ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,619: Line 2,619:
{{Space}} '''પ્રીતમની વાતની.’'''</Poem>
{{Space}} '''પ્રીતમની વાતની.’'''</Poem>
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૦૫) }}
{{Right|(અભિજ્ઞા, પૃ. ૧૦૫) }}
{{Poem2Open}}
ઉમાશંકરે કેટકેટલા ગીત-લયોને – ગીતની વિવિધ તરેહોને કવિતામાં પ્રયોજી છે તે તો એમના ૧૯૭૩માં પ્રગટ થયેલા ‘ભોમિયા વિના’ સંગ્રહનાં ૮૪ ગીતકાવ્યો જોતાં સમજાય છે. ઉમાશંકરે ‘ગંગોત્રી’માં ૧૪, ‘નિશીથ’માં ૨૩ (‘મહેણું’ રચનાને ગણતાં, તથા ‘સોનાપગલી’ ને ‘એવી એક સવાર’ નહિ ગણતાં), ‘આતિથ્ય’માં ૪૬ (એમાં ‘૨૨મા દિવસનું સવાર’માંનું ‘રામ રખોપું કરે, સંતો રે ભાઈ, રામ રખોપું કરે’ – એ ગીત, તેમ જ ‘આવતીક વીજ–’ જેવું બે પંક્તિનું કાવ્ય પણ સમાવિષ્ટ થાય છે તો, ‘પ્રભો તારી મળી કેદ’ જેવી રચનાઓ સમાવિષ્ટ થતી નથી.) ‘વસંતવર્ષા’માં ‘લવારું સાથે ગણતાં ૭૩ અને ‘અભિજ્ઞા’માં વીસ (૨૦) ગીતરચનાઓ આપી છે. ‘ધારાવસ્ત્ર’માં બાલકાવ્યોને ધ્યાનમાં નહીં લેતાં સ્પષ્ટ રીતે ગીતરચનામાં સમાવેશ પામે તેવી રચના તો એક જ – “અમે મેળે ગ્યાં’તાં” –ને લેખી શકાય. એ સિવાય ‘પાળિયો’ કે ‘પશુપંખીનો માનવમેળો’ જેવી માત્રામેળી રચનાઓને કોઈ ઇચ્છે તો ગેય રચનાઓમાં મૂકી શકે. ઉમાશંકરે પાછળથી આ સંગ્રહોમાંથી અનુક્રમે ૬ (‘ગંગોત્રી’), ૧૧ (‘નિશીથ’) ૨૪ (‘આતિથ્ય’), ૩૬ (‘વસંતવર્ષા’) અને ૭ (‘અભિજ્ઞા) એમ કુલ ૮૪ રચનાઓ ઉપર બતાવ્યું તેમ, ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં લીધી છે. તેમણે આ ગીતસંગ્રહમાં નહિ લીધેલી રચનાઓમાં ‘ગંગોત્રી’માંથી ‘ગીતતંગોત્રી’, ‘પહેરણનું ગીત’, ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’, ‘દળણાનાં દાણા’ જેવા સામાજિક વિષમતાવિષયક કાવ્યો, ‘બારણે બારણે બુદ્ધ’, ‘ભિખારી’ ને ‘ઉકરડો’; ‘નિશીથ’માંથી ‘પૂનમ મારી એળે ઊગી’, ‘નવાં નવાણ’, ‘ઊભી વાટે ઊડે રે’, ‘સાબરનો ગોઠિયો’, ‘મ્હોર્યા માંડવા’, ‘વસંતનાં ફૂલ’, ‘મનગમતી’, જેવી ગીતરચનાઓ; ‘આતિથ્ય’માંથી ‘સોનાકણી’, ‘જવાનલાલ’, ‘સાબરની દીકરી’, ‘શુક્રતારા’, ‘પરબ’, ‘નીંદ મોરી’, ‘કળાયલ મોર’, ‘ચૂંદડી’, ‘જીવનદીક્ષા’ વગેરે ગીતકાવ્યો; ‘વસંતવર્ષા’માંથી ‘ઘૂમે ઘેરેયો’, ‘આવો’, ‘ગ્રીષ્મની રાત્રિ’, ‘મારું નામ રમતીભમતી’, ‘મને ચાંદનીની છાલક’, ‘અજવાળું ખૂંચે પૂનમનું’, ‘ઊંચી અગાશીએ ઊભીને રાજવણ’, ‘લોચનઘેલાં’, ‘રેવાને તીર’ જેવી ગીતરચનાઓ અને ‘અભિજ્ઞા’માંથી ‘સપનાં લો કોઈ સપનાં’, ‘એ તે કેવો ગુજરાતી–’, ‘ચાંદનીને રોમ રોમ પમરે’, ‘મારું મન–’ જેવી ગીતરચનાઓનો સમાવેશ થાય છે. ‘ભોમિયા વિના’ એ ગીતસંચયનું સ્વરૂપ જોતાં એમ લાગે છે કે પ્રાસંગિક અસરોથી પ્રેરાઈને લખેલી, ન્હાનાલાલ આદિના પ્રભાવ હેઠળ લખેલી અને સામાજિક અભિજ્ઞતાથી પ્રેરાઈને લખેલી હોય તેવી ગીતરચનાઓ ઉપરાંત તરલ-મધુર ભાવનું છટકણું રમણીય રૂપ સહજ રીતે જેમાં યત્કિંચિત્ આવી શક્યું હોય – જેમાં ગેયોર્મિનો સહજ-સુંદર ચમત્કાર ઊતર્યો હોય એવી સંક્ષિપ્ત સ્વરૂપવાળી ન હોય તેવી ગીતરચનાઓ આ સંચયમાં લેવાનું ઉમાશંકરે ટાળ્યું છે. ઉમાશંકરની ગીતશક્તિ કેવી હૃદ્ય રીતે ગીતોમાં પ્રગટી છે તેનો ‘ભોમિયા વિના’માંનાં ગીતોને આધારે પરિચય મેળવીશું.
‘ભોમિયા વિના’ (૧૯૭૩) ગીતસંગ્રહનું પહેલું ગીત ‘ભોમિયા વિના’ ઉમાશંકરનું (તેમ ગુજરાતી સાહિત્યનું) એક ઉત્તમ ગીત છે. ગીતનો ઉપાડ અત્યંત સુંદર છે. ભોમિયા વિના ડુંગરા ભમવાની, કુંજ કુંજ જોવાની, કોતરો ને કંદરાઓ જોવાની કવિની ઝંખના છે. કવિ રોતાં ઝરણાંની આંખ લોહવા માગે છે. સૂના સરવરિયાની ને તે પણ ‘સોનેરી’ પાળે કવિ હંસોની હાર ગણવા ને ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવા માગે છે... પણ... પણ કવિના પ્રારબ્ધમાં વેદના છે. કવિ એકલા આકાશ તળે ઊભી ઉરબોલના પડઘા ઝીલવા જાય છે પણ લાભે છે તો આ :{{Poem2Close}}
<Poem>
‘વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.’</Poem>
{{Poem2Open}}
આ ગીતની છેલ્લી કડી ન હોત તો ન ચાલત ? આ કડી પહેલી કડીથી ઊણી ઊતરે છે એ હકીકત છે. કવિએ ગીતના છૂટા છેડાને ગાંઠ તો મારવી રહી, પરંતુ એમ કરતાં ગીતને કંઈક હાનિ તો થાય છે જ. આ ગીતનો લય, શબ્દોની પસંદગી, ભાવની અપૂર્વતા તથા નજાકત, રજૂઆતમાં પ્રતીત થતી ભાવાનુકૂળ સ્વાભાવિકતા – આ બધું હૃદયંગમ છે. ‘રખડુનું ગીત’, ‘ભોમિયા વિના’ જેવું સ્વાભાવિક ભાષા-લય-ગતિવાળું પ્રતીત થતું નથી. ‘પા પા પગલીએ ચલવી પૃથ્વીના પંથોનો વારસો દીધો’, ‘ધરતીમૈયાની હવે સાથે ફરીશ હું – તેજ ને તિમિરની ફેરી –’ જેવી કેટલીક કલ્પનોત્થ પંક્તિઓ છે, ભાવનાની ઉન્નતતા પણ ધ્યાનાર્હ છે; છતાં ગીત કંઈક બોજલ – ‘મેઇડ’ લાગે છે. ‘ઝરણું’ કવિનું બાલગીત છે. બાલગીતને આવશ્યક એવી લયની મજા છે, ભાષાનો સ્વાદ અને એમાં રમતિયાળપણું અનુભવાય છે. ‘ઝરણું’ શબ્દની ઉપસ્થિતિ ઝરણાના રૂમકઝૂમકપણાને શ્રવણગોચર બનાવી રહે છે. અહીં ઝરણાથી વિશેષ કવિએ કશું તાક્યું નથી એ પણ આનંદની વાત છે. ઝરણું અલકમલકથી આવે ને ઝરણું અલકમકમાં જાય – કેવી મજાની આ વાત છે ને કેવી મજાથી કહેવાઈ પણ છે ! આ બાલગીતશૈલી કવિએ યત્કિંચિત્ ‘મારું નામ રમતીભમતી’, ‘પતંગિયું’ જેવામાંય અજમાવી છે ખરી ! જોકે ‘મારું નામ રમતી-ભમતી’માં કવિતાની અપૂર્વતા પ્રથમ પંક્તિમાં છે. પછી ગીત કંઈક કલ્પનાભારવાળું બન્યું છે. ‘પતંગિયું’માં લયની સરળતા, કલ્પનાની અપૂર્વતા ને ભાષાની વિશદતા બાલગીતને અનુકૂળ આવે એવાં લાગે છે. મેઘધનુ તૂટીને એના ટુકડા થયા ને તે હવે એક થવા પતંગિયા રૂપે મથે છે એ કલ્પના-તર્ક મજાનો છે. ઉમાશંકરે ‘ધારાવસ્ત્ર’માં આપેલાં ૧૧ બાલકાવ્યોના લય માત્રામેળસિદ્ધ છતાં કંઈક અલગ છે. ગાન કરતાં પઠન માટેની જાણે એ રચનાઓ છે. ઉમાશંકરે સાભિપ્રાય એ ગુચ્છના મથાળામાં ‘બાળકાવ્યો’ શબ્દ પ્રયોજ્યો છે. ‘વાટડી’ ને ‘ચીલા’ પણ ઉમાશંકરના ગીતવિષય બને છે. ‘વાટડી’માં વાટડી પોતે બોલતી હોય એ રીતનું નિરૂપણ છે ને તેથી ‘ધરતી માથે હું સેંથી પડી’ જેવી કલ્પના સુંદર છતાં સર્વથા અનુકૂળ લાગતી નથી. ‘વાટડી’ સાથે ‘જાતડી’નો પ્રાસ પણ ખૂંચે છે. ‘ચીલા’માં કવિનો આયાસ જો દેખાય છે, તો કવિની સૌન્દર્યદૃષ્ટિનો પ્રતાપ પણ ‘છૂટું જરી જ્યાં વાડ પૂંઠળથી જાગે મરડી કાય’ – એ રીતે થતા ચીલા-દર્શનમાં વરતાય છે. ‘દૂર શું ? નજીક શું ?’માં જે રીતે અન્ય પંક્તિલય-સંદર્ભમાં ‘કે હોડીને દૂર શું ? નજીક શું ?’ ધ્રુવપંક્તિ ગોઠવાય છે તે રોચક છે. કવિકર્મની સભાનતા – ભાષાને સંક્ષિપ્ત લયપ્રવાહને અનુરૂપ ઢાળો આપવાનો કવિનો પુરુષાર્થ પણ વરતાય છે. ‘કદી કૂદી દે તારલાને તાલી, હસંત મતવાલી’ જેવી પંક્તિઓમાંની કલ્પના, પ્રાસબદ્ધતા પણ સર્વથા ભાવકને અનુકૂળ ન જણાય એમ બને. ‘શશિકલા’ તો એક અપ્રકટ નાટકનું ગીત છે. આ ગીત વાંચતાં શ્રીધરાણીની ગીતકળાનું સ્મરણ થાય છે. અહીં ભાષાલય કવિના વક્તવ્યને અનુસરતો જણાય. ‘મારે અંબોડલે’ તો ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવા લોક-પ્રચલિત ગીતની યાદ આપે છે. ‘ભાઈ મારો ડોલર, હું બ્હેની ચમેલડી’ જેવી કલ્પનામાં લોકકવિની ચાલ ડોકાય છે. ‘ચૂંટે તો, બેન, મને–’માં ભાવ-કલ્પનાની મધુરતા તથા ઉન્નતતાને અનુકૂળ ભાષા–લય સિદ્ધ કરવાનો કવિનો પ્રયાસ છે. કવિને અવારનવાર ગીતોમાં નાટ્યાત્મક નિરૂપણરીતિ અજમાવવાનું ગમે છે. અહીં એ પ્રકારની રીતિની અજમાયશ છે. ‘મારે અંબોડલે –’, ‘ચૂંટે તો, બેન, મને –’ જેવાં ગીતો કુટુંબભાવની – ભગિનીપ્રેમની દૃષ્ટિએ ઉલ્લેખનીય ગણાય. ‘પંપાસરોવરે’માં કવિની સૌન્દર્ય-કલ્પનાનો પ્રકર્ષ ઠીક ઠીક પ્રમાણમાં અનુભવી શકાય છે. પાત્રો પોતે પોતાની વાત કરતાં હોય એ રીતનાં આત્મકથનાત્મક ગીતો ઉમાશંકરને લખવાનું સારી રીતે ફાવે છે. ‘શૂર્પણખા’, ‘શબરી’, ‘હનુમાન’ – એ ગીતો એનાં દૃષ્ટાંતો છે. ‘શૂર્પણખા’માં પ્રાસનો પુરુષાર્થ ‘ભરખા’, ‘હરખા’માં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, જે સુભગ નથી. એમાં ભાવ-વિચાર ને ભાષાનું રસાયણ સિદ્ધ થઈ શક્યું લાગતું નથી. ‘શબરી’માં ભાવનું સારલ્યવૈશદ્ય ભાષાલયમાં કંઈક ઊતરી શક્યું છે. ‘હનુમાન’માં ગીતની શરૂઆત થાય છે ‘હુપાહુપ, હુપ્, હુપાહુપ્’ – એ શબ્દોથી. ‘ખિસકોલી’માં કવિમુખે ખિસકોલીનું વર્ણન છે. ‘ખિસકોલી’ માટેનો ભાવ કવિના ‘વાલામોઈ ખિસકોલી’ એવા શબ્દપ્રયોગમાં પ્રગટ થાય છે. ‘ખિસકોલી’નું ધ્રુવપદ તરીકે પંક્તિએ પંક્તિએ આવવું ગીતને અનુકૂળ બની રહે છે. ‘ભૂલું પડ્યું’નો લય અને ભાવ ગુજરાતી કવિતાને પરિચિત છે. બાળક તે તો ભગવાનનું જ બાળક વળી. એ જ વાત આ ગીતમાં કવિએ મૂકી છે. ‘લવારું’ ગેય છે, પણ એ રચના છંદોબદ્ધ પણ છે અને તેને સહેલાઈથી કુલાધારી તથા અનુષ્ટુપ છંદના મિશ્રણરૂપ બતાવી શકાય એમ છે. ‘લવારું’ આત્મબાળ સાથે જોડાતાં તેમાંથી સુંદર અર્થચ્છાયાઓ પ્રગટ થાય છે.
‘આવો, આવો કાન –’ એ કૃષ્ણ-ગીત છે. કૃષ્ણ ઉમાશંકરનું પ્રિય પાત્ર છે અને તે પાત્રનો વિનિયોગ ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં સરસ રીતે થયો છે. કૃષ્ણ પ્રત્યેના ઉમાશંકરના અભિગમમાં જીવનદર્શનની તાત્ત્વિક તેમ જ વાસ્તવિક ભૂમિકાનો મહિમા તુરત ધ્યાન ખેંચે છે. તિરુઆનંદપુરમ્ના મંદિરના કલ્યાણ–મણ્ટપમ્માં જોયેલી ચતુર્ભુજ મૂર્તિ ઉમાશંકરને ‘અદ્ભુત’ લાગી છે તેનું કારણ તે મૂર્તિના બે હાથ ખોળામાં બુદ્ધ-મહાવીર પેઠે ધ્યાનસ્થ મુદ્રામાં છે, અને બીજા બે હાથ બંસી વગાડવામાં રોકાયા છે તે છે. આ કારણ આપનાર ઉમાશંકરના કૃષ્ણ પ્રત્યેના આકર્ષણનું રહસ્ય પામવું મુશ્કેલ નથી. ઉમાશંકરે એમની કવિતામાં કૃષ્ણને જીવનની વિધેયાત્મક – સર્જનાત્મક – આનંદમૂલક શક્તિના સંદર્ભમાં રજૂ કર્યા છે. કૃષ્ણની લલિતમધુર બાલલીલા આદિનું એમને આકર્ષણ છે, છતાં કૃષ્ણના સંદર્ભે મહદંશે જીવનની સમજનો કોઈ ગંભીર દાર્શનિક સંદર્ભ આવીને રહે છે. આ ગીતમાં પણ ત્રણેય ખંડકમાં કૃષ્ણને અનુક્રમે મંદિરિયે, ખેતરને ખોળલે તથા આંબલિયા-કુંજમાં નિમંત્રણ અપાયું છે. ત્રણેય સ્થળના સંદર્ભે પ્રયોજનમાં પણ વૈશિષ્ટ્ય જોવા મળે છે અને જીવનકળાનો નૂતન સંદર્ભ અભિવ્યંજિત થાય છે. ગોપાલન, બળદેવ (કે હળદેવ ?)ની સહાયથી કૃષિકર્મ અને છેલ્લે નીરસતા કે વિરસતાને દૂર કરતી रसो वै सः। – એવા કૃષ્ણની વસંતલીલા-રાસલીલા – આમ ત્રિવિધ રીતે જીવનની પૂર્ણ કળાને કૃષ્ણકૃપાએ પામવાનો આશય અહીં સૂચિત થાય છે. આ રીતે આપણી પરંપરાગત કૃષ્ણ-કવિતામાં આ કાવ્ય વિશિષ્ટ જરૂર ગણાય. ઉમાશંકરે ‘એક સમે ગોકુળમાં’ તથા ‘માધવને મુખડે મોરલી’માં કૃષ્ણને યાદ કર્યા છે. ‘એક સમે ગોકુળમાં’ તો ચાતુરીયુક્ત સંવાદગીત બની રહે છે. એમાં રમણીય રીતે કૃષ્ણ-ગોપીનો સ્નેહ અભિવ્યક્ત થાય છે. ‘માધવને મુખડે મોરલી’માં કવિ-કલ્પના રસ-ચમત્કાર સર્જીને રહે છે. કાવ્યનો ચમત્કાર સ્નેહના ચમત્કારને વ્યંજિત કરતો પ્રગટ્યો છે અને તેની મજા છે. એ ગીતમાં કૃષ્ણની મોરલી ઓચિંતી અટકી જતાં રાધાનો જીવ ટૂંપાવાની વાત કલાત્મક રીતે – સરલ લયમાં પ્રતીતિકર રીતે આવી છે, કિશનસિંહને આ ગીતમાં બાઉલગીત જેવી સહજતા જણાઈ છે.૧૨૮
ઉમાશંકરે ગુજરાત-વિષયક – ભારત-વિષયક કવિતા માટે ગેય પદ્યબંધ (ને તેય સામુદાયિક રીતે ગાઈ શકાય તેવો ગેય પદ્યબંધ) પસંદ કર્યો છે એ બાબત નોંધપાત્ર છે. ઉમાશંકરે ગુજરાત વિશે ઉપરાંત ગુજરાતણ, ગુજરાતી ભાષા વગેરે વિશે ગીતો – કાવ્યો આપ્યાં છે. વળી એમનાં ગુજરાત-વિષયક ગીતો ઠીક ઠીક જાણીતાં થયાં છે, તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’ જેવાં ગીતો તો વિશેષ. આ પ્રકારનાં કાવ્યોમાં વિચાર-ભાવનાનું પ્રાધાન્ય હોવાના દાખલા વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ગુજરાતની સંસ્કૃતિની લાક્ષણિકતાઓ – એની સિદ્ધિઓ વગેરેને વણી લેવાની કવિની વૃત્તિનું પ્રાબલ્ય ગીતના ઘડતર-કલેવરમાં જોઈ શકાતું હોય છે ! ‘ગૂજરાત મોરી મોરી રે’નો ઉપાડ, એમાંનાં કેટલાંક ચિત્રો આસ્વાદ્ય છે; દા. ત., {{Poem2Close}}
<Poem>
'''“કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,'''
'''નમણી પનિહારીને ભીને અંબોડલે,'''
'''નીરતીર સારસશાં સુખ-ડૂબ્યાં જોડલે'''
{{Space}} '''ગૂજરાત મોરી મોરી રે.”'''</Poem>
{{Poem2Open}}
‘હું ગુર્જર ભારતવાસી’ – એ પ્રથમ પંક્તિ જ રાષ્ટ્રીય એકાત્મતાની તેમ જ ગુજરાતી સંસ્કારપરંપરાની દ્યોતક સૂત્રાત્મક પંક્તિ બની શકી છે. ગુજરાત-વિષયક રચનાઓમાં કવિની નજર અર્થ તરફ વિશેષ રહેતી દેખાય છે. જો એમ ન હોય તો જે પ્રકારે ગુજરાત-વિષયક કાવ્યોમાં સાંસ્કૃતિક મુદ્રાઓની, વિશેષણોની તેઓ પસંદગી કરે છે તે શક્ય ન બને. વળી આ સાથે કવિકર્મ માટેનો એમનો આગ્રહ પણ ઉત્કટ હોય છે. ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?’ આ એક જ પંક્તિનો પણ આ સંદર્ભમાં વિચાર કરી શકાય. ‘ધન્ય ભૂમિ ગુજરાત’ ગુજરાત-સ્તોત્ર છે તો સાથે જાણે ગુજરાત પરનો નિબંધ પણ છે ! કવિનો ગુજરાતપ્રેમ અહીં ગુજરાતની સંસ્કૃતિની પરિચય–વિધિમાં મુખર થયેલો જોઈ શકાય છે. ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ?’ જેવી રચનાઓના સ્ફુરણમાં આપણી ગુર્જર-સ્તોત્રકવિતાની પરંપરા કારણભૂત હોય એમ લાગે છે. ગુજરાતની સંસ્કૃતિને રાષ્ટ્રીયતા ને માનવતાની વ્યાપક ભૂમિકાએથી નિરૂપવાનો ઉમાશંકરનો સભાન પ્રયત્ન આ ગીતોમાં છે.S આ ગીતો શુદ્ધ કવિતા લેખે ભલે અમુકતમુક બાબતમાં ઊણાં ઊતરે, પણ ગુર્જરસ્તોત્રકવિતામાં એમનો ફાળો મહત્ત્વનો છે જ. તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’માં ગીતતત્ત્વ મહદંશે સિદ્ધ થયેલું વરતાય છે. ભારતવિષયક કાવ્યો અર્થદૃષ્ટિએ મહત્ત્વનાં છે તેટલાં ગીતદૃષ્ટિએ નથી.
ઉમાશંકરે ગીતવિષયક ગીતો ઠીક પ્રમાણમાં લખેલાં છે. એમના ‘અભિજ્ઞા’ સુધીનાં દરેક કાવ્યસંગ્રહમાં કોઈ ને કોઈ ગીતરચના કવિતા-ગીત સંદર્ભે મળે છે. ‘ગંગોત્રી’ના ‘ગીતગંગોત્રી’ કાવ્યમાં ગીતને સ-જીવ રૂપ બક્ષીને (‘પર્સોનિફિકેશન’) વર્ણવ્યું છે તે અગત્યનું છે. ગીત પોતાનું ઉદ્ભવસ્થાન શોધતું ઘૂમતું હોય એ કલ્પના રમણીય છે. આ કાવ્યમાં કવિની કલ્પનાશક્તિ રૂઢ રીતે છતાં ઠીક ઠીક બળપૂર્વક
{{Poem2Close}}
_____________________________
<small>એ પ્રયત્ને જ લુણેજ ‘નૂતન રાષ્ટ્રતીર્થ’ તરીકે ‘ધન્ય ભૂમિ ગુજરાત’માં પ્રવેશ પામે છે. (અભિજ્ઞા, પૃ. ૭૭)</small>
{{Poem2Open}}
પ્રગટ થયેલી દેખાય છે. કેટલાંક રમ્ય ચિત્રો આ ગીતમાં ખડાં થઈ શકેલાં જણાય છે. આ ગીતમાં કવિની નિજી શૈલીનું કોઈ સુઘડ રૂપ બંધાયું હોય એવું પ્રતીત થતું નથી. ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં ઉમાશંકરે ‘ગીતગંગોત્રી’ની જેમ ‘નવાં નવાણ’ પણ લીધું નથી. ‘નવાં નવાણ’માં ‘એ ગીત મારે ગાવું સખી’ ધ્રુવપંક્તિને ને સમુચિત સંદર્ભ આપવાનો કવિનો પ્રયાસ તુરત જ વરતાઈ આવે છે. ઉમાશંકરે ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં ‘નિશીથ’માંથી ‘ગીત ગોત્યું ગોત્યું’ અને ‘ગાણું અધૂરું’ તો ‘આતિથ્ય’માંથી ‘અમે ગાશું’ અને ‘ગીત મારાં’ રચનાઓ લીધી છે. કવિની ગીતની ખોજ કેવી રમણીય છે તે તો ‘ગીત ગોત્યું ગોત્યું’ રચના બતાવે છે જ અને ગીત ગોતવા છતાં ન જડ્યાની ઘટના કવિની ગીતની ખોજ કેટલી સાચી છે ને અવિરત છે તેની સૂચના પણ કરે છે. ‘ઉરે આંસુ પછવાડે હીંચતું ને સપનાં સીંચતું’ ગીત કવિને ન જડ્યું એ જ સારું થયું. એ ન જડવાની ઘટનામાં જ એમની કવિતા – એમનું ગીત જે ટકી રહેલું છે તે આપણે પામીએ છીએ – માણીએ છીએ. સૂતા ઝરણાને જગાડી ઉછીનું ગીત માગવાની કવિની વાત જ મર્મસ્પર્શી છે. ઝરણા આગળ ‘અરવલ્લીના આ બાળક’ ઉમાશંકરનું કવિહૃદય કોઈ અનોખી તાજગીથી મુખર થતું – ઉલ્લસતું જણાય છે. ‘ગાણું અધૂરું’માં ગીતનો આત્મા સુપેરે ઊતરેલો પ્રતીત થાય છે. આ ગીતમાં જે સ્વાભાવિકતાથી ભાવની નિખાલસ અભિવ્યક્તિ અને લયાન્વિત છટા સિદ્ધ થઈ શકી છે તે આકર્ષક છે. વળી ભાષાનું કશાયે ભદ્રિકતાના ભાર વિનાનું ભાવની એક પ્રકારની અસલિયત પ્રગટ કરતું પોત પણ ગમી જાય એવું છે. શબ્દની થોડીક હેરફેરથી વક્તવ્યને વળ આપવાની પદ્ધતિ રૂઢ, પણ અહીં તાજગીભરી રીતે – સફળ રીતે અજમાવાઈ છે; દા. ત., {{Poem2Close}}
<Poem>
'''“ગાણું અધૂરું મેલ્ય મા,'''
'''’લ્યા વાલમા,'''
'''ગાણું અધૂરું મેલ્ય મા.'''
'''હૈયે આયેલું પાછું ઠેલ મા'''
'''’લ્યા વાલમા,'''
'''હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું'''
'''હૈયાં સંગાથે ભૂંડા ખેલ મા,'''
'''’લ્યા વાલમા,'''
'''ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું”'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૮)}}
26,604

edits

Navigation menu