પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 320: Line 320:
શહેનશાહ! તને ત્યાં મારી રજપૂતાણી નહિ મળે! ત્યાં એની રાખ પડી હશે! તને ભાળીને એનો વંટોળ ચડશે! તારી આંખ ફોડી નાખશે; અને પછી તું પૃથ્વીના અંત સુધી પ્રકાશને ગોતવા ખાલી ફાંફાં મારતો, ઠેબાં ખાતો, અવનિ ઉપર ભટક્યા કરીશ; અને દિશાઓ તને હસી રહેશે.  
શહેનશાહ! તને ત્યાં મારી રજપૂતાણી નહિ મળે! ત્યાં એની રાખ પડી હશે! તને ભાળીને એનો વંટોળ ચડશે! તારી આંખ ફોડી નાખશે; અને પછી તું પૃથ્વીના અંત સુધી પ્રકાશને ગોતવા ખાલી ફાંફાં મારતો, ઠેબાં ખાતો, અવનિ ઉપર ભટક્યા કરીશ; અને દિશાઓ તને હસી રહેશે.  
(ગોરાદેવ આંખો મીંચી દે છે. અલાઉદ્દીન એ મૃત શરીરને ‘દગાખોર! દગાખોર! દગાખોર, એમ બોલતો ત્રણ લાત મારે છે.){{Poem2Close}}
(ગોરાદેવ આંખો મીંચી દે છે. અલાઉદ્દીન એ મૃત શરીરને ‘દગાખોર! દગાખોર! દગાખોર, એમ બોલતો ત્રણ લાત મારે છે.){{Poem2Close}}
{{Poem2Close}}
અંક ત્રીજો
(સ્થલકાળ : બાર દિવસ પછી ચિતોડગઢના રાજમહાલયની ચંદ્રશાળામાં નમતા બપોર.
રોજ રોજ એક એક રાજકુમાર યુદ્ધે ચડે છે અને પડે છે.
કોટની બહાર તુમુલ યુદ્ધ ચાલે છે. એક પછી એક ગઢ ઉપર હલ્લાઓ થાય છે. અને રજપૂતો ‘હરહર મહાદેવ!’, ‘જય એકલંગિજી!’, ‘જય દેવી ચતુર્ભુજનો જય!’ એવા નાદો કરી યવનનો સામનો કરે છે. ક્ષણ બે ક્ષણમાં તો ‘અલ્લા હો અકબર!’ના ગગનભેદી અવાજો ગાજી ઊઠે છે, અને તેમાં રજપૂતોના નાદો દટાઈ જાય છે. થોડી વાર શાંતિ છવાય છે. અને ઘવાયેલા સૈનિકોની ચીસો સ્પષ્ટ થાય છે. પાછો હલ્લો થાય છે, પાછી શાંતિ છવાય છે. અંકના અંત સુધી આ ચક્ર ચાલ્યા કરે છે.
રણવાસ તરફ લઈ જતી પડસાળની પગથિયો ઉપર પદ્મિની બે હાથમાં માથું દબાવી બેઠી છે. રણવાસમાંથી એક દાસી આવે છે અને પદ્મિનીને આ દશામાં જોઈ મોઢું ગંભીર કરી ચાલી જાય છે.
કોટ ભેદીને નવા હલ્લાનો અવાજ આવે છે. ‘જય એકલંગિજી!’ ‘દેવી ચતુર્ભુજની જય!’ એવા આછા અવાજો વચ્ચે ‘અલ્લા હો અકબર!’ નો દિશાવ્યાપ્ત વિજયનાદ ગાજી રહે છે, તલવારોની રમઝટના આછા વીંઝણા આવે છે.
પદ્મિની ઊઠે છે અને કાંગરા પાસે જઈને ઊંચી ડોકે કોટ બહાર નજર નાખે છે. થોડી વારે એક નિસાસો મૂકી પોતાના હાથ, છાતી અને અંગપ્રત્યંગ ઉપર એક ખેદયુક્ત દૃષ્ટિ ફેરવે છે.)
પદ્મિની : રૂપ! હા! (નિસાસો મૂકે છે.) ચિતોડના સર્વભક્ષી શાપ સમાં ઓ રૂપ! થાય છે કે શરીર ઉપરથી ઉખેડી તને ફગાવી દઉં! થાય છે કે અંગે તેજાબ છાંટી ચામડી ઉપર ચાઠાં પાડું!
(અસ્વસ્થ આંટા મારે છે.)
અને ઓ વિશ્વવિખ્યાત સૌંદર્ય! તારી ઉપર તારા દેવને, તારા ભોક્તાને પણ વિશ્વાસ નહોતો. રખે તું કોઈ બીજાનું અંકશાયી થઈ જાય એવો એમને ભય હતો! પ્રભુ! પ્રભુ! આ શાપ તેં મારી ઉપર શેં વરસાવ્યો? આજે જાણે એમ લાગે છે કે પૃથ્વી ઉપર પ્રલય ફરી વળ્યો અને અનંત આકાશ અને અફાટ પૃથ્વી વચ્ચે હું એકલી, અટૂલી, કશાયે ધ્યેય વિનાની બળતી ચિતાની માફક આથડ્યા કરું છું! અને સાગર મારી દશા જોઈને ખડખડાટ હસે છે!
(ફરી વાર ડોક ઊંચી કરી કોટ બહાર નજર નાખે છે.)
રજપૂતો મને કુળની સૌભાગ્યદેવી કહી શરમાવે છે. મેં તો કોઈ ત્રિકાળભૂખી ડાકણની માફક આખા કુળને ભરખી લીધું છે. ગોરાદેવ જેવા કાકા ગુમાવ્યા. મહારાણાના દસ પુત્રોની આહુતિ લીધી, હજારો ક્ષાત્રાણીઓને કંકણ વિહોણી કરી, ચિતોડના કાળમીંઢ પથ્થરોને અરાવલીની ખીણમાં ગબડાવી મૂક્યા, તોય આ રૂપયજ્ઞ પૂરો ન થયો. જેમજેમ આહુતિઓ અપાતી જાય છે, તેમ તેમ ચંડીની જીભ જેવી જ્વાલાઓ વધારે ને વધારે વ્યાકુળ બનતી જાય છે.
(સભાખંડમાંથી રાણા ભીમસિંહ બહાર નીકળે છે, અને એક પાષણસ્તંભ પકડી ઊભા રહે છે. એમનું મોઢું કરમાઈ ગયેલું છે. એમણે કેસરિયા વાઘા ઉપર બખ્તર સજ્યું છે, અને કેડ ઉપર તલવાર લટકે છે.)
અરાવલીની ઓ અસંખ્ય ટેકરીઓ! તમે ધસી આવો! મારી ઉપર ખડકાઈ ખડકાઈને એક એવો ડુંગર રચી દ્યો, કે પ્રલયનો પૂર પણ એને ખોદી મને બહાર ન કાઢી શકે! ભગવતી વસુન્ધરે! મોઢું ઉઘાડી મને કોઈ એવા ગર્ભમાં... ઓહ! ઓહ! આંખે અંધારા આવે છે, અને જાણે આખં કાળચક્ર ફરતું હોય... (ફસડાઈ પડે છે.)
ભીમસિંહ : (એકદમ દોડે છે, અને પદ્મિનીનું માથું ખોળામાં લઈ પવન નાખે છે.) દેવી! પદ્મિની તમને આ શું થયું? મહારાણી! તમને આ શું થયું? ભગવાન એકલંગિજી! આ કસોટી શા માટે?
(પદ્મિની પડખું ફેરવે છે.)
મહાદેવી! આંખો ઉઘાડશો? તમને હવે કેમ લાગે છે?
(પદ્મિની પડખું ફેરવી આંખો ઉઘાડે છે. શરીરમાં એક કમ્પ અનુભવે છે.)
પદ્મિની : કોણ રાણા... રાણાજી? તમે અહીં ક્યાંથી? હું ક્યાં છું?
ભીમસિંહ : દેવી! સ્વસ્થ થાવ! તમે રાજમહાલયની ચંદ્રશાળામાં રાણાજીના ખોળામાં સલામત છો! પદ્મિની, કોઈનો ભય નથી!
પદ્મિની : ચૌહાણપુત્રીને કદી કોઈનો ભય હોતો નથી, રાણા! પણ... (બેઠી થાય છે. હોઠ ધ્રૂજી રહે છે.) પણ તમે અને હું અહીં ક્યાંથી, રાણાજી? (કાંઈ વિચાર કરે છે.) હા, સ્વપ્નું હશે! (ઊભી થાય છે, રાણા પણ ઊભા થાય છે.) રાણા! સર્જનના પ્રથમ પ્રકાશમાંથી નીકળી બે પંખીડાં પાંખમાં પાંખ મેળવી અનંત આકાશમાં ઊડતાં હતાં. બહુ ઊડ્યાં, બહુ ઊડ્યાં! અંતે જે પ્રદેશનાં સમણાં સેવ્યાં હતાં, તે પ્રદેશના સુવર્ણઘુમ્મટો કોઈ પરમ પ્રકાશમાં હસતા દેખાવા લાગ્યા! અને પંખીડાંઓના ઉરમાં ઉદ્રેક ચડ્યો. પ્રાણેશ્વરની પૂૂંઠે તો કોઈ નથીને એ જોવા પંખીણીએ પાછળ જોયું! પંખીને શંકા ગઈ; એની આંખમાં એક ઓળો આવ્યો, અને ક્ષણ બે ક્ષણમાં તો અલોપ થઈ ગયો! બન્ને પાછાં ઊડવા લાગ્યાં, પણ પંખીણીનો બધો ઉત્સાહ, બધો રંગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. એની પાંખો ઢીલી થઈ ગઈ. સ્વપ્નભોમના સુવર્ણકળશોનું તેને હવે આકર્ષણ નહોતું. એણે ભિન્ન માર્ગ લીધો. પંખીપંખીણી વારેવારે આંખો અથડાવતાં, અને દાઝ્યા હોય એમ આંચકો ખાઈ પાછું ઊડવા લાગતાં, નોખાં પડવું બન્નેને ગમતું નહોતું. પણ વિધિનું એ જ નિર્માણ હતું, રાણા!
(ધીમે ધીમે એ કાંગરાઓ પાસે જાય છે, અને અરાવલીની ટેકરીઓ સામે જોઈ રહે છે.)
ભીમસિંહ : હવે બહુ થાય છે, મહાદેવી! મનુષ્યની સહનશક્તિનેય મર્યાદા હોય છે. મને માફ કરો, માફ કરો, મહારાણી! હવે નથી સહાતું?
પદ્મિની : હા... હા... રાણા! (ફિક્કું હસે છે.) તમને મારા હૃદયભંગનો ખ્યાલ નથી, મહારાજ! માટે તો આવું બોલી શકો છો! સહન તો મારાથીયે નથી થતું. પણ સહન કર્યે જ છૂટકો, રાણા!
ભીમસિંહ : આજે દશદશ દિવસથી તમે મને એક મીઠું વેણ પણ કહ્યું નથી, રાણી! મને ભાળો છો અને જાણે અભડાઈ ઊઠતાં હો તેમ કરમાઈ જાવ છો. મોઢું ફેરવીને રડવા લાગો છો. જગતના તમામ અપરાધોનું અંતે તો નિવારણ હોય છે મહાદેવી!
(આગળ વધે છે.)
પદ્મિની : (છેટી ખસેડતી) મને અડશો નહિ, રાણા! (અરાવલીની ટેકરીઓ સામે જોતાંજોતાં) હું શું કરું દેવ? મારા હૃદયની હું માલિક રહી નથી; અથવા તો મને હવે હૃદય રહ્યું છે કે નહિ તેની જ ખબર પડતી નથી. જાણે બધું જ બળી ગયું! સ્વર્ગના કોઈ શમણાની માફક બધું જ અલોપ થઈ ગયું! મને ભૂલી જાવ, રાણા! હુંય તમને ભૂલી જઈશ — ભૂલવાનો પ્રયત્ન કરીશ. કોઈ અકળ યોગ થયો અને આપણે ભેગાં થયાં. પ્રેમના આવેશમાં આપણે એકબીજાને પરસ્પરનાં પૂરક માની લીધાં. પણ કાંઈક ભૂલ થઈ, રાણા! — અને આજે કોઈ એવા જ અકળ યોગથી આપણે વિયોગ લઈએ છીએ, દેવ!
ભીમસિંહ : દેવી! આ આપણી છેલ્લી મુલાકાત છે. રજપૂતોએ આજે કેસરિયાં કર્યા છે. મહારાણાના દસ કુમારો યુદ્ધમાં ખપી ગયા, અને આજે તમારો વીર રણે ચડ્યો છે. ન કરે નારાયણ અને એને કંઈ થાય તો આજે અચ્યુતકુમાર સાથે મારે યુદ્ધે ચડવું એવો મહારાણાનો આદેશ છે. પછી, — અને સદેહે આપણો ભેટો થવાનો નથી. તમારી ક્ષમા યાચી લેવા આવ્યો છું, મહાદેવી! એકવાર કહો, એકવાર એટલું કહો, ‘અપરાધી રાણા, તને પદ્મિની ક્ષમા કરે છે.’ અને પછી હું નિરાંતે યુદ્ધે ચડીશ. ક્ષમાના એ છેલ્લા શબ્દોનું રટણ કરતાં કરતાં હંમેશને માટે સોડ તાણીશ. પછી તમારે મારું કાળું મોઢું ફરી...
પદ્મિની : (વચમાં જ, રડતાં) બહુ થયું, બહુ થયું, રાણા! રાણીની રાણાને ક્ષમા છે! અને ઈશ્વરના એ હૃદય ઉપર આશીર્વાદ ઊતરો! (પાલવથી આંખો ઢાંકી દે છે.) પણ... પણ... રાણા! હવે તો બહુ મોડું થયું... બહુ મોડું.
ભીમસિંહ : બસ કરો, બસ કરો, પ્રિયતમા! (એનું મોઢું ચમકી ઊઠે છે.) આગળ નહિ બોલતાં, ચૌહાણપુત્રી! મારે વિશેષ નથી સાંભળવું. હવે મને કશાની પરવા નથી. હવે યવનોના સૈન્યમાં કાળની માફખ ફરી વળીશ અને ‘હર હર મહાદેવ!’ ને બદલે ‘અપરાધી આત્મા! તને પદ્મિનીએ ક્ષમા કરી છે!’ એવું રટતો રણશૈયા પર સોડ તાણીશ.
દાસી : (સભાખંડમાં આવી, નમન કરી) મહારાણા પધારે છે, દેવી!
(બન્ને સભાખંડ તરફ ફરે છે, મહારાણા લક્ષ્મણસિંહ અને મંત્રીશ્વર કેદારનાથ પ્રવેશ કરે છે. બન્નેએ કેસરિયા વાઘા પહેર્યા છે અને બન્ને શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે. રાણા અને પદ્મિની નમન  કરે છે. મહારાણા માથું નમાવી પ્રત્યુત્તર વાળે છે.)
લક્ષ્મણસિંહ : અચ્યુતસિંહની સાથે આપને ચડવાનું છે, રાણાજી! અને અજયને કેલવાડા પહોંચી જવા સહીસલામત વિદાય કર્યા પછી સૌની પાછળ ચિતોડ અને ચિતોડના સૌંદર્યને સળગાવી દઈને હું અને મંત્રીશ્વર યુદ્ધે ચઢશું. તૈયાર તો થઈ ગયાને, રાણા?
ભીમસિંહ : હા, મહારાજ! આ ક્ષણે  જ તૈયાર છું. આવા હિણપતના દારુણ સમયમાં પણ જે એક સંજીવની મને સજીવન રાખતી હતી તે સળગી ગઈ છે. હવે મને કશાની પરવા નથી.
(પદ્મિની કાંગરાઓ તરફ ફરી ટેકરીઓ તરફ જોવા લાગે છે. સૌ મહાદેવી તરફ એક કચવાતી નજર નાખી ડરતા હોય તેમ પાછી ખેંચી લે છે. કોટ બહાર કોલાહલ વધે છે અને કિલ્લો થથરી ઊઠે છે. ગગનમાં ‘અલ્લા હો અકબર’ની બૂમ પડે છે.)
લક્ષ્મણસિંહ : ફરી હલ્લો થયો લાગે છે. આખો કિલ્લો જાણે કમ્પી ઊઠે છે! સ્વાતંત્ર્યની લીલાભૂમિને આવો કરુણ વિનાશ! પ્રભુ, પ્રભુ! કૃપા કર!
(પગથિયાં ચડી એક દૂત આવે છે. એનો શ્વાસ સમાતો નથી. નમન કરી ઊભો રહે છે.)
દૂત : મહારાજ! શત્રુઓને સિંહની માફક સંહારતા બાદલદેવ પડ્યા. સૈન્યમાં ભંગાણ પડે એવો સંભવ છે. દંડનાયક સંદેશો કહાવે છે કે રાજકુમાર અચ્યુતસંહેિ જલદી યુદ્ધે ચડવું જોઈએ.
(પદ્મિનીની આંખમાં આંસુ વહેવા લાગે છે. કાંગરા પકડી એ મોઢું ફેરવી ઊભી રહે છે.)
દૂત નમન કરી પગથિયાં ઊતરી જાય છે.
સભાગૃહમાંથી અચ્યુતસિંહ આવે છે. એણે કેસરિયા વાઘા સજ્યા છે. કપાળ ઉપર કંકુથી ત્રિપુંડ તાણ્યું છે; માથા ઉપર રાજમુકુટ ધારણ કર્યો છે.)
અચ્યુતસિંહ : પિતાજી, મને રજા આપો.
(નમન કરે છે.)
લક્ષ્મણસિંહ : બેટા, જા ફતેહ કર. (આંખમાં આંસુ આવે છે.) દેવી ચતુર્ભુજાની ભૂખ હજી નથી ભાંગી. એનું ખપ્પર હજી અધૂરું છે. એક દિવસ સ્વપ્નામાં દર્શન દઈ એમણે આદેશ કર્યો : મહારાણા! અરાવલીની ખીણો તરસી થઈ છે. મારું ખપ્પર ખાલી થયું છે. બાર રાજબીજોનાં માથાં વધેરીશ ત્યારે મારી ક્ષુદા શમશે. બેટા, અગિયારમો તું, અને તારી પાછળ હું જાતે જ બારમો થઈ ચાલ્યો આવું છું. ક્ષમા કરજે, બેટા!
(અચ્યુતને બાથમાં ભીંસી દે છે. પિતાની આંખનાં આંસુ પુત્રની પાંપણે અડે છે.)
અચ્યુતસિંહ : (પદ્મિનીને પ્રણામ કરી) આશીર્વાદ આપો, મહાદેવી!
પદ્મિની : વિજય કરો, કુમાર! રામ તમારી રક્ષા કરો!
(માથે હાથ મૂકે છે.)
ભીમસિંહ : (નમન કરી) મહારાણા, જાઉં છું. પદ્મિની, પ્રભુને પ્રાર્થના કરજો કે ચિતોડનો કોટ પડે એ પહેલાં રજપૂતોનાં મદડાંઓનો કોટ ચણાઈ જાય.
પદ્મિની : (આંખનાં આંસુ ખાળતી) રાણા, એક ક્ષણ થંભી જાવ. એક વાર, એક વાર મને આલંગિન આપો!
(રાણા માથું ધુણાવે છે.)
રાણા! ઊભા રહો, હું તમને કંકુનો ચાંલ્લે કરું.
ભીમસિંહ : હવે તો બહુ મોડું થયું, પદ્મિની! રજપૂતો અમારી રાહ જોતા હશે! તમે કંકાવટીમાં કંકુ ધોળી સ્વર્ગને આરે ઊભાં રહેજો. હું અનુતાપની આગમાં બળી કંચન બનવા જાઉં છું. જો બનું તો મને સત્કારજો; મારે કપાળે કંકુરેખા રાચજો, મને અપનાવી લેજો! અને છતાંય કાંચન ન બનું તો, રાણી! ભવોભવના જુહાર!
(એક દૃષ્ટિ પણ ફેંક્યા સિવાય રાણાજી કટકટ પગથિયાં ઊતરી જાય છે. પાછળ અચ્યુતસિંહ ઊતરે છે. સૌ સજળ નયને બંનેને જોઈ રહે છે. પદ્મિની કાંગરા પકડી લે છે. અને આંસુથી એક કાંગરાને પલાળી દે છે.)
લક્ષ્મણસિંહ : દેવી ચતુર્ભુજા! ક્ષમા કર! ક્ષમા કર, માતા!
પદ્મિની : મહારાણા, હું જાઉં છું. રજપૂતાણીઓને તૈયાર કરી હમણાં જ પાછી ફરું છું. આપ આ ચિતાચોકમાં ચિતા ખડકાવો. રજપૂતાણીઓના પ્રાણેશ્વરોએ અરાવલીની તૃષા છુપાવી; હવે જો ટેકરીઓને ટાઢ વાતી હશે, તો ચિતોડની વીરાંગનાઓ પોતાના સૌન્દર્યદેહોને સળગાવી તેઓને હૂંફ આપશે.
(પદ્મિની રણવાસની પગથી ચડી જાય છે.)
કેદારનાથ : સાક્ષાત શક્તિનો અવતાર છે!
લક્ષ્મણસિંહ : રજપૂતોના રણવાસમાં જ્યાં સુધી આવી દેવીઓ વસે છે, ત્યાં સુધી રજપૂતોને મન રણાટ રમત વાત છે! અને ત્યાં સુધી પાથિર્વ દૃષ્ટિએ ભલે રજપૂતોનો વિનાશ થાય, પણ બાપ્પા રાવળનું બીજ અમર રહેશે, અને વખત આવે વીજળીના ચમકારાની માફક ચારે દિશાને પ્રકાશથી ભરી દેશે.
(સભાખંડમાંથી અજયકુમાર થોડા રજપૂતો સાથે ઊતરી આવે છે. સૌએ બખ્તરો પહેર્યાં છે, અને અંગ ઉપર પૂરતાં શસ્ત્રાસ્ત્રો સજ્યાં છે.)
આવ બેટા, બાપ્પા રાવળનું બીજ રાખવાનું કામ તારે શિરે છે.
અજયસિંહ : પિતાજી, હજી પણ મન નથી માનતું. મારે નથી જવું.
લક્ષ્મણસિંહ : અજય! આ શું? સાત દિવસથી તને સમજાવ્યા કરું છું; આજે તો કબૂલ પણ કરાવ્યું અને છેલ્લી ઘડીએ પાછો હઠે છે? એ કઠણ હૃદયનું લક્ષણ નથી. બેટા, યુદ્ધમાં મરી ખૂંટવું એનો અર્થ જવાબદારીમાંથી નિવૃત્તિ લેવી. તારે શિરે તો એથીય મહાન કાર્ય અવલંબે છે. ઇતિહાસના પાનાંઓ પરથી બાપ્પા રાવળનું નામ ભૂંસાઈ જતું અટકાવવું, એ કામ નાનુંસૂનું નથી. મરવું વીરતાભર્યું છે, પણ ધર્મનું પાલન કરવા જીવવું એ એનાથીયે કપરું છે.
(કોટ બહારથી નવા હલ્લાનો ઘોંઘાટ આવે છે.)
અજયસિંહ : પણ....
લક્ષ્મણસિંહ : પણ-બણનો હવે સમય નથી. અજયસિંહ, મહારાણાનો આદેશ છે કે સો સૈનિકો લઈને શત્રુસેનાને ચીરી, તમારે સહીસલામત કેલવાડા પહોંચી જવું. એટલું ધ્યાનમાં રાખો કે રસ્તામાં તમારે વીરતા દાખવવાની નથી. અત્યારે તમારો ધર્મ પ્રાણ બચાવવાનો છે. ચાલો, જલદી કરો, બહારથી કારમા અવાજો આવે છે અને મારું ડાબું અંગ ફરકે છે. મને લાગે છે કે મારે હમણાં જ યુદ્ધમાં ઝંપલાવવું પડશે, અને એ પહેલાં ચિતોડને ઉજ્જડ સ્મશાનસમ કરતા જવું છે. ચિતોડના સૌંદર્યને સળગતું જોવા જવું છે, જેથી સમરાંગણમાં સૂતાં સૂતાં રજપૂતાણીઓનાં શિયળનો ફડકો ન રહે.
(પગથિયાં ચડી ચડી રજપૂતો ચિતાચોકમાં ચંદન અને સુખડનાં લાકડાં ખડકવા લાગે છે.
શો વિચાર કર્યો, અજયસિંહ? મહારાણાનો હુકમ ઉથાપવાની હિમંત છે?
અજયસિંહ : પિતાજી, હું જાઉં છું; મને આશીર્વાદ આપો.
(ચરણસ્પર્શ કરે છે.)
લક્ષ્મણસિંહ : (વાંસો થાબડતાં) જા બેટા, ફત્તેહ કર!
(અજયસિંહ મંત્રીશ્વરને નમન કરી પગથિયાં ઊતરી જાય છે. તેની પાછળ પાછળ રજપૂતો ઊતરી જાય છે.
ચિતા પેટાવવામાં આવે છે. થોડી વાર મહારાણા અને મંત્રીશ્વર એકબીજા સામે જોઈ રહે છે. અગ્નિની જ્વાલાઓના પ્રકાશ એમનાં મોઢાઓ ઉપર પડે છે.)
ખલાસ! બધું  જ ખલાસ, મંત્રીશ્વર! રજપૂતોની માતૃભૂમિ હવે પરપદથી દલિત થશે. જ્યાં એક વખત બાપ્પા રાવળની હાક હતી  હતી ત્યાં હવે યવનોના વિજયઘોષ ગાજશે. મંત્રીશ્વર! કેવા ગૌરવનો કેવો કરુણ અંત!
કેદારનાથ : મહારાજ! શોક કરવો મિથ્યા છે. જગદ્નિયંતાએ જે ધાર્યું હશે તે જ થવાનું. આપને કર્મે તો વિરોચિતવૃત્તિએ જેને આપણે ધર્મ માન્યો છે, તેને માટે આ જીવન ઝૂઝવાનું છે! મહારાજ, રડતાં પણ જે વસ્તુ અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈએ?
લક્ષ્મણસિંહ : સાચું કહો છો, મંત્રીશ્વર! જે વસ્તુ રડતાં અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈએ? અને મંત્રીશ્વર! મને કશી ચિંતા રહી નથી. બાપ્પા રાવળનું બીજ રાખવા અજય કેલવાડા પહોંચી જશે! એક દિવસ એ બીજમાંથી આર્યકુળનો માર્તન્ડ ઉદિત થશે, અને એના પ્રકાશમાં ધરણી ઊજળી થઈ ઊઠશે. ચાલો, મંત્રીશ્વર! હવે ચિતોડગઢમાં જે કાંઈ બાકી રહ્યું હોય તેમને લઈને યુદ્ધે ચડીએ. યવનોના ઢગલા કરી, એમનાં મુડદાંઓની સેજશૈયા પાથરી અનંત નિદ્રાને આધીન થઈએ, દ્વારપાળ!
દ્વારપાળ : (પગથિયાં ચડી આવી, નમન કરી) આદેશ, મહારાજ!
લક્ષ્મણસિંહ : જાવ, દાંડી પીટો, ચિતોડગઢમાં જે -જે પુરુષો જીવતા હોય તેણે નીચેના સભાચોકમાં હાજર થવું.
દ્વારપાળ : જેવી આજ્ઞા, મહારાજ!
(નમન કરી જાય છે. કોટ બહારથી મોટા ધસારાનો અવાજ આવે છે. યવનોના વિજયનાદ ગાજી રહે છે. રાજમહાલય ધ્રૂજી ઊઠે છે.)
કેદારનાથ : યવનોએ ફરી આક્રમણ કર્યું લાગે છે. આપણી રજપૂત સેના ક્યાં સુધી ટક્કર ઝીલશે એ કહી ન શકાય, મહારાજ! આપણે રડ્યાખડ્યાએ હવે રણે ચડવું જોઈએ.
લક્ષ્મણસિંહ : રજપૂતાણીઓના આવી પહોંચવાની હું રાહ જોઉં છું. ગમે તેમ કરી હજી યવનસેનાને ખાળી રાખવી પડશે, મંત્રીશ્વર!
(રણવાસની પગથી ઉપર પદ્મિની આવે છે. તેણે વાળ છૂટા મૂકી દીધા છે. છૂટા કાળા કેશ ગોઠણ સુધી લટકે છે. કપાળમાં કેસરઅર્ચન કર્યું છે. હથેળીએે અને પાનીએ અળતો આલેખ્યો છે. સફેદ વસ્ત્રો ઉપર કેસર, ગુલાબ અને કંકુના છાંટણાં છે. એની પાછળ એ જ સ્વાંગમાં સેંકડો રજપૂતાણીઓ આવે છે. તેઓ એકબીજા ઉપર ગુલાલ છાંટે છે, અને ‘દેવી ચતુર્ભુજાનો જય’ પોકારે છે.
નીચે દાંડી પીટાવી શરૂ થાય છે. એક પછી એક એકઠા થતા જતા રજપૂતોનો ઉત્તરોત્તર અવાજ આવે છે.)
ચિતોડનું સૌંદર્ય અને સતીત્વ અંતે આવી પહોંચ્યું! પધારો મહાદેવી! પ્રણામ! પ્રણામ સતીઓ!
(નમન કરે છે.)
પદ્મિની : મહારાણાનો જય થાઓ!
રજપૂતાણીઓ : બાપ્પા રાવળના કુળદીપકનો વિજય થાઓ!
લક્ષ્મણસિંહ : મંત્રીશ્વર! બ્રહ્માની આ મનમોહન કલાને, જીવતાજાગતા આ સ્વતંત્ર આત્માઓને ચિતામાં હોમતાં કાળજું કંપે છે.
પદ્મિની : એનો વિચાર તમારે કરવાનો નથી, મહારાણા! આપ હવે સુખે રણમાં સિધાવો. રજપૂતો બાપદાદાની ભૂમિ રક્ષી જાણે છે, તો રજપૂતાણીઓ કુળની કીર્તિને નિષ્કલંક સાચવી જાણે છે. અને રજપૂતોને સ્વર્ગવાડીમાં પણ એકલું શું ગમે, મહારાણા? પ્રાણપતિઓ પહેલાં અમે સ્વર્ગને આરે પહોંચી જઈશું અને પારિજાતનાં પુષ્પોની વિજયમાળાઓ ગૂંથી તેઓની રાહ જોઈશું!
લક્ષ્મણસિંહ : દેવીઓ! અમને આશીર્વાદ આપો કે અમારાં ધડ જાય પણ ધર્મ ન જાય. માથાં ધૂળમાં ખરડાય પણ કીર્તિ નિષ્કલંક રહે. અને અમારી રાખમાંથી રજપૂતોની પુન: પ્રતિષ્ઠાનો ગગચુંબી ગુંબજ ખડો થાય.
(ફરી પ્રણિપાત કરે છે.)
પદ્મિની : કલ્યાણ, મહારાણા!
કેદારનાથ : મહારાજ, નીચે ચિતોડના બાકી રહેલા સર્વ રજપૂતો એકઠા થઈ ગયા છે. અને આપની આજ્ઞાની રાહ જુએ છે.
લક્ષ્મણસિંહ : ચાલો, મંત્રીશ્વર
(બન્ને કાંગરા પાસે જાય છે. એક પછી એક રજપૂતાણીઓ મહાદેવને પ્રણિપાત કરી ચિતાચોકમાં ઝંપલાવે છે. પડતાં પડતાં ‘મહાદેવીનો જય!’, ‘દેવી ચતુર્ભુજનો જય!’ એવો જયનાદ કરે છે. બીજી બાજુ રજપૂતાણીઓ તેઓની ઉપર કેસરકંકુ ઉડાડે છે અને જયકાર ઝીલી લે છે.
કિલ્લા ઉપર ધસારો થાય છે એના સ્પષ્ટ અવાજો આવે છે. યવનોના વિજયઘોષ ગગનમાં ગાજી રહે છે.
મહાદેવી ધીમે ડગલે મહારાણા અને મંત્રીશ્વર વચ્ચે જઈ ઊભાં રહે છે.)
કેસરભીના રજપૂતો! આજે આપણે કેસરિયાં કર્યાં છે. જીવ્યામર્યાના જુહાર કરી રજપૂતાણીઓએ વિદાય લીધી છે. ચિતોડમાં હવે એકે રજપૂત બાકી નથી રહ્યો. સ્વાતંત્ર્યની લીલાભૂમિને ભગવાન એકલંગિજીને સોંપી, કોટનાં દ્વાર ખુલ્લા કરી આપણે રણે ચડવાનું છે. જેટલા મરાય તેટલા યવનોને મારીને આપણે મૃત્યુને ભેટવાનું છે. ચિતોડમાં એક ચકલું પણ ફરકવું ન જોઈએ. આપણાં મુદડાંઓને કચરી કચરી યવનસમ્રાટ ચિતોડ લૂંટવા આવશે, ત્યારે ચિતોડનો આલેશાન દુર્ગ અને સ્મશાન સમાં ઘરો એની સામે દાંતિયા કરશે.
દૂત : (એક શ્વાસે પગથિયાં ચડી આવી નમન કરી હાંફતો-હાંફતો) મહારાજ, રાજકુમાર અજયસિંહ નિવિર્ઘ્ને શત્રુસેનાને વટાવી ગયા છે એવા એંધાણ આવી ગયા છે અને... અને ... (એની જીભ તૂટે છે.) અને મહારાજ, રણમાં કેસરીસિંહની માફક ઘમસાણ મચાવીને રાજકુમાર અચ્યુતસિંહ સ્વર્ગે સંચર્યા છે. રાણાજી આપની અને રજપૂત સેનાની રાહ જોઈ રહ્યા છે.
લક્ષ્મણસિંહ : કોઈના મૃત્યુના સમાચાર હવે મને કંપાવી શકતા નથી. જાવ દૂત, રાણાને કહો કે મહારાણા, ચિતોડમાંથી બાકી રહેલા તમામ રજપૂતો સાથે આવી પહોંચે છે. ચિતોડમાં હવે માત્ર પથ્થરાઓ જ બાકી રહેશે.
(દૂત નમન કરી જાય છે.)
રજપૂતો! વિજય કરો! બાપ્પા રાવળનું બીજ રાખનાર સહીસલામત કેલવાડા પહોંચી ગયો છે.
નીચેથી ‘રાજકુમાર અજયસિંહનો જય!’ એવો નાદ ગાજી ઊઠે છે.)
રજપૂતો! હવે સમય ખોવાનો નથી. મહાદેવી! સૌને આશીર્વાદ આપો.
પદ્મિની : ચિતોડની સતીઓના તમને આશીર્વાદ છે, રજપૂતો! ચિતોડની સતીઓ તમને સંદેશો કહેવડાવે છે કે અમે પાંપણનો એક પલકારો કર્યા સિવાય તમારી રાહ જોશું. તમે જલદી આવી પહોંચજો!
‘(મહાદેવીનો જય!’ એવો નીચેથી મહાઘોષ આવે છે.)
લક્ષ્મણસિંહ : વિજય કરો રજપૂતો!
(નીચેથી નાદ ગાજે છે. ‘જય, મહારાણાનો જય!’ કૂચકદમના પડઘા સંભળાય છે.)
મહાદેવી, જાઉં છું. ચિતોડનો કુળધર્મ તમને સોંપતો જાઉં છું.
પદ્મિની : કુળધર્મની આપ ફિકર ન કરશો, મહારાણા! આપ નિશ્ચંતિ થઈને વિજયપ્રસ્થાન કરો.
(મહારાણા જવા જાય છે.)
એક ક્ષણ! એક વાત, મહારાજ! (એના લાલ લાલ ગાલ ઉપર વિશેષ રતાશ આવે છે, અને ચિતાના આછા પ્રકાશમાં આખું મોઢું હળહળી ઊઠે છે. પાલવની કોર સંકેલતાં-ઉઘાડતાં) લડતાં લડતાં જો રાણાજીનો ભેટો થાય તો મારા રાણાને એટલું કહેજો કે, તારી પદ્મિનીએ પ્રણિપાત કરીને તને માફ કર્યું છે. અનુતાપની આગમાં બળી જતાં પહેલાં તને અપનાવી લીધો છે, અને જલદી જલદી મારી ચિતાજ્વાલાની સીડી કરી ચડી આવવા આગ્રહ કર્યો છે. હવે એક ક્ષણનો વિજોગ પણ મારાથી નહિ સહાય! અબોલડા લેશે તો પૃથ્વીના અંત સુધી એ એકલી, અટૂલી આકાશમાં ફર્યા કરશે, અને તારું ગાન ગાઈ ગાઈ અવનિ રેલાવી દેશે.
(પાલવથી આંખો ઢાંકી મોઢું ફેરવી લે છે.
ચિતોડના સિંહદ્વાર ઉપર એક મોટો કડાકો થાય છે. યવનોની ચિચિયારી સંભળાય છે.
લક્ષ્મણસિંહ : આ શું? મહાદેવી! હું જાઉં છું; ગઢદ્વાર તૂટતાં લાગે છે!
(એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય મહારાણા પગથિયાં ઊતરી જાય છે. મંત્રીશ્વર પાછળ જાય છે.)
રજપૂતાણીઓ એક પછી એક ચિતાચોકમાં ઝંપલાવ્યે જાય છે. આખા વાતાવરણમાં ગુલાલ પ્રસરી ગયો છે. ચિતાની જ્વાલાઓ ખૂબ ઊંચે ચડી ગઈ છે.
ધીરે ધીરે પદ્મિની આંખો ખોલે છે. ચિતોડની ચારે દિશા તરફ શૂન્ય નજર ફેરવે છે.)
પદ્મિની : સિસોદિયાઓની ઓ સ્મશાનભૂમિ! તારી હજી તૃષા છીપી નહિ? ઓ મા! ઓ દેવી ચતુર્ભુજા!! આટલો કોપ શા માટે? આ કયા સ્ખલનનું મહાન પ્રાયશ્ચિત્ત કરાવી રહી છે? હવે નથી ખમાતું, નથી ખમાતું.
(નીચે ઢળી પડે છે. એક રજપૂતાણી પાસે જઈ જાગૃત કરે છે.)
રજપૂતાણી : કોટનું સિંહદ્વાર તૂટતું જણાય છે, મહાદેવી! હવે આપણે વિલંબ ન કરવો જોઈએ.
(પદ્મિની બેઠી થાય છે. એની આંખો લાલ થઈ ગઈ છે. એના લાલ મોઢા ઉપર ચિતાનો પ્રકાશ પડે છે. બાકી રહેલી થોડી રજપૂતાણીઓ ઉપર નજર નાખી)
પદ્મિની : કુળદેવીઓ! આપણા કંથડાઓએ જીવનનું સાર્થક્ય કર્યું. આપણે હવે મરણને પણ ઊજળું બનાવીએ.
(એક ભયાનક કડાકા સાથે કોટનું સિંહદ્વાર તૂટી પડે છે. ભૂખ્યા વરુઓ જેવા યવનો ચિચિયારી પાડતા અંદર ધસે છે. સૌના હાથમાં નાગી તલવારો છે.)
જલદી કરો, જલદી કરો, રજપૂતાણીઓ! બધું પૂરું થઈ ચૂક્યું છે.
(બાકીની રજપૂતાણીઓ ટપોટપ ઝંપલાવે છે. ચિતોડ તરફ એક શૂન્ય દૃષ્ટિ નાખતી પદ્મિની ક્ષણ વાર થંભે છે. રાજમહાલયમાં અને પગથી ઉપરનાં ત્વરિત પગલાંઓ સંભળાય છે.
પ્રણામ, માતા! રજપૂતોની લીલાભૂમિ, પ્રણામ!
(જય અંબેની બૂમ પાડી, પદ્મિની ચિતામાં ઝંપલાવે છે.
મહાલયની પગથી ઉપરથી અલાઉદ્દીન, ખિજરખાં, કાજી વગેરે ખુલ્લી તલવારે ધસી આવે છે. સભાગૃહ અને રણવાસ ફેંદી વળી યવનો ચંદ્રશાળા આવી પહોંેચે છે.)
અલાઉદ્દીન : (હાંફળોફાંફળો) પદ્મિની! પદ્મિની! આ શો ગજબ! બેહિસ્તની હૂરની જેવા આ સૌંદર્ય ઉપર આ શી ક્રૂરતા? પદ્મિની, નીકળી આવ, નીકળી આવ! તને હું દિલ્હી લઈ જઈશ. મારી મહાબેગમ કરી સ્થાપીશ.
પદ્મિની : (ચિતાની જ્વાલાઓ વચ્ચે એનું મોઢું દિવ્યજ્યોતિ જેવું ઝબકી રહે છે. એ અટ્ટહાસ્ય કરે છે.) હા... હા... હા....! શહેનશાહ! હજી મોહ ન ગયો? હજી આંખ ન ઊઘડી? એક સ્ત્રીના શિયળ ખાતર હજારો રજપૂતોએ પોતાનાં જીવન ન્યોછાવર કરી નાખ્યાં, અને બાપ્પા રાવળની ભૂમિને વેરાન વગડો કરી મૂકી; અને પદ્મિની તારી અધમ માગણીનો સ્વીકાર કરશે? રજપૂતાણીઓ યવન જનાનાની બીબીઓ ન હોય, શહેનશાહ!
અલાઉદ્દીન : પણ એમાં શો લાભ, પદ્મિની? હવે હું ચિતોડ લૂંટીશ; બાળીને ખાખ કરી મૂકીશ. હાથ પડશે એટલા હિંદુઓની કતલ કરીશ, અને ચારે કોર કાળો કેર વર્તાવીશ. એક તારી ખાતર આવડો મોટો વિનાશ? પદ્મિની, વિચાર કર!
પદ્મિની : (અવાજ ઉગ્ર બનતો જાય છે. નાડીઓ તૂટતી જાય છે. એનું ખેંચાણ એના મોઢાની રેખાઓ ઉપર દેખાય છે.) અને રાંકડી, ભોળી પ્રજાની અબળાઓ ઉપર તારી સેના અણછાજતા અત્યાચારો કરશે, શહેનશાહ! તારા કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ રૂપમાં જોઈ શકું છું. પશુ જેવા યવનો હિંદુ બાળાઓનાં શરીર ચૂંથશે; એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું, સમ્રાટ? બન્ને કપરી વિનષ્ટિઓ હતી. એમાંથી મહતી વિનષ્ટિમાંથી બચી જવું રજપૂતોએ યોગ્ય ધાર્યું. આથી પ્રજાનાશ તે નીતિનાશ પણ થતો જણાશે. પણ એથીએ મહાનાશ તો મેં તારી હીણ માગણીનો સ્વીકાર કર્યો હોત તો થાત. આ નાશમાંથી તો કોઈ કાળે પણ ઉગરવા વારો છે, પણ આર્યકુળની સૌભાગ્ય દેવીએ ડંખતે હૃદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળભંગની શિથિલતા પ્રજાને રુંવે રુંવે શીતળાની માફક ફૂટી નીકળત. પ્રજાનો તેજોવધ થાત; અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને નામે સૂક્ષ્મ સંહાર મચાવત. ભોગભૂખ્યા ઓ નરપિશાચ! રજપૂતોને ક્ષત્રાણીના શિયળથી ખરીદાયેલું જીવતદાન, અને ચારિત્રના બદલામાં આવેલો રોટલો ગોમાંસ બરાબર હોય છે!
અલાઉદ્દીન : રજપૂતો તો મૂર્ખ હતા! પણ તને એકને મેં અપવાદ ગણી હતી; પદ્મિની!
પદ્મિની : (તિરસ્કારથી હસતી) મને તો માનજ ને? અમે મરીએ છીએ, પણ આર્યાકુળની તેજસ્વિતાને અમર કરતાં જઈએ છીએ. કોઈએ ન કલ્પ્યા હોય એવા ચહુ દિશાથી વર્ષતા વિનષ્ટિના વરસાદ વચ્ચે પણ આર્ય રમણીનું શિયળ અસ્પૃષ્ટ રહેશે; અને એ અમારા સતીત્વનો-અમારા સતી થવાનો પ્રતાપ હશે! ઓ નરપશુ! આર્યોએ કદી શિયળને સાટામાં મૂક્યું નથી. પણ એ બધું તને આજે નહિ સમજાય, તરકડા! પણ તારી સંતતિને સમજાશે એક દા’! સતીનો શ્રાપ છે!
‘(જય આદ્યા’ કહી પદ્મિની ઢળી પડે છે. જ્વાલાઓ એની આસપાસ ફરી વળે છે. ચિતાની ટોચ આકાશને અડે છે. યવનો આ બધું બાઘાની માફક જોઈ રહે છે.)
અલાઉદ્દીન : (હાથ ઘસતાં, પગ પછાડતાં) ઓ પદ્મિની! ઓ બેવકૂફ રજપૂતો! બળો તમારા અહંકારમાં અને આભડછેટમાં!
(ચિતાના ફડાકા અટ્ટહાસ્ય કરે છે. ચિતોડ શહેરમાંથી ભૂખ્યાં વરુઓ સમા યવન સૈનિકોની ચિચિયારી આવે છે. લૂંટાતી, કચડાતી, રાંકડી પ્રજાના આર્તઅવાજો આવે છે.
આકાશમાં અંધારું વ્યાપે છે અને વચ્ચે સ્વર્ગની સીડી સમી જ્વાળા ભભૂકી રહે છે.){{Poem2Close}}
26,604

edits

Navigation menu