સોરઠી સંતવાણી/પ્રપંચત્યાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રપંચત્યાગ

અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને
ન રે’વું ભેદવાદીની સાથ રે,
કાયમ રે’વું એકાંતમાં ને
માથે સતગુરુજીનો હાથ રે
ભાઈ રે તીરથ વર્ત પછી કરવાં નહીં ને
ન કરવાં સતગુરુનાં કર્મ રે,
એવી રે ખટપટ છોડી દેવી ને
જ્યારે જણાય માયલો મર્મ રે. — અભિયાસ.
ભાઈ રે હરિમય જ્યારે જગત જાણ્યું ને
ત્યારે પરપંચથી રહેવું દૂર રે,
મોહ સઘળો પછી છોડી દેવો ને
હરિ ભાળવા ભરપૂર રે. — અભિયાસ.
ભાઈ રે મેળો મંડપ કરવાં નહીં ને
ઈ છે અધૂરિયાંના કામ રે
ગંગાસતી એમ બોલિયાં ને
ભાળવા હોય પરિપૂરણ રામ રે. — અભિયાસ.

[ગંગાસતી]