કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ધોખો કોનો કરું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. ધોખો કોનો કરું

ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

જુગતે ખોલ્યાં ને જતને જાળવ્યાં હો જી,
એ જી એ મારાં બિડાતાં દશેન્દ્રિયોનાં દ્વાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

મારો રે માનીને એને સાંચવ્યો હો જી,
એ જી એ એક દિન ચાલ્યો જાશે ચેતના અંબાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

સરજી ધકેલી દીધો સ્હેજમાં હો જી,
એ જી એ મારો છુપાઈ ગયો સરજનહાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

કોણ રે કોનું, કોઈને શી પડી હો જી?
એ જી એ સહુને સહુની લાગી રે લગાતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

ડંખ રે ધોખાના દિલને લાગિયા હો જી,
એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?

(રામરસ, પૃ. ૩૫)