સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આકાશ અને કાળ વિષે ગરબી
આકાશ અને કાળ વિષે ગરબી
‘મારું સોનાનું છે બેડું રે, છેલ છબીલા છોગાળા’
જોયા બે જૂના જોગી રે, કહે સહિયર તે કોણ હશે?
અધઘડી નથી થાતા અળગા રે, કહે સહિયર તે કોણ હશે?
મન ધારી પરસ્પર માયા રે, કહે સહિયર તે કોણ હશે?
એક સ્થિર રહે, બીજો દોડે રે, કહે સહિયર તે કોણ હશે?
મણિઓની પહેરી માળા રે, કહે સહિયર તે કોણ હશે?
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયાં રે, કહે સહિયર તે કોણ હશે?
વસ્તીમાં વળી વગડામાં રે, કહે સહિયર તે કોણ હશે?
છે પવનપાવડી પાસે રે, કહે સહિયર તે કોણ હશે?
પાતાળે પણ તે પેસે રે, કહે સહિયર તે કોણ હશે?
એની ઉંમર કંઈક ગણે છે રે, કહે સહિયર તે કોણ હશે?
કંઈ ઊપજે અને ખપે છે રે, કહે સહિયર તે કોણ હશે?
કોણ જાણે જનમ્યા ક્યારે રે? કહે સહિયર તે કોણ હશે?
એનો આદિ અંત ન આવે રે, કહે સહિયર તે કોણ હશે?
અચરજ સરખું આ ઠામે રે, કહે સહિયર તે કોણ હશે?
સ્વાધ્યાય
૧. બે જોગીમાંથી કયો સ્થિર છે અને કયો દોડે છે?
૨. કવિ એમને જોગી તરીકે કેમ ઓળખાવે છે?
૩. એ જોગીઓ ક્યાં ક્યાં વસે છે તે જણાવો.
૪. તમારા મન પર આકાશ અને કાળની શી અસર થાય છે તે જણાવો.