સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/રોઈદાસનો ચર્મ-કુંડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રોઈદાસનો ચર્મ-કુંડ

સરસાઈ ગામ દીઠું હતું : પ્રિવિયસ ક્લાસમાં ભણતો હતો ત્યારે. પણ ત્યારે તો મન ઉપર શાકુંતલ, મેઘદૂત અને સ્કૉટ તથા મેથ્યુ આર્નલ્ડનાં જ ગાઢાં ધુમ્મસ છવાયાં હતાં. બહુ બહુ તો નરસૈ-મીરાંનાં નામો જાણ્યાં હતાં. જાણીને આખા ભક્તિપ્રવાહ પ્રત્યે અણગમો સેવતો હતો. સંત રોઈદાસનો ચર્મ-કુંડ જોવા જવાની વૃત્તિ જ શાની થાય? આજે તો રોઈદાસનો નામ-શબ્દ મંત્ર જેવો લાગે છે. ઉત્તર હિન્દનો આ ચમાર સંત સોરઠ ધરામાં ક્યારે ઊતરી પડ્યો હશે! કદાચ દ્વારકા વગેરેની તીર્થયાત્રાએ નીકળ્યો હશે. એક ગીરગામડે બેસી ગયો હશે. પણ સરસાઈમાં શું એ ચમાર-કામ કરતો હતો? જે કુંડમાં એને ગંગા-મિલન થયું તે શું આ જ કુંડ? ખબર નથી. ઊંડા ઊતરવાની જરૂર પણ શી છે? મહત્ત્વની વાત તો એ ચમાર સંતે સોરઠમાં અંકિત કરેલ સંસ્કારની છે. એ સંસ્કાર કયો? ભેદની, જડ રૂઢિની ભીંતો ભેદવાનો.