સાહિત્ય પલ્લવ – ભાગ ૩/બીજાને મારે શું કરવું?
Jump to navigation
Jump to search
૪. બીજાને મારે શું કરવું?
મીરાંબાઈ
ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું રે.
સુંદર શ્યામ, બીજાને મારે શું કરવું.
નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,
ધ્યાન ધણી તણું ધરીએ રે. બીજું૰
સંસારસાગર મહાજળ ભરિયો રે વા’લા,
તારે ભરોસે અમે તરીએ. બીજું૰
સાધુજનને ભોજન જમાડીએ વા’લા,
જૂઠું વધે તે અમે જમીએ રે. બીજું૰
વૃંદા તે વનમાં રાસ રચ્યોરે વા’લા,
રાસમંડળમાં તો અમે રમીએ રે. બીજું૰
હીર ને ચીર મને કામ ન આવે, વા’લા,
ભગવાં પહેરીને અમે ભમીએ રે. બીજું૰
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળમાં ચિત્ત ધરીએ રે. બીજું૰
સ્વાધ્યાય
૧. પહેલા ગીતમાં મીરાં જે વેદના ગાય છે તેનું વર્ણન કરો. ‘આંબલિયાની ડાળ’ તે કઈ?
૨. ‘અબોલા’ની ભાવના સમજાવો. જાણીતી બીજી કૃતિઓ જોડે તે સરખાવો.
૩. ત્રીજા ને ચોથા ગીતમાં જે ચિત્રો પ્રત્યક્ષ થતાં હોય તે સમજાવો.