સહરાની ભવ્યતા/ચુનીલાલ મડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચુનીલાલ મડિયા


મડિયાના અવસાનને બે વર્ષ થયાં હતાં તેવામાં શ્રી ઉમાશંકર જોશીએ એક રેખાચિત્ર લખેલું: ‘મડિયારાજા’. એ વાંચતાં ફરી એકવાર એસદ્ગત લેખકની હાજરી અનુભવેલી: ‘ભીને વાન, બેવડે કોઠે, ઊંચું કદ. માથું, કપાળ મોટાં. ગાલ ભરાવદાર. આંખો મોટી. ચાલે ત્યારે એકખભો સહેજ ઊંચો રહે અને તે તરફનો હાથ ચાલ સાથે લયમાં હાલ્યા કરે… કોઈની પણ શેહશરમ રાખ્યા વગર મોઢામોઢ ટીખળપૂર્વકટીકા કરી લેવાની શક્તિ, જરીક પણ પોતાનો ભાર ન લાગે એ રીતે મળવાની એમની કળા, મડિયાની સોબતમાં હો ત્યારે નાનાં મોટાં બધાંએમના રાજ્યમાં, ચિંતા એમણે કરવાની.’ — બધાં રેખાચિત્રો આવાં જીવંત બની શકતાં નથી. લેખક ઉમાશંકર હોય તોપણ વિષય તરીકેમડિયા જોઈએ.

એ બે વચ્ચે મૈત્રી પણ માનવજીવનની એક ઘટના લાગે છે, બંને એકમેકમાં પૂરો વિશ્વાસ મૂકી શકેલા. માણસ માટે આ એટલું સહેલું નથી.

મડિયાને પહેલીવાર ક્યારે જોયેલા એ આજે યાદ આવતું નથી. શાળામાં એમની નવલકથા ‘વ્યાજનો વારસ’ વાંચેલી. એમનાં એકાંકીભજવાતાં જોયેલાં. પછી તો ભજવ્યાં પણ છે, વ્યક્તિ મડિયા અને લેખક મડિયા જુદા પાડી શકાતા નથી. બીજા ઘણા લેખકોની કૃતિઓએમના વ્યક્તિત્વનો વિચાર કર્યા વિના વાંચી છે. મડિયા એમના શબ્દમાં ભાગ્યે જ ગેરહાજર લાગે.

એમ લાગે છે કે મડિયાને પહેલાંથી જોયા હતા.

એ વડીલ લેખક જ નહિ, મોટી ઉમ્મરના સ્વજન જેવા હતા. અમારો સંબંધ ‘વર્તુળ બનેલી રેખા’ જેવો થઈ ગયો હતો. એનો આરંભ કેઅંત શોધવાનો રહ્યો નહીં. એમનો પ્રેમ તો ગંજાવર હતો. એમણે એકબે ટપલીઓ પણ બરોબર મારી હતી. હું મડિયાને આ એક જીવનમાંભૂલું એ શક્ય નથી. મડિયા જેવા મુરબ્બી મિત્રો મળવાના હોય તો અજ્ઞેય અને નિષ્ઠુર નિયતિ પાસે મુક્તિના વિકલ્પે જીવન જ માગવાનુંગમે. જોકે જીવનના અંત પછી બીજા કોઈ આરંભની લેશમાત્ર આકાંક્ષા નથી. પણ મડિયા સાથે ચાલવા માટે ફરીથી ઊભા થવાની ઇચ્છાથાય ખરી. એમની સ્ફૂર્તિ અનન્ય હતી.

લેખનના આરંભે એમણે સહૃદય વિવેચક અને તંત્રી તરીકે મારામાં રસ લીધેલો. એકવાર પેટલીકર કહે: ‘અમે લખવાનું શરૂ કર્યું ને એમાંકશુંક જોઈ મેઘાણીએ ઉમળકાથી આવકાર્યા. તમને એવા વિવેચકો ન મળ્યા.’ તે દિવસ પેટલીકરની વાત સાચી લાગી હતી. આજે થાય છેકે મડિયામાં મેઘાણી જેવું કશુંક હતું. એ સૌરાષ્ટ્રની આતિથ્ય–ભાવના પણ હોઈ શકે.

એ અમદાવાદ આવ્યા હોય કે હું મુંબઈ ગયો હોઉં ત્યારે એમની સાથે હોવું એ એક લહાવો હતો. એમની સાથે બેસવાનું મળે તે તો થોડાસમય માટે જ. મોટે ભાગે અમારે ક્યાંક ને ક્યાંક જવાનું હોય. અને એ વચ્ચેની ક્ષણો વસંતમાર્ગી બની જાય. અનેક વ્યક્તિઓ, અનેકવિષયોને એમના ઉદ્ગારો સ્પર્શે. શ્રી નિરંજન ભગત તો એટલે સુધી કહે છે કે મેં જીવનમાં વાતોનો સૌથી વધુ આનંદ લૂંટ્યો હોય તો ભાઈમડિયા સાથે. પચીસેક વરસના અતૂટ–અખૂટ મૈત્રી સંબંધમાં અનેક સ્થળે, અનેક સમયે, અનેક વિષયો પર એમની સાથે અસંખ્ય વાતોનો મેંજે સૂક્ષ્મ લહાવો લીધો છે એ મારા જીવનમાં સમૃદ્ધમાં સમૃદ્ધ અનુભવોમાંનો એક છે.

વાતવાતમાં બોલાયેલા એમના બધા શબ્દો સંઘરાયા હોત તો એ વાંચીને કોઈ કહી બેસત: આવો એક હરફનમૌલા હાસ્યકાર ગુજરાતીમાંથઈ ગયો?

મડિયા જીવ્યા હોત તો લેખક પણ મોટા હોત. કેમ કે એ છોડી શકતા અને નવા આરંભો કરી શકતા. વ્યક્તિત્વ તો એમનું એવું પ્રબળ હતુંકે ‘ઘૂઘવતાં પૂર’ નામના એમના પ્રથમ વાર્તાસંગ્રહનું સ્મરણ થાય. એ સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રસિકલાલ છો. પરીખે નોંધેલું: ‘આ લેખકમુદ્દલે ભોળો નથી — જુવાન માણસ માટે એ સારું લક્ષણ નથી — કોણ શું છે એ બરોબર જાણે છે.’ મડિયા પ્રબળ આવેગ અને તીક્ષ્ણબુદ્ધિના માણસ હતા.

1965માં લેખન–પ્રકાશનના સ્વાતંત્ર્ય અંગે મતભેદ ઊભો થતાં મેં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઉચાળાભર્યા તેવામાં એક સાંજે એ અનેનિરંજનભાઈ મહાદેવનગરના મારા નવા સરનામે આવી પહોંચ્યા. ‘સા વિદ્યા યા વિમુક્તયે! — જે મુક્ત કરે તે વિદ્યા!’ એવો અર્થ કરીવિદ્યાપીઠના સૂત્રનું સ્મરણ કર્યું. એ અગાઉ એકવાર મેં વિદ્યાપીઠમાંના મારા નિવાસે ગોષ્ઠી રાખેલી. કદાચ મડિયા અમદાવાદમાં હતા નેઉશનસ્ — જયંત પાઠક યુનિવર્સિટીના કામે આવેલા, તેથી. ઊઠવાનો સમય થતાં ‘રુચિ’ના તંત્રીએ ગજવામાંથી ચેકબુક કાઢી. બેઠા હતા એબધાયના નામે એક એક ચેક લખી દીધો હતો. કોઈકને તો યાદ પણ ન આવ્યું કે પોતે ‘રુચિ’માં શું લખ્યું છે. રાધેશ્યામે નોંધ્યું છે તેમક્યારેક તો આખો અંક મડિયાના લેખોથી છલકાતો હોય. મિત્રો મશ્કરી પણ કરતા: આ અંકનું નામ ‘મડિયા વિશેષાંક’ રાખો. એક અંકમાંવાચનસામગ્રી કરતાં જાહેરાતોનું પ્રમાણ બેવડું જોઈને મેં કહેલું: આ તો ‘જાહેરખબર વિશેષાંક’ થયો છે. પણ ‘રુચિ’ ચલાવવું — એકસૌંદર્યલક્ષી સામાયિક કહીને ચલાવવું મુશ્કેલ હતું. એ પુરસ્કાર આપે એ અમને માન્ય ન હતું. મને તો એક વધારાની દલીલ પણ સૂઝી: ‘હુંતો યજમાન છું, મારાથી આ રીતે ચેક ન લેવાય. અને પુરસ્કાર ભેગી તમે આઈસ્ક્રીમના બીલની રકમ પણ ઉમેરી દીધી છે!’ એકેય દલીલન ચાલી. સાંભળે તો મડિયા શેના? જેમ એ સહુની સંભાળ લેતા તેમ સહુના વતી નિર્ણય પણ એ જ લેતા. બહારગામના લેખક સાથેહૉટલમાં જવાનું થાય તો બીલ આપવાનો મારો આગ્રહ હોય પણ મડિયા આગળ ચાલતું નહીં.

એક દિવસ શો નાસ્તો કરવો એ નક્કી ન થાય. પછી એમને સૂઝ્યું: ‘દરેક વસ્તુમાં ભેળસેળ હોય છે. પણ ઇંડામાં ભેળસેળ કરવી શક્યનથી. તો ઑમલેટ મંગાવીએ.’

હાસ્ય–વિનોદ ને ગમ્મતની સરવાણી ચાલ્યા જ કરે: છેક છેલ્લા દિવસની વાત છે. સવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં પી. ઈ.એન.ની બેઠક ચાલે. એમાં ગુલાબદાસ એમનો લેખ વાંચે. કાગળની એક બાજુ સાઈકલોસ્ટાઈલ કરેલો એ લેખ શ્રોતાઓને વહેંચવામાંઆવેલો. હું એમાં પણ ધ્યાન આપું. થોડીવારમાં મડિયા આવ્યા. પાંચેક મિનિટ પછી મને કાગળની પાછલી કોરી બાજુ ચીંધીને કહે: ‘સીહીઝ બ્રાઈટ સાઇડ!’

લેખકો વિશે મડિયા બોલતા, ક્યારેક સત્ય, ક્યારેક સવાઈ સત્ય. દરેક વિશે એમના આગવા અભિપ્રાયો. આપણે સહમત થઈએ એવીઅપેક્ષા પણ નહીં. રમૂજ માણી લઈએ કે એ આગળ ચાલે. ઘણાને એમના અવસાન પછી થયું હશે કે આપણે મડિયાની વિનોદવૃત્તિને એનાંવિવિધ પરિમાણોમાં જોઈ શક્યા હોત તો એમને દુશ્મન માની ન બેસત. અને મડિયાને તો દુશ્મનોની બીક ન હતી. એ એકે હજારા હતા.

સાહિત્ય પરિષદની સ્થગિતતા અને અધ્યાપકીય વિવેચનના એ જબરજસ્ત ટીકાકાર હતા. લાભશંકર લખે છે એ બધું તો પ્રમાણમાં સુંવાળુંસુંવાળું લાગે. મડિયા તો એક ઘા ને બે કટકા. શીર્ષકો બાંધવાના નિષ્ણાત. ઉમાશંકરના પરમ મિત્રોને પણ મડિયાની વિશિષ્ટવિવેચનશક્તિનો લાભ મળ્યો છે. કેટલાકની એવી ફરિયાદ પણ રહેતી કે ઉમાશંકર મડિયાને વારતા નથી. ઉમાશંકર પોતાને વારી શકે છેએની જ મને તો નવાઈ લાગતી. માણસોની નબળાઈ સમજવામાં એ મડિયા સાથે હરિફાઈ કરી શકે એમ હતા. પણ એમના એક ખભેગાંધીજી અને બીજે ખભે રવીન્દ્રનાથનો ભાર મુકાઈ ગયો, જ્યારે મડિયાને મળ્યા બલવંતરાય. ગુજરાતી લેખકોમાં સહુથી વધુ આખાબોલાબલવંતરાય! એ અંગે શ્રી નિરંજન ભગતનાં સંસ્મરણો સાંભળવાં રહ્યાં.

મધુર સત્ય બોલવાનો આદર્શ સિદ્ધ થાય એમ ન હોય તો સત્યના ભોગે તો મધુર થવાનું ન જ હોય ને? અલબત્ત, ઘણીવાર એવું પણબનતું હશે કે મડિયા આવેશથી બોલી રહ્યા હોય ને સત્ય નાછૂટકે એમની પાછળ ખેંચાઈ રહ્યું હોય. એવો તો કોઈ લેખક બંદો ક્યાંથી પાકેજેના ભાગ્યમાં ખોટા પડવાનું આવ્યું જ ન હોય?

મુદ્દાની વાત એટલી જ છે કે મડિયાને ખોટા પડતા રોકવા પણ મુશ્કેલ હતા. આ ઉદ્ગારો આપણા વિશે ન હોય એમ માની લઈને એમનુંસૌંદર્ય માણવામાં જ શાણપણ હતું. એ પ્રયત્નમાં હું સફળ થયેલો ને તેથી એમના કટુ કટાક્ષો પણ મને ગમતા. એવા કટાક્ષો કરનાર જાણતોહોય છે કે પરિણામે વેઠવાનું આવે છે. અને મડિયા તો એવા કે માફી માગવા તો શું, મનાવવા પણ ન જાય, માત્ર ચાહે પોતાની રીતે. આમેયમિત્રો તો આંગળીને વેઢે ગણાય એટલા. મુંબઈમાં ડગલી, હરીન્દ્ર, સુરેશ, થોડાક દોશી. અમદાવાદમાં વધુમાં ભાનુભાઈ અને ‘સંદેશ’નાચીમનભાઈ. પેટલીકરના એ પ્રશંસક; પણ ‘સંદેશ’ના કટાર લેખક જ નહિ, એ વખતે તો નાનકડા સ્તંભ શા પીતાંબરના સખત ટીકાકાર. ‘ધરતીનાં અમી’નું અવલોકન લખીને બીજાં બધાં અનુકૂળ અવલોકનોનું મડિયાએ સાટું વાળી આપેલું! પીતાંબરભાઈની વિરુદ્ધ લખનારસાત વાર વિચાર કરે. અહીં ગણતરી કરવા બેસે એ બીજા.

જીવનના છેલ્લા દાયકામાં મડિયા કમલજીવી બન્યા હતા. ચારેક છાપાંમાં કટાર લખતા અને મોટે ભાગે ચાલુ નવલકથાનું પ્રકરણ પણ ખરું. મિત્રો સાથે હૉટલમાં જવાનું થયું હોય ને પ્રકરણ મોકલવાની તારીખ થઈ ગઈ હોય તો ગોષ્ઠીમાંથી ઊઠી, બાજુના ટેબલ પર બેસી એનિર્વિઘ્ને લખી શકતા. મિત્રોની વાતનો મુદ્દો બદલાય એ પહેલાં એ રવાનગીનો વિધિ કરીને પાછા જોડાઈ જતા. એમને લખવાનો થાક નહતો. કેટલું બધું લખ્યું છે! 1922ના ઑગસ્ટમાં જન્મ, 1968ના ડિસેમ્બરમાં અવસાન. 46 વર્ષના જીવનકાળમાં એમની પાસેથી પચાસઉપરાંત કૃતિઓ મળી છે. કેટલીક નવલિકાઓ, પ્રહસનો ને ગ્રામજીવનની એમની કથાઓની ભાષા ગુજરાતી સાહિત્યની એક મૂડી બનીરહેશે. મેઘાણી અને ગુણવંતરાયે કાઠિયાવાડનો જે બોલાતો શબ્દ ઝીલ્યો એનો મડિયાએ લયાત્મક અને નાદમાધુર્યસમેત ઉપયોગ કર્યો. ગદ્યમાં આવતા આંતરપ્રાસ એ કથાકાર મડિયાની એક લાક્ષણિકતા છે. પશ્ચિમની ઉત્તમ કૃતિઓના એમણે કરેલા સંક્ષેપ વાંચતાં એમનાલાઘવ માટે આદર જાગેલો. નવા લેખકમાં કશુંય આશાસ્પદ દેખાય તો એ બિરદાવે, બલ્કે ચગાવે. પ્રતિષ્ઠિતોની વિરુદ્ધ પણ હોંશથી લખે. સાડા ત્રણ કૉલમની જગામાં એ આકાશ–ધરતી બધું માપી લેતા અને ભલભલા બળિયાઓને પણ પાતાળપ્રવેશ કરાવી આપતા. વાચકનેઆસાનીથી વિશ્વાસમાં લઈ શકતા. પણ જાસો બાંધવા જેવું એ ક્યારેય ન કરતા. દરેક વસ્તુનો હિસાબ ત્યાં જ ચૂકતે કરતા. કોઈને ખાતેકશું ઉધાર નહીં. મરણ પણ કાંધાં વિનાનું એક હફતે ઇચ્છ્યું હતું:

ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે;
બિડાય ભવ–ચોપડો, કરજમાં ન કાંધાં ખપે.

(મરણ, સૉનેટ)

એમના અવસાન પછી જયંતિ દલાલને પાછાં મોકલવાં રહી ગયેલાં અંગ્રેજી નાટકો અને નાટક વિશેનાં પુસ્તકો એમને ત્યાંથી લઈનેજયંતિભાઈને પહોંચાડવા હું ગયેલો. સાથે સાથે ‘વિશ્વમાનવ’ માટે નોંધ પણ મેળવવી હતી. જયંતિભાઈએ લખાવ્યું: મડિયા રાગદ્વેષછુપાવતા નહીં!

હા, જયંતિભાઈની દૃષ્ટિએ એ વાતનું મૂલ્ય હતું. શ્રી ડગલી તો એમ પણ કહે છે કે ‘મડિયા આકર્ષક સાહિત્યિક પત્રકાર થઈ શક્યા તેનુંકારણ તેમના ગમા–અણગમા તીવ્ર હતા એ છે… શુદ્ધ વિવેચનની દૃષ્ટિએ મડિયાની જે મર્યાદાઓ હતી તે સાહિત્યિક પત્રકારત્વની દૃષ્ટિએએમની મૂડી હતી.’ કહેવું જોઈએ કે મડિયાને શુદ્ધિ કરતાં સમગ્ર સાથે વધુ લેવાદેવા હતી. એવડી મોટી જંજાળ સાથે પણ માણસ દંભથીબચે ખરો? કોઈથી છેતરાય એવા ન હોઈને પણ મડિયા પારદર્શી હતા. એમને વાંચી શકાતા. એમને વિશે ધારી શકાતું. તેથી ક્યારેકએમના લેખનની ટીકા કર્યા પછી પણ વ્યક્તિત્વ માટે ઉમળકો જાગતો.

30મી ડિસેમ્બરની વહેલી સવારે છાપામાં વાંચ્યું: મડિયાનું અવસાન. વાંચેલું વિચિત્ર લાગ્યું. ફરી જોતાં શબ્દો માત્ર બીબાં લાગ્યા. કશું સૂજેનહીં. પત્ની, નાનાં બાળકોએ એમને બેએક વાર જોયેલા. સહુને યાદ. આંસુ લૂછી હું દક્ષાબહેનનાં બાના ઘર બાજુ નીકળ્યો. તે દિવસ હું જેરડ્યો છું… સ્મશાનમાં ચિતા પાસે જયંતિભાઈએ ઠપકો આપેલો: આટલા બધા લાગણીશીલ! તે દિવસ મને ફરી અનુભવ થયેલો: મૃત્યુસાથે આપણામાંનું કશું મરી જતું હોય છે. આપણે બાદ થવા લાગીએ છીએ… ખેર, આમ એકાએક સહુની વચ્ચેથી ઊઠી જવા એમનેકારણ ન હતું.

ટૂંકી વાર્તાના સ્વરૂપ પરત્વે સુરેશ જોષી સભાનતાપૂર્વક વળાંક લાવ્યા. મડિયાની વાર્તાઓ એ પહેલાં જીવનને જોવા–સ્વીકારવાની રીતમાંજુદી પડતી હતી. ગુજરાતના મૂલ્યનિષ્ઠ સંસ્કૃતિ–પુરુષને વ્યક્ત કરવામાં આદર્શ સમજતા પૂર્વસૂરિઓ સાથે એ જોડાયા નથી. હાસ્ય–વિનોદના લેખોમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં આ સેવકો ‘મિશન’ની ધગશથી સેવા કરતા, આજે તેઓ ‘કમિશન’ની ધગશથી કામ કરે છે.’ — જેવાં વિધાનો કરી સુધારક માનસ દાખવે છે ખરા પણ વાસ્તવિકતાને પ્રકાશ અને અંધકારના પૂર્વપરિચિત વહેંચવાને બદલે એ બધારંગોનું અસ્તિત્વ સ્વીકારે છે, બેઉ અર્થમાં એ રંગદર્શી છે. ચોટદાર ઘટનાઓ અને પરિસ્થિતિનું વૈવિધ્ય એ એમના કથા–લેખનની એકખાસિયત છે. ‘ઘટનાના તિરોધાન’ના યુગમાં એ પોતાની રીતે જ લખતા રહ્યા. કદાચ પ્રસંગ–પાત્રોના આંતર સંકલનના પ્રશ્નો હલ કરવાતરફ પૂરતી કાળજી આપવી કે અવનવી ટેકનિક યોજી એની સાદ્યંત માવજત કરવી એ એમના રસનો વિષય ન હતો. વળી, દર્શકની જેમકશુંક કહેવા માટે લખતા નહીં. આમ, કલાવાદી કે જીવનવાદી વિવેચકો એમના પક્ષકાર બનીને આગળ આવે એ શક્ય ન હતું. અનેમડિયાએ તો કહેવા જોગું કહી દીધું હતું: અહીં અધ્યાપકો છે, વિવેચકો નહિ!

મડિયા અમદાવાદમાં તો પાંચેક વરસ જ રહ્યા. પછી 1945થી તો એ મુંબઈગરા બન્યા. પશ્ચિમનો પ્રવાસ પણ કરી આવ્યા. પણ ખૂબીનીવાત એ છે કે ધોરાજીનું પોષણ એમને છેક સુધી પૂરું પડ્યું:

‘સત્તરેક વરસે ધોરાજી છોડ્યું, તે પહેલાં બાલ્યાવસ્થામાં, કિશોરાવસ્થામાં, એમની ચેતના ઉપર જીવનનાં કેટકેટલાં ચિત્રો છપાઈ ગયાં હશે? ચિત્રો જ નહીં, એને વ્યક્ત સમર્થ ઉચિત શબ્દો પણ. વાતચીતમાં અને એમનાં લખાણોમાં જીવનના અનેક અનુભવો સંઘેડાઉતાર શબ્દબદ્ધથઈને આવે ત્યારે કોઈ કોઈવાર તો થતું કે આ એક જનમારાનું મળતર ન હોય, કેટલાય જનમારાની અનુભવસમૃદ્ધિ મડિયા ખોલી રહ્યા છે. એ બાળક—એ કિશોર વતનમાં ઊછરતો હશે ત્યારે એનું ગ્રહણયંત્ર (રીસીવિંગ સેટ) ઘણું જ સૂક્ષ્મ, સંવેદનશીલ અને સર્વગ્રાહી જેવું હોવુંજોઈએ.’ (પૃ. 4, મડિયાનું મનોરાજ્ય)

હરીન્દ્રભાઈ માનતા કે મડિયાની સર્જકતાનાં મૂળ જિંદગીમાં રોપાયાં હતાં. સર્જક મડિયાની વાત એમને માટે વ્યક્તિ મડિયાની વાત પણ બનીરહેતી (જુઓ ‘ગ્રંથ’ જાન્યુઆરી, 1969). એમણે નોંધેલો મડિયાનો એક ઉદ્ગાર અહીં ફરી નોંધવા જેવો છે: ‘આપણે શું લખીએ છીએએનો નિર્ણય તો સમય કરશે, આપણે જે જીવીએ છીએ એ આપણે જ નક્કી કરી શકીએ.’

મારે અહીં એટલું જ ઉમેરવું છે કે ધોરાજી છોડ્યા પછીના ત્રણ દાયકામાં પણ મડિયા ત્યાંના રહી શક્યા છે. સિતાંશુ જેને ‘મોંએ જો દરો’ કહે છે એ મહાનગરના ન બનતાં મડિયા ‘લીલુડી ધરતી’ના રહ્યા છે. અહીં પન્નાલાલ–પેટલીકર સાથે સરખામણી સૂઝે છે. એ બંનેનગરવાસી બન્યા. નગરની રીતભાત મુજબ જીવન ગોઠવ્યું પણ એમણે નગરજીવનની સંકુલતા સાથે કામ ન પાડ્યું. મડિયા એ સંકુલતામાંથીપણ ‘કાકવંધ્યા’ જેવી થોડી વાર્તાઓ કંડારી લાવ્યા. પણ નાગરિક પ્રકૃતિમાં પોતાનું રૂપાંતર ન કર્યું. એમણે જાણ્યું–જોયું બધું, ભદ્રલોકથીવીંટળાયેલા રહ્યા, એમની જેમ ખાધુંપીધું બધું પણ પોતાની ગ્રામીણ ચેતનાને — આખાબોલી સચ્ચાઈને સંકોરીને સતેજ રાખી. એ ‘ગ્રામ્ય’ મડિયા સાથે મારે નાતો હતો અને રહેશે.