< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/પંડિતયુગ
આજથી આશરે ત્રણેક વીશી ઉપર સં.૧૯૫૩ના ઉનાળાની એક સાંજે મુંબઇના આજે વિઠ્ઠલભાઇ પટેલ રોડને નામે ઓળખાતા એ વખતના ગિરગામ બેકરોડ પરના મોરારજી ગોકળદાસના ચીનાબાગના દીવાનખાનામાં બે જણ બેઠા છે. વ્યુત્પત્તિરસિક મનઃસુખરામ ત્રિપાઠી પોતાના આ દીવાનખાના વિશે ઘણીવાર કંઈક વિનોદ કરતાં કહેતા કે ‘બીજાનાં દીવાનખાનાં તો કહેવાનાં, બાકી ખરેખરું દીવાનખાનું તો આ એક મારું જ, કેમકે આહીં ગુજરાતભરના દીવાનો આવીને બેસે છે, અને પોતપોતાના રાજ્યની અટપટી વાતોની મસલત કરે છે.’૧[1] અને વાત પણ સાચી હતી. મનઃસુખરામ ત્રિપાઠી એ વખતે જુનાગઢ, કચ્છ, ઇડર વગેરે રાજયોના મુંબઇ ખાતેના એજન્ટ-પ્રતિનિધિ હતા, અને એ તેમ ગુજરાત કાઠિયાવાડનાં અન્ય રાજ્યોમાં એમની લાગવગ એવી જોરદાર હતી કે એ કંઇક ગર્વભેર કહેતા પણ ખરા કે મારા ગજવામાં તો ચાર ચાર રાજ્યોની દીવાનગીરીઓ પડી છે!, એ સમયના કચ્છ, કાઠિયાવાડના દીવાનપદે પણ ઘણાખરા એમના જુના બાળમિત્રો જ હતા. મણિભાઇ જસભાઈ, મોતીલાલ લાલભાઈ, રણછોડભાઈ ઉદયરામ, છોટાલાલ સેવકરામ, હરિદાસ વિહારીદાસ એ સૌ એ જમાનાના દીવાન કારભારીઓ એમના મિત્રમંડળના જ હતા. અને આ દીવાનખાનામાં મનઃસુખરામની સાથે અત્યારે વાતો કરી રહેલા પુરુષ પણ દીવાન જ છે: ભાવનગરના દીવાન સામળદાસ પરમાનંદદાસ જેમને નામે આજે ત્યાંની કોલેજ ઓળખાય છે તે. ભાવનગરને નાનકડી ઠકરાતમાંથી કાઠિયાવાડનું પ્રથમ પંક્તિનું રાજ્ય બનાવી એને આબાદી અને મહત્તાની ટોચે પહોંચાડનાર મહામુત્સદી ગગા ઓઝા થોડા મહીના પર જ દીવાનપદેથી નિવૃત્ત થયા છે, અને એમની જગાએ એમના ભાણેજ સામળદાસ આવ્યા છે. સામળદાસ બુદ્ધિધનની પેઠે સંસારશાળાના ૨[2] વિદ્યાર્થી હતા. એનું ભણતર કોઈ મહેતાજીએ ચલાવેલી નાનકડી નિશાળ કરતાં જગતની વિશાળ નિશાળમાંજ વિશેષ થએલું. એટલે એ પુસ્તકોમાંથી નહિ પણ પંડિતો પાસેથી જ્ઞાન મેળવતા. અત્યારે પણ મનઃસુખરામ પોતાની તેજસ્વી મુખમુદ્રા પર તેજસ્વી ચશ્માં ચડાવી અસ્તોદયનો પોતાનો પ્રિય વિષય ચર્ચી રહ્યા છે, અને એ ચર્ચા કરતાં કરતાં વિધાતા માણસના જીવનમાં ચડતીપડતી કેવી ઊથલપાથલ કરી નાખે છે તેના નિદર્શનરૂપે એક સંસ્કૃત શ્લોક લલકારે છે :-
-'सौभाग्यानामुपरि नितरां पूर्णतां यः कलानां
नीत्वा नीत्वा हि मकरमिव प्राप्तसर्वांशमेनम् ।
लोकश्रेष्ठं जनमपि पुनर्प्रासयत्येव दुःखै-
दुष्टायास्मै कुपितविधये लक्षवारं नमोऽस्तु ॥
સામળદાસે પણ દુનિયાના જાતજાતના રંગો જોયા હતા, એટલે પોતાના હૃદયમાં જડાઇ રહેલા અનુભવને આવી સુભગ વાણીમાં મૂર્ત થએલો જોઈને એમને સ્વાભાવિક રીતે પુષ્કળ આનંદ થાય છે, અને મનઃસુખરામ પૂછે છે કે ‘શ્લોક કોનો કાલિદાસનો રચેલો છે? ! એટલે મનઃસુખરામ આછું સ્મિત કરીને ઉત્તર આપે છે,'ના રે! આ કઈ પ્રાચીન શ્લોક નથી. એતો હમણાં થોડા વખત પહેલાં જ રચાયો છે, અને તે બીજા કોઈ નહિ પણ આપણા ગોરધનનો જ રચેલો છે.' એમ કહી એ પોતાના ‘ગોરધન’-આપણા સૌના ચિરપરિચિત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો વૃત્તગિત કરે છે અને એમના કુટુંબ પર કુપિતિવિધિ' એ આફત નાખી એકાએક એમાં કેવી ઉથલપાથલ કરી નાખેલી તે હકીક્ત જણાવે છે. સામળદાસ બધી વાત જાણી ને આ મનોહર શ્લોકના રચનાર યુવક ભણી વિશેષ આકર્ષાય છે, અને પોતાને એક અંગ્રેજી ભણેલો મન્ત્રી-પ્રાઈવેટ સેક્રેટરી જોઇતો હતો તેથી એ જગા ગોવર્ધનરામને આપવાની ઇચ્છા બતાવે છે. ૩[3] ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગ એવી સંજ્ઞા પામેલા આપણા પુરોગામી યુગનો કેવળ સ્થૂલ વીગતોમાંજ નહિ પણ વિશેષમાં એના અન્તસ્તત્ત્વનો પણ સ્વરૂપદર્શક ને સૂચક ગણાય એવો આ પ્રસંગ છે. ઉદાહરણ તરીકે એ પંડિતયુગના અધિષ્ઠાતા સાહિત્યકાર તે આ શ્લોકના રચનાર ગોવર્ધનરામ, એ યુગની પ્રધાન સાહિત્યકૃતિ તે એનું નવલકથાદેહી મહાકાવ્ય ‘સરસ્વતીચંદ્ર', અને એ મહાકાવ્યની રચનાનાં બીજ કેટલેક અંશે આ પ્રસંગમાં જ રહેલાં ગણી શકાય, કેમકે બુદ્ધિધન અને સરસ્વતીચંદ્રનું સ્મરણ કરાવે એવા અને કેટલેક અંશે એની મૂળભૂત વ્યક્તિરૂપ સામળદાસ અને ગોવર્ધનરામનો સહવાસ આ પ્રસંગને લીધે જ ૪[4] યોજાયો, અને એ સહવાસના સાક્ષાત નહિ તો દૂર દૂરના પરિણામરૂપે જ ‘સરસ્વતીચંદ્ર'નું વસ્તુ કલ્પાયું. વળી એ યુગ એટલે સંસ્કૃત પંડિતોનો યુગ. ગોવર્ધનરામ, મણિલાલ, હરિલાલ, દોલતરામ, ભીમરાવ આદિ એ યુગના સર્વ મુખ્ય સાક્ષરો સંસ્કૃત સાહિત્યના આરૂઢ અભ્યાસીઓ અને તેમાંના કેટલાક તો એના ધુરંધર પંડિતો પણ ખરા, તેથી એ યુગના સાહિત્યનું એક પ્રધાન લક્ષણ તે એની ભાષાની જ નહિ પણ વિચાર, ભાવના, શૈલી, આકૃતિ આદિ બાબતોમાં પ્રાચીન આર્યાવર્તના સાહિત્યનું અનુકરણ કરવાની વૃત્તિ રૂપી એની સર્વાંગી સંસ્કૃતમયતા, અને એ સંસ્કૃતમયતા પણ આપણે ત્યાં એના આગ્રહી હિમાયતી મનઃસુખરામ ત્રિપાઠી એ કરેલા ઉપલા શ્લોકના પુરસ્કરણમાં તેમ માત્ર ઓગણીસ વરસની વયના એક ઊગતા જુવાને કરેલી એ શ્લોક રચનામાં સારી રીતે પ્રતિબિંબિત થઈ છે. અને આ સંસ્કૃત કાવ્યરચના કંઇ અકસ્માત કે વિરલ અપવાદરૂપ વસ્તુ નહોતી, પણ એ સમયના સુશિક્ષિત યુવકોમાં સામાન્ય ગણાય એવી સર્વવ્યાપક હતી. ને એ આખી પેઢીના સાહિત્યકારોમાં સંસ્કૃત કાવ્યરચનાની એ શક્તિ છેક વૃદ્ધાવસ્થા સુધી ચાલુ રહેલી એનો પુરાવો જોઇતો હોય તો મુંબઈમાં મળેલી આઠમી સાહિત્યપરિષદમાં ગવાએલાં ગીતો એ પરિષદની પત્રિકામાં છાપ્યાં છે. ત્યાં (પૃ.૨૫) પહેલું જ છાપેલું સરસ્વતીસ્તવનમ્ વાંચો :
या देवी न ददाति दर्शनसुखं भक्त्या दिदृक्षोरपि
गूढं नूपुरशब्दमात्रमपि या न श्रावयत्येकदा ।
एकस्य प्रथयत्यथो वरतनूकान्ताय कान्तेव या
सा देवी करुणाकटाक्षमधुरा वागीश्वरी प्रीयताम् ॥
આ શ્લોક કોનો રચેલો? મુંબઇની કોઈ સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રીનો? ના, એતો સદાય કોટ પાટલુન અને સોલાહેટના પરદેશી પોશાકમાં સજ્જ બની ફરતા ૫[5] નરસિંહરાવ ભોળાનાથનો રચેલો છે શ્લોકની નીચે સહી ન હોય તોપણ એમાંનો પૂર શબ્દ જ કહી કે છે એ હકીકત. આશ્ચર્ય થાય છે એ વાતથી? પ્રવર્તમાન યુગમાં ‘ગુજરાતનો નાથ'ના કર્તાને એના કોઈ પાત્રના મુખમાં મૂકવા માટે એક બે શ્લોક જોઈતા હોય તો કોઈ સંસ્કૃત શિક્ષકનું શરણું લેવું પડે એવી અનાથતા એને ભોગવવી પડે છે, તેથી આજે આપણને કોઈ ગુજરાતી સાહિત્યકારે સંસ્કૃત કાવ્યરચના કર્યાનું જાણી આશ્ચર્ય લાગે તો સ્વાભાવિક છે, ત્યાં આપણા પુરોગામી યુગમાં તો કિશોરો કોલેજમાં પહોંચતા ત્યાં સુધીમાં તો જયારે ઇચ્છે ત્યારે લીલામાત્રમાં સંસ્કૃત શ્લોકો રચી શકે એવું પ્રભુત્વ એમને એ ભાષા ઉપર આવી જતું. સને ૧૮૫૭માં આપણે ત્યાં પશ્ચિમના જેવી શારદાપીઠો સ્થપાઇ. તેની સાથે અભ્યાસક્રમમાં અંગ્રેજી ઉપરાંત ઇતર ભાષા તરીકે સંસ્કૃતનું પણ શિક્ષણ ઉમેરાયું. એટલે આપણા અર્વાચીન સાહિત્યના આદિ સુધારકયુગમાં સૌ જે આતુરતા અને ઉત્સાહથી અંગ્રેજી સાહિત્યનું અધ્યયન પરિશીલન કરતા હતા તે કરતાં પણ સંસ્કૃત ભાષા તો આપણી વર્તમાન સંસ્કૃતિની ગંગોત્રી જેવી, તેથી વિશેષ અભિનિવેશ અને આત્મીયતાપૂર્વક એ ભાષાસાહિત્યનું અધ્યયનપરિશીલન આ નવા યુગમાં નર્મદ જેવા ઉત્સાહી જુવાનો જેમ અંગ્રેજી જેવી પારકી ભાષામાં પણ કાવ્યરચનાના પ્રયોગો કરતા ૬[6] તેમાં ગોવર્ધનરામ મોખરે હતા. એમણે હજુ કોલેજમાં પગ મૂક્યો ત્યાંજ સંસ્કૃતમાં છૂટક શ્લોકો જ નહિ પણ સળંગ કાવ્યકૃતિઓ રચવા માંડેલી અને માંડ વીસ વરસના થયા એટલામાં તો એ मनोदूत, गिरनारपर्वत, हृदयरुदितशतक તથા विधिकुंठित એમ ચાર કાવ્યકૃતિઓના કર્તા બની ગયેલા. કોલેજ છોડયા પછી પણ એમનો સંસ્કૃત રચનાનો મહાવરો ચાલુ જ રહેલો તે બી.એ. થયા પછી એમણે આદરેલાં પોપકૃત ‘એસે ઓન મેન' અને ‘લેમ્બ્સ ટેલ્સ'માંની વાર્તા ‘ટેમ્પેસ્ટ'નાં ભાષાન્તરોથી તેમ ‘સરસ્વતીચંદ્ર'ના ત્રીજા ભાગમાં એમણે लक्ष्यालक्ष्यरहस्य ના જે પદ્યાત્મક સિદ્ધાન્તમન્ત્રો તેમ જ તેના વિસ્તૃત ભાષ્યરૂપ ગદ્યાત્મક રહસ્યવિવરણ લખેલ છે તે ઉપરથી દેખાઈ આવે છે. હરિલાલ ધ્રુવ પણ ગોવર્ધનરામની પેઠે ગુજરાતી જેટલી જ સરળતાથી સંસ્કૃતમાં કાવ્યરચના કરતા હતા. તેના નમૂનારૂપે એમની ‘યુરોપયાત્રાની પ્રવાસપુષ્પાંજલિ'માંથી જીનીવાથી પારિસ જતાં ('એન્ રૂટ્ પારીસ ફ્રોમ જીનીવા) તા.૧૧-૮-૮૯ના રોજ એમણે રસ્તામાં રચેલા ‘ધી વીર્ડ ગ્રીન માઉન્ટન્ સીનરી' નામના સંસ્કૃત કાવ્યનો આ પ્રથમ શ્લોક જોવા જેવો છે :-
क्वचिद् वप्रलीलानतोऽयं गिरीशः
करीवोन्नतोग्रो जलादुत्थितो वा ।
पुरं दुर्गसानुव्यवस्थन्वितं वा
तृणादीन्द्रनीलोज्वलं प्राप्तकेतु ॥
એમની આ ‘પ્રવાસપુષ્પાંજલિમાં બાવીસ ગુજરાતી સાથે પાંચ સળંગ સંસ્કૃત કાવ્યો પણ છે, એટલે એ કાવ્યસંગ્રહનો લગભગ છઠ્ઠો ભાગ તો શુદ્ધ સંસ્કૃતમાં જ છે. ‘પૃથુરાજરાસા’ના કર્તા ભીમરાવની કાવ્યશક્તિ મૂળમાં સાચા ખોટા સંસ્કૃત શ્લોકો દ્વારા જ પ્રકટ થએલી,૭[7]અને એમની કવિતામાં લાલિત્ય માધુર્ય સાથે ક્લિષ્ટતા આટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે તેનું એક કારણ કદાચ બાહ્યાકારમાં સુન્દર પણ અર્થદૃષ્ટિએ ગરબડિયા એવા સંસ્કૃત શ્લોકો લખવાની એમની બાળપણમાં પડેલી ટેવ જ લાગે છે. એમના અનુજ નરસિંહરાવ જોકે સાંસારિક બાબતમાં સુધારક અને બાહ્ય દર્શનમાં સાહેબલોક જેવા હતા. છતાં બીજી રીતે સ્વ.ચન્દ્રશંકર પંડ્યાએ એકવાર કહેલું તેમ એ કોટપાટલૂનમાં ફરતા પુરાણીવેદિયા જેવા જ હતા તે ઉપર ટાંકેલો તેમનો સં.૧૯૮૨ની સાહિત્ય પરિષદ માટે રચેલો સંસ્કૃત શ્લોક જેમ બતાવી આપે છે તેમ લગભગ એ જ અરસામાં ‘Further Milestones in Gujarati Literature' ના અવલોકનરૂપે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' માં અગ્નલેખ લખી અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પ્રેરણાઝરણ કંઈ અંગ્રેજી સાહિત્ય નહિ પણ પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને પુરાતન ભારતીય સંસ્કૃતિ છે એવું જે વિધાન એમણે કરેલું તે પણ પુરવાર કરે છે. અલબત્ત, એમનું એ વિધાન એકાંગી હોઇ તત્ત્વતઃ સમગ્ર દૃષ્ટિએ જોતાં ખોટું જ હતું પણ એમની પોતાના સાહિત્યપ્રવૃત્તિ ઉપર તેમ એમના આખા જમાનાના સાહિત્ય ઉપર સંસ્કૃત સાહિત્યે જે અસાધારણ અસર કરેલી તેના અસંદિગ્ધ પુરાવારૂપ હોઈ પંડિતયુગ પૂરતું એ સાચું હતું. આ રીતે સંસ્કૃત પર્ત્યેનો પક્ષપાત એ આ પંડિતયુગનું એક મુખ્ય લક્ષણ હતું અને સં. ૧૯૩૫ થી સં. ૧૯૮૨ સુધીની લગભગ અડઘી સદી જેટલા લાંબા ગાળામાં જ્યારે ઇચ્છે ત્યારે સંસ્કૃતમાં કાવ્યરચના કરી શકે એવું અસાધારણ પ્રભુત્વ એ યુગના ઘણાખરા સાહિત્યકારો એ ભાષા ઉપર ધરાવતા હતા.૮[8].
એ યુગના સાક્ષરોમાં સંસ્કૃત કાવ્યરચનાની આવી શક્તિ આવે એમાં આશ્ચર્ય જેવું પણ નથી. કેમકે એમનામાંના ઘણાખરાએ માધ્યમિક શાળાના દિવસોથી જ સંસ્કૃતના અધ્યયન પર ખાસ લક્ષ આપેલું અને એનો વ્યાકરણભાગ સિદ્ધાંતકૌમુદી કે લઘુકૌમુદી ને આધારે જુની ઢબે શાસ્ત્રીઓ પાસેથી ઘણાખરા શીખેલા. ઉદાહરણ તરીકે મણિલાલનું સંસ્કૃત પ્રારંભમાં ખૂબ કાચું હતું. તે એમણે એમના સંસ્કૃત શિક્ષક છબીલારામ તેમ એમના કાકા રવિશંકર શાસ્ત્રીની મદદથી લધુકૌમુદી તથા ‘અમરકોશ ‘નો રાતના બબ્બે વાગ્યા સુધી ઉજાગરા ખેંચીને અભ્યાસ કરી પાકું કરી લીધેલું. છગનલાલ પંડ્યાએ પણ મેટ્રીક થતાં પૂર્વે જ સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ કરી નાખેલો. અને કમળાશંકર ત્રિવેદીએ એ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા ત્યારે જ સૂરતના વિશ્વનાથ શાસ્ત્રી પાસે લઘુકૌમુદીનું તેમ તે પછી ત્યાંના માર્કન્ડ શાસ્ત્રી પાસે રધુવંશનુ અધ્યયન કરેલું. નરસિંહરાવ દેખાવમાં જોકે સાહેબલોક જેવા હતા, છતાં કોલેજમાં એમનો પ્રિય વિષય સંસ્કૃત જ હતો, બી.એ.ની પરીક્ષા એમણે એ વિષયમાં ભાઉ દાજી ઈનામ મેળવીને જ પસાર કરેલી, અને તે પછી પણ સરકારી નોકરીમાં જોડાતાં પૂર્વે ત્રણેક વરસ એમ.એ.નો અભ્યાસ કરેલો તેમાં એમણે ઐચ્છિક વિષય સંસ્કૃત વ્યાકરણનો જ રાખેલો અને એ વખતે એમણે પાણિનિ, હેમચન્દ્ર આદિના વ્યાકરણગ્રન્થોનો જે સંગીન અભ્યાસ કરેલો તેણે જ આગળ ઉપર એમને ગુજરાતીના ધુરંધર ભાષાશાસ્ત્રી બનાવેલા. રમણભાઈની સ્થિતિ પણ એમના જેવી જ હતી. નરસિંહરાવની પેઠે એ પણ સાંસારિક પ્રશ્નોમાં સુધારક વિચારના હોવા છતાં બીજી રીતે સંસ્કૃતના ઊંડા અભ્યાસી અને ચુસ્ત ભક્ત હતા.૯[9] એમનું એકનું એક નાટક ‘રાઈનો પર્વત' સંસારસુધારાના મોટા ભાગના કાર્યક્રમને મૂર્ત કરતું હોવા છતાં અનેક રીતે સંસ્કૃત નાટ્યશૈલીનું જ અનુકરણ કરે છે. આ નાટક ઉપરાંત એમણે ચાર પાંચ નવલિકાઓ લખી છે તેમાંની ‘તારાનું અભિજ્ઞાન' અને ‘ચતુર્મુખ' એ બન્ને સંસ્કૃતની ઊંડી અસરથી અંકિત છે. ‘તારાનું અભિજ્ઞાન' એ તો રા. બટુભાઈ ઉમરવાડિયાના ‘શકુન્તલારસદર્શન'ની પેઠે કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલ' ને અર્વાચીન રૂપ આપવાનો જ એક પ્રયોગ છે. અને ‘ચતુર્મુખ' નામની એમની ભેદવાર્તાના चतुर्मुखोअथ्वा साक्षाद्विदुर्नान्ये तु मादृशाः એ કાલિદાસની કવિતા માટે એના ટીકાકાર મલ્લિનાથે પોતાની संजीवनीમાં યોજેલા વાક્ય પર જ કેટલેક અંશે મંડાણ છે. એમને સંસ્કૃતનો એટલો બધો શોખ હતો કે છેક પચાસ વરસની ઉંમરે એમણે એક ખાસ શાસ્ત્રી રાખીને સંસ્કૃત વ્યાકરણનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માંડેલો! આનન્દશંકર ધ્રુવની મૂળ મહત્ત્વાકાંક્ષા વકીલાતનો ધંધો કરી જસ્ટિસ તેલંગના જેવા બનવાની હતી, અને સંસ્કૃતનું અધ્યાપકપદ તો એમને માથે અકસ્માત, અનિચ્છાએ આવી પડેલું. એટલે એ પદનો સ્વીકાર પણ એમણે ‘નૈત્રમાંથી દુઃખના આંસુ પાડીને જ કરેલો, ૧૦[10] છતાં એમણે કેવળ સંસ્કૃતના શોખને લીધેજ વિદ્યાદિશામાં ભાસ્કર શાસ્ત્રી તેમ બચ્ચા ઝા, યદુનાથ ઝા આદિ મૈથિલ સંચિતો પાસે રહીને ‘શાળા મહાશાળાના અભ્યાસક્રમ બહાર સંસ્કૃત વિદ્યાનો જે વિશાળ સમુદ્ર' અથવા તો ‘વિકટ ધૂમ અને કરાડો વાળો પર્વત પડેલો છે તેનો પરિચય૧૧[11] કરેલો. એજ રીતે કમળાશંકર ત્રિવેદી જીવનનો મોટા ભાગ માધ્યમિક શાળાના સામાન્ય શિક્ષક જ રહેલા અને સંસ્કૃતનું સ્થાયી અધ્યાપકપદ તો એમને કદી મળેલું જ નહિ છતાં એમણે પણ સંસ્કૃત ભાષાસાહિત્ય પરની પોતાની આજન્મ પ્રીતિને જ કારણે તેના વિશાળ સાહિત્યનો ઘરમેળે જ અભ્યાસ કરેલો અને જયાં જ્યાં કોઈ શાસ્ત્રીનો લાભ મળે તેમ હોય ત્યાં તક સાધીને એમણે સંસ્કૃત સાહિત્યનું પોતાનું જ્ઞાન હરેક ઉપાયે વધારવાનું ધ્યેય રાખેલું. એટલે સૂરતમાં રહ્યા તે દરમિયાન નાણાવટમાં રહેતા દુર્ગાશંકર શાસ્ત્રી પાસે તેમણે સિદ્ધાંતકૌમુદી તથા ઉપનિષદનું અધ્યયન કરેલું, મુંબઈમાં હતા ત્યારે જીવરામ શાસ્ત્રી પાસે પરિભાષેન્દુશેખર તથા મહાભાષ્યનું અધ્યયન કરેલું, અમદાવાદની હાઇસ્કુલમાં શિક્ષક હતા ત્યારે ત્યાંના ભાસ્કર શાસ્ત્રી પાસે સૂત્રનો અભ્યાસ કરેલો, અને ભાવનગરની સામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે થોડો વખત કામ કરવાનો પ્રસંગ મળ્યો તો તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ભાનુશંકર શાસ્ત્રી પાસે એમણે ચતુ:સૂત્રીનું અધ્યયન કરી લીધેલું. એમના આ નિષ્કામ અધ્યયનને પરિણામે જ એમને એક બે વાર સત્રના અધવચમાં જ એકાએક સંસ્કૃતના અધ્યાપક તરીકે કામ કરવાનું આવેલું ત્યારે કશી પૂર્વતૈયારી કર્યા વગર આગલા અધ્યાપકે જયાંથી પાઠયપુસ્તક અધૂરું મૂક્યું હોય ત્યાંથી પોતાને એ વિષય હસ્તામલકવત્ હોય એવી રીતે જરા પણ મુશ્કેલી વગર તે આગળ ચલાવી શકેલા અને ભાંડારકર સાથે એમ.એ.ના પરીક્ષક તરીકે પ્રશ્નપત્રો કાઢવાનો પ્રસંગ આવતાં અલંકારશાસ્ત્ર આદિ વિષયના પ્રશ્નો એમણે એવી કુશળતાપૂર્વક કાઢેલા કે ભાંડારકર તેથી ખૂબ રાજી થએલા અને ‘તમે શાસ્ત્રનો સારો ને ચોક્કસ અભ્યાસ કર્યો છે.' એવી તેમની સ્તુતિ કરેલી.
એ ભાંડારકર પર ગુજરાતીઓના સંસ્કૃત જ્ઞાન બાબત સારી છાપ પાડી તે પણ સૌથી પહેલી આ ગોવર્ધનરામ, કમળાશંકર આદિ વિદ્યાર્થીઓની જ પેઢીએ. એ પહેલાં સંસ્કૃતના અભ્યાસમાં દક્ષિણીઓ કરતાં ગુજરાતીઓ પછાત ગણાતા, અને એલ્ફિન્સ્ટન કોલેજના સંસ્કૃતના અધ્યાપક ભાંડારકરને ગુજરાતીઓના સંસ્કૃત જ્ઞાન માટે બહુ ઓછું માન હતું.૧૨[12] પણ ગોવર્ધનરામના સમયથી એ સ્થિતિ બદલાઈ ગઈ, અને એમના સહાધ્યાયી ને પ્રિય મિત્ર હરિરામ ઉત્તમરામ ભટ્ટે સંસ્કૃતમાં જગન્નાથ શંકરશેઠ તથા ભગવાનલાલ પુરુષોત્તમદાસ સ્કોલરશિપ મેળવી ત્યારથી ભાંડારકરને ‘ગુજરાતીઓ સંસ્કૃતમાં નબળા જ હોય,' એ અભિપ્રાય ફેરવવો પડ્યો. તે પછી તો એમને ગુજરાતી વિદ્યાર્થી પણ દક્ષિણીઓને પાણી ભરાવે એવા મળવા લાગ્યા. ઉદાહરણ તરીકે નરસિંહરાવ કોલેજમાં હતા ત્યારે રામકૃષ્ણ ભાડાંરકરનો પુત્ર શ્રીધર પણ તેમની સાથે જ અભ્યાસ કરતો હતો અને સંસ્કૃતનાં ઈનામમાં એમનો પ્રતિસ્પર્ધી પણ હતો, છતાં કોલેજની પ્રથમ પરીક્ષા એફ.વાઈ.એ.-માં રામકૃષ્ણ ભાંડારકર પોતે પરીક્ષક હતા ૧૩[13] તોપણ સંસ્કૃતમાં પહેલા આવી ઈનામ જીતી ગયા તે તો ગુજરાતી નરસિંહરાવ ૧૪[14] જ! સંસ્કૃતમાં નરસિંહરાવે આમ શ્રીધર ભાંડારકર પાસે જ નહિ પણ ગુરૂદેવ રામકૃષ્ણ ભાંડારકર પાસે પણ એકવાર કાનપટ્ટી પકડાવેલી. વિલ્સન ભાષાશાસ્ત્રીય વ્યાખ્યાનોમાં રામકૃષ્ણ ભાંડારકરે ‘નાનું’એ ગુજરાતી શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત लघु ઉપરથી બેસાડેલી, પણ નરસિંહરાવે એ વ્યાખ્યાનો સાંભળ્યા પછી ગુરુદેવને રૂબરૂ મળીને સવિસ્તર કારણો આપી પુરવાર કરી આપેલુ કે એ શબ્દ लघु નહીં, श्लक्ष्क्ण ઉપરથી જ સંભવે છે. એટલે એ વ્યાખ્યાનો ગ્રંથાકારે પ્રકટ થયાં ત્યારે ભાંડારકરે પોતાની એ ભૂલ સુધારેલી પણ ખરી ૧૫[15] અને ખ્યાતિ, પ્રતિષ્ઠા આદિ બાબતોમાં પણ ગુજરાતીઓ પછી કંઈ કમ નહોતા નીકળતા. ઉદાહરણ તરીકે યુરોપની પ્રાચ્ય પરિષદ ઓરિએન્ટલ કોન્ફરન્સમાં હિંદના પ્રતિનિધિ તરીકે જવાનું જે માન સાતમા અધિવેશન વખતે ભાંડારકરને મળેલું તે જ માન તે પછીના આઠમા અધિવેશન વખતે એમના એક વખતના ગુજરાતી વિધાર્થી હરિલાલ ધ્રુવને મળેલું. અને વળી બર્લિન યુનિવર્સિટીએ આઠમી પ્રાચ્ય પરિસદ સમયે એ જ પી.એચ.ડી.ની ડિગ્રીથી હરિલાલ ધ્રુવનું પણ સન્માન કરેલું. એજ રીતે એમના બીજા ગુજરાતી શિષ્ય કમળાશંકર ત્રિવેદીએ ‘ભટ્ટિકાવ્ય’ ‘પ્રતાપ રુદ્રયશોભૂપણ, ‘રેખાગણિત' ‘પડ્યાપાચન્દ્રિકા', ‘એકાવલિ' આદિ સંસ્કૃત ગ્રન્થોનું સંપાદન એક કાળે ‘દક્ષિણીઓના કિલ્લા જેવી ગણાતી’૧૬[16] ‘બોમ્બે સંસ્કૃત સિરીઝ'માં એવી વિદ્વત્તાપૂર્વક કર્યું છે, તેમ ‘સંસ્કૃત ટીચર' આદિ વિધાર્થીવર્ગને માટે યોજેલાં પુસ્તકોથી એવી આન્તરપ્રાન્તીય પ્રતિષ્ઠા મેળવી છે કે એમને ગુજરાતના ભાંડારકર એવું ઉપનામ આપવામાં આવ્યું છે તે યોગ્ય જ છે. કમળાશંકરનાં પુસ્તકોએ આ પ્રમાણે સંસ્કૃત વિદ્યાના ક્ષેત્રમાં ગુજરાતને જો આન્તરપ્રાન્તીય કીર્તિ અપાવી તો મણિલાલ નભુભાઈનાં પુસ્તકોએ તેને આન્તરરાષ્ટ્રીય કીર્તિ અપાવી. સંસ્કૃત ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં એમનાં પાંડિત્યભર્યાં પ્રકાશનો એ પહેલે જ સપાટે એવી સારી છાપ પાડી દીધેલી કે યૂરોપ અમેરિકાનાં પ્રાચ્યવિદ મંડળોમાં એમની પ્રમાણપુરુષ તરીકે ગણના થવા લાગેલી અને એમના ‘Raja Yoga'નું લંડનના daily Telegraph માં અવલોકન કરતાં સર એડ્વિન આર્નોલ્ડને સ્વીકારવું પડેલું ૧૭[17] કે ‘Nor does Poona or Bombay contain any Shastree with clearer con- clusions on Hindu Theology and Philosophy, better command of lucid language, or ideas more enlightened and profound than Mr.Manilal Nabhubhai Dvivedi, Professor of Sanskrit in the Samaldas College... whose work just published on the Raja-yoga aught to become widely known in Europe and to converse with whom has been a real privilage.' આ રીતે પંડિતયુગના આપણા સાક્ષરોમાંથી હરિલાલ ધ્રુવે ઇતિહાસ પુરાતત્ત્વ, કમળાશંકર ત્રિવેદીએ સાહિત્ય અલંકાર આદિ વિષયોના ગ્રંથોનાં વિવરણ સંપાદન, મણિલાલ નભુભાઇએ હિન્દુ ધર્મતત્ત્વજ્ઞાન, અને નરસિંહરાવે ભાષાશાસ્ત્રીનું અન્વેષણ એમ વિવિધ ક્ષેત્રોમાં સંસ્કૃત વિદ્ધતા બતાવી ગુજરાતીની સેવા બજાવેલી, એટલુંજ નહિ પણ સંસ્કૃત વિદ્યાના પ્રદેશમાં તો દક્ષિણીઓનું જ ચાલે, ગુજરાતીઓનો તો એમાં ગજ જ ન વાગે એવી જુની માન્યતાનું નિરસન કરી પોતાના સંસ્કૃત ભાષાના પાંડિત્યથી ગુજરાતને હિંદભરમાં જ નહિ પણ યૂરોપ અમેરિકામાં પણ પ્રસિદ્ધિ અપાવેલી.
પંડિતયુગની આ સંસ્કૃતભક્તિથી આપણા સાહિત્યનું સુકાન જ ફરી ગયું. આગલા સુધારકયુગમાં આપણે તાજા જ અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવેલા, એટલે એના તરફ એ યુગના લેખકો અહોભાવથી જોતા અને ગુજરાતીની અંગ્રેજી સાહિત્ય સાથે સરખામણી કરવામાં જ પોતાના સાહિત્યજીવનની કૃતાર્થતા સમજતા. ‘આપણે ત્યાં એકલું પદ્ય જ લખાય છે, જ્યારે અંગ્રેજીમાં તો જુઓ ગદ્ય કેટલું બધું ને કેવું સરસ ખીલ્યું છે! માટે ચાલો આપણે પણ ગદ્યલખાણ કરીએ. અંગ્રેજીમાં પ્રકૃતિકાવ્યો કેવાં સુન્દર રચાય છે. ત્યારે ગુજરાતીમાં તો એ વર્ગની કવિતા જ નથી, માટે ચાલો આપણે પણ પ્રકૃતિવર્ણનનાં કાવ્યો રચીએ. અંગ્રેજીમાં જીવનચરિત્ર અને ઇતિહાસનાં ક્ષેત્રો કેટલાં બધાં ખેડાયાં છે, અને આપણી ભાષામાં તો એ વિભાગ સાવ ઉજ્જડ જ પડયો છે, માટે ચાલો આપણે એની શરૂઆત કરીએ, એમ એ યુગના સાહિત્યકારોનું ધ્યાન અંગ્રેજી સાહિત્યનું અવલોકન કરી તેનું આપણી ભાષામાં અનુકરણ કરવામાં જ લાગ્યું હતું. એ સ્થિતિ આ પંડિતયુગમાં પલટાઈ ગઈ અને અંગ્રેજી પ્રત્યેના અહોભાવનું સ્થાન કેટલેક અંશે સંસ્કૃતે લીધું. સુધારકયુગમાં જે તુલના અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય વચ્ચે થતી હતી, તે હવે સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય વચ્ચે થવા લાગી, અને સંસ્કૃતની સાથે સરખાવતાં ગુજરાતી સાહિત્યમાં જે જે અંગો, પ્રકારો,કે શૈલીઓ આદિ ખૂટતું માલૂમ પડયું તે પૂરું કરવા આ નવલોહિયા પંડિતો કમર કસવા લાગ્યા. ‘જુઓ, સંસ્કૃતમાં તો વ્યાયોગ, વિલાસિકા, અંક એમ જાત જાતનાં નાટકો યોજાયાં છે, ને આપણા સાહિત્યમાં તો એનું નામનિશાન પણ નથી, માટે ચાલો આપણે એ સૌ પ્રકારો આપણી ભાષામાં આરંભીએ. વળી જુઓ, સંસ્કૃતમાં તો મહાકાવ્યો કેટલાં બધાં રચાયાં છે, ત્યારે આપણે ગુજરાતીમાં તો દંડીએ કાવ્યાદર્શમાં વર્ણવ્યાં છે એવાં લક્ષણોવાળું એક પણ મહાકાવ્ય નથી, માટે ચાલો એવું એક મહાકાવ્ય આપણે રચીએ એજ જાતનું રટણ એ યુગના લેખકો અહોનિશ કરવા લાગ્યા. હરિલાલ ધ્રુવની ‘આર્યોત્કર્ષવ્યાયોગ' ‘વિક્રમોદય અંક' ‘વસન્ત વિલાસિકા' આદિ કૃતિઓ સંસ્કૃતના એ નાટ્યપ્રકારો આપણા સાહિત્યમાં ઉતારવાની દૃષ્ટિથી જ ઉદ્ભવેલી૧૮[18] અને દોલતરામ પંડયાએ તો સંસ્કૃતનો અભ્યાસ કરી તેના બળ વડે ગુજરાતી સાહિત્યને અંગ્રેજી સાહિત્ય જેવું વિશાળ અને સુંદર બનાવવાનો જીવનસંકલ્પ જ કરેલો,૧૯[19] ને એમના ‘ઇન્દ્રજીવતધ' ‘કુસુમાવલી' તેમ ‘અમરસત્ર’ આદિ ગ્રંથો ગુર્જરીને ‘સંસ્કૃત માતામહીને હતા એવા ‘ અલંકારો પહેરાવવાની ઇચ્છાથી જ રચાએલા.૨૦[20] ગોવર્ધનરામકૃત ‘સ્નેહમુદ્રા' તથા ભીમરાવકૃત ‘પૃથુરાજરાસા’ આદિ કૃતિઓની પાછળ સંસ્કૃતનું અનુકરણ કરવાનો આવો ખુલ્લો ઉદેશ જોકે નથી વ્યક્ત થયો, છતાં એ સર્વ સંસ્કૃત કાવ્યશૈલીથી પરિપ્લુત બનેલી કલ્પનાનાં સન્તાનો છે એ તો એ કૃતિઓ વાંચનારને પદે પદે પ્રત્યક્ષ થાય છે. આવાં સ્વતન્ત્ર સર્જનો તેમ અનુકરણો ઉપરાંત સંસ્કૃતને આદર્શસ્થાને રાખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવાનો એ જમાનાના રસિક પંડિતોએ જે ત્રીજો માર્ગ લીધો તે અનુવાદોનો. છગનલાલ પંડ્યા કૃત ‘કાદંબરી'નું ભાષાન્તર, ભીમરાવ, કીલાભાઈ આદિએ કરેલાં ‘મેઘદૂત'નાં ભાષાન્તરો તથા બાલાશંકરકૃત ‘મૃચ્છકટિક'નું ભાષાન્તર એ સર્વ સંસ્કૃત સાહિત્યનાં અણમોલાં રત્નોને ગુજરાતીમાં લાવી તેને શણગારવાના એ યુગના સાહિત્યકારોના પ્રયત્નોમાં પણ એમની સંસ્કૃતભક્તિ દેખાઈ આવે છે. આ રીતે પંડિતયુગ એટલે અસાધારણ સંસ્કૃતભક્તિનો યુગ, સંસ્કૃત ભાષાસાહિત્યનું જીવનભર પ્રેમપૂર્વક અધ્યયન પરિશીલન, માતૃભાષા જેટલી સરળતાથી એમાં કાવ્યરચના કરવા જેટલું એ ભાષા પર પૂર્ણપ્રભુત્વ, વાણી, કલ્પના, અને સમગ્ર માનસને એના સાહિત્યસંસ્કારોનો લાગેલો પ્રબળ પાસ, અને એના અનુકરણ-અનુવાદ દ્વારા માતૃભાષાને સમૃદ્ધ કરવાનો ઉત્કટ અભિલાષ આ એ પંડિતયુગની સંસ્કૃતભક્તિનાં મુખ્ય લક્ષણો. આ લક્ષણોને ઓછાવત્તા પ્રમાણમાં તો એ યુગનાં સર્વ સાહિત્યકારો મૂર્ત કરે છે, પણ એ સર્વ લક્ષણોને સૌથી વિશેષ પ્રમાણમાં સાકાર કરનારો જો કોઈ સાક્ષર હોય તો તે કેશવલાલ ધ્રુવ. એનું આખું જીવન આ સંસ્કૃતમયતાથી અંકિત બની ગએલું.૨૧[21] એની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિ પણ આ સંસ્કૃતમયતાથી તરબોળ બની ગએલી. ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃતમયતાનો અનન્ય અવતાર તે જ જાણે કેશવ હર્ષદ ધ્રુવ!
પંડિતયુગનું મૂળભૂત લક્ષણ જ એની આ સંસ્કૃતભક્તિ, કેમકે એમાંથી જ એનાં અન્ય સર્વ લક્ષણોનો પ્રાદુર્ભાવ થયો. ઉદાહરણ તરીકે એ યુગનું બીજું લક્ષણ તે એની સંરક્ષક્તા અને પ્રાચીનપૂજા, અને તે પણ એની આ સંસ્કૃતભક્તિના જ પરિણામરૂપ, ગુર્જરભક્ત ફાર્બસ સાહેબના સંબન્ધમાં આપણે જાણીએ છીએ કે એ શિલ્પકળારસિક પુરુષ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી નિમાએલા અમલદાર તરીકે આપણા ગુજરાતમાં આવ્યો અને આંહીની ભવ્ય શિલ્પકૃતિઓને જોઈને એને થયું કે ‘કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકોના મહિમાનાં એ અવાચક ચિહ્ન છે.૨૨[22] અને તેથી એવી ભવ્ય શિલ્પકૃતિઓ નિર્માણ કરનારી પ્રજા પણ મહાન હોવી જોઈએ એમ લાગવાથી એ તેના જીવન તેમ ઇતિહાસનો પ્રશંસક ને અભ્યાસી બન્યો. આ પંડિતયુગના સંબધમાં પણ એવું જ થયું. એ યુગના યુવકો જેમ જેમ સંસ્કૃત સાહિત્યનું અધ્યયન કરતા ગયા તેમ તેમ એમાં પ્રતિબિંબિત થએલી પ્રાચીન આર્ય સંસ્કૃતિથી તેઓ મુગ્ધ થતા ગયા. નિર્ણયસાગર તરફથી એ વખતે પ્રકટ થવા માંડેલી કાવ્યમાલાના સંસ્કૃત કાવ્ય, નાટક, અલંકાર આદિના ગ્રન્થો વાંચીને તેઓ એટલા બધા આનન્દમાં આવી ગએલા કે સ્વ. આનન્દશંકર ધ્રુવ આદિ કેટલાંકોએ તો એ વિશે સંસ્કૃતમાં પ્રશસ્તિઓ પણ લખેલી,૨૩[23] એમના શબ્દોનો વિનિયોગ કરીને કહીએ તો ‘આ ગ્રન્થમાળાથી કોઈક નવી જ રસભૂમિ'નાં એમને દર્શન થવા લાગેલાં, અને એમનો આ આદરભાવ એ‘રસભૂમિ'માં જ પુરાઇ ન રહેતાં એ ‘રસભૂમિ'માં પેસી ગએલી પ્રજા અને તેની સંસ્કૃતિ ભણી પણ સ્વાભાવિક રીતે વળેલો. વસ્તુતઃ આ પંડિતયુગ તે આપણી પ્રજાનો પુનઃપ્રબોધકાળ હતો, જેમ સુધારક યુગ તે એનો પ્રબોધકાળ હતો. સુધારક યુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી જ સંપર્કમાં આવી, અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું' જોવા લાગી આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમકે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિબિંત થએલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારક યુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આચારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા. પણ આ પંડિતયુગમાં આપણે પશ્ચિમની સાથે પૂર્વના સાહિત્યના પણ સંપર્કમાં આવ્યા અને એની પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય સમજવાની પણ આપણને તક મળી, એટલે આપણે છેક બાલક મટીને યુવાવસ્થામાં૨૪[24] પ્રવેશ કર્યો અને આગલા યુગમાં ‘પરપ્રત્યયનેય બુદ્ધિ' જેવી આપણી સ્થિતિ હતી. તેને સ્થાને પૂર્વ અને પશ્ચિમ ઉભયની પરીક્ષા કરી એમાંથી જે યોગ્ય હોય તેનો સ્વીકાર કરવા જેટલું સ્વાતંત્ર્ય આપણામાં આવ્યું. આ સ્વાતંત્ર્યને યૂરોપ અમેરિકાના પ્રાચ્યવિદો તરફથી પણ અણધારી પુષ્ટિ મળી. કેમકે કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ એ અરસામાં પશ્ચિમ પૂર્વને ભણતું હતું. અને ભણતું હતું તેથી પ્રીછતું હતું. યૂરોપના દેશદેશમાં Oriental Congress-પોર્વાત્યજ્ઞાન પરિષદ ભરાતી. દેશદેશમાં પૌર્વાત્ય મહાપંડિતો વસતા. નવ ઇંગ્લંડને જર્મન પ્રો. મેક્ષમૂલરે ભાષાન્તર કરીને ૠગ્વેદ ભણાવ્યો હતો, અને આર્યાવર્ત એમને પ્રો.મોક્ષમૂલર કહેતું. Sacred Books of the East નામાભિધાને એમણે અપૂર્વ અને અદ્વિતીય પૂર્વનાં સત્શાસ્ત્રોની ભાષાન્તર ગ્રંથમાળા પ્રગટ કરી હતી. What India can Teach Us? એ એમનો ભારતસન્દેશનો ગ્રન્થ પૂરોપ, અમેરિકા, એશિયામાં જાણીતો હતો. એ નવભૂમિ દર્શન કરતી આશ્ચર્યઆંખે પશ્ચિમ ત્યારે પૂર્વને નિહાળતું. પશ્ચિમના પ્રોફેસરો ભારતમાં ભણવાને આવતા. ગંગાના પુષઘાટો, હિમાલયની ગહન ગુફાઓ, એ ગુફાવાસી સમર્થ યોગેશ્વરોનાં Mystic આકર્ષણો વધારે, પશ્ચિમને આકર્ષતાં, કૈલાસને નામે અદ્ભુતની ઝંખના જાગતી, ૨૫[25] આગલા સુધારક યુગમાં આપણા પ્રજાનાયકો પશ્ચિમપૂજક બની ગયા હતા, અને આપણું સઘળું નિન્દાપાત્ર જ ગણતા. કવિના શબ્દોમાં જો કહીએ તો ‘પશ્ચિમવાદીઓ અને પશ્ચિમપૂજક એક આંખાળાઓ ભારતની ભૂલો માત્ર ગોખતા ગોખાવતા એ જ પશ્ચિમમાંથી ભારતની ગુણગીતા ગવાતી હિન્દુ મહાપ્રજાએ સાંભળી. પશ્ચિમવાદીઓને પશ્ચિમવાસીઓએ ખોટા પાડ્યા. ભારતને ગુણગૌરવ છ્ડ્યા.૨૬[26] ‘દેશાભિમાન' શબ્દ ઘડાયો જોકે આગલા સુધારકયુગમાં, પણ એ શબ્દથી સૂચિત થતો ભાવ ખરેખરો અનુભવવા લાગ્યાં. તે તો આ સંરક્ષકયુગના જ લોકો, કેમકે સુધારકયુગના લોકો સ્વદેશ પ્રત્યે પશ્ચિમની નજરે જ જોતા હતા, એટલે એમાં એમને જયાં ત્યાં સુધારવા ને શરમાવા જેવું જ લાગતું હતું, અને અભિમાન લેવા જેવું કશું એમાં એમને દેખાતું જ નહોતું. એટલે એ યુગમાં સાચા દેશાભિમાન જેવું હતું જ નહિ. જે કંઈ હતું તે ‘દેશાભિમાન' કરતાં ‘દેશવાત્સલ્ય' કે ‘દેશદાઝ' એ શબ્દથી જ ઓળખાવાને વિશેષ પાત્ર હતું. ‘અરે! આ પશ્ચિમની સાથે સરખાવતાં આપણો દેશ કેવો અધમ છે, આપણી પ્રજા કેવી પામર છે, આપણી દશા કેવી દયાજનક છે! ‘-એજ એ આખા જમાનાનો પ્રધાન મનોભાવ હતો. સાચા સ્વદેશાભિમાનની લાગણી તો આ પંડિતયુગમાં સંસ્કૃત સાહિત્ય દ્વારા આપણા પ્રાચીન ગૌરવનું અને આપણી પુરાતન આર્ય સંસ્કૃતિની ઉદાત્તતાનું આપણને દર્શન થયું ત્યારે જ આપણે અનુભવી શક્યા. આથી જ ‘દેશાભિમાન' શબ્દના આદ્યયોજકે સૂરતની શાળામાં સ્વામી દયાનંદ સરસ્વતી એ ભાષણ કરેલું તેની પ્રશંસા કરતાં કહેલું કે આજ બાવીસ વરસથી અમે પોપટિયા રટણ કરીએ છીએ, પણ એ દેશાભિમાનની લાગણીનો ખરો સ્વાનુભવ કર્યો ને કરાવ્યો તે તો આર્ય ધર્મનું પુનરુજ્જીવન કરનાર આ સ્વામીજીએ.૨૭[27] અને આ સ્વામીજીએ જ આપણા દેશ પર પરસંસ્કારે જે આક્રમણ કરવા માંડેલું તેનો સૌથી પહેલો સામનો કર્યો. આપણી આર્ય સંસ્કૃતિના પ્રાચીનતમ વિશુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવી એમણે પશ્ચિમના તેજથી અંજાઈ ગએલી આંખોને ઠેકાણે આણી. એમણે કરેલી આર્યસમાજની સ્થાપના તે આપણા પ્રાચીનતા પૂજક સંરક્ષકયુગનો અરુણોદય. એ જ સ્વામીજી થી આકર્ષાઈને ‘અમેરિકામાંથી આર્યવિદ્યાની શોધમાં તલ્લીન થઈ રહેલી થીયોસોફી નામનું બેચાર મનુષ્યનું ભાવિક ટોળું હિંદુસ્તાનમાં આવ્યું.૨૮[28] અને તેણે પોતાની સંસ્થા આપણા દેશમાં જમાવી. આર્યધર્મનું પ્રાચીન રહસ્ય યુનિવર્સિટીનું શિક્ષણ પામેલાઓનો આદર પામી શકે એવી પરિભાષા ને શૈલીમાં સમજાવવા માંડયું. એની બેસન્ટ જેવી પરમ બુદ્ધિશાળી, સંસ્કારી, અને વિદુષી સન્નારીએ એ સંસ્થામાં જોડાઈ જ્યારથી હિન્દવાસ સ્વીકાર્યો અને વિદેશી હોવા છતાં પોતાને હિન્દુ તરીકે ઓળખાવવામાં જ્યારથી ગૌરવ ગણવા માંડ્યું ત્યારથી સુશિક્ષિત હિન્દુ યુવકોની છાતી ગજ ગજ ફૂલવા લાગી અને એમની ઉપદેશપ્રવૃત્તિએ કેળવાએલા યુવકવર્ગને મન્ત્રમુગ્ધ કરી એને પ્રાચીન આર્ય સંસ્કૃતિ તરફ વાળવાનું દેશભરમાં પ્રબળ આન્દોલન શરૂ કર્યું. આ જ અરસામાં પ્રારંભમાં સ્વામી વિવેકાનન્દનું અને પછી કેટલેક કાળે રામતીર્થનું કાર્ય શરૂ થયું. એ બન્ને આપણી શારદાપીઠોની ઉચ્ચતમ કેળવણી પામેલા પદવીધરો હતા, વળી એમની વ્યાખ્યાનમાળા મૂળ યુરોપ અમેરિકામાં આપેલી અને ત્યાંની પ્રતિષ્ઠાની મહોર છાપ પામીને આંહીં આવેલી, એટલે એમના ઉપદેશોએ આપણા શિક્ષિતવર્ગનું ધ્યાન વિશેષ પ્રમાણમાં ખેંચ્યું. દયાનન્દ સ્વામીએ હિન્દને વેદના પ્રાચીનતમ ધર્મ ભણી દોર્યો હતો, ત્યારે આ જોડલીએ તેને વેદાન્તની પરમ ઉદાર અને તત્ત્વજ્ઞાનના શિખરરૂપ ગણાય એવી અદ્વૈતભાવના અને તેમાંથી ફલિત થતા ઉન્નત જીવનદર્શન ભણી દોર્યો. ત્યારથી પછી આપણા દેશમાં સુધારાનાં પાણી ઓસર્યા. કેમકે નવલરામે કહ્યું છે તેમ એ સુધારાની જનની તે પાશ્ચાત્ય સાહિત્યની કેળવણી હતી. એ પાશ્ચાત્ય સાહિત્ય સાથે આ પંડિતયુગમાં સંસ્કૃત આદિ પ્રાચ્ય સાહિત્ય પણ કેળવણીમાં દાખલ થયું. એટલે સુધારણાનું જોર આપોઆપ કમી થયું. વહેમજવનની સામેનો મારો તો અલબત્ત તે પછી પણ ચાલુ રહ્યો, પણ નર્મદયુગમાં સુધારારાણો જે હદ બહાર બહેકી ગયો હતો. તેને આ સંસ્કૃત સાહિત્યના શિક્ષણે અમુક અંશે અંકુશમાં આણ્યો. વસ્તુતઃ પાશ્ચાત્ય અને પ્રાચ્ય વિદ્યાસંસ્કૃતિઓ આપણી પ્રજાના માનસને ઘડવામાં ત્યારથી પરસ્પર પૂરક ને નિયામક બળ જેવી બની રહી. એટલે આગલા યુગમાં આપણા ભણેલાઓ આપણી રહેણીકરણીની નબળી બાજુ જ જોતા હતા, તેમાંના અનિષ્ટ અંશોજ આગળ કરતા હતા, અને ‘આપણી જૂની રૂઢિઓ કેવી ખરાબ છે!' એમ કહીને આત્મનિન્દા અને આત્મજુગુપ્સાની લાગણી અનુભવતા હતા તે આ યુગમાં બંધ થઈ, અને પ્રાચીન સંસ્કૃત સાહિત્ય દ્વારા તેમ દયાનન્દ સરસ્વતી, એની બેસન્ટ, વિવેકાનન્દ, અને રામતીર્થ આદિ ઉપદેશક પરંપરાની પ્રવૃત્તિ દ્વારા આપણા દેશની રીતરસમોની ઊજળી બાજુ જોવા લાગ્યા, તેમાંનો સંદેશો તારવવા લાગ્યા, અને ‘આપણા પૂર્વજો આપણે ધારતા હતા તેવા બેવકુફ નહોતા, પણ જગતની સર્વોત્તમ ગણાય એવી સંસ્કૃતિના સર્જક હતા’ એ પ્રકારનું ભાન થતાં સુધારક યુગની આત્મનિન્દા અને આત્મજુગુપ્સાને સ્થાને અસ્મિતા અને સ્વમાનના ભાવો તેઓ અનુભવવા લાગ્યા. ત્યારથી પછી પુરોગામી યુગની કેવળ ઉચ્છેદક વૃત્તિનો અન્ત આવ્યો, અને સંરક્ષક વૃત્તિનો જન્મ થયો. અલબત્ત, આ સંરક્ષક યુગમાં પણ પાછલા સુધારક યુગના પ્રવાહને ચાલુ રાખવા મથતી રમણભાઈ, નરસિંહરાવ આદિ જેવી થોડી વ્યક્તિઓ હતી ખરી, પણ તે લઘુમતીમાં આવી ગઈ, અને બહુમતી તો મણિલાલ, ગોવર્ધનરામ આદિ પ્રાચીનતાપૂજક પક્ષની જ આ યુગમાં આદિથી અન્ત સુધી રહી. આખા હિન્દને માટે પુરાણી સંસ્કૃતિના પુનરૂજ્જીવનનું જે કામ વિવેકાનન્દ, રામતીર્થ આદિએ કર્યું તે જ કામ ગુજરાત માટે શિષ્ટ વિદ્ધદ્ધોભોગ્ય સ્વરૂપમાં મણિલાલ તથા ગોવર્ધનરામે અર્ને સાદા લોકભોગ્ય સ્વરૂપમાં નરસિંહાચાર્ય અને નથુરામ શર્માએ કર્યુ. પુરોગામી યુગમાં સુધારકોને હાથે નિન્દાએલી આપણી રૂઢિઓનો મર્મ શો, એનો ઉદ્ભવ શી રીતે થયો, એનું પ્રાચીન શુદ્ધ સ્વરૂપ શું, એમાં વિકૃતિ ક્યારે શાથી પેઠી, અને એનું અર્વાચીન ઉર્ધ્વીકરણ કયા પ્રકારે શક્ય તેનું ચિન્તન એ જ એમનો જીવનવ્યવસાય બની ગયો. એ રીતે એ મંડળ પોતાનું સમસ્ત સાહિત્યજીવન પ્રાચીન આર્યસંસ્કૃતિનું ગૌરવ પોતાના દેશબન્ધુઓને સમજાવવામાં ગાળ્યું એટલે આનન્દશંકર ધ્રુવ ‘and all of great, or good or lovely, which the sacred past In truth or fable cosecrates, he felt and knew.' એ શૈલીની જે પંક્તિઓ મણિલાલને માટે યોજે છે તે આ પંડિતયુગના સમસ્ત સંરક્ષકવર્ગને માટે પણ સાચી છે. પાછલા પ્રકરણમાં કેશવલાલ ધ્રુવને આપણે જરાશંકર કહેલા પણ વસ્તુત: એકલા કેશવલાલ જ નહિ પણ આ આખા યુગના સઘળા સંસ્કૃતપ્રિય સાક્ષરો એક યા બીજા ક્ષેત્રમાં નાના મોટા જરાશંકરો જ હતા, ‘ભવ્ય ભરતભૂમિ નામે જે એકનું એક રાષ્ટ્રીય ગીત કેશવલાલ ધ્રુવે રચેલું છે તે પંડિતયુગની આ પ્રાચીન પૂજાના લાક્ષણિક પ્રતીક જેવું જ છે અને એની
‘અમ ભવ્ય ભરતભૂમિ આએ-
વડી બ્રહ્મવેદિ એમ આએ,
વસિષ્ઠ, વિશ્વામિત્ર, અંગિરા,
ભરદ્વાજ, ઉદાલકાદિના,
શુદ્ધ સનાનત બ્રહ્મતેજથી
જે ઝળહળે સદાએ,
અમ ભવ્ય ભરતભૂમિ આએ-
બ્રહ્મસરે ભીના ઋષિવરની
બ્રહ્મવેદિ અમ આએ !’ ૨૯[29]
ઇત્યાદિ કડીઓ દ્વારા આખો પંડિતયુગ જ જાણે પુરાતન આર્ય સંસ્કૃતિ માટેનો પોતાનો જીવનભરનો પ્રશંસાભાવ ઉત્સાહપૂર્વક લલકારી રહ્યો છે.
અમદાવાદની છઠ્ઠી સાહિત્યપરિષદ પ્રસંગે હાજી મહમ્મદે ‘વીસમી સદી' માસિકનો પરિષદઅંક કાઢેલો, અને તેમાં આપણા સદેહ વિદેહ મુખ્ય મુખ્ય સાહિત્યકારોના ફોટા આપેલા. આ ફોટાઓમાંથી બે લાક્ષણિક હોઇને ખાસ જોવા જેવા છેઃ એક કેશવલાલ ધ્રુવનો અને બીજો કનૈયાલાલ મુનશીનો. કેશવલાલ ધ્રુવનો આ ફોટો એમના ઉત્તમ ફોટાઓમાંનો એક છે.૩૦[30] એક વિશાળ ટેબલ ઉપર સાતેક મોટા મોટા ગ્રન્થો પડ્યા છે, એની બાજુમાં કલમ ખડિયો અને કાગળ છે, અને સામેની ગાદીમઢેલી ખુરસી પર કેશવલાલ ધ્રુવ એમનું સૌજન્યયુક્ત લાક્ષણિક સ્મિત કરતા હાથમાં કલમ રાખીને બેઠા છે. ત્યારે રા. મુનશી પણ એવા જ એક વિશાળ ટેબલ આગળની ખુરસીમાં બેઠા છે, પણ એ ટેબલ ગ્રન્થો ને બદલે વકીલની બ્રીફોનાં બંડલોથી છવાઈ ગયું છે. એમની પાછળની છાજલીમાં પણ પુસ્તકો તો છે, પણ તે વકીલોને કેસો તૈયાર કરતી વખતે ક્ષણે ક્ષણે જોવાં પડે એવાં કાયદાનાં પુસ્તકો તેમજ અહેવાલો આદિના સંગ્રહો જણાય છે. આ બન્ને ફોટા લાક્ષણિક અને સૂચક છે, કેમકે બન્ને એ ફોટામાંના સાહિત્યકારની જ નહિ પણ એ ઉભય સાહિત્યકારો જે જુદા જુદા યુગના પ્રતિનિધિ જેવા છે તેની પણ પ્રકૃતિનું ઇંગિત માત્રથી સૂચન કરી દે છે. પહેલો કેશવલાલનો ફોટો તે એમના પંડિતયુગના અખંડ વિદ્યાવ્યાસંગનું પ્રતીક છે, ત્યારે બીજો રા. મુનશીનો ફોટો તે એમના આ પ્રવર્તમાન યુગના વ્યવસાયવ્યાસંગનું પ્રતીક છે. અને આ સંબંધમાં કેશવલાલ ધ્રુવનો આ ફોટો વિરલ કે અપવાદરૂપ ગણાય એવો પણ નથી. ‘સચિત્ર સાક્ષરમાળા' કે ‘આઠમી સાહિત્યપરિષદ પત્રિકા' જેવું આપણા મુખ્ય મુખ્ય સર્વ સાહિત્યકારોના ફોટા આપતું કોઈ પણ પુસ્તક લઈ તમે એનાં પાનાં ફેરવી જુઓ, એટલે તમને તરત પ્રતીત થશે કે પંડિતયુગને નામે ઓળખાતા આપણા પુરોગામી યુગના ઘણાખરા સાક્ષરોની છબીઓમાં તમે તો તેઓ હાથમાં કોઈક ગ્રંન્થ કે લેખ લઈને ઊભા કે વાંચતા હોય, અથવા ટેબલ પર ચારપાંચ પુસ્તકો પડ્યાં હોયને પોતે કંઈક લખતા હોય એ જાતનું દૃશ્ય તમને મોટે ભાગે જોવા મળશે. વળી આ કંઈ છબી પડાવતી વખતનો ખાલી દેખાવ કે ડોળ હતો એમ પણ નથી. જે કામ સાહિત્યકારો ઘરને ખૂણે બેઠા બેઠા રાત દિવસ કરી રહ્યા હતા અને જે એમના જીવનની પરમ પ્રિય પ્રવૃત્તિ હતી તે જ ફોટામાંના આ ગ્રન્થો અને ખડિયા કલમ આદિ દ્વારા તેઓ દર્શાવી રહ્યા છે. સ્વાધ્યાયપ્રવશ્વનામ્યાં પ્રમદ્ગિઃ એ આ યુગના પ્રતિનિધિરૂપ પત્ર ‘વસન્ત'નું જ નહિ પણ એ આખા યુગના સાક્ષરગણનું પણ જીવનસૂત્ર હતું. પોતાને પ્રિય હોય એવા કોઈ વિષય કે વિષયોનો નિરન્તર સ્વાધ્યાય કરવો ઉદેશનિરપેક્ષ દૃષ્ટિએ કેવળ જ્ઞાનને ખાતર નિષ્કામ રીતે તેનો સ્વાધ્યાય કરવો અને તે સ્વાધ્યાયને અન્તે જે કંઈ જ્ઞાન લાધે તેનું અનુકૂલતા અનુસાર પ્રવચન કરવું એ જ આ આખા પંડિતયુગનો નિત્યવ્યવસાય હતો. આમાં પણ પ્રવચનનું સ્થાન ગૌણ હતું, અને પ્રધાન પદવી તો સ્વાધ્યાયને જ મળતી. રા. મુનશીના વ્યવસાયવ્યાસંગ પરત્વે એમનું રેખાચિત્ર દોરનારે લખ્યું છે કે તે પોતાના ધંધામાંથી થોડીક પળો ઉદારતાપૂર્વક ખેંચી કાઢી તેમાં સાહિત્યસેવા કરેલી છે. એ યુગને પશ્ચિમની રજોગુણી સંસ્કૃતિનો વા હજુ બહુ ઓછો વાયો હતો, એટલે એ વખતના સાક્ષરોમાં કીર્તિલાલસાનું અનિષ્ટ પાસું આજના જેટલું જોરદાર બન્યું નહોતું. તેથી આજે કેટલાક લેખકોને ગમે તેમ કરીને પોતાને સમયશક્તિ આદિની અનુકૂળતા ન હોય તો કોઈની પાસે વહીતરું કરાવી કે કોઈના માહિતીભંડાર પર તરાપ લગાવીને પણ પોતાને નામે છપાએલા ગ્રંન્થો, લેખો આદિની નામાવલિમાં દર સાલ વૃદ્ધિ કરતા રહેવાનો જે અભખરો લાગ્યો છે તેથી એ યુગ સર્વથા મુક્ત હતો. એ યુગને જો અભખરો હોય તો તે લેખન અને કીર્તિ કરતાં વાચન અને જ્ઞાનવૃદ્ધિનો વિશેષ હતો. પોતાને હાથે ઓછું લખાય એનો એ યુગના સાક્ષરોને બહુ શોક નહોતો, પણ આવશ્યક વિષયોનું પોતાનું જ્ઞાન ઓછું કે અધૂરું હોય એ બાબત એમને બહુ સાલતી. આ સંબધમાં એ જમાનાના પ્રખર પંડિત નરસિંહરાવે બે જુદે જુદે પ્રસંગે કરેલા એકરારો જાણવા જેવા છે. ૧૮૯૨માં એમની મણિશંકર ભટ્ટ સાથે વડોદરામાં પહેલી મુલાકાત થઈ તેની હકીક્ત પોતાની નોંધપોથીમાં ટપકાવતાં એમણે લખેલું કે ‘મણિશંકર પુસ્તકો વાંચનાર જબરા જણાય છે. એમણે વાંચેલાંનો પચાસમો ભાગ પણ વાંચ્યો નથી૩૧[31] આમ એ વખતના વિદ્વાનો એકબીજાને મળતા ત્યારે પણ એકબીજાના જ્ઞાન અને વાચનની સરખામણી કરી પોતે એ વિષયમાં પછાત ન રહી જાય તેની કાળજી રાખતા. ૧૯૧૧માં ‘સમાલોચકે' નરસિંહરાવનો પરિચય આપેલો તેમાં પણ એમનો આવો જ બીજો એકરાર પ્રકટ થયો છે કે ‘હાલનું બહુ વાંચેલું ન હોવાથી હું હવે સજા ભોગવું છું. મ્હારામાં અનેક ગ્રન્થોના વાચનની ખામી છે. મ્હાંરૂ વાચન વિસ્તારમય નથી, ટૂંકું છે. તેથી જ્ઞાનભંડોળ માટે હું મગરૂરી રાખી સકું તેમ નથી...જ્ઞાનભંડોળની ખામીને લીધે તાત્કાલિક સામગ્રી ઝડપથી પેદા કરતાં શ્રમ પડે છે.'૩૨[32] આ નિખાલસ એકરારો ઉપરથી કોઈએ એવું અવળું અનુમાન કાઢવાનું નથી કે નરસિંહરાવની પંડિત તરીકેની બધી કીર્તિ પોલી હતી, પણ એ ઉપરથી તો એટલું જ સમજવાનું છે તે એ કે એ યુગનો પાંડિત્યનો આદર્શ ખૂબ ઊંચો હતો. અને એની જ્ઞાનતૃષા અછીપ હતી, તેથી નરસિંહરાવ જેવા ધુરંધર વિદ્વાનને પણ પોતાનું જ્ઞાનવાચન ઊણુંઅધૂરું જ લાગતું. એ યુગના સાક્ષરોની સતત વિદ્યોપાસના અને અખંડ ઉદ્યોગપરાયણતા છતાં એમનામાનાં ઘણાખરાએ લખેલા ગ્રન્થો કેવળ ભાષાન્તરો, શાળોપયોગી ચોપડીઓ, કે બાળપોથીઓને બાજૂ પર રાખી જેમાં એમણે કંઈક નવીન કે સ્વકીય જ્ઞાન રજૂ કર્યું હોય એવા મૌલિક ગ્રન્થોની સંખ્યા પાંચની અંદર કે આસપાસની જ માલુમ પડે છે. તેનું કારણ પણ આજ છે કે એમને પુસ્તકો લખવાની પરવા જ નહોતી. એ યુગના કેટલાક વિદ્વાનો સામે સાહિત્યરસિકોની ફરિયાદ જ એ હતી કે એમણે જીવનભર મહેનત કરીને જે જ્ઞાન મેળવેલું તેનો લેખન દ્વારા જનતાને લાભ એમણે બહુ ઓછો આપ્યો છે. ૧૯૦૫માં પહેલી સાહિત્યપરિષદમાં નરસિંહરાવે ‘જોડણી' પર નિબન્ધ રજૂ કરેલો તેમાં કેશવલાલ ધ્રુવ વિશે એ જ કહેલું કે ‘રા. કેશવલાલે પ્રાકૃત ભાષાઓનો અને વ્યાકરણનો અને તેમના ગુજરાતી ભાષા તથા વ્યાકરણ સાથેના સંબંધનો ખાસ અભ્યાસ મનનશીલ રીત્યે અને ગંભીર તર્કને માર્ગે કરેલો છે, એ હેમણે મુગ્ધાવબોધ ઔક્તિક વિશે કરેલી ચર્ચા વગેરે ઉપરથી સુવિદિત છે; પરન્તુ એ કરતાં વધારે હૈમની વિદ્ધતાનાં પ્રમાણો પ્રજાને હજી સુધી દૃષ્ટિગોચર થવા દીધાં નથી એટલો ખેદનો વિષય છે. ૩૩[33] એ પછી તેવીસ વરસે ૧૯૨૮માં કેશવલાલે મુંબઈમાં ફાર્બસસભા તરફથી કવિ દયારામ વિશે ભાષણ આપેલું તે પ્રસંગે પણ નરસિંહરાવે વક્તાનો આભાર માનતાં ફરીથી કહેલું કે ‘કેશવલાલભાઈએ પોતાના ઊંડા અભ્યાસ અને શોધખોળનું પૂરતું ફળ હજી આપણને આપ્યું નથી તે શોચનીય છે.૩૪[34] કેશવલાલે પોતે પણ આ વાત એક કાગળમાં આ રીતે સ્વીકારી છે કે ‘મગજમાં સંગ્રહ સારો થયો છે; પણ તે પત્રારૂઢ કરવા હાથને ગમતું નથી. ૩૫[35] અને હાથને ગમતું નહોતું તેનાં બે કારણો હતાં: એક તો એ કે મગજમાં સારો જ્ઞાનસંગ્રહ થએલો હોવા છતાં તેમાં વૃદ્ધિ કરવાનો લોભ એ છોડી શકતું નહોતું, તેથી થએલા સંગ્રહને ગ્રન્થારૂઢ કરવાનો એને અવકાશ મળતો નહોતો, અને બીજું એ કે એ જમાનાનો સાહિત્યસેવાનો આદર્શ ખૂબ પ્રમાણિક હતો, પોતાને નામે જે પુસ્તક પ્રકટ થાય તેનું આદિથી અન્ત સુધીનું સઘળું કામ પોતે જાતે જ કરવું, એમાં બીજા કોઈની રજમાત્ર જેટલી પણ મદદ લેવી નહીં એવી એ યુગની પ્રમાણિકતાની ભાવના હતી.'Decline and Fall of the Roman Empire' એ મહાન ઇતિહાસગ્રન્થનો લેખક ગિબન એ ગ્રન્થ વિશે કહે છે કે `Not a sheet has been seen by any human eyes, excepting those of the author and the printer: the faults and the merits are exclusively my own.’ ૩૬એટલે રોમન પ્રજાનો સૈકાના સૈકાઓ સુધી પથરાએલો ને અનેક વિભાગોમાં લખાએલો એ મહાગ્રન્થ ગિબને બીજા એક પણ પુરુષની તલમાત્ર જેટલી પણ સલાહ સૂચના કે મદદ વગર પોતે જાતે જ લખ્યો છે; એને માટે સેંકડો નહિ પણ હજારો જૂનાં પુસ્તકો૩૭[36] પોતે જ વાંચેલાં, તેમાંથી નોંધ, ટાંચણ, તારણ બધું પોતે જાતે જ કરેલું, એ સામગ્રીને સાહિત્યના આકારમાં પોતાના ખંડમાં આંટા મારતાં મારતાં કે એક વાક્યને ઘટતું સંતોષકારક રૂપ મળે ત્યાં સુધી વાગોળતાં વાગોળતાં પોતે જ ઘડીને પોતેજ ગૂંથેલી, અને તેમાં છેલ્લે સુધીનાં પ્રૂફ પણ પોતેજ જોએલાં. ત્યારે આજે ગ્રન્થલેખનમાં કામ બધું તારું ને નામ મારું - ગ્રન્થને માટે આવશ્યક એવી મુદ્દાની સઘળી સામગ્રી તારે એકઠી કરી આપવી, પછી હું એ સામગ્રી પર હાથ ચલાવી ચમકદાર શૈલીના વાઘા એને પહેરાવી દઈશ ને ગ્રન્થ મારે નામે પ્રકટ થશે, એવું હડહડતા જૂઠાણાથી ભરપૂર વલણ કેટલેક ઠેકાણે જોવામાં આવે છે. પણ પંડિતયુગના સાહિત્યકારોમાં આવો કળિયુગ હજુ આવ્યો નહોતો. એ તો એમને હાથે જે કોઈ પ્રકાશન થાય તેના કેવળ લખનાર નહિ પણ પહેલેથી છેલ્લે સુધીના એના એકે એકે અંગના ખરેખરા કર્તા હતા, એટલે જાતમહેનત લઈને રચેલા શુદ્ધ પ્રમાણિક કર્તૃત્વવાળા ગ્રન્થો કોઈ પણ સાહિત્યકારને હાથે બહુ ઝાઝા લખાય એ શક્ય જ નહોતું. કેમકે મગજમાં જ્ઞાનસંગ્રહ ખૂબ સારો થયો હોય તોપણ એ સંગ્રહને પોતાની સૌંદર્યભાવનાને પૂરેપૂરો સંતોષ આપી શકે એવા આકારમાં ગ્રંથારૂઢ કરતાં કસાએલી કલમવાળા સાહિત્યકારને પણ ઓછોવત્તો શ્રમ પડે છે-તેમાં યે સંગીનતા અને ઉત્કૃષ્ટતાનો આગ્રહ રાખનાર સૌષ્ઠવપ્રિય લેખકને ખાસ શ્રમ પડે છે - અને એ શ્રમ લેખક મોટે ભાગે ત્યારે જ લે છે કે જ્યારે એનામાં કીર્તિલાલસાનું રજોગુણી તત્ત્વ ખૂબ પ્રબળ હોય અથવા તો એને આજીવિકાને અર્થે ધન પ્રાપ્ત કરવા લેખન અનિવાર્ય હોય. કેશવલાલમાં આ કીર્તિલાલસાનું તત્ત્વ બહુ મન્દ હતું, તેથી આજે કેટલાક સાહિત્યકારોની દાનત કોઈ બીજાએ ભારે મહેનત કરીને જે માહિતી એકઠી કરી હોય તે એની પાસેથી યેનકેન પ્રકારેણ પડાવી લઈ તેને આધારે જાતે ગ્રન્થકાર બની જવાની હોય છે તેને બદલે કેશવલાલે તો ઊલટી પોતે ભારે મહેનતે એકઠી કરેલી ઘણી મૂલ્યવાન સંશોધનસામગ્રી અન્ય વિદ્ધાનોને આપી દીધેલી. આ પ્રમાણે એમણે જૂના દસ્તાવેજો રમણભાઈને, સામળના સમયનું સાહિત્ય સ્વ.અંબાલાલ જાનીને, તથા તામ્રપત્રો સ્વ. ડિસ્કલકર ને મુનિ જિનવિજયજીને આપી દીધેલા.૩૮
[37] એમણે જુદે જુદે સમયે કેટલાક મહત્વના વિષયો પર ગમે તો કેવળ સુખેથી અથવા તો ટૂંકાં ટાંચણ ઉપરથી કેટલાંક ભાષણો આપેલાં ૩૯[38]તે ભાષણોને પણ જાતે વ્યવસ્થિત લેખના રૂપમાં મૂકવાની એમણે દરકાર નહીં કરેલી તેનું પણ આજ કારણ છે. એમનું સાહિત્ય અને વિવેચન' જોઈને ઘણાને આથયે કરેલી કે પોણો સો વરસના અખંડ સાહિત્યતપનું ફળ ત્યારે આટલું જ? પણ આ પ્રશ્નનો ઉત્તર એમાંના લેખો જ આપી દે છે. એ લેખો તપાસશો તો જણાશે કે આજકાલ આપણે હાલતાં ચાલતાં લેખો લખી નાખીએ છીએ તેવી કેશવલાલની પ્રકૃતિ જ નહોતી, તેમણે જે કઈ લખ્યું છે તે અનિવાર્ય પ્રસંગ આવેલો ત્યારે જ લખ્યું છે. ‘હવે તો લખ્યા વિના છુટકો જ નથી, નહિ લખીએ તો હવે આબરૂ જ જશે, એવી પરિસ્થિતિ ઊભી થએલી ત્યારે જ એમની લેખનઉદાસીનતા ઊડી છે અને એમની કલમ પ્રવૃત્ત થઇ શકી છે. એમના ઘણા ખરા લેખો પહેલી બીજી સાહિત્યપરિષદ ગુજરાત સાહિત્યસભાન રજતમહોત્સવ, ફાર્બસ સાહેબની શતાબ્દી, પ્રેમાનંદની જયન્તી, ગુજરાત કળાપ્રદર્શન આદિ વિશિષ્ટ પ્રસંગોએ અપરિહાર્ય હોવાથી જ એમણે લખ્યા છે.૪૦[39] આનન્દશંકર ધ્રુવમાં પણ લેખન વિષયની આવી જ ઉદાસીનતા હતી. તેથી જ ગ્રન્થલેખનની પ્રવૃત્તિને એ ‘ક્ષુદ્ર પુસ્તક ઉમેરવું' એવા તિરસ્કારવાચક શબ્દોમાં ઘણી વાર ઓળખાવતા.૪૧[40] એતો એવા એમના અને કેટલેક અંશે આ આખા પંડિતયુગના ઘણા ખરા સાહિત્યકારોના પ્રેરક વડીલ તુલ્ય મનઃસુખરામ ત્રિપાઠી એ મણિલાલનું અવસાન થતાં એમને ‘આનન્દશંકર, સુદર્શનનું તન્ત્ર હવે તમે સંભાળો, એ નિમિત્તે જ તમારાથી કાંઈકે લખી શકાશે,૪૨[41] એમ સલાહ આપી. સૂક્ષ્મવિચારપૂર્વક એમને પત્રકારક્ષેત્રમાં પ્રેર્યા તો જ આટલું થોડું પણ એ આપી શક્યા છે. બાકી તો રા.મુનશીએ નડિયાદપરિષદ પ્રસંગે એમનો પરિચય આપતાં લખેલું તેમ ‘ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવાની કર્તવ્યદીક્ષા લેવાઈ ન ગઈ હોત તો આપણા પ્રમુખમહાશય કોઈ શાન્ત અને સુરમ્ય અગાસીમાં બેસી, પ્રિય પુસ્તકો ચારે તરફ વેરી, લાંબી શિખા ખભા પર વિસ્તારી, પગ લંબાવી, રસસાગરનાં બિંદુઓનું વારાફરતી પાન કરત૪૩[42] અને આનન્દશંકરના સંબન્ધમાં કરેલું આ વર્ણન ઓછાવત્તા પ્રમાણમાં એ યુગના ઘણાખરા સાક્ષરોને લાગુ પડે એવું છે. લેખન એ તો એમને મન ફરજ રૂપ હતું, બાકી એમનું હૃદય જેના તરફ અનાયાસે ને પૂર્ણ પ્રફુલ્લતાથી વળતું એવી એમની પ્રિયતમ જીવનપ્રવૃતિ તે તો વાચન જ હતું. અને એમના સંજોગો બરાબર સમજીએ તો તે સ્વાભાવિક પણ હતું. પૂર્વ અને પશ્ચિમ એમ સમસ્ત સુધરેલા જગતનું સાહિત્ય સંપૂર્ણરૂપમાં સૌથી પહેલું સુલભ થવા લાગ્યું તે આ યુગમાં જ, અને તેથી આ યુગનો સુશિક્ષિત વર્ગ લેખન આદિ અન્ય સર્વ પ્રવૃત્તિઓને ઉવેખી એના જ અધ્યયન આસ્વાદનમાં તલ્લીન બની જાય એમાં આશ્ચર્ય નથી. શારદાપીઠની સ્થાપના અને સંસ્કૃત સાહિત્યના પ્રથમ પ્રકાશનનો આ યુગ આગળ કહ્યું તેમ આપણી પ્રજાનો પુનર્પ્રબોધકાળ હતો, અને તેથી આ યુગના વિદ્ધાનની સ્થિતિ બ્રાઉનિંગે એના `A Gram- marian's Funeral shortly after the Revival of Learning in Europe' નામે કાવ્યમાં વર્ણવી છે તેવી જ બહુધા હતી. બ્રાઉનિંગના એ પંડિતની પેઠે આપણો આ યુગનો પંડિત પણ કહેતો કે,
Let me know all! Prate not of most or least,
Painful or easy !
Even to the crumbs I'd fain eat up the feast,
Ay, nor feel queasy.'
To know all !
જે વિષય હાથમાં લીધો તેનું આજની પેઠે ખપજોગું કે દેખાય પૂરતું પલ્લવગ્રાહી પાંડિત્ય નહિ પણ તેનું સર્વ બાજુથી સોંગોપાંગ અધ્યયન કરી આમૂલાગ્ર યથાર્થ જ્ઞાન મેળવવું અને એ રીતે એ વિષયને જીવનભરનો પોતાનો બનાવી દેવો એ આ યુગનું સામાન્ય લક્ષણ હતું. વસ્તુતઃ આ યુગના સાહિત્યકારો સાચા પંડિતો હતા. અમુક ગ્રંન્થ લખવો છે માટે એની તૈયારી રૂપે એ કોઈ વિષયનો અભ્યાસ નહોતા કરતા, પણ અમુક વિષય ખરેખરો જાણવો છે અને તેનું તલસ્પર્શી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું છે માટે તેઓ તેનો અભ્યાસ કરતા હતા, અને પછી એ સંબન્ધી ગ્રન્થરચના થતી તે તો અભ્યાસનું કેવળ આનુષંગિક ફળ હતું.’૪૪[43] આ રીતે યશપ્રાપ્તિ અને તદર્થ ગ્રન્થલેખન એ નહિ પણ મેથ્યુ આર્નોલ્ડ જેને શુદ્ધ જ્ઞાનરસિકતા અને સંસ્કારિતા (Culture) કહે છે તે આ જમાનાનું મુખ્ય ધ્યેય હતું. એટલે જીવનના મહત્ત્વના વિષયો પર જગતમાં આજ સુધીમાં જે કંઇ સર્વોત્તમ વિચારણા તેમ સાહિત્યરચના થઇ હોય તેનું રાતદિવસ અધ્યયન નિદિધ્યાસન કરવું.૪૫[44] એજ આ યુગના સર્વ નહિ તો ઘણાખરા વિદ્ધાનોની પ્રિય પ્રવૃત્તિ હતી. આ સંબન્ધમાં એ યુગમાં ગોવર્ધનરામના અને આનન્દશંકર જેવા સાહિત્યકારોના અન્તિમ અવસ્થાના ઉદ્વારો લક્ષમાં લેવા જેવા છે. આ પંડિતયુગના અધિષ્ઠાતા ગોવર્ધનરામે નિવૃત્તિ લીધી તે પછીની તેમની ઉત્તર વયમાં વારંવાર કહેતા કે ‘જો પરમેશ્વર મને એટલી “ગેરન્ટી” આપે કે હજુ દશ વર્ષ સુધી જીવીશ, તો બીજું બધું કામ પડતું મૂકીને, મ્હારા અભ્યાસગૃહમાં જઈ, સાંકળ વાસી, દશે વર્ષ વાંચવાંચ અને લખ લખ કરું ૪૬[45] ‘Tarry a while, Death !'એવી જો પ્રાર્થના આ યુગને કરવાની હોય તો તે ફક્ત એટલાજ માટે કે એને હજુ ઘણું નવું નવું વાંચવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની આતુર ઇચ્છા હતી. આનન્દશંકર ધ્રુવના એક શિષ્યે એમની જિન્દગીના આખરી મહીનાનો એક પ્રસંગ વર્ણવ્યો છે તે પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. ‘દત્તાત્રય અવધૂતે કેટલા ગુરૂઓ કર્યા?' એમણે મૃત્યુ પૂર્વે વીસેક દિવસ પર આ શિષ્યને પૂછયું. ઉત્તર - ‘ચોવીસ.' ‘એમ કેમ?' ‘વિશેષ જ્ઞાન મળે માટે.' ‘ત્યારે એ ઉપરથી એમ જ સિદ્ધ થાય છે ને કે नह्येकस्मात् गुरोर्जाति सुस्थिरं स्यात सुपुनष्कलम्, તેથી સત્યની સમજણ માટે અનેક દૃષ્ટાંતો લેવાં જોઈએ! અર્થાત્ બ્રહ્મને પ્રભુને-જગત્સાહિત્યમાં શોધવો જોઈએ!૪૭[46] અને આનન્દશંકરે જીવનમાં એ જ કરેલું. બીજું બધું પડતું મૂકીને એણે જગત્સાહિત્યના વાચનમનનમાં જ પોતાનાં રાતદિવસ ગાળેલાં. એ યુગના સર્વ સાક્ષરો જગત્સાહિત્યના આવા અભ્યાસીઓ હતા, એવો દાવો તો અલબત્ત કરી શકે, પણ પોતપોતાના વિષયના તેઓ એવા જ અઠંગ અભ્યાસીઓ હતા એમાં તો કોઈથી ના પાડી શકાય એમ નથી. આવો વિદ્યાભ્યાસી યુગ જ કેવળ દેખાડાને માટે ખરીદીને ખડકી રાખેલો નહિ પણ ફરી ફરી વાંચી વિચારી જીવનભર ઉપયોગમાં લીધેલો અડધા લાખ જેટલી ગંજાવર રકમનો ખાનગી ગ્રન્થસંગ્રહ ગુજરાતને ભેટ આપી શકે.૪૮[47] ‘અરે, ઊઠો ઊઠો ઝટ ! આખા ઘરને આગ લાગી છે!' એમ છેક પાંચમા માળ પર બેસીને લખ્યા કરતા ફિલસૂફને એની નોકરડી એક દિવસ દોડતી દોડતી હાંફળીફાંફળી કહેવા આવી, તો પોતાના સ્વાધ્યાયમાં એનાં આ વચનથી વિક્ષેપ પડતાં ચિડાઇને ‘તે એમાં આંહી શું દોડી આવી? જા, કહે તારી બાઈને! મેં માર્યું છે કદી આવી વાતમાં માથું તે આંહી આવી કહેવા?' એમ બોલીને જાણે આગથી પોતાની જાતને તો કશી યે ઈજા થવાની જ ન હોય એમ પોતાના વાચનલેખનમાં ફરી પાછા ગૂંથાઈ જનારા પેલા અભ્યાસમસ્ત ફિલસૂફની અથવા તો નેપોલિયનનું લશ્કર વિજય કરતું કરતું પોતાના શહેરમાં આવી પહોંચ્યું અને શહેરને તોપગોળાથી આગ લગાડી તેનો અગ્નિ ફેલાતો ફેલાતો પોતે લખતો બેઠો હતો તે મકાનને પણ લાગ્યો ત્યાં સુધી અખંડ સમાધિ લગાવીને પોતાનો ગ્રન્થ લખ્યા કરનાર અને અગ્નિ છેક પોતાના ખંડ સુધી પહોંચ્યો એટલે પછી પોતે લખી રહ્યો હતો તે કાગળિયાં ખીસામાં મૂકી ચાલવા માંડનાર જર્મન તત્ત્વજ્ઞ હેગલની સર્વથા સમાન તો નહિ પણ એની સાથે દૂર દૂરનું પણ સામ્ય બતાવે એવો વિદ્યાવ્યાસંગ કેવળ દ્રવ્યને જ જીવનનું સર્વસ્વ ગણતા આપણા વેપારપ્રધાન ગુજરાતમાં જો કોઈએ સૌથી વિશેષ દર્શાવ્યો હોય તો તે આ પંડિતયુગના જ સાક્ષરોએ.
પંડિતયુગના આ અસાધારણ વિદ્યાવ્યાસંગની જીવતી જાગતી મૂર્તિ તે જ કેશવલાલ ધ્રુવ! પેલા ફિલસૂફની જેમ એમનું પણ આખું જીવન સર્વ સંસારપ્રવૃતિઓથી પર બનીને મકાનને ચોથે માળ બેસી પોતાના ઈષ્ટ વિષયનાં સતત સ્વાધ્યાયપ્રવચન કરવામાં જ ગએલું. બીજી બધી બાબતમાં તો ગમે તેમ, પણ એક આ વિદ્યાવ્યાસંગની બાબતમાં તો આ આખા યુગની પંડિતમાળાનો પણ કદાચ મેર ગણાય એવા એ ‘અભ્યાસકોના પણ અભ્યાસક’૪૯[48] હતા. બાવીસ વરસની ઉંમરે થએલા ભયંકર મંદવાડમાંથી એ બચેલા તે જાણે આ રીતે આજીવન અભ્યાસી થવાને જ બચેલા.!૫O[49]
નોંધ :-
- ↑ ૧. ચંદ્રશંકર પંડ્યા : ‘મનઃસુખરામભાઈ અને મિત્રમંડલ’- ‘ગુજરાતી’ દિવાળીઅંક, ૧૯૩૧, પૃ.૬૮
- ↑ ૨ . જુઓ ‘સરસ્વતીચંદ્ર-બુધ્ધિધનનો કારભાર, પૃ.૨૭-૮.
- ↑ ૩. કાન્તિલાલ પંડયા : ‘શ્રીયુત ગોવર્ધનરામ', પૃ.૬૧
- ↑ ૪. સરસ્વતીચંદ્ર અને બુદ્ધિધનનો પ્રથમ પરિચય પણ સરસ્વતીચંદ્ર સુવર્ણપુરમાં રાજેશ્વર મહાદેવના તળાવની પાળ પર સૂતો સૂતો વાંચતો હતો તે ‘ધી પંડિત-કાશીવિદ્યા-સુધાનિધિ' નામની સંસ્કૃત ચોપડી દ્વારા જ થયો હતો.(જુઓ ‘સરસ્વતીચન્દ્ર’, ૧,૭૯) એ સૂચક વાત સ્મરણમાં રાખવા જેવી છે.
- ↑ ૫. આજના કોલેજોના આપણા સૂટસજજ સંસ્કૃત અધ્યાપકો પણ એમના જીવન અને ચિત્તની એક પ્રકારની વિક્ષિપ્તતાનું જ પ્રદર્શન નથી કરાવી રહ્યા? નિત્ય અધ્યયન-અધ્યાપન કરે वेद्सूक्त, उपनिषद, तर्कभाषा, भगवद्गीता, शान्करभाष्य, काव्यप्रकाश આદિ સંસ્કૃત ગ્રન્થોની વાતો કરે ઘટાકાશ પટાકાશ, અભિધા લક્ષણા વ્યંજના, અવ્યાપ્તિ સંભવ આદિ પ્રાચ્ય શાસ્ત્રીય પરિભાષામાં, ને સજ્જ હોય નખશિખ પાશ્ચાત્ય પોશાકમાં, એ ગુલામીમનોદશાની પરાકાષ્ઠા નથી? એ કરતાં કપાળમાં ચાંલ્લાથી શોભતા અને ધોતિયું પાઘડી વગેરે શુદ્ધ સ્વદેશી પોશાકને જ જીવનભર ધારણ કરનારા કમળાશંકર, આનંદશંકર આદિ સાચા સંસ્કૃત અધ્યાપકોએ તો એવો વટલેલ વેશ તજીને આપણી કોલેજોના વિલાયતી બની ગએલા વાતાવરણને સાચો આદર્શ પૂરો પાડવો ન જોઇએ?
- ↑ ૬. એવો એક પ્રયોગ ‘નર્મકવિતા'માં જળવાઈ રહ્યો છેઃ જુઓ પૃ.૮૧૫-૭ની ટીપ.
- ↑ ૭. જુઓ ‘પૃથુરાજરાસા’માં આપેલું ‘કવિચરિત’,(બીજી આવૃત્તિ) પૃ. ૧૧,૧૯ વગેરે
- ↑ ૮. એ ગાળામાં થએલ સંસ્કૃત કાવ્યરચનાનું દિગ્દર્શન ઉપર કરાવ્યું છે તેમાં ‘વસન્ત’ ગોવર્ધનસ્મારક અંકમાં कृतान्तोपाल्म्म નામે સંસ્કૃત કાવ્ય કોઈ ध्रुवपदानुरागीનું લખેલું છે તે તેમ કેશવલાલ ધ્રુવના અનુવાદગ્રંન્થોમાં છૂટાછવાયા વેરાએલા એમણે સ્વતંત્ર રીતે રચેલા સંસ્કૃત શ્લોકો પણ ઉમેરવાના છે
- ↑ ૯. જુઓ એમનાં પુત્રી શ્રી સરોજીની મહેતાના શબ્દો:- ‘સંસ્કૃત ભાષા પ્રત્યે એમને અનન્ય પ્રેમ હતો. દરેક હિન્દીને એ ભાષાનું સારું જ્ઞાન હોવું જોઇએ એમ એ દૃઢતાથી માનતા. શાળામાંથી તાજા નીકળેલા વિધાર્થી કરતાં પણ સંસ્કૃત વ્યાકરણનું એમનું જ્ઞાન વધારે સારું હતું. બીજા સંસ્કૃત કવિઓ કરતાં કવિ કાલિદાસ પ્રત્યે તેમને વિશેષ પક્ષપાત હતો. અને મેઘદૂત કે કુમારસંભવના શ્લોકો એમના વ્યવસાયી મગજમાં રમ્યા કરતા અને ઘણીવાર ધીમેથી એ શ્લોકો બોલ્યા કરતા. હું તથા મારી જયેષ્ટ ભગિની જ્યોત્સના જ્યારે અંગ્રેજી ચોથા ધોરણમાં આવ્યા ત્યારે અમારી શાળામાં (અમદાવાદની સરકારી હાઇસ્કુલમાં) સંસ્કૃત શીખવાની ગોઠવણ ન હતી. બધી કન્યાઓ ફ્રેન્ચ જ લેતી. પણ અમારે સંસ્કૃત જ લેવું એવો પિતાજીએ આગ્રહ કર્યો. અમારી સાથે ભણતી બીજી ચાર કન્યાઓએ પણ અમારી સાથે સંસ્કૃત ભણવાનો નિશ્ચય કર્યો. લેડી સુપરિન્ટન્ડન્ટને વાત કરતાં તેણે સંસ્કૃત જાણકાર શિક્ષક શાળામાં ન હોવાની મુશ્કેલી બતાવી. રમણભાઇએ એને કહેવડાવ્યું કે ‘અઠવાડિયામાં બે કે ત્રણ વખત હું જાતે નિશાળમાં આવીને એ બધાને શીખવી જઈશ પણ એમને સંસ્કૃત લેવા દેજો.’પોતાના દરેક સંતાનને મેટ્રિક ક્લાસમાં આવે તે વખતે જાતે ‘રઘુવંશ’ શીખવવાનો એમનો નિયમ હતો. અને રાત્રે મોડે સુધી બેસીને પણ અત્યન્ત ઉમળકાથી શીખવતા. લગભગ પચાસેક વર્ષની ઉંમરે પોતે શાસ્ત્રી રોકી ‘સિદ્ધાંત કૌમુદી’ શીખવાનો આરંભ કર્યો હતો, અને અસીલોને બેસાડી રાખી ગરબડ વચ્ચે પણ દરરોજ સવારે શીખી લેતા.’ ‘સ્વ.સર રમણભાઇ, ‘ પૃ. ૭૮-૯.
- ↑ ૧૦. ‘વસન્તરજતમહોત્સવ' પ્રસંગે એમણે આપેલા ઉત્તરમાંના શબ્દો, ‘વસન્ત, ૨૬, ૪૧૨
- ↑ ૧૧ . ‘અનુભવવિનોદ પૃ. ૫૯.
- ↑ ૧૨. સદર પૃ.૩૧-૨.
- ↑ ૧૩. આ શી રીતે બન્યું હશે? પુત્ર પરીક્ષામાં બેસવાનો હોય ત્યારે પિતાથી પરીક્ષક થઇ ન શકાય એવો યુનિવર્સિટીનો અત્યારનો નિયમ એ વખતે ઘડાયો નહિ હોય? ઘડાયો ન હોય તો નવાઈ નહિ, કેમકે ઉપરનું પરિણામ જ બતાવે છે કે પ્રમાણિકતાની બાબતમાં એ જમાનો આજના જમાના કરતાં ક્યાંયે ચડિયાતો હતો. આજે પિતા પરીક્ષક હોય તો ઈનામ પુત્ર સિવાય અન્ય કોઈ લઇ જાય એવી સચ્ચાઇ કેટલા ઓછા પ્રસંગોમાં જોવા મળે છે? પુત્ર શું, કૃપાપાત્ર શિષ્ય કે પરિચિતની બાબતમાં પણ આવી નેકી આજે કેટલી બધી વિરલ બનવા લાગી છે?
- ↑ ૧૪. ‘સ્મરણમુકુર', પૃ.૧૭૫
- ↑ ૧૫. સદર, પૃ. ૧૮૮ અને ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય' (ગુજરાતી ભાષાન્તર) ૧,૧૬૮૯.
- ↑ ૧૬. જુઓ મણિલાલ નભુભાઈના એમની આત્મકથામાંના શબ્દો:- ‘દક્ષણીઓ ગુજરાતીને સંસ્કૃતમાં પથરા જેવા ગણે છે તે માટે એ જ દક્ષણીઓએ રોકી લીધેલા Bombay Seriesનાં કિલ્લામાં પેસવાનું મને ઘણું મન હતું.'-'વસન્ત’, ૩૦,૨૯૯.
- ↑ ૧૭. ‘સુદર્શનગધાવલિ: પૃ. ૯૯૭.
- ↑ ૧૮. જુઓ એમના શબ્દોઃ-(૧) ‘પ્રિય વાંચનાર', હું આપની આગળ તથા ગૂજરાતી દેવીના ચરણ સમક્ષ એક નાટકમાળાનાં, સમયે સમયે, છુટાછવાયાં, સાદું અને પ્રાકૃત ગુણનાં પુષ્પ નિવેદન કરવા આશા રાખું છું.-તેમાં નાટકમાં હાલ તો આમાં એક છે….સંસ્કૃત વિદ્યામાં બીજા શાસ્ત્રઓની સાથે નાટયશાસ્ત્ર- અહા! તે અલૌકિક ભરતશાસ્ત્ર અથવા સાહિત્યશાસ્ત્ર પણ સારી સંપૂર્ણતાએ પહોંચ્યું છે. તેમાં દૃશ્ય-શ્રાવ્ય કાવ્યના, તથા રૂપક-ઉપરૂપક નાટ્યના પ્રયોગનો વિસ્તાર ન્હાનામ્હોટા, કવિઓની કરકલમથી ઠીક અને વખાણવા લાયક થયો છે, તો તેવા પ્રયોગ આપણી ભાષામાં, અને આપણા સમયમાં, અને તે એ મારા જેવાથી ઉતરે કે નહિ તે જીજ્ઞાસા-અને તે મારા કેટલાક જુવાન ગ્રન્થકારોમાં જણાતી ઉત્કંઠા તૃપ્ત કરવાના હેતુથી મેં આ પ્રયત્ન માંડ્યો છે. તેમાં આધાર જ માત્ર સાહિત્યશાસ્ત્રનો રાખ્યો છે...આમાં ‘આર્યોત્કર્ષક'ની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના. (૨) ‘એક વખતે સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના નિયમને અનુસારે રૂપક અને ઉપરૂપક રચવા ધાર્યા હતાં, તેમાં ‘વ્યાયોગ’ ‘“આર્યોત્કર્ષક’'નો, ‘અંક’ “વિક્રમોદય’' અથવા ‘ઉત્તર ભર્તૃહરિનો થયા પછી આ ‘‘વિલાસિકા’’ રચાઇ છે. ‘‘અવિદ્યાવતી દાહ” નો ‘ડિમ’, “જયન્તશૃંગાર’”નું ‘પ્રકરણ,’ ‘'સુવર્ણમૃગ અથવા સીતાસંતાપ આદિ ‘નાટક' હજુ અપુર્ણ જ છતાં, આ મહાપ્રારંભ થઈ ગયો છે. તેની પરિપૂર્ણતા અવકાશ અને સ્ફુરણાને આધીન છે."- ‘વસન્તવિલાસિકાની પ્રસ્તાવના. હરિલાલ ધ્રુવે સંસ્કૃત સાહિત્યશાસ્રને અનુસરીને જે દસેક નાટકો ત્યારે અમારી શાળામાં (અમદાવાદની સરકારી હાઇસ્કુલમાં) સંસ્કૃત શીખવાની ગોઠવણ ન હતી. બધી કન્યાઓ ફ્રેન્ચ જ લેતી. પણ અમારે સંસ્કૃત જ લેવું એવો પિતાજીએ આગ્રહ કર્યો. અમારી સાથે ભણતી બીજી ચાર કન્યાઓએ પણ અમારી સાથે સંસ્કૃત ભણવાનો નિશ્ચય કર્યો. લેડી સુપરિન્ટન્ડન્ટને વાત કરતાં તેણે સંસ્કૃત જાણકાર શિક્ષક શાળામાં ન હોવાની મુશ્કેલી બતાવી. રમણભાઇએ એને કહેવડાવ્યું કે.'અઠવાડિયામાં બે કે ત્રણ વખત હું જાતે નિશાળમાં આવીને એ બધાને શીખવી જઈશ પણ એમને સંસ્કૃત લેવા દેજો. પોતાના દરેક સંતાનને મેટ્રિક ક્લાસમાં આવે તે વખતે જાતે ‘'રઘુવંશ શીખવવાનો એમનો નિયમ હતો. અને રાત્રે મોડે સુધી બેસીને પણ અત્યન્ત ઉમળકાથી શીખવતા. લગભગ પચાસેક વર્ષથી ઉંમરે પોતે શાસ્ત્રી રોકી ‘'સિદ્ધાંત કૌમુદી શીખવાનો આરંભ કર્યો હતો, અને અસીલોને બેસાડી રાખી ગરબડ વચ્ચે પણ દરરોજ સવારે શીખી લેતા.' ‘સ્વ.સર રમણભાઇ,’ પૃ. ૭૮-૯.
- ↑ ૧૯. ‘બુદ્ધિપ્રકાશ લેખસંગ્રહ,' ૨. ૨૯૬
- ↑ ૨૦. જુઓ ‘ઇન્દ્રજીતવધ' ની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાંના એમના શબ્દો :-પશ્ચાત્કાળમાં અનેક મિશ્ર વ્યવસાયમાં ગ્રસ્ત થયા છતાં મહાકવિ દંડીપ્રણિત ‘કાવ્યાદર્શ માં “મહાકાવ્ય’” ના લક્ષણના નીચે લખેલા શ્લોકો વાંચતાં સંસ્કૃત માતામહીને હતા અને છે તેમ પ્રાકૃત માતાને આ શ્રૃંગાર અવશ્ય હોવા જોઇએ એવી અત્યન્ત સ્પૃહામાથી આ કાવ્યની ઉત્પત્તિ છે....'
- ↑ ૨૧. તે એટલે સુધી કે એમનામાં કેવળ દુષણ જ જોનાર અને એમને ‘absolutely worthless' ગણનાર આપણા એક સાક્ષરે પોતાના એક તાજેતરના વ્યાખ્યાનમાં સંસ્કૃતના અધ્યાપક તરીકેનું એમનું કાર્ય વર્ણવતા એમને વિશે કહ્યું છે કે એમના અંગ્રેજી ભાષાના ઉચ્ચારો પણ સંસ્કૃતમય હતા!આમ હોય તોપણ આંહી ઉપર પ્રતિપાદિત કરેની વાતનું સમર્થન જ કરે છે એ હકીકત.
- ↑ ૨૨. ‘ફાર્બસ જીવનચરિત્ર', પૃ. ૭
- ↑ ૨૩. ‘અમારા સમયની કેળવણીનાં સ્મરણો’, -‘વસન્ત’, ૧૫, ૧૯૫. (હવે ગ્રન્થાકારે ‘દિગ્દર્શન’, પૃ.૧૭૩).
- ↑ ૨૪. From about that date (1870) a great change manifests itself in the spirit of the educated classes of India. Hitherto they have been docile pupils; now they begin to show the vigour and independence of youth. There is a wonderful outburst of freshness, energy and initiative. Many forms of new effort and organization appear. The most pronounced line of thought is a growing desire to defend Hinduism, and an increasing confidence in its defensibility The movement is now shared by Muslims, Buddhists, Jains. and Parsees. but it appears first among Hindus.'-J. N. Farquhar: Modern Religious Movements in India, p.25.
- ↑ ૨૫. ‘કવીશ્વર દલપતરામ, ભા.૨, ઉત્તરાર્ધ પૃ. ૩૬૯-૭૦
- ↑ ૨૬. સદર, પૃ. ૩૭૨,
- ↑ ૨૭. ‘ધર્મવિચાર, પૃ. ૩૨.
- ↑ ૨૮. ‘સુદર્શનગદ્યાવલિ,' પૃ. ૯૨.
- ↑ ૨૯. ‘સાહિત્ય અને વિવેચન’ના પહેલા ભાગમાં આપેલી આ કાવ્યની છેલ્લી આવૃત્તિમાં ‘ભવ્ય’ વિશેષણ છોડી દીધેલ છે. તેમ બીજા પણ કેટલાક ફેરફાર કર્યા છે. પણ ઉપરના પરિચ્છેદના વક્તવ્યને તો એ ફેરફાર પહેલાનું પ્રથમ આવૃત્તિનું મૂળ રૂપ જ વિશેષ અનુકૂળ હોવાથી આંહી એ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ આ કડી ટાંકી છે.
- ↑ ૩૦. ‘વીસમી સદી’ ઉપરાંત ‘આઠમી સાહિત્યપરિષદ પત્રિકા' (વિભાગ ૨,પૃ.૧૪) એમ ‘બુદ્ધિપ્રકાશ’ અભિનંદનઅંક (પૃ. ૧૨૮) માં પણ ફોટો આપ્યો છે.
- ↑ ૩૧, ‘સ્મરણમુકુર’, પૃ. ૧૫૧,
- ↑ ૩૨. ‘સમાલોચક', ૧૬,૧૭૩.
- ↑ ૩૩. પહેલી સાહિત્યપરિષદનો અહેવાલ તથા નિબંધસંગ્રહ : ‘જોડણી! પૃ.૧૧,
- ↑ ૩૪, ‘બુદ્ધિપ્રકાશ', ૭૫,૩૬૮.
- ↑ ૩૫. રા.રામલાલ ચુનીલાલ મોદી પરનો તા. ૧૫-૧૨-૨૦ નો પત્ર Autobiography (Everyman's Library) p.167 35.
- ↑ ૩૭, એના પોતાના અંગત ગ્રંથાલયમાં જ છથી સાત હજાર પુસ્તકો હતાં, (જુઓ ઉપર ઉલ્લેખેલી એની આત્મકથા, પૃ. ૧૭૭) અને તે ઉપરાંત સાર્વજનિક ગ્રંથાલયોમાંથી એણે જે પુસ્તકો વાંચેલાં તે જુદાં.
- ↑ ૩૮. ‘બુદ્ધિપ્રકાશ' અભિનન્દન ગ્રંથ.
- ↑ ૩૯. આવા થોડાંક તો ‘સમાલોચક', ‘વસન્ત', ‘બુદ્ધિપ્રકાશ' આદિમાં કોઈએ લીધેલા સારરૂપે છપાઇ પણ ગયાં છે, તે સર્વ તેમ બીજા પણ એ પ્રકારનાં જે કોઈ માસિકોની જૂની ફાઈલોમાંથી નીકળે તે ‘સાહિત્ય અને વિવેચન'માં અન્ય લેખો જોડે અથવા નહિ તો છેવટ પરિશિષ્ટરૂપે મૂકવાની જરૂર હતી. વસ્તુતઃ કેશવલાલ ધ્રુવના લેખોના આ સંગ્રહનું સંપાદન કરવામાં જેટલી કાળજી રાખવી જોઇતી હતી તેટલી રખાઈ નથી, તેથી ઉપર બતાવ્યાં તેવાં એમનાં કેટલાંક મહત્વનાં ભાષણો તેમાંથી રહી ગયાં છે, તેમ જે લેખો છપાયા છે તેમાં પણ સાલો વગેરેની કેટલીક ગંભીર ભૂલો રહી ગઇ છે, ઉદાહરણ તરીકે એના પહેલા ભાગમાં છાપેલ ‘તા.૩ જીએપ્રિલ ૧૯૨૦ શનિવારે સાંજે આનંદભવન થીએટરમાં ’ વાગેલો, છતાં ‘સાહિત્ય અને વિવેચન’ લેખની નીચે (પૃ.૧૩૬) અને અનુક્રમણિકામાં એમ બન્ને સ્થળે ૧૯૧૯ની સાલ છાપે છે તે શી રીતે સંભવે? એજ રીતે એ ભાગમાંનો ‘સમુદ્રગુપ્તનો ક્રમપ્રાપ્ત ઉત્તરાધિકારી’ એ લેખ ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૯૨૮ના નવેમ્બર ડીસેમ્બર અંકમાં છપાયો છે, છતાં એની સાલ લેખ નીચે (પૃ.૨૪૫) તેમ અનુક્રમણિકા એમ બન્ને સ્થળે ૧૯૨૯ આપેલ છે તે ખોટી જ છે. બીજા ભાગમાં પણ ‘મુગ્ધાવભોધ ઔક્તિક’નાં સ્થળ સમય એ જ રીતે ખોટાં આપ્યાં છે. એ લેખ ૧૮૮૮ના ‘ગુજરાત શાળાપત્ર'માં નહિ પણ ૧૮૯૧ના ઓગસ્ટના ‘બુદ્ધિપ્રકાશ'માં છપાએલો મળે છે. મૂળ ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ જ હરિલાલ ધ્રુવે ૧૮૮૯માં પ્રકટ કરેલું (જુઓ એજ ‘સાહિત્ય અને વિવેચન' ભાગ ૨, પૃષ્ઠ ૧૧૬) ત્યારે એને લગતો લેખ કેશવલાલ ૧૮૮૮માં લખી જ શી રીતે શકે? એ જ રીતે આ બીજા ભાગમાં ‘કાન્હડદે પ્રબંધ અને કરણધેલો' તથા ‘ઉપાહરણનો રચના કાળ' એ બે લેખોની સાલો ઊલટસૂલટ છપાઈ છે. ‘કાન્હડદે પ્રબન્ધ'વાળો લેખ એની નીચે (પૃ.૧૭૦) છપાયા પ્રમાણે ૧૯૨૭ના ‘બુદ્ધિપ્રકાશ'માં નહિ પણ ૧૯૦૧-૨ના ‘બુદ્ધિપ્રકાશ’માં છપાએલો, તથા ‘ઉષાહરણ'વાળો લેખ એની નીચે(પૃ.૧૭૨) આપ્યા પ્રમાણે ૧૯૦૧-૨માં નહિ પણ ૧૯૨૭માં છપાએલો. આ બન્ને ભાગોની જોડણીમાં પણ કશું ધોરણ સચવાયું નથી એ એના સંપાદનની ત્રીજી ગંભીર ક્ષતિ છે. એક જ લેખકના લેખો ગ્રંથસ્થ કરવામાં આવે ત્યારે તેમાં એક જ જોડણીધોરણ સચવાવું જાઇએ એ સામાન્ય નિયમ આમાં પળાયો નથી.વસ્તુતઃ આમાં પ્રકાશક સંસ્થાએ પોતાને આગાઉ છપાઈ ગએલા લેખો જેવા રૂપમાં મળ્યા તેવા જ રૂપમાં એમને એમ ફરી ગ્રન્થાકારે છાપી નાખ્યા છે, પણ એ રીતે સંપાદન થાય જ નહિ. સંપાદનમાં તો જેટલા લેખો મળ્યા તે ઉપરાંત એ જ લેખકનાં ગ્રન્થસ્થ કરવા જેવાં બીજાં કોઈ લખાણો મળી શકે એમ હોય તો તેની પહેલાં પાકે પાયે તપાસ થવી જોઇએ, પછી તેની જોડણી સળંગ રીતે એકસરખી કરવી જોઇએ. અને લખ્યાસાલ વગેરેની પૂરેપૂરી માહિતી મેળવીને પછી જ તે સંગ્રહ પ્રકટ કરવો જોઇએ. સોસાઇટીએ આપણા જાણીતા સાહિત્યકારોનાં અગ્રન્થસ્થ લખાણોને ગ્રંથસ્થ કરવાનું જે કામ ઉપાડયું છે તે મહત્ત્વનું છે, પણ તેના સંપાદનની શિથિલતાને લીધે તે જેટલું સંગીન થવું જોઇએ તેટલું થતું નથી અને પહેલેથી તેમાં ઘણી ભૂલો થતી આવે છે, તેથી આટલા લંબાણપૂર્વક આ વાત આહીં જણાવવી પડી છે. ઉદાહરણ તરીકે રમણભાઇના ‘કવિતા અને સાહિત્ય'માં ‘ગૌવર્ધનરામનો ઉચ્ચ વાક્પ્રભાવ' જેવો ઉત્તમ વિવેચનલેખ રહી ગયો છે ત્યારે તેમના ધર્મ અને સમાજ’માં ‘જગતમાંનું નીતિમય શાસન' એ લેખ એક જ ગ્રંથમાં બેવડો છપાયા જેવી ગંભીર ભૂલ થઇ છે. (જુઓ પુ.રજાનું પૃ.૭-૪૧ અને ૨૩૭-૭૧) એ જ રીતે નરસિંહરાવના ‘મનોમુકુર' તેમ આનન્દશંકરના ‘કાવ્યતત્ત્વવિચાર, ‘સાહિત્યવિચાર' અને ‘દિગ્દર્શન’ એ બન્ને ગ્રન્થમાળામાં પણ સંપાદનની ઘણી શિથિલતા જોવામાં આવે છે. આનન્દશંકરના લેખો ગ્રન્થસ્થ કરતી વખતે સંપાદકોએ કશી વ્યવસ્થિત યોજના દૃષ્ટિ સમક્ષ રાખેલી નહિ હોવાથી ‘સ્મરણસંહિતા' (પૃ. ૪૪૭) ‘કાવ્ય વિષે રવીન્દ્રનાથ (પૃ.૪૬૧) ‘વસન્તવિજય’ (પૃ. ૫૦૩) વગેરે તથા “દિગ્દર્શન'માંના ‘કાવ્યમાધુર્ય (પૃ.૨૮૪) રાજરાજેન્દ્ર ને (પૂ.૩૦૮) વગેરે (પખને લગતા લેખો ખરી રીતે ‘કાવ્યતત્ત્વવિચાર'માં મુકાવા જોઈતા હતા તે ‘સાહિત્યવિચાર' કે દિગ્દર્શનમાં મુકાયા છે, અને ‘કાવ્યતત્ત્વવિચાર'માંના કેળવણી અને સાહિત્ય' (પૃ.૭૭) તથા ‘સાહિત્ય અને સાક્ષર' (પૃ.૯૪) જેવા લેખો ‘સાહિત્યવિચાર'માં મૂકવા જોઈતા હતા તે ‘કાવ્યતત્ત્વવિચાર'માં મૂક્યા છે. સંપાદન એ પણ શ્રમ, સંશોધન, સુવિચારિત યોજના,નેદૃષ્ટિ માર્ગ એવી કળા છે એ વાત બરાબર સમજાય તો આવી અવ્યવસ્થાને પછી અવકાશ ન રહે.
- ↑ ૪૦. આથી જ આવા ઉદાસીન પંડિતોએ જીવનભરની મહેનતથી એકઠી કરેલી જ્ઞાનસંપત્તિનો પ્રજાને ચિરસ્થાયી આકારમાં લાભ મળે એટલામાટે તેની પાસે નિયત વ્યાખ્યાનમાળાઓ આદિ જેવી વ્યવસ્થિત યોજનાઓ હોવી જોઈએ. કેશવલાલ ધ્રુવ પાસેથી ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ જેવો શાસ્રીય ગ્રન્થ ગુજરાતને મળ્યો તે શાથી? એની પાસે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા જેવી યોજના હતી તેથી જ. એ વ્યાખ્યાનો આપવાનું એમને નિમન્ત્રણ મળ્યું એટલે પછીપોતાની પ્રતિષ્ઠાને ખાતર પણ એમને બીજું બધું વાચન બાજૂએ મૂકીને એ વિષયનું પોતાનું જે કંઈ અધ્યયનચિન્તન હતું તેને તાજું કરી સુશ્લિષ્ટ આકારમાં રજૂ કરવા એક વરસ કોરે કાઢવું પડ્યું. આ વ્યાખ્યાનો એમને સોંપાયા એ અરસાના તા.૧૮-૩-૩૦ના રા. છગનલાલ વિદ્યારામ રાવળ પરના પત્રમાં એ લખે છે કે ‘સરકલ્લોલની ભેટ સત્કારી લેઊં છૂ કે બીજામાં જીવ જ પરોવી શકાતો નથી. બહુ વાંચવાનું છે; બહુ લખવાનું છે. તે વખતસર ન થાય તો ખ્યાતિને હાનિ પ્હોંચે એટલૂજ નહિ, પણ માણસાઈ ન કહેવાય.’ આમ પ્રતિષ્ઠા અને ‘માણસાઈ'નો પ્રશ્ન આવ્યો ત્યારે જ આ પંડિત પાસેથી એ ગ્રન્થ મળ્યો. ગુજરાત પાસે આવી એક જ વ્યાખ્યાન માળા છે તેને બદલે જો બે ત્રણ હોત, અને તે બધી તરફથી કેશવલાલને જો એમની અન્તિમ વૃદ્ધાવસ્થા પૂર્વેના દિવસોમાં તેનું કામ સોંપાયું હોત, તો એમના તરફથી આપણને એક જ શાસ્ત્રીય ગ્રન્થ મળ્યો છે તેને બદલે કદાચ બે ત્રણ મળત. એટલે કેવળ સાહિત્યકારોના પોષણની પરમાર્થી દૃષ્ટિએ જ નહિ પણ પ્રજાનું મોંઘું પાંડિત્યધન એવા પંડિતોના દેહાવસાન સાથે અદૃશ્ય ન થતાં સદાને માટે સચવાઇ રહે એ સાચી સ્વાર્થદૃષ્ટિએ પણ દેશમાં આવી વ્યાખ્યાનમાળાઓ વિશેષ યોજાવી જોઇએ. અને તેથી આપણા સાહિત્યરસિક ધનિકોએ હવે પોતાનો દાનપ્રવાહ એ દિશામાં વાળવો જોઈએ.
- ↑ ૪૧. ઉદાહરણ તરીકે જુઓ ‘કાવ્યતત્ત્વવિચાર,' પૃ.૧૪૨
- ↑ ૪૨. ‘વસન્ત,’ ૨૬, ૪૧૪,
- ↑ ૪૩. ‘ગુજરાત,’ ૧૯૮૪ આશ્વિન, પૃ. ૮૫.
- ↑ ૪૪. આ સંબન્ધમાં નીચેનું અર્થદર્શન લક્ષમાં લેવાં જેવું છે.:-By "The Scholar" I mean the man who devotes his life to the disinterested pursuit of knowledge; with no ulterior aims to serve and with no intention of applying what he has learnt to any practical purpose...the scholar studied because he wished to know and though he might, towards the end of his life, put forth a Monograph, a Trecate, or a his days was not publication but Learning'- George W.E.Russel: Selected Esays On Literary Subjects.
- ↑ ૪૫ જુઓ મેથ્યુ આર્નોલ્ડ એના Culture and Anarchy' નું આપેલું આ લક્ષણ:- Culture being a pursuit of our total perfection by means of getting to know, on all the matters which most concern us, the best which has been thought and said in the world...!
- ↑ ૪૬. ‘શ્રીયુત ગૌવર્ષનરામ', પૃ.૧૩૪
- ↑ ૪૭, ‘પ્રસ્થાન' ૧૯૮૯, વૈશાખ, પૂ.ર
- ↑ ૪૮. આનંદશંકર ધ્રુવના, એ જમાનાના સૌથી મોટા ગ્રંથસંગ્રહની આ વાત થઈ, પણ બળવતરાય ઠાકોર કે નરસિંહરાવ જેવા પણ અંગત ગ્રંથસંગ્રહો આપણને આજના કેટલા સાહિત્યકારોને ત્યાં જોવા મળશે?
- ↑ ૪૯. અમદાવાદના ગુજરાત મહાવિદ્યાલયમાં પળબન્યની કસોટી અને બીજા પ્રશ્નો'ના ઉત્તરરૂપે એમણે કરેલા વિવેચનનો પ્રારંભભાગ જૂઓ: ‘ભાઈ રામનારાયણ પાઠકે મને અધ્યાપકનો અભ્યાપક કાવ્યો; પણ વસ્તુતઃ છું અભ્યાસક છે. આ સંબંધમાં જો અનુચિત ન ગણાય-અને નહિ જ ગણાય-તો મારી થોડી વાત કહી કઉં. બાવીસ વરસની ઉંમરે મને સખત મંદવાડ આવ્યો અને એ મંદવાડમાંથી આ અભ્યાસને માટે જે હું બચ્યો, શંકરાચાર્ય બચ્યો અને સન્યાસી થયા; હું બચ્યો અને અભ્યાસી થયો,’-‘બુદ્ધિપ્રકાશ,’ ૭૩,૩૩, ‘સાહિત્ય અને વિવેગન'માં આ લેખ છાપ્યો છે તેમાંથી આ છેલ્લા વાક્યમાં લેખકને કંઈક આત્મશ્લાઘા જેવું લાગ્યું હશે તેથી એ વાક્ય છોડી દીધું જણાય છે.
- ↑ ૫૦. અપ્રકટ પુસ્તકના એક પ્રકરણમાંથી.
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૫૫ થી ૧૭૫
Note
Content of Ref. No. 36 is missing