સોરઠી સંતવાણી/સંદેશો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંદેશો

કે’જો સંદેશો ઓધા કાનને રે
તમે છો માયલા ઓધાર રે. — કે’જો.
રત્યું પાલટીયું વન કોળિયાં રે
બોલે બાપૈયા ઝીણા મોર રે
પિયુ! પિયુ! શબદ સુણાવતાં
હૈયું રિયલ નૈ મારું ઠોર રે. — કે’જો.
આપે કાળા ને વળી કૂબજા રે
જોતાં મળી છે એને જોડ રે
તાળી દૈને તરછોડિયાં રે
તુંને ઘટે નૈ રણછોડ રે. — કે’જો.
આવું જો જાણું તો જાવા દેત નૈ
રાખત ગોકળિયા મોજાર રે,
મુવલને નવ મારીએં રે
મોહન મનથી વિચાર રે. — કે’જો.
એટલી અરજ વ્રજ-નારની
વાંચીને કરજો વિચાર રે,
દરશન દેજો દેજો દેવીદાસને
હરિવર રે’જો પાસ રે. — કે’જો.

[દેવીદાસ]