતાં. અમારી આસપાસ પણ ફાનસ રહેતાં. અમારાં જોશીલાં નાચગાન જોઈ જાણે ફાનસને તાન ચઢતું હોય એમ તેની વાટ ઘડીક વધતી, કદીક ઘટતી તો ક્યારેક ભભૂકતી પણ ખરી. જાન બીજે દિવસે સાંજે ગામથી નીકળતી અને રાત પડે બીજા ગામ પહોંચતી. સામૈયું કરવા જેટલાં સગાં આવતાં તેથી વધારે ફાનસ આવતાં. જાનૈયાઓને જમાડવા દરેક ઘરની પરસાળમાં પતરાળાની પગંત પડતી. દીવાલે કહેવા પૂરતું ઝીણું ફાનસ લટકતું રહેતું. અમે અંધારે પિરસાતા ભોજનના રૂપરંગને જોયા વગર પહેલાં સ્પર્શથી ને પછી સુંગંધ-સ્વાદ પરથી વાનગી નક્કી કરતાં. ૧૮૯૮માં જન્મેલા મારા દાદા ફાનસના અજવાળે ભણીગણીને તૈયાર થયેલા. ગામથી શહેરમાં આવ્યા ને સ્થાયી થયા. જન્મથી લઈને યુવાની સુધી ફાનસનો સંગાથ રહેલો. તેમના મનમાં ફાનસનું આછું કૂંડાળાવાળું અજવાળું એવું તો વસી ગયેલું કે રોજ રાતે વાંચવા ટેબલલેમ્પ વાપરતા. લંબગોળાકાર ઊંડા લેમ્પશેડના અંતે લગાડેલા ગોળાનું અજવાળું કેવળ પુસ્તક પરજ પથરાતું, બાકી અંધારુ રહેતું. ફાનસના સહોદર જેવો ટેબલલેમ્પ જીવ્યા ત્યાં સુધી રોજ વાપર્યો. કદાચ એના અજવાળે રોજ રાતે પોતીકું અજવાળું પામતા હશે! દાદાએ તો પોતાની અંદર એક બીજું અજવાળું પણ વસાવેલું. ખાદી, ગાંધી અને હિન્દીના અજવાળે સ્વયં અજવાળું થઈ ગયેલા. આજે ફાનસનાં ન ઓલવાતાં અજવાળાથી ફરી એક વાર મારી અંદર બધું ઝળહળે છે, તે ત્યાં સુધી કે સમી સાંજે શહેરમાં જ્યારે દીવાબત્તીનાં પીળાં અજવાળાં ઝગી ઊઠે છે ત્યારે હંમેશા શૈશવનું પેલું ફાનસ જીવતું થઈ જાય છે.

(ગુર્જરી ડાયજેસ્ટ : જાન્યુઆરી, ૨૦૨૩)

Sanchayan 08-23-16.jpg

રેખાચિત્ર

॥ રેખાચિત્ર ॥


Sanchayan 08-23-23.png


મૂળ સોતાં ઊખડેલાંનાં હમદર્દ કમળાબહેન પટેલ
~ મોસમ ત્રિવેદી
હિન્દુસ્તાને લાંબી લડત પછી સ્વતંત્રતા તો મેળવી પરંતુ ભારત-પાકિસ્તાન ભાગલા રૂપે તેની આકરી કિંમત પણ ચૂકવી. બંને પ્રદેશમાં વસતાં લાખો નાગરિકોએ પોતાની માલમિલકત છોડીને વતનમાંથી હિજરત કરવી પડી. આ દરમિયાન થયેલાં કોમી રમખાણોનો સૌથી વધુ ભોગ નિર્દોષ લોકો બન્યા. તેમાંય સ્ત્રીઓ અને બાળકો પરના અત્યાચારો અમાનુષી હતા. સ્ત્રીઓનું અપહરણ કરવું, વેચી મારવી કે બળજબરીથી તેની સાથે લગ્ન કરવાં, અમુક અંગો કાપી નાખવાં.... આવી ઘટનાઓ પણ બની હતી. આવા તંગ માહોલમાં ખોવાઈ ગયેલી કે અપહરણ કરાયેલી સ્ત્રીઓને શોધીને તેનાં કુટુંબીજન સુધી પહોંચાડવાનું પડકારજનક કામ ગુજરાતની એક બહેન પાકિસ્તાન જઈને કરે છે. કુટુંબીજનોથી વિખુટી પડી ગયેલી બહેનોને કુટુંબ સાથે મેળવી આપનાર આ ગુર્જર મહિલા એટલે કમળાબહેન પટેલ. ૧૯૧૨માં નડિયાદમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ચરોતરના છ ગામ પાડીદારોના મૂળ સોજીત્રા ગામની પાટીદાર જ્ઞાતિમાંથી આવતાં હતાં. આ સમયે કુલીન ગણાતા પાટીદારોમાં યોગ્ય વર શોધવાની મુશ્કેલી રહેતી હોવાથી અનેક બાળકીઓને દૂધપીતી કરવામાં આવતી. આવા સમયે કમળાબહેનના માતાપિતાને ચાર પુત્રીઓ જન્મી હતી. પણ માતા-પિતા પ્રગતિશીલ વિચારના હતાં. એમને મન દીકરા-દીકરી સમાન હતાં. કમળાબહેને માતાની છત્રછાયા ગુમાવી. ક્ષય રોગથી તેમનું અવસાન થયું. ત્રણ નાની બહેનોની જવાબદારી કમળાબહેન પર આવી પડી. તેમના પિતા શંકરભાઈ પર કોલેજકાળથી જ ગાંધીજીના વિચારોનો પ્રભાવ. તેણે બીજું લગ્ન ન કર્યું. વિસનગરનું ખાદી ઉત્પાદન કેન્દ્ર સંભાળતા શંકરભાઈને બાપુએ જ આશ્રમ આવવા આમંત્રણ આપ્યું અને તેઓ પરિવાર સમેત ૧૯૨૫માં સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીમાં રહેવા આવ્યા. બાળપણમાં જ આશ્રમમાં જોડાતાં કમળાબહેન પર પણ ગાંધીવિચારનો પ્રભાવ રહ્યો. અઢાર વર્ષની વય થતાં કમળાબહેનનાં લગ્ન કરવામાં આવ્યાં. જોકે, લગ્નના એક જ વર્ષ બાદ તેઓ વિધવા થયાં અને બે ઓરમાન પુત્રીઓની જવાબદારી કમળાબહેન પર આવી પડી. આવા કૌટુંબિક સંઘર્ષમય વાતાવરણ વચ્ચે કમળાબહેન નસીબને દોષ આપીને બેસી ન રહ્યાં. પ્રવૃત્તિમય રહ્યાં અને પોતાની સાંસરિક જવાબદારીઓ પણ નિભાવતાં રહ્યાં. આઝાદી મળતાં જ ભાગલાના કારણે બંને દેશોમાં અનેક કુટુંબોનું જીવન રાતોરાત બદલાઈ ગયું હતું. કમળાબહેનનું જીવન પણ એક જ સૂચનાથી બદલાઈ ગયું. મૃદુલાબહેન સારાભાઈનો સંદેશો મળતાં ૩૦ નવેમ્બર, ૧૯૪૭ના રોજ કમળાબહેન દિલ્હી પહોંચ્યાં. ત્યારે તેમને શું કામ કરવાનું તેનો કોઈ અંદાજ ન હતો. મુદુલાબહેને તેમને બીજે જ દિવસે લાહોર પહોંચવા જણાવ્યું. આવા તંગ વાતાવરણ વચ્ચે તેમણે એકલા લાહોર પહોંચીને શું કામ કરવાનું હતું તેનાથી કમળાબહેન અજાણ હતાં. જવાહરલાલ નહેરુનાં પિતરાઈ બહેન રામેશ્વરી નહેરુએ પાંત્રીસ વર્ષનાં કમળાબહેન વિશે આ વાત જાણી ત્યારે તેઓ ચિંતિત થઈને બોલ્યાં કે “સાવ છોકરી જેવી દેખાય છે! આને મુદુલા લાહોર મોકલે છે તે ઠીક નથી લાગતું.” બીજે દિવસે કમળાબહેન લાહોર પહોંચ્યાં. લાહોર પહોંચતાની સાથે જ કમળાબહેનને ત્યાંના તંગ વાતાવરણ અને એકાએક પરદેશી ભૂમિ બનેલા પાકિસ્તાનમાં એકલા જવાની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. તેમાંય એક હિંદુ સ્ત્રી આ અજાણ્યા પ્રદેશમાં અજાણ્યાં લોકોની વચ્ચે ભાષાની મર્યાદા સાથે એકલા હાથે કાર્ય કરવાનું હતું. મૃદુલાબહેનની સૂચના પ્રમાણે તેમણે લાહોરમાં રહીને ગંગારામ હોસ્પિટલમાં રાહત છાવણી શરૂ કરવાની હતી. જેમાં વિખૂટી પડી ગયેલી બહેનોને રાખવાની હતી તથા ત્યાંથી ભારતની છાવણીઓમાં રહેલાં તેમનાં કુટુંબીજનો સુધી પહોંચાડવાની હતી. આ કામ માટે તેમણે ભારત અને પાકિસ્તાનના લાગતાવળગતા અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાનું હતું. થોડાક જ સમયમાં તેમના કાર્યમાં મદદરૂપ થવા માટે ભારતમાંથી કેટલીક કાર્યકર મહિલાઓ લાહોરમાં આવી પહોંચી. તેમાંની મોટાભાગની મહિલાઓ સમાજકાર્યનો અભ્યાસ કરેલી તાજી જ સ્નાતક થયેલી યુવતીઓ હતી. તેમને આવા પ્રકારના કાર્યનો અનુભવ નહોતો. આ બહેનો પાસેથી કમળાબહેને કામ લેવાનું હતું. પાકિસ્તાનમાંથી પાછાં લવાયેલાઓમાં સ્ત્રીઓ અને બાળકો બંને હતાં. રાહત છાવણીમાં આવેલ સ્ત્રીઓ અને બાળકો માટે ખોરાક, કપડાં, રહેવાની, ઓઢવા-પાથરવાની વગેરેની વ્યવસ્થા કરવાની હતી. વળી, જો કોઈ બીમાર હોય તો સારવાર અને દવાની પણ વ્યવસ્થા કરવાની રહેતી. બહેનોની મનઃસ્થિતિ તો એટલી ગંભીર હોય કે તેઓનાં કુટુંબીજનો વિશેની માહિતી મેળવવી પણ મુશ્કેલ બનતી. મોટા ભાગની બહેનો જાણે પોતાનાથી જ કંઈ ખોટું થઈ ગયું હોય તેવો ભાવ ધરાવતી હોવાથી સૌથી પહેલાં તો તેમની સાથે જે કંઈ પણ બની ગયું તેમાં તેમનો કોઈ ગુનો નથી તેવું સમજાવવું જરૂરી હતું. ધીમે ધીમે તેમની મનઃસ્થિતિમાં સુધાર આવતા આવી મહિલાઓની કૌટુંબિંક વિગતો મેળવીને તેમને ભારતની નિર્વાસિત છાવણીઓમાં મોકલવામાં આવતી. આ કામ કરતાં કમળાબહેનને પણ કેટલીક વખત મુશ્કેલીમાં મુકાવું પડતું હતું. અજાણ્યા પ્રદેશમાં કોમી તંગદીલીના વાતાવરણમાં આ કાર્ય કરતી વખતે જીવનું જોખમ ખેડ્યું હોય તેવા અનેક પ્રસંગોનું વર્ણન તેમણે પોતાના પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’માં કર્યું છે. આ બધા અનુભવો વચ્ચે કમળાબહેન લાહોરમાં રહીને તેમના સંપર્કમાં આવતાં અનેક મુસ્લિમ લાહોરવાસીઓનાં પણ વિશ્વાસ અને સન્માન મેળવી શક્યાં હતાં. આ સમગ્ર કાર્ય દરમિયાન સ્ત્રીઓને એક ચીજવસ્તુની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી. તેમાં સ્ત્રીઓની પોતાની મરજી ગૌણ રહેતી. ત્યારે બાળકોની સ્થિતિ તો અત્યંત કરુણ હતી. કુંવારી માતા બનેલ સ્ત્રીઓ પોતાના બાળકને છોડીને ભારત આવવા તૈયાર થતી નહિ. આ અપહરણ કરાયેલ સ્ત્રીઓનાં બાળકો ‘વૉર બેબી’માં બે માસથી લઈને એક વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થતો હતો. આવાં બાળકોના ઉછેરનો પ્રશ્ન પણ સામે આવતો. કુંવારી માતા પોતાના બાળકને છોડી ન શકે અને બાળકને કુટુંબીજનોની સામે લઈ જઈ પણ ન શકે. ત્યારે તેમને સમજાવીને કુટુંબીજનો પાસે મોકલવી પડતી. આવી કરુણ અને હૃદયદ્રાવક સ્થિતિમાં કમળાબહેને કરેલું કામ કેટલું મુશ્કેલ હતું તેની કલ્પના જ કરવી રહી. આવાં અનાથ બાળકો માટે મૃદુલાબહેનના માર્ગદર્શનથી અલ્હાબાદમાં એક સંસ્થા શરૂ કરવામાં આવી. લાહોરમાં કામ પૂરું થયા પછી કમળાબહેન અમૃતસરમાં નિર્વાસિતોની છાવણીમાં જોડાયાં. આ પછી તેમણે કાશ્મીરમાં પુનઃપ્રાપ્ત મહિલાઓની છાવણીમાં પણ કામ કર્યું. કમળાબહેનની સૂઝ અને વ્યવહાર-કુશળતાને લીધે તેઓ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી અનેક મહિલાઓને તેમનાં કુટુંબીજન સાથે મેળાપ કરાવી શક્યાં. તેમણે કરેલ આ કાર્ય થકી ૯૦૦૦ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો ભારત પરત આવી શક્યાં. કમળાબહેનનું આ કામ એકલા હાથે શક્ય નહોતું જ. તેમના પ્રયત્નોમાં અનેક પાકિસ્તાની નાગરિકો અને અધિકારીઓનો સહકાર પણ મેળવી શક્યાં હતાં. આ સહકાર મેળવવો માત્ર કમળાબહેનની સૂઝ પર જ નિર્ભર હતું. પુનઃપ્રાપ્તિનું કામ પુરું થયા પછી કમળાબહેનને ખાદીહૂંડીના વેચાણનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૯૫૦ થી ૧૯૬૮ સુધી તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનમાં સેવા આપી. તે પણ તેમણે એટલું જ દિલથી અને સૂઝબૂઝપૂર્વક કર્યું. પુનઃપ્રાપ્તિના કાર્યમાં કમળાબહેન અનેક નિર્વાસિત લોકોનાં દિલ જીતી શક્યાં. આ કામ કરતાં કરતાં અનેક પ્રસંગોએ કમળાબહેને માનવતા મરી જતાં અને માનવતાને જીવાડનારાં લોકોના અનુભવો થયા. આવા ભગીરથ કાર્યને પાર પાડનારાં ગૂર્જરનારી કમળાબહેન પટેલને સલામી આપીએ તેટલી ઓછી છે.

‘ગાંધીવારસાનાં નારી રત્નો’ : મોસમ ત્રિવેદી
સંપાદન : કેતન રૂપેરા

કમળાબહેન પટેલ

જન્મ : ઈ.સ. ૧૯૧૨, નડિયાદ

અવસાન : ઈ.સ. ૧૯૯૨

કાર્યક્ષેત્ર : વતન-વાપસીમાં અગ્રણી ભૂમિકા, ખાદી ઉત્પાદન-સંશોધન-પ્રચાર-પ્રસાર

વિશેષ : સઘળા ભયનો ત્યાગ કરી ભરજુવાનીમાં શ્રીમતી કમળાબહેને તેમની જિંદગીનાં ઉત્તમ વર્ષો આ મહાન કાર્યને પાર પાડવામાં ખર્ચ્યાં. ઘર ગુમાવી દેનારને તેમનાં ઘેર પહોંચાડી પરિવાર ભેગા કરી આપનાર કમળાબહેન તેમનાં અહેસાનનાં અધિકારી બની ચૂક્યાં છે. પોતાને થયેલા અનુભવોને તેમણે શબ્દદેહ આપવો પડે તે સ્વાભાવિક જ છે. આપણા માટે તેઓ તે દિવસોને પુનઃજાગતા કરે છે. તે દિવસો દરમિયાન મુઠીભર લોકોએ જે ઉમદા દૃષ્ટાંત પુરું પાડ્યું હતું અને અનેકોએ જે પાશવતા દર્શાવી હતી - આ સઘળું શ્રીમતી કમળાબહેન આપણી સામે પ્રત્યક્ષ કરે છે.
- આલાબહેન દસ્તૂર
યુદ્ધનીતિના ઘડનારાઓ અને તેનું સંચાલન કરનારા રાજદ્રારીઓ તથા તેમનાં કુટુંબની સલામતી માટે અનેક પ્રકારની સાવચેતી લેવામાં આવે છે. યુદ્ધ ખેલતાં જવાનોનાં બહાદુરીભર્યા કૃત્યોની અનેક યશગાથાઓ રચાય છે. જ્યારે બીજી બાજુ પર યુદ્ધનાં ઉદ્દેશો અને કારણોની સાથે જેમને પ્રત્યક્ષ રીતે કંઈ જ સંબંધ ન હોય તેવા જીતેલા અને જિતાયેલી દેશની સામાન્ય પ્રજાને યુદ્ધની અનેક યાતનાઓ વેઠવી પડતી હોય છે. બંને પ્રકારના દેશોની સ્ત્રીઓને યુદ્ધની સર્વવ્યાપી અસરો વેઠવી પડે છે. તે ઉપરાંત, તેમને તેમનાં શિયળ અને શિશુને સંભાળવાની જવાબદારીઓનો બોજો પણ ઉઠાવવો પડે છે. પતિ અને પુત્રને હસતે મોંએ રણમાં વળાવતી લાખો સ્ત્રીઓ યુદ્ધમાંથી ઊભી થતી અનેક પ્રકારની યાતનાઓ સહન કરતી હોય છે. આ માટે નથી તો તેમને કોઈ ઈલકાબ કે ચંદ્રક મળતાં કે નથી તેમની મૂંગી યાતનાઓની સહનશીલતાની કોઈ યશગાથાઓ રચાતી.
(સાભાર સંદર્ભ : લેખિકાના ‘પ્રાસ્તાવિક’માંથી,

પુસ્તક : મૂળ સોતાં ઊખડેલાં, લે. કમળાબહેન પટેલ, પ્ર. નવજીવન)

એકત્ર-વૃત્ત

એકત્રવૃત્ત


‘એકત્ર ફાઉન્ડેશન’ પ્રસ્તુત
ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા
સંપાદકઃ મણિલાલ હ. પટેલ

ગુજરાતી ઑડિયો વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાર્તારસિકો માટે ‘ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા’ લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન કથાવાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વાર્તાવૈભવને પ્રસ્તુત કરશે. નવી કે જૂની, દરેક પ્રકારની, રસ પડે તેવી ઘટનાઓ અને સંવેદનાઓથી ભરપૂર ગુજરાતી વાર્તાઓ આ એકત્ર ઑડિયો ઍપમાં તમને મળી રહેશે. અમારા સંપાદકોએ ગુજરાતી વાર્તાસાહિત્યના અગાધ સમુદ્રમાંથી શ્રેષ્ઠ વાર્તાઓનાં મોતી વીણી આપ્યાં છે. આ ઍપનું સરળ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, ગમે ત્યાં અને ગમે ત્યારે તમારી મનગમતી વાર્તાઓ શોધીને સાંભળવામાં મદદરૂપ થશે. તમે કારમાં પ્રવાસ કરતા હો કે ઘરમાં આરામ કરતા હો, એકત્ર ઑડિયો ઍપના માધ્યમથી તમે તમારી અનુકૂળતાએ વાર્તાઓનો આનંદ મેળવી શકશો. ગુજરાતના કોઇ પણ ગામડે વસેલા વાર્તાપ્રેમી હો કે પછી પરદેશમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પ્રયાસ કરતા એન.આર.આઈ. હો, એકત્રનો આ ઑડિયો-પ્રકલ્પ, ગુજરાતી વાર્તા વૈભવનો અને વાર્તાકળાની તેજસ્વી પરંપરા સાથે તમારો અનુબંધ સ્થાપિત કરાવશે. તો, બા-અદબ, હોંશિયાર! એકત્ર ગુજરાતી ઑડિયો વાર્તાઓના આ પ્રથમ ઝૂમખામાં ૬૦ વાર્તાઓ લોન્ચ કરીએ છીએ. તમારી કલ્પનાના ઘોડાઓને છૂટ્ટા મૂકી દો અને એને ગુજરાતી વાર્તાઓના મેદાનમાં દોડવા દો!
- અતુલ રાવલ


Sanchayan 08-23-18.png

ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો અથવા ક્યુ આર કોડ સ્કેન કરો



વધુ વાર્તાઓનું પઠન
તબ્બકાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન :
શ્રેયા સંઘવી શાહ

ઑડિયો પઠન:
અનિતા પાદરિયા, અલ્પા જોશી, કૌરેશ વચ્છરાજાની,
ક્રિષ્ના વ્યાસ, ચિરંતના ભટ્ટ, દર્શના જોશી , દિપ્તી વચ્છરાજાની,
ધૈવત જોશીપુરા, બિજલ વ્યાસ, બ્રિજેશ પંચાલ,
ભાનુપ્રસાદ ઉપાધ્યાય, ભાવિક મિસ્ત્રી,
મનાલી જોશી, શ્રેયા સંઘવી શાહ

કર્તા-પરિચયો:
અનિતા પાદરિયા

પરામર્શક:
તનય શાહ

ઑડિયો એડિટિંગ:
પ્રણવ મહંત, પાર્થ મારુ, કૌશલ રોહિત

ગોવાલણી
શામળશાનો વિવાહ
પોસ્ટ ઓફિસ
પૃથ્વી અને સ્વર્ગ
વિનિપાત
ભૈયાદાદા
રજપૂતાણી
મુકુંદરાય
સૌભાગ્યવતી!!!
સદાશિવ ટપાલી
જી’બા
મારી ચંપાનો વર
શ્રાવણી મેળો
ખોલકી
માજા વેલાનું મૃત્યુ
માને ખોળે
નીલીનું ભૂત
મધુરાં સપનાં
વટ
ઉત્તરા
ટપુભાઈ રાતડીયા
લોહીનું ટીપું
ધાડ
ખરા બપોર
ચંપો ને કેળ
થીગડું
એક મુલાકાત
અગતિગમન
વર પ્રાપ્તિ
પદભ્રષ્ટ

એક સાંજની મુલાકાત
મનેય કોઈ મારે !!!!
ટાઢ
તમને ગમીને?
અપ્રતિક્ષા
સાડાત્રણ ફૂટની ઘટના
સળિયા
ચર્ચબેલ
પોટકું
મંદિરની પછીતે
ચંપી
સૈનિકનાં બાળકો
શ્વાસનળીમાં ટ્રેન
તરસના કુવાનું પ્રતિબિંબ
સ્ત્રી નામે વિશાખા
અંધારી ગલીમાં સફેદ ટપકાં
ઇતરા
બારણું
ત્રેપન સિંહ ચાવડા જીવે છે
બદલો
લીલો છોકરો
રાતવાસો
ભાય
નિત્યક્રમ
ખરજવું
જનારી
બદામી રંગનો કોટ અને છત્રી
ગેટ ટુ ગેધર
મહોતું
એક મેઈલ