સિગ્નેચર પોયમ્સ/જીવી શકું હું કેમ – મનહર મોદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જીવી શકું હું કેમ

મનહર મોદી


જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?
પાંપણ કદી ય રહી શકે મટકું ભર્યા વગર?

ચાલ્યાં મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો;
ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર.

હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ;
આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર.

ડૂબી ગયો તો આપનું સાંનિધ્ય સાંપડ્યું;
પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર,

મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે;
પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.

દર્શન નયનનાં પામવા દૃષ્ટિ થવું પડે;
ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર.