સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સોરઠી જુવાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોરઠી જુવાન

બીજું જોવાનું રહી ગયું દોણ-ગઢડાનું વંકું ગીરબિન્દુ. ત્યાં મારે પાંડવ જુગના કહેવાતા દ્રોણેશ્વર મહાદેવને જોવા નહોતું જવું. પણ સોમૈયા મહાદેવની મૂર્તિને તૂટતી અટકાવવા નીકળેલા એક મધ્યયુગી જુવાનનું લગ્નસ્થાન જોવા જવું હતું. એ જુવાનનું નામ હમીરજી ગોહિલ. વાર્તા તો એની મશહૂર છે. સોમનાથ પર ત્રીજી વાર ઇસ્લામને ચઢી આવતો સોરઠે સાંભળ્યો, ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રના ક્ષત્રિયોનું એક પંખીડું ય ફફડ્યું નહીં. “ધિક્કાર છે રાજપૂતોને!” જુવાન હમીરજી, લાઠી પાસેના એક કાળના અરઠીલા ગામમાં, પોતાને ઘેરે બેઠો બેઠો ઊકળી ઊઠ્યો : “છતે રાજપૂતે હિન્દવાણાનું નાક કપાશે.” મોટા બે ભાઈઓ પરદેશી સૂબાઓની ચાકરીમાં ગયા હતા. ભોજાઈ ઘેરે હતી. ભોજાઈએ બાળ દિયરને ટોણો માર્યો : “તમે ય રાજપૂત છો ને? કાં નથી જતા?” એવા મેણાએ એ નમૂછિયા સોરઠી બાળને સોમનાથની દિશા પકડાવી. લડવૈયો બનીને નહીં, વ્રતધારી બનીને હમીરજી ચાલ્યો. જીવતા પાછા આવી શકાશે નહીં : મરવું જ છે : જીવતે કે મુવે, મસ્તક સોમૈયાજીને ચડાવવું છે : ભોજાઈ, તારી કૃપા છે, કે તેં મને સ્વધર્મ સુઝાડ્યો.