સંવાદસંપદા/વિભા દેસાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિભા દેસાઈ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Vibha Desai.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી



જેમનું ગાયન સાંભળીને બે પેઢી ઉછરી છે અને હજુ એમનો કંઠ અકબંધ છે એવાં સુખ્યાત ગાયિકા વિભા દેસાઈ એટલે ગળથૂથીમાંથી મળેલા સંગીતના સંસ્કાર અને પછી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીને મેળવેલી યુનિવર્સીટીની પદવી. ગાયનમાં એમને મળેલા સંસ્કારને એમણે શાસ્ત્રીયસંગીતની તાલિમ લઈને વધુ ઓપ આપ્યો અને પછી ગુજરાતી સંગીતના અગ્રિમ સ્વરકાર અને ગાયક રાસબિહારી દેસાઈ સાથેના એમના સાયુજ્યએ ગુજરાતી સંગીતના ભાવકોને એક એવું સ્વરયુગલ આપ્યું જેણે આપણી ભાષાના સુગમ કાવ્યસંગીતમાં એક અનોખો ચિલો ચાતર્યો. ૧૯૬૧થી વિભા દેસાઈ આકાશવાણીનાં અને ત્યાર પછી દૂરદર્શનનાં માન્ય કલાકાર રહ્યાં અને અમેરિકા, યુનાઈટેડ કિંગડમ જેવા વિદેશોમાં અને ભારતભરમાં એમણે સેંકડો કાર્યક્રમોમાં સંગીત રજૂ કર્યું. એમની મોટા ભાગની કારકિર્દી એવા સમયમાં પસાર થઈ જે કાળમાં ટેકનોલોજીનાં આજનાં સાધનો ઉપલબ્ધ નહોતાં અને ન હતા કલાજગતના સંખ્યાબંધ ઍવોર્ડ. ૧૯૬૧માં વિભાબહેન આકાશવાણીની અખિલ ભારતીય સંગીત પ્રતિયોગીતામાં વિજેતા જાહેર થયાં હતાં અને એ જ વર્ષમાં મહારાણી એલિઝાબેથની ભારત મુલાકાત સમયે એમને મહારાણી અને પંડિત જવાહરલાલ નહેરુ સમક્ષ એમની કલા પ્રસ્તુત કરવાનું નિમંત્રણ મળ્યું હતું . ૧૯૭૯માં ગુજરાતી ચિત્રપટ ‘કાશીનો દીકરો’ના પાર્શ્વ ગાયન માટે એમને ગુજરાત સરકારે સન્માનિત કર્યાં હતાં. એમની સાથેનો આ સંવાદ સંગીત પ્રત્યેની એમની સમર્પિતતા અને રાસભાઈ સાથેના એમના સહજીવનનો અંતરંગ પરિચય કરાવશે.

પ્રશ્ન: વિભાબેન, સંગીત આપને વારસામાં મળ્યું. આપના બાળપણ વિષે અને સંગીતમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો એ વિષે અમને સૌપ્રથમ વાત કરશો? આમ તો જીવનમાં સંગીતના તાણાવાણા વણવાની ઘટના એટલી બધી સૂક્ષ્મ હોય છે કે ક્યાં, ક્યારે અને કેવી રીતે એ ઘટે એ કહેવું મુશ્કેલ હોય છે. પણ તમે કહ્યું મેં મારા કિસ્સામાં તો મને વારસામાં જ સંગીત મળ્યું હતું. એટલે એમ કહી શકાય કે જન્મથી જ સંગીતમાં પ્રવેશ થઈ ગયો હતો. મારા પિતાજી ખૂબ સરસ ગાતા. એમના એક વડીલ મિત્ર હતા, શ્રી નરેન્દ્રભાઈ શુક્લ, જેઓ આગ્રા ઘરાનાના ગાયક અને મ્યુઝીકોલોજીસ્ટ હતા. એમના ઘેર રોજ રાત્રે શાસ્ત્રીય સંગીતની બેઠકો થાય, અને એમાં જાણીતા ઉસ્તાદો ગાય. મારા પિતાશ્રી પણ એમાં ગાતા. સંજોગો અનુસાર એમને બહાર ગાવાનું બહુ ન થયું. પણ નાનપણથી અમને બધાં ભાઈ-બહેનોને ગીતો શીખવાડીને હરીફાઈઓમાં ભાગ લેવડાવતા. એ અમને ખૂબ પ્રોત્સાહન આપતા અને ઘરમાં સંગીતનું ખૂબ વાતાવરણ હતું. છઠ્ઠા ધોરણથી હું અમદાવાદની જાણીતી સી.એન વિદ્યાવિહારમાં હતી. એના આચાર્ય ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ હતા. એ વખતે અમારી સ્કુલમાં એવી પ્રથા હતી કે એક ઉદ્યોગ રાખવાનો, એમાં મેં સંગીત રાખેલું. અને ત્યાં અમારા શાસ્ત્રીય સંગીતના શિક્ષક શ્રી વસંતરાવ તેંદુલકર પાસે છેક અગિયારમા ધોરણ સુધી મને તાલીમ મળી. એટલે સંગીતનો સત્સંગ સ્કૂલમાં પણ ચાલુ રહ્યો. પછી કૉલેજમાં પણ સ્પર્ધાઓ અને યુવક મહોત્સવોમાં ભાગ લીધો અને મને પહેલો-બીજો નંબર મળતો. ૧૯૬૧માં, એટલેકે ૧૭ વર્ષની વયે આકાશવાણી દ્વારા યોજાયેલી અખિલ ભારતીય સંગીત સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાતમાંથી હું પસંદ થઈ અને મેં દિલ્હીમાં પરફોર્મ કર્યું. ત્યાં પણ રાષ્ટ્રીય સ્તરે હું પસંદ થઈ અને ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે મને પારિતોષિક મળ્યું. ત્યાર પછી આકાશવાણી પર ગાવાનું શરૂ થયું. આ થઈ મારી સંગીતયાત્રાના પહેલા તબક્કાની વાત. પણ મારા મત પ્રમાણે બીજો અને વધુ મહત્ત્વનો તબક્કો ૧૯૬૩થી શરૂ થયો.

પ્રશ્ન: ૧૯૬૩થી શરૂ થયેલો એ બીજો તબક્કો એટલે કદાચ રાસભાઈ સાથેનો પ્રથમ પરિચય અને ત્યાર પછીનો સમયગાળો હશે. એટલે સંગીત તમને રાસભાઈ સુધી લઈ ગયું? તો એ પ્રથમ મિલન અને ત્યાર પછીના સંગીતમય સાયુજ્યની વાત કરો. ૧૯૬૩માં ભારતીય વિદ્યાભવન મુંબઈ તરફથી યોજાયેલા અખિલ ગુજરાત સુગમ સંગીત સંમેલનમાં યુવા અને ઉગતા કલાકાર તરીકે રજૂઆત કરવાનું મને આમંત્રણ મળ્યું. એમાં મેં સુરેશ દલાલનું લખેલું અને ક્ષેમુ દિવેટિયાનું સંગીતબદ્ધ કરેલું ગીત ‘નજર્યુંના કાંટાની ભૂલ’ ગાયેલું. અને એ ગીત પર મને વન્સ-મોર મળ્યો હતો. શ્રોતાઓથી હકડેઠઠ ભરેલા એ હોલમાં મારું કદાચ એ પહેલું પબ્લિક પરફોર્મન્સ હતું. આ વાત હું રાસભાઈને મળી એ પહેલાંની છે. અને મારા સદ્‌નસીબે તે દિવસે એ વખતના એચ.એમ.વી મ્યુઝિકના ઇન-ચાર્જ શ્રી દૂબે હોલમાં હાજર હતા. પ્રોગ્રામ પૂરો થયો પછી એમણે સ્ટેજ પર આવીને મને કહ્યું કે આ ગીત અમે કાલે રેકોર્ડ કરીએ છીએ. અને એ રીતે એ ગીત એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં રેકોર્ડ થયું. એટલે બીજા તબક્કાનો આ એક મહત્ત્વનો પડાવ. અને રાસભાઈ સાથેનો પરિચય પણ એ જ પ્રોગ્રામ દરમ્યાન મને થયો. એમણે એ કાર્યક્રમમાં ક્ષેમુભાઈનું સ્વરાંકન ‘આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર’ રજૂ કર્યું. મને એમ લાગે છે કે મારું એમના તરફનું ખેંચાણ એ માત્ર સંગીત માટે જ નહોતું પણ એમના સરળ અને સુચારુ વ્યક્તિત્ત્વ માટે પણ હતું. આ પરિચય પછી તો પરિણયમાં પરિણમ્યો અને ૧૯૬૪માં અમે સંગીતના તાંતણે બંધાયાં. આમ ગણીએ તો અમારા બંનેની પ્રકૃતિ સાવ જ જુદી, અને વયમાં પણ ઘણો ફેર. મારા ૧૯મા વર્ષે લગ્ન થયાં એટલે એકદમ કોરી પાટી હતી. અને એમાં સંગીતના અને સાથે વ્યવહારજીવનના અક્ષર પણ રાસભાઈએ જ પાડ્યા એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. મા-બાપના સંસ્કાર તો ખરા જ પણ સંગીતનું એકદમ સખત બોન્ડ હતું અમારું. લગ્ન પછીના વ્યવહારજીવનમાં પણ મને એમનો ખૂબ સહકાર અને ટેકો મળ્યો, અને અમારું સાયુજ્ય સફળ બનાવવામાં એ ખૂબ મોટો ભાગ ભજવી ગયું.

પ્રશ્ન: સંગીતમય સહજીવન ઉપરાંત આપે એક ઇન્કમટેક્ષ ઓફિસર તરીકે સરસ કારકિર્દી પણ વિકસાવી, જેના થકી આપના સ્વતંત્ર અસ્તિત્વની એક ઓળખ પણ બની. એટલે વ્યવસાય, કુટુંબજીવન અને કળાની સાધના, આ બધું એકીસાથે કેવી રીતે થયું? આમાં પણ મને લાગે છે કે રાસભાઈ ઉપરાંત અમારા કુટુંબના બીજા સભ્યોનો બહુ મોટો ફાળો. રાસભાઈના પિતા પણ બહુ જ સારા ગાયક, અને બુલંદ અવાજના સ્વામી. એમના જમાનામાં એ પાટણના મેઘાણી કહેવાતા. એ વીસનગરના અને એ વખતે એ પાટણમાં ચીફ ઓફિસર હતા. એમનો પણ ખૂબ સહકાર અને પ્રોત્સાહન હતાં. હા, એ ખરું કે ઘરની ફરજો ઉપરાંત જીવનનાં બે અગત્યનાં ક્ષેત્રોમાં નોકરીમાં હું ઇન્સ્પેક્ટર તરીકે પ્રવેશી અને એડીશનલ કમિશનર તરીકે નિવૃત્ત થઈ-એટલે એ યાત્રા, અને સંગીતની યાત્રા, એ બંને મારે માટે તો યાત્રા જ હતી, એમાં કોઈ સંઘર્ષ નહોતો. હા, મહેનત ખૂબ જ હતી અને ક્યારેક ક્યારેક મથામણ પણ હતી. પણ મને લાગે છે કે મારું કામ એ મારી શક્તિ હતી અને મારું સંગીત એ મારી ભક્તિ હતી. એ બંને માટે મને એટલો બધો લગાવ હતો કે એને માટે મેં જે મહેનત કરી એ મને ક્યારેય આકરી નથી લાગી. આ બધાની વચ્ચે થાક લાગતો નહોતો એમ તો કેમ કહેવાય? પણ માનસિક થાક તો કદીય વર્તાયો નથી, શારીરિક કદાચ થોડોઘણો લાગતો હોય.

પ્રશ્ન: વિભાબેન, આપની અને રાસભાઈની ગાયનની સંયુક્ત કારકિર્દીમાં‘શ્રુતિ ગાયકવૃંદ’ એક મહત્ત્વનો પડાવ રહ્યો છે. શ્રુતિવૃંદની સ્થાપનની ભૂમિકા વિષે અમને કંઈક કહો અને એની અંગત પ્રાપ્તિ, અને આપના કલાકાર તરીકેના વિકાસમાં શું સ્થાન છે, એ કહો. ગાયનના અનેક પ્રયોગો દ્વારા શ્રુતિ ગાયકવૃંદનું ગુજરાતી સંગીતને ઘણું મોટું પ્રદાન છે.

એ એક એવી સંસ્થા, એક એવું વૃંદ હતું જેણે ગુજરાતમાં અને ગુજરાતની બહાર ગુજરાતી સંગીતને ગૂંજતું કર્યું. શ્રુતિ ખરેખર તો બિન-ધંધાદારી પણ નિવડેલા અને સમર્પિત કલાકારોની સંસ્થા હતી. ૧૯૬૧ના વર્ષમાં કેટલાક જાણીતા, ઓછા જાણીતા અને બિલકુલ નહીં જાણીતા એવા સંગીતમિત્રો એક વાર મળ્યા. ગુજરાત સરકાર તરફથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે કેટલાક અનુરૂપ ગીતો તૈયાર કરીને સાથે મળીને બધાએ રજૂ કર્યાં. એ પછી બધાને વિચાર આવ્યો કે સાથે મળીને ગાવામાં તો ખૂબ મજા આવી. તો આપણે નિયમિત રીતે સાથે મળીને ગાઈએ તો કેવું? બસ, આ એક વિચાર, એક તણખો હતો જેમાંથી શ્રુતિનો જન્મ થયો. પછી અઠવાડિયામાં બે વખત ગુરુવારે અને રવિવારે અમે સૌ મળતા અને સાથે ગાવાનો આનંદ લેતા. શરૂઆતના સભ્યોમાં જણાવું તો ગૌરાંગભાઈ વ્યાસ, સુરેશ જાની, રાસભાઈ, હર્ષદા અને જનાર્દન રાવળ, પુનિતા કંથારિયા, હંસાબેન દવે, મૃદુલાબેન પરીખ, જયશ્રીબેન, રાગિણી વોરા વગેરે સભ્યો હતા. પછી તો જેમજેમ બીજા મિત્રોને ખબર પડી કે અહીં તો સંગીતની ધૂણી ધખે છે તો એ બધા પણ જોડાયા. ક્ષેમુભાઈ અને સુધાબેન દિવેટિયા પણ એનાથી આકર્ષાયાં. મારા ૧૯૬૪માં લગ્ન થયાં પછી હું જોડાઈ. શરૂઆતમાં તો આપણા દિગ્ગજ કલાકાર પુરુષોત્તમભાઈ પણ મુંબઈથી અમદાવાદ આવ્યા હોય તો શ્રુતિની આ સાપ્તાહિક બેઠકોમાં આવીને સંગીતનો આનંદ વહેંચતાં. શ્રુતિના ચાળીસ વર્ષના કાર્યકાળ દરમ્યાન મુખ્ય ઝોક તો વૃંદગાન પર જ રહ્યો. પછી જેમજેમ સંસ્થા જાણીતી થતી ગઈ તેમતેમ લોકો અમને પ્રોગ્રામ માટે બોલાવતા થયા. અને પછી કાર્યક્રમોની માંગ પ્રમાણે અમે એમાં સોલો અને યુગલગાન પણ રજૂ કરતા. ગુરુ-રવિનાં મિલનોમાં એટલી બધી મજા આવે, ગૌરાંગભાઈની આંગળીઓ હાર્મોનિયમ પર ફરતી હોય ત્યારે એક એવો માહોલ સર્જાતો અને એવું થતું કે છૂટા જ પડવું નથી. અને એ રીતે શ્રુતિના કલાકારોનું એક કુટુંબ જ બની ગયું હતું. ગૌરાંગભાઈએ અને ક્ષેમુભાઈએ વૃંદગાનના નવા નવા પ્રયોગો કરીને અમારી પાસે રજૂ કરાવ્યા. આ સ્વરાંકનોની ખાસિયત એ હતી કે પશ્ચિમી કોર્ડ્ઝ આધારિત સ્વરગૂંથણીથી હટીને એમાં ભારતીય શાસ્ત્રીય અને લોકસંગીત પર અથવા બંનેના મિશ્રણ પર આધારિત સ્વર ગૂંથણી રહેતી અને ખાસ કરીને એમાં ભારતીયતા અને ગુજરાતીતા વધારે ઝલકતી. આ પ્રકારની વૃંદગાનની પ્રવૃત્તિનો પાયો ગુજરાતમાં નાખવાનું શ્રેય શ્રુતિના ફાળે જ જાય છે, એમ કહેવું પડે. મારી જાણ પ્રમાણે ભારતમાં એ સમયે વૃંદગાનની પ્રવૃત્તિ મુંબઈમાં આપણા જાણીતા સંગીતકાર સલિલ ચૌધરીએ ‘બોમ્બે યુથ ક્વાયર’ના નામથી શરૂ કરેલી. અને એજ પ્રમાણે કલકત્તામાં શ્રીમતી રૂમા ગુહા ઠાકુર્તા, જે કિશોરકુમારનાં પહેલાં પત્ની હતાં, એમણે ૧૯૫૮માં‘કલકત્તા યુથ ક્વાયર’ સ્થાપેલું. આપણા સ્વરકિન્નરી આશા ભોસલેજીનો એક પ્રસંગ ટાંકવો મને ગમશે. એક વખત તેઓ અમદાવાદ આવેલાં અને અમે એમને શ્રુતિના સાપ્તાહિક મિલનમાં આમંત્રણ આપ્યું હતું. અમે બધાએ એક વૃંદગાન રજૂ કર્યું અને એમણે આંખો બંધ કરીને એ આખું ગીત સાંભળ્યું. અને ગીત પૂરું થયું ત્યારે અમે સૌએ જોયું કે એમની આંખમાંથી આંસુ વહેતાં હતાં. પછી એમણે એટલું જ કહ્યું કે ‘આપ લોગ સબ ઇકઠ્ઠા હોકર ઇતના સૂરમેં ગાતે હૈ, વોહી કાફી હૈ.’ એ વખતે શ્રુતિના અમે ચોવીસ સભ્યો હતા. એટલે એમણે જે કહ્યું તે એક ઍવોર્ડ મળ્યા બરાબર હતું. એક વખત મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં શ્રુતિનો કાર્યક્રમ હતો. ત્યાં અમે અવિનાશભાઈ દ્વારા આપણા બીજા સ્વરકિન્નરી લતાજીને આમંત્રણ મોકલ્યું હતું. એમણે પહેલેથી કહ્યું હતું કે એઓ આવશે પણ અડધો કલાક જ બેસશે. પણ અમે જોયું કે અમારા સદ્‌ભાગ્યે શ્રુતિના સંગીતે એમને આખો કાર્યક્રમ જકડી રાખ્યાં હતાં. આવા અનેક અનુભવો છે, પણ અહીં હું મારી જાતને રોકું છું. બીજી મહત્ત્વની વાત એ છે કે શ્રુતિના અનેક ગીતો આજે પણ એટલાં જ જીવંત છે અને અત્યારની યુવા પેઢી પણ એ ગીતો ગાય છે. શ્રુતિમાં અમારી આર્થિક અપેક્ષાઓ બહુ ઓછી હતી. જે ચાળીસ-બેતાળીસ વર્ષ એ ચાલ્યું એમાં અમારું બધાનું બહુ જ બિન-ધંધાદારી વલણ હતું. ચોવીસ-પચીસ કલાકારોને જ્યાં બોલાવે ત્યાં પહોંચવાનો ખર્ચ અને બાકી નામની નાનીશી રકમ મળે તો બહુ, એવો સિદ્ધાંત રાખ્યો હતો. પણ એક કડવું સત્ય કહું તો છેલ્લાં થોડાં વર્ષોમાં આ જે અવેતન પ્રવૃત્તિ ચાલતી હતી એમાં પછી ગાયકોની હાજરી ઓછી થવા માંડી. કારણકે પછી સૌને પોતપોતાની પ્રવૃત્તિ પર ધ્યાન વધુ આપવામાં રસ પડ્યો અને આમાં રસ ઓછો થવા માંડ્યો. ઘણા પ્રયત્નો કર્યા, પણ છેવટે તો શ્રુતિને વિરામ આપવો જ પડ્યો. પણ અમારા સંગીતનો વિકાસ પણ શ્રુતિ થકી જ થયો. શ્રુતિના કાર્યકાળ દરમ્યાન ગુજરાતમાં અને ભારતભરમાં લગભગ ત્રણસો જેટલા કાર્યક્રમો થયા. સમૂહમાં ગાવાથી સંગીત ઉપરાંત બીજું પણ ઘણું શીખવા મળ્યું. બીજા ગાયકોના અવાજ સાથે આપણા અવાજને કેવી રીતે એકસૂર કરવો, અવાજોનું વિલીનીકરણ કેવી રીતે કરવું એ મહત્ત્વની ટેકનિક અમે શીખ્યા. ખરેખર તો આ વાતને આપણે દરેકે સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. રાસભાઈ હમેશા કહેતા કે સમૂહગાનમાં અથવા કોઇપણ સામૂહિક પ્રવૃત્તિમાં પોતાના કેપિટલ આઈ ને ડોટ વાળો આઈ બનાવવો પડે. વ્યક્તિગત રીતે કલાકાર ખૂબ સારું ગાતો હોય પણ સમૂહમાં ગાવું હોય ત્યારે પોતાની ખૂબીઓને, એટલે કે પોતાની આઇડેન્ટિટીને ભૂલીને અથવા બાજુમાં રાખીને, બીજાને અનુકૂળ થવું પડે, જે કરવું ખૂબ અઘરું છે. આ વાત આપણે શીખી જઈએ તો વ્યવહારજીવનમાં પણ ખૂબ ઉપયોગી બને, એમ મને લાગે છે.

પ્રશ્ન: આપે બહુ માર્મિક વાત કરી વિભાબેન. સામાન્ય રીતે એવું મનાય છે કે બે કલાકારો ક્યારેય ભેગા ન થઇ શકે. પણ શ્રુતિ વૃંદમાં તો પચીસેક કલાકારો નિયમિત રીતે મળતા અને સાથે ગાતા. એ સમયનું ગુજરાતી સંગીત જગતનું વાતાવરણ કેવું હતું?

હું આજથી પચાસેક વર્ષ પહેલાની વાત કરું છું. એ સમયે ગુજરાતી કાવ્યસંગીતના હોલના કાર્યક્રમોનું ચલણ ઓછું હતું. નાની નાની પ્રાયવેટ બેઠકો વધારે થતી. એમાં ગાયકો અને શ્રોતાઓ વચ્ચેની નિકટતાને કારણે શ્રોતાઓને સાંભળવાની અને ગાયકોને ગાવાની બહુ જ મજા આવતી. પછી ધીમેધીમે વધુ શ્રોતાઓ આમાં રસ લેવા માંડ્યા, આવા સંગીતનો વ્યાપ વધવા માંડ્યો. એને કારણે મોટા ઓડીટોરિયમમાં કાર્યક્રમો થવા માંડ્યા. ખરું કહીએ તો અમુક અપવાદોને બાદ કરતાં એ સમયના કલાકારોએ સંગીતને આજીવિકાનું સાધન બનાવ્યું હોય એવું ઓછું બનતું. પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સંગીતકારોએ સંગીતને આજીવિકાનું સાધન બનાવ્યું હોય એવા ઘણા દાખલાઓ છે. એને કારણે કલાકારોમાં હરિફાઈનું તત્ત્વ પ્રવેશ્યું છે એવું ઘણીવાર આપણને લાગે. જોકે એને કારણે કલાકારોની સાંગીતિક સજ્જતા પણ વધી છે, એ પણ એટલું જ સાચું છે. પણ જેમ બધા ક્ષેત્રે જમાના સાથે તાલ મેળવવો પડે એમ સંગીતમાં પણ કલાકારો સમય સાથે તાલ મેળવે એમાં ખોટું નથી.

પ્રશ્ન: સ્વરાંકનોની વાત કરીએ તો શ્રુતિનાં ઘણાં સ્વરાંકનો ગૌરાંગભાઈ અને ક્ષેમુભાઈનાં હતાં. રાસભાઈએ કરેલાં કેટલાંક ઉત્તમ સ્વરાંકનો આજે પણ એટલાં જ તાજાં છે. રાસભાઈની સ્વરાંકન પદ્ધતિ વિષે અમને કંઈક કહો. એમનું કોઈપણ સ્વરાંકન થાય તો એ સૌપ્રથમ સાંભળનાર અને ગાનાર આપ જ હશો. સંગીત ઉપરાંત એમનામાં સાહિત્યની પણ ઊંડી સૂઝ હતી, જે એમની કાવ્યોની પસંદગીમાં દેખાય છે.

એ કોઈ ચોક્કસ પદ્ધતિથી સ્વરાંકન કરતા હોય એવું તો ન કહી શકાય, પણ સાહિત્યિક સત્ત્વવાળી કવિતાના આગ્રહી ખરા. સુરેશ દલાલનું ‘કવિતા’ સામયિક કાયમ મંગાવતા એની સિવાય પણ પોતાને ગમી જાય એવી ગેય કવિતા વાંચે તો હંમેશા ડાયરીમાં ટપકાવી લેવાની ટેવ હતી. ઘણા કવિઓ પણ એમને પોતાની રચનાઓ હાથે લખીને મોકલી આપતા. પણ તેઓ એવું ચોક્કસપણે માનતા કે સ્વરાંકન કરવાનું નક્કી કરીને હાર્મોનિયમ લઈને બેસવાથી સ્વરાંકન ન પણ થાય. અને કોઈકવાર આખી કવિતાનું સ્વરાંકન અનાયાસે એક જ બેઠકે થઈ જાય, એવું બને. એમનું પહેલી સ્વરાંકન સુરેશ દલાલનું લખેલું ‘પરમ સુધામય પાવન, હું ઝંખું તવ સંગ સનાતન’ એ એમણે કયા સંજોગોમાં કરેલું એ કહેવાનું મને ગમશે. એ વખતે એ યુનિવર્સીટીમાં એમ. એસ. સી નો અભ્યાસ કરતા હતા અને હોસ્ટેલમાં રહેતા. એ વખતે એ સાયકલ વાપરતા અને હોસ્ટેલમાંથી એક વખત એમનાં બહેનને ત્યાં જતા હતા એ સાયકલની ઘંટડીનાં સ્વરને લઈને એમના મનમાં કંઈક સ્પાર્ક થયો અને સાયકલ ચલાવતાં જ એ કાવ્યનું સ્વરાંકન થયું, એ ગીતનું મુખડું એમણે સાયકલ ચલાવતાં કરેલું. પછી બીજા દિવસે એમના એક મિત્રને ત્યાં ગયા, એ મિત્રને ત્યાં પગ-પેટી હતી. તો ત્યાં જઈને એમણે બાકીનું સ્વરાંકન કર્યું. એ એવું કહેતા કે ક્યારેક હાર્મોનિયમ લઈને બે કલાક બેસી રહો તો પણ સ્વરો ન આવે એવું બની શકે. અને તમે સાચું કહ્યું કે જ્યારે પણ સ્વરાંકન થાય ત્યારે પહેલું તો મને જ સંભળાવતા. પણ ખૂબ ઓપન માઈન્ડેડ હતા, એટલે ક્યારેક મારી ક્ષમતા પ્રમાણે હું કોઈક ફેરફાર સૂચવું તો એનો અમલ પણ કરતા. એક વખત એવું થયું કે એક જ ગીતનાં બે સ્વરાંકન થઈ ગયાં. તો એમણે મને પૂછ્યું કે બેમાંથી મને કયું સારું લાગ્યું અને મેં જે કહ્યું તે એમણે ફાઈનલ કર્યું. આ બધા પ્રસંગો અત્યારે તમારી સાથે વાત કરતાં યાદ આવે છે. એ ગાયક અને સ્વરકાર તો ખરા જ પણ આમ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા અને ઉત્તમ શિક્ષક પણ ખરા. એમણે ભારતીય વિદ્યાભવનની અમદાવાદ શાખાની ભવન્સ કૉલેજમાં બેતાળીસ વર્ષ સુધી સતત સંગીતના વર્ગો ચલાવ્યા હતા. આજના ઘણા બધા જાણીતા કલાકારો એમના સંગીત વર્ગમાં જોડાયા હતા. એમાંના એક તે આપણા જાણીતા ગાયક-સ્વરકાર અને સાહિત્યના મરમી એવા અમર ભટ્ટ. એમણે રાસભાઈ વિષે એક લેખ લખેલો જેમાં એમણે રાસભાઈની શિક્ષક તરીકેની ખાસિયતો વર્ણવી એમને બિરદાવ્યા હતા.

પ્રશ્ન: સંગીતને એટલું બધું સમર્પણ હોવા છતાં સંગીતને વ્યવસાય તરીકે આપ બંનેએ કેમ ન અપનાવ્યું? રાસભાઈની પ્રકૃતિ અને એમનો સંગીત પ્રત્યેનો અભિગમ સાવ જુદાં જ હતાં. અમે બંને પહેલેથી જ પોતપોતાના વ્યવસાયમાં ગૂંથાયેલાં હતાં એ વાત તો સાચી. પણ અમારું એ વ્યાવસાયિક સંગીત તરફનું વલણ જ નહોતું. એનો એવો અર્થ પણ ન કરી શકાય કે અમને વ્યવસાય તરીકે અપનાવવાની જરૂર નહોતી. એ સંગીતને એક સાધના તરીકે ગણતા. સંગીત અમારા બંને માટે સાધન નહોતું એ સાધ્ય હતું, પ્રોફેશન નહોતું પણ એક મિશન હતું. અને એટલે જ સંગીતે અમને આર્થિક સદ્ધારતા કરતાં વધુ આંતરિક સભરતા આપી એમ કહું તો ચાલે.

પ્રશ્ન: આપણું સંગીત અથવા કોઈપણ કળા અધ્યાત્મ તરફ લઈ જનારી હોય છે. તમારા અધ્યાત્મ દર્શન વિષે જાણવાની ઈચ્છા થાય.

હું સાચું કહું તો મારી જાતને બહુ આધ્યાત્મિક ગણતી નથી. પણ રાસભાઈના પાસથી, એમના સંગથી મને જે કંઈ સમજાયું તે એ કે સંગીત એક એવું તત્ત્વ છે કે એ આપણને આપણા અંતસ્તત્ત્વના શુદ્ધીકરણ તરફ લઈ જાય. અને દરેક કલાકાર એ તરફનો પ્રમાણિક પ્રયત્ન કરે અને સંગીતને એ રીતે જ જુએ અને લે તો એનો ઉદ્ધાર થઈ જાય એ વાત નિઃશંક છે.

પ્રશ્ન: હવે વાત કરીએ આજના સાંગીતિક માહોલ વિષે. ટેકનોલોજીએ આજે સંગીતની રજૂઆતમાં, રેકોર્ડીંગની પદ્ધતિમાં ખૂબ ફેરફારો કર્યા છે. આપને ‘નજર્યુંના કાંટાની ભૂલ’ના રેકોર્ડીંગની વાત શરૂઆતમાં કરી. એ રેકોડીંગ અને આજે જે રેકોર્ડીંગ થાય છે એમાં આસમાન-જમીનનો ફેર આપ જોતાં હશો. આપ આ પરિવર્તનને કઈ રીતે જુઓ છો? આપણા સંગીત પર અને સંગીતકારોની સજ્જતા પર આ પરિવર્તનની કેવી અસરો થઈ છે?

આ ફેરફારો આવકાર્ય તો છે જ, પણ ક્યારેક એવું લાગે છે કે પરિણામ ભલે ઉત્તમ આવતું હોય છતાં ક્યાંક કંઈક ખૂટે છે. એક દાખલો આપું તો ૧૯૭૫માં અમારી સંસ્કૃત સ્તોત્રોની બે કેસેટ ‘બિલિપત્ર’ અને‘ત્રિમુદ્રા’નું રેકોર્ડીંગ મુંબઈમાં થયેલું. એ વખતે ગાયકો અને વાદકો એક જ સ્ટુડિયોમાં સાથેબેઠા હોય એ રીતે રેકોર્ડીંગ થતું. એ વખતે ટ્રેક રેકોર્ડિંગની વ્યવસ્થા નહોતી. થોડી પણ કોઈની ભૂલ થાય તો આખું ગીત ફરીથી રેકોર્ડ કરવું પડે. એટલે સમય વધારે લાગતો અને ખર્ચ પણ વધી જતો. પણ એ વખતે જે માહોલ સર્જાતો એને કારણે ગાયકોનો ગાવાનો મૂડ બનતો, અને ગીતનું હાર્દ સચવાતું. જ્યારે હવે આ નવી ટેકનોલોજીમાં ટ્રેક રેકોર્ડિંગને કારણે દરેક કલાકાર પોતાની અનુકૂળતાએ જઈને વગાડી લે અને પાછળથી બધું મિક્સિંગ થઈ શકે. એમાં સમય બચે અને ખર્ચ પણ કદાચ ઓછો થાય. પણ મેં આગળ કહ્યું એમ જ્યારે એ સાંભળીએ ત્યારે કંઈક ખૂટતું હોય એવું લાગે.

પ્રશ્ન: તેવી જ રીતે આજના યુવાન ગાયકોને આપણાં માધ્યમો પર જે રીતે પ્લેટફોર્મ મળે છે એવું આપ જ્યારે યુવા ગાયિકા હતાં ત્યારે શક્ય નહોતું. આજનું આ વાતાવરણ યુવા ગાયકો-ગાયિકાઓના વિકાસ માટે કેટલી હદે ઉપકારક છે?

ભારતમાં ખૂબ પ્રતિભા છે, અને આજનાં માધ્યમો દ્વારા એ આગળ પણ આવે છે. પણ પછી આગળ શું? એમાંના કેટલાં બાળકો અથવા યુવાઓ સંગીતની સાચી સેવા કરે છે? અને આજનાં માધ્યમો‘પરફોર્મન્સ’ને વધારે મહત્વ આપતાં હોય છે. ગાવા ઉપરાંત પરફોર્મ કેવી રીતે કરવું એનું મહત્ત્વ વધી ગયું છે, એટલે ઝાકઝમાળથી અંજાઈને યુવાઓ એ તરફ આકર્ષાય છે. પણ એ પછી શું એ હજુ પ્રશ્ન જ રહ્યો છે.

પ્રશ્ન: બીજો પ્રશ્ન છે ગુજરાતીમાં રચાતાં કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિનો. ગુજરાતી સંગીતના નામ વિષે મતાંતર છે. ‘સુગમ સંગીત’ નામ પહેલાં સ્વીકૃતિ પામ્યું, પછી‘કાવ્ય સંગીત’ કહેવાયું અને હવે કેટલાક એને ‘સંગીતકાવ્ય’ કહે છે. આપ આ વિષે શું માનો છો?

મારું માનવું છે કે ‘કાવ્ય સંગીત’ નામ સૌથી વધારે યોગ્ય છે. એ‘સુગમ’ તો નથી જ, એ વાત ચોક્કસ છે. પાંચ મિનિટમાં કાવ્યને ન્યાય આપીને આખું શબ્દચિત્ર રજૂ કરવું એ સુગમ તો નથી જ. સુગમ સંગીત નામ ઘણાં વર્ષોથી ચાલતું આવેલું છે અને આકાશવાણીએ એ નામ આપેલું. પણ એની પાછળ હેતુ કદાચ એ હોય કે શાસ્ત્રીય સંગીતની સરખામણીએ એ સુગમ છે. પણ કાવ્ય સંગીત એ નામ મને સૌથી ઉચિત લાગે છે.

પ્રશ્ન: વિભાબેન, આમ જોવા જઈએ તો વોઈસ ટેક્‌નિકની દૃષ્ટિએ કાવ્યસંગીતનું ગાયન અને શાસ્ત્રીય ગાયન એ બંને બહુ જુદી કળાઓ છે. છતાં કાવ્યસંગીતના સારા ગાયક બનવા માટે શું શાસ્ત્રીય સંગીતની પાયાની તાલીમ લેવી જરૂરી છે? આ પ્રશ્નની ચર્ચા વારંવાર થાય છે, પણ મારે આપનું મંતવ્ય જાણવું છે.

મારું ચોક્કસપણે માનવું છે કે કાવ્યસંગીતના ગાયનમાં શાસ્ત્રીય સંગીતની તાલિમ જરૂરી જ છે. આ ગાયકીમાં એ તાલીમ ખૂબ જ ઉપકારક નીવડે છે. પણ સાથે સાથે એમ પણ માનું છું કે એનાથી ઉલટું હમેશા સાચું પણ નથી. એટલેકે શાસ્ત્રીય સંગીતની તાલીમ વિના પણ સારા અને સફળ ગાયક બની શકે છે. એવા ઘણા દાખલા જાણવા મળે છે કે શાસ્ત્રીય સંગીતના સા-રે-ગ-મ ન શીખ્યા હોય એવા ગાયકો પણ કાવ્યસંગીતમાં ખૂબ જ સફળ થયા છે, કારણકે એમને ઈશ્વરની દેણ છે, એમની પાસે અવાજ છે અને એમણે એક ચોક્કસ દિશામાં મહેનત કરી છે. મારો જ દાખલો લો ને. હું એટલું બધું સાતત્યપૂર્વક શાસ્ત્રીય સંગીત શીખી નથી. હા, હું ટુકડે ટુકડે ક્યાંક ક્યાંક શીખી છું, પણ એના પર મારું એટલું ફોકસ નહોતું. એટલે મારું એવું કહેવાનું એવું નથી કે શીખ્યા વિના સફળ ગાયક છું. ઘણીવાર કલાકારની જિંદગીમાં સંજોગો એવા હોય છે કે એ શીખી ન શકે. પણ આજના સ્પાર્ધાત્મ્ક જમાનામાં તાલીમ લેવી જરૂરી તો છે જ.

પ્રશ્ન: આપની અંગત વાત કરીએ તો, જો રાસભાઈનો સંગ ન થયો હોત તો આપ ગાયિકા બન્યાં હોત?

રાસભાઈનો સંગ થયા પહેલાં પણ હું ગાતી તો હતી જ, આપણે આગળ વાત કરી તેમ. પણ સંગીતને સમજીને ગાતાં શીખી રાસભાઈની સંગત પછી જ. મારો ઈશ્વરદત્ત અવાજ મોટો, અને મને અવાજ ફેંકીને ગાવાની ટેવ. પણ જુદાજુદા ગીતોમાં અવાજને જુદીજુદી રીતે ઢાળવો કેવી રીતે, ગીતના શબ્દોને સમજીને સ્વરરચનાને કેવી રીતે ન્યાય આપવો આવી બધી નાની-મોટી સમજ તો મને રાસભાઈ પાસેથી જ મળી. એટલે આ વાતમાં મને કોઈ જો-તો નો અવકાશ નથી લાગતો, કે રાસભાઈનો સંગ ન થયો હોત તો હું ગાયક બનત કે નહીં. હું ગાયક તો હતી જ પણ એમના સંગથી હું સમજપૂર્વકની ગાયક બની.

પ્રશ્ન: આપે વોઈસ ટેક્‌નિકની વાત કરી તો સાથે એ પણ પૂછી લઉં કે આપણી પાસે એવા ઘણા યુગલ ગાયકો છે, ક્યાં તો એ પતિ-પત્ની હોય કે પછી સાથે ગાતાં હોય. આપ બંનેએ પણ દાયકાઓ સુધી આ રીતે યુગલગાન કર્યું. યુગલગાન અને સ્વતંત્ર ગાન અથવા એકલ ગાન, એમાં શું ફરક હોય? સમાન્ય રીતે પુરુષનો સ્વર ઉંચો હોય છે, મહિલા ગાયિકાઓનો સ્વર નીચો હોય છે. આપણે ‘જેન્ડર રોલ’ની વાત ન કરીએ, પણ યુગલગાનમાં સ્ત્રી-પુરુષના સ્વરોનો મેળ કેવી રીતે થાય અથવા આપ બંને એ કઈ રીતે કરતાં?

બરાબર છે. ખરેખર તો આ પ્રકારની ગાયનની ટેક્‌નિકમાં થોડોથોડો જ ફેર છે. સોલો ગાયનમાં તો ફક્ત એક જ આવજે માઈક સાથે મેળ કરવાનો હોય અને એ તો અનુભવે આવી જ જાય છે. પણ યુગલગાનમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કારણકે બંનેએ સાથે અને એકલાં પણ ગાવાનું આવે છે. એટલે જે ભાગ તમારે સાથી કલાકાર સાથે ગાવાનો હોય એમાં બેમાંથી કોઇપણ ગાયકનું ગાન બીજાના અવાજને ઢાંકી ન દે એનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. સ્વરરચનની ખૂબીઓ સચવાય એ રીતે બંને ગાયકોએ પોતાના ગાયનને સીન્ક્રોનાઈઝ કરવું પડે. અને તમે સ્ત્રી-પુરુષના સ્વરની વાત કરી. તો હું બહુ ભાગ્યશાળી હતી કે રાસભાઈનો સ્વર મન્દ્ર હતો એટલે મારો અને એમનો સ્વર એક જ હતો. સમાન્યરીતે ભાઈઓના સૂર થોડા ઊંચા હોય અને બહેનોના થોડા નીચા હોય, એટલે ઘણીવાર એવું થાય છે કે સાથે ગાતાં યુગલોમાં બહેનનો અવાજ જલદી ખરાબ અથવા ખલાસ થઈ જતો હોય છે. કારણકે એમણે ભાઈના ઊંચા સૂરે જ ગાવું પડે છે, એમાં કોઈ સમજૂતી નહીં, એવા દાખલા મેં જોયેલા છે. વૃંદગાનમાં વધુ કાળજી લેવી પડે કારણકે એમાં ઘણા અવાજોનો સમૂહ હોય છે. એટલે એમાં જુદાજુદા પ્રકારના અવાજોનું સંયોજન એ બહુ મહત્ત્વનું પાસું બને છે. સાંભળનારને બધા અવાજોનો સરવાળો સંભળાતો હોય એવી અસર થવી જોઈએ. પોતાનો અવાજ બીજા ગાયકો સાથે સંમિલિત કરવાની કાળજી દરેક ગાયકે રાખવી જ પડે. પોતાના અવાજની ખૂબીઓ દેખાડવાની કે શ્રોતાઓને એ ખૂબીઓ સંભળાવવાની ઇચ્છાને દાબી રાખવી પડે, અને તો જ વૃંદગાનની એકસૂત્રતાની અસર શ્રોતાઓ પર પડે.

પ્રશ્ન: આટલાં વર્ષોની ગાયનની યાત્રામાં કંઈ બાકી રહ્યું હોય એવું લાગે છે? કોઈ અફસોસ છે?

અત્યાર સુધી જે પણ થઈ શક્યું છે એનો ખૂબ જ સંતોષ અને આનંદ છે. કેટલીક વખત એવું પણ લાગે છે કે મારી લાયકાત કરતાં પણ મને વધારે મળ્યું છે. અને એ એક સાત્ત્વિક અસંતોષ છે જે દરેક કલાકારની જિંદગીમાં જરૂરી છે. પોતાના અહંને નાથવા માટે પણ આવો ભાવ અપ્રયત્ને આવે એ ખૂબ ઇચ્છનીય છે.

પ્રશ્ન: કાવ્ય સંગીતની આજ અને આવતીકાલ વિષે આપના વિચાર જાણવા છે. ભાષાને ઘસારો પહોંચ્યો છે, ફિલ્મી સંગીતનો પ્રભાવ પણ ખૂબ પ્રબળ બન્યો છે. કાવ્યસંગીતની આજ અને આવતીકાલ વિષે હું ખૂબ જ આશાવાદી છું. હા, તમારી વાત સાચી છે કે અત્યારની પેઢીને ગુજરાતીનો સંગ ઓછો છે. પણ આજનો ગુજરાતી કાવ્યસંગીતનો કલાકાર કદાચ અમારા કરતાં વધુ જાગૃત અને સજ્જ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ઘણા કલાકારોએ કલાને પોતાની આજીવિકાનું સાધન બનાવ્યું છે. અને ઘણા બધા કલાકારોનું ઘણું બધું કામ વ્યાવસાયિક ધોરણે થાય છે. એટલે જાણે-અજાણે પણ હરિફાઈનું તત્ત્વ આવી જાય. બીજું કે પહેલાં કરતાં શ્રોતાઓ પણ વધુ સાંભળતા થયા છે. એટલે એમની માંગને સંતોષવા માટે પણ સજ્જ રહેવું જ પડે. પણ દરેક નિયમમાં અપવાદ હોય છે તેમ કેટલાક કલાકારો સંગીતની ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના નિજાનંદે પણ ગાતા હોય છે. જે વ્યવસાય માટે ગાતા હોય એમણે તો મંચ પર થોડી યુક્તિ પણ કરવી પડતી હોય છે. હમણાં એવા કેટલાક કાર્યક્રમ થાય છે જેમાં સ્ટેજ પર ગીત ગવાતું હોય એને અનુરૂપ વીડિયો પણ બતાવતા હોય. એટલે એમાં થોડું આપણું ધ્યાન જતું હોય છે. પણ હું આશાવાદી કેમ છું? કારણકે કલાકારો પોતાનો રસ્તો શોધી લે છે, એટલે આ વીડિયો આવે એટલે ભાષાના પ્રશ્નો પણ નથી નડતા અથવા ઓછા નડે છે. અને હું જોઉં છું કે અવ નવા પ્રકારે પ્રોગ્રામ થાય એમાં ઘણા યુવાઓ પણ ભાગ લે છે, સાંભળવા જાય છે. સાઉન્ડ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે કલાકારો વધારે પડતા રીવર્બનો ઉપયોગ કરતા થયા છે. ક્યારેક એને કારણે એમના અવાજની ખૂબીઓ તો બહાર આવતી જ નથી અને વધુ પડતાં વાદ્યોને કારણે સંગીત ઘોંઘાટની કક્ષાએ પહોંચી જાય છે.

પ્રશ્ન: આજના યુવા ગાયકો અને ગાયિકાઓને આપનો શું સંદેશ છે, વિભાબેન?

ખબર નથી કે યુવાઓને સંદેશો આપવાની મારી કેટલી લાયકાત છે. પણ મારી ઉંમર પ્રમાણેની પ્રૌઢતાને ધ્યાનમાં રાખીને એક-બે સૂચન કરું. પહેલું તો, મહેનતનો કોઈ પર્યાય નથી. એટલે સાચી દિશામાં અને યોગ્ય ગુરુ પાસે તાલીમ લઈને મહેનત તો કરવી જ પડે. બીજું, કાવ્યસંગીતમાં કાવ્ય અને સંગીતનું સરખું મહત્ત્વ છે. કાવ્યને સમજીને ગાયન થાય તો એનો ભાવ શ્રોતા સુધી પહોંચે. એટલે ગાયકે કવિતાની સમજ પણ કેળવવી પડે. બીજું કે શાસ્ત્રીય સંગીતની તાલીમ કાવ્યસંગીતના ગાયક માટે જરૂરી છે, પણ શાસ્ત્રીય સંગીતનો કાવ્યસંગીતમાં વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જોવાની જવાબદારી પણ ગાયકની જ છે. વધુ સમજાવું તો –ગીતને શાસ્ત્રીય આલાપ-તાનથી સજાવવા જતાં એ ગીતના હાર્દને ક્ષતિ ન પહોંચે એ સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. અને ચોથું પણ સૌથી મહત્ત્વનું સૂચન એ કે કલાકારે દરેક પ્રકારનું સારું સંગીત સાંભળવાની ટેવ કેળવવી જોઈએ. અલગ અલગ પ્રકારનું સંગીત સાંભળવાથી કલાકારની સમજણનો વ્યાપ વધે છે અને પોતાના ગાયન/ સ્વરાંકનમાં જાણે અજાણે તેનો લાભ મળે જ છે.

પ્રશ્ન: વિભાબેન, જીવનમાં અને ગાયનમાં આપના આદર્શો કોણ?

આ પ્રશ્નનો જવાબ ખૂબ ટૂંકો છે- જીવનમાં અને સંગીતમાં મારા આદર્શ રાસભાઈ જ હતા. નાની ઉંમરે એમનો સંગ થયો એટલે એમના રંગથી જ હું રંગાઈ. અને એ રંગ એટલો પાકો છે કે એનાં પર પછી બીજો કોઈ રંગ ચડવાની શક્યતા જ નહોતી.