સંવાદસંપદા/લતાબહેન દેસાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લતાબહેન દેસાઈ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Dr Lataben DEsai.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી


ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ એનાયત થતાં સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકી આ વર્ષનું પદ્મશ્રી સન્માન સેવા-રૂરલ સંસ્થાના સ્થાપકો પૈકીના એક ડો લતાબનેહ દેસાઈને એનાયત થયું. ભરૂચ નજીક ઝગડિયા ખાતે છેલ્લાં ચાળીસ વર્ષના એના કાર્યકાળ દરમ્યાન આ સંસ્થા અનેક આદિવાસી અને ગ્રામીણ શ્રમિકોનાં જીવનમાં આરોગ્ય અને શિક્ષણના પ્રસાર દ્વારા ઉજાસ પાથરવાનું કાર્ય કરી રહી છે. અમેરિકાના સુખ-સગવડભર્યા જીવનનું આકર્ષણ જતું કરીને એમના પતિ ડો અનિલભાઈ સાથે ત્યાંથી ભારત આવી એમણે બંનેએ કેટલાક મિત્રો સાથે મળી આ સેવાયજ્ઞ આરંભ્યો, અને પછી તો સંસ્થાની સુવાસ એવી પ્રસરી કે એને ૩૫થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ એની કામગીરીની નોંધ લીધી. અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાંથી તબીબી શાખાની સ્નાતક પદવી મેળવી લતાબહેને અમેરિકા જઈને બાળરોગની અનુસ્નાતક પદવી મેળવી. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને વિચારોથી પ્રેરિત આ દંપતીએ ૨૬ ઑક્ટોબર, ૧૯૮૦ના દિવસે સોસાયટી ફોર એજ્યુકેશન, વેલ્ફેર એન્ડ એક્શન-રૂરલ (SEWA-Rural)ની સ્થાપના કરી ત્યારે એમને એમનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું અને પછી એનો જે વિકાસ થયો એ નમૂનારૂપ છે. ૨૦૧૯માં પતિ અનિલભાઈના અવસાન પછી પણ, હવે જીવનના આઠ દાયકા વિતાવી ચૂકેલાં ડૉ. લતાબહેન, એમના જીવનકાર્યમાં સક્રિય છે.એમની સાથેનો આ વાર્તાલાપ એમના વ્યક્તિત્વનો પરિચય કરાવશે.

પ્રશ્ન: નમસ્કાર લતાબહેન, સૌપ્રથમ આપને આ વર્ષે મળેલા પદ્મશ્રી સન્માન બદલ અભિનંદન આપું છું. સન્માન બદલ આપનો પ્રતિભાવ જાણવાની ઇચ્છા છે. આપને આ અગાઉ પણ અનેક સન્માન એનાયત થઇ ચૂક્યાં છે. મને એવું લાગે છે કે આ એવોર્ડ મને નથી મળ્યો, પણ અમારી સાથે જે બધા નિષ્ઠાવાન ત્રણસો-સાડા ત્રણસો જેટલા કાર્યકરો કામ કરી રહ્યા છે એ અને એ ઉપરાંત કેટલા બધા લોકોએ અમને મદદ કરી છે અને કરી રહ્યા છે, એ બધાને જ આ એવોર્ડ તો જાય. પણ કોઈએ નિમિત્ત તો બનવું પડે એટલે હું તો નિમિત્ત માત્ર છું અને એની પાછળ મુખ્યત્વે તો ઈશ્વરની કૃપા અને વડીલો તેમજ સંતોના આશીર્વાદ જ છે, એવું હું દૃઢપણે માનું છું.

પ્રશ્ન: લતાબહેન, બહુજનહિતાર્થે જીવન સમર્પણ કરવાની ભાવનાનાં મૂળ આમ તો આપણા સંસ્કારમાં, આપણા બાળપણમાં હોય છે. તમારા બાળપણ વિષે, ઉછેર વિષે અને ઘરના વાતાવરણ વિષે અમને કંઈક કહેશો? તમારી વાત એકદમ સાચી છે, કે આ જે કંઈ ભાવના છે એનાં મૂળ તો બાળપણમાં જ હોય અને તમારો ઉછેર કેવી રીતે થાય છે એના પર જ આ બધું આધાર રાખે છે. મારો જન્મ સ્વતંત્રતાની લડતના સમયગાળામાં આધ્યત્મિક વાતાવરણવાળા એક માધ્યમ વર્ગના સંયુક્ત કુટુંબમાં થયો. મારી મા અને મારા કાકાએ ખેડામાં મણિબહેન પટેલ સાથે કામ કરેલું પણ પછી મારા કાકા તો સ્વતંત્રતાની લડતમાં એકદમ જોડાઈ જ ગયેલા. મારા પિતાજીએ આખા કુટુંબની જવાબદારી લઈ લીધેલી એટલે મારા કાકાએ ભણતર અધવચ્ચેથી છોડી દીધેલું અને લડતમાં જોડાઈ ગયેલા. એમણે છ મહિના જેટલો સમય તો જેલમાં ગાળેલો. પણ કમનસીબે હું ત્રણ વર્ષની હતી ત્યારે મારા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયેલો. અને પછી મારા કાકાએ અમને બધાંને મોટાં કર્યાં અને અમારું પંદર માણસનું સંયુક્ત કુટુંબ હતું. એટલે મને લાગે છે કે પંદર જણા ભેગાં રહ્યાં એવા આ કુટુંબમાં ઉછેર દરમ્યાન જ શેરિંગ એન્ડ કેરિંગ ફોર અધર્સ- બીજા સાથે હળી મળીને રહેવાની, બીજાની કાળજી કરવાની ભાવના કેળવાઈ હશે. પછી અમે નાનાં હતાં ત્યારે સમાજમાં જોતાં કે અશિક્ષિત અને ગરીબોને અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય- એ બધું જોઈને દુઃખ થતું અને ગુસ્સો પણ આવતો. ત્યારે એવું થતું કે મોટા થઈને કંઈક કરવું. અને ત્યારે એવું લાગ્યું કે ડૉક્ટર થઈને સમાજસેવા થઈ શકે એટલે મેં ડૉક્ટર થવાનું નક્કી કર્યું.

પ્રશ્ન: તમે તબીબી શાખાનો વધુ અભ્યાસ કરવા અમેરિકા ગયાં. ત્યાં અભ્યાસ કરીને ત્યાંની ચમક-દમક અને જાહોજલાલીવાળી જીવન શૈલી છોડીને તમે બંને તમારી સેવાભાવનાથી પ્રેરાઈને ભારત આવ્યાં, તમે આવ્યાં એવી વયમાં જ્યારે મોટાભાગના લોકો ત્યાંની મોજમજામાં મશગુલ હોય છે. આ નિર્ણય કેવી રીતે લેવાયો?

બરાબર છે. મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના સંદેશ પ્રમાણે આપણો દેશ ગામડાંમાં રહે છે, એટલે તમારે જો દેશસેવા કરવી હોય તો ગામડાંમાં જઈને એ લોકોની સાથે જ રહેવું પડે અને એ લોકોના પ્રશ્નો સમજવા પડે. નાનપણથી અમારો આવો ઉછેર હતો અને મારી અને અનિલભાઈની પહેલેથી જ ગામડામાં જઈને કામ કરવાની ઈચ્છા હતી, પણ અમારી પાસે પૈસા ન હતા. અમને એવા કોઈ ધનિક કે વગવાળા વ્યક્તિઓનો સાથ-સહકાર પણ નહોતો. આપણે જાતે કામ કરીને આપણા આદર્શને સાબિત ન કરી આપીએ ત્યાં સુધી દાન માંગવા જવું પણ ઇચ્છનીય નથી અને દાન મળે પણ નહીં. એટલે અમે પૈસા કમાવા માટે અમેરિકા ગયેલાં પણ એ નક્કી હતું કે પાછાં આવીને ગામડાંમાં જઈને જ સેવા કરવી છે. અમેરિકામાં અમે અનુસ્નાતક તબીબી ડીગ્રીઓ લીધી. ત્યાં અમને રામકૃષ્ણ મિશનના જુદાજુદા સંન્યાસીઓનો સત્સંગ મળતો અને એમની વાતો સાંભળીને પણ અમારા ભારત જવાના નિર્ણયને બળ મળતું ગયું. અમેરિકામાં અમે પણ બહુ જાહોજલાલી જોઈ, પણ અમે એ પણ જોયું કે ત્યાંના બધા લોકો કંઈ સુખી અને શાંત નથી હોતા. બરોબર છે કે એમને ભૌતિક જાહોજલાલીનું નાનું-મોટું સુખ મળે પણ એ લાંબા વખત માટે ટકતું નથી. અને આપણે આપણી જાતને એમાંથી બહાર કાઢીને આપણું વર્તુળ મોટું કરીએ, એટલે કે માત્ર આપણા કુટુંબ માટે નહિ, પણ જે આપણા લોહી-માંસના સગાં નથી કે મિત્રો નથી એમના માટે કંઈક કરીએ અને એમને આનંદ આપીએ તો એ આનંદની યાદ માત્ર જ જે સંતોષ આપે એ સંતોષ વર્ણવી શકાય એવો નથી. એ સંતોષ અને આનંદ અમૂલ્ય છે અને એ તો અનુભવની જ વાત છે.

પ્રશ્ન: ભારત પાછાં આવ્યાં પછી‘સેવા રૂરલ’ની શરૂઆતની ભૂમિકા અમને કહો. એવું કોઈપણ કાર્ય કરીએ એટલે શરૂઆતમાં અનેક સંઘર્ષો આવે છે, એટલે એવા દિવસો પણ તમે જોયા હશે. શરૂઆતના એ દિવસોમાં ક્યારેય નિરાશા આવી હતી? અથવા અમેરિકા પાછા ચાલ્યા જવાનું મન થયેલું?

કોઈપણ કામ હાથમાં લઈએ એટલે સંઘર્ષો તો આવે જ એ સ્વાભાવિક છે, એમાં વળી આ તો ગામડાંમાં જઈને સેવાનું કામ. ઘણીવાર આ સંઘર્ષો આપણા મન સાથે હોય, સંઘર્ષો આપણા કુટુંબના સભ્યો સાથે અને સમાજ તરફથી પણ આવે. અમે બધું વાંચેલું, સાભળેલું અને એના પર મનન અને ચિંતન કરેલું અને પછી નિર્ણય લીધેલો એટલે અમને મન તરફથી ખાસ સંઘર્ષ ન નડ્યો. અમે જે સ્વપ્નો જોયેલાં એને સાકાર થતાં જોઈને અમને તો આનંદ અને સંતોષ જ મળતો. અમારું કુટુંબ તો સ્વાતંત્ર્ય સેનાનીઓનું અને આધ્યાત્મિક વાતાવરણવાળું હતું. હવે અધ્યાત્મ એટલે શું? તો આપણે કહીએ કે આત્મા તરફ ગતિ કરવી, પોતાનામાંથી બહાર નીકળવું અને બધામાં એ જ આત્મા રહેલો છે એટલે બધા સાથે ઐક્ય સાધવું. તો આપણા વર્તુળને મોટું કરીએ, આપણામાંથી બહાર નીકળીએ એ જ સાચી આધ્યાત્મિકતા કહેવાય. ટીલાં-ટપકાં કરવાં એને હું આધ્યાત્મિકતા માનતી નથી. દરેક વ્યક્તિમાં અને સમાજમાં કંઈક ને કંઈક સારું છે જ, પછી એ ઉદ્યોગો હોય કે સરકાર હોય કે શૈક્ષણિક સંસ્થાઓ હોય, પત્રકારો હોય એ બધાની સારપ અને એમનો સહકાર મળતો રહ્યો અને અમને વધારે ને વધારે બળ મળતું ગયું. નિરાશા નથી આવી અને પાછા જવાનો વિચાર તો કદાપિ નથી આવ્યો, પણ શરૂઆતમાં અમારાં બાળકોને થોડો સંઘર્ષ કરવો પડેલો. અમારી દીકરી તો સ્કૂલમાં ચોથા-પાંચમા ધોરણ સુધી ઈંગ્લીશ મિડિયમમાં અમેરિકામાં ભણેલી. અને ઝગડિયા તો ગામડું, એમાં ઈંગ્લીશ મિડિયમની સ્કૂલ નહીં, એટલે પચીસ-ત્રીસ કિલોમીટર દૂર ભરૂચ એણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવું પડતું અને જ્યારે એ પણ સમયસર ન મળે ત્યારે તો ખટારા અને ટેમ્પો કે રીક્ષામાં જવું પડતું, પણ કોઈ દિવસ એ લોકોએ ફરિયાદ નથી કરી. અને અમારા મનમાં પણ એમને કેટલી મુશ્કેલી પડતી હશે એવા વિચારો એ વખતે નહોતા આવ્યા. અમે તો અમારાં સ્વપ્નો સાકાર કરવામાં એવાં મશગુલ થઈ ગયેલાં કે દૂનિયાદારીનું ડહાપણ અમારામાં ડોકિયાં જ નહોતું કરતું. ગરીબો અને વંચિતોનાં દુઃખ-દર્દ ઓછાં કરવાથી અમને જે આનંદ મળતો એમાં જ અમે તો ડૂબેલાં, એટલે પાછા અમેરિકા જવાનો કોઈ વખત વિચાર નહોતો આવ્યો, અને નિરાશા પણ નહોતી આવી. અને હવે તો અમેરિકાવાળાને પણ એમ થાય છે કે અમે કેટલાં સુખી છીએ!

પ્રશ્ન: લતાબહેન, ‘સેવા રૂરલ’ શરૂ કરવા માટે ઝગડિયા પર પસંદગી કેમ અને કેવી રીતે ઉતરી? અમે અમેરિકા હતાં ત્યારે નક્કી તો કરેલું કે ગામડાંમાં, પછાત વિસ્તારોમાં જવું છે, અને અમે ત્યાં હતાં ત્યારે બે વખત અહીંની મુલાકાત લીધેલી અને પંચમહાલ, ભરૂચ, કચ્છ, ધરમપુર વગેરે વિસ્તારોમાં અમે ફરેલાં. એ વખતે ઝગડિયામાં કસ્તુરબા મેડીકલ એઇડ સોસાયટી હતી અને એ સોસાયટી દ્વારા મેટરનિટી હોમ ચાલતું હતું. એના ત્રણ-ચાર રૂમ હતા અને એક મેડીકલ ઓફિસર હતા જે માત્ર નોર્મલ ડિલીવરી જ કરાવી શકે. જોખમી સુવાવડના કેસ તો એમણે બહાર મોકલવા પડતા. એટલે એમણે અમને ત્યાં સગવડ કરી આપી. બીજું કે ઝગડિયા એ નર્મદાને કિનારે આવેલો વિસ્તાર અને નર્મદાનું પણ અમને ખાસ આકર્ષણ ખરું, કારણ કે નર્મદા એ વૈરાગ્ય અને ત્યાગની ભૂમિ છે. વળી ત્યાંના રસ્તા પાકા હતા, બાજુમાં અંકલેશ્વરના ઔદ્યોગિક એકમો પણ હતાં. અમારે માત્ર આરોગ્યલક્ષી જ નહીં, પણ યુવાનોને પગભર કરવાનાં વગેરે અનેક કામો કરવાં હતાં. એટલે આ બધાં કારણોસર અમારી પસંદગી ઝગડિયા પર ઉતરી.

પ્રશ્ન: તમારા આ ચાળીસ વર્ષના કાર્યકાળ દરમ્યાન સંસ્થાની પ્રવૃત્તિઓનો વિકાસ કેવો થયો છે અને સંસ્થાની સિદ્ધિઓ તમારી દૃષ્ટિએ શું છે એ અમને કહેશો? પહેલાં વિકાસની વાત કરીએ તો અમે શરૂ કર્યું ત્યારે અમે સોળ જણ જ હતાં. અત્યારે અમારા ત્રણસો પચાસ જેટલા નિષ્ઠાવાન કાર્યકરો છે. એમાંના ઘણા તો અમારી સાથે દસ-પંદર વર્ષથી પણ વધારે સમયથી છે. હવે આરોગ્યની વાત કરીએ તો હોસ્પિટલમાં અત્યાર સુધી લગભગ છવીસ લાખ લોકોની સારવાર થઈ છે. શરૂઆતમાં અમે ચાર જ ડૉક્ટરો હતા, હવે સત્તાવીસ ડૉક્ટરો છે. દર વર્ષે લગભગ છ હજાર સુવાવડ થાય છે, એટલે અત્યાર સુધીમાં એંશી-નેવું હજાર સુવાવડ થઈ છે. આંખના રોગોની વાત કરીએ તો સવા લાખ જેટલા મોતિયા, ઝામર જેવા ઓપરેશન અને બીજાં આંખના ઓપરેશન મળીને કુલ ત્રણ લાખ જેટલાં આંખનાં ઓપરેશન થયાં છે. અમારું એક ટ્રેઈનીંગ સેન્ટર પણ છે, અને એમાં અત્યાર સુધીમાં લગભગ એકસો પચાસ સંસ્થાઓમાંથી છવીસ હજાર જેટલા લોકોએ ટ્રેઈનીંગનો લાભ લીધો છે. અમે ગ્રામીણ ટેક્‌નિકલ કેન્દ્ર દ્વારા યુવાનોને પગભર કરવાનું કામ પણ કરીએ છીએ, અને પછી એ લોકોને નોકરી પણ અપાવીએ. તો અત્યાર સુધીમાં લગભગ ૩૬૮૦ જેટલા યુવાનો પગભર થયા છે, એમાં કેટલાકે તો પોતાના ધંધાઓ પણ શરૂ કર્યા. બીજું અમારું કામ મહિલા સશક્તિકરણનું છે. આ કામ પહેલાં તો અમે ‘સેવા રૂરલ’માં શરૂ કરેલું, પણ પછી એવું લાગ્યું કે બહેનો જ બધા નિર્ણયો લે, બહેનો જ સંચાલન કરે એ માટે અમે એક અલગ સંસ્થા શરૂ કરી, જેનું નામ ‘શારદા મહિલા વિકાસ સોસાયટી’. એમાં પણ શરૂઆતમાં બાર જેટલી જ બહેનો હતી, અત્યારે પાંસઠ જેટલી છે. એમાં અત્યારે તો લગભગ સવા કરોડ જેટલું ગારમેન્ટનું કામ થાય છે જેમાં ઓગણત્રીસ લાખ જેટલી બહેનો રોજી મેળવે છે. પાપડનું કામ પણ ગણીએ તો કેટલાય લાખનું કામ થાય છે. પછી અમે એવું પણ જોયું કે એ લોકો હોસ્પિટલની સારવાર લેવાનું ટાળે અને અમે જ્યારે ગામડાંમાં જઈએ ત્યારે એ લોકો અમારાથી ડરીને ભાગી જાય એવું હતું. પણ પછી અમે એ લોકોને સ્પર્શે એવા જાગૃતિ કાર્યક્રમો કર્યા, એમાં પપેટ શો, શેરી નાટક, નૃત્યો વગેરે કરતાં કરતાં એ લોકોને અમારામાં વિશ્વાસ બેઠો. અમે દસ ગામમાં ઘર આંગણે આરોગ્યનું કામ શરૂ કરેલું અને માત્ર નવ હજાર લોકો માટે જ શરુ કરેલું. પણ અત્યારે તમને નવાઈ લાગશે કે પછી એક લાખ ચાળીસ હજાર વસ્તીને આનો લાભ મળે છે. અમે એક નવી એપ્લિકેશન શોધી છે જેનાથી બાળ મૃત્યુ અને માતા મૃત્યુ ઓછાં થાય તો એ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને એમણે અમારી એ એપ્લિકેશન આખા ગુજરાતમાં રેપ્લીકેટ કરી અને હવે તો ભારતનાં બીજાં રાજ્યોમાં પણ અપનાવાઈ રહી છે અને ભારતની બહાર નાઇજીરિયા, કંબોડિયા જેવા દેશો પણ એને અપનાવવાનું વિચારી રહ્યા છે. અમે શરુ કર્યું હતું ત્યારે બાળ મૃત્યુનું પ્રમાણ એકસો બોત્તેર હતું, હવેએ ઘટીને પચીસ થયું છે. માતા મૃત્યુનું પ્રમાણ છસો વીસ હતું તે ઘટીને છેલ્લા ઘણા વર્ષથી તો કોઈ વખત એક પણ માતાનું મૃત્યુ નથી થતું કે કોઈક વર્ષમાં એકાદ-બે માતાનું મૃત્યુ થાય છે. કારણકે અમે ફોલો-અપ વગેરે એટલું બધું કરીએ છીએ. એટલે આ મેં અમારી સંસ્થાના વિકાસની વાત કરી. અત્યાર સુધીમાં અમને પાંત્રીસ જેટલા એવોર્ડ પણ મળ્યા છે. પહેલો એવોર્ડ અમને ૧૯૮૫માં મળ્યો, જયારે અમારા કામની હજુ તો શરૂઆત હતી. ત્યાર પછી તો અમને કેટલા બધા એવોર્ડ મળ્યા પણ આ એવોર્ડ તો ઠીક છે. આ તો તમે સવાલ પૂછ્યો, એટલે આને સિદ્ધિ કહેવાય. પણ બીજું ખાસ તો અમારી સાથે જે કામ કરતા હતા એવા છ દંપતીઓએ ગુજરાતમાં વલસાડ, ધરમપુર, બનાસકાંઠા, ભાવનગર એમ જુદીજુદી જગ્યાઓએ જઈને પોતાની સંસ્થાઓ શરુ કરી એ પણ બહુ મોટું કામ થયું અને અત્યારે લગભગ આવી પંદર જેટલી નાની-મોટી સંસ્થાઓ કામ કરી રહી છે. એટલે આને પણ વિકાસ અને સિદ્ધિ કહી શકાય. અમારી સંસ્થાના કામની ઝાંખી અનેક છાપાંઓમાં, મીડિયામાં, જર્નલમાં અને રીડર્સ ડાઈજેસ્ટ, ઇન્ડિયા ટૂડે જેવાં સામયિકોમાં પણ આવી ગઈ છે.

પ્રશ્ન: લતાબહેન, તમે મહિલાલક્ષી કાર્યક્રમો અને ઉપક્રમોની વાત કરી. તમારા કામ દરમ્યાન તમે મહિલાઓ અને બાળકોના આરોગ્યલક્ષી અને સામાજિક પ્રશ્નો પણ જોયા હશે. ચાર દાયકાના તમારા કામ દરમ્યાન આ સંદર્ભે શું પરિવર્તન આવ્યું છે? હવે એમાં કોઈ સુધારો જણાય છે?

નાના-મોટા બહુ જ સુધારા જણાય છે. અમે બહેનોની અલગ સંસ્થા કરી પછી અમે દર બે મહીને બહેનો સાથે જુદાજુદા વિષયો પર શિબિર કરીએ. બાળ ઉછેર, મહિલાઓનું આરોગ્ય, કાયદાઓ, સ્વરક્ષણની તાલીમ, જાતીય શોષણ સામે રક્ષણ કેવી રીતે મેળવવું એની તાલીમ, આર્થિક રીતે પગભર કઈ રીતે થવું એની તાલીમ આપીએ છીએ. એટલે ગારમેન્ટ, પાપડ, નાસ્તા, ઘર વપરાશની વસ્તુઓ, વગેરે બનાવીને એ લોકો કમાતા થયા. અને અમે જ્યારે શિબિર કરીએ ત્યારે બહેનો જ એમાં ભાગ લે, આયોજન કરે, અને સંસ્થાના અને સંસ્થાની બહારનાં જે બહેનોએ કામ કર્યું હોય એવા તજજ્ઞોને બોલાવીએ અને એમનાં પ્રવચનો પણ અમારી બહેનો સાંભળે અને પછી એમને અમે કહીએ કે તમે જે સાંભળ્યું એ પ્રમાણે નાટક કરો. ગામડાંની અર્ધ શિક્ષિત બહેનો પણ બહુ હોંશિયાર હોય છે અને એ લોકો આ નાટકો કરે એના દ્વારા એમને બધું આત્મસાત થાય છે. એમને સમજાય છે કે બાળકોને ભણાવવા જોઈએ. પહેલાં તો એ લોકો આરોગ્યની તપાસ કરાવવા જ નહોતા આવતા, પણ હવે એ લોકો અંદરની તપાસ કરાવે એટલું જ નહીં, જરૂર પડે તો ઓપરેશન પણ કરાવે. પોતે જ એ કરાવે એવું નહીં, પણ ગામના અને સમાજના લોકો એમને પૂછવા આવે અને આ બહેનો એમને સલાહ પણ આપે. એટલે એમના પોતાનામાં તો ફેર પડ્યો પણ એ લોકો હવે બીજાને પણ સમજાવે એવા થયા. અને બાળકોની વાત કરીએ તો પહેલાં તો બાળકો અડધેથી સ્કૂલ છોડીને મજૂરીમાં લાગી જતાં હતાં, પણ હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ બહેનોનાં કેટલાંય બાળકો ડૉક્ટર થયાં, ઈજનેર થયાં, સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રીઓ લીધી, કેટલાક નર્સિંગ કરે છે, લેબોરેટરીમાંકામ કરે છે. એમનું આરોગ્ય પણ સુધર્યું છે. એનીમિયાનું પ્રમાણ એટલું બધું ઓછું થયું, જાતીય રોગો પણ ઓછા થયા. એટલે આ રીતે બાળકોમાં અને બહેનોમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે.

પ્રશ્ન: તમે હમણાં જ કહ્યું કે તમારી સાથે કામ કરીને બીજા લોકો હવે આ પ્રકારની સંસ્થાઓ દ્વારા કામ કરી રહ્યા છે. એ સિવાય પણ આપણે ત્યાં અનેક સેવાભાવી લોકો એનજીઓ ચલાવે છે. તમને એવું નથી લાગતું કે જે જવાબદારી મોટાભાગના વિકસિત દેશોમાં સરકારો અદા કરે છે - દેશના દરેક માનવીની પાયાની જરૂરિયાત પૂરી કરવાની, એ જવાબદારી આપણા દેશમાં તમારા જેવા લોકો પર આવી છે અને એ રીતે આપણું સરકારી તંત્ર એ બાબતે અસમર્થ નીવડ્યું છે?

તમારો આ સવાલ છે એ બરોબર છે, પણ આપણું સરકારી તંત્ર બિલકુલ અસમર્થ છે એવું તો ન કહી શકાય. બરોબર છે કે બહુ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે, પણ બિલકુલ અસમર્થ તો નથી જ. બરોબર છે કે સરકારી તંત્રમાં મોટાભાગના પૈસા કર્મચારીઓના ભાડા-ભથ્થાંમાં જતા હશે અને લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલો ખર્ચ થતો હશે એના ચોક્કસ આંકડાઓ મળતા નથી. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોઈએ તો જાહેર રસ્તાઓ સુધરી રહ્યા છે, વિજળીની સુવિધા અને પીવાના પાણીની સગવડ, બાળકોના શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પણ થોડો ઘણો સુધારો તો થઈ રહ્યો છે. અમારાં ગામડાંમાં પહેલાં માત્રે એક-બે બાઈસિકલ જોવા મળતી, હવેતો ૭૫-૮૦ ટકા ઘરોમાં મોટર-સાઈકલ આવી ગઈ છે, ઘરે-ઘરે મોબાઈલ ફોન અને ટીવી આવી ગયાં છે. અને આ બધી ટેકનોલોજીને કારણે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે. એટલે મને લાગે છે કે આવી રીતે જો લોકો જાગૃત થતા રહેશે તો પોતાના હક માટે પણ લડશે અને લડી રહ્યા છે તેમજ ફરજ બજાવવા માટે પણ તૈયાર રહેશે. પહેલાં આપણા દેશની ગણતરી અવિકસિત દેશોમાં થતી હતી, પણ ધીરેધીરે હવે વિકાસશીલ દેશમાં થઈ રહી છે. હું તો આશાવાદી છું અને મને તો લાગે છે કે થોડાંક વર્ષોમાં આપણા દેશની ગણતરી અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં થશે.

પ્રશ્ન:તમે આટલાં વર્ષથી જે કામ કરી રહ્યાં છો, એ મિશનમાં હવે તમારા પુત્ર અને પુત્રવધુ પણ જોડાયાં છે. આવું સમર્પણ આખો પરિવાર કરે એવું ભાગ્યે જ જોવા મળે છે. એવા કેટલાક ઉદાહરણો આપણી સામે છે કે એન.આર.આઈ પરિવારોમાં માતા-પિતાને ભારત જઈને સેવા કરવી હોય પણ એમનાં સંતાનોને એમાં કોઈ રસ હોતો નથી. આજના આપણા સામાજિક પ્રશ્નો સંદર્ભે સંતાનોનું ઘડતર કરવા અંગે મારે તમારા વિચારો જાણવા છે.

આપણે મા-બાપ ઘણીવાર બાળકોને સલાહ-સૂચન બહુ આપતાં હોઈએ છીએ. સલાહ-સૂચનથી ઘડતર થતું નથી. મને તો લાગે છે કે મા-બાપે એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, એવાં વાણી, વર્તન અને વ્યવહાર હોવા જોઈએ જે જોઈને બાળક એમાંથી શીખે અને એમાંથી એનું ઘડતર થાય. એક દાખલો આપું, તો આપણે બાળકને કહીએ કે જૂઠું નહીં બોલવાનું. પછી આપણે ત્યાં કોઈનો ફોન આવે, બાળક ફોન ઉપાડે અને આપણે વાત ન કરવી હોય તો આપણે બાળકને કહીએ કે એને કહી દે કે ઘરે નથી. બાળક જૂએ કે આ તો ખોટું બોલે છે, તો એ સાચું બોલવાનું કેવી રીતે શીખે? એટલે આપણે રોલ-મોડેલ બનવું પડે તો જ એનું ઘડતર થઈ શકે. આપણે જોઈએ છીએ કે કેટલીક સામાજિક સંસ્થાઓ છે જે સંસ્થાઓ શરૂ કરનાર બહુ જ સમર્પિત લોકો હતા, એમણે સેવામાં એમનું તન, મન અને ધન આપી દીધેલું. પણ એમનાં બાળકોને જોઈએ તો એમને સમાજસેવાનાં કાર્યો કરવાની ઈચ્છા નથી હોતી અને એનો વિરોધ પણ કરે છે. આવું કેમ? તો અમને લાગ્યું કે દરેકને આદર્શ તો હોવો જ જોઈએ, પણ માત્ર સૂકો આદર્શ નહીં ચાલે. જેમ પરિસ્થિતિ બદલાય એમ આપણે વ્યવહારુ થવું પણ જરૂરી છે. એવું અમને લાગ્યું એટલે અમે અમારાં બાળકોને નાચ-ગાન, રમત-ગમત, સારી ફિલ્મો જોવી, પ્રવાસે જવું, પર્વતારોહણ કરવું, નાટકોમાં જવું – અમને લાગે કે આ નિર્દોષ પ્રવૃત્તિઓ છે તો અમે એમને એમાં ઉત્તેજન આપતાં. જ્યારે કેટલાક લોકો એટલા શુષ્ક હોય, જીદ્દી હોય, તો બાળકોને આવી પ્રવૃત્તિઓ ન કરવા દે. પણ અમે અમારાં બાળકોને આ બધા માટે પ્રોત્સાહન આપીએ અને મદદ પણ કરીએ. એટલે અમે એ રીતે પ્રેક્ટીકલ આઈડીયાલીસ્ટ થયાં છીએ. મને લાગે છે કે બાળકોએ આ બધું જોયું, હું અને અનિલભાઈ એટલા આનંદથી રહ્યાં એટલે બાળકો જોતાં કે કેટલી મજા આવે છે. અમારે ઘેર મહેમાનો પણ બહુ આવતા અને એમની વાતોમાં પણ મજા-મજા જેવું જ લાગતું હોય, એટલે અમારા દીકરાને પણ એવું લાગ્યું કે આ જ કરવા જેવું છે. અમારા દીકરાનો જન્મ અમેરિકા થયેલો, પછી એ ભણવા પણ અમેરિકા ગયો. એ અને એની પત્ની ત્યાં દસ વર્ષ રહ્યાં, પણ પછી અહીં આવીને અમારી સાથે કામ કરે છે. એટલે આ બધાં કારણો હશે એમ મને લાગે છે. અમને અહીં આનંદ જ મળે છે, મજા જ છે. હવે આ આનંદ અને પેલો ભૌતિક સુખોનો આનંદ એમાં કેટલો ફરક છે. એક વસ્તુથી ભૌતિક વસ્તુ મળે એટલે તમને આનંદ થાય, પણ એ આનંદ થોડો વખત ટકે, પછી બીજી વસ્તુની ઈચ્છા થાય. એટલે એ આનંદ કાયમી નથી. આખરે આપણને જીવનમાં જોઈએ છે શું? આનંદ અને શાંતિ. અને એ અમારા જીવનમાં ભરપૂર છે એવું બાળકોએ જોયું.

પ્રશ્ન: અનિલભાઈ સાથેના સહજીવનના અને સેવા –રૂરલના કામ દરમ્યાન થયેલા અસંખ્ય અનુભવો હશે, પણ એ પૈકી કોઈ એવા પ્રસંગો હોય જેની છાપ આજીવન રહે. એ વિષે વાત કરશો? ચોક્કસ. જુવો, હું પહેલાં સંસ્થાની વાત કરું. પહેલેથી અનિલભાઈને મહિલાઓમાં રહેલી શક્તિ વિષે ખૂબ આદર હતો. એ બહેનોને ખૂબ પ્રોત્સાહન અને પ્રેરણા આપતા. મહિલા વિકાસનું જે કામ અમે સેવા રૂરલ દ્વારા કરતા એ કામ કરવા અમે એક અલગ સંસ્થા શરૂ કરી. મને એની શરૂઆતનો એક પ્રસંગ યાદ આવે છે. અલગ સંસ્થા કરવાનો અમે નિર્ણય કર્યો પછી અમને એમ થયું કે આપણે બહેનો જોડે વાત કરીએ. એટલે અમે પચાસ-સાઠ જેટલી બહેનોને, અલગ સંસ્થા માટે શું કરવું પડશે, કેવી તૈયારીઓ કરાવી પડશે એની ચર્ચા કરવા માટે બોલાવી. અમને થયું કે સેવા રૂરલના બે-ચાર મોભી ભાઈઓને પણ બોલાવીએ. એમને માત્ર ચર્ચા સાંભળવા પાછળ બેસાડવાનું નક્કી થયું. પછી અમે ચર્ચા શરૂ કરી અને બહેનોને પૂછવા માંડ્યું. પહેલાં એકાદ બહેન બોલી, પછી બીજી બહેનોએ કહ્યું કે આ પાછળ આપણાભાઈઓ બેઠા છે એમને પહેલાં પૂછો. એટલે અમને ખૂબ આંચકો લાગ્યો, કે આ બહેનો પોતે વિચારતી નથી અથવા એમને બોલવાની હિંમત નથી, અથવા એમને સંકોચ થાય છે અને એમને એવું થાય છે કે ભાઈઓ જ બધું કરી શકે. અનિલભાઈએ આ જોયું અને બહેનો સાથેની એમની એ પહેલી અને છેલ્લી મિટીંગ. ત્યાર પછી એ બહેનોની કોઈ મિટિંગમાં ન આવ્યા અને બહેનોની સંસ્થામાં ટ્રસ્ટી તરીકે પણ ન રહ્યા. સંસ્થાને લગતા આવા તો ઘણા પ્રસંગો છે.

હવે પતિ સાથેના અને પરિવાર સાથેના વ્યક્તિગત પ્રસંગોની વાત કરું તો અમે રોજ ફરવા જતાં. ગમે તેટલું કામ હોય છતાં અમે રોજ સવારે સાથે ફરવા જતાં. મોટે ભાગે સાંજે પણ જતાં, ક્યારેક કામમાં મોડું થાય તો સાંજનું ફરવાનું ન બને. પણ સવારે તો રોજ સાથે જ ફરવા જવાનું એવો આગ્રહ. અમે બંને સાથે ફરવા જઈએ ત્યારે અમારા પારિવારિક જીવનમાં પ્રશ્નો નડતા હોય અથવા સંસ્થાના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની ચર્ચા કરીએ, એ પ્રશ્નોનો કેવી રીતે ઉકેલ લવાય એની પણ ચર્ચા કરતાં. આ એક બહુ મોટી વાત છે. પછી તો અમારા કામની જાણ બધાને થવા માંડી એટલે બધા બોલાવે, આવાં આમંત્રણો આવે ત્યારે એ મને જ જવા માટે પ્રોત્સાહન આપે. અમને વિશ્વ આરોગ્ય સંસ્થાનો પહેલો જે એવોર્ડ મળેલો એ લેવા જીનિવા જવાનું હતું, એ લેવા પણ એમણે મને જ મોકલી, એ પોતે ન ગયા. પછી વિશ્વ આરોગ્ય સંસ્થામાં એક વખત ચર્ચા માટે અમને બોલાવેલાં. એન.જી.ઓ અને સરકાર સાથે કામ કરે એના અનુભવો વિષેની એ ચર્ચામાં ભાગ લેવા પણ એમણે મને જ મોકલી. આવા તો કંઈ કેટલાય પ્રસંગ મને યાદ આવે છે. પણ છેલ્લે એમના જીવનના ૪૮ કલાક બાકી હતા ત્યારનો એક પ્રસંગ છે. હું ત્યારે એમની સાથે ન હતી, પણ અમારા સાથીદાર બંકિમભાઈ શેઠ અને અમારા મયંકભાઈ પંડ્યા સાથેએ મંદિરમાં જતા હતા. અનિલભાઈનો હાથ પકડીને એ લોકો લઈ જતા હતા. ત્યારે એ જે ત્રણ વાક્યો બોલ્યા હતા તે આ લોકોએ એમના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધાં હતાં. એમાંનું એક વાક્ય એવું હતું કે “ભગવાને મારા જેવા સામાન્ય માણસ માટે એલ. એમ. શાહ ને મોકલી આપી તેથી હું કંઈક કરી શક્યો”. એલ. એમ. શાહ એટલે હું, મારાં લગ્ન પહેલાં મારી અટક શાહ હતી. એટલે મારા જેવી એક સામાન્ય સ્ત્રીને એમણે કેટલો મોટો આદર આપ્યો. કેટલા પતિઓ પત્નીનું આટલી હદ સુધી સન્માન કરતા હશે? આ વાક્ય મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે, એની છાપ મારા મન પર આજીવન રહેશે. અને હવે તો મને લાગે છે કે આ પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો એ પણ એમના ચાલ્યા ગયા પછી એમણે પડદા પાછળ રહીને મને ફરી આગળ કરી. એમનું એ વાક્ય મારે માટે સૌથી મોટો એવોર્ડ છે.

પ્રશ્ન: જીવનના આટલા બહોળા અનુભવ પછી જીવનનાં અનેક સત્યો તમને સમજાયાં હશે. દેશ –વિદેશમાં વસતા ભારતીયોને તમે શું કહેશો? આ બધા યુવાનોમાં જે વારસો અને જે લોહી છે એ એમના મા-બાપનું, એમના પૂર્વજોનું છે. આપણા સંસ્કાર પ્રમાણે આપણે જે કંઈ છીએ એમાં ભગવાન તો ખરા, એટલે દેવઋણ છે. પછી ઋષિઋણ, માતૃઋણ, પિતૃઋણ એ બધા ઋણ આપણાં પર છે. એવી રીતે આપણા દેશનું ઋણ પણ આપણા પર છે. એટલે હું તો દેશ-વિદેશમાં વસતા ભારતીયોને કહીશ કે તમે જ્યાં હો ત્યાં, દેશમાં કે પરદેશમાં સુખથી રહો. આપણા દેશની ખામીઓ તો છે જ,જેમ અમેરિકાની ખામીઓ છે કે બીજા કોઈપણ દેશની હશે. એટલે હું એમને કહીશ કે તમે આપણા દેશની ટીકા કરવાનું બંધ કરો, કારણકે તમારે માથે દેશનું ઋણ છે. તમે ભલે આર્થિક કે બીજી કોઈપણ રીતે દેશની સેવા ન કરો, પણ તમારા મિત્રો કે પરિવારને દેશની સેવા કરવાની ઇચ્છા હોય તો એમને અટકાવશો નહીં. અને જો તમારા સાનુકૂળ સંજોગો હોય તો અત્યારે અને ન હોય તો જ્યારે અનુકૂળતા થાય ત્યારે થોડા સમય માટે પણ તમારું જે ઋણ છે એના માટે કંઈક કરી છૂટો. એ કરી છૂટવાનો જે આનંદ છે એ ભૌતિક સુખના ક્ષણિક આનંદ કરતાં અનેકગણો ઉંચો અને ટકાઉ છે.