સાહિત્ય પલ્લવ – ભાગ ૩/માગું જનમોજનમ અવતાર રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. માગું જનમોજનમ અવતાર રે

નરસિંહ

ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે. ભૂતળ૦
હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મોજન્મ અવતાર રે;
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નીરખવા નંદકુમાર રે. ભૂતળ૦
ભરતખંડ ભૂતળમાં જનમી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે;
ધન ધન રે એનાં માતપિતાને, સફલ કરી એણે કાયા રે. ભૂતળ૦
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે. ભૂતળ૦
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે;
કાંઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈંયો ભોગી રે. ભૂતળ૦