સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/‘મિશનરી’ અને ‘મર્સિનરી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૯) ‘મિશનરી’ અને ‘મર્સિનરી’


વિવેચન એકલી આત્મલક્ષી નહિ પણ સાથે પરલક્ષી પ્રવૃત્તિ પણ છે. એટલે એનું કામ કેવળ એકલપેટા રસભોગમાં જ મગ્ન રહેવાનું નહિ, પણ સમાજની સાહિત્યરુચિની સંભાળ રાખવાનું પણ છે. પોતાને મનગમતી સાહિત્યવાનીનું પ્રાશન કરીને પછી પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં ‘હૈઈયે' એમ તૃપ્તિના ઓડકાર ખાવા, અથવા ભોજન રસ આકંઠ ઊભરાઈ જતો હોય તેને પરિણામે જાણે ગળામાંથી અક્ષર સરખો કાઢતાં મુશ્કેલી પડતી હોય તેમ ‘ઓહો ! શું સરસ !' એટલી મિતાક્ષરતામાં જ સમાપ્તિ ગણવી એ સાચા વિવેચનને માટે પૂરતું નથી. પરલક્ષી દૃષ્ટિએ જોતાં ‘ મને આ બહુ ભાવ્યું કે ગમ્યું’ એટલું જ રસઘેનમાં ડોલતાં ડોલતાં ઉચ્ચારી જવા માત્રથી એનું કાર્ય પૂરું થતું નથી, પણ જે ભાવ્યું કે ગમ્યું હોય તે શા માટે ભાવ્યું કે ગમ્યું તેની સામાને પૂરી સમજ પડે અને પાકી પ્રતીતિ થાય એ રીતે દાખલા દલીલ સાથે તેનું સવિસ્તર નિરૂપણ કરવું એ વિવેચનની ફરજ છે. એ જ રીતે એનું કામ ચાલતા પ્રવાહમાં ઘસ- ડાઈને પરણે તેનાં જ ગીતો ગાવાનું નથી, પણ ભૂત વર્તમાન સાહિત્યકારો સંબંધમાં જનતામાં સ્તુતિ નિન્દાનો જે કંઈ પ્રવાહ ચાલી રહ્યો હોય તેથી દૂર તટ ઉપર ઊભા રહી તેના ઔચિત્ય અનૌચિત્યનો વિચાર કરતા રહી પ્રજાની રસવૃત્તિને સળંગ રીતે સુસ્થ રાખવી અને સાહિત્યમાં એને હાથે ક્યાં યે પૂજ્યપૂજાવ્યતિક્રમ ન થાય તેમ અપૂજ્યપૂજાનો ઉપક્રમ ન થાય એ રીતે તેને સતત માર્ગદર્શન કરાવતા રહેવું એ પણ પરલક્ષી દૃષ્ટિએ વિવેચનને ધર્મ છે. વિવેચનની આવી ધર્મભાવનામાં કોઈને ‘મિશનરી ‘પણું લાગતું હોય તો જણાવવું જોઈએ કે જે વિવેચક વિવેચનમાં ‘મિશ્નનરી'૫ણુથી ડરતો હોય તે વહેલો મોડો ‘મર્સિનરી'પણુના કાદવમાં લપસી પડવાનો. સંસ્કારભોગી વિવેચન જો પવિત્રતા, પ્રમાણિકતા, સુશીલતા, જવાબદારી આદિ નામે ઓળખાતાં નીતિબંધને નહિ સ્વીકારે તો પછી એને માખણિયું બની જતાં કોણ અટકાવી શકવાનું હતું? આજે આને સાધીશ તો ‘ રેડિયોટોક'ના પચાસ પોણોસો મળશે, પેલાને પડખે રહીશ તો કોલેજ-યુનિવર્સિટીમાં “પ્રાધ્યાપક, પરીક્ષક, ને વ્યાખ્યાતા” થવાનો લાભ મળશે, ત્રીજાનું ગાયું ગાઈશ તો પરિષદના પ્રમુખપદની ખુરશી મળશે, એવી એવી તકવાદી સ્વાર્થ-સાધુતામાં જ પછી એ સરી પડવાનું. ‘ જિસકે તડમેં લડું ઇસકે તડમેં હમ' એ જ પછી એનું આચારસૂત્ર બની જવાનું અને જ્યાં જ્યાં લગ્નનો સંભવ હોય ત્યાં ત્યાં પૂંછડી પટપટાવતું એ ઊભું રહેવાનું. એટલે વિવેચનને નામે રસાસ્વાદના વાઘા સજેલી શિષ્ટ ખુશામતખોરીની હાટડી ન માંડવી હોય, અને તેને ‘પેટ ભરવાના પરપંચ'ની અધમતાએ ઊતરી જવા ન દેવું હોય તો દરેક વિવેચકે પોતાની ગજાસંપત પ્રમાણે મિશનરી'પણાનો આછો પાતળો આદર્શ તે પોતાની સામે અવશ્ય રાખવો જ પડશે.

૧૯૯૭
‘વિવેચનકલા’ પૃ. ૧૧૭ થી ૧૧૮