હયાતી/૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

૧૯૬૩