સોરઠી સંતવાણી/ઓળખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઓળખો

ગુરુ! તારો પાર ન પાયો
એ જી! તારો પાર ન પાયો
પૃથવીના માલિક! તારો જી–હો–જી.
હાં રે હાં! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી–હો–જી.
એજી! સમરું શારદા માત
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી
એ જી, થંભ વિણ આભ ઠેરાયો
એ વારી! વારી! વારી! —
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.
એ જી! માખણ વિરલે પાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીએ ઓળખો જી–હો–જી.
હાં રે હાં! સુન રે શિખર પર અલખ અખેડા જી–હો–જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.

[દેવાયત]

અર્થ : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી. પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો. એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે. ગગન-મંડળમાં એક ગાય વિયાણી છે, પણ તેનાં માખણ તો વિરલા જનો જ પામ્યા છે. શૂન્ય-શિખર પર અલખનો અખાડો છે. ત્યાંથી સવાયાં નૂર તેજ વરસે છે. ગગનમંડળમાં બે બાળકો ખેલે છે, એનાં રૂપ સવાયાં છે. શિવજીના ચેલા દેવાયત પંડિત આ વાણી બોલ્યા છે. સાધુસંતોની તરણ-નૌકા ક્ષેમકુશળ રહેજો.