પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,155: Line 1,155:
<br>
<br>


<center>
<center>'''ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'''</center>
રા.રા. હિમ્મતલાલ ગણેશજી અંજારિયાકૃત ‘કાવ્યમાધુર્ય’ ને ‘કવિતાપ્રવેશ’માં તેમજ રા.રા. ખાનસાહેબ અને સ્વ. દેશભક્તકૃત ‘સાહિત્યરત્ન’ અને રા.રા. રતનરામ ઉત્તમરાણ ભટ્ટકૃત ‘સાહિત્યવિલાસ’માં ગુજરાતી સાહિત્યની રૂપરેખાનું સ્થૂલ ચિત્ર આલેખવામાં આવ્યું હતું; પણ સમગ્ર ચિત્ર દૃષ્ટાન્તો સાથે નિરૂપવાનું માન રા.રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને ઘટે છે. ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો’ પ્રથમ અંગ્રેજી ભાષામાં અને હાલ ગુજરાતી ભાષામાં પ્રગટ કરી એમણે ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. વધારે વિસ્તૃત ને વિવેચનવાળા ગ્રન્થની જરૂર છે એ તો હરકોઈ કબૂલ કરશે. રા.બ. કેશવલાલભાઈ, રા. આનંદશંકરભાઈ, રા. નરસિંહરાવભાઈ, કે રા.બ. રમણભાઈ જેવા ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસકની કલમે એવો વિસ્તૃત અને પુષ્કળ દૃષ્ટાન્તોવાળો તથા કાવ્યશાસ્ત્રની દૃષ્ટિથી રસ, ગુણ, દોષ, અલંકાર આદિનું વિવરણ કરનારો ગ્રન્થ રચાય તો તે અવશ્ય સાહિત્યના અલંકારરૂપ થાય.
<br>
<br>


<center>'''સાહિત્યની અભિવૃદ્ધિ કરનારી સંસ્થાઓ'''</center>
એવી સંસ્થાઓમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી મુખ્ય છે. એ મંડળે અનેક ગ્રન્થોનાં ભાષાન્તર કરાવ્યાં છે, તેમાં થોડાંક સંસ્કૃત ગ્રન્થોનાં પણ છે. ઘણા સારા ગ્રન્થો – તેમાં કેટલાક સ્વતન્ત્ર ગ્રન્થો પણ છે – લાંબો વખત થયાં સોંપાયા છે, પરંતુ હજી તૈયાર થયા નથી.
હાલમાં પ્રાચીન કાવ્યો પ્રસિદ્ધ કરવાનું કામ સોસાઇટીએ માથે લીધું છે એ સ્તુત્ય છે. રા.રા. અંબાલાલ બુલાખીરામ જાનીને સોસાઇટીએ ભીમની ‘હરિલીલા’ સંશોધન કરી પ્રસિદ્ધ કરવાનું કામ સોંપ્યું છે. એ ગ્રન્થ અને સંશોધન કરનાર બંનેની પસંદગી સારી કરી છે. એમની ‘સુભદ્રાહરણ’ની આવૃત્તિ ઉત્તમ છે, તેમ જ ‘કાવ્યદોહન’ના ૮મા અંકમાં ‘કવિ નાકર’ વિશેનો એમનો લેખ ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસ અને સૂક્ષ્મ સંશોધકવૃત્તિની સાક્ષી પૂરે છે. એ જ દિશામાં રા.રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા પણ ઘણું સારું કામ કરે છે.
એ જ માર્ગમાં રા.રા. મંજુલાલ રણછોડલાલ મજમુદારે ખાનગી રીતે પ્રસિદ્ધ કરેલું ‘સુદામાચરિત્ર’નું પુસ્તક ગ્રન્થકારનો પરિશ્રમ, વિદ્વત્તા, ને સંશોધનની સારી સાબિતી આપે છે.
સાહિત્ય પરિષદની ભંડોળકમિટી પણ પુસ્તકો પ્રસિદ્ધ કરાવી સાહિત્યને ઉત્તેજન આપે છે. એમાં રા.રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીકૃત ‘મ્હારી કમળા અને બીજી વાર્તાઓ’ સારું પુસ્તક થયું છે; તેમજ પ્રો. મૅકડોનેલકૃત ‘સંસ્કૃત વઙ્મયના ઇતિહાસ’નું પ્રૉ. મોહનલાલ પાર્વતીશંકર દવેએ કરેલું ભાષાન્તર, જે પ્રસિદ્ધિ પામવાની તૈયારીમાં છે, તે પુસ્તક ગુજરાતી ભાષાના વાચકોને બહુ ઉપયોગી હકીકત પૂરી પાડશે. ભાષાન્તરકારે ગ્રન્થકાર પાસેથી બીજી આવૃત્તિમાં કરવામાં આવનાર વધારાની હકીકત મેળવી તે ભાષાન્તરમાં આપેલી હોવાથી અને મૂળ ગ્રન્થની બીજી આવૃત્તિ હજી પ્રસિદ્ધ થયેલી ન હોવાથી એ પુસ્તક કૉલેજના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી નીવડશે.
સ્વામી અખંડાનંદે ‘સસ્તાસાહિત્ય’માં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ભગવદ્ગીતા’ જેવાં પુસ્તકોનાં અનુવાદ; ‘સ્વામી રામતીર્થ’, ‘ટૉલ્સ્ટૉય’ જેવા મહાત્માઓનાં જીવનચરિત્ર; ‘ કલાપીનો સંવાદ’ ‘સ્વીડનબર્ગના ધર્મવિચાર’, ‘અખાનાં કાવ્ય’ આદિ અનેક ઉપયોગી ગ્રન્થોની સસ્તી આવૃત્તિ છાપી સાહિત્યનો પ્રસાર જનમંડળમાં વધાર્યો છે એ અતિસ્તુત્ય છે.
સ્વ. નારાયણ હેમચંદ્રે પણ અનેક ઉપયોગી ગ્રન્થો સંક્ષેપમાં પ્રસિદ્ધ કર્યા છે; પણ ભાષા સરળ ને શુદ્ધ ન હોવાથી તે જોઈએ તેવા ઉપયોગી થયા નથી.
જાણીતા ‘ગુજરાતી’ પત્રના અધિપતિ સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અનેક રીતે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરી છે. ‘કાવ્યદોહન’ના મોટા ૮ અંકો તેમણે પ્રસિદ્ધ કર્યા છે, તેમાં ગુજરાતી ને જૈન કવિઓનાં કાવ્યોનો સંગ્રહ આપ્યો છે. બીજા બે અંકો જેટલું લખાણ હસ્તલિખિતરૂપમાં એમની પાસે છે. તેમજ ‘નરસિંહ મહેતાનાં કાવ્યો’નો સંગ્રહ પણ તેમણે છાપ્યો છે. વળી વાર્ષિક ભેટનાં પુસ્તકોમાં રા. નારાયણ વસનજી ઠક્કુરકૃત નવલકથાઓ છાપી છે અને ‘દીવાળીના અંક’માં વિદ્વાન સાક્ષરોના ને સાહિત્યસેવકોના ઉપયોગી લેખો પ્રસિદ્ધ કરી સાહિત્યવૃક્ષને પોષ્યું છે.
વડોદરા રાજ્યના વિદ્વાન, સાહિત્યપ્રેમી, ને ઉદાર મહારાજા સાહેબ શ્રીમન્ત ગાયકવાડ સરકારના રાજ્યમાં ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિને અપૂર્વ પોષણ મળ્યું છે. એમના સુજ્ઞ, પરોપકારશીલ, વિદ્યાપ્રેમી, દીવાન શ્રીમન્ત મણિભાઈ જસભાઈ સાહેબના સમયમાં રા. હરગોવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળા વિદ્યાધિકારી હતા ત્યારે ‘પ્રાચીન કાવ્યમાલા’ના ૩૦ ગ્રન્થો સંશોધન ને ટિપ્પણ સાથે પ્રસિદ્ધ થયા છે, તેમાં રા.રા. છોટાલાલ નરભેરામકૃત અલંકારાદિ દર્શાવતું ટિપ્પણ સારું છે. પ્રો. ગજ્જરના અધ્યક્ષપણા નીચે ‘શ્રીસયાજીજ્ઞાનમંજૂષા’માં અનેક ઉપયોગી ગ્રન્થો પ્રસિદ્ધિ પામ્યા છે. ચોથી સાહિત્યપરિષદ વડોદરામાં મળી તે સમયે શ્રીમન્ત મહારાજા સાહેબે ગુજરાતી મરાઠી, ને હિંદી ભાષાના સાહિત્યની વૃદ્ધિને અર્થે એક લાખ રૂપિયાની મોટી રકમ અલાયદી કાઢી, તેના વ્યાજમાંથી સર મનુભાઈ જેવા વિદ્વાન ને વિદ્યાવિલાસી દીવાન સાહેબના વિદ્યાભિવૃદ્ધિ ને સાહિત્યની ઉન્નતિને માટેના પ્રેમને લીધે વિદ્યાધિકારીઓ, મિ. મસાણી, મિ. ક્લાર્ક અને રા.રા. નંદનાથ કેદારનાથ દીક્ષિત જેવા સાહિત્યપ્રેમી વિદ્વાનોના અધ્યક્ષપણા નીચે ‘શ્રીસયાજીસાહિત્યમાળા’માં ‘વિજ્ઞાન-ગુચ્છ’, ‘ચરિત્ર-ગુચ્છ’, ‘ઇતિહાસ-ગુચ્છ’, ‘વાર્તા-ગુચ્છ’, ‘ધર્મ-ગુચ્છ’, ‘નીતિ-ગુચ્છ’, ‘શિક્ષણ-ગુચ્છ’, અને ‘પ્રકીર્ણ-ગુચ્છ’ એવા ૮ ગુચ્છોમાં અનેક પુષ્પો વિકાસ પામ્યાં છે. તેમાંનાં કેટલાંક સૌરભ ને ઉપયોગિતા માટે જનમંડળમાં પ્રકાશ પામશે એ નિઃસંશય છે. એ પુસ્તકાવલીમાં ઘણાં પુસ્તકો ભાષાન્તરાત્મક છે; પરંતુ ચરિત્ર-ગુચ્છમાંના કવિઓનાં જીવનચરિત્રોમાં પુસ્તકો સારાં છે. એ ખાતામાં રા. જોશીપુરાની સેવા સ્તુત્ય છે. વિજ્ઞાન-ગુચ્છમાં રા.રા. નર્મદાશંકર દેવશંકરનું ‘સુપ્રજનનશાસ્ત્ર’નું પુસ્તક તથા રા. હીરાલાલ વ્રજભુખણદાસ શ્રોફનું રચેલું ‘સત્યાર્થમીમાંસા’નું પુસ્તક ઉત્તમ છે. આ પુસ્તકાવલી સાથે ‘શ્રી સયાજીબાળજ્ઞાનમાળા’ પણ છપાય છે, તેમાં પણ ‘પાવાગઢ’, ‘સુરત’, ‘બૌદ્ધ ગુફાઓ’, ‘મહાબળેશ્વર’ તેમજ ‘ગ્રહણ’, ‘વાતાવરણ’ જેવા ઉપયોગી વિષયો પર લઘુ પણ ઉપયોગી લેખો છે.
વળી વડોદરા રાજ્યે સાક્ષર આચાર્યવર્ય આનંદશંકરભાઈ પાસે ‘નીતિશિક્ષણ’, ‘ધર્મપોથીનું પુસ્તક’ તથા રામાનુજનું ‘વેદાન્ત ભાષ્ય’એ ઉત્તમ પુસ્તકો તૈયાર કરાવી સાહિત્યમાં સંગીન અભિવૃદ્ધિ કરી છે. એ જ દિશામાં વડોદરા રાજ્યે શાસ્ત્રીજી રામકૃષ્ણ પાસે કરાવેલું ‘ નિર્ણયસિંધુ’નું ભાષાન્તર અને સ્વ. મણિલાલ ન. દ્વિવેદી પાસે કરાવેલું ‘વિવાદતાણ્ડવ’નું ભાષાન્તર એ ઉપયોગી ધર્મશાસ્ત્રના ગ્રન્થો છે.
વડોદરાના શ્રીમન્નૃસિંહાચાર્યના અનુયાયીઓના શ્રેયઃસાધક-અધિકારીવર્ગ તરફથી સદ્ગત છોટાલાલ જીવણલાલના તન્ત્રીપણા નીચે પ્રગટ થતા ‘મહાકાલ’માં ઘણા ધાર્મિક, ઉપયોગી વિષયો આવતા, તેમજ ‘શ્રીસિદ્ધાન્તસિંધુ’ આદિ ગ્રન્થો પણ છપાયા છે. એ વર્ગના લેખકોમાં રા.રા. નગીનદાસ સંઘવી તેજસ્વી ભાષામાં ધર્મના વિષય પર સુંદર પ્રકાશ પાડે છે. એમનાં વ્યાખ્યાન ને લેખો સીધા, સચોટ, ને મરોડદાર છે. તેનો સંસ્કાર શ્રોતા ને વાચકના હૃદય પર ઊંડો પડે છે. એ જ માર્ગના પ્રો. કણિયા જેકીસનદાસનું ‘યોગશાસ્ત્ર’નું ગુ.વ.સો.એ કરાવેલું ભાષાન્તર ઉત્તમ છે.
<br>
<br>


<center>'''ગુજરાત પુરાતત્ત્વમંદિર'''</center>
આ સંસ્થા તરફથી પણ પુસ્તકો પ્રસિદ્ધિ પામવા માંડ્યાં છે ને તેમાંનાં કેટલાંક બહાર પડી ચૂકેલા ઉપયોગી છે. ‘પાલીપાઠાવલી’ ને ‘પ્રાકૃત કથાસંગ્રહ’ પ્રાકૃતભાષાના અભ્યાસકને ઉપયોગી થશે. રા.રા. રામનારાયણ વિ. પાઠકકૃત ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ રા. કાલેલકરકૃત ‘ઉપનિષત્પાઠાવલી’ તથા ‘હિંદુઓના તહેવારોનો ઇતિહાસ’ આ પુસ્તકોની પ્રસિદ્ધિ, એ ઉપયોગી માર્ગમાં પ્રયત્ન છે ને તે આદરણીય છે. દક્ષિણી લેખકોમાં પ્રો. ભીડે ને રા. કાલેલકરના લેખો ઊંચી પ્રતિના છે.
<br>
<br>
<center>'''વાચનમાળા'''</center>
અંગ્રેજી ભાષામાં વિવિધ વાચનમાળા ભિન્ન ભિન્ન દૃષ્ટિથી છે. ગુજરાતી ભાષામાં દુર્ભાગ્યે સરકારી વાચનમાળા, પ્રથમ હોપકૃત ને પછી કૉવર્ન્ટનકૃત સિવાય અન્ય ગ્રન્થમાળા અત્યાર સુધી નહોતી. અમે સંપૂર્ણ ‘ત્રિવેદીવાચનમાળા’ યથાશક્તિ, યથામતિ રચી છે. ત્યાર પછી રાષ્ટ્રીય વાચનમાળાનાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે, રા. પુરુષોત્તમ મૂળશંકર ભટ્ટે ‘ભૃગુપુરઋષિનિવાસગ્રન્થાવલિ’ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન આદર્યો છે ને તેનો ખંડ ‘જ્ઞાનમંદિર’ બહાર પડ્યો છે. આવા પ્રયત્ન સરકારની કે રાજ્યની સહાયતા વિના થવા દુષ્કર છે. એમાં પ્રાથમિક કેળવણીનાં તત્ત્વનું જ્ઞાન, પરિશ્રમ, અને ચિત્રો તથા ચિત્રો માટે ખોખાં તૈયાર કરાવવાનો ખરચ એ બધી સાધનસંપત્તિની જરૂર છે. એવા પ્રયત્ન ઉત્તેજનને પાત્ર છે એની તો કોઈથી ના કહી શકાય એમ નથી. પ્રયત્નમાત્ર આરંભમાં સંપૂર્ણ હોઈ શકતા નથી. ધીમે ધીમે તેમાં જનમંડળની રુચિ પ્રમાણે સુધારા થાય છે; અને અનેક હાથે અને અનેક શિષ્ટ લેખકો પાસે તૈયાર કરાવેલી કૉવર્ન્ટનની વાચનમાળા પણ સરકારે નીમેલી ત્રણચાર કમિટીના કરેલા સુધારા અમલમાં મુકાયા પછી જ હાલની સ્થિતિએ પહોંચી છે, ને હજી પણ એમાં અનેક સુધારાની ખીચોખીચ ઠાંસીને ભરેલી હોવાથી એ પાઠો લેશ પણ માન્ય થવા પામ્યા નથી.
<br>
<br>
<center>'''ભાષા: ભાષાશૈલી'''</center>
મહાભાષ્યકાર પતંજલિ કહે છે કે ભગવાન્ વાર્ષ્યાયણિએ ક્રિયાના છ પ્રકારના વિકાસ દર્શાવ્યા છેઃ ઊત્પન્ન થાય છે, અસ્તિત્વ ધરાવે છે, વિપરિણામ પામે છે, વધે છે, અપક્ષય પામે છે, અને વિનાશ પામે છે. પદાર્થમાત્રના આ છ વિકાર થાય છે. ભાષામાં પણ નવીન શબ્દરૂપો ઉદ્ભવ પામે છે ને જૂનાં નષ્ટ થાય છે. જીવન્ત ભાષાઓમાં આ નિયમ હમેશ પ્રવર્તે છે. સંસ્કૃત મૃત ભાષા થઈ અને માત્ર શિષ્ટ વર્ગમાં જ જીવતી રહી ત્યારે જ ભગવાન પાણિનિ જેવા સમર્થ વૈયાકરણે તેને નિયમબદ્ધ કરી. એમને પણ ઘણાં વૈકલ્પિક રૂપો માન્ય કરવાં પડ્યાં છે. અસંસ્કારી વર્ગના જિહ્વાદોષ, ઉચ્ચારની સરળતા, આદિ કારણોને લીધે સંસ્કૃત ભાષામાં વિકાર થઈ ક્રમે ક્રમે પાલી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ થઈ અને અપભ્રંશ ભાષામાંથી દેશી ભાષાઓ જન્મ પામી. એ વિકારો પણ ગમે તેમ મનુષ્યના સ્વચ્છંદ પ્રમાણે થયા નથી, વિકારો પણ નિયમોને અનુસરીને જ થયા છે એ લક્ષમાં રાખવાથી પ્રાકૃતનો અભ્યાસ ઘણો સુગમ થશે. સંસ્કૃતમાં સંધિનિયમોનાં કારણો શોધતાં તે પણ જડશે. બે ત્રણ દાખલાઓથી જ આ વાત સ્પષ્ટ થશે. અ+ઈ=એ; આ+ઉ=ઓ, એ સકારણ જ છે. સંધિસ્વર ‘એ’નું સ્થાન કંઠતાલુ (‘અ’નું કણ્ઠ ને ‘ઈ’નું તાલુ હોવાથી) છે; ‘ઓ’નું કણ્ઠૌષ્ટ (‘અ’નું કણ્ઠ ને ‘ઉ’નું ઓષ્ટ હોવાથી) છે. दुग्घ થઈ दुद्ध થયું; स्तम्म જેવા શબ્દોમાં એવી જ સરળતાથી स्तમાંનો એક વર્ણ લોપાઈ તે ઊષ્મ ને મહાપ્રાણ હોવાથી અલ્પપ્રાણ त् નો મહાપ્રાણ थ् થઈ थम्म થઈ ‘થાંભલેત્’ (‘લો’ લઘુતાવાચક) થયો. એ જ પ્રમાણે स्कन्ध નું खन्घ થઈ ‘ખાંધ’ થયું છે. આમ કારણો શોધતાં અભ્યાસ રસિક ને સુતર થશે. અન્ય પ્રજાના ને કોમોના સમાગમથી ગુજરાતી ભાષામાં ફારસી, અરબી, પોર્ચ્યુગીઝ, અંગ્રેજી, ને દેશ્ય શબ્દો દાખલ થયા છે. પણ ગુજરાતી ભાષાના બંધારણ પર એ વિદેશીય ભાષાની અસર થઈ નથી.
ભાષાશૈલી અને શબ્દશુદ્ધિમાં કાલક્રમે ઘણો સુધારો થયો છે. અગાઉ જેટલા જોડણીના દોષ હાલ આવતા નથી. છતાં હજી પણ નીચેનાં અશુદ્ધ રૂપો ઘણા ગ્રન્થોમાં જોવામાં આવે છેઃ
અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ
પૌર્વાત્ય પૌરસ્ત્ય નર્ક નરક
કે પ્રાચ્ય પદ્વી પદવી
શ્રીયુત્ શ્રીયુત વિક્રાળ વિકરાળ
સતત્ સતત શુદ સુદ
કલેષ ક્લેશ શાશ્વત્ શાશ્વત
બુદ્ધિવાન્ બુદ્ધિમાન્ આશિર્વાદ આશીર્વાદ
નીતિવાન્, વગેરે નીતિમાન્ વગેરે સદૃઢ દૃઢ-સુદૃઢ
મિમાંસા મીમાંસા સશક્ત શક્ત
ઐક્યતા ઐકય સગવડતા સગવડ
ધૈર્યતા, વગેરે ધૈર્ય, વગેરે વિરામતા વિરામ
અદ્ભૂત અદ્ભુત દરેક વસ્તુઓ, દરેક વસ્તુ,
દ્રષ્ટાન્ત, દ્રશ્ય દૃષ્ટાન્ત, દૃશ્ય માણસો, વગેરે માણસ, વગેરે
નીચેના જેવી ભાષા હવે ઓછી લખાય છે એ ખુશીની વાત છેઃ
અંગ્રેજી શૈલીનું અનુકરણઃ કૃત્રિમ રચનાઃ
‘પાત્રતા અથવા સામર્થ્ય તે છે કે જેને લીધે જ ગૃહસ્થના સ્વભાવનો માણસ હિંદુસ્તાન સાથેના સંબંધમાં તો તે એક વિજયાસક્ત વીર કરતાં વધારે કાંઈજ નહોતો.’
‘વેશધારી વૈતાળ સમાન વિક્રાળ બનશે તો ઝાઝી વીટંબણા વેઠવા કાજે, વેશધારીનો વાવટો તે વેદનાનો વાંસડોજ, વેશધારીનાં વણતર તે સદા વિઘ્નોનાં વિંટાળા જ; વેશધારીનું વહાણું તે વરણાગીનો વિકાસ; વેશધારીનો વારસો તે વ્યથાના વ્યાજ.’
<br>
<br>
<center>'''ભાષાશૈલી'''</center>
ભાષાશૈલી વિષયને ઘટે તેવી, પ્રૌઢ ઘટે ત્યાં પ્રૌઢ, મૃદુ ને કોમળ ઘટે ત્યાં મૃદુ ને કોમળ, તેજસ્વી ઘટે ત્યાં તેજસ્વી પણ સર્વત્ર પ્રાસાદિક જોઈએ. વળી ભાષા એકધારી જોઈએ. સરળ ભાષા ચાલતી હોય ત્યાં વચ્ચે શબ્દાડંબર આવે તો તે હાસ્યજનક થાય છે. બંગાળી ભાષાનાં પુસ્તકોમાં એવું ઘણું જોવામાં આવે છે. બંગાળી ભાષામાં આપણી ભાષા કરતાં સંસ્કૃત શબ્દો ઘણી છૂટથી વાપરવામાં આવે છે. આપણી ભાષામાં જે સંસ્કૃત શબ્દો અપરિચિત જેવા લાગે તે બંગાળીમાં રૂઢ થઈ ગયલા હોય છે. ભાષાન્તકારો એવા શબ્દો ગુજરાતીમાં વાપરી વાચકવર્ગને ક્લેશ ઉત્પન્ન કરે છે. નવલકથાનાં જેવાં પુસ્તકોમાં એકધારી સરળ ભાષા ચાલતી હોય ત્યાં વચ્ચે ‘ઉભયકુલપ્લાવિની’ (‘કૂલ’ જોઈએ; ‘તટ’નો અર્થ છે) ‘કલાવિદ્યાપટીયસી’ ‘રમણીકુલલલામભૂતા’, ‘ઉચ્ચશિક્ષાસંજ્ઞામયી’, ‘શૈલપાદમૂલવિહારિણી’ જેવા મોટા સમાસથી ભાષા કઢંગી થાય છે; એથી કંઈ ભાષાની શોભા વધતી નથી.
<br>
<br>
<center>'''વર્તમાનપત્રો ને માસિકો'''</center>
વર્તમાનપત્રોને માસિકો પણ સાહિત્યની ખિલવણીમાં સારો ભાગ લે છે. અગાઉ પારસી દૈનિક પત્રો બહુ અશુદ્ધ ને ક્લિષ્ટ ભાષામાં લખાતાં. હાલ તેમાં ઘણો સુધારો થયો છે. દિન પર દિન ભાષા શુદ્ધ ને જુસ્સાદાર બનતી જાય છે. સાપ્તાહિક પત્રોમાં ‘ગુજરાતી’ અને ‘પ્રજાબંધુ’ અગ્રસ્થાન લે છે. ‘ગુજરાતી’ અનેક દિશાએ સાહિત્યને વિકસાવે છે. એના દીવાળીના અંક વાચકને બહુ ઉપયોગી વાચન પૂરું પાડે છે. દેશીરાજ્યનાં પત્રોમાં ‘સયાજીવિજય’ સારી સેવા બજાવે છે. માસિકોમાં ‘વસન્ત’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘સાહિત્ય’, ‘સમાલોચક’, ‘ગુજરાત’, ‘ગુણસુંદરી’ ને ‘યુગધર્મ’ એ અગ્રેસર માસિકો છે. એમાં ઘણા શિષ્ટ લેખ આવે છે. એક દાયકો ‘વસન્તે’ સાહિત્યની ઘણી અતુલ સેવા કરી હતી. અગાઉ જેમ ‘શાળાપત્ર’માંના લેખો માટે વિદ્વદ્વર્ગ આતુર રહેતો તેવી રીતે ‘વસન્ત’ના લેખો માટે પણ વાચકવર્ગમાં આતુરતા જોવામાં આવતી હતી. એનું માન રા. આનંદશંકરભાઈને ઘટે છે. રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, રા. ગિરિજાશંકર ભ. બધેકા, રા. કાન્તિલાલ છગનલાલ પંડ્યા, પ્રો. મંજુલાલ, રા. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ, રા. ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ, પ્રો. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, રા. રતિપતિરામ પંડ્યા, ભરતરામ ભાનુસુખરામ મહેતા, રા. શંભુપ્રસાદ મહેતા, રા. પ્રાણજીવન વિશ્વનાથ પાઠક, રા. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, રા. કેશવ હ. શેઠ, રા. મણિલાલ નથુભાઈ દોશી, રા. અંબાલાલ બુલાખીરામ જાની, વગેરે લેખકોના લેખ વાંચવાલાયક હોય છે.
માસિકોમાં રા. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાની વાર્તાઓ ઘણી ખુબીદાર હોય છે. એમાં રસિકતા, વર્ણનશૈલી, ને હાસ્યરસની છાયા – એ બધાંની ઝમાવટ ઉત્તમ હોય છે.
‘રંગભૂમિ’ નામનું ત્રિમાસિક રા. વિભાકરના અધિપતિપણા નીચે પ્રગટ થયા છે, તે સચિત્ર હોય છે ને તેમાં લેખો સારા હોય છે.
કેટલાક કોમીય માસિકો નીકળે છે – ‘નાગરનેત્રમણિ’ રા ઉછરંગરાય કેશવરાયના તંત્રિત્વ નીચે સાંટાક્રૂઝમાંથી પ્રગટ થાય છે; તેમજ ‘સમસ્તદશાલાડમિત્ર’ ભરૂચમાં રા. ડાકોરદાસ નગીનલાલ ગુંદરિયા વગેરેના અધિપતિપણા નીચે નીકળે છે. બારોટો માટેનું ‘બ્રહ્મભટ્ટ’ નામનું માસિક રા. પુરુષોત્તમદાસ માતરવાળા ચલાવે છે.
કોમીય લેખોના સંબંધમાં નાગરોની ઉત્પત્તિ માટેનો રા.રા. માનશંકરભાઈનો ‘નગરોત્પત્તિ’ નામનો લેખ ઉત્તમ છે. ગ્રન્થકારે એમાં ઘણું સંશોધન કરી પોતાનો પક્ષ સ્થાપિત કર્યો છે. વિરુદ્ધ મતોનું ખંડન વિદ્વત્તાપૂર્વક ને યુક્તિપુરઃસર કર્યું છે.
<br>
<br>
<center>'''સાહિત્યવિચારનો ઉપસંહાર'''</center>
આ પ્રમાણે ભૂત અને વર્તમાન સાહિત્યપ્રવાહ કેવો ચાલ્યો છે ને તેને કયા માર્ગમાં વાળવાની જરૂર છે તેનું દિગ્દર્શન કર્યું. એ પ્રવાહમાં જ્યાં જ્યાં સૌન્દર્ય છે, જ્યાં જ્યાં નિર્મળ જળ છે તેનું પ્રદર્શન કર્યું. એ પ્રવાહો કેટલેક સ્થળે કાંકરા અને ખાડાખૈયામાં થઈને જતા હોવાથી સૌંદર્યની સાથે વિરૂપતા પણ છે; પણ તેની સમાલોચના કરવી એ મેં પ્રમુખ તરીકેના મારા કર્તવ્યમાં ગણ્યું નથી. જે જે સુંદર છે તે દર્શાવી સાહિત્યમાર્ગમાં વિચરનારાઓનું લક્ષ તે તરફ પ્રેરવું તથા સાહિત્યપ્રવાહમાં ખેલનારાઓને યોગ્ય માર્ગે પ્રવાહ પ્રવર્તાવવાનું સૂચન કરવું એ જ પ્રમુખનું કર્તવ્ય હું સમજું છું.
<br>
<br>
<center>''''ઉત્તેજનનો અભાવ'''</center>
સરકાર તરફથી તેમજ દેશી રાજ્યો તરફથી ગુજરાતી સાહિત્યને જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી એમ ખેદ સાથે કહેવું પડે છે. અગાઉ ‘ડિરેક્ટર ઑવ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ પાસે થોડીક રકમ ઉત્તેજનાર્થે રહેતી હતી, તેમાંથી યોગ્ય પુસ્તકોની થોડીક નકલો ખરીદાતી ને તે શાળામાં પુસ્તકાલયોને માટે આવતી. આ રકમ બહુ નજીવું ઉત્તેજન મળતું ને તે પણ બહુધા મરાઠી પુસ્તકોને મળતું. પરંતુ હાલ તો એટલું પણ ઉત્તેજન મળતું જણાતું નથી. દેશી રાજ્યમાં પણ સર્વત્ર ઉત્તેજનફંડ હોતા નથી. આ વસ્તુસ્થિતિ સારી નથી. સરકાર તરફથી તેમજ દેશી રાજ્યો તરફથી યોગ્ય પુસ્તકોનો સત્કાર થાય તો સાહિત્યની વૃદ્ધિ કરવામાં તે સહાયભૂત થાય.
પ્રતિવર્ષ ઉત્તમ લખાએલાં સ્વતન્ત્ર પુસ્તકોના કર્તાને સારું ઇનામ આપી સાહિત્યનો વિકાસ પોષે એવી યોજના એકાદ દેશી રાજ્યે ઉપાડી લેવી જોઈએ. ગુજરાતી સાહિત્યને માટે ‘નોબલ પ્રાઇઝ’-ના જેવી યોજના કોઈક દેશી રાજ્યે વ્યવસ્થિત રૂપમાં કરવી જોઈએ.
<br>
<br>
<center>'''ગુર્જર સાહિત્યની દરિદ્રતા'''</center>
ગુર્જર સાહિત્ય દરિદ્ર છે? ઉપર દર્શાવ્યા પ્રમાણે ફેલાએલા સાહિત્યને દરિદ્ર કહી શકાય? આપણી હાલની અપેક્ષાઓને તૃપ્ત કરતું નથી એટલું દરિદ્ર છે જ. ત્યારે એમાં શી શી ન્યૂનતા છે? એમાં–
૧. નવીન શૈલી પર રચેલાં પ્રાસાદિક મહાકાવ્યો નથી.
૨. સારા ગદ્યગ્રન્થો, જેમાં ભાષા ઉત્તરોત્તર ચઢતી હોય અને વિષયનું નિરૂપણ ઉત્તરોત્તર પ્રોઢ થતું હોય, એવા નિબંધાત્મક નીતિમય, ચરિત્રાત્મક, ઐતિહાસિક ગ્રન્થો નથી.
૩. સાહિત્યમાળાઃ પ્રેમાનંદ, નરસિંહ વગેરે કવિઓના મુખ્ય ગ્રન્થોની હસ્તલિખિત પુસ્તકોના સંશોધનને આધારે તૈયાર કરેલી, કવિના જીવનચરિત્ર અને કઠિન પદ ને પંક્તિઓ પર પ્રકાશ પાડે એવી ટિપ્પણીસમેત સરખી સરખી ને સોંઘી આવૃત્તિની ન્યૂનતા છે.
૪. કાવ્યશાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથને આધારે તૈયાર કરેલું કાવ્યશાસ્ત્રનું પુસ્તક નથી. એવા પુસ્તકની જરૂર છે. એમાં કાવ્યસ્વરૂપ, કાવ્યલક્ષણ, કાવ્યત્વનાં બીજને પોષક કારણ, લક્ષણા, વ્યંજના, રસધ્વનિઓ, ભાવ, રસાભાસ, ગુણ, દોષ, ને અલંકારનું પ્રાચીન ને અર્વાચીન ગુજરાતી કાવ્યોમાંથી એકઠા કરેલા દૃષ્ટાન્તો સાથે નિરૂપણ જોઈએ. આ બધા વિષયોના છૂટક છૂટક નાના ગ્રંથો થયા છે. કવિ નર્મદે અને કવિ સવિતાનારાયણે, દિ.બ. રણછોડભાઈએ અને યથાશક્તિ મેં પણ એ વિષયપર થોડું થોડું લખ્યું છે. રા. નાગરદાસ પટેલે ‘નવવલ્લરી’માં અલંકારની સારી ચર્ચા કરી છે. રા. છોટાલાલ નરભેરામનું રચેલું ‘રસશાસ્ત્ર’ એ દિશામાં છે. કોઈએ અલંકારના નિરૂપણમાં ‘કુવલયાનન્દકારિકા’નો આધાર લીધો છે, કોઈએ અન્ય ગ્રન્થનો પણ એક જ ઉત્તમ પ્રમાણભૂત મનાતા ‘કાવ્યપ્રકાશ’ જેવા ગ્રન્થને આધારે સમગ્ર વિષયનું દળદાર પુસ્તક રચવાની ઘણી જરૂર છે.
પ. ‘ઉપનિષદ’ની આખ્યાયિકાઓનું પુસ્તક નથી. એવું પુસ્તક ઉપનિષદના રહસ્યનું ઘણું રસિક જ્ઞાન આપશે, તેમજ જાણીતા પરથી અજાણ્યા પર જવાની જે શૈલીનું પાશ્ચાત્ય શિક્ષણશાસ્ત્રના ગ્રન્થોમાં પુષ્કળ નિરૂપણ કરેલું હોય છે, એવી જ, વ્યાવહારિક દૃષ્ટાન્તોથી તાત્ત્વિક રહસ્ય વાચકના મનમાં ઉતારવાની ઉત્તમ શૈલી આપણા આકરગ્રન્થોમાં છે, તેનું વાચકને કંઈક ભાન થશે.
૬. પ્રમાણભૂત વિસ્તૃત કોશનો અભાવ છે. નર્મદ કવિને ‘નર્મકોશ’ કર્યાને ઘણાં વર્ષ થયાં, પણ સારો વિસ્તીર્ણ કોશ – જેમાં શબ્દની વ્યુત્પત્તિ સાથે તેના જુદા જુદા અર્થ પ્રાચીન કાવ્ય કે ગદ્ય ગ્રન્થોમાંથી દાખલા સાથે આપ્યા હોય એવો કોશ – હજી પ્રસિદ્ધ થયો નથી. એ દિશામાં પ્રયત્નો થયા છેઃ
(અ) ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ સંપૂર્ણ કોશ ભાગોમાં છપાવી પોતાના જીવન પર્યન્તના સભ્યોમાં તેની નકલ વહેંચી છે. એ પ્રયત્ન રા. મણિલાલ છબારામનો છે, તે અનેક રીતે અપૂર્ણ છતાં જેવો થયો છે તેવી સ્થિતિમાં પણ સ્તુત્ય છે. એની બીજી આવૃત્તિ નીકળવાની છે એમ સંભળાય છે. એની નકલો સભ્યો સિવાય બીજાઓને મળતી નથી એ વ્યવસ્થા ઠીક નથી.
(આ) રા. રાણીનાના અંગ્રેજી-ગુજરાતી કોશની પણ સુધારા સાથે બીજી આવૃત્તિ છપાવાની છે.
(ઇ) ‘નર્મકોશ’ની નવી આવૃત્તિ કવિએ ભેગા કરેલા નવા શબ્દો સાથે ‘ગુજરાતી’ છાપખાનાના તન્ત્રી રા. મણિલાલ ઈચ્છારામ દેસાઈ છપાવે છે.
(ઈ) રા.રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા મોટો ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ છપાવે છે.
૭. સારા ‘જ્ઞાનસંગ્રહ’નો અભાવ છે. મરાઠીમાં બહુ સારો જ્ઞાનસંગ્રહ તૈયાર થાય છે. ગુજરાતીમાં એ થયો છે? એ દિશામાં આરંભક પ્રયત્ન કરવાનું માન પારસી ગ્રન્થકાર રા.રા. રતનજી ફરામજી સેઠનાને ઘટે છે, એ અગાઉ કહ્યું છે. અંગ્રેજીનું જ્ઞાન જે વાચકવર્ગમાં નથી તેનો એવો સંગ્રહ ઘણો ઉપયોગી થશે એમાં સંશય નથી.
૮. સ્ત્રીઓ ને બાળકો માટે સારાં સંક્ષિપ્ત નીતિનો બોધ પરોક્ષ રીતે આપે એવાં પુસ્તકોની ખોટ છે. ‘સ્ત્રીબોધ’ ને ‘બાલમિત્ર’ જેવાં માસિકો નીકળે છે. તેમજ ‘સુંદરીસુબોધ’ અને બે વર્ષ થયાં સૌ. વિદ્યાગૌરી ને સૌ. શારદાગૌરી ‘મહિલામિત્ર’ નામનું ઉપયોગી પુસ્તક પ્રગટ કરે છે, તે પ્રયત્નો સ્તુત્ય છે; પરંતુ સ્ત્રીઓને ને બાળકોને લગતું સાહિત્ય હજી ખેડાવાની જરૂર છે.
૯. વિજ્ઞાનનાં પુસ્તકોની મોટી ખોટ છે. હાલની વૈજ્ઞાનિક શોધો – ‘રાન્ટ્ગન કિરણો’, ‘તાર વગર સંદેશો પહોંચાડવાની વિદ્યા’, ‘રેડિયમ’, ‘જલાન્તઃસંચારિણી નૌકા’, ‘વિમાન’ વગેરે વિષયોનાં, લોકો સમજી શકે એવાં ચિત્રો સાથે સરળતાથી સમજાય એવાં પુસ્તકોની જરૂર છે. તેમજ વધારે જ્ઞાન મેળવવા ઇચ્છનાર પુરુષો માટે વિશેષ જ્ઞાન આપે એવાં વિસ્તીર્ણ પુસ્તકોની પણ જરૂર છે.
<br>
<br>
<center>'''આધુનિક પ્રવૃત્તિઓમાં સાહિત્યપરિષદની પ્રવૃત્તિને સ્થાન'''</center>
બંધુઓ, આપ સર્વને વિદિત છે કે મહાત્મા ગાંધીજીએ અખિલ ભારતવર્ષમાં ગુર્જર પ્રદેશને ઉચ્ચતમ, પ્રતિષ્ઠિત સ્થાને પહોંચાડ્યો છે. તેમણે દેશમાં અનેક માર્ગમાં નવું ચેતન રેડ્યું છે ને ચિરકાળની સુસ્તી દૂર કરી નવીન જાગૃતિ પ્રેરી છે. રાજકીય ને રાષ્ટ્રીય કેળવણીને લગતી તેમની પ્રવૃત્તિને લીધે બધા દેશની નજર ગુજરાત પર છે. એ પ્રગતિની અસર સાહિત્યને ભાષા પર પણ થયા વિના રહી નથી. ભાષા સંસ્કારી ને જોમદાર તથા મરોડદાર બનવા માંડી છે. મહાત્મા પોતાના વિચાર માતૃભાષામાં દર્શાવે છે તેમજ માતૃભાષા ખિલવવામાં અભિમાન ને અભિનિવેશ ધરાવે છે. મહાત્માએ પોતે શિષ્ટ ને સરળ તેમજ તેજસ્વી ને પ્રૌઢ ભાષાનો પ્રયોગ કરી દર્શાવ્યું છે કે ભાષામાં બળ લાવવા અપરિચિત શબ્દો કે ક્લિષ્ટ રચના દાખલ કરવાની જરૂર નથી. હૃદયના અન્તર્ભાગમાંથી નીકળતા વિચારો સીધી ભાષામાં વાચકના હૃદયના અન્તર્ભાગમાં પ્રવેશી જેવો સંસ્કાર પાડે છે તેવો સંસ્કાર આડંબરી ભાષામાં આડંબરી વિચારો પાડી શકતા નથી સાહિત્યપરિષદે નવીન વાતાવરણમાંથી વિમુખ રહેવું યુક્ત નથી. તેણે કેળવણી ને સાહિત્યના વિષયમાં રચનાત્મક કાર્યક્રમ હાથમાં લેવો જોઈએ કે જનસમાજની રુચિને અનુસારે કંઈક સંગીન કાર્ય થાય.
<br>
<br>
<center>'''ગુજરાત યુનિવર્સિટી'''</center>
હાલમાં, હિંદુસ્તાનમાં કેળવણીની પ્રગતિ પૂર જોસમાં ચાલી રહી છે. ઉત્તરમાં ઘણે સ્થળે નવી નવી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતમાં પણ એક યુનિવર્સિટી હોવી જોઈએ એ વિચાર અત્યારે આખા ગુજરાત પ્રાન્તને તેમજ કાઠિયાવાડને સંમત હોવો જોઈએ. જ્યાં સુધી આપણી જરૂરિયાત સાધે એવી યુનિવર્સિટી નથી, ત્યાં સુધી ગુજરાતી ભાષાના વિકાસને તેમ જ આપણા જ્ઞાનનાં સર્વ અંગોને આપણી ઇચ્છાનુસાર આપણે પુષ્ટિ આપી શકીશું નહિ એ દેખીતું જ છે. અમદાવાદ એ ગુજરાત અને કાઠિયાવાડનું મધ્ય સ્થળ છે. વ્યાપારમાં, જ્ઞાનમાં ને બીજી દરેક પ્રવૃત્તિમાં તે ઘણું આગળ પડતું છે. આવી યોજનાને પાર ઉતારે એવા વિદ્વાનો તથા ધનાઢ્ય પુરુષો એમાં વસે છે. કાઠિયાવાડનાં રાજ્યો તરફથી પણ આ યોજનાને સહાયતા મળવાનો સંભવ માની શકાય; માટે એ કામને માટે બે મંડળીઓ નિમાવવી જોઈએ; ૧. ગુજરાત ને કાઠિયાવાડના મોભેદાર પુરુષોની અને ૨. બંને પ્રાન્તોના વિદ્વદ્વર્ગની. પહેલી મંડળી એ કામને માટે જોઈતી રકમ એકઠી કરે અને બીજી મંડળી તેને માટે વ્યવસ્થિત યોજના ઘડી કાઢે. આ કામ આ પરિષદ ઉપાડી લે તો તેણે ખરું રચનાત્મક કાર્ય કર્યું કહેવાય. આને માટે માત્ર ઠરાવો કરી સંતુષ્ટ થવાનું નથી. તે સત્વર ને અવશ્ય અમલમાં મુકાય એવાં પગલાં ભરાય નહિ ત્યાં સુધી સંગીન કાર્ય સિદ્ધ થયલું કહેવાય નહિ.
<br>
<br>
<center>'''વડોદરા યુનિવર્સિટી''' </center>
મહારાજા ગાયકવાડે પોતાના રાજ્યમાં કેળવણીના પ્રચારને માટે પગલાં ભર્યાં છે. બ્રિટિશ પ્રાન્તોમાં ફરજિયાત કેળવણી દાખલ કરવાનો વિચાર થયો તે પહેલાં મહારાજા સાહેબે પોતાના રાજ્યમાં તે દાખલ કરી હતી. વડોદરામાં ઉત્તમ પુસ્તકાલય છે. વાચનનો પ્રચાર વધારવા ફરતા પુસ્તકાલયની યોજના એ રાજ્યમાં છે, વડોદરામાં ‘કલાભવન’ જેવું વિજ્ઞાન પ્રાપ્ત કરવાનું ઉત્તમ સ્થળ છે, તેનો લાભ લેવા મુંબઈ ઇલાકાની બહારથી પણ શિષ્યો આવે છે. વડોદરાની ઇસ્પિટાલ પણ વિશાળ છે; તેમાં રેડિયમ, એક્સ-રેઈઝ, વગેરેના પ્રયોગ માટે સુંદર વ્યવસ્થા છે અને શરીરશાસ્ત્રનું ઉત્તમ જ્ઞાન આપી શકે એવા વિદ્વાન દાક્તરો છે. એ ઇસ્પિટાલનો લાભ લેવા ઘણા દર્દીઓ દૂરથી પણ આવે છે. રૂના પાકનાં મીઆગામ ને નવસારી જેવાં મોટાં સ્થળો એ રાજ્યમાં છે. એ રાજ્યમાં કચેરીમાં ને શહેરસુધરાઈખાતામાં બધું કામ દેશી ભાષામાં ચાલે છે, એ ઘણું સ્તુત્ય છે. આ પ્રમાણે યુનિવર્સિટી માટે સાધનસંપત્તિ પુષ્કળ છે, ને પરિસ્થિતિ અનુકૂળ છે. મહિસુર જેવા રાજ્યમાં પોતાની યુનિવર્સિટી છે, તો વડોદરા રાજ્ય માટે વડોદરામાં જુદી યુનિવર્સિટી હોવી ઇષ્ટ છે. મહારાજા સાહેબની સમક્ષ વ્યવસ્થિત યોજના મૂકવામાં આવે તો તેનો સત્કાર થવાનો સંભવ માની શકાય. જુદી યુનિવર્સિટીથી મહારાજા સાહેબ કેળવણીને અનેક દિશામાં જે સ્વરૂપ આપવું હશે તે આપી શકશે. વ્યાપારી કેળવણી, ઔદ્યોગિક કેળવણી, ને વિજ્ઞાનની વ્યાહારિક કેળવણી, તેમજ ખેતીની કેળવણીથી જ્ઞાનમાર્ગ સર્વદેશી થશે અને સમસ્ત પ્રજાનું શ્રેય થયે. મહારાજા સાહેબે પોતાની પ્રજાના હિતને અર્થે અનેક સારી યોજનાઓ ઘડી છે ને સંસ્થાઓ ઉઘાડી છે, તો કેળવણી જેવા અગત્યના વિષયમાં આ અગત્યનું પગલું ભરી પ્રજાનું વિશેષ કલ્યાણ તેઓ સાધશે એવી આશા આપણે રાખી શકીએ તેમાં કંઈ અજુગતું નથી.
આ બે કે બેમાંથી એક યુનિવર્સિટી સ્થપાશે તો માતૃભાષા દ્વારા કેળવણી આપવાના વિષયનું એની મેળે જ નિરાકરણ થઈ જશે. એ વિષે આપણે કોઈની ભીખ માગવાની રહેશે નહિ.
<br>
<br>
<center>'''સાહિત્યપરિષદનું કર્તવ્ય''' </center>
સાહિત્યપરિષદ ઈ.સ. ૧૯૦૫માં મળી હતી, તેને લગભગ વીસ વર્ષ જેટલો લાંબો સમય થયો છતાં વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં પરિષદે બહુ ઉપયોગી કાર્ય કર્યું હોય એવું જણાતું નથી, એ બાબત આ સત્રમાં ખાસ વિચાર કરી કંઈક રચનાત્મક કાર્ય થાય એવી યોજના ઘડવી એ આ સત્રનું ખાસ કર્તવ્ય છે. વિદ્વાનોના પરસ્પર સંમીલનથી ઘણા લાભ થાય છે, એ નિર્વિવાદ છે; પરંતુ જ્યાંસુધી પરિષદ કંઈ સંગીન કામ કરતી નથી ત્યાંસુધી આવા સમારંભથી જનસમાજ તૃપ્ત થતો નથી. નિબંધો લખાવવાની હવે બહુ જરૂર નથી. વર્તમાનપત્રોના ખાસ અંકો તથા સારાં માસિકોમાં તેને માટે જોઈએ તેટલો અવકાશ છે. જોડણી જેવા વિષયનો પણ પરિષદથી નિર્ણય થઈ શક્યો નથી. એ વિષય ઘણો વિકટ છે ને સાક્ષરોના મતભેદને લીધે એનો નિર્ણય થઈ શકતો નથી. પરંતુ નિર્ણય કરવો જ હોય તો ન જ બની શકે એમ નથી. આ વાત મેં ‘ગુજરાતશાળાપત્ર’માં તેમજ મારા ‘બહદ્ વ્યાકરણ’માં ચર્ચી છે. ત્યાં જે માર્ગ દર્શાવ્યો છે તે માર્ગે જ નિર્ણય થઈ શકે એમ છે. વીસપચીસ વિદ્વાનોનું એક વ્યાપકમંડળ એકઠું કરવું જોઈએ. તેમાં જેમની શિષ્ટ લેખકમાં ગણના થતી હોય એવા હિંદુ, પારસી, મુસલમાન વિદ્વાનો, સારું ગુજરાતી જ્ઞાન ધરાવનાર પાદરીઓ, પ્રસિદ્ધ માસિક, સાપ્તાહિક, ને દૈનિક પત્રોના તંત્રીઓ, સરકાર તરફના ને વડોદરા ને કાઠિયાવાડના બબ્બે ત્રણ ત્રણ પ્રતિનિધિઓનું વિસ્તૃત મંડળ ભેગું થવું જોઈએ. એ મંડળ બહુમતે જે નિયમો કરે તે પરિષદે માન્ય કરવા એવો નિશ્ચય પરિષદ કરે તો કંઈ નિકાલ આવે. હિંદુ સભ્યોમાં જુદી જુદી શૈલીના હિમાયતીના પ્રતિનિધિઓ જોઈએ. હાલ તો એ વિષયમાં અરાજકતા પ્રવર્તે છે. તરુણ લેખકો કંઈ પણ વિચાર કર્યા વિના સ્વચ્છંદે–રુચે તે માર્ગે – પ્રવર્તે છે. કોઈ બધા શબ્દો, જેના ઉચ્ચારમાં હકાર સહેજ પણ સંભળાતો હોય એવા તમામ શબ્દોમાં હકાર લખે છે; કઢંગુ લખાણ કે છાપવાની મુશ્કેલીનો તેઓ વિચાર કરતા નથી. કેટલાક અર્ધજરતીય ન્યાયને અનુસરી થોડા શબ્દોમાં હકાર લખે છે ને થોડામાં નથી લખતા. કેટલાક અત્યારસુધી હ્રસ્વ ઉં લખાતો એવા સાધારણ શબ્દો – ‘લખું છું, વાંચું છું.’ જેવામાં બધા ઉકાર દીર્ઘ લખે છે. ભાષાના સ્વરૂપમાં આમ અરાજકતા ચાલવા જ દેવી ઇષ્ટ નથી. છતાં, સાક્ષરો પોતાનો મત તજવા તૈયાર ન જ હોય ને ઉપર દર્શાવ્યું તેવું મંડળ જે નિયમો બહુમતે રચે તેને અનુસરવા તત્પર ન હોય તો એ વિષય પડતો જ મૂકવો. કાલક્રમે જનમંડળની રુચિ જ અનુસરવી પડશે ને તે જ વિજયી થશે.
<br>
<br>
<center>'''સ્થાયી મંડળ'''</center>
ઉપર દર્શાવેલાં જેવાં કામોનો નિકાલ કરવા સાહિત્યની વૃદ્ધિને યોગ્ય માર્ગે જે ઉત્તેજન અપાવી શકે અને જેનાં કાર્ય પ્રમાણભૂત ને વજનદાર ગણાવાથી ગ્રાહ્ય જ થાય એવા સ્થાયી મંડળને સાહિત્યપરિષદે નીમવું જોઈએ. એ મંડળ નીમવાની જરૂર માન્ય થશે તો એનું બંધારણ સહેલથી નક્કી કરી શકે એવા વ્યવહારદક્ષ અને અનુભવી પુરુષો – શ્રીયુત સર પટણી અને શ્રીયુત લલ્લુભાઈ સાહેબ જેવાની સલાહ નીચે કામ કરનારા પુરુષોની અહીં ખોટ નથી. એવા સ્થાયી મંડળના બંધારણ તથા કર્તવ્ય વિષે મારી નમ્ર સૂચના નીચે પ્રમાણે છેઃ
<br>
<br>
<center>'''બંધારણ'''</center>
સુરત, વડોદરા, અમદાવાદ, તથા મુંબઈ જેવાં શહેરોમાં ‘સાહિત્યસભા’ કે ‘સાહિત્યસંસદ’ છે. એવે સ્થળે એ સભા કે સંસદ અનુક્રમે ૩, ૩, ૪ ને ૬ પ્રતિનિધિ સ્થાયી મંડળ માટે નીમે. એ પ્રતિનિધિઓ સભાના કે સંસદના સભ્ય હોવાની જરૂર નથી. નડિયાદ, ભરૂચ, ગોધરા ને કાઠિયાવાડમાં એવી સભા હોય તો ત્યાંથી પણ શહેરમાંથી બબ્બે પ્રતિનિધિ ને કાઠિયાવાડ પ્રાંતમાંથી ચાર પ્રતિનિધિ એ સભા નીમે. એ સ્થળોએ એવી સભા ન હોય તો અન્ય સ્થળોના પ્રતિનિધિઓનું મંડળ એ સ્થળેથી એટલા વિદ્વાનોની વરણી કરે.
એવા સ્થાયી મંડળનું કામ કરવા બે મન્ત્રીઓ નીમવા. બને તો એ મન્ત્રીઓ પગારદાર નીમવા. પગાર લીધા વિના કામ કરવા ઉત્સુક પુરુષો મળી આવે તો તેમની સેવા ઉપકાર સાથ સ્વીકારવી.
મંડળ ઘણુંખરું કામ મન્ત્રીના પત્રવ્યવહારથી જ કરે.
વર્ષમાં જે જે પુસ્તકો પ્રસિદ્ધ થયાં હોય તેમાંનાં સારાં, નોંધ લેવાલાયક પુસ્તકો કયાં છે તે વિષે મન્ત્રીઓએ સ્થાયી મંડળના સભ્યો પાસે બહુ ટૂંકું લખાણ માંગવું અને એ લખાણની બહુમતિ પ્રમાણે મંત્રીઓએ ટૂંકા વાર્ષિક રિપોર્ટનો ખરડો તૈયાર કરી તે એ મંડળના સભ્યોમાં ફેરવવો. તેમની સૂચના થાય તો તેનો અમલ કરી એ રિપોર્ટ પ્રસિદ્ધ કરવો.
પ્રતિવર્ષે એવો રિપોર્ટ પ્રસિદ્ધ થવો જોઈએ.
સાહિત્યપરિષદનું નવું અધિવેશન થાય ત્યાં સુધી આ સ્થાયી મંડળ ચાલુ રહે. પછી નવું મંડળ નિમાય તે નવા સત્ર સુધી જારી રહે.
સ્થાયી મંડળનું સ્થાન અમદાવાદમાં રાખવું, ત્યાં મંત્રીઓને કામ કરવા પ્રેમાભાઈ હૉલમાં કે અન્ય સ્થળે જગા મળી આવશે.
<br>
<br>
<center>'''સ્થાયી મંડળનું કર્તવ્ય'''</center>
૧. ઉત્તેજનને માટે ભલામણ
સાહિત્યની ન્યૂનતા કઈ કઈ દિશામાં છે તે ઉપર દર્શાવ્યું છે. એ દિશામાં સાહિત્યસેવકો તરફથી પ્રયત્નો થાય તેમાંનો જે ઉત્તેજનને યોગ્ય હોય તેને ઉત્તેજન આપવા વાર્ષિક રિપોર્ટમાં ભલામણ કરવી. આવા મંડળનો મત વજનદાર ગણાશે. સરકારથી તેની ઉપેક્ષા કે તિરસ્કાર કરી શકાશે નહિ. દેશી રાજ્યો તેને માન્ય ગણશે. આથી લેખકને પોતાના કામમાં પ્રોત્સાહન મળશે. જનમંડળને પણ આવા મંડળની ભલામણવાળાં પુસ્તકો વાંચવાની ઇચ્છા થશે; વાચકવર્ગમાં સારા ગ્રન્થો તરફ અભિરુચિ ઉત્પન્ન થશે અને સાહિત્યના જ્ઞાનનો પ્રચાર વધશે.
૨. પુસ્તકપરીક્ષાકમિટી: બંધારણ કાર્યમાં ખામી
સાહિત્યને સરકાર તરફથી જોઈએ તેવી મદદ મળતી નથી. સરકારના પુસ્તકપરીક્ષામંડળના બંધારણ અને કાર્યમાં ખામીઓ છે, એમાંની થોડીક નીચે દર્શાવું છું. સ્થાયી મંડળ એ તરફ સરકારનું લક્ષ ખેંચી શકે.
<br>
<br>
<center>'''ઉત્તેજન માટે પુસ્તકો મોકલવાની કઢંગી પદ્ધતિ'''</center>
પુસ્તકો અધિકારી તરફ મોકલવાના ગ્રન્થકારે પાળવાના નિયમો કઢંગા છે. સાધારણ રીતે પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરાવવાનાં પુસ્તકો જે જાતની શાળામાં – પ્રાથમિક કે માધ્યમિકમાં – તે ચલાવરાવાની ગ્રન્થકારની ઇચ્છા હોય, તે શાળાના કોઈ શિક્ષકે પોતાની ભલામણ સાથે તે પુસ્તક કેળવણીખાતાના ઈન્સ્પેક્ટરને મોકલવું. પ્રતિષ્ઠિત લેખકો પોતાનાં પુસ્તક ઈન્સ્પેક્ટરને બારોબાર મોકલે તો તે સ્વીકારવાની તેને સત્તા છે; પરંતુ સાધારણ રીતે તેને શાળાના શિક્ષકની મારફતે જ તે પુસ્તક મોકલવાની ફરમાશ કરવામાં આવે છે. અગાઉ ગ્રન્થકાર પોતાનાં પુસ્તક બારોબાર ઈન્સ્પેક્ટરને કે ‘ડિરેક્ટર ઑવ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ને મોકલી શકતો હતો. હાલનો નિયમ દેખીતો જ વિચિત્ર છે. લેખકની સ્વતંત્રતા પર ખોટો પ્રતિબન્ધ છે. સારા લેખકને પોતાના પુસ્તકની ભલામણ કરાવવા અન્ય પુરુષ મારફતે પ્રયત્ન કરવો ન ગમે એ હરકોઈ સમજી શકે એવું છે. સરકારી અમલદારોના લક્ષમાં આવી આવી સાધારણ બાબત પણ કેમ ન આવી તે સમજી શકાતું નથી. મેં એ નિયમ કેવો કઢંગો છે તે દર્શાવી તે તરફ પ્રિ. પ્રાંજપેનું – કેળવણીખાતાના પ્રધાનનું – ધ્યાન ખેંચ્યું હતું; પરંતુ એમનો અંશે પદ્ધતિનો સમર્થક ને અંશે ઉડાઉ જવાબ જ મને મળ્યો હતો. વળી આ નિયમને સરકારે જોઈએ તેવી પદ્ધતિ આપી નથી. પરિણામ એવું આવ્યું છે કે મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષકોની તેમજ લોકલ બોર્ડના શિક્ષકોની એવી અરજી તેમના ઉપરી અધિકારીઓ સ્કૂલ – બોર્ડના પ્રમુખે ને ‘ડેપ્યુટિ એડ્યુકેશનલ ઈન્સ્પેકટરે’ ઈન્સ્પેક્ટરને રવાને કરવા ના પાડી છે. એક વખત એક એડ્યુકેશનલ ઈન્સ્પેક્ટરે ડિરેક્ટરને સરકારી રીતે પૂછ્યું કે તમારા નામની જે જે અરજી મારા પર આવે તે બધી તમને રવાના કરવાને હું બંધાયેલો છું કે મને જે યોગ્ય લાગે તે જ હું રવાના કરી શકું, ત્યારે ડિરેક્ટરે ઇન્સ્પેક્ટરને યોગ્ય ઉત્તર આપ્યો હતો કે તમે મારા નામની દરેક અરજી મને મોકલવાને બંધાયલા છો. તમને રુચે તેવા શેરા સાથે પણ તમારે તે મોકલવી જ જોઈએ. આ નિયમ પળાતો નથી ને ઘણા અધિકારીઓ હાથ નીચેના નોકરોની પોતાની ઉપરી અધિકારી તરફ કરેલી અરજી દબાવી રાખે છે. પ્રસંગવશાત્ આ દુર્વ્યવસ્થાની નોંધ લીધી.
<br>
<br>
<center>'''બંધારણમાં ખામી'''</center>
પુસ્તકપરીક્ષામંડળમાંના સભ્યો કેળવણીના અનુભવો અને સાહિત્યના જ્ઞાતા હોવા જોઈએ. અમુક અધિકારીને તે સાહિત્યનો જ્ઞાતા હોય કે ન હોય તો પણ અધિકારી રૂએજ સભ્ય નીમવો એ દેખીતું જ ઉપહાસને પાત્ર છે. જ્યાં જ્ઞાનની જરૂર હોય ત્યાં અધિકાર શું કરી શકે? પરિણામ એવું અનિષ્ટ આવે કે અધિકારીમાં સાહિત્યનું કે ભાષાનું પૂરતું જ્ઞાન ન હોય તો તે પોતાના તાબેના માણસનો અભિપ્રાય લે. અર્થાત્ સભ્ય તરીકે અધિકારીને બદલે તેના તાબાનો માણસ કામ કરે. આ બાબત પર સરકારનું લક્ષ જતું નથી તે ખેંચવું એ આવા સ્થાયી મંડળનું કામ છે.
<br>
<br>
<center>'''અયોગ્ય અતિવિલંબ'''</center>
પુસ્તકો પર નિર્ણય આવતાં બહુ કાળ ન વીતે માટે સરકારે ચારેક વર્ષ થયાં નવી કમિટી નીમી છે ને તેણે ત્રણ મહીનામાં ઓછામાં ઓછું એક વાર મળીને જલદી નિર્ણય કરવો એવો સરકારનો હુકમ છે. કોઈ પણ પુસ્તક પર નિર્ણય આપવામાં છ માસથી વધારે વખત ન જવો જોઈએ, ને કમિટીના વધુ મત પ્રમાણે નિર્ણય આપવો એવો પણ સરકારનો નિયમ છે. છતાં સખેદ કહેવું પડે છે કે એ બધા નિયમોની કોઈ વાર અવગણના થાય છે. નિયમ મનુષ્યમાત્રને સરખો બંધનકર્તા હોવો જોઈએ; પણ હાલ વસ્તુસ્થિતિ એવી છે કે નિયમ સાધારણ મનુષ્યને નિયામક છે, કેટલાક અધિકારીને નહિ. અધિકારી તેના પર પણ પોતાનો અધિકાર ચલાવી તેનું ઉલ્લંઘન કરી શકે છે. છ માસને બદલે વરસ થવા આવે છે કે થઈ જાય છે તો પણ પુસ્તકનો નિકાલ થતો નથી.
<br>
<br>
<center>'''ઉત્તેજન નામનું જ છે'''</center>
પાઠ્યપુસ્તક તરીકે મંજૂર થયેલાં પુસ્તકોને પોતાની શાળામાં ચલાવવાની શિક્ષકોને છૂટ છે; પરંતુ હાલ વર્ષ થયાં ડિરેક્ટર સાહેબે એવો નિયમ કર્યો છે કે અમુક વિભાગની બધી સરકારી હાઇસ્કૂલોમાં અમુક ધોરણોમાં સરખાં જ પુસ્તકો ચાલે. આ થવાથી કેળવણીને ને સાહિત્યને કેટલી બધી હાનિ પહોંચે છે? હેડ માસ્તરોની સ્વતંત્રતા નષ્ટ થાય છે. નબળી નિશાળને ચઢિયાતી નિશાળ સાથે ખેંચાવવું પડે છે કે ચઢિયાતી નિશાળને નીચી સ્થિતિમાં ઊતરવું પડે છે; કેમ કે એક જ જાતના પુસ્તકો બધી નિશાળોને સરખાં માફક આવી શકે જ નહિ. આ મંડળના બંધારણ ને કાર્યમાં સુધારો સૂચવવો એ સ્થાયી મંડળનું કામ હું સમજું છું.
૩. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં માતૃભાષાને સ્થાન
આપણી યુનિવર્સિટીએ માતૃભાષાને યોગ્ય સ્થાન આપ્યું નથી, માત્ર એમ.એ.ના. ને બી.એ.ની પાસ પરીક્ષાના અભ્યાસક્રમમાં જ ન છૂટકે સ્થાન આપ્યું છે. બીજી ભાષાની સાથે માતૃભાષાને દરેક પરીક્ષામાં સ્થાન જોઈએ. તેને માટે બીજી ભાષાનો અભ્યાસક્રમ અંશે ઓછો કરાય કે વિદ્યાર્થીના શિર બોજો ન પડે. માતૃભાષાના સારા જ્ઞાન વગર તે પર પ્રેમવૃત્તિનો ઉદ્ભવ ને વિકાસ થયા વિના પદવીધરો પોતાના ઊંચા જ્ઞાનનું સંક્રમણ જનસમાજના પ્રાકૃત માણસોમાં કરી શકતા નથી; આથી જ્ઞાનનો પ્રચાર અટકે છે ને માતૃભાષાનો વિકાસ પણ હ્રાસ પામે છે.
માતૃભાષાને સ્થાન આપવામાં વિરોધીઓ એવો વાંધો ઉઠાવે છે કે દેશી ભાષામાં યોગ્ય ને ક્રમિક સાહિત્ય નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે એ વાંધો છેક અસત્ય નથી. પણ મનુષ્યને જરૂરિયાત પડે છે એટલે કાર્ય કરવાની શક્તિ ને ઉત્સાહ ઉત્પન્ન થાય છે એ સૂત્રનું વિસ્મરણ થવું યુક્ત નથી.
આ વિષય પર યુનિવર્સિટીનું લક્ષ ખેંચવું એ સ્થાયી મંડળનું કર્તવ્ય થશે. પરિષદ પણ એ બાબતનો ઠરાવ કરી શકે.
<br>
<br>
<center>'''માતૃભાષામાં કેળવણી'''</center>
વિદેશીય કેળવણી વિદેશી ભાષા દ્વારા આપવાની સૃષ્ટિક્રમથી વિરુદ્ધ પદ્ધતિ આપણા જ દેશમાં છે. મનુષ્યમાત્ર પોતાની માતૃભાષામાં જ વિચાર કરે છે, પર ભાષામાં કરતો નથી. આપણા દેશમાં વિપરીત પદ્ધતિ ચાલે છે. તેથી નીચે દર્શાવેલા ગેરલાભ થાય છેઃ
૧. જ્ઞાન સંગીન થતું નથી.
૨. સ્મરણશક્તિ પર નિરર્થક ભાર પડે છે.
મારી હાઈસ્કૂલની નોકરી દરમ્યાન પાંચમા ધોરણમાં એડિથ થૉમ્સનકૃત ઇંગ્લંડનો ઇતિહાસ એ પાઠય પુસ્તક હતું. ધોરણ માટે એની ભાષા અઘરી પડે એમ છે. શિક્ષણ તેમજ પરીક્ષા અંગ્રેજી ભાષામાં હોવાથી મને યાદ છે કે એક શિક્ષક વિદ્યાર્થીઓ પાસે જુદા જુદા પરિચ્છેદો મોંએ જ કરાવતો અને પરિચ્છેદનું મથાળું બોલી તેમની પાસે બધો પરિચ્છેદ મોંએ બોલાવતો. વળી ‘ફયુડલ સીસ્ટમ’ વિષે શિષ્યો ગોખેલું લખી કાઢે ને ‘ફયુડલ સીસ્ટમ’ એટલે શું એમ પૂછીએ તો એ જમીનને લગતો ધારો હતો એટલું પણ જાણે નહિ એ કેવું ઉપહસનીય છે! આ પ્રમાણે વિદેશી ભાષામાં શિખવવાથી માત્ર સ્મરણશક્તિ પર જ નકામો બોજો પડે છે.
૩. સંસ્કૃત ભાષાનું જ્ઞાન માતૃભાષા દ્વારા સહેલાઈથી આપી શકાય છે. ઘણા શબ્દો બંને ભાષામાં સામાન્ય હોય છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ શિખવાતું નથી એ શોચનીય છે. એ જો વિદ્યાર્થી બરાબર શીખ્યો હોય તો સંધિ, સમાસ, ને તદ્ધિત ને કૃત્પ્રત્યયોનું જ્ઞાન તેને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવામાં ઘણું ઉપકારક થાય.
એક એવો પૂર્વપક્ષ ઉઠાવવામાં આવે છે કે વિષયોનું જ્ઞાન માતૃભાષા દ્વારા આપવાથી વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઘણું નબળું થશે. પરંતુ એ પૂર્વપક્ષ ખોટો છે. માતૃભાષા દ્વારા અગાઉ કહ્યું તેમ વિષયોનું જ્ઞાન સુગમ ને સંગીન થશે, સ્મરણશક્તિ પર નકામો બોજો અટકશે, અને થોડા વખતમાં વધારે સારું જ્ઞાન મળશે. આમ કરવાથી જે સમય બચશે તેનો ઉપયોગ અંગ્રેજી ભાષાનું સંગીન જ્ઞાન આપવામાં કરી શકાશે. આથી અંગ્રેજી ભાષાના અભ્યાસને ગેરલાભ થવાને બદલે ઘણો લાભ થશે.
લોકોની માગણી ઉપરથી સરકારનું લક્ષ એ તરફ ગયું છે. સંસ્કૃત ને ઇતિહાસ વિષયો માતૃભાષા દ્વારા શિખવવા મંડાયા છે. ‘સ્કૂલ-લીવિંગ પરીક્ષા’માં એ વિષયોની પરીક્ષા માતૃભાષામાં પણ લેવી એવી સરકારની ઇચ્છા છે; પણ યુનિવર્સિટીને ખરચ વધારે પડવાથી તે એ યોજના અમલમાં મૂકતી નથી.
હમણાં આપણી યુનિવર્સિટી કોઈ પણ પ્રકારના સુધાર કરવા તરફ દુર્લક્ષ રહે છે. લાંબા સમયના પડેલા ચીલામાં જ પોતાનો માર્ગ લે છે, ચીલાથી સહેજ પણ બહાર નીકળવાની પ્રવૃત્તિ તેને ઇષ્ટ નથી.
પ્રાથમિક શિક્ષકોની ટ્રેનિંગ સંસ્થાની દુર્દશા
સરકારે એક તરફ કેળવણી ફરજિયાત કરી છે અને તેમ કરી જનમંડળ ઉપર મોટો ઉપકાર કર્યો છે ત્યારે બીજી તરફ તેણે ટ્રેનિંગ સંસ્થામાં ઘટાડો કરી કેળવાયલા શિક્ષકની સંખ્યામાં ઘટાડો કરી પ્રાથમિક કેળવણીની દુર્દશા કરી છે. સરકાર એમ માનતી જણાય છે કે ટ્રેનિંગ સંસ્થાના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં માત્ર પહેલા વર્ષની કેળવણી જ બસ છે. અત્યાર સુધી પહેલા વર્ગમાં પાસ થયલા શિષ્યો કૉલેજ છોડી જતા રહ્યા હોય તો તે ‘ટ્રેઈન્ડ’ ગણાતા જ નહિ. બીજું ન ત્રીજું વર્ષ પસાર કર્યું હોય તે જ ‘ટ્રેઈન્ડ’ ગણાતા; અને એ જ વાસ્તવિક હતું; કારણ કે પહેલા વર્ષના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને બહુધા જે શીખી ગયા હોય તેનું પુનરાવર્તન જ કરવાનું હોય છે. અગાઉ તો સંસ્કૃત ને અક્ષરગણિત એ બે વિષયો નવા હતા; હવે તો તે પણ કાઢી નાંખ્યા છે. આવી અપૂર્ણ કેળવણી મેળવેલાને ‘ટ્રેઈન્ડ’ કહી પ્રાથમિક શાળાનું શિક્ષણ તેમને સોંપવું એ એ દેખીતું જ અનેક રીતે શિષ્યને તેમજ શિક્ષકને બંનેને હાનિકારક છે. પ્રાથમિક શાળાનાં નીચલાં ધોરણો શીખવવા સરકારને સારા કેળવાયલા શિક્ષકોની જરૂર ન હોય તો અંગ્રેજી નિશાળોમાં નીચેનાં ધોરણો શીખવવા મોટા પગાર આપી પદવીધરોને રાખવાનું શું કામ છે?
બીજા ને ત્રીજા વર્ષની કેળવણી આપી તેમને પગાર આપવો સરકારને ભારે પડે છે, તો મોટા અધિકારીઓને મોટા પગાર આપવા કેમ ભારે પડતાં નથી? મોંઘવારીનો ભાર થોડા પગારવાળાને કે મોટા પગારવાળાને અસહ્ય છે? સરકારે પગાર વધારવામાં નીચેના નોકરોના પગાર વધારવાની શરૂઆત કરી ઉપલા અધિકારી સુધી જવાને બદલે વિપરીત માર્ગ લીધો છે; અને એવી મોટી ભૂલ કરી હવે પૈસાની ભીડ પડવાથી પ્રાથમિક કેળવણીનું મોટું અકલ્યાણ કર્યું છે.
સંસ્કૃત, ફારસી, એ બીજી ભાષાને ને અક્ષરગણિતને અભ્યાસક્રમમાંથી કમી કરતી વખત સરકારે વિચાર કર્યો નહિ કે પચાસ વર્ષ થયાં – જ્યારથી એ સંસ્થા સ્થપાઈ ત્યારથી – એ વિષયો શીખવાય છે, તો તેને કાઢી નાંખતા પહેલાં પોતાના અધિકારી સિવાય અન્ય અનુભવી પુરુષોનો અભિપ્રાય લેવો જોઈએ. પરંતુ તે લીધો નહિ ને પ્રાથમિક શિક્ષકોની પોતાની તેમજ જનમંડળની ફરિયાદ પર લક્ષ આપ્યું નહિ ને હવે પાંચેક વર્ષને અન્તે ઠરાવ બહાર પાડી સરકારને પોતાની ભૂલ કબૂલ કરવી પડી છે કે ત્રીજું વર્ષ અગાઉ કરતાં નબળું થયું છે, તેનાં કારણોમાં સંસ્કૃત ને અક્ષરગણિતના વિષયો કમી કરવામાં આવ્યા છે એ પણ છે!
સ્થાયી મંડળ સરકારની ભૂલો તરફ તેનું લક્ષ ખેંચી શકે અને એ મંડળ મેં દર્શાવેલે માર્ગે કામ કરશે તો એનું લખાણ પ્રમાણભૂત ગણાશે ને સરકારને ને યુનિવર્સિર્ટી તે માન્ય કરવું પડશે એમ હું ધારું છું.
<br>
<br>
<center>'''સ્કૂલ-લીવિંગ પરીક્ષા'''</center>
આ પરીક્ષાના બે વિભાગ છે; ૧. ‘મૅટ્રિક્યુલેશન’ અને ૨. ‘ફાઈનલ’. એમાંની પહેલી પરીક્ષાએ યુનિવર્સિટી – કેળવણીનું પ્રવેશદ્વાર છે ને બીજી સરકારી નોકરીનું, પહેલી પરીક્ષામાં દેશી ભાષા ને વિજ્ઞાન જેવા અગત્યના વિષયોની પરીક્ષા લેવાનું કામ યુનિવર્સિટીએ છોડી દીધું છે. તેને બદલે તે હેડ-માસ્તરોના ઉમેદવારને આપેલા પ્રમાણપત્રથી જ સંતુષ્ટ થાય છે. આ પદ્ધતિ ઘણી જ વાંધાભરેલી છે, તેનાં કારણો નીચે દર્શાવ્યાં છેઃ
૧. આ અગત્યના વિષયો બરાબર શિખવાતા નથી,
૨. ‘મૅટ્રિક્યુલેશન’માં જેટલા ઉમેદવારો હોય છે તેમાંના તૃતીયાંશ કે ચતુર્થાંશ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે; પરંતુ નાસીપાસ થયલા બધા ઉમેદવારોએ વિજ્ઞાન ને માતૃભાષા તથા ભૂગોળના વિષયમાં પ્રમાણપત્ર મેળવેલા હોય છે. આનો અર્થ દેખીતો એ જ છે કે હેડ-માસ્તરો એ વિષયમાં પ્રમાણપત્ર આપવામાં ઘણા ઉદાર છે.
૩. માતૃભાષાની કેળવણી ને સાહિત્યની પ્રગતિ અને પ્રસાર માટે જનમંડળ ચારે તરફથી પોકાર કરી રહ્યું છે તેવે પ્રસંગે એ ઉપયોગી વિષયના શિક્ષણ પર યુનિવર્સિટીએ દુર્ણમ રહેવું યુક્ત નથી.
૪. વિજ્ઞાનનો વિષય સરકારે છેક નીચલાં ધોરણમાં પણ દાખલ કર્યો છે. શાળાઓની પ્રયોગશાળામાં સંપૂર્ણ ને નવા પ્રકારનાં સાહિત્યો છે કે નહિ તેને માટે સરકાર પોતાના એ ખાતાના ઈન્સ્પેક્ટર મારફત તપાસ રાખે છે. આવી સ્થિતિમાં છેક ઉપલા ધોરણમાં એ વિષયના શિક્ષણ તરફ યુનિવર્સિટી આટલી બધી બેદરકાર રહે છે એ તે પોતાના કર્તવ્યમાંથી ભ્રષ્ટ થાય છે.
૫. અમુક વિષયોમાં પ્રમાણપત્રથી ચલાવી લેવું અને અમુક વિષયોની પરીક્ષા લેવી, એથી એટલું જ સિદ્ધ થાય છે કે જે વિષયોમાં તે પ્રમાણપત્ર સ્વીકારે છે. તે વિષયોને તે બીજા વિષયોથી હલકા ગણે છે.
આ વાંધાભરેલી પદ્ધતિ કાઢી નાંખી એ વિષયોમાં પરીક્ષા શરૂ કરે કે શિક્ષણમાં સુધારો થાય, એ બાબત યુનિવર્સિટીના લક્ષમાં લાવવી એ આ સ્થાયી મંડળનું કર્તવ્ય છે. પરિષદ પણ આ વિષયનો ઠરાવ કરી શકે.
શાળાઓના અભ્યાસક્રમમાં પણ સુધારાનો પુષ્કળ અવકાશ છે. દરેક શિષ્યે કોઈ પણ પ્રકારની શારીરિક કસરત લેવી જ જોઈએ. તે માટે એ વિષયને અભ્યાસક્રમમાં સ્થાન જોઈએ, તેમજ ગાયન જેવા વિષયને અભ્યાસક્રમમાં સ્થાન નથી તે અપાવવું, અને પરીક્ષાના પ્રશ્નપત્રને અનુસરીને શાળામાં શિક્ષણ ઘડાઈ વ્યુત્પત્તિ અને વ્યાકરણ જેવા અગત્યના વિષયોના પ્રશ્નો પૂછાતા બંધ થયાને લીધે એ વિષયના શિક્ષણનો પણ શાળાએ બહિષ્કાર કર્યો છે તે વાત સરકારના કે યુનિવર્સિટીના લક્ષમાં પણ કદાચ નહિ હોય, તે લક્ષમાં લાવવી, એ આ સ્થાયી મંડળનું કર્તવ્ય થશે.
વળી કેળવણી એકદેશી છે, તેને વિવિધ દિશામાં ફેરવવાની જરૂર છે. ઔદ્યાગિક ને વૈજ્ઞાનિક કેળવણીની હાલ દેશમાં આવશ્યકતા છે – આ અને બીજા અનેક કેળવણીને ને સાહિત્યને લગતા કૂટ પ્રશ્નોનું નિરાકરણ કરવા સ્થાયી મંડળની જરૂર છે.
<br>
<br>
<center>'''ઉપસંહાર'''</center>
ગૃહસ્થો, આપણા સાહિત્યની પૂર્વદશાનું અને આધુનિક દશાનું તેમજ તેમાં શી શી અપેક્ષા છે તેનું અને માત્ર સંભાષણો ને વાદ કરવાને બદલે, કે નિબંધોના વાચનથી તૃપ્ત થવાને બદલે રચનાત્મક કાર્ય કેવી રીતે થઈ શકે તેનું પણ યથામતિ તમને સૂચન કર્યું. કાર્ય કરવું, પછી તે સુધરશે, દુનિયામાં માનવકૃત્યમાં સંપૂર્ણતા ક્યાંથી હોય? જૉન રસ્કિને ખરું કહ્યું છે કે મનુષ્ય યન્ત્ર જેવી સંપૂર્ણતાથી કામ કરી શકે જ નહિ. તેના હાથનાં આંગળાં યન્ત્રના જેવું અને પગ દાંતાવાળા ચક્ર જેવું ચોકસ કામ કરી શકતાં હોય તો પછી મનુષ્યત્વ નહિ, દેવત્વ છે. શારીરિક કાર્યમાં જે નિયમ પ્રવર્તે છે તે માનસિક કાર્યમાં પણ પ્રવર્તે છે.
અન્તે તરુણ સાહિત્યરસિકોને બે બોલ કહેવા અવશિષ્ટ રહે છે. બંધુઓ, ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય તમારા જ હાથમાં છે. તમે એ સાહિત્યનો પ્રાણ છો, તમે જ એનો આત્મા છો. તમારા પ્રયત્ન પર જ એના શ્રેયનો ને ભાવી કલ્યાણનો બધો આધાર છે. તમારી પૂર્વના લેખકોએ જે જ્ઞાનપ્રદીપ પ્રગટાવ્યો છે તેની જ્યોતને ઝગઝગતી કરો, તેનો પ્રકાશ ચારે તરફ ફેલાવો અને સાહિત્યક્ષેત્રનો સર્વ પ્રદેશ એવો તો પ્રકાશમય બનાવો કે અન્ય સાહિત્યક્ષેત્રમાં વિચરનારને તે આદર્શભૂત થાય.
<center>'''* * *'''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu