< હયાતી
હયાતી/૮૦. વિષ્ટિ
Jump to navigation
Jump to search
૮૦. વિષ્ટિ
જરૂર કૃષ્ણ કોઈક દુર્યોધનની સભામાં
વિષ્ટિ કરવા ગયા હશે!
નહીં તો આટઆટલાં શસ્ત્રોનો થાળ
માનવી અમસ્તો ન ખડકે;
કોની પાસે કેટલી અક્ષૌહિણી સેના છે
એની ગણતરી કરવા કૉમ્પ્યુટરોને કામે ન લગાડાય;
આકાશમાં ઘેરાઈને વીખરાતાં વાદળો જેવાં મન
ઉદાસીની ઝરમર ઝરી શૂન્ય ન બની જાય.
સોયના બિંદુ પર ટકે એટલું સત્ય પણ શેષ ન રહ્યું હોય
ત્યારે શેષનાગ કંપી ઊઠે છે.
પૂર્વમાં ઊગેલો સૂર્ય
પશ્ચિમમાં આથમે
ત્યારે ઇતિહાસનો દિવસ પૂરો થશે
કે અઢાર દિવસ પહેલાંની
કે પછીની રાત્રિ ઊગશે?
શસ્ત્રો, વિમાનો, સબમરીનો,
આ પૃથ્વીને આગ લગાડી અવકાશમાં વસવા જવા
માટેનાં રૉકેટો, અવકાશયાનો અને ઉપગ્રહો.
રાજભોગની આ તૈયારી
વિષ્ટિએથી પાછા ફરનારા કૃષ્ણ માટે જ
કરી છે શું?
જરૂર
કૃષ્ણ કોઈક દુર્યોધનની સભામાં
વિષ્ટિ કરતા હશે,
નહિતર....
૨૬–૬–૧૯૬૮