સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સુખ
૩. સુખ
નર્મદાશંકર
સુખિયો નર્મદ પૂરો અહીં, ઉદ્યમ ઘટતો કરતો સહી;
જરૂરનો પૈસો તે રળે, સંતોષે દહાડા નિર્ગમે.
કુદરત વાડી સારી ઘણી, તન ગાડી બે ઘોડા તણી;
કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ.
કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત;
કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.
ખુશામતિયા જેને નહિ, દુશ્મન ખોટા મિત્રો નહિ;
રોગી ને લોભી જે નહિ, નર્મદ તે સુખિયો છે સહી.
વિદ્યા સાથે જેને પ્રીત, રસજ્ઞાન નિર્મળ છે નિત;
એકાંતે સાદો જે રહે, સુખિયો નર્મદ તેને કહે.
પસ્તાવો જેને ના હોય, નીતિધર્મે નિશદિન જોય;
મોતશું મળવા જે તૈયાર, ધીરો નર્મદ સુખિયો સાર.
દાનદયાથી રાજી રહે, ફરજ બજાવે નિત્યે તેહ;
અદેખાઈ જેને નહિ કાંઈ, સંસારે સુખી નર્મદભાઈ
દગલબાજ દુનિયાને જોઈ મિથ્યાવાદ કરે નહિ કોઈ;
બ્રહ્મનું ચિંતન ભાવે કરે, સાચો સુખિયો નર્મદ ઠરે.