સ્વરૂપસન્નિધાન/ફાગુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ફાગુ
(૧)

મધ્યકાલીન સાહિત્યસ્વરૂપો વિષયે આપણે ત્યાં જે કાંઈ કામ થયું છે તે તત્કાલીન સમયે પ્રાપ્ત સંદર્ભોને આધારે થયું છે. એ સમયે પ્રાપ્ત સંદર્ભસામગ્રી પછી વિશેષ સંદર્ભસામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ હોય તો એને આમેજ કરીને પુનર્વિચારણા થવી જોઈએ, એ થઈ નથી. પરિણામે આજથી પચીસ-ત્રીસ વર્ષ પૂર્વેના ચિત્રને આધારે થયેલી સ્વરૂપવિચારણા આજ સુધી પ્રવર્તમાન છે. તેમાં ઉમેરણ-સંમાર્જન થવાં જોઈએ. બીજું, આ સ્વરૂપવિચારણાનો આપણી સમીપવર્તી-ભગિની ભાષાઓના સંદર્ભે પણ વિચાર થયો નથી. એનો પ્રાચીન પરંપરાના સંદર્ભમાં પણ વિચાર થયો નથી. તેથી આજ સુધીમાં થયેલી સ્વરૂપવિચારણા કંઈક એકાંગી અને અધૂરી લાગે છે. ત્રીજું, આ સ્વરૂપવિચારણામાં નજર સામે માત્ર સાહિત્યકૃતિને રાખવામાં આવી છે. એની સાહિત્યિકતાનો યા કલાત્મક પાસાંનો જ વિચાર કરીને ચર્ચા કરી, લક્ષણો તારવ્યાં હોઈ, સ્વરૂપવિચારણામાં અન્ય આવશ્યક સંદર્ભો ભળ્યા નથી. મધ્યકાલીન કૃતિને અર્વાચીન તોલન દૃષ્ટિબિંદુથી કે અર્વાચીન સાહિત્યિક વિભાવનાથી તપાસવી-ચકાસવી એ અપૂરતું, અધૂરું અને એકાંગી દૃષ્ટિબિંદુ ગણાય. મધ્યકાલીન સાહિત્યસંદર્ભથી અનભિજ્ઞ રહીને માત્ર એ કૃતિની કે કૃતિના સ્વરૂપની ચર્ચાથી કૃતિના ખરા મર્મનો પરિચય ન થાય, એ સ્વાભાવિક છે.

(૨)
સઘળું મધ્યકાલીન સાહિત્ય એક રીતે પ્રયોજ્ય કળાસ્વરૂપ હતું. ‘એપ્લાઈડ આર્ટ’ તરીકેની એની મહત્તા જીવનસંદર્ભ સાથે જોડાયેલી હતી. એટલું એનું પ્રસ્તુતીકરણ –પર્‌ફોર્મન્સ– કોઈ ને કોઈ રૂપે ક્રિયાકાંડ (રિચ્યુઅલ) સાથે સંકળાયેલું હતું. એ વિધિવિધાનોના સંદર્ભને સમજીને જ, એના પરિપ્રેક્ષ્યમાં, કૃતિની કે એના સ્વરૂપની ચર્ચા થવી જોઈએ.

આજે જ્યારે આખો જીવન-અભિગમ બદલાઈ ગયો છે, સંદર્ભોમાં પલટા આવી ગયા છે, ત્યારે મધ્યકાલીન સંદર્ભને કઈ રીતે પુનર્જીવિત કરી શકાય, એની ચર્વણા શક્ય બને ખરી? પાદર, પાણિયારાં, એકાદશીનાં જાગરણ, કે ઉત્સવ-ઉજવણીના સંદર્ભો નવી પેઢી પાસે નથી. શહેરને કોઈ નિશ્ચિત પાદર રહ્યું નથી. પાણિયારાનો અર્થસંદર્ભ એમની પાસે નથી. જાગરણનો સંદર્ભ પટલાઈ ગયો હોય ત્યાં કંઠસ્થ પરંપરાનાં ધૉળ-કીર્તનો, ગરબી કે પદોની વાત તેમની પાસે કઈ રીતે પહોંચાડવી? હોળીના ઘેરૈયા જ અદૃશ્ય થઈ ગયા હોય, ત્યાં ફાગની-ફાગુની વાત કેવી રીતે મૂકવી? આ એક મોટો પ્રશ્ન પણ આજના અભ્યાસીઓ સમક્ષ છે. ટેક્નોલોજીના વિકાસને આપણે આપણાં અભ્યાસ-સ્વાધ્યાયમાં ક્યાં ખપમાં લઈએ છીએ? કોલેજોને યુ.જી.સી.એ ટી.વી. સેટ માટે ગ્રાન્ટ્સ આપી, પણ આપણે પરંપરિત રૂપની જીવનશૈલીની કેસેટ્સ તૈયાર નથી કરી શક્યા કે જેને આધારે ભાવિ પેઢીને આપણે પ્રાચીન સંદર્ભો -મધ્યકાલીન પરંપરાનાં ખરાં ઉદાહરણરૂપ દૃશ્યો- ઉપલબ્ધ કરાવી શકીએ.

(૩)
મૂળભૂત પ્રશ્ન મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોથી આજની પેઢીને અભિજ્ઞ કરાવવાનો છે. મારો ઉપક્રમ આજ સુધીની મુદ્રિત રૂપે પ્રાપ્ત ૨ચનાઓને આધારે ફાગુ સ્વરૂપની તાસીર પ્રસ્તુત કરવાનો છે.

ફાગુ એટલે, તમે સૌ જાણો છો એમ, વસંતવર્ણનની રચના, મધ્યકાલીન સાહિત્યની શૃંગારભાવની રચના. આ શબ્દનો વ્રજ, રાજસ્થાની, ગુજરાતીમાં સમાન અર્થ પ્રચલિત છે. વ્રજ, શ્રીમાળ, ભિન્નમાળના ભાગવાળા માળવા-મેવાડ અને ગુજરાતમાં ‘ફગુવા’ શબ્દ ફાગણમાં ઉપભોગ માટેની સામગ્રીના અર્થમાં પ્રચલિત છે. ફાગણમાં હોળીનો ઉત્સવ મહત્ત્વનો પ્રસંગ ગણાય છે. વ્રજ, રાજસ્થાન અને ગુજરાતમાં એનો વિશેષરૂપે મહિમા પણ છે. હોળીની પૂર્વસંધ્યાએ રતિક્રીડા, ભોગ વગેરેને સ્પર્શતાં શૃંગારભાવનાં જોડકણાં જેવાં પદ્યો ખુલ્લામાં જાહેરમાં ગાવાની એક પરંપરા હતી. આ સ્થળ પ્રકારના સંદર્ભ જરા બદલાઈને શિષ્ટરૂપે વસંત-કવિતા તરીકે શૃંગાર ભાવની વસંત ઋતુ માટેની રચના તરીકે પ્રચલિત બન્યો અને એક પ્રકારના સીમિત જૂથમાં એનો પ્રચાર થયો. સમૂહમાંથી જૂથમાં સમાવિષ્ટ પામીને એ ફાગુ નામની સંજ્ઞા તરીકે વિશેષ પ્રચાર પામી. તેમાં પેલી સ્થૂળતા ઓસરી ગઈ પણ ભાવનું પ્રાધાન્ય તો યથાવત રહ્યું. ફાગુનો સમગ્ર સમાજ પર ભારે પ્રભાવ પણ રહ્યો. આથી બોધ ઉપદેશ આપવા ઈચ્છતા કવિઓએ પણ એ સ્વરૂપનો આશ્રય લઈને જનસમુદાય સુધી પહોંચવા માટે ફાગુ સ્વરૂપને ખપમાં લીધું, જૈનમુનિ સોમસુંદરસૂરિકૃત ‘રંગસાગરનેમિફાગ’ના સંપાદક મુનિ ધર્મવિજય સૂચન કરે છે કે લોકોમાંથી અસભ્ય (બેફામ) વાણી દૂર કરાવવા કચ્છ-કાઠિયાવાડ-મારવાડ-મેવાડમાં વિહાર કરનાર મુનિએ સુંદર અને રસિક નેમિફાગુની રચના કરી જણાય છે. પ્રચલિત દેશી સંગીતને આવું ધાર્મિક સ્વરૂપ આપ્યાનાં અનેક દૃષ્ટાંતો છે.

(૪)

ફાગુ સંજ્ઞાવાળી કાવ્યરચનાઓ જૈન-જૈનેતર એમ બંને પ્રવાહમાં ઉપલબ્ધ છે. બંને ધારામાં સ્વીકૃત બનેલ હોય એવાં સ્વરૂપો બહુ ઓછાં છે. જે તે ધારાનો આગવો પાસ લાગવાને કારણે જે સ્વરૂપ જે તે ધારામાં અનોખી મુદ્રા ધારણ કરે છે. આખ્યાન અને રાસ એનાં ઉદાહરણો છે. ફાગુ સ્વરૂપ બંને ધારામાં સમાન સંધર્મે પ્રયોજાતું રહ્યું. બોધ-ઉપદેશની માત્રા જૈન ફાગુમાં સવિશેષ. જ્યારે બોધ-ઉપદેશને બદલે શૃંગાર રસભાવની નિષ્પત્તિ જૈનેતર ફાગુમાં સવિશેષ. એવી એક ભેદરેખા આંકી શકાય તેમ છે. ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ નોંધ્યું છે તેમ ‘જૈન અને જૈનેતર ફાગ’નાં કાવ્યોમાં કેટલીક ભિન્નતા છે, છતાં એ બંને સંપ્રદાયનાં ફાગુકાવ્યોમાં અમુક અંશે સમાનતા પણ હતી. ફાગ અથવા ફાગુમાં શૃંગારરસના ઉદ્દીપન વિભાવ તરીકે વસંતઋતુનો ઉપયોગ થયો હોય છે. એ કાવ્યોમાં વસંતમાં, વિશેષ કરીને ફાગણમાં, ફાગ રમવાના, હોળી ખેલવાના, રંગ છાંટવાના ઉલ્લેખો આવે છે. આ વર્ણનો, નેમિનાથ-રાીમતી, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી વગેરે પૌરાણિક પાત્રોને અનુલક્ષીને હોય છે. [ડૉ. ચંદ્રકાન્ત મહેતા, મધ્યકાળના સાહિત્ય પ્રકારો (પૃષ્ઠ-૧૦૧)]

(૫)

ફાગુ સ્વરૂપ આછું-પાંખું કથાનક ધરાવે છે, તેમ છતાં, એનો અનુબંધ રાસ, આખ્યાન કે પદ્યાત્મક લોકવાર્તા સાથે નથી. એ કથામૂલક સાહિત્યસ્વરૂપના ગોત્રમાં બંધ બેસે તેમ નથી: ફાગુનો અનુબંધ આછા-પાંખા કથાનક ધરાવતા બારમાસી કાવ્યસ્વરૂપ સાથે સવિશેષ છે. બારમાસીમાં ઋતુવૈવિધ્ય આખરે વિરહને લક્ષે છે. જ્યારે અહીં શૃંગારને. ઋતુવૈવિધ્ય ફાગુમાં નથી, બારમાસીમાં છે. વિરહમાં શૃંગારનું, પ્રિય પાત્ર સાથેની શૃંગારચેષ્ટાઓનું આલેખન બારમાસીમાં દૃષ્ટિગોચર થાય છે. એ ઉપરાંત, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ભાવબોધ પણ બારમાસીમાં કેન્દ્રસ્થાને હોય છે; જ્યારે ફાગુ તો જીવનરસના ઉલ્લાસના શૃંગાર પ્રસંગોના સંભારણારૂપે અભિવ્યક્તિ પામતું સ્વરૂપ છે. શૃંગારભાવ અને એને પોષક વાતાવરણનું નિર્માણ ફાગુની આગવી-અનોખી મુદ્રા છે. શૃંગારભાવને પોષક આછું-પાંખું કથાનક બારમાસી તેમજ ફાગુ બંનેમાં હોઈને કોઈ પાત્રો અને એમના જીવનના પ્રસંગોને આધારે શૃંગારનું આલેખન થતું હોય છે. જૈનમાં આ માટે સ્થૂલિભદ્ર-કોશા તથા નેમિનાથ અને રાજુલનાં પાત્ર છે, જ્યારે જૈનેતરમાં કૃષ્ણનું ચરિત્ર છે. અન્ય ચરિત્રોનું આલેખન પણ બંને ધારામાં જોવા મળે છે. પરંતુ પ્રધાનતયા આ ચરિત્રો વિશેષ સ્થાન પામ્યાં છે. આમ, ફાગુ વિષયસામગ્રી (સબ્જેક્ટ મેટર) અને નિરૂપણરીતિ (મોડ ઓફ પ્રેઝન્ટેશન) એમ બંને બાબતમાં બારમાસીથી અલગ તરી આવતું કાવ્યસ્વરૂપ છે.

(૬)

ફાગુ સંજ્ઞાવાળી કૃતિઓને જ ફાગુ ગણવી? કે જેને ફાગુ સંજ્ઞા અપાઈ હોય તેવી વસંતઋતુવિષયક કૃતિઓને પણ ફાગુ ગણવી? આ એક પ્રશ્ન આખી પરંપરામાંથી પસાર થતાં ઉદ્ભવ્યો. ઉપર્યુકત નિર્દિષ્ટ ભાવવાળી એવી ઘણી કૃતિઓ રચાઈ છે, જેને ફાગુ સંજ્ઞા ન અપાઈ હોય પરંતુ હકીકતે એ ફાગુ સ્વરૂપની જ રચના હોય. પણ ફાગુ સ્વરૂપનો જરા ઊંડાણથી વિચાર કરતાં ભાવબોધની આખી પરંપરાને અવલોકતાં લાગે છે કે ફાગુ પ્રકારની રચનાઓની બે પરંપરા છે એક તો સળંગબંધની કે જેમાં આરંભથી અંત સુધી સળંગ રીતે કથા-વર્ણન-પ્રવાહ ચાલતો હોય. જો કે ભાસ, ભાષા, ગીત એવાં વિભાજિત આ સળંગ બંધની ફાગુ રચનાઓમાંય દૃષ્ટિગોચર થતાં હોય છે. ઘણી બધી જૈન-જૈનેતર ફાગુ સંજ્ઞાવાળી રચનાઓને આ સળંગબંધની ફાગુ રચનાઓમાં સમાવિષ્ટ કરી શકાય. પરંતુ બીજો પ્રકાર તે પદબંધનો છે, જેમાં એકાદ પ્રસંગની ઘટનાને એક પદમાં અભિવ્યક્તિ મળી હોય, અને બીજા પદમાં નવી પ્રસંગઘટના નિરૂપાઈ હોય. આમ, પદમાળા પ્રકારની ફાગુ રચનાઓનો પણ ફાગુ સ્વરૂપમાં જ સમાવેશ કરીને એમનો વિચાર કરવો જોઈએ. નરસિંહ, રઘુનાથ કે દયારામની કેટલીક રચનાઓ આવા પદબંધ પ્રકારની હોય છે. વિષયસામગ્રી શૃંગાર, વસંતક્રીડા ભાવને લક્ષતી હોય છે, પરંતુ પાત્રનિરૂપણરીતિ જુદી છે. પણ હકીકતે ફાગુ સ્વરૂપની સાથે જ આ બંને પ્રકારની રચનાઓનો અભ્યાસ થવો જોઈએ, એમ મને લાગે છે.

(૭)
ફાગ રચના ગેય સ્વરૂપની છે. રાગ, ગાન, નાચ, અભિનયની સાથે એ ખેલાય છે, રમાય છે, સમૂહમાં ઝિલાય છે. આમ, એ ‘કોમ્બીનેટિવ' અને ‘કોલાબરેટિવ' કલા છે. ચોક્કસ પ્રકારના સ્થળે, ચોક્કસ સમયે, સમૂહમાં એકત્ર થઈને એની રજૂઆત થતી હોય એવા સંકેતો કૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે. વનવિસ્તારમાં પ્રેમીજનોનું મિલન, હિંડોળા-ખાટ, પુષ્પની સુગંધ, તલાવડી-સરોવરોની પાળે પાણી છાંટતાં ખેલતાં પ્રેમીઓનાં સુંદર ચિત્રો આ ફાગુ રચનાઓમાં આલેખાયેલાં જોવા મળે છે. વસંતમાં મહોરેલી મંજરી, આંબાવાડિયા, વનરાજી, ફૂલવાડી, પિતળિયા પલાણવાળા ઘોડા, રોઝી ઘોડી, સાંઢણી, એના અસવારો વચ્ચે ખેલાતાં–ખેલાતાં ગવાતા ફાગ, આમ જીવનઉલ્લાસના ઊર્મિગીત સમાન આ નાટ્યાંશ જેવો લઘુકાવ્ય પ્રકાર ભારતીય શિલ્પ અને ચિત્રમાં ચિરંજીવ રૂપે આજે પણ પ્રાપ્ત થાય છે. ફાગ સ્વરૂપની રચના, આમ, ભારતીય શિલ્પ અને ચિત્રનું પણ એક ઊજળું પ્રકરણ છે. નેમિ-રાજુલની વરઘોડાયાત્રાથી સ્થૂલિભદ્રને ભિક્ષા આપતી કોશા, કૃષ્ણરાધાનાં હોળી ખેલતાં ચિત્રો, રંગની પિચકારી ઉડાડતાં નર-નારીની ઉલ્લાસ-મસ્તીની પ્રસન્ન ક્ષણો વગેરે નિરૂપતાં ફાગુ જીવન સાથેના જીવંત અનુબંધનું ઉદાહરણ પૂરું પાડે છે.
(૮)

કોઈપણ સ્વરૂપની કૃતિ એક નિશ્ચિત સ્વવર્તુળમાં પુરાઈ રહેતી નથી. એવી સ્થગિતતા સાહિત્યની ઘાતક છે. પ્રત્યેક કૃતિ હકીકતે સ્વરૂપની શક્યતા અને ક્ષિતિજને વિસ્તારનારી હોય છે. કાવ્યસ્વરૂપ આ પ્રકારની કૃતિઓને કારણે સમૃદ્ધ થઈને ખરા અર્થમાં વિકસતું હોય છે. એનો વિકાસ માત્ર ઐતિહાસિક સમયના પરિપ્રેક્ષ્યમાં આપવાનો–દર્શાવવાનો ન હોય. કલાસ્વરૂપ તરીકે સ્વરૂપ કઈ રીતે વિકસ્યું, એની તપાસ તેના વિકાસના સંદર્ભમાં થવી જોઈએ. એ દૃષ્ટિબિંદુથી જોતાં ફાગુનું કાવ્યસ્વરૂપ એ કલાસ્વરૂપ તરીકે ખરા અર્થમાં વિકસ્યું છે અને સર્જકોએ ફાગુ સ્વરૂપની શક્યતાને, ક્ષમતાને તાગી છે અને વિવિધ પ્રકારની કૃતિઓ રચીને ખરા અર્થમાં સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે. આવાં થોડાં ઉદાહરણોને સંદર્ભે ફાગુએ સ્વરૂપ તરીકેની કેવી અનોખી આગવી મુદ્રા ધારણ કરી ને, અવનવાં લક્ષણોથી કલાસ્વરૂપ તરીકે કેવું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું, એ જોઈએ.

(દુહો)
‘ધર્મલાણુ’ મુણિવઈ ભણિસુ, ચિત્રસાલી મંગેવીઃ

રહિયઉ સીહકિસોર જિમ, ઘીરિમ હિયઈ ધરેવી || ૫
ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ, એ મેહ વરસંતિ |
ખલહલ ખલહલ ખલહલ. એ વાહલા વહંતિ ||
ઝબઝબ ઝબઝબ ઝબઝબ, એ વીજુલિયા ઝબકઈ ।
થરથર થરહર થરuર, એ વિરહિણી – મણ કંથઈ ।।૬।।
મહુર – ગંભીર -સણ, મેહ જિમ જિમ ગાજંતે રે
માણમડીફર માણણિય, તિમ તિમ નાચંતે ।। ૭
જિમજિમ જલભર, ભરિય મેહ ગયણંગણિ મિલિયા ।।
તિમ તિમ કામીતણાં નયણ, નિરિહિ ઝલેહલિયા || ૮
મેહા-રવ ભર ઊલટિય, જિમ જિમ નાચઈ મોર ।
તિમતિમ માણિણિ ખલભલઈ. સાહીતા જિમ ચોર ।। ૯
‘અઈ સિંગારુ કરેઈ, વેસ મોટઈ – ઊલટિ ।
રઈયરંગિ બહુગિ, ચંગી ચંદણ-રસ-ઊગણિ
ચંપય કેતકિ જાઈ કુસુમ, સિરિ ખૂંપ ભરેઈ ।
અતિ આછ૩ સુકમાલ, ચીરુ પરિરણિ પહિરેઈ ।। ૧૦
લહલહ લહલહ લહલહ, એ ઉરિ મોતિય હારો ।
રણરણ રણરણ રણરણ, એ પગિ ને ઉર સારો ।।
ઝગમગ ઝગમગ ઝગમગ, એ સનિહિ વર કુંડલ
ઝલહલ ઝલહલ ઝલહલ, એ આભરણહ મંડલ ।। ૧૧
મરયણ-ખગ્ગ જિમ લહલહંત જસુ વેણી-દડો ।
સરલઉ તરલ સામલઉ રોમાવલિ – દંડો ।।
તુંગ પયોહર ઉલ્લસઈ, સિંગાર – થવક્કા ।
કુસુમબાણિ નિયઅમિય-કુંભ, કિરિથાપણિ મુક્કા ।। ૧ર
નવજીવન વિલસંત, દેહ નવનેહ – ગહિલ્લી ।
પરિમલ-લહરિહિ મયમયંત રઈ-કેલિ પદિલ્લી |।
અહરબિંબ પરવાલખંડ વર – ચંપાવન્ની ।
નયણ-સલૂણીય હાવભાવ-બહુ-ગુણ-સંપુન્ની છે. ।। ૧૬
(જિનપદ્મસૂરિકૃત ‘સિરિથૂલિભદ્રફાગ’)

વસંત-ફાગણને બદલે અહીં વર્ષાઋતુ કેન્દ્ર સ્થાને છે. વરસાદના ઝરમર – ઝરમર વરસતા ભીના વાતાવરણમાં વિરહથી થરથર કંપતી નાયિકાને અને એના યૌવનના ભાવોને અહીં ઈન્દ્રિયસંવેદ્ય લયાન્વિત પદાવલિ દ્વારા સુરેખ, સજીવરૂપ મળ્યું છે. એના પઠન દ્વારા જ ભાવનું અનુભાવન થાય છે. બીજા એક નેમિનાથ ફાગુમાં નાયિકાની આંખના વર્ણનથી કંકણના રણકારથી કવિએ જીવંત ચિત્ર ઉપસાવ્યું છે.

 
અહ નિરતીય કજ્જલરેહ નયણિ, મુહ-કમલિ તંબોલો ।
નાગોદર – કંઠલઉ કંઠિ, અનુહાર વિરોલો ।।
મરગદ – જાદર કંચુયઉં, ફુડફુલ્લહં માલા।
કરિ કંકણ મણિવલય-ચૂડ, ખલકાવઈ બાલા ।| ૨૦
(રાજશેખર સૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’)

‘જંબુસ્વામી ફાગ’માં વસંતના વાતાવરણમાં નાયિકાની ચિત્તની અવસ્થિતિને અનુષંગે શૃંગારને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે.

 પંથીય જન-મન-દમણઉ, દમણઉ દેખી અનંગુ
રંગ ધરઈ મન ગઉ મરુઉ પલ્લવ ચંગુ
કામિણિ-મન-તણું-કપક, ચંચક વન બહકંતિ
કામ-વિજય-ધ્વજ જમલીય, કદલીય લહલહકંતિ
પરિમલ કેલિઅ માતીય, જાતીય જિમ વિહસંતિ
મહૂધ્યર તિમતિમ રુણઝુણ, રુણઝુરંકાર કારંતિ,
વનિ સેવંગીય વેઉલ, બેઉ લહઈ બહુમાન
વઉલસિરિ વનિ ખેલઈ, મેલ્ડઈ માનિની માન ૭
વાલી સુરભિ સુઆઉલ આલઉ મયણ-નરિંદ
પાડલ પરિમલ વિકસીય, વિહસીય નય મુચકંદ
જિમ જિમ ઘડિમિ પાચઈ, માચઈ તિમ રિતુરાઉ
રાયણિ ડાલિ લહલહતીય, ફલ સમવાઉ ૮
ફ્લમરિ ભરિય બીજઉરીય, મઉરીય મંજરી ચંગ
નારિગી ફલ અતિ નમતીય. ગમતીય માનિહિ સુરંગ
કુસુમતણિ ભરિ સોહઈ મોહઈ મન જંબીર
કુવલય દલ બહુ વિકસઈ નિવસઈ વનિ કાગવીર ૯
કમલ સરોવર વાસઈ, વાસઈ હંસ ગંભીરું
મયણરાય પહ-રાઉત, રાઉત કિર અતિ ધીરુ,
ફુલ દલ–ભારિ મનોહર, મોહ રચઈ સહકાર
મંજરિ મઉર બહકઈ ટહકઈ કોઈલિ સાર. ૧૦
(અજ્ઞાત કવિકૃત ‘જંબુસ્વામી ફાગ')

જયશેખરકૃત ‘નેમિનાથ ફાગુ’માં નાયિકાનાં ચેષ્ટા-કાર્યનું આલેખન કરીને, કવિએ શંગારભાવનું આલેખન કર્યું છે

‘એક કરઈ રથવાવડિયા, વાડિયા-માંહી વિવેકિ:
કુસુમ વિવાદઈ ચુંટઈ ખૂંટ પલ્લવિ એકિ,
ફલ પુણ તરતર ટોએ, મોડઈ એ તરુવર-ડાલિ
ઉજ્જવલ નિર્મલ સરસીઅ, સરસીય લેવઈ બાલ
બેઉ બંધ બલબ-ઘુર, સિંધુર જિમ વનતીરિ
ખેલઈ વિપુલ ખડોખલી, ઓકલી પાડતી ગીરિ
હરિસીંગા ભરી પાણીય, રાણીય છંટઈ પ્રેમિ
તે હિય વરણિ સનેઉર દેઉર નાગઈ નેમિ’
(જયશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ')

‘નારાયણ ફાગ'માં પીનસ્તના નાયિકાનું આલેખન સૂર્યના રૂપક દ્વારા આકર્ષક બન્યું છે.

 તાર હાર દઈ મુઝ પ્રિય બંધુર,
સિધુર દેહ સમાન રેઃ
પીણ પયોહર નમતી બાલા,
ભલા કરિ તુઝ ગાન રે. પપ
સુરજિ સૂઈ જત્રિ અંધારુ,
તું કુણ દીજઈ દોસ રે?
તિમ તુમ્હ પ્રીતઈ, આસ ન પૂગઈ
તઉ કીજઉ કુણ સોસ રે? ૫૬
(‘નારાયણ ફાગ')

હજુ બીજાં ચારેક જૈનેતર ફાગુનાં ઉદાહરણો દ્વારા ફાગુમાં શૃંગારનું કેવું નિરૂપણ થયું છે, તે જોઈએ.

(રાસઉ)
તતખણિ મિત્ર વસંતહ કારિઉ,

કોમલ વયણિ તે તણિ વારઉ:
તઉ ગહગહિઉ અપાર,
કણયર કૈતક નઈ બીજઉરી,
પાડલ કેસર કરણી મઉરી
તરુણી તિ ગાઈ તાર.

(ફાગ)
ફલભરિ સહકાર લહકંઈ. ટકઈઈ કોયલ વૃંદ

પારધિ પાડલ મહિ મહિયા, ગહિગહિયા મુચ કુંદ.
ચંદન નારંગ કદલીઅ, લવલીઅ કરઈ આનંદ
રમઈ ભમઈ બુહુ ભંગઈ, રંગિઈ મધુકર વૃંદ,
વનિવનિ ગાયન ગાયઈ, વાયઈ મલય સમીર,
હસિમસિ નાચઈ રમણીય, રમણીઅ નવ નવ ચીર,
કિશુક ચંપક ફોફલિ, ફલિઆ તરુવર સાર
મથણ મહીપતિ ગાજઈ, રાજઈ રસ શૃંગાર.

‘દેવરત્ન સૂરિ રાગ’
દઈવ ન સરજી રે પંખડી,
ઉડિ ઉડિ મિલતી રે જાંહિ,
વીસરીયા નવિ વીસરે, જે વસીયા મન માંહિ.'
‘વસંતવિલાસ ફાગ’
રાસ ક્રીડા આંહાં રમતાં, જિમતાં આંણઈ ઠામિ
આંહા અમહે હરિ લીધા કીધા તેહ વિરામિ.
નાચતી ગોપી અહાં કૃષ્ણ ગાતા,
માદલ વંસ મહૂયર વાતા
હરિની રમતિ તે હીઈ આવિ,
અમ્હનઈ વનવયરી કેમ ભાવિ?
મોર ચંમર, ચરમોઈના હાર પરાંતાં કાન્હ,
તે અમ્હે બાંધતાં બહિરખિ, સરખા શોભતા મા‘વ'.
તે ગાઈ, ગોકુલ, તે આહિર, તેહ જ વૃંદાવન યમુના નીર,
ચાંદણી રાતિનઈ કહિ રે બાલી,
સર્વ સૂનું એક કૃષ્ણ ટાલી.’
‘ચતુર્ભજકૃત’ ‘ભ્રમરગીતા ફાગ’
‘અસુખ કરે, દેહ પરજળે, વળે નહી સહી સાન
હા હા હૂંતી હીડતી, જોતી દહદિશ કહાન
પ્રિય-વિરહે સંતાપીય, પાપી પીડે કામ
હજીય ના વિયા જો હરિ, અવરિ ગ્રહી ગઈ ધામ
તે નારી પુણ્યવંતી રે, સતી શિરોમણી જાણ્ય
રાતે રગશૂં કામી રે પામી સારંગ-પાણ્ય
આજ ઉમાપતિ તૂઠા રે, વૂઠાં અમીય મેહ
આજ કલ્પતરુઅર અમતણે, આંગણે ઉગિયો જેહ.
નિશિવશિ કીધો નારીએ, મુરારિ સુંદર શ્યામ
એણિપરિ ફાગણ ખેલી રે, પૂરી હૈયાની હામ
દે આલિંગન અંગના, રંગ નાના વિધ હોય
મળી અછિ મનોહર ટોલીય, હોલીય સુર સહુ જોય,
અભિનવો કૃષ્ણવિલાસ એ. રાસ રમ્યા હરિ જેહ
પ્રેમ ધરીને જે ગાયશે, થાશે નિર્મલ દેહ

(કેશવદાસકૃત 'વસંતવિલાસ ફાગુ')

(ગુ.સા.સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૨૫૪-૨૯૩)

શૃંગારનું અત્યંત હૃદયસ્પર્શી નિરૂપણ તો ‘હરિવિલાસ ફાગ’માં દૃષ્ટિગોચર થાય છે. આંખથી હરણને જીત્યું છે, અધરબિંબ પરવાળા જેવાં રતુંબડાં છે અને એમની ઝાંય શ્વેત દંતરાશિ ઉપર પડે છે. કેવડાની કૂંપળ જેવો વાન છે. આ બધી કલ્પનાઓ શૃંગારની ઉદ્દીપક છે. બીજું એક સુંદર ઉપમાન પણ અહીં પ્રયોજાયું છે. કૃષ્ણભુજંગે રાત્રે ગોપીના અધરોષ્ઠને ડસીને ખંડિત કરેલો છે, એટલે ફણીધર સમાન પોતાના વેણીદંડને દેખીને પોતે ઝબકી ઊઠી છે. અહીં કર્તાની કવિપ્રતિભાનો ઉન્મેષ દેખાય છે.

ચંપાકળીને પહોંચવા જાણે કે અનેક ભમરાઓ કૂદી પડ્યા છે. રોમરાજી નદીની શેવાળ સમાન ને ત્રિવલિ તરંગ સમાન છે. મન્‌મથયુક્ત કામી તેમાં નાહીને સુરતરંગ પામે છે. નવી રુંવાટી ફરફરતી નાભિરૂપી રસાતલમાં કલશમાં રાખેલા અમૃત ચાખવા જાણે કે જાય છે. વર્તુલાકાર તનુકટિ જાણે કે મન્‌મથે દોરેલું તાંત્રિક મંડળ છે. મનિઓનાં મન વશ કરવા માટે જાણે કે કાને ગોપીરૂપી દેહ ધારણ કર્યો છે. પેટના અને કટિપ્રદેશના આવા વર્ણનને અનુષંગે કરેલું ચિત્રણ ફાગની આગવી મુદ્રાનું

 પરિચાયક છે. ઉદાહરણ જોતાં તે તરત સમજાશે
નયણે જીતુલા એણુ રે વેણુ હરાવિઉ કંઠિ ।
કાંચૂ-કસણ કિ તૂટઈ છૂટઈ માનની ગંઠિ ।। ૧૧૫
અધર કિ બિંબ પ્રવાલીય દશનિ સુરંગ ।
નાકિ અમૂલિક મોતીય જોતીય જણઈ કુરંગ ।। ૧૧૬
બાહંદી ઝલક કેઉર નેઉર ઝમકિ પાયા ।
નાચતાં નીરજ-નયણીર્ય શ્યણી ક્ષણઈક થાઈ।। ૧૧૭
ખેલઈ તેવડ-તેવડી કેવડી –ખૂ૫ – સૌ વનિ ।
રીસઈ સવિ સુરપુરવસી ઉરવસી-રૂભ-સમાન ।। ૧૧૮
કીધુ અધર ભુયંગમિ સંગમિનિશિ ડર્સખંડ ।
દેખીય ઝબર્ટી આકર્ષી આફર્ણી વેર્ણીયદંડ ।। ૧૧૯
મૃગમદ-તિલક નિયલી રે માલિ રે માલિ અનંગ ।
આઠમી – કેરુ ચંદ કિ મંદ કિ માંહિ કુરંગ ।। ૧૨૦
નયણિ નિવેર્શીય અંજન અંજન જાણિવિલાસ ।
ર્જીતુશશિહર વચણિ રે ગયણિ રે ગિઉવિણાસિ ।। ૧૨૧
દેખીંય મોર્તીન નાક કિ ગ્નક કરઈ તિલ-કૂલ ।
કાનિ કિ ઝબકિ ઝાલી રે લાલિ નહીં – મૂલ ।। ૧રર
અધર કિ જગગ-વદીતું જીર્તુય બિંબ-પ્રવાલ ।
ઈક વનિ તપ કીર સાયરિ કાયરિ કીધુ કાલ ।। ૧ર૩
કંઠિ સદા વસઈ વાર્ણીય જાણી કુંબ ત્રિરેખ ।
વીણા-વેણુ-નુ જય કર્રીમય-કર્રી કાર્ટીય લેખ ।| ૧૨૪
હર એકાઉલિ ગંગ કિતુંગ કિકુચ નગ-શંગ ।
પામિવા કલીય કિચંપ કિઝંપ કરિ બહુ ભુંગ ।। ૧૨૫
નીલ નદી કિર્રોમાલિય બાર્લીય ત્રિવલિ તુરંગ ।
ઝીલઈ મનમથ-કાર્મીય પાર્મીય રતિ રત રંગ ।। ૧૨૬
નાભિ રસાતલિ પરિહર્રી ફરહરિનવ ર્રોમ-રાઈ ।
કય કલસાર્મીય રાખિવા ચાખિવા ઉરઈ-કિજાઈ ।। ૧૨૭
માંડિઉ મનમથિ મંડલ મંડલ-કટિ-તટ જેહ ।
મુનિ-જન-નાં મનભારીય ધાર્રીય કાર્મી પત્ર ઉક દેહ ।। ૧૨૮
(અજ્ઞાતકૃત 'હરિવિલાસફાગ’, સંપાદક-હરિવલ્લભ ભાયાણી, પૃષ્ઠ ૫૬-૫૯)

ફાગુકાવ્યોનાં ઉદાહરણોને આધારે એમાંની વિષયસામગ્રી અને એમની અભિવ્યક્તિની તરાહનો પરિચય મેળવ્યો. હવે કેટલાંક પદબંધવાળાં ફાગુનાં ઉદાહરણો જોઈએ. પ્રારંભે નરસિંહનું એક ઉદાહરણ જોઈએ__

ચાલ ચાલ સૈયર સહી, મેલ મથવું મહી
વસંત આવ્યે વન વેલ ફૂલો
મહોરી અંબ કદમ કોકિલ લવે વસન્ત
કુસુમ કુસુમ રહ્યો ભ્રમણ છલી
સાર ને હાર આભુષણ સજી ગજગામિની
કહવારની કહું છું ચાલ ઊઠી
રસિક મુખ ચુંબીએ, વળગીને ઝૂંબીએ
આજ તો લાજની દોવાઈ છૂટી
હેતે હરિવશ કરી, નાવલો ઉરધરી,
કરગ્રહી કૃષ્ણજી પાછા કેમ ફરશે,
નરસૈંયાના સ્વામી રંગમાં અંગે ઉદમસ્ત હવે,
કોઈપણ દિવસનો અંગ વળશે.
(મધ્યકાળના સાહિત્યપ્રકારો ચંદ્રકાન્ત મહેતા, પૃષ્ઠ ૧૦૩)

નરસિંહે આવાં વસંતવિષયક તથા હોળી રમવાનાં ૮૦ જેટલાં પદો રચ્યાં છે. પ્રત્યેકમાં વસંતનું કામોદ્દીપક વર્ણન કરી, કૃષ્ણની ગોપી સાથેની ક્રીડા એણે વર્ણવી છે. એમાં કેસર, ગુલાબ, કેસૂડાં વગેરે છાંટવાનો અને રંગે રમવાનો ઉલ્લેખ આવે છે. રઘુનાથદાસે પણ વસંતનાં ત્રીસ પદો લખ્યાં છે, એ પદોમાં હોળીનું રાધાકૃષ્ણ કે ગોપી અને કૃષ્ણની વસંતક્રીડાનું વર્ણન છે. આ કવિનું એક લાક્ષણિક પદ લઈએ

સાખી
‘રત આઈ વસન્તકી, સઘળે લીલા લહેર

રઘુનાથ પ્રભુ રાધિકા, હોળી રમે રંગભેર.

રાગ સામેરી
રંગભેર રમે રે રાધા નાગરી રે,

રંગભેર રમે રે નંદકિશોર
રંગભેર રમે રે ગોવાળીયા રે,
રંગભેર દીસે રે સુન્દર જોડ
રંગભેર વાજે રે મધુરી મોરલી રે,
રંગભેર વાજે રે મૃદંગતાલ
રંગભેર રાજે રે પીચકારીઓ રે.
રંગભેર ઊડે રે અબીલ ગુલાલ
રંગરસાળાં રે એનાં બોલણાં રે,
રંગભેર દીસે છે વૃજનો સાથ
રંગભેર જુવે રે સ્વર્ગના દેવતા રે,
રંગભેર ગાએ જન રઘુનાથ
(મધ્યકાળના સાહિત્યપ્રકારો, પૃ. ૧૮૪)

રઘુનાથનાં અન્ય વસનતનાં પદોમાં એણે સારા પ્રમાણમાં સમકાલીન રંગો પૂર્યા છે. રઘુનાથ કૃષ્ણને અતિ સામાન્ય, ગૌરવવિહીન એવો બનાવી દે છે. એનો કૃષ્ણ પાઘડી પહેરે છે. હોળીના સમયે ઘેરૈયો બનીને નીકળે છે, અને –

ઘેરૈયામાં ગમે તે બોલે, જોઈને ગોપઘેલી થાય લલના
વહુવારૂથી વાટેઘાટે સહેજે નવ નીસરાય લલના.

વળી,

 ભેર વાજે ને બડુવારે નાચે,
નઈણાં મચમચાવે ગોપ લલના
કેડ હલાવે ને બગલ બજાવે
આળ કરી થાય અલોપ.

કૃષ્ણના આ વર્ણનમાં અનૌચિત્ય આવ્યું છે. શૃંગારવર્ણનમાં જે શિષ્ટતા જોઈએ તેનો અહીં અભાવ છે. ગોવાળો પાસે ગ્રામ્ય નિર્લજ્જ વાણી બોલાવવાથી તથા જુગુપ્સાકારક ચાળા કરાવવાથી કાવ્ય વણસ્યું છે. શિવાનંદે રચેલા શંકરવિષયક પદોમાં પણ હોળી-વર્ણન આવે છે. એમાં શિવ અને ગિરજા હોળી ખેલે છે, તેનું વર્ણન છે. આ પ્રકાર એટલો બધો પ્રચલિત હતો કે મન્મથને બાળનાર શંકરને પણ મન્મથને વશ થતા કલ્પ્યા છે. ‘વસન્ત રમવા ચાલ્યા શંભુજી સાથે ગણવી તો ટોળી સહકાર શાળા કોકિલ બોલે, માલતીમધુકર રોળી માનુનીને ઉપદેશ જ કરવા, વળગી તરુ ને વેલી મદનસહિત ઋતુરાજ વચનથી, વરતી સઘળે કેલી, વિરહિણી વનિતાના દુખને જોઈ, રવી દક્ષિણથી ચાલે અંધને હાંકતાં અરુણને વારે, હળવે રાસને ચાલે, ચંગમૃદંગ વીણારસ વાજે, ગાજે જાય ઘનઘોરી, શિવાનંદ પ્રભુ અબીલ ઉડાડે, સ્વામી ગુલાલની ઝોરી.’ શંકરનાં મંદિરોમાં વસન્તોત્સવો ઉજવાતા નથી. હોળી રમાતી નથી, તો પણ અમુક રિવાજ પ્રચલિત હોવાને લીધે, એની લોકપ્રિયતા ને આકર્ષતા ને લીધે. શિવાનંદે શંભુને વસંત રમવા જતા કલ્પ્યા છે. (મધ્યકાળના સાહિત્યપ્રકારો પૃ. ૧૦૫)
નીચેનાં પદમાંથી ગોપીની ઉક્તિથી દયારામકૃત પદ સહજ રીતે વિશેષ સુંદર લાગે છે. એમાંની ઋજુ, કોમળ પદાવલિ એની મોહકતાનું કારણ છે. પદ જોઈએ.

 ‘લોકડિયાં દેખે છે લાલ, આંખોમાં ઊડે ગુલાલ
મુખડાની ખાશને ગાળ, આ તે શું કર્યું?
આડે દહાડે જોર ન ફાવ્યું આજ હોળીનું ટાણું
ઘણાં દિવસની ગુહ્ય રીસની, આ ઉકેલો જાણું.
                                     લાલ.
જે કહેશો તે હાજ હાવાં, નવ માનું તે ચૂકી
ઓરા આવો કહું કાનમાં, મારા સમ દો મૂકી.
                                     લાલ.
શું કહું જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું.
દયા પ્રીતમ મુને કાયર કરીને તોબાખત લખાવ્યું.
                                     લાલ.
અહીં દયારામની ગોપી વિશેષ પ્રગલ્ભ લાગે છે.
(મધ્યકાળના સાહિત્યપ્રકારો પૃષ્ઠ, ૧૭)

આમ જૈન-જૈનેતર સળંગબંધનાં ફાગુકાવ્યો અને પદબંધનાં ફાગુ- કાવ્યોને આધારે તેમની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપનો પરિચય મેળવી શકાય. તદનુસાર: ફાગુ એટલે શૃંગારભાવની હૃદયસ્પર્શી કાવ્યાભિવ્યક્તિ. અહીં ઉદાહરણોમાંથી દૃષ્ટિગોચર થતા અલંકારો ફાગુનું આગવું વૈશિષ્ટ્ય છે. ઉપમા, રૂપક, વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ, અને યમક, યમકસાંકળી ફાગુમાં અનિવાર્યપણે પ્રયોજાય છે. ફાગુ એટલે અલંકૃત પદાવલિથી સભર કાવ્યરચના, એવો એક મુદ્દો આ બધાં ફાગુઓમાંથી પસાર થતાં દૃષ્ટિગોચર થાય છે. દેશીઓમાં પણ ફાગુ રચાયાં છે. દોહરા, ચોપાઈ, રોળાવૃત્ત, સાખીબંધ પણ તેમાં જોવા મળે છે. સંસ્કૃત વૃત્તોનો પણ પ્રયોગ કેટલાંક ફાગુમાં દૃષ્ટિગોચર થાય છે. ક્વચિત્ આ ફાગુ ભાસમાં, ગીતમાં કે ખંડમાં વિભાજિત હોય છે. અન્યથા સળંગબંધમાં જ તેની રચના થયેલી જોવા મળે છે. પદબંધની ફાગુ રચનાઓ પણ આખરે અભિવ્યક્તિની અનોખી તરાહવાળી રચનાઓ તરીકે ફાગુસ્વરૂપ અંતર્ગત આપણા અભ્યાસનો વિષય બનવાં જોઈએ. આમ, ફાગુનું સ્વરૂપ અલંકૃત અને લયાન્વિત પદાવલિથી તેમજ ગેય ઢાળ છંદથી યુક્ત હોય છે. ફાગુ કાવ્ય એક પ્રયોજ્ય-કૃતિ તરીકે ખપમાં લેવાતી હોઈ, એ પ્રકારની એની સંરચના જણાય છે.

(૧૦)

ફાગુસ્વરૂપ સંદર્ભે બીજા પણ એક મુદ્દાને મેં મારા અભ્યાસમાં સામેલ કર્યો છે. આધુનિક સાહિત્યથી પરિષ્કૃત રુચિવાળા અભ્યાસીઓને પણ ફાગુ રચના કેમ સ્પર્શે છે? એમાં નિત્ય નવાં અને સનાતન એવાં કયાં તત્ત્વો છે, જેથી કરીને ફાગ આજે પણ આસ્વાદ અને અભ્યાસનો વિષય બને છે? નેમિ-રાજુલનું કથાનક કે સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક અથવા તો કૃષ્ણ-રાધાનું કથાનક આ ફાગુમાં કેન્દ્રસ્થાને છે. આ પાંખા કથાનકમાંથી અંતે તો ‘ફ્યુટિલિટિ ઓફ હ્યુમન એફર્ટ’નો ભાવ તારસ્વરે પ્રગટતો અનુભવાય છે. આ ભાવની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એટલે ફાગુ રચનાઓ. પ્રસન્નતાના, ઉલ્લાસના વાતાવરણમાંથી અંતે પ્રગટે છે તો એક જુદો જ ભાવ- ઉદાસીનતાનો, વિરક્તિનો. આ કારણે ફાગુમાંથી ભાવબોધ ઉપરાંત સૌંદર્યબોધ પણ શક્ય બને છે. આમ, ફાગુના રચયિતાઓની સર્જક પ્રતિભાને, અભિવ્યક્તિ કૌશલ્યને, વ્યક્ત થવાનો ફાગુમાં પર્યાપ્ત અવકાશ પ્રાપ્ત થયો છે. આ કારણે મને ફાગુ સ્વરૂપની કાવ્યરચના એક અર્થપૂર્ણ, મર્મપૂર્ણ અને હૃદયસ્પર્શી રચના લાગી છે. મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની પરંપરામાં કથાકવિતા અને ઊર્મિકવિતાના ગુણોના વિવેકયુક્ત વિનિયોગવાળી સ્વરૂપરચના તરીકે એ ઉચ્ચ સ્થાન અને માન પામે છે.

સંદર્ભગ્રંથસૂચિ

૧. મધ્યકાળના સાહિત્યપ્રકારો – ડૉ. ચંદ્રકાંત મહેતા ૨. ગુજરાતી સાહિત્યસ્વરૂપો – મંજુલાલ મજમુદાર ૩. પ્રાચીન ફાગુ-સંગ્રહ –ભોગીલાલ સાંડેસરા ૪. ચાર ફાગુ – મોહનભાઈ પટેલ, કનુભાઈ જાની ૫. રાસલીલા – હરિવલ્લભ ભાયાણી ૬. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય – અનંતરાય રાવળ ૭. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ખંડ-૧-ર – સં. ઉમાશંકર જોશી, વગેરે ૮. ગુજરાતી સાહિત્ય કોશ (મધ્યકાળ) – સં. જયંત કોઠારી વગેરે ૯. ભાલણકૃત રામવિવાહ આખ્યાન – બળવંત જાની ૧૦. ભરતેશ્વર બાહુબલિરાસ – બળવંત જાની ૧૧. કૃષ્ણચરિત્રમૂલક બારમાસી – બળવંત જાની ૧ર. બારમાસી ઈન ઈન્ડિયન સિગ્નેચર – શાલૌટે વોદ્દવીલ

= ફાગુ વિશેની અન્ય સામગ્રી =
ઋતુકાવ્ય તરીકે ફાગુ

ફાગ-ફાગુ ‘ફાગ-ફાગુ’ (સં. फल्गु એટલે વસંત પરથી) એ સ્ત્રીપુરુષોના ફાગણ મહિનાના વસંતોત્સવ અને વિહાર વર્ણવતાં કાવ્ય છે. અપભ્રંશમાં એના નમૂના મળતા નથી, પણ સંસ્કૃત ઋતકાવ્યોની પરંપરાનો એનો પ્રથમ નિર્માણ અને સ્વરૂપવિકાસમાં થોડો હિસ્સો હોવાનું કલ્પી શકાય છે. એ છે તો રાસનો જ એક પ્રકાર, પણ વિસ્તારમાં તેથી નાનો છે એથી, તેમજ એનો વિષય નાયક-નાયિકાનો શૃંગાર હોવાથી ઊર્મિતત્ત્વને અને રસાવિષ્કારને એમાં સારો અવકાશ રહેતો. એમાં વસંતઋતુનું પ્રકૃતિસૌન્દર્ય વર્ણવાય છે એ જોતાં તેને એક પ્રકારનું ઋતુકાવ્ય કહી શકાય. વસંતવૈભવને ઉદ્દીપન-વિભાવ બનાવી પ્રેમી યુગલના વિપ્રલંભ અને સંભોગ ઉભય પ્રકારના શૃંગારનું નિરૂપણ તેમાં કવિએ વધુ રસથી કર્યું હોય છે, તેથી તેને શૃંગારકાવ્ય કે પ્રણયકાવ્યનો મધ્યકાલીન પ્રકાર પણ કહી શકીએ. રસિક નાયિકાના સૌન્દર્ય અને શણગારનું મહીં સારું વર્ણન હોય છે. જૈન સાધુઓના હાથે નેમિનાથ ને સ્થુલિભદ્ર પર લખાયેલા ફાગ સ્વાભાવિક રીતે જ આરંભના શૃંગારનું પરિણમન ત્યાગ, સંયમ અને ઉપશમમાં સાધે છે. જૈન સાધુઓએ ઉદ્દીપનવિભાવ તરીકે વસંતઋતનું પણ કડક બંધન રાખ્યું નથી. કેશવલાલ ધ્રુવે કહ્યું છે તેમ ‘મૂળે વસંતઋતુના શૃંગારાત્મક ફાગુનો જૈન મુનિઓએ ગમે તે ઋતુને સ્વીકારી ઉપશમના બોધ પરત્વે વિનિયોગ કરેલો જોવામાં આવે છે.’ ‘સિરિથૂલિભદ્ર ફાગુ’માં કવિએ વર્ષાઋતુનો સમય રાખ્યો છે તે આનું એક ઉદાહરણ છે. ફાગુ જૈનેતર કવિઓએ પણ લખ્યાં છે. એમાં શ્રીકૃષ્ણ અને તેમનાં પટરાણી અથવા ગોપીઓનો વસંતવિહાર આલેખાયો હોય છે (જેમ કે નયર્ષિના (?) ‘ફાગુ’માં અને ૧૭મા શતકના સોનીરામના વસંતવિલાસમાં), અને ક્યારેક (જેમ ‘વસંતવિલાસ’માં) રસિક સંસારી નાયક-નાયિકાઓનો. શ્રીકૃષ્ણવિષયક ફાગુઓના રસને ભક્તિરસ કહીએ, પણ ‘વસંતવિલાસ'ના મુખ્ય રસને શૃંગાર ગણવો પડશે. જૈન-જૈનતર ધાર્મિક ફાગુઓ મધ્યકાળના કવિજન સાહિત્યની રસાત્મકતાનો વિનિયોગ ધર્માર્થે કેવો કરી જાણતા તે બતાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન ફાગુઓની સંખ્યા જૈનેતર ફાગુઓની સંખ્યા કરતાં મોટી છે. અનંતરાય રાવળ ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન) પૃ. ૩૩-૩૪

ફાગુની વિષય-સામગ્રી

જૈનેતર ફાગુ કે ફાગુપ્રકારની રચનાઓ તો મુખ્યત્વે ‘કૃષ્ણ’ને કેન્દ્રમાં રાખીને જ મોટે ભાગે રચાયેલી છે. જ્યારે ફાગુમાં રાસની જેમ ધાર્મિક પુરુષની વિરક્તિના ઉપલક્ષ્યમાં વિરક્તિને નાયિકા ગણી અથવા નાયિકાની અવગણના કરી, વિરક્તિમાં પરિણમતો અંત આપી વસંતઋતુના એકાદ અપવાદ, સુમધુર વર્ણન સાંકળી લેવામાં આવ્યાં છે. વસંતઋતુ સાથે શૃંગારરસનો ગાઢ સંબંધ છે તેથી ‘રતિ’ એ ફાગુઓનો સ્થાયી ભાવ બની રહ્યો હોય છે. એની સાથે ઉદ્દીપક સામગ્રી તરીકે વનની ખીલી ઊઠેલી વનરાજિ, બહેક બહેક મારતાં અને અવનવા રંગ ધરાવતાં ફલ, કોયલના ટહુકારા, ભમરાઓનું ગુંજન, શીતલમંદ સુવાસિત મલયાનિલ કેળના માંડવા, લતાકુંજો, દોલાગૃહો, કમલાદિથી શોભી ઊઠેલાં સરોવર, ઝરણાં, જલક્રીડા, પરસ્પર રંગખેલ, ચંદનાદિ સવાસિત પદાર્થોના આલંબનવિભાવમાં એકમેકમાં અનુરાગવાળાં નાયકો-નાયિકાઓ. સામાન્ય રીતે આવી સામગ્રીથી ફાગુ રમણીય બની રહે ‘ગીતગોવિદ’માં આમાંની કેટલીયે સામગ્રી અને પરિસ્થિતિનો અનુભવ સહજ છે. જૈન કવિઓના નિર્વેદાંત ફાગુઓમાં પણ આવું ઘણુંખરું આવવાનું જ. પછી ‘ફાગુ’ મથાળે એવું પણ બન્યું છે કે આમાંનું કશું પણ ન હોય, પણ એ તો માત્ર અપવાદરૂપ જ રચનાઓ છે. ‘ફાગુ’ ‘રાસ’ની માફક રમાતા હતા-ગવાતા હતા. ઉપરાંતમાં એના છંદોના બંધનમાં પણ કેટલુંક વૈવિધ્ય એની વિકાસભૂમિકામાં સધાયું હતું. – કે. કા. શાસ્ત્રી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રન્થ-૧.

ફાગુબંધ

અમુક વિશિષ્ટ છંદોરચનાને કારણે જ કેટલીક વાર અમુક કૃતિઓને ‘ફાગુ’ ‘ફાગ’ નામ અપાયું છે. સાહિત્યના બીજા પ્રકારોની જેમ કાગનું બાહ્ય સ્વરૂપ પણ અમુક ચોક્કસ પ્રકારનું છે. જિનપદ્મસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગુ’ અને રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ' જેવાં સૌથી જૂનાં ફાગુકાવ્યોમાં એક કડી દુહાની અને એક અથવા વધારે કડી રોળાની એ પ્રકારની સંખ્યાબંધ ‘ભાસ'નો કાવ્યબંધ બનેલો છે. જયસિંહસૂરિનો પહેલો ‘નેમિનાથ ફાગુ’ (સં. ૧૪૨૨ આસપાસ), પ્રસન્નચંદ્રસૂરિકૃત ‘રાવણિ પાર્શ્વનાથ ફાગુ (સં. ૧૪૨૨ આસપાસ), જયશેખરસૂરિકૃત દ્વિતીય નેમિનાથ ફાગુ (સં. ૧૪૬૦ આસપાસ), ‘પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ', 'ભરતેશ્વર ચક્રવર્તી ફાગ, ‘કીર્તિરત્નસૂરિ ફાગ’ આદિ પ્રમાણમાં જૂના ફાગુઓનો પદ્યબંધ પણ આ પ્રકારનો છે. રોળા જેવો વેગથી પાઠ કરવા યોગ્ય છંદ ફાગુ જેવા મૂળે ગેય રૂપકને મળતા પ્રકારમાં યોગ્ય છે. એમાં પ્રત્યેક ભાસને આરંભે આવતો દુહો, ગરબામાં વચ્ચે વચ્ચે આવતી સાખીની જેમ, એક પ્રકારનો વિરામ આપે છે. પરંતુ ‘વસંતવિલાસ' જેવા સુપ્રસિદ્ધ ફાગુના પરિચયને કારણે સાધારણ સાહિત્યરસિકને મન આંતરપ્રાસ કે આંતરયમકવાળો દુહો ફાગુકાવ્યનું વિશિષ્ટ લક્ષણ છે. અત્યાર સુધી મળેલાં ફાગુઓમાં જયસિંહસૂરિનો બીજો ‘નેમિનાથ ફાગુ’ (સં ૧૪૨૨ આસપાસ) એ આંતરયમવાળા દુહામાં રચાયેલા ફાગુનું જૂનામાં જૂનું ઉદાહરણ છે. જોકે જયસિંહસૂરિની આ રચના તથા ઉપર કહ્યા તે જિનપદ્મ અને રાજશેખરનાં જૂનાં ફાગુઓ વચ્ચે સમયનું અંતર એટલું ઓછું છે કે ‘ભાસ’વાળો અને આંતરયમયુક્ત દુહાવાળો કાવ્યબંધ ફાગુને માટે સાથેલાગો પ્રચલિત હશે એમ માનવું યોગ્ય છે. – ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ પારેખ
સં. પ્રાચીન ફાગુ-સંગ્રહ, ૫ૃ. ૪૧