સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ખડિંગ (રમેશ પારેખ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


(૩) ખડિંગ (રમેશ પારેખ)

વેગીલી સર્જકતાનો બળવાન આવિષ્કાર

કેટલાક કવિઓના કાવ્યસંગ્રહની કાવ્યરસિકો પ્રતીક્ષા કરતા હોય છે. રમેશ પારેખ એવા એક કવિ છે. ૧૯૭૦માં એમણે ‘ક્યાં’ સંગ્રહ આપ્યો એ પછી પણ વિવિધ સામયિકોમાં એમની કવિતા એ રીતે છલકાતી રહી છે કે સામાન્યપણે તો દર ત્રણચાર વર્ષે એક કાવ્યસંગ્રહ એ આપી શકત. પણ, એમના જ એક પ્રેમકાવ્યના શબ્દોમાં કહીએ તો એ ‘આંબો સંતાડતા’ જ રહ્યા – છેક દસ વરસે જતાં એમણે બે સંગ્રહો આપ્યા; ૧૯૯૭માં ‘ખડિંગ’ અને ૧૯૮૦માં ‘ત્વ’. રમેશ પારેખમાં એક તાતી સંવેદના—white heat emotion - છે. દોઢેક દાયકાના એકધારા કાવ્યસર્જનમાં આથી એકસરખી ચમક અને રણકાર વરતાય છે. આ કવિનું પ્રિય કલ્પન છે—વરસાદ, ધોધમાર વરસાદ. એટલે સર્વાશ્લેષીપણું તેમ જ ઊંડે સુધી ઊતરી જતું સોંસરાપણું એમની કવિતાની અસરો છે. ‘ખડિંગ’માં રમેશ પારેખની સર્જકતાનાં અનેક આસ્વાદ્ય રૂપો છે. એમની ગઝલમાં બેફિકરાઈની અને પ્રસન્નતાની, વિસ્ફુરી ઊઠતા આક્રોશની અને પીડતી- ભીંસતી વેદનાની વિભિન્ન મનઃસ્થિતિઓ વિશિષ્ટ કલ્પનોથી કે વિલક્ષણ ઉક્તિછટાઓથી અંકિત થઈ છે. એમની કવિતાના રોમૅન્ટિસિઝમનું આ એક લાક્ષણિક રૂપ છે :

હજુ ઘેનમાં લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો કાંટો રે કાંટો..…

તીવ્ર મધુર સ્મરણનું એક આગવું કલ્પન-અંકન તો અહીં છે જ, પણ ગીત અને ગઝલનો સંમિશ્ર રણકો અહીં વધુ આસ્વાદ્ય બની રહે છે. એમની નગર-વિષયક કૃતિઓમાં સૌથી નોંધપાત્ર એક ગઝલની પહેલી જ પંક્તિ-

સજા કબૂલ, મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.

—માં આક્રોશને ઉપસાવી આપવામાં ઉક્તિનો મરોડ જ કેવો કામયાબ નીવડ્યો છે! ‘હસ્તાયણ’ અને ‘પગાયણ’ આપણી ગઝલમાં આગવી ભાત આંકતી રચનાઓ છે. એમાં વ્યંજના ઝબકાવી જતી, દૃશ્ય કલ્પનો રચતી પંક્તિઓમાં એક ખાસ બળ છે. ક્વચિત્ ઉક્તિવૈચિત્ર્યવાળી પંક્તિઓ પણ આવતી હોવા છતાં સમગ્રપણે આ બે કૃતિઓમાં એકવિષયકેન્દ્રી ગઝલરચનાનું એક સ્થાપત્ય જરૂર ઊભું થાય છે. ‘ક્યાં’ સંગ્રહમાંની ગઝલનો અહીં વિકાસ પણ દેખાય છે. પરંતુ રમેશ પારેખમાં ગીતકવિતા હંમેશાં વધુ ધ્યાનાર્હ રહી છે. ગીતકવિ તરીકેના એમના ઐતિહાસિક સ્થાનની અને અર્પણની વાત તો હજુ દાયકા પછી થાય એ જ વધુ ઔચિત્યપૂર્ણ ગણાશે. અત્યારે તો નભ વચ્ચે સોળ કળાએ ઊગેલા’ચોમાસા જેવી એમની ગીતકવિતાની મોહિની સર્વવ્યાપક છે. એમનાં ગીતો અનેકપરિમાણી છે. એનું એક મહત્ત્વનું પરિમાણ છે આપણી લોકકવિતાના લય-લહેકાવાળી રચનાઓ. લોકકવિતાના લય—ઢાળોને ઉપાડી લઈને એમણે ચલાવ્યું છે એમ નથી, એ કવિતાના વિવિધ લય, એના લાક્ષણિક ઉક્તિઘટકો, લાગણીને ઝીણવટથી અને માર્મિકતાથી ઉપસાવતી એની અભિવ્યક્તિરીતિ – એ બધું એમણે આત્મસાત્ કર્યું છે. પરંતુ આવી પીઠિકા પર એ મુદ્રા પોતાની આંકે છે—લયસંયોજનોના પ્રયોગથી, એકાદ શબ્દથી વળાંક લઈ લેતા નિરૂપણથી અને, સૌથી નોંધપાત્ર રીતે તો, પોતાના આગવા અરૂઢ કલ્પનના વિનિયોગથી. આ પ્રકારના એમના એક ગીત ‘જોશ જોવરાવજો રે લોલ’માંથી આનું કેટલુંક સમર્થન મળી રહેશે. ‘તમે રે વાવ્યાં તે ઝૂલચાકળાતોરણમાંથી ઝરઝર ખરી જાય ઝાડવાં હો જી’ કે ‘પાદર ગળાવું રૂડા દરિયાની જોડય, તમે આવો તો રોપાવું છાંયા વનના હો જી’ જેવી પંક્તિઓમાં નિરૂપણની વિશિષ્ટતા નોંધપાત્ર બની રહે છે તો, રાણાના નિમંત્રણનો ઉત્તર આપતી નાયિકાની આ ઉક્તિમાં કલ્પનનું આકર્ષક બળ પ્રમાણી શકાશે :

કઈ પેર આવું મારાં ચરણો બંધાયાં કોઈ
કિનખાબી કિનખાબી દોરીએ રે લોલ;
ગાંઠ પછી ગાંઠ રાણા, વળતી રે જાય
અને ગલગોટા જેમ અમે મ્હોરિયે રે લોલ.

એકમાંથી બીજામાં રૂપાંતર પામતાં દૃશ્યકલ્પનોમાં સંકેતને ગૂંથતી જતી કલ્પનાકળા અહીં ઊંચી કોટિની છે. લોકકવિતાની સાહજિકતા પર કોઈ પ્રકારની ભદ્રતાની ચમકનું આક્રમણ કર્યા વિના એના ભાવ—લયની આબોહવાને જાળવી રાખીને પોતીકો અવાજ સર્જવાની કવિની આ આગવી શક્તિ છે. રમેશ પારેખનાં ગીતોનું બીજું મહત્ત્વનું પરિમાણ છે એનું ધ્યાનપાત્ર લયવૈવિધ્ય. એના અનેક પ્રયોગો એમણે કર્યા છે—ગીતને એટલું જ સહજ અને રમતિયાળ રાખીને. પરિચિત ગીતઢાળની પંક્તિઓ સળંગ વહેવાને બદલે સંવાદોમાં અને ઉક્તિછટાઓમાં વહેંચાતાં વિશિષ્ટ લય-યોજના નિપજાવતું ‘ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ’; સળંગ પ્રશ્નાર્થોવાળી અને ગદ્યાન્વયમાં ચાલતી પણ નિયત લયવાળી પંક્તિઓથી રચાયેલું ‘કૌતુકગીત’; અરૂઢ લયયોજનાવાળું ‘ખુલ્લી તલવાર જેવી છોકરી’ તથા લયની વિવિધ તરેહો અને સંયોજનોના લીલાપ્રયોગરૂપ ‘સમળી બોલે’થી આરંભાતાં ત્રણ કાવ્યો કવિના લયપ્રયોગોનાં સફળ અને આહ્લાદક ઉદાહરણો છે. સંવેદનની સૂક્ષ્મ અને સંકુલ ભાત નિપજાવવાની સાથે અપ્રયોજન શબ્દલીલા અને વિડંબના માટે પણ એમણે ગીતને પ્રયોજ્યું છે —લય ઉપરના એકસરખા પ્રભુત્વથી. ‘ખડિંગ’ની કવિતાનું પ્રધાન સંવેદન સૌંદર્યનું અને પ્રેમનું છે. પ્રેમવિષયક બધાં કાવ્યો વાંચતાં એક મસ્ત-તોફાની, તલવાર જેવી તીવ્ર અને તેજાબ જેવી દાહક પણ વિશ્વંભવતી સૌંદર્યકથા બલકે પ્રીતિકથામાંથી પસાર થયાનો અનુભવ થાય છે. યૌવનારંભનો તીવ્ર કંપ અનુભવતી, ‘જળમાં મારાં કેટલાંયે મોં જોઉં; એમાં હું કઈ?’—એ પ્રકારની આત્મરતિ અનુભવતી યૌવના, નાયક-નાયિકાનો ઉફુલ્લ પ્રીતિસંબંધ, એની વિલક્ષણ વિશિષ્ટ પ્રેમગોષ્ઠિ એ બધાનો ઇમેજરીથી ભર્યોભર્યો કાવ્યાવતાર ખૂબ હૃદ્ય છે. આ કવિતામાંની રતિ- સંવેદનાની તીવ્રતામાં અને એના છલકાટમાં એક સોંસરી પારદર્શકતા, ચમકતી તાજગી છે. એનો ઉદ્રેક માણવા જેવો છે :

ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં....
જનોઈવઢ ધ્રાસકો પડ્યો કે હાથ ક્યાં છે
તો લોહી કહે : કલરવમાં ઓગળી ગયા છે

ત્વરિત પ્રત્યક્ષ થઈ ઊઠતા દૃશ્ય અને એની અસરની વચ્ચે કશો જ અવકાશ ન રહેવા દેતું સાદૃશ્ય અહીં જેટલું આકર્ષક છે એટલો જ એના લયમાં વરતાતો છાક પણ આકર્ષક છે, ને કાવ્યમાં એ સાદ્યંત ટકે છે. એવા જ છાકવાળાવરસાદ ભીંજવે’ કાવ્યમાં તો ઇન્દ્રિય—આવેગની ગતિએ શબ્દો પ્રગટે છે. વાગ્મિતા અહીં કાવ્યનું સૌંદર્ય-મૂલ્ય બની છે:

નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.

ઉદ્દીપન વિભાવ તરીકે આલેખાયેલો વરસાદ ક્રમશ: લીલાધમ્મર નાગના અનરાધાર ડંખ જેવા નિબિડ-પ્રચુર પ્રેમાનુભવનું પ્રતીક બની રહે છે :

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.

ગીત અને ગઝલમાં છલકાતી પ્રેમ અને સૌંદર્યની ઊર્મિમાલા ઉપરાંત ‘ખડિંગ’માંની અછાન્દસ રીતિની થોડીક રચનાઓમાં સંવેદનશીલની પ્રતિબદ્ધતા પણ આલેખાઈ છે. એ કાવ્યોમાં આક્રોશ કે કટાક્ષને વ્યક્ત કરતી થોડીક પંક્તિઓ ક્યારેક ધારદાર બની આવી છે પણ આ રીતિનાં કાવ્યો સમગ્રપણે તો સરેરાશ કવિતાના નમૂનારૂપ બની રમેશ પારેખની કક્ષા બહાર રહી જાય છે. ‘ખડિંગ’માં પ્રયોગશીલતા ધ્યાનપાત્ર છે. અગાઉ કહ્યું એમ ગીતોના લયઢાળ અને એનાં વિવિધ સંયોજનોના પ્રયોગો ઉપરાંત સંવેદનનાં વિભિન્ન અંકનોની અનેક અભિવ્યક્તિમુદ્રાઓ નિપજાવવાના પ્રયોગો પણ એમણે કર્યા છે. રૂઢ રૂપો અને રૂઢ કાવ્યવસ્તુમાં પણ એને કારણે હંમેશાં અરૂઢતા અને તાજગી પ્રગટતાં રહ્યાં છે. નર્મ અને કટાક્ષની કવિતા પણ એમણે કરી છે પણ એમાંય કશો હેતુ તાકવાને બદલે એક વિલક્ષણ મિજાજને વ્યક્ત કરવાનું વલણ જ વિશેષ દેખાશે. “મારા હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા’ તથા અમરેલી વિશેનાં અન્ય કેટલાંક કાવ્યો આ પ્રકારનાં છે. ક્યાંક કવિતાની ચિંતા મૂકીને પણ આ કવિએ પ્રયોગો(!) કર્યા છે. એટલે સુધી કે ‘રમેશ પારેખ તારું સાચું નામ શું છે?"એવા વાક્યના પ્રત્યેક અક્ષરથી શરૂ થતી ૧૪ પંક્તિઓની, સૉનેટ જેવી, એક અસફળ રચનાનામે ‘સતત રાત્રિ’ પણ સંગ્રહમાં મોજૂદ છે! આ કવિની પ્રતિભા જ એ પ્રકારની છે કે એનામાં શબ્દરૂપો ઊભરાતાં છલકાતાં રહે. ભાષાનો આ છાક અને ચકચૂરતા એમનાં કાવ્યોમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે. પરંતુ ‘ખડિંગ’ની કવિતાનું સૌથી સ્પૃહણીય તત્ત્વ તો છે કવિની ઉત્તમ કલ્પનશક્તિ. કવિની વિશિષ્ટ સંવેદનાને ત્વરિત પ્રત્યાયિત કરવામાં તેમ જ રચનાના શિલ્પને સમૃદ્ધ કરવામાં તાજગી અને ચમકભર્યાં કલ્પનોનો ફાળો ઘણો મોટો છે. આવાં કલ્પનોથી આસ્વાદ્ય બનતી કેટલીક પંક્તિઓમાંથી પસાર થઈએ :

આમ તો પાંદડું એક જ ખર્યું’તું ડાળેથી
પરંતુ આખીયે લીલાશ પર ઉઝરડો છે.
પોતાનાં નીતરેલ જળમાં ખાબોચિયાંઓ સેવે છે ઇંડું આકાશનું.
*
લોહીમાં તું વરમાળ જેમ ઝૂલ્યા કરે
*
હંસ રે નથી કે આમ લોચનનાં લાલઘૂમ મોતી ચણીને ઊડી જશે.
*
ખલ્લાસ..… હવે પોપટને કેમ કહું લીલો
કે આંખો છે ખંડણીમાં ચૂકવેલ કિલ્લો.
ખલ્લાસ..… એક છાંયડો ખડિંગ દઈ ભાંગ્યો
ને ધબકારો ચાંદરણું-ચાંદરણું લાગ્યો.

આવી અનેક પંકિતઓ જડશે જ્યાં આપણાં આંખકાન આકર્ષાઈને અટકી જશે. અદ્યતન કાવ્યસંવેદનાનાં ઘણાં ક્ષેત્રોમાં રમેશ પારેખની કવિતાની ગતિ નથી. પરંતુ યુગની સંપ્રજ્ઞતાને ઝીલનાર કવિઓ જીવનના જે ઊર્મિમય સ્રોતને સ્પર્શતા પણ નથી એ સ્રોતનાં કેટકેટલાં મેઘધનુષી રૂપો એમની કવિતા દેખાડે છે! સૌંદર્યનું નિર્બાધ અને નરવું આકર્ષણ, પ્રકૃતિની રૂપલીલાનો કેફ અને માનવપ્રીતિ એમનીનામે ‘સતત રાત્રિ’ પણ સંગ્રહમાં મોજૂદ છે! અદ્યતન કાવ્યસંવેદનાનાં ઘણાં ક્ષેત્રોમાં રમેશ પારેખની કવિતાની ગતિ નથી. પરંતુ યુગની સંપ્રજ્ઞતાને ઝીલનાર કવિઓ જીવનના જે ઊર્મિમય સ્રોતને સ્પર્શતા પણ નથી એ સ્રોતનાં કેટકેટલાં મેઘધનુષી રૂપો એમની કવિતા દેખાડે છે! સૌંદર્યનું નિર્બંધ અને નરવું આકર્ષણ, પ્રકૃતિની રૂપલીલાનો કેફ અને માનવપ્રીતિ એમનીકવિતાનું ફલક છે. જીવનની વિકૃત કે વિડંબિત સ્થિતિઓ પ્રત્યેના કટાક્ષ-આક્રોશનો કે એની વેદનાનો ભાવ પણ એમાં ક્યાંક નજરે પડે છે. પરંતુ એ બધાની ઉપર એકધારી રીતે છવાયેલો રહે છે કવિનો, અનેક રૂપલીલાઓ રચતો, છટાદાર અવાજ એમના એક કાવ્યની પંક્તિમાં કવિની જાણે કે સીધી જ ઓળખ છે. રમેશ એ તો કલરવનું રેબઝેબ પૂમડું. આમ ‘ખડિંગ’ની કવિતામાં આશ્ચર્યમુગ્ધ કરી દેતી વેગીલી સર્જકતાનો એક મોહક અને બળવાન આવિષ્કાર છે. આથી જ રમેશ પારેખમાં સાચું કવિત્વ અને લોકપ્રિયતા એક સાથે અને એકધારાં ચાલી રહ્યાં છે. અને એ જ એમનું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક’ રૂપે આવું અભિવાદન કરવાનું સૌથી સબળ કારણ છે. સાહિત્ય પરિષદના લોકભારતી જ્ઞાનસત્ર(ડિસેમ્બર ૧૯૮૦)માં વાંચેલો નિબંધ • પરબ, ફેબ્રુઆરી, ૧૯૮૧

‘સમક્ષ’ પૃ. ૨૧ થી ૨૬